Old/New Testament
51 યહોવા કહે છે કે,
“જુઓ, હું બાબિલની વિરુદ્ધ,
તથા ખાલદીઓના સમગ્ર દેશની વિરુદ્ધ
હું વિનાશક વાયુ લાવીશ અને તે તેઓનો નાશ કરશે.
2 હું વિદેશીઓને બાબિલમાં મોકલીશ;
તેઓ તેને ઊપણશે અને દૂર સુધી ઉડાડી મૂકશે,
વિપત્તિના દિવસે તેઓ ચારે તરફથી તેના પર ચઢી આવશે
અને દેશને ચારેબાજુથી ઘેરી લઇ ઉજ્જડ કરી નાખશે.
3 ભલે તેમના ધર્નુધારી માણસો પોતાના હથિયાર વાપરવા માટે તૈયાર ન હોય.
તેમના સૈનિકોને બખતર પહેરવા દેશો નહિ.
તેઓના સૈનિકો પર દયા ન બતાવશો,
તેમના સૈન્યનો નાશ કરો.
4 ખાલદીઓના દેશમાં તેઓની હત્યા થઇને પડશે
અને તેની શેરીઓમાં તેઓના મૃતદેહો પડ્યા રહેશે.”
5 કારણ કે, ઇસ્રાએલને તેમના સૈન્યોનો
દેવ યહોવા નીચું નહિ પાડે.
બાબિલની ભૂમિ ઇસ્રાએલના સૈન્યોનો
યહોવા દેવની વિરુદ્ધ અપરાધોથી ભરેલી છે.
6 બાબિલમાંથી ભાગી જાઓ!
સૌ પોત પોતાના જીવ બચાવવા નાસી જાઓ!
બાબિલના પાપે તમે મરશો નહિ,
કારણ કે બદલો લેવાનો આ યહોવાનો સમય છે.
તે તેને ઘટતી સજા કરી રહ્યા છે.
7 બાબિલ તો યહોવાના હાથમાં સોનાના પ્યાલા સમું હતું.
તેણે સમગ્ર સૃષ્ટિને તેનો દ્રાક્ષારસ પીવડાવ્યો છે.
પ્રજાઓએ તે પીધો
અને તેઓ ઘેલા થયા.
8 પરંતુ હવે બાબિલનું અચાનક પતન થયું છે.
તે ભાંગ્યું છે.
તેને માટે ચિંતા કરો,
તેના ઘા માટે ઔષધી લઇ આવો.
કદાચ તે સાજું થાય પણ ખરું.
9 બાબિલના ઘા રૂઝવવા અમારાથી શક્ય તેટલો પ્રયત્ન અમે કર્યો,
પરંતુ તે સ્વસ્થ ન થયું. એને છોડી દઇને,
ચાલો આપણે સહુ પોતપોતાના દેશમાં પાછા ફરીએ,
કારણ કે તે અમાપ સજાને પાત્ર છે.
10 યહોવાએ કહ્યું કે આપણે ન્યાયી છીએ.
ચાલો, આપણા યહોવાએ જે સર્વ કર્યું છે
તે આપણે યરૂશાલેમમાં જઇને કહી સંભળાવીએ.
11 તમારાં બાણને ધારદાર બનાવો!
તમારા ભાથાં ભરી લો!
ઢાલ ઊંચી કરો!
કારણ કે બાબિલ પર ચઢાઇ કરી તેનો વિનાશ કરવા યહોવાએ માદીઓના રાજાઓને કહ્યું છે.
અનિષ્ટ આચરણ કરનાર મંદિરને અપવિત્ર કરનાર લોકો પર
આ રીતે યહોવા વૈર વાળી રહ્યાં છે.
12 બાબિલની દીવાલો પર આક્રમણ કરવા માટે સંકેત આપો,
સંરક્ષણ મજબૂત કરો અને ચોકિયાતોને શહેરની આસપાસ ગોઠવો.
ઓચિંતો છાપો મારવા માટે છુપાઇને પડ્યા રહો,
કારણ કે યહોવાએ જે કહ્યું છે તે સર્વ તે સંપૂર્ણ કરશે.
13 તમે બાબિલની નદીઓને કાંઠે વસવાટ કરો
અને તેની વિપુલ સમૃદ્ધિને માણો.
તારો અંત આવ્યો છે;
તારી જીવનદોરી કપાઇ જશે.
14 સૈન્યોનો દેવ યહોવાએ પોતાના નામના સમ ખાઇને પ્રતિજ્ઞા કરી છે કે,
“હું તીડોના ટોળાંની જેમ ગણ્યા ગણાય નહિ તેટલા માણસોને
તારી સામે લાવીશ
અને તેઓ તારો પરાજય કરી વિજયનાદ કરશે.”
15 યહોવાએ પોતાની શકિત અને બુદ્ધિથી પૃથ્વીનું સર્જન કર્યું છે,
પોતાના જ્ઞાનથી તેને સ્થિર કરીને સ્થાપી છે,
પોતાના કૌશલથી આકાશને ફેલાવ્યું છે.
