Old/New Testament
શાંતિના રાજ્યનું નિર્માણ
11 દાઉદનો રાજવંશ એક વૃક્ષ સમાન છે. તેને કાપી નાખવામાં આવ્યું છે. પરંતુ યશાઇના ઠૂંઠામાંથી ફણગો ફૂટશે, અને તેના મૂળિયામાંથી એક ડાળી ઉગવાની શરું થશે. 2 યહોવાનો આત્મા, સુબુદ્ધિ તથા સમજદારીનો આત્મા, વિવેકબુદ્ધિ તથા પરાક્રમનો આત્મા, જ્ઞાન તથા યહોવાના ભયનો આત્મા તેના પર રહેશે. 3 તે યહોવાના ભયમાં હરખાશે; અને પોતાની આંખે જોયા પ્રમાણે તે ન્યાય કરશે નહિ. ને પોતાના કાને સાંભળ્યા પ્રમાણે તે નિર્ણય કરશે નહિ;
4 પણ તે ગરીબોનો પ્રામાણિકપણે ન્યાય કરશે અને દેશના દુ:ખીજનોનો સચ્ચાઇથી ન્યાય કરશે. અન્યાયીઓને તેનો નિર્ણય દંડની જેમ પ્રહાર કરશે. તેનો ચુકાદો દુષ્ટોનો સંહાર કરશે. 5 તેનાં સર્વ કાર્યોમાં ન્યાય અને નીતિ હશે.
6 ત્યારે વરુઓ અને ઘેટાંઓ સાથે વસશે અને ચિત્તો લવારા સાથે સૂશે; વાછરડાં અને સિંહ તથા માતેલાં ઢોર ભેગા ચરશે અને નાનાં બાળકો પણ તેમને ચરાવવા લઇ જશે. 7 ગાય અને રીંછ ભેગા મળીને ખાશે અને તેમનાં બચ્ચાં પણ ભેગા સૂશે. સિંહો ઢોરની જેમ ઘાસ ખાશે. 8 નાનાં બાળકો નાગના રાફડા પર રમશે. ઝેરી સાપના દરને સ્પર્શશે.
9 યહોવાના આખા પવિત્ર પર્વત ઉપર ન તો કોઇ કોઇનું બુરૂં કરે, ન તો કોઇ કોઇને ઇજા કરે; કારણ, જેમ સાગર જળથી ભરેલો હોય છે, તેમ દેશ યહોવાના જ્ઞાનથી ભર્યો ભર્યો હશે.
10 તે દિવસે રાજા, યશાઇનો વંશજ લોકોને એકત્ર કરવા ધ્વજારૂપ બની રહેશે. દેશવિદેશની પ્રજાઓ તેની આસપાસ ભેગી થશે. તે અને તેનું નિવાસસ્થાન મહિમાવંતુ થશે.
11 તે દિવસે મારા પ્રભુ આશ્શૂર, ઉત્તરી મિસર, દક્ષિણ મિસર, ક્રૂશ, એલામ, બાબિલ, હમાથ અને દરિયાપારના પ્રદેશોમાંથી પોતાના લોકોમાંના જેઓ હજી બાકી રહેલા હશે તેમને પાછા લાવવા બીજીવાર પોતાનો હાથ વિસ્તારશે અને પોતાની શકિતનો પરચો બતાવશે; 12 પ્રજાઓની સમક્ષ “ધ્વજા” ફરકાવીને, તે પૃથ્વીના ચારે ખૂણેથી ઇસ્રાએલ અને યહૂદાના વેરવિખેર થઇ ગયેલા લોકોને ભેગા કરશે.
13 ન તો ઇસ્રાએલ યહૂદાની ઇર્ષ્યા કરશે કે, ન તો યહૂદા ઇસ્રાએલનું દુશ્મન રહેશે. 14 તેઓ બંને ભેગા મળીને ખભેખભા મિલાવી પશ્ચિમમાં પલિસ્તીઓ પર તૂટી પડશે અને પૂર્વના લોકોને લૂંટી લેશે; અદોમ અને મોઆબ તેમની મૂઠીમાં આવશે; અને આમ્મોનના લોકો તેમની આણ સ્વીકારશે.
