Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
યર્મિયા 46-47

રાષ્ટ્રો વિષે યહોવાનો સંદેશ

46 જુદા જુદા રાષ્ટ્રો વિષે યર્મિયાને આ સંદેશા આપવામાં આવ્યા હતા.

મિસર વિષે સંદેશ

મિસર વિષે મિસરના રાજા ફારુનની સૈનાને બાબિલના રાજા નબૂખાદનેસ્સારે ફ્રાંત નદીને કાંઠે આવેલા કાર્કમીશ ખાતે યહૂદિયાના રાજા યહોયાકીમના અમલના ચોથા વર્ષ દરમ્યાન હરાવી હતી તે પ્રસંગે મિસરની વિરુદ્ધ આ સંદેશો આપવામાં આવ્યો હતો.

“હે મિસરના લોકો, તમે તમારાં શસ્ત્રો સજીને યુદ્ધ કરવા
    માટે આગળ વધો.
ઘોડાઓ પર જીન બાંધો અને તેના પર સવાર થઇ જાઓ!
    તમે ટોપ પહેરીને સજ્જ થાઓ!
ભાલાઓની ધાર તીણી કરો!
    બખતર ધારણ કરો!
પરંતુ હું આ શું જોઉં છું?
    તેઓ ભયભીત થઇ ભાગે છે,
તેમના શૂરવીરોને મારી હઠાવવામાં આવ્યા છે.
    તેઓ પાછું જોયા વગર ઊભી પૂંછડીએ ભાગે છે.
    ચારેકોર ભય વ્યાપી ગયો છે.”
આ હું યહોવા બોલું છું.

“ખૂબ અતિ ઝડપથી દોડનાર
    કે અતિ શૂરવીર સૈનિકો પણ બચી શકે નહિ,
ઉત્તર તરફ યુફ્રેતીસ નદી પાસે
    તેઓ ઘવાઇને પડ્યા છે.
નીલ નદીના પૂરની જેમ સમગ્ર
    દેશમાં ફેલાઇ જતું આ શૂરવીર સૈન્ય કોણ છે?
મિસર નીલ નદીની જેમ ઉભરાય છે,
    જેમ નદીઓ તેમના કાંઠા પર પૂરથી ફરી વળે છે.
તે કહે છે, ‘હું ઉપર ચઢીશ અને આખી પૃથ્વીને ઢાકી દઇશ,
    હું શહેરોને અને તેના વતનીઓને તાણી જઇશ.’
તો હે મિસરના ઘોડેસવારો, રથસવારો,
    અને શૂરવીર યોદ્ધાઓ, આવો!
ક્રૂશના અને પુરના
    અને લૂદોના ઢાલ ધારણ કરેલા ધનુર્ધારીઓ,
    તમે સર્વ આવો!”

10 “કારણ કે આજે અમારા પ્રભુ યહોવાનો દિવસ છે,
    આજે તેનો વૈર લેવાનો,
પોતાના દુશ્મનો ઉપર વૈર લેવાનો દિવસ છે.
    આજે તેની તરવાર ધરાઇ ધરાઇને તેમને ખાઇ જશે
અને તૃપ્ત થતા સુધી તેમનું લોહી પીશે.
    અમારા પ્રભુ યહોવાએ ઉત્તરમાં ફાંત નદીને કિનારે યજ્ઞ માંડ્યો છે.

11 “હે મિસરની કુમારિકાઓ, ગિલયાદ જાઓ અને થોડી ઔષધી લો.
    તમે ઘણી ઔષધી લીધી
    પણ તમે સ્વસ્થ નહિ થાઓે.
12 સર્વ પ્રજાઓમાં તારી અપકીર્તિ સાંભળી છે.
    નિરાશા અને પરાજયનો તારો વિલાપ સમગ્ર પૃથ્વી પર સંભળાય છે;
તારા ‘શૂરવીર યોદ્ધાઓ’ અંદર અંદર અથડાય છે
    અને બંને સાથે ભોંય પર પછડાય છે.”

13 યહોવાએ યર્મિયા પ્રબોધકને નબૂખાદનેસ્સાર માટે આમ કહ્યું, બાબિલના રાજા મિસરની ભૂમિ પર હુમલો કર.