16 જ્યારે તે બોલે છે, ત્યારે આકાશમાં ગર્જના થાય છે.
દુનિયાના દૂર દૂરના ખૂણેથી તે વાદળોને ઉપર ચઢાવે છે.
તે વરસાદ લાવે છે અને સાથે વીજળી ચમકાવે છે,
અને પવનને મોકલે છે.
17 તેમની સરખામણીમાં સર્વ માણસો મૂર્ખ છે,
તેમને કશી ખબર નથી.
દરેક પોતે બનાવેલી મૂર્તિ
જોઇને લજ્જિત થાય છે,
કારણ કે તે બધી મૂર્તિઓ તો ખોટી છે.
પ્રાણ વગરની છે.
18 મૂર્તિઓ વ્યર્થ છે, હાંસીપાત્ર છે,
તે ખોટી છે;
દેવ તેમને સજા કરશે
ત્યારે તે સર્વનો નાશ કરશે.
19 પરંતુ યાકૂબનો દેવ એવો નથી;
તે તો સમગ્ર સૃષ્ટિનો સર્જક છે,
અને ઇસ્રાએલીઓને તે પોતાની પ્રજા ગણે છે,
તેનું નામ સૈન્યોનો દેવ યહોવા છે.
20 યહોવા કહે છે, “હે બાબિલ નગરી,
તું મારી ફરશી તથા યુદ્ધશસ્ત્રો છે;
તારા વડે હું સર્વ પ્રજાઓનું ખંડન કરીશ;
અને તારા વડે હું રાજ્યોનો નાશ કરીશ;
21 તારા વડે હું સૈન્યોને, ઘોડા તથા તેના સવારોને
અને રથ તથા રથસવારોને કચડી નાખીશ,
22 અને હા, સામાન્ય લોકોને પણ,
એટલે વૃદ્ધોને તથા જુવાનોને,
છોકરાઓને તથા કન્યાઓને,
23 ઘેટાંપાળકોને તથા ઘેટાબકરાનાં ટોળાંને,
ખેડૂતોને તથા બળદોને, કપ્તાનોને
તથા અધિકારીઓને હું કચડી નાખીશ.
24 બાબિલે તથા ખાલદીઆના બધાં લોકોને,
તેમણે સિયોનમાં આચરેલા કુકર્મોને લીધે હું સજા કરીશ.
તે હું તમારી નજર સામે જ કરીશ.”
એમ યહોવા કહે છે.
25 યહોવા કહે છે,
“હે બળવાન પર્વત બાબિલ, પૃથ્વીનો નાશ કરનાર,
હું તારી વિરુદ્ધ મારો હાથ ઉગામીશ
અને તારી ઊંચાઇઓ પરથી તને નીચે ગબડાવીશ,
અને અગ્નિથી ભસ્મ થયેલા પર્વત જેવો કરી તને છોડી દઇશ.
26 તારો કોઇ પણ પથ્થર બાંધકામ માટે કે
પાયાના પથ્થર તરીકે પણ નહિ વપરાય.
તું સદાને માટે ખંડેર રહેશે.”
આ હું યહોવા બોલું છું.
27 “પૃથ્વી પર ઝંડો ફરકાવો,
બધી પ્રજાઓમાં રણશિંગડા ફૂંકાવો,
બાબિલ સામે જેહાદ જગાવવાને પ્રજાને આહવાન આપો,
અરારાટ, મિન્ની અને આશ્કેનાઝના રાજ્યોને
તેની સામે લડવા બોલાવો,
તેની સામે હુમલો લઇ જવાને સેનાપતિ નીમો.
તીડોના ટોળાંની જેમ ઘોડેસવારોને ભેગા કરો.
28 તેની વિરુદ્ધ માદીઓના રાજાઓ વિરુદ્ધ,
અને તેના અધિકારીઓ અને અમલદારો સાથે
તે સર્વ દેશોના લોકો જે તે તેના રાજ્યનો ભાગ છે
તેની વિરુદ્ધ લડાઇને માટે તૈયારી કર.
29 પૃથ્વી ધણધણી અને ધ્રુજી ઊઠે છે,
કારણ કે યહોવા બાબિલને નિર્જન
વગડાઉ સ્થળ બનાવવાની
તેની યોજના પાર પાડે છે.
30 બાબિલના અતિ પરાક્રમી યોદ્ધાઓ
હવે યુદ્ધ કરતા નથી.
તેઓ કિલ્લાઓમાં ભરાઇ ગયા છે,
તેઓ હિંમત હારી ગયા છે.
અને સ્ત્રીઓ જેવા થઇ ગયા છે.
આક્રમણ કરનારાઓએ તેઓનાં ઘરો બાળી નાખ્યા છે
અને નગરના દરવાજાઓ તોડી નાખ્યાં છે.
31 આખું શહેર કબ્જે થઇ ગયું છે.
તેવું કહેવાને ચારેબાજુથી સંદેશાવાહકો
એક પાછળ એક રાજા પાસે દોડી આવ્યા છે!
32 નદી પાર કરવાના દરેક રસ્તાઓ કબ્જે કરાયા છે.