15 યહોવા મિસરના રાતા સમુદ્રમાંથી રસ્તો કરશે; અને ફ્રાત નદી પર પોતાનો હાથ હલાવીને પ્રચંડ પવનને મોકલશે અને તેને સાત પ્રવાહમાં વહેંચી નાખશે જેથી તે સહેલાઇથી ઓળંગી શકાય. 16 યહોવાના લોકો ઇસ્રાએલીઓ મિસરમાંથી બહાર આવ્યા ત્યારે તેમને માટે હતો તેવો જ માર્ગ એ લોકોના જેઓ આશ્શૂરમાં બાકી રહેલા હશે તેમને માટે પણ નિર્માણ થશે.
દેવનાં સ્તુતિગાન
12 તમે તે દિવસે ગાશો:
“હે યહોવા હું તમારો આભાર માનું છું!
તમે મારા પર રોષે ભરાયા હતા,
હવે તમારો રોષ સમી ગયો છે
અને તમે મને પ્રેમ આપ્યો છે.
2 દેવ મારા ઉદ્ધારક છે;
અને હવે મને વિશ્વાસ બેઠો છે અને ડર રહ્યો નથી;
મારો આશ્રય યહોવા દેવ જ છે;
ને મારા રક્ષણહાર એ જ છે; ને એ જ મારા ઉદ્ધારક બન્યા.”
3 અને તમે ઉદ્ધારના ઝરણામાંથી
આનંદભેર પાણી ભરશો.
4 તમે તે દિવસે કહેશો કે,
“યહોવાની સ્તુતિ ગાવ, અને તેના નામનું આહવાહન કરો;
સર્વ પ્રજામાં તેનાં કાર્યોની ઘોષણા કરો;
તેનું નામ સવોર્પરી છે એવું જાહેર કરો.”
5 યહોવાની ઝળહળતી સિદ્ધિઓ માટે
તમે તેના સર્વદા ગુણગાન ગાઓ;
ને સમગ્ર દુનિયામાં એની જાણ કરો.
6 હે સિયોનનાં વાસીઓ, આનંદના પોકાર કરો,
ઇસ્રાએલના મહાન પરમ પવિત્ર દેવ છે.
અને તમારા સૌની વચ્ચે વસે છે.
બાબિલની પડતી ને વિજયનું દર્શન
13 આમોસના પુત્ર યશાયાને બાબિલ વિષે યહોવાએ સંદર્શન આપ્યું તે આ રહ્યું:
2 “ઉજ્જડ પર્વત પર ધ્વજા ઊંચે ફરકાવો.
તેઓને ઊંચે સાદે હાંક મારો,
હાથના ઇશારા કરો
કે તેઓ ઉમરાવોના દરવાજા પર ત્રાટકે.”
3 દેવ કહે છે, “મેં મારા પસંદ કરેલા
યોદ્ધાઓને મારા સૈનિકોને,
મારા વિશ્વાસુ લડવૈયાઓને,
મારો વિરાટ ગુસ્સો બતાવવાનો મેં હુકમ કર્યો છે.
4 “સાંભળો! પર્વતો પર મોટી મેદનીનો કોલાહલ સંભળાય છે!
ભેગા થતાં રાજ્યોનો અને પ્રજાઓનો શોરબકોર સાંભળો!
સૈન્યોના દેવ યહોવા,
યુદ્ધ માટે સૈન્યોને ભેગાં કરે છે.
5 યહોવા અને તેના ક્રોધનો અમલ કરનારા
યોદ્ધાઓ દૂર દૂરના દેશમાંથી,
ક્ષિતિજને પેલે પારથી સમગ્ર
દેશનો નાશ કરવા આવી રહ્યા છે.”
6 આક્રંદ કરો, કારણ કે યહોવાનો દિવસ આવી ગયો છે. સર્વ શકિતશાળી તરફથી સર્વનાશ આવશે. 7 બધા લોકોના હાથ ખોટા થઇ જશે. તેમના હૃદય હારી જશે. 8 તેઓ દુ:ખ અને વેદના અનુભવશે, પ્રસવવેદના ભોગવતી સ્ત્રી જેમ તેઓ કષ્ટ પામશે; તેઓ ગભરાઇ જશે અને ડરથી એકબીજા સામે અનિમેષ ષ્ટિથી જોયા કરશે.