14 “મિસરમાં જાહેર કરો,
    મિગ્દોલમાં અને નોફમાં
    તેમજ તાહપાન્હેસમાં ઢંઢેરો પિટાવો, જણાવો કે,
‘હોશિયાર! તૈયાર!
    તમારી આસપાસ તરવાર
    વિનાશ સર્જી રહી છે.’
15 શા માટે તારા બહાદુર યોદ્ધા ભાગી ગયા?
    તેઓ સામનો ન કરી શક્યા,
    કારણ કે યહોવાએ તેમને તેમના શત્રુઓની સામે ચત્તાપાટ કરી દીધા હતાં.
16 તેણે તેઓને લથડતા કરી દીધા છે.
    આથી શુ વધારે છે,
તેઓ એક બીજા પર પડીને કહેવા લાગ્યા કે,
    ‘ચાલો, ઘરે જઇએ, કારણ કે તરવાર આપણને મારી નાખશે.’
17 મિસરના ફારુનનું નામ આપો,
    ‘શકિતહીન, જે ડંફાસ તો બહુ મારે છે;
    પણ અણીને વખતે કરતો કશું નથી.’”
18 હું રાજાનો રાજા સૈન્યોનો દેવ યહોવા,
    “મારા જીવના સમ ખાઇને કહું છું;
પર્વતોમાં જેવો તાબોર,
    સાગર સમીપે જેવો કામેર્લ તેવું બનશે.
19 હે મિસરના પ્રજાજનો,
    તમારો સામાન બાંધો
અને બંદીવાસ જવાને તૈયાર થાઓ.
    કારણ કે મેમ્ફિસ નગરનો સંપૂર્ણ નાશ થશે.
    અને તે વસતિવિહીન તથા ઉજ્જડ થશે.

20 “મિસર તો રૂડીરૂપાળી વાછરડી હતી.
    પણ ઉત્તરમાંથી એક અશ્વમાખ આવીને તેને ડંખ મારશે અને તેને દોડાવશે!
21 તેના ભાડૂતી યોદ્ધાઓ પણ પાળેલા વાછરડા જેવા હતા,
    પણ તેઓ પણ બધા નાસી છૂટયા,
    કોઇ ટકી ન રહ્યો, કારણ,
તેમની સજાનો દિવસ આવી પહોંચ્યો હતો,
    તેમના સર્વનાશનો ઘડો ભરાઇ ચૂક્યો હતો.
22 સાંભળો, નાસી જતા સર્પ જેવો
    મિસર અવાજ કરે છે;
કારણ કે એના દુશ્મન જોરશોરથી ધસતા
    તેની સામે આવે છે,
તેઓ વૃક્ષો તોડી પાડનારા લોકોની જેમ કુહાડા લઇ
    તેના પર આવે છે.”

આ યહોવાના વચન છે.
23     “જાણે કઠીયારા ઝાડ કાપતા ના હોય!
તેમ તેઓ તેના ગાઢા જંગલો કાપી નાખે છે.
    કારણ કે તેઓ તીડોની જેમ અસંખ્ય છે,
તેઓ ગણ્યાં ગણાય એમ નથી.
24 મિસરના લોકોએ તેમની આબરૂ ગુમાવી છે,
    ઉત્તરના લોકોએ તેમને તેમના ગુલામ બનાવ્યા છે.”

25 સૈન્યોનો દેવ યહોવા, ઇસ્રાએલનો દેવ, કહે છે, “હવે હું નોશહેરના દેવ આમોનને, મિસરને, તેના દેવોને અને રાજાઓને તથા ફારુનને અને તેના પર વિશ્વાસ રાખનારાઓને સજા કરનાર છું. 26 હું તેમને તેમનો જીવ લેવા તાકી રહેલા બાબિલના રાજા નબૂખાદનેસ્સારને સુપ્રત કરી દઇશ. અને પછી મિસરમાં પાછી પહેલાંની માફક વસ્તી થશે.” આ હું યહોવા બોલું છું.

ઉત્તરીય ઇસ્રાએલ માટે સંદેશ

27 “હે મારા સેવક યાકૂબના વંશજો, હે ઇસ્રાએલીઓ!
    તમારે ડરવાની જરૂર નથી. કારણ કે,
હું તમને અને તમારા વંશજોને તમે જ્યાં બંદી છો
    તે દૂરના દેશમાંથી છોડાવી લાવીશ,
અને તમે પાછા સુખશાંતિપૂર્વક રહેવા પામશો.
    કોઇ તમને ડરાવશે નહિ.”
28 યહોવા કહે છે કે,
“હે યાકૂબ, મારા સેવક, ગભરાઇશ નહિ,
    કારણ, હું તમારી પડખે છું.
જુદી જુદી પ્રજાઓની વચ્ચેં
    મેં તમને દેશવટો દીધો છે
    તે બધાનો હું અંત લાવનાર છું.
પણ હું તમને મારીશ નહિ
    પણ હું ચોક્કસ તમને શિક્ષા કર્યા
    વિના છોડવાનો નથી.”
આ યહોવાના વચન છે.