બરૂની ઝાડીઓને આગ લગાડવામાં આવી છે,
અને સૈનિકો ગભરાઇ ગયા છે.”
33 ઇસ્રાએલના દેવ, સૈન્યોનો દેવ યહોવાના આ વચન છે:
“બાબિલની સ્થિતી તો ઘઉ ઝૂડવાની
ખળી જેવી છે જ્યાં ઘઉં ઝૂડવાના છે.
થોડી વાર પછી ત્યાં લણણીની ઉપજને ધોકાવાનું શરું થશે.”
34 યરૂશાલેમ કહે છે, “બાબિલનો રાજા નબૂખાદરેસ્સાર
મને ખાઇ ગયો છે,
મને ચૂસી લીધો છે,
તેણે મને ખાલી પ્યાલાની જેમ
એક બાજુએ ફગાવી દીધું છે.
તે મને એક અજગરની જેમ આખે આખું ગળી ગયો છે,
અમારી સંપત્તિથી તેણે પોતાનું પેટ ભર્યું છે
અને અમારા પોતાના શહેરમાંથી અમને હાંકી કાઢયા છે.
35 યરૂશાલેમના લોકો બોલી ઊઠશે,
અમારી પર કરેલા દુષ્કૃત્યો બદલ બાબિલને સજા મળો!”
“અમારું જે લોહી વહેવડાવવામાં આવ્યું છે
તેની પૂરી કિંમત તેને ચૂકવવા દો!”
36 આથી યહોવા પોતાના લોકોને કહે છે,
“હું જાતે તમારો પક્ષ લઇશ
અને તમારું વૈર વાળીશ.
હું બાબિલની નદીને સૂકવી નાખીશ
અને તેના ઝરણાંને વહેતા બંધ કરી દઇશ,
37 અને બાબિલને ખંડેરનો ઢગલો બાનવી દઇશ.
જ્યાં શિયાળવાં આવીને વસશે.
લોકો તેની હાંસી અને નાલેશી કરશે
અને કોઇ ત્યાં વાસો કરશે નહિ.
38 “બાબિલવાસીઓ બધા ભેગા થઇને સિંહની જેમ ગર્જના કરે છે.
સિંહના બચ્ચાંની જેમ ઘૂરઘૂરાટ કરે છે.
39 જ્યારે તેઓ પોતાના દ્રાક્ષારસથી મસ્ત બનશે
ત્યારે હું તેઓને માટે અલગ પ્રકારની ઉજાણી તૈયાર કરીશ,
તેઓ બેભાન થઇને ભોંય પર પછડાય ત્યાં સુધી
તેઓ પીયા જ કરે, એવું હું કરીશ.
તેઓ સદાને માટે ઊંઘી જશે
અને ફરીથી કદી જાગશે નહિ,”
એમ યહોવા કહે છે.
40 “હું તેઓને કતલ માટે લઇ જવાતા
ઘેટાંઓની જેમ લઇ જઇશ.”
41 બાબિલ વિષે યહોવા કહે છે; “જે નગરની પ્રસંશા સમગ્ર દુનિયા કરતી હતી
તે નગરનું પતન થયું છે.
બાબિલની આવી બિહામણી સ્થિતી
જોઇ દુનિયાની પ્રજાઓ આઘાત અનુભવે છે.
42 બાબિલ પર સમુદ્ર ફરી વળ્યો છે.
તેના મોજાઓએ તેને ઢાંકી દીધું છે.
43 તેના નગરો ખંડેર સ્થિતીમાં પડ્યાં છે.
સમગ્ર દેશ સૂકા અરણ્ય સમાન થઇ ગયો છે.
ત્યાં કોઇ રહેતું નથી અને તેમાં થઇને યાત્રીઓ
પણ પસાર થતા નથી.”
44 યહોવા કહે છે, “હું બાબિલમાં બઆલ દેવને સજા કરીશ
અને તે જે ગળી ગયો છે તે તેના મુખમાંથી પાછું કાઢીશ.
પ્રજાઓ તેની પાસે આવશે નહિ અને તેની પૂજા કરશે નહિ.
અને બાબિલની ફરતે આવેલી દીવાલો પડી જશે.
45 ઓ મારી પ્રજા, બાબિલમાંથી નાસી જાઓ;
યહોવાના ભયંકર રોષમાંથી
જીવ બચાવવા સૌ ભાગી જાઓ!
46 “હિંમત હારશો નહિ,
દેશમાં ફેલાતી અફવાઓથી ગભરાઇ જશો નહિ,
એક વરસે એક અફવા ફેલાય છે,
અને બીજે વરસે બીજી-
દેશમાં બધે આંતરિક યુદ્ધો
અને જુલમ ચાલી રહ્યો છે.
47 તેથી, જુઓ એવા દિવસો આવી રહ્યા છે,
જ્યારે બાબિલની મૂર્તિઓને હું સજા કરનાર છું.
આખો દેશ લજ્જિત થશે,
અને તેના બધા માણસો કપાઇને પડ્યા હશે.
