Old/New Testament
યરૂશાલેમના પાપો
22 યહોવાની વાણી મને આ પ્રમાણે સંભળાઇ: 2 “હે મનુષ્યના પુત્ર, તું તેણીનો ન્યાય તોળવા તૈયાર છે? તો તું યરૂશાલેમ પર તે ‘ખૂનીઓની નગરી’ છે તેવો આરોપ મૂક, પછી તેણે આચરેલા બધા ભયંકર કૃત્યો વિષે તેને જણાવ. 3 તે નગરને જણાવ કે, ‘યહોવા મારા માલિક તમને કહે છે: પોતાની મધ્યે ઘણાં લોકોનાં ખૂન કર્યા છે અને મૂર્તિઓની પૂજા કરીને પોતાને ષ્ટ કર્યા છે.
4 “‘એ કારણને લીધે તારા નાશનો સમય પાકી ચૂક્યો છે. એ ખૂનની જવાબદારી તારી છે અને તેં જ બનાવેલી મૂર્તિઓથી તું ષ્ટ થયેલી છે, તેથી તારી ઘડી ભરાઇ ચૂકી છે. તારું આવી બન્યું છે! આથી જ મેં તેને બધી પ્રજાઓની હાંસીનો અને બધા દેશોના ઉપહાસનો વિષય બનાવી છે. 5 દૂરના અને નજીકના દેશો તારી હાંસી ઉડાવશે, તું ઘણી બદનામ થયેલી છે. તું હિંસાથી ભરેલી છે.
6 “‘તારા કિલ્લાની અંદર રહેનાર ઇસ્રાએલના પ્રત્યેક આગેવાને પોતાના હાથનો ઉપયોગ લોહી વહેવડાવવામાં કર્યો છે. 7 તારામાં કોઇ માતાપિતાને માન આપતું નથી. વિદેશીઓને સુરક્ષા માટે નાણાં ચૂકવવા ફરજ પાડે છે. અને અનાથો તથા વિધવાઓ ઉપર ત્રાસ ગુજારે છે. 8 હું જે કઇં પવિત્ર માનું છું તેને તું ધિક્કારે છે. અને મારા ખાસ વિશ્રામવારોનું ઉલ્લંઘન કરે છે. 9 તારે ત્યાં લોકો ખોટી અફવાઓ ફેલાવે છે અને ખૂનો કરાવે છે, પર્વત પરના થાનકોએ જઇને બલિદાનો અર્પણ કરે છે.
“‘તારે ત્યાં લોકો જાતિય પાપો આચરે છે. 10 ધણા પુરુષો પોતાના પિતાની પત્નીઓ સાથે વ્યભિચારમાં ડૂબેલા હોય છે. અને તેમાંના ધણા તો સ્ત્રીઓ પર ઋતુકાળ દરમ્યાન બળાત્કાર કરે છે. 11 કેટલાંક પુરુષો બીજા પુરુષોની પત્નીઓ સાથે ભયાનક કુકર્મો કરે છે, તો કોઇ પોતાની પુત્રવધૂને ષ્ટ કરે છે; કોઇ તેની પોતાની બહેન પર એટલે કે પોતાના બાપની પુત્રી પર બળાત્કાર કરે છે. 12 તારે ત્યાં લોકો પૈસા લઇને ખૂન કરે છે, પોતાના ઇસ્રાએલી ભાઇઓને ધીરેલા નાણા ઉપર વ્યાજ લે છે અને નફા માટે તેમની પાસે વધારે ભાવ પડાવે છે, મને તો તું ભૂલી જ ગઇ છે.’ આ યહોવા મારા માલિકના વચન છે.
