Old/New Testament
સર્વત્ર ત્રાસ અને દુ:ખ
4 ત્યારબાદ મેં પાછા ફરીને વિચાર કર્યો, અને દુનિયા પર થતાં ત્રાસ અને દુ:ખ નિહાળ્યાં. ત્રાસ સહન કરનારાઓનાં આંસુ લૂછનાર અને તેમને સાંત્વના આપનાર કોઇ નહોતું; તેઓના પર ત્રાસ કરનારાઓ શકિતશાળી હતાં. 2 તેથી મને લાગ્યું કે જેઓ હજી જીવતાં છે તેઓ કરતાં જેઓ મૃત્યુ પામ્યા છે તેઓ વધારે સુખી છે; 3 વળી તે બંને કરતાંય જેઓ હજી જન્મ્યાં જ નથી અને જેઓની આંખોએ ત્રાસ અને દુનિયા પર થતાં ભૂંડા કૃત્યો જોયા નથી તે વધારે સુખી છે.
શા માટે આટલો સખત પરિશ્રમ?
4 વળી મેં જોયું કે કાર્ય કરવામાં આવડત અને પરિશ્રમને લીધે માણસ અને તેના પડોશી વચ્ચે ઇર્ષા ઉત્પન્ન થાય છે. એ પણ વ્યર્થ તથા હવામાં બાચકા ભરવાં જેવું છે.
5 મૂર્ખ કામ કરતા નથી અને પોતાની જાત પર બરબાદી લાવે છે. 6 અતિ પરિશ્રમ કરી અને પવનને પણ પકડવાના પ્રયત્નો કરી પુષ્કળ કમાવું તે કરતાં શાંતિસહિત થોડું કમાવું વધારે સારું છે.
7 ત્યારબાદ હું પાછો ફર્યો, અને મેં દુનિયા ઉપર વ્યર્થતા જોઇ. 8 જો માણસ એકલું હોય, અને તેને એક પુત્ર કે એક ભાઇ પણ ન હોય; છતાંય તે વધુ ધન પ્રાપ્ત કરવાં ખૂબ પરિશ્રમ કર્યા કરે છે “તેને સંતોષ નથી પણ આ પરિશ્રમ તે કોના માટે કરે છે? શા માટે તે પોતાને આનંદથી દૂર રાખે છે?” આ સર્વ પરિશ્રમ ફકત અક્કલહીન છે! અને તે ખોટનો ધંધો છે.
મિત્રો અને પરિવારથી શકિત મળે છે
9 એક કરતાં બે ભલા; કારણ કે બંનેએ સાથે મળીને કરેલી મહેનતનું ઘણું વધારે સારું ફળ તેઓને મળે છે.
10 જો બેમાંથી એક પડે તો બીજો તેને મદદ કરે છે; પરંતુ માણસ એકલો હોય, અને તેની પડતી થાય તો તેને મદદ કરનાર કોઇજ મળે નહિ અને ત્યારે તેની સ્થિતિ દયાજનક થાય છે.
11 જો બે જણા સાથે સૂઇ જાય તો તેઓને એક બીજાથી હૂંફ વળે છે. પણ એકલો માણસ હૂંફ કેવી રીતે મેળવી શકે?
12 એકલા માણસને હરકોઇ હરાવે, પણ બે જણ મળીને જીતી શકે છે; ત્રેવડી વણેલી દોરી સહેલાઇથી તૂટતી નથી.
રાજનીતિ અને પ્રસિદ્ધિ
13 કોઇપણ વૃદ્ધ અને મૂર્ખ રાજા કે જે કોઇની સલાહ સાંભળતો ન હોય, તેનાં કરતાં ગરીબ પણ જ્ઞાની યુવાન સારો હોય છે. 14 આ યુવાન જેલમાંથી મુકત થઇને રાજા બની શકે છે. અથવા તે દરિદ્રી પરિવારમાં જન્મ્યો હોય તો પણ રાજા થઇ શકે છે. 15 દુનિયા પરનાં સર્વ મનુષ્યોને મેં જોયા તો તેઓ બધા રાજાના વારસ બનેલા આ યુવાનની સાથે હતાં. 16 અસંખ્ય લોકો તેની સન્મુખ ઊભા હતાં, તો પણ તેના પછીની પેઢીનાં લોકો તેનાથી ખુશ નહોતા. તેથી ખરેખર એ પણ વ્યર્થ અને હવામાં બાચકા ભરવા જેવું છે.
દેવનો આદર
5 દેવના મંદિરમાં તમે જાઓ ત્યારે તમારાં પગલાં સંભાળો. ભૂંડુ આચરણ કરે છતાં તે બાબતમાં સભાન ન રહે તેવા મૂર્ખ માણસોના જેવા યજ્ઞાર્પણો લાવવા કરતાં દેવનાં વચનો ધ્યાનથી સાંભળવા તે વધારે ઉચિત છે. 2 તારા મુખે અવિચારી વાત કરીશ નહિ, દેવની સન્મુખ કંઇપણ બોલવા માટે તારું અંત:કરણ ઉતાવળું ન થાય; કારણ કે દેવ આકાશમાં છે, અને તું તો પૃથ્વી પર છે; અને તારા શબ્દો તો થોડા જ હોય.