48 ઉત્તરમાંથી લોકો આવીને તેનો નાશ કરશે,
અને ત્યારે આકાશ અને પૃથ્વી તેમજ
તેમાંનું સર્વ કઇં બાબિલના
પતનથી હર્ષના પોકારો કરશે.”
આ યહોવાના વચન છે.
49 “બાબિલને કારણે સમગ્ર પૃથ્વીમાં માણસો કપાઇને પડ્યા છે
અને હવે ઇસ્રાએલમાં હત્યા થયેલાઓને
કારણ કે બાબિલને પડ્યા વગર છૂટકો નથી.
50 તમે જેઓ તેની તરવારનો ભોગ બનતા બચી ગયા છો,
તે ભાગી જાઓ!
રોકાશો નહિ!
દૂર દેશમાં યહોવાને સંભારજો,
અને યરૂશાલેમને ભૂલશો નહિ.”
51 લોકો કહે છે, “તે અત્યાચારોની વાતો
સાંભળીને આપણે સૌ લજવાઇ મરીએ છીએ,
આપણે લજ્જિત થયા છીએ,
કારણ કે, વિદેશીઓ યહોવાના મંદિરના પવિત્રસ્થાનોમાં પેસી ગયા છે.”
52 તેથી યહોવા કહે છે, “જુઓ, એવો સમય આવી રહ્યો છે
જ્યારે હું બાબિલની મૂર્તિઓને સજા કરીશ
અને સમગ્ર દેશમાં ઘવાયેલાઓનો
આર્તનાદ સંભળાતો હશે.
53 જો કે બાબિલ આકાશે પહોંચે તોપણ
અને તે પોતાના ઉંચા કોટોની કિલ્લેબંધી કરે
તોપણ હું તેને હતું ન હતું કરી
નાખવા માણસો મોકલીશ.”
આ યહોવાના વચન છે.
54 “સાંભળો, બાબિલમાંથી આવતા રૂદનસ્વર,
અને જ્યાં ખાલદીઓ શાસન કરે છે ત્યાંથી આવતા ભયંકર વિનાશના અવાજો.
55 યહોવા બાબિલનો વિનાશ કરી રહ્યા છે.
અને તેના કોલાહલને શમાવી રહ્યા છે.
શત્રુઓનું સૈન્ય મહાસાગરના તરંગોની જેમ ગર્જના
અને ઘૂઘવાટા કરતું ધસી રહ્યું છે.
56 હા, સંહાર કરનારાઓ બાબિલ પર તૂટી પડ્યા છે;
તેના યોદ્ધાઓ કેદ પકડાયા છે
અને તેમનાં ધનુષ્ય તોડી પડાયા છે,
યહોવા તે યહોવા છે જે દુષ્કૃત્યો માટે સજા કરે છે;
તે પૂરો બદલો લેશે.”
57 સૈન્યોનો દેવ યહોવા કહે છે,
“હું તેના સરદારોને,
જ્ઞાની માણસોને, રાજકર્તાઓને, કપ્તાનીઓને,
તથા શૂરવીર યોદ્ધાઓને ચકચૂર કરીશ,
તેઓ અનંત નિંદ્રામાં પોઢી જશે,
ફરી કદી જાગશે જ નહિ.
58 “બાબિલની મજબૂત દીવાલો ભોંયભેગી થઇ જશે,
તેના ઊંચા દરવાજાને આગ ચાંપવામાં આવશે,
જે બાંધવા માટે ઘણાં લોકોએ
પોતાની જાતને ધસી નાખી હતી
તે બધું ભસ્મ થઇ જશે,
લોકોએ કરેલી બધી મહેનત ધૂળમાં મળી જશે.”
બાબિલ માટે યર્મિયાનો સંદેશ
59 યહૂદિયાના રાજા સિદકિયાના શાસનના ચોથા વર્ષમાં જ્યારે તેની સાથે યહૂદિયાનો રાજા માહસેયાના પુત્ર નેરિયાનો પુત્ર સરાયા બાબિલ ગયો, ત્યારે જે સૂચનાઓ યર્મિયા પ્રબોધકે સરાયાને આપી તે આ: સરાયા તો લશ્કરનો અફસર હતો. 60 યર્મિયાએ એક પોથીમાં બાબિલ પર આવનારી આફતનું પૂરું વર્ણન અહીં જે બધું નોંધવામાં આવેલું છે તે લખી કાઢયું હતું.
61 તેણે સરાયાને કહ્યું, “જ્યારે તું બાબિલ પહોંચે ત્યારે આમાંના શબ્દે શબ્દ અચૂક વાંચી સંભળાવજે અને પછી કહેજે કે, 62 ‘હે યહોવા, તે જાતે જાહેર કર્યું છે કે, આ જગ્યાનો નાશ કરવામાં આવશે, અહીં ફરી કોઇ વાસો કરશે નહિ. માણસ કે પશુ કોઇ નહિ; તે સદાકાળ ઉજ્જડ રહેશે.’ 63 જ્યારે તું આ પોથી વાંચી રહે ત્યારે તેને પથ્થરો બાંધીને ફ્રાંત નદીની વચ્ચોવચ્ચ એમ કહીને નાખી દેજે કે, 64 ‘આવા જ હાલ બાબિલના થશે, યહોવા બાબિલ પર એવી આફત ઉતારનાર છે જેથી તે ડૂબી જાય અને ફરી કદી પર આવે નહિ.’”