પલિસ્તીઓ માટે યહોવાનો સંદેશ

47 જ્યારે ફારૂન અને મિસરનું સૈન્ય ગાઝા પર ચઢી આવ્યું તે પહેલા, યહોવાએ પ્રબોધક યર્મિયા દ્વારા પલિસ્તીઓ માટે આ સંદેશો મોકલ્યો.

આ યહોવાના વચન છે,
“ઉત્તરમાંથી પૂર આવી રહ્યું છે
    અને પલિસ્તીઓના સમગ્ર દેશ પર તે ફરી વળશે.
તે તેઓનાં નગરો તથા
    તેમાનાં સર્વસ્વનો નાશ કરશે.
શૂરવીર પુરુષો ભયથી બૂમો પાડશે
    અને સર્વ પ્રજાજનો પોક મૂકીને રડશે.
ઘોડાઓના દાબડાનો અવાજ
    અને રથના પૈડાની ઘરઘરાટી તીર્વ વેગથી દોડતાં રથોને
કારણે પિતાઓ એટલાં નિ:સહાય હશે
    કે તેઓ પોતાના સંતાનો તરફ પાછા ફરીને જોયા વગર નાસી જશે.
કારણ કે, એ દિવસ આવી પહોંચ્યો છે,
    જ્યારે બધા જ પલિસ્તીઓનો સંહાર થવાનો છે,
જ્યારે તૂર અને સિદોનની સાથે થનારા કોઇ રહેશે નહિ.
    યહોવા બધા પલિસ્તીઓનો-કાફતોરના ટાપુમાંથી આવી વસેલા સૌનો સંહાર કરનાર છે.
ગાઝા અને આશ્કલોનના નગરો ધૂળભેંગા કરવામાં આવશે,
    અને ખંડેર બની જશે.
    અનાકીમના વંશજો તમે કેવી રીતે પસ્તાવો અને રૂદન કરશો!

“હે યહોવાની તરવાર,
    તું ક્યારે શાંત થઇશ?
ફરી તું મ્યાનમાં પાછી જા
    અને આરામ કર અને શાંત રહે!
પણ યહોવાએ એને આજ્ઞા કરી હોય પછી
    એ આરામ શી રીતે કરે?
કારણ કે આશ્કલોન તથા સમુદ્રને કાંઠે વસનારાઓનો વિનાશ કરવાની
    તેણે તેને આજ્ઞા કરીને મેં દરિયાકાંઠાને સાફ કરવાનું સોંપ્યું છે.”

હિબ્રૂઓ 6

1-2 હવે આપણે ખ્રિસ્તના સિદ્ધાંતના પ્રાથમિક શિક્ષણની ચર્ચા બંધ કરવી જ જોઈએ. જ્યાંથી શરુંઆત કરી, ત્યા આપણે પાછા ન ફરીએ જેમ કે મૃત્યુ તરફ લઈ જતાં સારાં કર્મોથી દેવમાં વિશ્વાસ મૂકો. વળી બાપ્તિસ્મા[a] વિષે તે વખતે આપણને શીખવવામાં આવ્યું હતું. અને લોકો ઉપર હાથ મૂકવાથી અને મૃત્યુ પછી ફરી સજીવન થવું અને અનંતકાળના ન્યાયકરણ વિષે આપણને શીખવવામાં આવ્યું હતું, પણ આપણને વધુ ઉચ્ચ કક્ષાના શિક્ષણની જરુંર છે. અને જો દેવની ઈચ્છા હશે તો અમે એ પણ કરીશું.

4-6 જે લોકો એક વખત સત્ય જાણવા આવ્યા, જેમને સ્વર્ગીય દાનોનો અનુભવ થયો, પવિત્ર આત્માના દાનની ભાગીદારી અને દેવના સંદેશના સૌંદર્યનો અનુભવ કરાવ્યો. અને દેવની નવી દુનિયાની મહાન સત્તાને જોઈ. પછી આ બધું હોવા છતાં તેઓનું પતન થયું. તેમના જીવનનું તેમના માટે પરિવર્તન ફરીથી કરવું અશક્ય છે, શા માટે? કારણ કે આ લોકો ખરેખર દેવના પુત્રને ફરીથી વધસ્તંભે જડાવે છે. લોકો સમક્ષ તેનું અપમાન કરે છે.