13 “‘તમે અપ્રામાણિક નફો મેળવ્યો છે અને તમારી મધ્યે લોહી વહેવડાવ્યું છે. તેથી હું રોષમાં હાથ પછાડીશ. 14 હું તારી ખબર લઇશ ત્યારે તારી હિંમત ટકી રહેશે ખરી? તારું બળ કાયમ રહેશે ખરું? કારણ કે હું યહોવા બોલ્યો છું અને મેં જે કંઇ કહ્યું છે તે સર્વ હું કરી બતાવીશ. 15 હું તમને બીજી પ્રજાઓમાં અને વિદેશોમાં વેરવિખેર કરી નાખીશ અને તમે જે મલિનતામાં ખૂપેલા છો તેને હું સંપૂર્ણપણે દૂર કરીશ. 16 બીજી સર્વ પ્રજાઓ આગળ તમે અપમાનિત થશો અને ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.’”
ઇસ્રાએલ કામવગરના કચરાની જેમ છે
17 મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ: 18 “હે મનુષ્યના પુત્ર, ઇસ્રાએલીઓ મારે માટે કચરા જેવા નકામા છે. તેઓ ચાંદીને શોધ્યા પછી ભઠ્ઠીમાં રહેલા તાંબા, કલાઇ, લોઢા અને સીસા જેવા છે. 19 આથી હું યહોવા માલિક કહું છું કે, ‘તમે બધા એ કચરા જેવા નકામા છો એટલે હું તમને યરૂશાલેમમાં ભેગા કરીશ. 20 જેમ ચાંદી, પિત્તળ, લોખંડ, સીસા અને જસતને શુદ્ધ કરવા માટે ભઠ્ઠીમાં અગ્નિ વડે ગળાય છે, તેવી જ રીતે હું તમને મારા રોષમાં ભેગા કરીને તમને ભઠ્ઠીમાં ઓગળવા માટે મૂકી દઇશ. 21 તેવી જ રીતે હું મારા ક્રોધ અને રોષમાં તમને ભેગા કરીને ઓગાળીશ. તમે મારા રોષની ભડભડતી ભઠ્ઠીમાં ઓગળી જશો. 22 જેમ ચાંદી ભઠ્ઠીના અગ્નિથી ઓગળી જાય તેમ તમે મારા રોષના અગ્નિથી ઓગળી જશો. ત્યારે તમે જાણશો કે મેં યહોવાએ મારો કોપ તમારા પર રેડ્યો છે.’”
હઝકિયેલ યરૂશાલેમ વિષે બોલે છે
23 ફરીથી યહોવાની વાણી મને આ પ્રમાણે સંભળાઇ: 24 “હે મનુષ્યના પુત્ર, તું એ ભૂમિને કહે: તુ એક અશુદ્ધ ભૂમિ છે જે ભૂમિ પર કોપના દિવસે વરસાદ વરસતો નથી. 25 શિકાર ફાડી ખાનાર ગર્જના કરતા સિંહની જેમ તારા ‘પ્રબોધકો’ એ તારી વિરુદ્ધ જાળ પાથરી છે. તેઓ ઘણાં જીવોને હડપ કરી ગયા છે. તેઓ બળજબરીથી ખજાનો અને સંપત્તિ પડાવી લે છે. તેઓ આ દેશમાં વિધવાઓનો વધારો કરે છે.
26 “તારા યાજકોએ ખરેખર મારા નિયમશાસ્ત્ર ભંગ કર્યો છે અને જે અપિર્ત વસ્તુઓ છે તેને ષ્ટ કર્યું છે. તેઓએ પવિત્રતાને અપવિત્રતાથી દુર કરી છે. તેઓ શુદ્ધ અને અશુદ્ધ વચ્ચેનો ભેદ શીખવતા નથી. તેઓ મારા ખાસ વિશ્રામવારનું અપમાન કરે છે તેથી હું તેઓની વચ્ચે અપવિત્ર બન્યો છું.
27 “નગરીના અમલદારો શિકારની ચીરફાડ કરતાં વરુઓ જેવા છે; તેઓ ખૂનરેજી કરે છે, લોકોને મારી નાખીને તેમની મિલકત લૂંટીને અપ્રામાણિક લાભ મેળવે છે.
28 “તેમના પ્રબોધકો દરેક વસ્તુઓ ઉપર વ્યર્થ ચૂનો ઘોળે છે. તેઓ પોકળ દર્શનો જુએ છે અને અસત્ય બોલે છે – તેઓ કહે છે, ‘આ યહોવા મારા માલિકના વચન છે,’ પછી ભલે, મેં તેમને કંઇ કહ્યું ન હોય.
