Old/New Testament
ઇસ્રાએલની બંડખોર કથા
20 સાતમા વર્ષના પાંચમા મહિનાના દશમાં દિવસે ઇસ્રાએલના કેટલાક આગેવાનો પોતાના સવાલો યહોવાને પૂછવા માટે મારી સમક્ષ આવીને બેઠા.
2 તે સમયે મને આ પ્રમાણે યહોવાની વાણી સંભળાઇ: 3 “હે મનુષ્યના પુત્ર, તું ઇસ્રાએલના આગેવાનોને આ પ્રમાણે કહે: ‘આ યહોવા મારા માલિકના વચન છે: તમે મારા મનની વાત જાણવા આવ્યા છો? હું મારા જીવના સમ ખાઇને કહું છું કે, હું તમને મારા મનની વાત નહિ કહું. આ યહોવા મારા માલિકના વચન છે.’ 4 હે મનુષ્યના પુત્ર! શું તું તેઓનો ન્યાય કરશે? તો તેઓને દોષિત ઠરાવ અને તેઓના પિતૃઓનાં ધિક્કારપાત્ર કૃત્યો વિષે તેઓને જણાવ. 5 હું તને જણાવું છું તે તેઓને કહી સંભળાવ; ‘ઇસ્રાએલની મેં પસંદગી કરી ત્યારે મેં તેઓને વચન આપ્યું હતું તેમને દર્શન દીધાં હતાં, ત્યારે મેં પ્રતિજ્ઞાપૂર્વક તેમને જણાવ્યું હતું કે, હું તમારો દેવ યહોવા છું. 6 હું તમને મિસરની બહાર લઇ જઇ તમારે માટે પસંદ કરેલા દેશમાં લઇ જઇશ, જે વિશ્વના દેશોમાં સૌથી રળિયામણો છે અને જ્યાં દૂધ અને મધની રેલછેલ છે.
7 “‘પરંતુ તમે જેના ઉપર મોહી પડ્યા છો તે ત્રાસજનક મૂર્તિઓને તમારામાંના એકેએક જણે ફેંકી દેવી પડશે. મિસરની મૂર્તિઓથી તમારે તમારી જાતને અશુદ્ધ કરવાની નથી, કારણ, “હું યહોવા જ તમારો દેવ છું.” 8 પરંતુ તેઓ મારી સામે થયા, મારું કહ્યું સાંભળવાની તેમણે ના પાડી અને તેમનામાંના એકે જણે ન તો ધૃણાજનક મૂર્તિઓ ફેંકી દીધી કે ન તો મિસરની મૂર્તિઓનો ત્યાગ કર્યો. એટલે મિસરમાં જ તેમના પર મારો પૂરો રોષ ઉતારવાનો મેં વિચાર કર્યો હતો. 9 પણ મેં તેમ કર્યું નહિ, કારણ, જો મેં તેમ કર્યું હોત તો તે લોકો જેમની વચ્ચે વસતા હતા તેમની નજરમાં મારું નામ હલકું પડત, કારણ કે તેમના દેખતાં જ મેં જાહેર કર્યું હતું કે, હું એ લોકને મિસરમાંથી બહાર લઇ જનાર છું. 10 આથી મેં તેમને મિસરમાંથી બહાર કાઢીને રણમાં લાવીને મૂક્યા. 11 મેં તેમને મારા નિયમો આપ્યા અને મારી આજ્ઞાઓ સમજાવી. જેનું પાલન કરવાથી માણસ જીવન પામે છે. 12 તેઓ મારી પોતાની જ પ્રજા છે એની એંધાણીરૂપે મેં તેમને ખાસ આરામના દિવસો આપ્યા, તેથી તેઓ જાણે કે, હું યહોવા એ જ એક છું કે જે તેમને પવિત્ર બનાવે છે.
