Old/New Testament
પોતાના વિનાશ પર યરૂશાલેમનો વિલાપ
1 એ શહેર કેવું એકલવાયું પડી રહ્યું છે!
જે એક વાર લોકોથી ધમધમતું હતું,
દેશવિદેશમાં મહાન ગણાતું હતુ,
તે શા માટે વિધવા જેવું થઇ ગયુ?
જે શહેરોની મહારાણી જેવું હતું,
તે બીજી પ્રજાઓનું ગુલામ કેમ થઇ ગયુ?
2 તે રાત્રે પોક મૂકી રડે છે,
ને તેના ગાલે અશ્રુધારા વહે છે;
આશ્વાસન આપનાર કોઇ રહ્યું નથી,
તેણીના મિત્રોએ તેને છેતરી છે
અને તેણી જેઓને ચાહે છે
તેઓ તેના શત્રુ થયા છે.
3 તેઓ વિદેશી પ્રજાઓ વચ્ચે સ્થિર થયા છે.
અને તેમની પાસે વિશ્રામનું સ્થળ નથી.
યહૂદાની પ્રજા દેશવટે ગઇ છે.
તેમને સખત પરિશ્રમ કરવા માટે મજબૂર કરાય છે.
જેઓએ તેમનો પીછો કર્યો હતો તેમણે તેઓને પકડી લીધા છે.
તેઓ ભાગી શક્યા નહિ.
4 સિયોનના માર્ગો આક્રંદ કરે છે,
ત્યાં કોઇ ઉત્સવોમાં આવતું નથી;
તેના દરવાજા ઉજ્જડ થઇ ગયા છે,
ને તેના યાજકો આર્તનાદ કરે છે;
તેની કુમારિકાઓ અતિ ઉદાસ થઇ ગઇ છે,
અને તે શહેર તેની કડવાશ અનુભવે છે.
5 તે શહેરના શત્રુઓ તેના રાજકર્તા થઇ ગયા
અને તે શત્રુઓ સમૃદ્ધ થયા,
તેમનાં અસંખ્ય પાપોના લીધે યહોવાએ તેમને શિક્ષા કરી
અને તેમને ખૂબ દુ:ખ ઉઠાવવા પડ્યા.
તેઓએ તે શહેરના લોકોને પકડીને
તેમને તેમના બંદી બનાવનારની સામે કૂચ કરાવડાવીને બંદીવાસ કર્યા.
6 સિયોનના બધા મહત્વના
લોકોએ તેને છોડી દીધી છે.
સરદારો ચારા વગરનાં હરણો જેવા;
અને તેમને જેઓ પકડે છે
તેમનાથી દૂર ભાગી જવાની શકિત
વગરના થઇ ગયા છે.
7 પોતાના દુ:ખ સંતાપનાં દિવસોમાં,
યરૂશાલેમ અતીતની સમૃદ્ધિ સંભારે છે.
તેના લોકો શત્રુના હાથમાં પડ્યા છે.
કોઇ તેની સાથે જનાર નથી તેથી શત્રુઓ તેની પાયમાલી જોઇ ઉપહાસ કરે છે.
8 યરૂશાલેમે ઘોર અપરાધ કર્યો છે,
તેથી જ તે અશુદ્ધ સ્ત્રીની જેમ થઇ પડ્યું છે.
જેઓ તેને માન આપતા હતા તેઓ તેને તુચ્છ ગણે છ,ે
કારણ કે, તેઓએ તેની નગ્નતા જોઇ લીધી છે.
અને તે પોતે મોં સંતાડીને નિસાસા નાખ્યા કરે છે.
9 તેણીની અશુદ્ધતા તેના ઝભ્ભાની કિનારી
સુધી ફેલાઇ ગઇ હતી,
જેઓ તેને પહેલા માન આપતાં હતા, અત્યારે તેને નાપસંદ કરે છે,
કારણ કે તેઓએ તેની નગ્નતાને જોઇ છે.
અને તે પોતે જ નિસાસા નાખે છે
અને પોતાનું મોઢું ફેરવી લે છે.
10 બધી કિંમતી વસ્તુઓ પર શત્રુએ
પોતાનો હાથ મૂક્યો છે,
ને તેણે પોતાના મંદિરમાં વિધર્મી પ્રજાને પ્રવેશ કરતી જોઇ છે;
જ્યાં યહોવાએ તે વિદેશીઓને પ્રવેશવાની મનાઇ કરી હતી.
11 તેના બધા લોકો આર્તનાદ કરે છે.
તેઓ રોટલાની ભીખ માંગે છે.