અહીં યર્મિયાના વચન પૂરા થાય છે.
યરૂશાલેમનું પતન
52 સિદકિયા ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 21 વર્ષની હતી, તેણે યરૂશાલેમમાં અગિયાર વર્ષ રાજ્ય કર્યું. તેની માતાનું નામ હમૂટાલ હતું અને તે લિબ્નાહના યર્મિયાની પુત્રી હતી. 2 સિદકિયાએ યહોયાકીમની જેમ જ યહોવાની ષ્ટિએ અયોગ્ય ગણાય એવું આચરણ કર્યું. 3 હકીકત એ છે કે, યરૂશાલેમે અને યહૂદિયાએ યહોવાનો એટલો બધો રોષ વહોરી લીધો કે આખરે તેણે તેમને પોતાના સાન્નિધ્યમાંથી હાંકી કાઢયાં, અને સિદકિયાએ બાબિલ સામે છળકપટ કર્યું.
4 સિદકિયાના રાજ્યકાળમાં નવમે વર્ષે દશમાં મહિનાના દશમાં દિવસે બાબિલના રાજા નબૂખાદરેસ્સારે પોતાની આખી સૈના સહિત આવીને યરૂશાલેમ પર હુમલો કર્યો. 5 તેણે એ શહેરને કબજે કર્યુ અને તેની ફરતે ઘેરો બાંધવા માટેની દીવાલો બાંધી, રાજા સિદકિયાના શાસનમાં અગિયારમા વર્ષ સુધી આમ ચાલ્યું. 6 ચોથા મહિનાના નવમે દિવસે નગરમાં અન્નની ભારે તંગી વર્તાતી હતી અને લોકોને ખાવાનું મળતું નહોતું. 7 પછી નગરની દીવાલમાં એક બાકોરું પાડવામાં આવ્યું, અને રાતોરાત રાજા પોતાના આખા સૈન્ય સાથે રાજાના બગીચા પાસે આવેલા બે દીવાલો વચ્ચેના દરવાજેથી ભાગી ગયો, આમ બન્યું તે દરમ્યાન ખાલદીઓએ નગરને ઘેરી લીધું હતું તેમ છતાં તેઓ યર્દનની ખીણ તરફ આગળ વધ્યા.
8 પરંતુ ખાલદીઓની સૈનાએ તેનો પીછો પકડ્યો અને યરીખોના મેદાનમાં તેને પકડી પાડ્યો, અને તેની આખી સૈના તેને છોડીને વેરવિખેર થઇ ગઇ. 9 બાબિલનો રાજા હમાથ રાજ્યના રિબ્લાહ નગરમાં હતો. તેઓ સિદકિયાને ત્યાં લઇ ગયા અને રાજા આગળ રજૂ કર્યો, અને તેણે તેના પર કામ ચલાવ્યું. 10 બાબિલના રાજાએ રિબ્લાહ ખાતે સિદકિયાની નજર આગળ તેના પુત્રોને મારી નાખ્યા અને યહૂદિયાના બધા અમલદારોને પણ મારી નાખ્યાં. 11 ત્યારબાદ રાજા સિદકિયાની આંખો ફોડી નાખવામાં આવી અને તેને સાંકળોથી બાંધીને બાબિલ લઇ જવામાં આવ્યો અને તેને આજીવન કેદ કરવામાં આવ્યો.
12 બાબિલના રાજા નબૂખાદરેસ્સારના શાસનના ઓગણીસમા વર્ષના પાંચમા મહિનાના દશમાં દિવસે રક્ષક ટુકડીનો સરદાર નબૂઝારઅદાને યરૂશાલેમમાં પ્રવેશ કર્યો. 13 તેણે યહોવાના મંદિરને, રાજાના મહેલને અને શહેરના દરેક મોટા મકાનોને આગ ચાંપીં. 14 તેના લશ્કરે યરૂશાલેમની ફરતેની દીવાલોને તોડી પાડી. 15 તેણે શહેરની બાકી રહેલી વસ્તીને, જેઓ બાબિલના રાજાના પક્ષમાં ચાલ્યા ગયા હતા તેમને અને રહ્યાસહ્યા કારીગરોને દેશવટો દીધો, 16 પરંતુ ફકત વસ્તીના ગરીબમાં ગરીબ વર્ગને છોડ્યો. તેઓએ તેમને મજૂરી કરવા માટે ખેતરો અને દ્રાક્ષનીવાડીઓ આપી.