13 “‘પરંતુ ઇસ્રાએલીઓ રણમાં પણ મારી વિરુદ્ધ થયા. તેઓ મારા નિયમની વિરુદ્ધ ગયાં અને મારી સૂચનાઓનો અસ્વીકાર કર્યો, જેનું પાલન કરવાથી માણસ જીવન પામે છે. તેમણે ખાસ વિશ્રામવારોનો બહુ ખરાબ રીતે ભંગ કર્યો છે. આથી, તેમના પર મારો રોષ વરસાવીને રણમાં જ તેમનો સંહાર કરવાનો મેં નિર્ણય કર્યો, 14 પણ મેં તેમ કર્યું નહિ, કારણ, જો મેં તેમ કર્યું હોત તો જે પ્રજાઓના દેખતાં હું તેને મિસરમાંથી બહાર લઇ આવ્યો હતો તેમની નજરમાં મારું નામ હલકું પડત. 15 આથી મેં રણમાં પ્રતિજ્ઞા લીધી કે, મેં તેમને જે ભૂમિ આપવાનું નક્કી કર્યું હતું જ્યાં દૂધ અને મધની રેલછેલ છે અને જે સૌથી રળિયામણી છે- ત્યાં હું તેમને નહિ લઇ જાઉં.
16 “‘કારણ, તેમણે મારા કાનૂનોનો તિરસ્કાર કર્યો છે, મારા નિયમોનો ભંગ કર્યો છે અને બહુ ખરાબ રીતે મારા વિશ્રામવારનો ભંગ કર્યો છે, અને તેમના મન મૂર્તિઓ પર મોહી પડ્યાં છે. 17 તેમ છતાં મને તેમના પર દયા આવી. મેં તેમનો સંહાર ન કર્યો, રણમાં જ તેમને બધાને પૂરા ન કર્યા. 18 મેં તેમનાં સંતાનોને કહ્યું, “તમારા પૂર્વજોના નિયમોને અનુસરશો નહિ, તેમના હુકમોને અનુસરશો નહિ કે તેમની મૂર્તિઓની પૂજા કરીને તમારી જાતને અશુદ્ધ કરશો નહિ. 19 હું યહોવા તમારો દેવ છું. તમારે મારી આજ્ઞાઓ પાળવાની છે, મારા નિયમોને અનુસરવાનું છે અને તે પ્રમાણે ચાલવાનું છે. 20 વિશ્રામવારને તમારે પવિત્ર ગણીને પાળવો, જેથી તે આપણી વચ્ચેના કરારની નિશાની બની રહે અને તમને ખબર પડે કે હું યહોવા દેવ છું.”
21 “‘પરંતુ તેઓનાં સંતાનોએ પણ મારી વિરુદ્ધ બંડ કર્યું. તેઓ મારા નિયમો પ્રમાણે ચાલ્યા નહિ અને મારા કાનૂનો અનુસરવાની કાળજી રાખી નહિ. મારા કાયદાઓનું પાલન કરવાથી માણસ જીવન પામે છે. વળી તેઓએ મારા વિશ્રામવારને અપવિત્ર કર્યા. તેથી મેં રણમાં તેમના પર મારો રોષ વરસાવવાનો નિર્ણય કર્યો. 22 પણ હું શાંત રહ્યો. જો મેં એમ ન કર્યું હોત તો જે પ્રજાઓના દેખતા હું તેમને મિસરમાંથી બહાર લાવ્યો હતો તેમની નજરમાં મારું નામ હલકું પડત. 23 આથી મેં રણમાં બીજી પ્રતિજ્ઞા કરી કે, હું તેમને બીજી પ્રજાઓમાં વેરવિખેર કરી નાખીશ અને વિદેશી ભૂમિઓમાં છોડી મૂકીશ.