ઝવેરાત આપી અન્ન ખરીદે છે;
ને ભૂખ શમાવી, નગરી પોકારે છે,
“હે યહોવા, નજર કરો અને જુઓ;
મુજ અધમનો કેવો તિરસ્કાર થાય છે?
12 ઓ, જનાર સૌ લોકો, જરા નજર કરો;
કોઇને ય મારા જેવું દુ:ખ પડ્યું છે?
જે યહોવાએ મને ક્રોધમાં આવીને દીધું છે?
13 ઉપરથી તેણે મારા હાડકામાં
અગ્નિ મોકલ્યા અને તે તેઓને નિર્ગત કરે છે;
તેણે મારા પગ માટે જાળ પાથરી છે,
અને કેવી મને ભોંયે પછાડી છે!
તેણે મને એકલી અટૂલી છોડી દીધી
અને હું આખો વખત રિબાતી રહી.
14 “તેણે મારા પાપોનું પોટલું મારી ડોકે બાંધ્યું છે.
મારી શકિત તેના ભારથી ખૂટી પડી છે,
મને મારા શત્રુઓના હાથમાં સોંપી દેવામાં આવી છે
જેની સામે જ્યાં હું ઉભી રહી શકતી નથી.
15 યહોવાએ મારા શ્રેષ્ઠ યોદ્ધાઓને
તુચ્છકાર્યા છે,
અને મારાં તરૂણ યોદ્ધાઓને કચડી નાખવા માટે
ટૂકડીઓ તૈયાર કરી છે.
અને યહોવાએ યહુદાની કુંવારી દીકરીને ખૂંદી નાખી છે,
ખરાબર એવી જ રીતે જેમ દ્રાક્ષારસ બનાવવા માટે કોઇ દ્રાક્ષને ખૂદે.
16 “તેથી હું રડું છું.
અને તેથી મારી આંખો આંસુઓથી ભીંજાય છે.
મારા જીવનમાં જીવ લાવનાર
અને આશ્વાસન આપનાર કોઇ નથી,
મારા સંતાનોનો નાશ થયો છે,
કારણકે શત્રુઓએ તેમને હરાવ્યાં છે.”
17 મેં મદદ માટે, હાથ લાંબા કર્યા છે,
પણ મને દિલાસો આપનાર કોઇ નથી.
યહોવાએ મારી આસપાસના શત્રુઓને મારી પર હુમલો કરવા કહ્યું છે.
અને તેઓ મને અસ્પૃશ્ય ગણે છે.
18 યરૂશાલેમે કહ્યું, “યહોવા સારા છે, જ્યારે તે મને શિક્ષા કરે છે
કારણકે મેં તેની વિરુદ્ધ બંડ કયુંર્ છે.
મહેરબાની કરીને મને સાંભળો
અને મારા દુ:ખને જુઓ.
મારી જુવાની અને કૌમાર્ય,
કેદીઓની જેમ બંદીવાસમાં પસાર થયું છે.”
19 મે મારા મિત્રોને હાંક મારી,
પણ તેઓએ મારો વિશ્વાસઘાત કર્યો,
મારા યાજકો અને વડીલો શહેરમાં ભૂખને સંતોષવા
ભિક્ષા માગતાં મરણ પામ્યા.
20 “હે યહોવા, હું ભારે દુ:ખમાં છું,
જો મારું હૃદય મારી ઉપર ચઢી બેઠું છે,
ને પેટ અમળાય છે;
કારણકે, હું ખૂબ વિદ્રોહી હતો.
રસ્તા પર તરવાર મારાં સંતાનોનો સંહાર કરે છે;
ને મોત ઘરમાંય છે.
21 “જ્યારે હું નિસાસા નાખતો હતો,
તે તેઓએ સાંભળ્યું છે.
મને દિલાસો આપનાર કોઇ નથી;
મારા બધા દુશ્મનોએ મારા દુ:ખ વિષે સાંભળ્યું છે.
તેઓ ખુશ છે કે આ બધું તેં પોતે કર્યું છે.
તેં જે દિવસ માટે વચન આપ્યું છે તે આવવા દે,
તેઓને પણ મારા જેવા થવા દે.
22 “તું તેમના બધાં દુષ્કૃત્યોને ધ્યાનમાં લે,
જેવી રીતે મારા ગુનાની મને સજા થઇ છે
તેવી જ રીતે તેઓને પણ તું સજા કર.
તેવું કર કેમકે હું સતત નિસાસા નાખું છું
અને મારું હૃદય નબળું થઇ ગયું છે.”