બાબિલ વિરુદ્ધ દેવનો ન્યાય
9 જુઓ, યહોવાનો દિવસ આવે છે; તે રોષ અને ભયંકર ક્રોધથી નિર્દય બનીને ધરતીને ઉજ્જડ કરી નાખશે અને તેમાંથી પાપીઓનો સંહાર કરશે; 10 આકાશના તારાઓ અને નક્ષત્રો પ્રકાશ આપતાં બંધ થઇ જશે. સૂર્ય ઊગતાંની સાથે ઘોર અંધકાર થઇ જશે અને ચંદ્ર પ્રકાશ આપશે નહિ.
11 સૈન્યોના દેવ યહોવા કહે છે, “હું જગત ઉપરનાં પાપો માટે આફત ઉતારીશ; તેમના ગુનાઓ માટે દંડ ફટકારીશ. હું ઉદ્ધત વ્યકિતઓનું અભિમાન ઉતારીશ. 12 જુલમગારોની તુમાખીને ધૂળ ચાટતી કરી નાખીશ. ઓફીરના શુદ્ધ સોનાની માફક લોકો પણ દુર્લભ થઇ જશે. 13 હું મારા ભયંકર રોષના દિવસે આકાશોને ધ્રુજાવી મૂકીશ અને પૃથ્વી આકાશમાં પોતાના સ્થાનેથી ખસી જશે.”
14 બાબિલમાં વસતા વિદેશીઓ જેની પાછળ શિકારીઓ પડ્યાં છે, એવાં હરણાંની જેમ અથવા રેઢાં મૂકેલાં ઘેટાંની જેમ, પોતાને વતન પોતાના લોકોમાં ભાગી જશે. 15 બાબિલમાં રહેતા દરેક જણ જે પકડાઇ ગયાં છે, તેઓને ભાલાથી વીંધી નાખવામાં આવશે અને પકડાયેલો દરેક જણ તરવારનો ભોગ બનશે. 16 તેમનાં બાળકોને તેમનાં દેખતાં પછાડીને મારી નાખવામાં આવશે, તેમનાં ઘરો લૂંટી લેવામાં આવશે, અને તેમની સ્ત્રીઓની લાજ લૂંટવામાં આવશે.
17 “કારણ કે હું માદીઓને બાબિલની વિરુદ્ધ ઉશ્કેરીશ અને ચાંદીના કે સોનાના મોટા જથ્થા વડે તેઓ રીઝશે નહિ, 18 બાબિલના યુવાનો, બાળકો કે વૃદ્ધો પર લશ્કરના સૈનિકો દયા દાખવશે નહિ. 19 સદોમ અને ગમોરાનો નાશ યહોવાએ આકાશમાંથી આગ મોકલીને કર્યો હતો.
“તે જ પ્રમાણે રાજ્યોમાં સૌથી ગૌરવવાન, ખાલદીઓના વૈભવ અને ગર્વરૂપ બાબિલ તેમના હાથે ખેદાનમેદાન થઇ જશે. 20 એમાં ફરી કદી વસતિ થશે નહિ, દીર્ઘકાળપર્યંત એમાં કોઇ વસશે નહિ, કોઇ ભટકતી ટોળી પણ ત્યાં તંબુ તાણશે નહિ, કોઇ ભરવાડ ત્યાં ઘેટાબકરાંને પણ નહિ બેસાડે. 21 પણ ત્યાં જંગલી પ્રાણીઓ વસવાટ કરશે અને તેનાં ઘરો ઘુવડોથી ભરાઇ જશે; ત્યાં શાહમૃગનો વાસ થશે અને રાની બકરાં કૂદાકૂદ કરશે. 22 એનાં આલીશાન મકાનોમાં અને એનાં રંગમહેલોમાં વરુ અને શિયાળવાં ભૂંકતા રહેશે. એના દિવસો ભરાઇ ગયા છે, એનો સમય પૂરો થઇ ગયો છે.”