24 “‘કારણ, તેમણે મારા કાનૂનોનું ઉલ્લંધન કયુંર્ છે, મારા હુકમોનો ભંગ કર્યો છે, બહુ ખરાબ રીતે મારા વિશ્રામવારનો ભંગ કર્યો છે અને તેમના પૂર્વજોની મૂર્તિઓની પૂજા કરી છે. 25 એટલું જ નહિ, મેં તેમને ખરાબ નિયમો પાળવા દીધા, અને એવી આજ્ઞાઓ ઉઠાવવા દીધી જેનાથી જીવન પ્રાપ્ત ન થાય. 26 મેં તેમને પોતાનાં પહેલાં સંતાનોનો મૂર્તિઓને ભોગ ચઢાવી એ બલિથી જ અશુદ્ધ થવા દીધા. આમાં મારો હેતુ તેમને સજા કરીને ખબર પાડવાનો હતો કે હું યહોવા, છું.’ 27 માટે, હે મનુષ્યના પુત્ર, તું ઇસ્રાએલીઓને કહે; ‘આ યહોવા મારા માલિકના વચન છે: તમારા પૂર્વજોએ એક બીજી રીતે પણ મારું અપમાન કર્યું છે. તેઓ મારા પ્રત્યે વિશ્વાસઘાતી નીવળ્યાં છે. 28 મેં તેઓને જે દેશ આપવાનું વચન આપ્યું હતું તે દેશમાં હું તેઓને લાવ્યો. ત્યાં તેઓએ ઊંચા પર્વતો અને ઘટાદાર વૃક્ષો જોયાં. અને તે દરેકની આગળ બલિદાનો, સુવાસિત ધૂપ અને પેયાર્પણો અર્પણ કરી તેઓએ મને ક્રોદિત કર્યો છે. 29 મેં તેઓને કહ્યું, તમે જ્યાં જાઓ છો તે ઉચ્ચસ્થાન શું છે? અને ત્યારથી તે “ઉચ્ચસ્થાન” ડુંગર પરના થાનકો કહેવાય છે.’
30 “હવે તું ઇસ્રાએલીઓને કહે કે, ‘આ યહોવા મારા માલિકના વચન છે: તમે તમારા વડવાઓની જેમ વર્તી ને ષ્ટ થાઓ છો, તેમની ધૃણાસ્પદ મૂર્તિઓ પાછળ પડો છો, 31 તેમની આગળ ભેટ ધરાવો છો અને તમારાં બાળકોને અગ્નિમાં હોમો છો, અને છતાં તમે ઇસ્રાએલીઓ મારા મનની વાત જાણવા આવો છો? હું મારા જીવના સમ ખાઇને કહું છું, આ હું યહોવા તમારો માલિક બોલું છું, કે હું તમને મારા મનની વાત જણાવનાર નથી. 32 બીજી પ્રજાઓની જેમ, વિદેશીઓની જેમ આપણે પણ લાકડાંના અને પથ્થરના દેવોની પૂજા કરીશું. તમારા મનમાં એવી જે ઇચ્છાઓ તમે ઘરાવો છો તે હું સાચી પડવા દેનાર નથી.’”
33 યહોવા મારા માલિક કહે છે કે, “હું પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે મારા ક્રોધમાં અને મારા પરાક્રમમાં તથા સમર્થ ભુજ વડે તમારા પર શાસન ચલાવીશ. 34 તમે જે પ્રજાઓમાં વિખેરાઇ ગયા છો ત્યાંથી હું તમને મારા ક્રોધથી અને મારા પરાક્રમથી મારા સમર્થ ભુજ વડે બહાર લાવી એકત્ર કરીશ. 35 હું તમને પ્રજાઓની રણભૂમિમાં દોરી જઇશ અને ત્યાં મોઢામોઢ તમારી સામે વાદ ચલાવીશ. 36 જેમ મેં મિસરના રણમાં તમારા પૂર્વજોની સામે વાદ ચલાવ્યું હતું તેમ અત્યારે તમારી સામે ઉભો રહીને ચલાવીશ.” આ યહોવા મારા માલિકના વચન છે.
37 “હું તને મારા દંડ નીચેથી પસાર કરીશ અને મારા કરારની શરતોને આધિન રાખીશ. 38 મારી વિરુદ્ધ બંડ કરનાર અને પાપમાં જીવનાર સર્વને હું તમારામાંથી દૂર કરીશ જ્યાં તેઓ બંદીવાન છે તે દેશોમાંથી હું તેઓને બહાર લાવીશ, પણ તેઓ ઇસ્રાએલમાં પ્રવેશ કરશે નહિ. ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.”
