Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
યર્મિયા 20-21

યર્મિયા અને પાશહૂર

20 ઈમ્મેરનો પુત્ર યાજક પાશહૂર યહોવાના મંદિરના રક્ષકોનો ઉપરી હતો. તેણે યર્મિયાને આવી ભવિષ્યવાણી ભાખતો સાંભળ્યો, તેથી તેણે યર્મિયાની ધરપકડ કરી અને તેને કોરડાથી ફટકાર્યો, પછી તેણે તેને મંદિરના બિન્યામીન દરવાજા આગળ સાંકળોથી બાધ્યો. બીજા દિવસે સવારે પાશહૂરે યર્મિયાને હેડમાંથી છૂટો કર્યો ત્યારે યર્મિયાએ તેને કહ્યું, “યહોવા તને પાશહૂર નહિ કહે, ‘પણ માગોર-મિસ્સાબીબ (સર્વત્ર ત્રાસ) કહેશે. કારણ કે યહોવા તારા પર તથા તારા સર્વ મિત્રો પર ભય મોકલશે અને તેઓના શત્રુઓની તરવારોથી તેઓને તું મૃત્યુ પામતાં જોશે. આખો યહૂદિયા હું બાબિલના રાજાને સોંપી દઇશ. તે તેમને કેદ કરીને બાબિલ લઇ જશે અને ત્યાં તરવારથી મારી નાખશે. આ શહેરની સર્વ સંપત્તિ, એના બધા ભંડારો અને કિમતી વસ્તુઓ, યહૂદિયાના રાજાનો બધો ખજાનો હું તેમના શત્રુઓને સોંપી દઇશ, શત્રુઓ લૂંટમાર કરીને એનો કબજો લેશે અને બાબિલ લઇ જવામાં આવશે. તું, પાશહૂર, અને તારું કુટુંબ કેદ પકડાશો, તમને બાબિલ લઇ જવામાં આવશે, અને ત્યાં તમારું મોત થશે અને ત્યાં તમે દટાશો. તું અને તારા બધા મિત્રો, જેમને તેં ખોટી ભવિષ્યવાણી સંભળાવેલી છે.’”

યર્મિયાની પાંચમી ફરિયાદ

પછી મેં કહ્યું, “હે યહોવા, તમે મને યુકિતપૂર્વક છેતર્યો છે.
    તમારા સંદેશાઓ આપવા માટે તમે મને દબાણ કર્યુ.
કારણ કે મારા કરતાં તમે અતિ બળવાન છો.
    પરંતુ હવે હું બધા દિવસો હાંસીપાત્ર થયો છું અને સર્વ લોકો મારી મશ્કરી કરે છે.
કેમ કે જ્યારે જ્યારે હું બોલું છું ત્યારે ત્યારે ઘાટાં પાડીને એક જ વાત કહેવાની છે,
    ‘હિંસા અને વિનાશ!’ હે યહોવા,
તારી વાણી સંભળાવવાને કારણે આખો દિવસ મારે હાંસી
    અને નામોશી સહન કરવી પડે છે.”
હું જો એમ કહું કે, “હવે હું યહોવાને સંભારીશ નહિ,
    એને નામે બોલું જ નહિ.”
તો તારી એ વાણી મારા અંગે અંગમાં ભંડારાયેલી આગની જેમ
    મારા અંતરમાં ભડભડી ઊઠે છે;
અને હું તેને કાબૂમાં રાખવા મથું છું,
    પણ નથી રાખી શકતો.
10 ચારે બાજુથી હું તેઓની ધમકીઓ
    ઉચ્ચારાતી સાંભળું છું
અને મને ડર લાગે છે,
    તેઓ કહે છે, “આપણે ફરિયાદ કરીશું.
જેઓ મારા મિત્રો હતા તેઓ સાવધાનીથી મને નિહાળે છે કે,
    ક્યારે ભયંકર ભૂલ કરી બેસું.
    તે પોતે જ ફસાઇ જશે અને ત્યારે આપણે
તેના પર આપણું વૈર વાળીશું.
    તેઓ આ પ્રમાણે કહે છે.”
11 પરંતુ મહાન યોદ્ધાની જેમ યહોવા મારી પડખે ઊભા છે.
    તે પરાક્રમી તથા ભયાવહ છે.
મારા જુલમગારો ઠોકર ખાશે,
    તેઓ નહિ ફાવે, તેઓ નિષ્ફળ જતાં ભારે ફજેત થશે;
તેઓ બધી રીતે અપમાનિત થશે
    અને સદાને માટે તેઓ પર કલંક લાગશે.