29 “સામાન્ય લોકો પણ જુલમમાં ડુબેલા હોય છે, તેઓ ગરીબો અને જરૂરતમંદોને લૂંટે છે અને વિદેશીઓને ન્યાયથી વંચિત રાખીને તેમની સાથે દુર્વ્યવહાર કરે છે.
30 “મેં તેમનામાં એવો માણસ શોધવાનો પ્રયત્ન કર્યો જે દિવાલ બાંધી શકે, જે દિવાલમાં પડેલાં ગાબડા પાસે ઊભો રહી મારાથી દેશનું રક્ષણ કરે – જે તેનો નાશ કરવા માટે તૈયાર હોય, પણ હું એવા કોઇને પણ શોધી ન શક્યો. 31 આથી હું તમારા પર મારો ક્રોધ રેડી દઇશ. હું મારા ક્રોધરૂપી અગ્નિથી તમને બાળીને ભસ્મ કરીશ. તમે કરેલા સર્વ કુકર્મોને માટે હું તમને જવાબદાર ઠરાવીશ.” આ યહોવા મારા માલિકના વચન છે.
23 મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ: 2 તેમણે કહ્યું, “હે મનુષ્યના પુત્ર, બે બહેનો હતી. 3 તેઓ યુવાન હતી ત્યારે મિસરમાં રહેતી હતી જે વારાંગના બની ગઇ હતી, ત્યાં જ તેમને ચુંબન, આલિંગન અને સ્તનોના મર્દનનો અનુભવ થઇ ચૂક્યો હતો અને તેમનું કૌમાર્ય હરાઇ ચૂક્યું હતું. 4 મોટીનું નામ ઓહલાહ હતું અને નાનીનું નામ ઓહલીબાહ હતું. તેઓ બંને મારી થઇ અને મારાથી તેમને સંતતિ થઇ. ઓહલાહ એટલે સમરૂન અને ઓહલીબાહ એટલે યરૂશાલેમ.
5 “ઓહલાહ મારી થઇ હતી, છતાં તેણે વારાંગનાવૃત્તિ ચાલુ રાખી. તે આશ્શૂરના યોદ્ધાઓ ઉપર મોહી પડી હતી. 6 એ બધા જુવાન હતા, રૂપાળા હતા અને જાંબલી રંગના પોશાકમાં શોભતા હતા. કોઇ લશ્કરી અમલદાર હતા. કોઇ અધિકારીઓ હતા, કોઇ ઘોડેસવાર હતા. 7 તેથી તેણે પસંદ કરેલા આશ્શૂરી પુરુષો સાથે વ્યભિચારનું પાપ કર્યું. તેણીએ તેઓની મલિન મૂર્તિઓની પૂજા કરીને પોતાની જાતને અશુદ્ધ કરી. 8 મિસરમાં તેણે વારાંગનાવૃત્તિ શરૂ કરી હતી, ત્યાં તે નાની હતી ત્યારથી જ માણસો તેની સાથે સૂતા અને તેને ચુંબન, આલિંગન કરી તેની સાથે વ્યભિચાર કરતાં અને એ જ તેણે ચાલુ રાખ્યું. 9 તેથી મેં તેણીને આશ્શૂરીના માણસના હાથમાં સોંપી દીધી જેઓ માટે તેણી તલસતી હતી. 10 તેઓએ તેના કપડાં ઉતારી લીધા. તેને મારી નાખી અને તેના સંતાનોને પોતાના ગુલામો તરીકે લઇ ગયા. તે એક પાપી સ્ત્રી તરીકે સમગ્ર દેશની સ્ત્રીઓમાં કુખ્યાત બની. કારણ કે તેના આચરણ પ્રમાણે તેને યોગ્ય શિક્ષા થઇ હતી.