39 હવે, હે ઇસ્રાએલના કુળ, યહોવા, મારા માલિક તારા માટે કહે છે: “જો તમે મને સાંભળવા માંગતા નથી અને તમે તમારી મલિન મૂર્તિઓની પૂજા કરવા ચાહો છો, તો તમે તેમ કરવાનું ચાલુ રાખો. પણ તમે તમારી મલિન મૂર્તિઓની ભેટ આપીને, મારા પવિત્ર નામને હવે જરા પણ અભડાવશો નહિ.”
40 યહોવા મારા માલિક કહે છે કે, “મારા પવિત્ર પર્વત યરૂશાલેમમાં સર્વ ઇસ્રાએલી લોકો મારી ભકિત કરશે. ત્યાં હું તમારો સ્વીકાર કરીશ અને તમારાં ઉપહાર અને તમારા ઉત્તમ અર્પણો મારી પાસે લાવવા હું તમને એકઠા કરીશ. 41 તમે જે દેશોમાં વિખેરાઇ ગયા હતા ત્યાંથી હું તમને એકઠા કરીશ ત્યારે હું તમને સુવાસિત ધૂપની જેમ સ્વીકારીશ અને સર્વ પ્રજાઓના દેખતાં હું તમારી મધ્યે પવિત્ર મનાઇશ. 42 તમારા પિતૃઓને જે દેશ આપવાનું મેં પ્રતિજ્ઞાપૂર્વક વચન આપ્યું હતું તે દેશોમાં હું તમને લાવીશ. ત્યારે તમે જાણશો કે હું યહોવા છું. 43 પછી, તમે યાદ કરશો કે, પહેલાં તમે દુષ્કૃત્યો કરીને કેવા અશુદ્ધ થયા હતા અને તમે આચરેલા પાપોને કારણે તમને તમારા પોતાના પર ધૃણા પેદા થશે. 44 જ્યારે તમારા દુષ્ટ માર્ગો અને તમારા અધમ આચરણને કારણે મારે તમારી સાથે જે રીતે વર્તવું જોઇએ તેમ ન કરતાં મેં મારા નામને ગૌરવ અપાવે તેની વર્તણૂક તમારી સાથે કરી છે એમ તમે જાણશો ત્યારે તમને ખાતરી થશે કે હું યહોવા છું.” આ યહોવા મારા માલિકના વચન છે.
45 પછી મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ: 46 “હે મનુષ્યના પુત્ર, તું દક્ષિણ તરફ જો અને નેગેબના જંગલો તરફ જોઇને ભવિષ્ય ભાખ. 47 દક્ષિણના જંગલમાં જઇને મારી ચેતવણી ઉચ્ચાર, તેમને કહે કે; ‘યહોવાની વાણી સાંભળ; આ યહોવા મારા માલિકના વચન છે; હું તને આગ લગાડું છું, એ તારા એકેએક લીલાં તેમજ સૂકાં વૃક્ષને સ્વાહા કરી જશે. એને કોઇ હોલવી નહિ શકે. એ દક્ષિણથી ઉત્તર સુધી ફેલાઇ જશે અને એકેએક માણસનો ચહેરો એનાથી દાઝી જશે. 48 અને બધા માણસોને ખાતરી થશે કે એ આગ પેટાવનાર હું યહોવા છું અને એને હોલવી શકાય એમ નથી.’”
49 પછી મેં કહ્યું, “હે યહોવા મારા માલિક, તેઓએ મને કહ્યું, ‘તું તો અમને ફકત કોયડાઓ જ કહે છે.’”
યહૂદા પર બાબિલનું આક્રમણ
21 મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ. 2 “હે મનુષ્યના પુત્ર, યરૂશાલેમ તરફ જો અને ઇસ્રાએલ વિરુદ્ધ અને મારા મંદિરની વિરુદ્ધ પ્રબોધ કર. 3 અને કહે: યહોવા આ પ્રમાણે કહે છે: ‘હું તારી વિરુદ્ધ છું. હું મારી તરવાર મ્યાનમાંથી ખેંચીશ અને તમારામાંથી સદાચારી માણસોની તેમજ દુષ્ટોની હત્યા કરીશ. 4 મારે તમારામાંના ભલાભુંડા સૌ કોઇનો સંહાર કરવો છે માટે હું દક્ષિણથી ઉત્તર સુધીના બધા સામે મારી તરવાર મ્યાનમાંથી બહાર કાઢનાર છું. 5 ત્યારે બધા માણસોને ખાતરી થશે કે મેં યહોવાએ મ્યાનમાંથી તરવાર ખેંચી છે અને એ કદી પાછી મ્યાનમાં જવાની નથી.’”