12 હે સૈન્યોના દેવ યહોવા,
    તમે સતનું પારખું કરો છો,
મારા મનનો અને હૃદયનો તાગ લો છો;
    અને હું ઇચ્છું છું કે હું તમને એમના પર બદલો વાળતા જોવા પામું,
    કારણ કે મેં મારો દાવો ફકત તમને સોંપ્યો છે.
13 યહોવાના ગીત ગાઓ,
    એમનાં ગુણગાન કરો.
કારણ, તેણે દુષ્ટોના હાથમાંથી
    દરિદ્રીઓનું જીવન ઉગારી લીધુ છે.

યર્મિયાની છઠ્ઠી ફરિયાદ

14 તેમ છતાં મારા જન્મનો
    દિવસ શાપિત થાઓ!
15 તને પુત્ર થયો છે એવી વધામણી
    મારા પિતાને આપનાર માણસ શાપિત થાઓ.
16 તે માણસના હાલ એ પુરાતન નગરોના જેવા થાવ.
    જેનો યહોવાએ દયા રાખ્યા વગર નાશ કર્યો છે,
ભલે તેને આખો દિવસ રણનાદ સંભળાય;
    સવારમાં આર્તનાદ અને બપોરે યુદ્ધનાદ સંભળાય,
17 કારણ કે, તેણે મને ગર્ભમાં
    જ મારી ન નાખ્યો,
તો મારી માતા
    જ મારી કબર બની હોત,
    તેનું ઉદર સદા માટે મોટું રહ્યું હોત.
18 હું કષ્ટો અને દુ:ખ સહન કરવા માટે,
    શરમાળ જીવન જીવવા માટે
    શું કામ ગર્ભમાંથી બહાર આવ્યો?

યરૂશાલેમની હારની ભવિષ્યવાણી

21 પછી જ્યારે સિદકિયા રાજાએ માલ્કિયાના પુત્ર પાશહૂરને તથા માઅસેયા યાજકના પુત્ર સફાન્યાને યર્મિયાની પાસે મોકલીને કહેવડાવ્યું કે, “બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર અમારી સામે યુદ્ધે ચઢયો છે માટે તમે અમારા તરફથી યહોવાને અરજ કરો, કદાચ તે અમારે ખાતર કોઇ ચમત્કાર કરે, જેથી નબૂખાદનેસ્સારને પાછા જવું પડે.”

ત્યારે યર્મિયાને યહોવાની વાણી સંભળાઇ, અને તેમણે તે લોકોને કહ્યું, “સિદકિયાને જઇને કહેજો કે, ઇસ્રાએલનો દેવ યહોવા આ પ્રમાણે કહે છે; ‘કોટની બહાર ઘેરો ઘાલીને પડેલા બાબિલના રાજા અને તેની સૈના સામે તમારા જે યોદ્ધાઓ લડી રહ્યા છે, તેમણે પાછા હઠી શહેરની મધ્યમાં આવવું પડશે.

“‘કારણ, હું જાતે ભારે રોષ અને ક્રોધપૂર્વક પૂરા બળ અને પરાક્રમથી તમારી સામે ઝઝુમીશ. આ નગરમાં હું ભયંકર મરકી મોકલીશ અને માણસો તથા પશુઓ મૃત્યુ પામશે. અંતે હું રાજા સિદકિયાને તથા નગરમાં બચી ગયેલાઓને બાબિલના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં સોંપી દઇશ. અને તે તેમની કત્લેઆમ ચલાવશે અને તેમના પર જરાપણ દયા કે કરૂણા દર્શાવશે નહિ.’

“તે તારે કહેવું પડશે તેવું યહોવા કહે છે: ‘હું તમને જીવનના માર્ગ અને મૃત્યુના માર્ગ વચ્ચે પસંદગી કરવાની તક આપું છું. જે કોઇ આ શહેરમાં રહેશે તે યુદ્ધથી, દુકાળથી કે રોગથી મૃત્યુ પામશે, પણ જે કોઇ તમને ઘેરો ઘાલીને પડેલી બાબિલની સૈનાને શરણે જશે તે બચવા પામશે, કઇં નહિ તો યે તે જીવતો તો રહેશે જ. 10 કારણ કે આ નગરનું ભલું નહિ પણ વિનાશ કરવાનો મેં નિરધાર કર્યો છે, તેને બાબિલના રાજાના હાથમાં સોપી દેવામાં આવશે અને બાળીને રાખ કરી દેવામાં આવશે.’” આ યહોવાના વચન છે.