11 “તેની બહેન ઓહલીબાહે આ બધું જોયું હતું તેમ છતાં તે વધુ કામાસકત નીકળી અને વારાંગનાવૃત્તિમાં તેની બહેન કરતાં પણ ષ્ટ થઇ. 12 તે આશ્શૂરના ઉમરાવો અને સેનાપતિઓ ભભકાદાર પોશાક પહેરેલા સૈનિકો અને ઘોડેસવારો ઉપર મોહી પડી. એ બધા રૂપાળા જુવાનો હતા. 13 મેં જોયું કે તે તેની મોટી બહેનના પગલે જ ચાલતી હતી અને તેના જેવા જ અધમ કૃત્યો તે આચરતી હતી.
14 “તેણે વધુને વધુ વ્યભિચાર કર્યો કારણ કે તેણે ભીત ઉપર સિંદૂરથી ચિતરેલા બાબિલના અમલદારોના ચિત્રો જોયાં. 15 તેમણે કમરે કમરબંધ અને માથે સુંદર સાફા બાંધેલા હતા. એ બધા જ અધિકારીઓ તરીકે ઉત્તમ લાગતાં હતાં. તેઓ બાબિલના ગૌરવ અને ખાલદીયોના વતની જેવા સુંદર લાગતા હતા. 16 જ્યારે તેણે આ ચિત્રો જોયાં ત્યારે તે આ ચિત્રોમાંના પુરુષો માટે ઝંખવા લાગી અને તેઓ પોતાની પાસે આવે માટે તેમને બોલાવવા માટે બાબિલ સંદેશાવાહકો મોકલ્યા. 17 બાબિલવાસીઓ આવ્યા અને તે સ્ત્રીને લઇને પથારીમાં સુઇ ગયા જેમકે તે વારાંગના હોય અને તેમ તેને ષ્ટ કરી અને તેણી ખીજવાઇને તેમનાથી દૂર નાસી ગઇ.
18 “આમ તે ઉઘાડેછોગ વ્યભિચાર કરતી હતી તેથી છેલ્લે હું તેની બહેનથી કંટાળી ગયો હતો તેટલો જ તેનાથી કંટાળી ગયો. 19 તે વારાંગનાવૃત્તિમાં આગળને આગળ વધતી ગઇ, અને પોતે જુવાન હતી ત્યારે મિસરમાં જેમ વારાંગનાવૃત્તિ કરતી હતી તેમ કરવા લાગી. 20 તેણી પોતાના મિસરના પ્રેમીઓને ઝંખતી હતી જેમની પુરુષ ઇદ્રિયો ગધેડાની ઇદ્રિયો જેવી હતી અને જેઓ ઘોડાઓની જેમ વીર્યસ્ત્રાવ કરતાં હતાં.
21 “તારી જુવાનીમાં મિસરમાં તું વ્યભિચારમાં ડૂબેલી રહેતી હતી અને દેહસુખ માણ્યા કરતી હતી, એ બધું તારે પાછું માણવું હતું. 22 આથી, ઓહલીબાહ, હું યહોવા માલિક, કહું છું કે, ‘તારા જે પ્રેમીઓથી તું કંટાળી ગઇ છે તેમને જ હું તારી સામે ઉશ્કેરીશ અને ચારેબાજુથી તને ઘેરી વળવા તેમને ભેગા કરીશ. 23 હું બધા બાબિલવાસીઓને અને ખાલદીવાસીઓને તથા પકોદ, શોઆને અને કોઆના માણસોને, તેમ જ બધા આશ્શૂરવાસીઓને, બધા રૂપાળા જુવાનોને, રાજ્યપાલોને અને ઉમરાવોને, રથના સારથીઓને અને ઘોડેસવારોને ભેગા કરીશ. 24 તેઓ તારી વિરુદ્ધ રથો, ગાડાં અને વિશાળ સૈન્ય સાથે શિરસ્ત્રાણ ઢાલ અને ભાલા સાથે તારી ઉપર આક્રમણ કરવા ચઢી આવશે, તેઓ શસ્ત્રસજ્જ માણસો વડે તને ચારેબાજુથી ઘેરી લેશે. હું તેઓ સમક્ષ મારી બાબત રજૂ કરીશ અને તેઓને યોગ્ય લાગે તેવો વર્તાવ તેઓ તારી સાથે કરશે. 25 હું તારા પર રોષે ભરાયો છું. તેથી તેઓ તારા પર રોષ ઉતારશે. તેઓ તારા નાક કાન કાપી નાખશે, તેઓ તારા પુત્ર-પુત્રીને તારી પાસેથી લઇ લેશે. અને બાકીનું બધું અગ્નિમાં ભક્ષ્મ થઇ જશે. 26 તેઓ તારા સુંદર પોશાક અને આભૂષણો તારી પાસેથી છીનવી લેશે. 27 હું તારા સપનાઓનો અને મિસરમાં શરૂ કરેલાં વ્યભિચારનો અંત લાવીશ. એટલે તું હવેથી તેઓને ક્યારેય તારી આંખોથી લલચાવી નહિ શકે.’”