6 “હે મનુષ્યના પુત્ર, ભગ્ન હૃદયથી, તીવ્ર શોકથી અને અતિશય દુ:ખમાં તું મોટેથી રૂદન કર, લોકો આગળ તું પસ્તાવો કર. 7 તેઓ તને પૂછે કે, ‘તું શા માટે આક્રંદ કરે છે,’ ત્યારે તેઓને કહે: ‘દેવે આપેલા સમાચારને લીધે જ્યારે એમ થશે ત્યારે હિંમતવાન માણસ પણ ભાંગી પડશે અને તેની તાકાત ચાલી જશે. દરેક વ્યકિત નિર્ગત થશે. મજબૂત ઘૂંટણો પણ થરથરશે અને પાણીના જેવા થઇ જશે.’ યહોવા મારા માલિક કહે છે તમારા પર શિક્ષા આવી રહી છે. મારા ન્યાય ચુકાદાઓ પરિપૂર્ણ થશે.”
તરવાર તૈયાર છે
8 યહોવાની વાણી મને આ પ્રમાણે સંભળાઇ: 9 “હે મનુષ્યના પુત્ર, મારી ચેતવણી સંભળાવ, તું લોકોને એમ કહે કે, ‘આ યહોવા મારા માલિકના વચન છે:
“‘તરવાર! હા, તેને ધારદાર
અને ચમકતી બનાવવામાં આવી છે.
10 સંહાર કરવા માટે તેને ધારદાર બનાવેલી છે.
વીજળીની જેમ ચમકારા મારે તેવી તેને બનાવી છે.
અજેય રહેનાર યહૂદાના રાજદંડમાં શું આપણે આનંદ મનાવીશું?
પરંતુ એ બાબિલની તરવાર એવા પ્રત્યેક રાજદંડને તુચ્છકારે છે.
11 તરવાર ચકચકતી બનાવી છે.
તેનો ઉપયોગ કરવા માટે સંહારકના
હાથમાં સોંપવા માટે તેને ધારદાર
અને ચકચકતી બનાવી છે.
12 “‘હે મનુષ્યના પુત્ર, તું અતિશય દુ:ખને કારણે મોટેથી પોક મૂક અને રૂદન કર, કારણ કે તે તરવાર મારા લોકોની અને તેઓના સર્વ આગેવાનોની હત્યા કરશે. સર્વ મરણ પામશે માટે તારી છાતી કૂટ. 13 હું તેઓની કસોટી કરીશ. જેને તરવાર તિરસ્કારે છે તે યહૂદાના રાજદંડનો અંત આવશે તો શું?’” એમ યહોવા મારા માલિક કહે છે.
14 “હે મનુષ્યના પુત્ર, મારી ચેતવણી સંભળાવ, તું બે હાથે જોરથી તાળી પાડ,
આ એ તરવાર છે જે એક શરીર પરથી બીજા શરીર પર જાય છે.
એ તરવાર સંહાર કરનારી છે,
એ પ્રાણ હરનારી તરવાર છે.
એ સર્વત્ર ભય ફેલાવનારી તરવાર છે,
એને જોઇને લોકો હિંમત હારી જાય છે.
15 બધા હૃદયમાં આતંક લાવવા માટે
અને ઘણા લોકોને લથડાવીને નીચે પાડવા માટે,
મેં તેઓની નગરીને દરવાજે-દરવાજે તરવાર લટકતી રાખી છે,
જે વીજળીની જેમ ઝળકે છે
અને સંહાર કરવાને સજ્જ છે.