3 કારણ કે અતિશય શ્રમની ચિંતાથી રાત્રે સ્વપ્નો આવે છે
અને બહુ બોલવાથી મૂર્ખની મૂર્ખાઇ ઉઘાડી પડી જાય છે.
4 જ્યારે તમે દેવ સમક્ષ જે પ્રતિજ્ઞા લીધી હોય તો તે પૂર્ણ કરવામાં વિલંબ ન કરો. કારણ કે દેવ મૂર્ખાઓ પર રાજી નથી હોતા; તમારી પ્રતિજ્ઞા પૂર્ણ કરો. 5 તમે પ્રતિજ્ઞા લો અને પાળો નહિ તેના કરતાં તમે પ્રતિજ્ઞા ના લો તે વધારે ઉચિત છે. 6 તમે તમારી જાત પાસે પાપ કરાવવા દેતા નહિ, દેવના દૂતને તમે એમ કહેતા નહિ કે તમારાથી ભૂલમાં વચન અપાઇ ગયું હતું, કારણ કે એ દેવને હજી વધારે ગુસ્સે કરાવશે. અને કદાચ તમારી સમૃદ્ધિ નષ્ટ કરશે. 7 કારણ કે અતિશય સ્વપ્નોમાં રાચવાથી, વ્યર્થ વિચારો કરવાથી અને ઝાઝું બોલવાથી આવું બને છે માટે તું યહોવાનો ડર રાખ.
પ્રત્યેક અધિકારીની ઉપર એક અધિકારી છે
8 જો તમે ગરીબો પર થતાં અત્યાચાર અને દેશમાં ન્યાયને ઊઁધા વાળતા અતિશય ત્રાસને જુઓ, તો તે વાતથી આશ્ચર્ય પામશો નહિ, કારણ કે પ્રત્યેક અધિકારી તેનાથી ઊંચા અધિકારીના હાથની નીચે છે અને ઊંચો અધિકારી તેના પર દેખરેખ રાખનારની નજર હેઠળ છે. 9 પૃથ્વીની ઊપજ તો તે બધાંને મળે છે. અને રાજા પણ તેના ખેતરોનો ગુલામ છે.
10 પૈસાનો લોભી પોતાની પાસે જે છે તેનાથી તૃપ્ત થશે નહિ; અને સમૃદ્ધિનો પ્રેમી લોભી પોતાની આવકથી કદી સંતોષ પામશે નહિ; આ બધું પણ વ્યર્થ છે.
11 જેમ તમારી પાસે શ્રીમંતાઇ વધતી જાય છે તેમ તેનો ઉપભોગ કરનારા પણ વધે છે; અને તેથી તેનાં માલિકને તો તે વપરાતી નજરે જોયા સિવાય બીજો શો લાભ થાય?
12 શ્રમ કરનાર મનુષ્ય ઓછું ખાય કે વધારે, પણ તે શાંતિથી ઊંઘી જાય છે. ધનવાન ચિંતા કર્યા કરે છે અને તેની સમૃદ્ધિ તેને શાંતિથી ઊંઘવા દેતી નથી.
13 મેં ત્યારબાદ દુનિયામાં સર્વત્ર એક ગંભીર બાબત જોઇ, એટલે સંપત્તિનો ધણી પોતાની હાનિને માટે જ દ્રવ્ય-સંગ્રહ કરી સંપત્તિ વધારે છે. 14 પરંતુ ખોટા સાહસને કારણે સંપત્તિ ચાલી જાય છે અને તેના પોતાના પુત્રોના હાથમાં પણ કઇં આવતું નથી.
15 માતાના ગર્ભાશયમાંથી મનુષ્ય નગ્નસ્થિતિમાં બહાર આવે છે અને જાય છે ત્યારે એ જ સ્થિતિમાં વિદાય લે છે. સખત પરિશ્રમ કરીને જે કાંઇ પ્રાપ્ત કર્યુ છે તેમાંથી તે કઇં પણ સાથે લઇ જતો નથી. 16 આ પણ એક ભારે દુ:ખ છે કે, જેવો તે આવ્યો હતો તે જ સ્થિતિમાં તેને પાછા જવું પડે છે; તે પવનને માટે પરિશ્રમ કરે છે અને અંતે સર્વ ઢસડાઇ જાય છે. 17 વળી તેનું સમગ્ર આયુષ્ય અંધકારમાં જાય છે, અને શોક, રોગ અને ક્રોધથી તે હેરાન થાય છે.
પોતાના જીવનના કર્મોમાં મોજમઝા કરો
18 જુઓ, મને મનુષ્યનાં માટે જે બાબત સારી લાગી તે એ છે કે, દેવે તેને આપેલા આયુષ્યના સર્વ દિવસોમાં ખાવું પીવું, અને દુનિયામાં જે સઘળો શ્રમ કરે છે તેમાં મોજમજા માણવી; કારણ કે એ જ તેનો ભાગ છે.