28 યહોવા મારા માલિક કહે છે: “જે લોકોને તું ધિક્કારે છે અને જેમનાથી તું કંટાળી ગઇ છે તેમના હાથમાં હું તને સુપ્રત કરીશ. 29 અને તેઓ તને ધિક્કારે છે એટલે તેઓ તારા પરિશ્રમની કમાણી ઝૂંટવી લેશે અને તને બિલકુલ ઉઘાડી અને નગ્ન કરી મૂકશે. આમ, તું વારાંગના તરીકે ઉઘાડી પડી જઇશ. 30 તેં બીજી પ્રજાઓના દેવોની પૂજા કરી અને તેઓની મૂર્તિઓથી તે પોતાને અપવિત્ર કરી છે માટે આ સર્વ વિપત્તિઓ તારા પર લાવવામાં આવશે. 31 તું તારી બહેનને પગલે ચાલી છે એટલે હું તને તેનો જ પ્યાલો આપીશ.” 32 યહોવા મારા માલિકના આ વચન છે:
“તારે તારી બહેનનો પ્યાલો પીવો પડશે,
એ પ્યાલો ઉંચો છે
અને ઊંડો છે.
એ ઉપહાર અને મશ્કરીથી છલોછલ ભરેલો છે.
33 એ તારાજી અને વિનાશનો પ્યાલો તને છાકટી
અને દુ:ખી બનાવી દેશે.
34 તું તારી બહેન સમરૂનનો
પ્યાલો આખો ગટગટાવી જશે
અને પછી તેને ભાંગી નાખી તેના કટકા વડે
તારા સ્તન કાપી નાખશે.
35 “આ યહોવા મારા માલિકના વચન છે, ‘તું મને ભૂલી ગઇ હતી અને મારી તરફ તેં તારી પીઠ ફેરવી. તેથી તારાં સર્વ પાપ, લંપટતા અને વ્યભિચારની શિક્ષા તારે સહન કરવી પડશે.’”
ઓહલાહ અને ઓહલીબાહ વિરુદ્ધ ન્યાય
36 યહોવાએ મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, તું ઓહલાહ અને ઓહલીબાહનો ન્યાય તોળવાને તૈયાર છે? તો તેમણે જે શરમજનક કૃત્યો કર્યા છે તેનો તેમના ઉપર આરોપ મૂક. 37 તેમણે વ્યભિચાર કર્યો છે, ખૂન કર્યા છે; તેમણે મૂર્તિઓ સાથે વ્યભિચાર કર્યો છે અને મારાથી તેમને થયેલા બાળકોનો તેમની આગળ ભોગ આપ્યો છે. 38 વળી તેઓએ મારી વિરુદ્ધ આ કર્યું છે; એ જ દિવસે તેઓએ મારા મંદિરને મારા ખાસ વિશ્રામવારની સાથે અશુદ્ધ કર્યુ. 39 કારણ કે પોતાનાં બાળકોનો મૂર્તિઓને ભોગ ચઢાવ્યા પછી તે જ દિવસે તેઓ મારા મંદિરમાં પ્રવેશ્યા અને તેને અશુદ્ધ કર્યું છે. આ તેમણે મારા પોતાના જ મંદિરમાં કર્યું છે!