યરૂશાલેમ પર યહોવાનો પ્રકોપ
2 યહોવાએ ક્રોધે ભરાઇને સિયોન પર અંધકાર ફેલાવ્યો છે;
તેણે આકાશમાંથી દુનિયા પર ઇસ્ત્રાએલના આકર્ષક ગૌરવને ટપકાવ્યો છે.
જ્યારે તે ક્રોધે ભરાયો હતો ત્યારે તેના પાયાસનને પણ ભૂલી ગયો.
2 નિષ્ઠુરતાથી યહોવાએ યહૂદાની ભૂમિનાં બધાં નગરો
જમીનદોસ્ત કરી દીધાં છે;
તેણે તેના બધા કિલ્લાઓ ક્રોધે ભરાઇને તોડી પાડ્યા છે;
અને તેના શાશકોને અપમાન જનક રીતે નીચા પાડ્યા છે.
3 તેણે ઇસ્રાએલની શકિત ભયંકર ક્રોધમાં
આવીને હણી નાખી છે;
તેણે તેઓને પોતાના શત્રુઓની વિરૂદ્ધ
લડવા માટે મદદ કરી નહોતી.
અને તેણે આજુબાજુનું બધુંયે ભડભડતા
અગ્નિની જેમ બાળી નાખ્યુ.
4 અમને તેના દુશ્મનો સમજી તેણે અમારી વિરુદ્ધ ધનુષ્ય તાણ્યુ
તે અમારી પર ત્રાટકવા પોતે જ તૈયાર થયો,
ને સિયોનની બધી સોહામણી વ્યકિતઓનો તેણે સંહાર કર્યો,
તેણે તેનો ક્રોધ અગ્નિની જેમ વરસાવ્યો.
5 યહોવા શત્રુના જેવા હતા,
તેમણે ઇસ્રાએલનો નાશ કર્યો.
હા, તેણે તેના મહેલો અને કિલ્લાઓનો નાશ કર્યો.
તેણીને તેણે શોક કરવાનું નિમિત્ત આપ્યુ.
6 જ્યાં લોકો મંદિરમાં પૂજા કરતા હતા
ત્યાં તેઓનો નાશ થયો,
જેમ જમીન પર ઘાસનો નાશ થાય છે.
બધાં વિશ્રામવારો-ઉત્સવો ભૂલાઈ ગયા.
તેના ગુસ્સાથી યાજકો અને રાજા ઘૃણિત થયાં હતાં.
7 યહોવાએ પોતાની વેદીને
નકારી અને તેણે પોતાના પવિત્ર સ્થાન ને જતું કર્યું છે;
તેણે દુશ્મનના હાથે તેણીના
મહેલની દીવાલોનો નાશ કરાવ્યો.
પહેલા અમે યહોવાના મંદિરમાં ઉત્સવના પોકારો કરતા હતા;
હવે ત્યાં દુશ્મનો કોલાહલ મચાવે છે.
8 તેણે સિયોનનગરીની દીવાલો
તોડી પાડવાનો નિશ્ચય કર્યો છે,
તેણે તેનુ માપ લીધું હતુ
અને તેને તોડી પાડતાં થોભ્યો નહિ,
તેણે કિલ્લાની અંદરની અને બહારની દીવાલોને તોડી પાડી.
એક સાથે તે બધી નાશ થઇને પડી હતી.
9 તેના દરવાજા ખંડેરોની જેમ દટાયેલા પડ્યા છે,
તેની કડીઓ જે બંધ કરવામાં આવતી હતી તે ભાંગી પડી છે,
પ્રબોધકોને પણ યહોવા તરફથી
દર્શન મળતું ન હતું.
10 જુઓ, સિયોન નગરનાં આગેવાનો,
ભૂમિ પર મૂંગે મોઢે બેઠા છે.
તેમણે માથા પર ધૂળ નાખી છે.
તેઓએ શોકનાં વસ્ત્ર પહેર્યા છે.
અરે! સિયોનની કુમારિકાઓનાં માથાં,
દુ:ખથી ભોંય સુધી નીચા નમી પડ્યાં છે!
11 રડી રડી આંખોનું તેજ ઘટી ગયું છે,
ને મારા આંતરડા કકળી ઊઠયા છે,
મારું હૃદય, લોકોના નાશને જોઇને ઓગળી રહ્યું છે;
નગરનાં બાળકો રાજમાર્ગ પર મૂછિર્ત થઇ પડ્યા છે.