11 “વળી યહૂદિયાના રાજા દાઉદના વંશજને યહોવા કહે છે:
    ‘ધ્યાનથી સાંભળ!
12 હે દાઉદના ઘર, હંમેશા ન્યાય કરો,
જે માણસ જુલ્મીઓના હાથે લૂંટાઇ ગયો છે
    તેને તેના હાથમાંથી છોડાવ,
નહિ તો તારાં દુષ્ટકૃત્યોને કારણે
મારો રોષ ભભૂકી ઊઠશે
    અને મારો ગુસ્સો જે અગ્નિ જેવો છે
તે હોલવ્યા વગર ભડભડયા કરશે.’

13 “અરે, હે યરૂશાલેમ
    હું તારી વિરુદ્ધ થઇ ગયો છું.
    ખીણ પર ઝઝૂમતા ખડકની ધારે બેઠેલું
તું એમ કહે છે કે,
    ‘કોણ મારા પર હુમલો કરી શકે એમ છે,
    કોણ મારા ગઢમાં પ્રવેશી શકે એમ છે’”
આ યહોવાના વચન છે.

14 “પરંતુ તારા પાપી કૃત્યોની ઘટતી સજા હું તને કરીશ.
    એમ યહોવા કહે છે:
    હું જંગલમાં અગ્નિ સળગાવીશ અને તે પોતાના માર્ગમાં આવનાર
સર્વને મહેલ સહિત બાળીને ભસ્મિભૂત કરી નાખશે.”

2 તિમોથી 4

દેવ તથા ઈસુ ખ્રિસ્ત સમક્ષ હું તને આદેશ આપું છું કે મરણ પામેલા તેમજ જીવતા લોકોનો એક માત્ર એવો ખ્રિસ્ત ઈસુ ન્યાય કરશે. ઈસુનું રાજ્ય છે, અને તે ફરીથી આવી રહ્યો છે. તેથી હું તને આ આદેશ આપું છું: લોકોને તું સુવાર્તા પ્રગટ કર. તે સંદેશ એ છે કે, લોકોનાં પાપ માફ થઈ શકે અને તેઓ દેવના સાન્નિધ્યમાં રહી શકે, એવો માર્ગ દેવે હવે સર્વ માટે ખૂલ્લો કરી દીધો છે. દરેક સમયે તું તૈયાર રહેજે. લોકોએ શું શું કરવાની જરુંર છે તે તું તેઓને કહે, તેઓની ભૂલ થાય ત્યારે તું તેઓને ધમકાવ અને તેઓને પ્રોત્સાહિત કર. આ બધું તું ખૂબજ ધીરજપૂર્વક તથા કાળજીપૂર્વકના ઉપદેશ વડે કર.

એવો સમય આવશે કે જ્યારે લોકો સાચો ઉપદેશ નહિ સાંભળે. પણ કાનમાં ખંજવાળ આવવાથી તેઓ પોતાને મનગમતા ઉપદેશકો પોતાના માટે ભેગા કરશે. લોકો સત્ય તરફ આડા કાન કરશે. કાલ્પનિક વાતોના શિક્ષણને અનુસરવાનું શરું કરશે. પરંતુ હર ઘડીએ તું સર્વ બાબતોમાં સાવધ રહેજે. જ્યારે મુસીબતો આવે ત્યારે તેઓને તું સ્વીકારી લેજે. સુવાર્તા પ્રચારનું કામ કરતો રહેજે. દેવના સેવકની બધી જ ફરજો તું અદા કરી બતાવજે.

કેમ કે હું અત્યારે પેયાર્પણ તરીકે રેડાઉં છું. અને મારો પ્રયાણકાળ પાસે આવી ગયો છે. હું સારી લડાઇ લડ્યો છું. મેં દોડ પૂરી કરી છે. મેં વિશ્વાસ રાખ્યો છે. હવે મારે સાંરું ન્યાયીપણાનો મુગટ રાખી મૂકેલો છે, તેથી એ મુગટ મને મળશે કારણ કે હું દેવ સાથે ન્યાયી છું. પ્રભુ તો એવો ન્યાયાધીશ છે કે જે યોગ્ય જ ન્યાય કરે છે. તે દિવસે પ્રભુ મને તે મુગટ આપશે. હા! તે મને મુગટ આપશે. પ્રભુના પ્રગટ થવાની ઇચ્છા રાખનારા અને તેની પ્રતિક્ષા કરનારા સર્વ લોકોને પ્રભુ તે મુગટ આપશે.