શરીરની એક્યતા
4 હું પ્રભુમાં આધિન છું તેથી હું બંદી ગૃહમાં છું અને દેવે તમને તેના લોકો તરીકે પસંદ કર્યો છે. હું તમને કહું છું દેવના લોકો જેવું જીવન જીવો. 2 હમેશા વિનમ્ર અને દીન બનો. ધીરજવાન બનો અને પ્રેમથી એકબીજાનું સહન કરો. 3 આત્મા દ્વારા તમે શાંતિમાં એક થયા છો. સંગઠીત રહેવાનો પ્રયત્ન ચાલુ રાખો. શાંતિ તમને એકસૂત્રમાં રાખે. 4 જે રીતે એક શરીર અને એક આત્મા છે તે જ રીતે દેવે તમને એક આશા રાખવા બોલાવ્યા છે. 5 એક પ્રભુ, એક વિશ્વાસ અને એક બાપ્તિસ્મા છે. 6 દેવ ફક્ત એક જ છે અને તે સર્વનો પિતા છે. તે બધું જ ચલાવે છે. તે સર્વત્ર અને બધામાં સ્થિત છે.
7 ખ્રિસ્તે આપણને બધાને વિશિષ્ટ કૃપાદાન આપ્યું છે. ખ્રિસ્તની ઈચ્છા અનુસાર દરેક વ્યક્તિ પુરસ્કૃત છે. 8 તેથી ધર્મશાસ્ત્રોમાં કહ્યું છે કે,
“તે ઊંચે આકાશમાં બંદીવાનો સાથે ગયો,
અને લોકોને દાન આપ્યાં.” (A)
9 “તે ઊંચે ચઢયો,” તેના અર્થ શું? એનો અર્થ એ કે પહેલા તે પૃથ્વી પર નીચે આવ્યો. 10 તેથી ખ્રિસ્ત પૃથ્વી પર નીચે આવેલો, તેનું જ ઉર્ધ્વગમન થયું. ખ્રિસ્ત બધી વસ્તુઓને તેનાથી ભરપૂર કરવાને સર્વ આકાશો પર ઊચે ચઢયો. 11 અને તે જ ખ્રિસ્તે જુદી વ્યક્તિઓને ભિન્ન ભિન્ન દાન આપ્યાં. તેણે કેટલીએક વ્યક્તિઓને પ્રેરિતો અને કેટલાએકને પ્રબોધકો, કેટલાએક લોકોને જઈને સુવાર્તા કહેવાનું કામ સોંપ્યું, જ્યારે કેટલાએકનું કામ સંતોની સંભાળ રાખવાનું અને તેઓને ઉપદેશ આપવો તે હતું. 12 દેવે આ દાન આપ્યો કે જેથી સેવા માટે સંતો તૈયાર થઈ શકે. તેણે ખ્રિસ્તના શરીરને વધુ શક્તિશાળી બનાવવા આ દાનો આપ્યાં. 13 આ કાર્ય ચાલુ રહે જ્યાં સુધી આપણે એક વિશ્વાસમાં અને દેવપુત્રના એક જ જ્ઞાન વિષે એકસૂત્રી ન બનીએ. આપણે પરિપક્વ માણસ (સંપૂર્ણ) જેવું બનવું જ જોઈએ-એટલે કે આપણો એટલો વિકાસ થવો જોઈએ કે જેથી ખ્રિસ્ત જેવા સર્વ સંપૂર્ણ બનીએ.
14 પછી આપણે બાળક જેવા અથવા મોજાની અસરથી દિશાશૂન્ય અથડાતા વહાણ જેવા નહિ હોઈએ. આપણે આપણને ઠગવાનો પ્રયત્ન કરતાં અને ભિન્ન પ્રકારનો ઉપદેશ આપતા માણસોથી પ્રભાવિત નહિ થઈએ. આ લોકો છેતરપીંડી કરીને લોકોને ખોટે માર્ગ અનુસરવા માટે યુક્તિનું આયોજન કરે છે. 15 ના! આપણે પ્રેમથી સત્ય બોલીશું. અને દરેક રીતે ખ્રિસ્ત જેવા બનવા આપણે વિકાસ કરીશું. ખ્રિસ્ત શિર છે અને આપણે શરીર છીએ. 16 આખું શરીર ખ્રિસ્ત ઉપર આધારિત છે. અને શરીરના પ્રત્યેક અવયવો એકબીજા સાથે સંગઠીત અને સંલગ્ન છે. દરેક અંગ પોતાનું કાર્ય કરે છે જેને કારણે આખા શરીરનો વિકાસ થાય છે અને તે પ્રેમ સાથે વધુ શક્તિશાળી બને છે.