12 તેઓ પોતાની માતા
પાસે રોટલી અને દ્રાક્ષારસની માંગણી કરે છે;
જ્યારે તેઓ ઘવાયેલાઓની જેમ બેભાન થઇને શહેરની ગલીઓમાં પડ્યા છે,
અથવા જ્યારે તેઓ પોતાની માતાની છાતી પર મૃત્યુ પામે છે.
13 તને શું કહું? હે યરૂશાલેમનગરી;
હે કુંવારી સિયોનપુત્રી તને કોની ઉપમા આપું?
તને કોની સાથે સરખાવી?
તારી સાગર જેવી વિશાળ વેદનાનો ઉપાય કોણ કરશે?
14 તમારા પ્રબોધકોએ કહ્યું કે
તેમને સંદર્શન થયું હતું પણ તેઓ જુઠું બોલી રહ્યા છે
અને તને છેતરે છે,
અને તને તારા અપરાધો વિષે ન કહીને
તેણે તને સુધરવાની તક જ નહોતી આપી.
15 હે યરૂશાલેમ નગરી, તને જોઇને જતાં લોકો
તાળી પાડીને તારી હાંસી ઊડાવે છે;
માથું ઘુણાવી ફિટકાર વરસાવે છે,
“શું આ એ જ સુંદરતાની મૂર્તિ
અને જગતની આનંદનગરી છે!”
16 તારા શત્રુઓ મોં ઉઘાડી તારી હાંસી ઉડાવે છે,
અને દાંત કચકચાવી ને ફિટકાર વરસાવે છે.
આપણે જ એને પાયમાલ કરી છે,
આપણે આ જ દિવસની રાહ જોતા હતા,
જેની અમને પ્રતિક્ષા હતી
અને અમને તે પ્રાપ્ત થયો છે.
17 યહોવાએ જે વિચાર્યુ તે કર્યું અને તે સાચું પડ્યું;
તેનો ભય, જેમ તેણે પ્રાચીનકાળમાં ચેતવણી આપી હતી
તેમ તેણે નિર્દયપણે ભયંકર વિનાશ કર્યો.
અમને નીચા પડતા જોઇ શત્રુઓને ખુશ કરવા
સારું આ તક આપી છે,
તેણે તમારા શત્રુઓને ઘમંડી બનાવ્યા છે.
18 હે સિયોનનગરી, તું સાદ ઊંચો કર;
ને યહોવાને તારો આર્તનાદ સંભળાવ!
તારી આંખે રાત દિવસ આંસુ વહે છે.
વિસામો ન દે અને આંખને સુકાવા ન દે.
19 તું રાત્રીના પ્રથમ પહોરે ઊઠી,
મોટેથી પ્રાર્થના કર;
અને યહોવા સમક્ષ પાણીની જેમ હૃદય ઠાલવ.
ભૂખથી ચકલે ચકલે મૂર્ચ્છા પામતાં તારાં બાળકનો
જીવ બચાવવા યહોવા આગળ-તારો હાથ તેની ભણી ઊંચા કર.
20 આજુબાજુ જુઓ હે યહોવા!
જો તું કોને દુ:ખી કરી રહ્યો છે?
શું માતાઓ તેમના જ પોતાના બાળકોને ખાય?
શું તારા યાજકો અને પ્રબોધકોને તારા જ પવિત્રસ્થાનમાં મારી નાંખવામાં આવે?
21 વૃદ્ધો અને બાળકો રસ્તાની ધૂળમાં રઝળે છે,
મારી કન્યાઓ અને યુવાનો તરવારનો ભોગ બન્યા છે;
તારા રોષને દિવસે તેં તેમનો સંહાર કર્યો છે;
તમે નિર્દયપણે, તેઓને રહેંસી નાખ્યાં છે.
22 જાણે કે ઉત્સવનો દિવસ હોય તેમ,
તેં ચારે બાજુથી મારા ભયંકર દુશ્મનોને બોલાવ્યા છે.
તારા રોષને દિવસે
કોઇ છટકવા ન પામ્યા.
તેમણે લાડથી ઉછરેલાં સહુને વધેરી નાખ્યાં છે
અને શત્રુઓએ કોઇનેય જીવતો રાખ્યો નથી.