અંગત વાતો

જેમ બને એમ જલ્દી મારી પાસે આવવાનો તું પ્રયત્ન કરજે. 10 દેમાસે વર્તમાન દુનિયાને પુષ્કળ પ્રેમ કર્યો હતો. તેથી જ તો તે મને છોડીને ચાલ્યો ગયો છે. તે થેસ્સલોનિકા જતો રહ્યો છે અને ક્રેસ્કેન્સ ગલાતિયા ગયો છે. અને તિતસ દલ્મતિયા ગયો છે. 11 હવે મારી સાથે ફક્ત લૂક જ રહ્યો છે. માર્કને શોધી કાઢજે અને તું આવે ત્યારે એને તારી સાથે લેતો આવજે. અહીંના મારા કાર્યમાં તે મને મદદ કરી શકે એવો છે. 12 મેં તુખિકસને એફેસસમાં મોકલ્યો છે.

13 હું જ્યારે ત્રોઆસમાં હતો ત્યારે કાર્પસ પાસે મારો કોટ મૂકી આવ્યો છું. તો તું જ્યારે આવે ત્યારે મારો એ કોટ લેતો આવજે. અને મારાં પુસ્તકો પણ લાવજે. જે પુસ્તકો વિશિષ્ટ રીતે ચર્મપત્રો પર લખેલા છે તેની મારે ખાસ જરૂર છે.

14 આલેકસાંદર કંસારાએ મારું ઘણું નુકશાન કર્યુ છે. આલેકસાંદરના કુકર્મો બદલ પ્રભુ તેને શિક્ષા કરશે. 15 તું તે માણસથી ચેતતો રહેજે જેથી તે તને પણ આઘાત ન આપે. તેણે આપણા ઉપદેશની સામે ઘણો વિરોધ દર્શાવ્યો છે.

16 પહેલી વાર જ્યારે મેં મારો બચાવ કર્યો, ત્યારે મને કોઈએ મદદ ન કરી. દરેક જણ મને છોડીને ચાલ્યા ગયા હતા. મારી પ્રાર્થના છે કે દેવ તેઓને માફ કરે. 17 પરંતુ પ્રભુ મારાં પક્ષમાં ઊભો રહ્યો. બિન-યહૂદિઓને હું સુવાર્તા સંપૂર્ણ રીતે જણાવી શકું એ માટે પ્રભુએ મને પૂરતી શક્તિ આપી. સૌ બિનયહૂદિઓ તે સુવાર્તા સાંભળે એવી પ્રભુની ઈચ્છા હતી. સિંહ નાં મોઢાંમાથી મને બચાવી લેવામાં આવ્યો. 18 જ્યારે કોઇ પણ વ્યક્તિ મને ઇજા કરવાનો પ્રયત્ન કરશે ત્યારે પ્રભુ મારો બચાવ કરશે. પ્રભુ મને તેના સ્વર્ગીય રાજ્યમાં સુરક્ષિત રીતે લઈ જશે. પ્રભુનો મહિમા સર્વકાળ હો.

અંતિમ શુભેચ્છા

19 પ્રિસ્કી અને અકુલાસ તથા ઓનેસિફરસના કુટુંબને મારા તરફથી ક્ષેમકુશળ કહેજે. 20 એરાસ્તસ કરિંથમાં રહ્યો અને મેં ત્રોફિમસને બિમાર હતો તેથી મિલેતસમાં રાખ્યો છે. 21 શિયાળા પહેલાં તું મારી પાસે આવી પહોંચે એવો પ્રયત્ન કરજે.

યુબૂલસ તને ક્ષેમકુશળ કહે છે. વળી પુદેન્સ, લિનસ, કલોદિયા, અને ખ્રિસ્તમાં સર્વ

22 ભાઈઓ તને ક્ષેમકુશળ કહે છે. પ્રભુ તારા આત્માની સાથે થાઓ. તારા પર કૃપા થાઓ.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International