તમારી જીવનપદ્ધતિ કેવી હોવી જોઈએ
17 પ્રભુનાં નામે હું તમને આ કહું છું. અને ચેતવું છું. જેઓ અવિશ્વાસુ છે તેમના જેવું જીવવાનું ચાલુ ન રાખો. 18 તેઓના વિચારોનું મૂલ્ય કશું જ નથી. તે લોકો કશું સમજતા નથી, તેઓએ કશું ય સાંભળવાની ના પાડી. અને તેથી તેઓ અજ્ઞાની છે, અને તેથી દેવ અર્પિત જીવન પણ તેમને મળ્યું નથી. 19 તેઓએ શરમની લાગણી વિના સર્વ પ્રકારના દુષ્કર્મ કરવાને આતુરતાથી પોતાને સોંપી દીધા છે. 20 પણ તમે ખ્રિસ્ત પાસેથી એ પ્રમાણે શીખ્યાં નથી. 21 મને ખબર છે કે તમે એના વિષે સાંભળ્યું છે, તમે તેનામાં એકરૂપ થયા છો, અને તમને સત્યનું શિક્ષણ મળ્યું છે, હા! ઈસુમાં સત્ય છે. 22 તમને પહેલાનું જીવન જીવતા અટકી જવાની, અને તમારું જૂનું માણસપણું વધુ ને વધુ અનિષ્ટ બનતું જાય છે. કારણ કે દુષ્કર્મો કરવાની ઈચ્છાથી લોકોને છેતરે છે. 23 અને તમારી મનોવૃત્તિઓમાં નવા થાઓ. 24 અને નવું માણસપણું જે દેવની ઈચ્છા પ્રમાણે ન્યાયીપણામાં તથા સત્યની પવિત્રતામાં સજાર્યેલુ છે. તે ધારણ કરો.
25 તેથી અસત્ય બોલતા તમારે અટકવું જ જોઈએ તમારે એકબીજા સાથે સત્યભાષી બનવું જોઈએ, કારણ કે આપણે બધા એ જ શરીરના અવયવો છીએ. 26 જ્યારે તમે ક્રોધિત થાઓ ત્યારે પાપ કરવા ન પ્રેરાશો. અને આખો દિવસ ક્રોધિત પણ ન રહેશો. 27 શેતાનને રસ્તો ન આપો. જેથી તેનાથી તમે હારી જાઓ. 28 ચોરી કરનારે ચોરી ન કરવી જોઈએ. અને પરિશ્રમ કરવો જોઈએ. અને પોતાના હાથનો ઉપયોગ સત્કર્મ માટે કરવો જોઈએ. તે પછી તે ગરીબ લોકોને કશુંક આપવા શક્તિમાન થઈ શકશો.
29 જ્યારે તમે બોલો, ત્યારે કટુવચન ના બોલો, એવું બોલો કે જેની લોકોને જરૂર છે, જે લોકોને શક્તિશાળી બનાવવામાં મદદરૂપ નીવડે. આમ કરવાથી તમારું સાંભળનારને તમે મદદરૂપ થઈ શકશો. 30 અને પવિત્ર આત્મા જેને તમે આધિન છો તે દેવે આપેલી સાક્ષી છે, તેથી પવિત્ર આત્માને દુઃખી ન કરશો. દેવે તમને એ આત્મા દર્શાવવા આપ્યો છે કે, દેવ યોગ્ય સમયે તમારો ઉદ્ધાર કરશે. 31 કડવા વચન બોલો નહિ, જે બીજા લોકોને નુકસાન કરે. કઈ પણ દુષ્કર્મ કરશો નહિ. 32 એકબીજા સાથે ભલા થાઓ અને પૂર્ણ પ્રેમાળ બનો. જે રીતે ખ્રિસ્તમાં દેવે તમને ક્ષમા આપી છે તેમ તમે એકબીજાને ક્ષમા કરો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International