40 “વળી એમણે સંદેશાવાહકો મોકલીને દૂર દૂરથી માણસોને બોલાવ્યા. જ્યારે તેઓ આવ્યા ત્યારે તમે તેઓનું સ્વાગત કર્યું. તમે સ્નાન કર્યું, આંખોમાં કાજળ આંજયું અને વસ્ત્રાભૂષણ ધારણ કર્યા. 41 પછી તે દબદબાભર્યા પલંગ ઉપર બેઠી અને સામે બાજઠ મૂક્યો. બાજઠ ઉપર તેમણે મેં આપેલો ધૂપ અને મેં આપેલું તેલ મૂક્યું.
42 “તમારા ઓરડામાંથી મોટી ઉજાણીના અવાજો સંભળાતા હતા. અને તમે રણમાંથી વંઠેલ સ્ત્રીઓ લાવ્યાં હતાં અને તમે તેમના હાથોમાં બંગડીઓ પહેરાવી હતી અને તેઓના માથે સુંદર મુગટો મૂક્યા હતા. 43 પછી મને વિચાર આવ્યો, ‘આ લોકો વારાંગનાવૃત્તિ કરી કરીને વૃધ્ધ થઇ ગયેલી સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરી રહ્યા છે.’ 44 માણસો વારાંગના પાસે જાય તેમ તેઓ તેમની પાસે જવા લાગ્યા, અને તેમણે એ વંઠેલ સ્ત્રીઓ ઓહલાહ અને ઓહલીબાહ પાસે જવાનું ચાલું રાખ્યું છે.
45 “પણ સદાચારી માણસો તો તેમને વ્યભિચાર અને ખૂનના પાપોને કારણે સજા કરશે, કારણ, એ લોકોએ વ્યભિચારનું પાપ આચર્યુ છે અને એમના હાથ લોહીથી ખરડાયેલા છે.”
46 આ યહોવા મારા માલિકના વચન છે: “એમના ઉપર ત્રાસ ગુજારવા માટે અને એમને લૂંટી લેવા માટે લશ્કરની ટુકડી લઇ આવો. 47 તે લશ્કરની ટુકડી તેમને ઇંટાળી કરશે અને તરવારોથી તેમનો અને તેમનાં પુત્રો તથા પુત્રીઓનો સંહાર કરશે. અને તેમના ઘરોને બાળી મૂકશે. 48 આમ, સમગ્ર દેશમાંથી હું કામાચારનો અંત લાવીશ અને તમને બે બહેનોને જોઇને બધી સ્ત્રીઓ ચેતશે અને તમારી જેમ વ્યભિચાર નહિ કરે. કારણ કે વ્યભિચારનું અનુકરણ ન કરવાની શિખામણ તેમને મળશે. 49 તમારા વ્યભિચારના અને મૂર્તિપૂજાના પાપ માટે તમને સજા થશે, અને ત્યારે તમને ખબર પડશે કે હું યહોવા અને માલિક છું.”
1 ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પિતર, તરફથી કુશળતા હો.
દેવની પસંદગી પામેલા લોકો જોગ જેઓ તેઓના ઘરથી દૂર પોન્તસ, ગલાતિયા, કપ્પદોકિયા, આસિયા અને બિથૂનિયાના વિવિધ વિસ્તારોમાં પથરાયેલા છે. 2 દેવ બાપે ઘણા સમય પહેલા તેના પવિત્ર લોકો બનાવવા તમને પસંદ કર્યા હતા. તમને પવિત્ર કરવાનું કામ આત્માનું છે. દેવ ઈચ્છતો હતો કે તમે તેને આજ્ઞાંકિત બનો. અને ઈસુ ખ્રિસ્તના રક્ત દ્ધારા તમે શુદ્ધ બનો.
તમારા પર કૃપા અને શાંતિ પુષ્કળ થાઓ.