16 હે તરવાર, તું તારી ડાબી બાજુ
અને તારી જમણી
બાજુ સંહાર કર.
જે બાજુ તું ફરે
તે બાજુ સંહાર કર.
17 “હું પણ તાળી પાડીશ
અને મારા ક્રોધને શાંત પાડીશ,
હું યહોવા આ બોલ્યો છું.”
યરૂશાલેમના માર્ગને પસંદ કરવું
18 પછી મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ. 19 “હે મનુષ્યના પુત્ર, બાબિલનો રાજા પોતાની તરવાર સાથે જ્યાં થઇને આવી શકે એવા બે રસ્તા દોર બંને રસ્તા એક જ દેશમાંથી નીકળવા જોઇએ. જ્યાં રસ્તા ફંટાતા હોય ત્યાં નિશાન મૂક. 20 એક એંધાણી રાજાને આમ્મોનીઓના નગર નો માર્ગ બતાવે, અને બીજી એંધાણી યહૂદાનો, ઠેઠ યરૂશાલેમ સુધીનો માર્ગ બતાવે. 21 બાબિલનો રાજા જ્યાં રસ્તો ફંટાય છે ત્યાં નિશાન આગળ ઊભો છે. કયે રસ્તે જવું તે જાણવા માટે તે બાણ હલાવે છે, મૂર્તિઓને પ્રશ્ર્ન કરે છે અને વધેરેલા પ્રાણીનું કાળજું તપાસે છે.
22 “તેના જમણા હાથમાં આવેલું બાણ યરૂશાલેમનું છે. ત્યાં તે કિલ્લો તોડવાના યંત્રો ગોઠવશે અને હત્યા કરવા હુકમ આપશે. દરવાજા તોડવાના યંત્રો ગોઠવાશે અને માટીના ગઢ ઊભા કરાશે, અને ખાઇઓ ખોદશે. 23 યરૂશાલેમના લોકોએ સંધિઓ કરી છે એટલે તેઓ આ બધું નહિ માને; પણ એ તો તેમના પાપોની ખબર લેશે; તેઓ દુશ્મનના હાથમાં પડવાના જ છે, પછી તેઓને બંદીવાન તરીકે લઇ જવાશે.”
24 તેથી હું યહોવા મારા માલિક, કહું છું કે, “હે યરૂશાલેમ નગરી, તારાં પાપોની ખબર લેવાઇ રહી છે. સૌ કોઇ જાણે છે કે તું કેવી દોષિત છે. તારા એકેએક કાર્યમાં તારાં પાપ પ્રગટ થાય છે. તારાં પાપોની ખબર લેવાઇ રહી છે અને તું તારા દુશ્મનોના હાથમાં પડવાની જ છે. 25 હે ઇસ્રાએલના દુષ્ટ અને અધમ રાજા, તારા દિવસો પણ ભરાઇ ચૂક્યા છે, તારી શિક્ષાનો અંતિમ દિવસ આવી પહોંચ્યો છે.”
26 યહોવા મારા માલિક કહે છે: “તારી પાઘડી અને મુગટ ઉતાર. હવે પહેલાના જેવી સ્થિતિ રહેવાની નથી. જે નીચે છે તે ઊંચે જશે અને જે ઊંચે છે તેને નીચે પાડવામાં આવશે. 27 હું નગરીને ખંડિયેરબનાવી દઇશ. ખંડિયેર! પણ આ નગરીને સજા કરવા માટે જે માણસ નક્કી થયો છે તે આવે નહિ ત્યાં સુધી આ બનવાનું નથી. હું તે સર્વ તેને આપીશ.”
આમ્મોન વિરુદ્ધ ભવિષ્યવાણી
28 “હે મનુષ્યના પુત્ર, તું આમ્મોનીઓ વિરુદ્ધ પ્રબોધ કર. કારણ કે તેઓએ મારા લોકોની તેમની વિકટ પરિસ્થિતીમાં હાંસી ઉડાવી છે. તેઓને આ પ્રમાણે કહે:
“‘તમારી વિરુદ્ધ પણ ધારદાર,
ચમકતી તરવાર ખુલ્લી કરવામાં આવી છે,
તે વીજળીની જેમ ચમકારા મારે છે.