17 ખાલદીઓ મંદિરમાંના પ્રવેશદ્વાર પાસે ઊભા કરેલા કાંસાના બે મોટા સ્તંભોને, કાંસાના હોજને અને પૈડાવાળી ઘોડીઓને ઉપાડીને બાબિલ લઇ ગયા. 18 વળી મંદિરમાં વપરાતા કૂડાં, પાવડીઓ, બુજારાં, ડોયાં, વાટકાં અને બધા જ વાસણો અને સાધનો પણ લઇ ગયા. 19 રાજાના અંગ રક્ષકોનો નાયક સોના ચાંદીની બધી વસ્તુઓ લઇ ગયો જેવી કે: કટોરાઓ, ધૂપદાનીઓ, કૂંડાઓ, ઘડાઓ, દીવીઓ, તપેલાઓ, વાટકાઓ વગેરે જે બધું પેયાર્પણો ચઢાવવા માટે વપરાતું હતું. 20 આ બધી વસ્તુઓ જે સુલેમાને બનાવડાવી હતી (બે સ્તંભો “સમુદ્ર” નામે ઓળખાતો કાંસાનો હોજ, તેની નીચેના વીસ બળદો અને પૈડાંવાળી ઘોડી) તે બધી વજનમાં ખૂબ ભારે હતી.
21 એક સ્તંભ 18 હાથ ઊંચો અને 12 હાથના પરિઘવાળો હતો; તે પોલો હતો અને તેની જાડાઇ ચાર આંગળ હતી. 22 દરેક સ્તંભની ટોચે પાંચ હાથનો (શિખર તરીકે ઓળખાતો) પિત્તળનો કળશ હતો. તેની બાર હાથની પહોળાઇની ચારે બાજુ તે પિત્તળના દાડમ વડે શણગારાયેલો હતો તે અંદરથી પોલો હતો અને એક હાથ જાડો હતો. 23 દરેક સ્તંભ પર સો દાડમ હતા, પણ તેમાંથી છન્નું જ નજરે જોઇ શકાતા હતાં.
24 રક્ષકટુકડીના સરદાર નબૂઝારઅદાને મુખ્ય યાજક સરાયાને, તેના મદદનીશ સફાન્યાને અને મંદિરના ત્રણ મુખ્ય રક્ષકોને પોતાની સાથે લઇ ગયો. 25 તદુપરાંત તે લશ્કરના વડા અમલદારને, રાજાના સાત સલાહકારોને બંધક બનાવીને લઇ ગયો, તે ઉપરાંત તે લહિયો જે સૈન્યમાં લોકોની ભરતી કરવા માટેનો મુખ્ય અધિકારી હતો તેને અને નગરના બીજા સાઠ મોભાદાર માણસોને પોતાની સાથે લઇ ગયો. 26 અને એ બધાને તે હમાથના પ્રદેશમાં આવેલા રિબ્લાહ ખાતે બાબિલના રાજા આગળ લઇ ગયો. 27 અને હામાથના દેશ રિબ્લાહમાં બાબિલના રાજાએ તેમને ફટકા મરાવીને મારી નંખાવ્યાં.
આમ યહૂદિયાને પોતાના દેશમાંથી દેશવટે લઇ જવામાં આવ્યા.
28 નબૂખાદરેસ્સારના રાજ્યકાળના 7 વર્ષે બાબિલના બંદીવાસમાં લઇ જવાયેલાઓની સંખ્યા 3,023 હતી.
29 અને અઢારમાં વર્ષમાં 832 યરૂશાલેમવાસીઓને તે દેશવટે લઇ ગયો.
30 ફરીથી 5 વર્ષ બાદ 23 વર્ષે અંગરક્ષકોનો નાયક નબૂઝારઅદાન 745 યહૂદીઓને દેશવટે લઇ ગયો હતો.
આમ કુલ 4,600 માણસોને બંદીવાસમાં લઇ જવાયા.
યહોયાકીનને મુકત કરવામાં આવ્યો
31 બાબિલમાં યહૂદિયાના રાજા યહોયાકીનના દેશવટાના સાડત્રીસમા વર્ષના બારમાં મહિનાના પચીસમે દિવસે બાબિલના રાજા એવીલ-મેરોદાખે પોતે ગાદીએ આવ્યો તે જ વરસે યહૂદિયાના રાજા યહોયાકીમને માફી આપી અને તેને કારાવાસમાંથી મુકત કર્યો. 32 તેણે તેના પ્રત્યે માયાળુ વર્તાવ રાખ્યો અને તેને બાબિલમાં પોતાની સાથેના બીજા રાજાઓ કરતાં ઊંચે આસને બેસાડ્યો. 33 આથી યહોયાકીમએ કારાવાસનાં કપડાં ઉતારી નાખી, એમણે આપેલાં નવાં વસ્ત્રો પહેર્યા, અને શેષજીવન રાજાના આશ્રિત તરીકે ગાળ્યું. 34 અને તે જીવ્યો ત્યાં સુધી રાજાએ તેના નિભાવ માટે કાયમી ભથ્થું બાંધી આપ્યું. જે તેને મૃત્યુ સુધી નિયમિત રીતે તેને આપવામાં આવ્યું.