જીવંત આશા
3 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના દેવ તથા બાપને ધન્યવાદ હો. દેવ ઘણો કૃપાળુ છે, અને તેની દયાથી આપણને નવજીવન પ્રાપ્ત થયું છે. અને ઈસુ ખ્રિસ્તના મૂએલામાથી પુનરુંત્થાન દ્ધારા આ નવજીવન આપણામાં જીવંત આશા અંકુરિત કરે છે. 4 હવે દેવના બાળકો પ્રત્યેક તેના આશીર્વાદોની આપણને આશા છે. તમારા માટે આ આશીર્વાદો આકાશમાં સ્થાપિત કરાયા છે. આ આશીર્વાદો અવિનાશી છે. તેને નષ્ટ ન કરી શકાય. તે તેમની સુંદરતા ગુમાવતા નથી.
5 તમારા વિશ્વાસ થકી દેવનું સાર્મથ્ય તમારું રક્ષણ કરે છે, અને તમારું તારણ થાય ત્યાં સુધી તે તમને સલામત રાખે છે. 6 આ તમને આનંદિત બનાવે છે. પરંતુ હમણા થોડા સમય પૂરતા વિવિધ પ્રકારના પરીક્ષણ તમને કદાચ દુ:ખી બનાવશે. 7 આ મુશ્કેલીઓ શાથી ઉદભવશે? એ સાબિત કરવા કે તમારો વિશ્વાસ શુદ્ધ છે. વિશ્વાસની આ શુદ્ધતા સોના કરતાં પણ વધુ મૂલ્યવાન છે. દેવ અગ્નિથી સોનું પારખી શકે છે, પરંતુ આમ કરવાથી સોનાનો નાશ થશે. તમારા વિશ્વાસની શુદ્ધતા જ્યારે ઈસુ ખ્રિસ્ત ફરીથી આવશે ત્યારે તમારે માટે સ્તુતિ, માન તથા મહિમા યોગ્ય થાય.
8 તમે ખ્રિસ્તને જોયો નથી, છતાં તમે તેના પર પ્રીતિ રાખો છો. તમે તેને અત્યારે જોઈ શકતા નથી, છતાં તમે તેના પર વિશ્વાસ રાખો છો. ન સમજાવી શકાય તેવા અવર્ણનીય આનંદમાં તમે તળબોળ છો. અને આ આનંદ મહિમાથી ભરપૂર છે. 9 તમારા વિશ્વાસનું ફળ તે તમારા આત્માનું તારણ છે. અને તમે તે ફળ દ્ધારા તમારું તારણ મેળવી રહ્યા છો.
10 પ્રબોધકોએ ખંતથી અભ્યાસ કરીને આ તારણ વિષે સમજવાનો પ્રયત્ન કર્યો. પ્રબોધકોએ તમારા પર થવાની કૃપા વિશે વાત કરી છે. 11 ખ્રિસ્તનો આત્મા તે પ્રબોધકોમાં હતો. અને તે આત્મા ખ્રિસ્તને સહન કરવાની વ્યથા વિષે તેમજ તે વ્યથા પછી આવનાર મહિમા વિષે વાત કરતો હતો. આ આત્મા જે દર્શાવતો હતો તે વિષે સમજવાનો તે પ્રબોધકોએ પ્રયત્ન કર્યો હતો. તેઓ આ ઘટના ક્યારે ઘટશે અને તે વખતે દુનિયા કેવી હશે તે સમજવાનો પ્રયત્ન કર્યો હતો.
12 તે પ્રબોધકોને સમજાવવામાં આવ્યું હતુ કે તેઓ જે સેવા કરે છે તે તેઓના પોતાના માટે નહિ, પરંતુ તમારા માટે કરે છે. તેઓએ જ કહ્યું તે તમે જ્યારે સાભળ્યું ત્યારે તેઓ તમારી સેવા જ કરી રહ્યા હતા. જે માણસોએ તમને સુવાર્તા આપી તેઓએ તમને આ બધી બાબતો કહી છે. તેઓએ આકાશમાથી મોકલેલા પવિત્રઆત્માની મદદથી તમને આ કહ્યું હતું. તમને જે વાત કહેવામા આવી હતી તે વિશે દૂતો પણ જાણવા ઉત્સુક છે.