29 “‘તમારાં દર્શન જૂઠાં છે.
ભવિષ્યવાણી ખોટી છે.
તમે દુષ્ટ છો, અધમ છો;
તમારા દિવસો ભરાઇ ચૂક્યા છે,
કારણ કે તમારી શિક્ષાનો
અંતિમ દિવસ આવી પહોંચ્યો છે.
તરવાર તમારી ડોક પર પડનાર છે.
બાબિલ વિરુદ્ધ ભવિષ્યવાણી
30 “‘તારી તરવારને તેના મ્યાનની અંદર પાછી મૂકી દે! તમારા દેશમાં, જ્યાં તમારો જન્મ થયો હતો ત્યાં જ હું તમારો સંહાર કરીશ. 31 હું મારો કોપ તમારા પર રેડી દઇશ અને જ્યાં સુધી મોટી આગના ભભૂકે ત્યાં સુધી હું મારો કોપરૂપી અગ્નિ તમારા પર મોકલીશ. સંહાર કરવામાં કુશળ અને સ્વભાવે ક્રુર માણસોના હાથમાં હું તમને સોંપી દઇશ. 32 તમે અગ્નિમાં ઇંધણની જેમ હોમાઇ જશો. તમારા પોતાના દેશમાં તમારું લોહી રેડાશે. તમારું કોઇ નામોનિશાન નહિ રહે. હું યહોવા આ બોલ્યો છું.’”
સ્વાર્થી શ્રીમંતો શિક્ષાને પાત્ર
5 તમે શ્રીમંતો, સાંભળો! રૂદન કરો અને ખૂબજ વ્યથિત થાવ. કારણ કે ઘણા સંકટો તમારા પર આવવાનાં છે. 2 વળી તમારી સમૃદ્ધિ સડી ગઇ છે, અને તેનું મૂલ્ય કશું જ રહ્યું નથી, તમારા વસ્ત્રો જીવજંતુ ખાઈ જશે. 3 તમારું સોનું અને ચાંદી કટાઈ જશે, અને તેનો કાટ તમારા ખોટાપણાની સાબિતી બનશે તે કાટ અજ્ઞિની જેમ તમારાં શરીરને ભરખી જશે. અંતકાળ સુધી તમે તમારો ખજાનો સંઘરી રાખ્યો છે. 4 લોકોએ તમારાં ખેતરોમા કામ કર્યું, પરંતુ તમે તેમને વળતર ચૂકવ્યું નહિ તેં લોકો તમારી વિરૂદ્ધ રૂદન કરી રહ્યા છે તે લોકોએ તમારા પાકની લણણી કરી. હવે આકાશના લશ્કરોના પ્રભુએ તેઓની બૂમો સાંભળી છે.
5 તમે પૃથ્વી પર મોજશોખ અને વિલાસી જીવન જીવો છો. તમે કાપાકાપીના દિવસ માટે તૈયાર પ્રાણીની જેમ તમારી જાતને સ્થૂળ બનાવી દીધી છે. 6 ન્યાયી પ્રત્યે તમે કોઈ દયા બતાવી નથી. તેઓ તમારી વિરૂદ્ધ નહોતા, છતાં તમે તેઓને મારી નાખ્યાં છે.
ધીરજવાન બનો
7 ભાઈઓ અને બહેનો, ધીરજ રાખો, પ્રભુ ઈસુ આવશે; તેથી તે સમય સુધી ધીરજ રાખો. ખેડૂતો ધીરજવાન છે. ખેડૂત પોતાનો મૂલ્યવાન પાક જમીનમાંથી ઊંગે ત્યાં સુધી રાહ જુએ છે. ખેડૂત ધીરજથી પોતાના પાકને મળનાર પ્રથમ વરસાદ અને અંતિમ વરસાદની રાહ જુએ છે. 8 તમારે પણ ધીરજવાન થવું જોઈએે, આશા ન છોડશો. પ્રભુ ઈસુ ઘણો જલ્દી આવી રહ્યો છે. 9 ભાઈઓ અને બહેનો, એક બીજાની વિરૂદ્ધ ફરિયાદ ન કરો. જો તમે ફરિયાદ કરતા નહિ અટકાશો, તો તમે દોષિત થશો. ન્યાયાધીશને આવવાની તૈયારી છે!