જૂના કરાર પ્રમાણે આરાધના
9 જુઓ પહેલા કરારમાં પણ ભજનસેવાના નિયમો હતા. અને મનુષ્યના હાથે બનાવેલ પવિત્રસ્થાનની જગ્યા પણ હતી. 2 મંડપનો પ્રથમ ભાગ પવિત્રસ્થાન તરીકે ઓળખાતો હતો. ત્યાં દીવી, મેજ અને તે પર દેવને અર્પિત રોટલી હતી. 3 બીજા પડદાની પાછળ અંદરનો ભાગ પરમપવિત્રસ્થાન તરીકે ઓળખતો હતો. 4 તેમાં સૌથી વધુ પવિત્ર સુગંધિત સોનાની ધૂપવેદી અને ચારે તરફ સોનાની મઢેલી પેટી હતી અને તેમાં જૂનો કરાર હતો. તે પેટીમાં સોનાની બરણી માન્નાથી[a] ભરેલી હતી. હારુંનની કળી ફૂટેલી લાકડી તથા શિલાપટ પર જૂના કરારની દસ આજ્ઞાઓ લખેલી હતી. 5 અને તેના પર મહિમાદર્શક કરૂબો હતા, જેઓની છાયા દયાસન પર પડતી હતી. હમણાં તેઓ સંબંધી અમારાથી સવિસ્તાર કહેવાય એમ નથી.
6 મંડપમાં મેં સમજાવ્યું તે પ્રમાણે દરેક વસ્તુ વ્યવસ્થિત ગોઠવી દેવામાં આવી. પછી યાજકો હંમેશા પહેલા ઓરડામાં સેવા કરવાનું કામ કરવા જતા. 7 પણ બીજા ઓરડામાં ફક્ત પ્રમુખયાજક જ જઇ શકતો, તે પણ વર્ષમાં એક જ વખત જતો, તે પોતાની સાથે લોહી લીધા વગર કદી તે ઓરડામાં પ્રવેશતો નહિ. પ્રમુખયાજક તે રક્ત લઈને પોતાના અને લોકો દ્ધારા અજાણથી પણ પાપકર્મ થયું હોય તેના માટે અર્પણ કરતો.
8 આ બધી બાબતો દ્ધારા પવિત્ર આત્મા બતાવે છે કે જ્યાં સુધી પ્રથમ ભાગ ત્યાં હતો, ત્યાં સુધી પરમપવિત્રસ્થાનમાં પ્રવેશવાનો માર્ગ ખુલ્લો ન હતો. 9 આ બાબત પરથી આજના માટે આપણે દાખલો લઈ શકીએ, જે મુજબનાં બલિદાનો અને અર્પણો આપવામાં આવ્યાં હતાં, તેઓ ભજન કરનારનું અંત:કરણ સંપૂર્ણ શુદ્ધ કરવા માટે દાવો કરતાં ન હતાં અને પૂર્ણ પણ બનાવી શકતા નહોતાં. 10 આ રીવાજો ફક્ત, ભોજન, પાણી અને વિવિધ પ્રકારની સ્નાનક્રિયાનો શિષ્ટાચાર, બાહ્ય વિધિઓ હતી અને જ્યાં સુધી નવો માર્ગ આવે ત્યાં સુધી તેનું પાલન કરવાનો હેતુ હતો.
નવા કરાર મુજબ ઉપાસના
11 હાલમાં અસ્તિત્વ ધરાવતી ઉત્તમ વ્યવસ્થાના પ્રમુખયાજક સારી વસ્તુઓનો પ્રમુખયાજક હતો. પ્રમુખયાજક તરીકે ખ્રિસ્ત આવ્યો. ત્યારે તેણે ખૂબજ ઉત્તમ એવા મંડપમાંથી પ્રવેશ કર્યો. અને તે સંપૂર્ણ એવા સ્વર્ગીય મંડપમાં પ્રવેશ્યો જે વધારે મોટો અને વધારે પરિપૂર્ણ હતો. તે માનવો દ્ધારા બનાવેલો ન હતો અને તે આ દુનિયામાં બનાવેલો ન હતો. 12 હંમેશને માટે એક જ વાર રક્ત લઈને ખ્રિસ્ત પરમપવિત્રસ્થાનમાં પ્રવેશ્યો. બકરાના તથા વાછરડાના રક્ત વડે નહિ, પરંતુ પોતાના જ રક્ત વડે આપણે માટે સર્વકાલિન આપણા ઉદ્ધારની પ્રાપ્તિ માટે તે પ્રવેશ્યો.
13 જે લોકો પરમપવિત્રસ્થાનમાં પ્રવેશવા માટે શુદ્ધ ન હતા તેઓ પર બકરાઓનું તથા ગોધાઓનું રક્ત તથા વાછરડાંની રાખ છાંટીને તેઓના ફક્ત શરીરને શુદ્ધ કર્યા. 14 ખ્રિસ્તનું લોહી આપણે જે દુષ્ટ કાર્યો કર્યા છે, તેમાંથી આપણા હ્રદયોને વિશેષ શુદ્ધ કરશે જેથી આપણે જીવંત દેવની સેવા કરી શકીએ. તેથી ખ્રિસ્તે સનાતન આત્માની સહાય વડે દોષ વગરનું બલિદાન દેવને આપ્યું અને નિષ્કલંક બન્યો.