આ લોકો તે ભૂમિ જેવા છે જે તેના પર વારંવાર પડતા વરસાદનું તે શોષણ કરે છે. જેઓ તેને ખેડે છે અને તેની કાળજી રાખે છે તેઓ ઉપયોગી પાકની પ્રાપ્તિ માટે આશા રાખે છે. જો તે ભૂમિ આવો પાક પેદા કરશે તો દેવનો આશીર્વાદ તેના પર ઉતરશે. પણ જો એ જમીન કાંટા અને ઝાંખરા ઉગાડ્યા કરે તો છેવટે બિનઉપયોગી અને શ્રાપિત થઈ બળી જશે.

પ્રિય મિત્રો, ભલે હું આમ કહું છું. પરંતુ તમારી બાબતમાં તમારી પાસે સારી અપેક્ષા રાખું છું. અને અમને ખાતરી છે કે તમે એવું કૃત્ય કરશો કે જે તારણનો એક ભાગ હશે. 10 પ્રભુ ન્યાયી છે. કારણ કે દેવના લોકો માટે તમે જે કંઈ કાર્યો કર્યા છે, તે દેવ ભૂલી શકે નહિ. તમે સંતો પર દર્શાવેલ પ્રેમ અને હાલ જેમની સેવા કરો છો તે બધું દેવ ભૂલી શકે નહિ. 11 અમે ઈચ્છા રાખીએ છીએ કે તમે દરેક જણ છેવટ સુધી આ પ્રમાણે ઉત્સાહ બતાવવાનું ચાલુ રાખશો જ્યાં સુધી આશા પૂર્ણ થાય. તમે જે કઈ ઇચ્છો છો તે મેળવી શકો. 12 અમે એ નથી ઈચ્છતા કે તમે આળસુ બનો. અમે ઈચ્છીએ છીએ કે જે લોકો દેવે આપેલ વચન મુજબનાં વાનાં મેળવે છે તેમના જેવા તમે બનો. તે લોકો દેવનાં વચનો પ્રાપ્ત કરે છે કારણ કે તેઓમાં વિશ્વાસ અને ધીરજ છે.

13 દેવે ઈબ્રાહિમને વચન આપ્યું, ત્યારે પોતાના (દેવના) કરતાં કોઈ મહાન નહિ હોવાને લીધે તેણે પોતાનાં જ નામે શપથ લીધા. 14 દેવે કહ્યું. “હું તને નક્કી ઘણાજ આશીર્વાદો અને ઘણા જ સંતાનો આપીશ.”(A) 15 એ વચન પરિપૂર્ણ થાય, ત્યાં સુધી ઈબ્રાબિમે ઘણી જ ધીરજ રાખી. અને દેવે જે વચન આપ્યું હતું, તે ઈબ્રાહિમે મેળવ્યું.

16 માણસ પોતાના કરતાં મહાન વ્યક્તિના નામે શપથ લે છે. અને શપથથી સઘળી તકરારોનો અંત આવે છે. 17 દેવને એ ખાતરી કરાવવી હતી કે તેણે આપેલ વચન સત્ય હતું. તેને એ સાબિત કરવું હતું કે તેણે જેને જે વચન આપ્યાં છે તે તેઓ પ્રાપ્ત કરશે કારણ તેનો નિર્ણય બદલી શકાય તેમ નથી. તેથી વચનના પાલન સંબધી સંપૂર્ણ ખાતરી માટે દેવ પોતે પણ શપથથી બંધાયો છે. 18 પેલી બે વસ્તુ કદી બદલાતી નથી. એક તો દેવ કઈક કહે છે ત્યારે તે કદી અસત્ય હોતું નથી અને જ્યારે તે સમ લે છે ત્યારે તે જૂઠા હોઈ શકે નહિ.

આ બે બાબતો આપણને દિલાસો આપે છે કે આશાને વળગી રહેવા દેવ પાસે આશ્રય માટે આવનારને સલામતી આશ્રય અને સામથ્યૅ મળે છે. 19 આ આશા આપણા આત્માઓના એક મજબૂત અને વિશ્વાસ યોગ્ય લંગર સમાન છે. વળી તે આપણને સૌથી પવિત્ર સ્થાનના પડદા પાછળ રહેલાં સ્વર્ગીય મંદિરમાં દેવ સાથે બાંધે છે. 20 ઈસુ ખ્રિસ્તે સ્વર્ગીય સ્થાનમાં આપણી અગાઉ પ્રવેશ કર્યો છે. અને આપણા માટે રસ્તો ખુલ્લો કર્યો છે અને મલ્ખીસદેકના ધારા પ્રમાણે તે હંમેશને માટે આપણો પ્રમુખયાજક થયો છે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International