પવિત્ર જીવન માટે આહવાન
13 તેથી સેવા માટે તમારા મન તૈયાર કરો, અને તમારી જાતને નિયંત્રણમાં રાખો. ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની વેળાએ તમને પ્રાપ્ત થનાર કૃપા પર તમારી પૂર્ણ આશા રાખો. 14 ભૂતકાળમાં તમે આ બધું સમજ્યા નહિ, તેથી તમે ઈચ્છતા હતા તેવા દુષ્ટ કાર્યો તમે કર્યા, પરંતુ હવે તમે દેવના આજ્ઞાંકિત છોકરાં છો. તેથી ભૂતકાળમા જીવતા હતા તેવું ન જીવશો. 15 પરંતુ જે કંઈ કરો તેમાં દેવ જેવા પવિત્ર બનો. દેવ એક જ છે કે જેણે તમને તેડ્યા છે. 16 પવિત્ર શાસ્ત્રમાં લખેલું છે કે, “તમે પવિત્ર થાઓ, કારણ કે હું પવિત્ર છું.” (A)
17 તમે દેવની પ્રાર્થના કરો અને તેને બાપ તરીકે સંબોધો. દેવ દરેક વ્યક્તિના કાર્યનો સમાન ન્યાય કરે છે. તેથી જ્યારે તમે અહીં પૃથ્વી પરના પ્રવાસમાં છો, ત્યારે દેવનો ભય (માન) રાખીને જીવો. 18 તમે જાણો છો કે ભૂતકાળમાં તમ નિરર્થક જીવન જીવતા હતા. તમારા પહેલા જીવી ગયેલા લોકો પાસેથી તમને આવું જીવન વારસામાં મળ્યું હતું. પરંતુ તે પ્રકારની જીવન પદ્ધતિમાંથી તમને બચાવી લેવામા આવ્યા છે, તમને ખરીદવામાં આવ્યા છે. પરંતુ સોના કે ચાંદી જેવી નાશવંત વસ્તુઓથી નહિ. 19 તમે તો ખ્રિસ્તના અમૂલ્ય રક્ત થી ખરીદાયા છો કે જે નિષ્કલંક તથા નિર્દોષ હલવાન છે. 20 આ જગતની રચના પહેલા ખ્રિસ્તની પસંદગી થઇ હતી. પરંતુ આ અંતિમ સમયમાં તમારી માટે જગતમાં ખ્રિસ્ત પ્રગટ થયો છે. 21 ખ્રિસ્ત થકી તમે દેવમા વિશ્વાસ કરો છો. દેવે ખ્રિસ્તને મૂએલાંમાંથી ઉઠાડ્યો અને તેને મહિમા બક્ષ્યો. તેથી તમારો વિશ્વાસ અને તમારી આશા દેવમાં છે.
22 હવે સત્યને અનુસરીને તમે તમારી જાતને નિર્મળ બનાવી છે. હવે તમે તમારા ભાઇઓ અને બહેનો માટે સંપૂર્ણ હૃદયથી તથા બળથી પ્રીતિ કરો. 23 તમે પુર્નજન્મ પામ્યા છો. આ નવજીવન વિનાશી બીજમાંથી આવ્યું નથી. પરંતુ અવિનાશીથી તમને આ નવજીવન પ્રાપ્ત થયું છે. દેવના જીવંત તથા સદાકાળ રહેનાર વચન વડે તમને પુર્નજન્મ આપવામાં આવ્યો છે. 24 પવિત્રશાસ્ત્ર કહે છે કે,
“લોકો અમર નથી, તેઓ તો ઘાસ જેવા છે.
અને તેઓનુ સઘળુ ગૌરવ ઘાસના ફૂલ જેવું છે.
ઘાસ સુકાઈ જાય છે.
અને ફૂલ ખરી પડે છે.
25 પરંતુ પ્રભુનું વચન સદાકાળ રહે છે.” (B)
અને જે સુવાર્તાનું વચન તમને પ્રગટ કરવામા આવ્યું હતું તે એ જ છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International