15 તેથી દેવ પાસેથી ઈસુ નવો કરાર[b] લોકો પાસે લાવ્યો. ખ્રિસ્ત નવો કરાર એવા લોકો માટે લાવ્યો કે જેઓને તેડવામાં આવ્યા છે અને જે ઉત્તરાધિકારીનો આશીર્વાદ મેળવે. દેવે આપેલાં વચન પ્રમાણે અનંતકાળનો વારસો પામે. કારણ કે પ્રથમ કરાર[c] પ્રમાણે લોકોથી થયેલ પાપમાંથી લોકોને ઉદ્ધાર અપાવવા ખ્રિસ્ત મરણ પામ્યો.
16 જ્યારે મનુષ્ય મરણ પામે છે ત્યારે તે પોતાની પાછળ વસિયતનામું મૂકતો જાય છે. પરંતુ લોકોએ એ સાબિત કરવું પડે છે કે વસિયતનામું લખનાર વ્યક્તિનું મરણ થયું છે કે કેમ? 17 વસિયતનામું કરનાર વ્યક્તિ મરણ પામે પછી જ વસિયતનામાંનો અમલ થઈ શકે. જ્યાં સુધી તે વ્યક્તિ જીવે છે, ત્યાં સુધી તેનો અમલ થઈ શકે નહિ (વ્યક્તિના મરણ પછી જ તેનો અમલ થઈ શકે). 18 પહેલા કરાર માટે દેવ અને લોકો વચ્ચે આવું જ કઈક છે. તેનાં રક્ત દ્ધારા પહેલાં કરારની પ્રતિષ્ઢા થાય એ જરુંરી હતું. 19 લોકોને બધીજ આજ્ઞાઓ કહી સંભળાવ્યા પછી મૂસાએ વાછરડા અને બકરાનાં રક્ત સાથે પાણી મેળવ્યું. તે રકેત લઈને તેણે ઝૂફાની ડાળી અને કિરમજી ઊન વડે નિયમના પુસ્તક પર તથા બધા લોકો પર નિશાની માટે લોહી છાંટ્યું. 20 પછી મૂસાએ કહ્યું, “આ લોહી એવા કરારનું છે જેને અનુસરવા દેવે તમને આદેશ આપ્યો છે.” 21 એ જ રીતે મૂસાએ પવિત્ર મંડપ પર રક્ત છાંટ્યું અને જે કોઈ વસ્તુઓનો સેવામાં ઉપયોગ કરવામાં આવે છે તે બધા પર રક્ત છાંટ્યું. 22 નિયમશાસ્ત્ર કહે છે કે દરેક વસ્તુ રક્તના છંટકાવથી પવિત્ર થાય છે. રક્ત વહેવડાવ્યા વગર પાપની માફી મળતી નથી.
ઈસુ ખ્રિસ્તનું બલિદાન પાપ નિવારણ માટે
23 આ બધી વસ્તુઓ આકાશમાં છે તે જ સાચી વસ્તુઓની નકલ હતી. અને તે બધાને પશુઓના રક્ત વડે શુદ્ધ કરવામાં આવતી હતી. પરંતુ આકાશની વસ્તુઓને વધારે સારા બલિદાન વડે શુદ્ધ કરવાની જરુંર હતી. 24 વળી ખરેખર નમૂના પ્રમાણે માનવે બનાવેલ પવિત્રસ્થાનમાં ખ્રિસ્ત પ્રવેશ્યો નહિ, પરંતુ ખ્રિસ્ત આકાશમાં દેવની હજૂરમાં ગયો જેથી આપણને મદદ કરી શકે.
25 આ સૌથી વધુ પવિત્રસ્થાનમાં પ્રમુખયાજક વર્ષમાં એક જ વાર પ્રવેશે છે. તે પોતાની સાથે દેવને અર્પણ કરવા રક્ત લાવે છે. પરંતુ ખ્રિસ્તની માફક તે પોતાનું રક્ત અર્પણ કરતો નથી. ખ્રિસ્ત તો આકાશમાં સીધાવ્યો પણ તેને બીજા પ્રમુખ યાજકની માફક વારંવાર રક્ત અર્પણ કરવાની જરૂર રહી નહી. 26 જો એમ હોત તો ખ્રિસ્તને જગતની શરુંઆતથી વારંવાર મરણ સહન કરવું પડ્યું હોત. પરંતુ સદાને માટે પાપનું સામથ્યૅ નષ્ટ કરવા તેણે એક જ વાર પોતાનું બલિદાન આપ્યું.
27 જેમ માણસ એક જ વાર મરણ પામે છે અને પછી તેનો ન્યાયથાય તેવું નિર્માણ થયેલું છે. 28 તેમ ખ્રિસ્તે પણ ઘણા લોકોના પાપ પોતાને માથે લેવા એક જ વખતે બલિદાન આપ્યું અને હવે તે લોકોના પાપ માટે નહિ પરંતુ જેઓ આતુરતાથી તેની રાહ જોઈ રહ્યા છે તેમનો ઉદ્ધાર કરવા ખ્રિસ્ત બીજી વખત આવનાર છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International