ખ્રિસ્તનું બલિદાન આપણને સંપૂર્ણ બનાવે છે
10 નિયમશાસ્ત્ર ભવિષ્યમાં આવનારા શુભ કાર્યોની પ્રતિછાયારૂપ છે અને તે વસ્તુઓની ખરી પ્રતિમાઓ તેમાં નથી. દર વર્ષે એના એ જ બલિદાનો સતત અર્પણ કરવામાં આવતાં હતાં, છતાં નિયમશાસ્ત્ર પ્રમાણે કોઈ વ્યક્તિ પરિપૂર્ણ થઈ શકી નથી. 2 જો જૂના નિયમે લોકોને પરિપૂર્ણ બનાવ્યો હોત તો પછી તેઓએ બલિદાન આપવાનું બંધ કર્યુ હોત. તેઓ સદાને માટે શુદ્ધ થઈ ગયા હોત અને તેઓએ તેમના પાપો માટે દોષિત થવું પડ્યું ના હોત. પરંતુ નિયમશાસ્ત્ર તે કરી શક્યું નહિ. 3 પરંતુ એ વાર્ષિક બલિદાનો તો તેમના મનમાં દર વર્ષે પાપોની યાદ તાજી કરાવે છે. 4 કારણ કે ગોધાઓનું તથા બકરાઓનું લોહી પાપ દૂર કરવા સમર્થ નથી.
5 આથી જ્યારે ખ્રિસ્ત આ દુનિયામાં આવ્યો, ત્યારે તેણે કહ્યું:
“હે દેવ પશુઓનુ રક્ત તને પ્રસન્ન કરી શકે તેમ નથી.
પણ તેં મારા માટે શરીર બનાવ્યું છે.
6 પાપોની માફીને અર્થ અપાતું દહનાર્પણ તથા પાપાર્થાર્પણથી
તું કઈ પ્રસન્ન થતો નહોતો.
7 તેથી તેમણે કહ્યું, ‘હે દેવ,
હું અહીં શાસ્ત્રમાં મારા સંબધી લખ્યા પ્રમાણે
તારી ઇચ્છા પૂર્ણ કરવા હું અહીં છું.’” (A)
8 પ્રથમ ખ્રિસ્તે કહ્યું છે, “શાસ્ત્રમાં અપાતાં પાપમુક્તિ માટેનાં અર્પણો તથા દહનાર્પણોથી અપાતાં બલિદાનો દ્ધારા તું પ્રસન્ન થઈ શકે તેમ નથી,” (આ બધા બલિદાનોની આજ્ઞા નિયમ કરે છે.) 9 પછી તેણે કહ્યું, “હે દેવ! હું આ રહ્યો, તારી ઇચ્છા પૂર્ણ કરવા હું આવ્યો છું.” આ પ્રમાણે તેણે જૂની વ્યવસ્થા રદ કરી અને નવી વ્યવસ્થા સ્થાપી. 10 દેવીની ઈચ્છા મુજબ ઈસુ ખ્રિસ્તનાં કાર્યો પ્રમાણે એક જ વાર ખ્રિસ્તનું શરીર અર્પણ થયાથી આપણને પવિત્ર કરવામાં આવ્યા છે.
11 તેમ જ દરેક યાજક નિત્ય સેવા કરતાં તથા એ ને એ જ બલિદાનો ઘણીવાર અર્પણ કરતા. પરંતુ તે બલિદાનોથી પાપોને કદી દૂર કરી શક્યા નહિ. 12 પણ આપણાં પાપોને માટે ખ્રિસ્તે એક જ વાર બલિદાન આપ્યું અને ખ્રિસ્ત દેવની જમણી બાજુએ બિરાજ્યો. 13 અને તેના દુશમનોને તેની સત્તા નીચે મૂકવામાં આવે તેથી ખ્રિસ્ત હવે ત્યાં રાહ જોઈ રહ્યો છે. 14 જેઓને પવિત્ર કરવામાં આવે છે તેઓને ખ્રિસ્તે પોતાના એક જ બલિદાનથી બધા જ સમય માટે પરિપૂર્ણ કર્યા.
15 આ વિષે પવિત્ર આત્મા પણ સાક્ષી આપે છે. તે પહેલા કહે છે:
16 “આ કરાર છે જે ભવિષ્યમાં હું મારા લોકો સાથે કરીશ એમ પ્રભુ કહે છે.
હું મારા નિયમો તેઓના હ્રદય પર લખીશ.
હું મારા નિયમો તેઓના મનમાં સ્થાપીશ.” (B)
17 પછી તે કહે છે:
“તેઓના પાપકર્મો અને દુષ્કર્મોને હું માફ કરીશ અને ભવિષ્યમાં તે હું કદી યાદ કરીશ નહિ.”(C)
18 અને હવે સદાને માટે પાપ માફ થયાં છે ત્યારે પાપ મુક્તિ માટે અન્ય કોઈ અર્પણની જરુંર રહેતી નથી.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International