10 ભાઈઓ અને બહેનો, જે પ્રબોધકો એ પ્રભુ વિશે વાત કરેલી તેના ઉદાહરણને અનુસરો. તેઓએ ઘણી ખરાબ વસ્તુઓ સહન કરી, પણ તેઓએ ધીરજ રાખી. 11 જેઓએ ધીરજ રાખી છે તે લોકોનો ધન્ય છે. તેઓ અત્યારે સુખી છે. અયૂબની ધીરજ વિષે તમે સાંભળ્યું છે અને પ્રભુથી જે પરિણામ આવ્યું તે ઉપરથી તમે જોયું છે કે, પ્રભુ ઘણો દયાળુ તથા કૃપાળુ છે.
તમારી વાણી અંગે સાવધ રહો
12 મારા ભાઈઓ અને બહેનો, જ્યારે તમે વચન આપો ત્યારે સમ ન ખાઓ. તે ખૂબજ મહત્વનું છે કે તમે જે કહો છો તેને સાબિત કરવામાં આકાશ, ધરતી અથવા બીજી કોઈ પણ વસ્તુના નામના સમ ન ખાઓ. જ્યારે તમે હકારાત્મક છો ત્યારે માત્ર “હા” કહો અને નકારાત્મક છો, ત્યારે માત્ર “ના” કહો. આમ કરો કે જેથી તમે ગુનેગાર ન ઠરો.
પ્રાર્થનાનું સાર્મથ્ય
13 જો તમારામાં કોઈ દુ:ખી હોય, તો તેણે પ્રાર્થના કરવી જોઈએ. અને જો કોઈ આનંદિત બને તો, તેણે સ્તોત્ર ગાવું જોઈએ. 14 જો તમારામાંનું કોઈ માંદુ પડે તો, તેણે મંડળીના વડીલોને બોલાવવા જોઈએ. વડીલોએ પ્રભુના નામે તેને તેલ ચોળીને તેને માટે પ્રાર્થના કરવી જોઈએ. 15 અને વિશ્વાસથી કરેલી પ્રાર્થના માંદા માણસને સાજો કરે છે. પ્રભુ તેને સાજો કરશે. અને આ માણસે જો પાપ કર્યા હશે તો દેવ તેને માફ કરશે.
16 તમે જે ખરાબ કામ કર્યા હોય તે એકબીજાને કહો. અને પછી એકબીજા માટે પ્રાર્થના કરો. આમ કરો કે જેથી દેવ તમને સાજા કરી શકે. જો સારો માણસ આગ્રહથી પ્રાર્થના કરે તો મહાન કાર્યો થાય છે. 17 એલિયા સ્વભાવે આપણા જેવી જ વ્યક્તિ હતી. તેણે પ્રાર્થના કરી કે વરસાદ ન પડે. અને સાડા ત્રણ વરસ સુધી પૃથ્વી પર વરસાદ ન પડ્યો! 18 પછી એલિયાએ પ્રાર્થના કરી કે વરસાદ પડે. અને આકાશમાંથી વરસાદ પડ્યો, અને ધરતીમાંથી પાક ઊગી નીકળ્યો.
આત્માનો ઉધ્ધાર
19 મારા ભાઈઓ અને બહેનો, જો તમારામાંનો કોઈ સત્યમાંથી ભૂલો પડે તો બીજી વ્યક્તિ તેને સત્ય તરફ પાછા વળવા મદદરુંપ બને. 20 યાદ રાખો: જે વ્યક્તિ પાપીને ખોટા માર્ગેથી પાછી વાળે છે, તે વ્યક્તિ તે વ્યક્તિના પ્રાણને મોતમાંથી બચાવે છે. આમ તે પાપોની ક્ષમા માટે નિમિત્ત બને છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International