19 અને જો મનુષ્યને દેવ તરફથી સંપત્તિ પ્રાપ્ત થાય અને તેના ઉપભોગ માટે સારી તંદુરસ્તી પ્રાપ્ત થાય તે વધારે સારું છે. તેથી તેને પોતાના કામમાં આનંદ માણવો અને તેને મળતો ભાગ સ્વીકારવો-ખરેખર આ જ સાચી દેવ તરફથી મળતી ભેટ છે. 20 તેનાં જીવનનાં દિવસોનું તેને બહુ સ્મરણ રહેશે નહિ; કારણ કે તેના અંત:કરણનો આનંદ તો તેને દેવે આપેલો ઉત્તર છે.
અર્થવિહિન જીવનનો અનુભવ
6 મેં આ દુનિયામાં બીજી જાતનું દુ:ખ નિહાળ્યું છે, જે ઘણા લોકોને અસર કરે છે. 2 દેવે કેટલાંક મનુષ્યોને ધન-સંપત્તિ અને સન્માન પુષ્કળ પ્રમાણમાં આપ્યા છે પરંતુ તેઓને તે સર્વનો ઉપભોગ કરવાં તંદુરસ્તી આપી નથી. તેઓના મૃત્યુ પછી બીજાઓ તે બધું ભોગવે છે! આ પણ વ્યર્થતા છે, ભારે દુ:ખ છે!
3 જો કોઇ મનુષ્યને 100 સંતાનો હોય અને તે દીર્ઘાયુષ્ય ભોગવે પણ જો તે સુખી ન હોય અને તેના મૃત્યુ પછી તેને કોઇ યાદ ન કરે; તો હું કહું છું કે, એના કરતાં તો તે મરેલો જ જન્મ્યો હોત તો વધારે સારું હતું. 4 આવા બાળકનો જન્મ વ્યર્થ અને અંત અંધકારમય હોય છે; તેને નામ પણ અપાતું નથી. 5 વળી તેણે સૂર્યના દર્શન પણ કર્યા નથી, અને તેણે કશું જાણ્યું પણ નથી; છતાં પણ તેની દશા પેલા વૃદ્ધ અને દુ:ખી માણસ કરતાં સારી છે. 6 જો તેનું આયુષ્ય હજાર વર્ષ કરતાં બમણું હોય, અને છતાંય તે કઇં સુખ ભોગવે નહિ; તો તેનો અર્થ શો? શું છેવટે બધાં એક જ ઠેકાણે નથી જતાઁ?
7 ડાહ્યાં અને વિશેષમાં મૂર્ખા, સર્વ કોઇ પોતાના પેટ માટે શ્રમ કરે છે. છતાં પેટનો ખાડો કદી પૂરાતો નથી. 8 વળી મૂર્ખ કરતાં જ્ઞાનીને શું વધારે લાભ મળે છે? છતાં એક ગરીબ માણસ જીવનની મુશ્કેલીઓ સામે કેમ ચાલવું તે કેવી રીતે જાણે? 9 આ ભટકતી ઇચ્છાઓ કરતાં આપણી પાસે જે હોય તેમાં સંતોષ માનવો તે વધારે ઇષ્ટ છે; એ પણ વ્યર્થ તથા હવામાં બાચકા ભરવાં જેવું છે.
10 જે કાંઇ બની રહ્યું છે તેનું પહેલેથી ભૂતકાળમાં વર્ણન થઇ ગયું એ જાણીતું છે કે લોકો, તેઓ કરતા કોઇ વધારે બળવાન હોય તો જીરવી શકતા નથી. 11 વધારે બોલવાથી બોલેલું અર્થહીન થઇ જાય છે, તો બોલવું જ શા માટે?
12 કારણ કે મનુષ્ય છાંયડાની જેમ પોતાનું જીવન વ્યર્થ ગુમાવે છે, તેના જીવનનાં સર્વ દિવસોમાં તેને માટે શું ઇષ્ટ છે તે કોણ જાણે છે? કારણ કે કોઇ માણસની પાછળ દુનિયામાં શું થવાનું છે, તે તેને કોણ કહી શકે?
પાઉલના જીવનમાં વિશિષ્ટ આશીર્વાદ
12 મારે બડાશ મારવાનું ચાલું રાખવું જોઈએ. તે ખાસ મદદરૂપ નહિ થાય, પરંતુ હવે પ્રભુ તરફથી ઉદભવતા દર્શન અને પ્રકટીકરણ[a] વિષે હું વાત કરીશ. 2 હું ખ્રિસ્તમય બનેલી એવી વ્યક્તિને જાણું છું, જેને ત્રીજા આકાશમાં લઈ જવામાં આવ્યો હતો. આ 14 વર્ષ પહેલા બન્યું હતું. મને ખબર નથી કે તે માણસ તેના શરીરમાં હતો કે શરીરની બહાર હતો. પરંતુ દેવ જાણે છે. 3-4 અને મને ખબર છે કે આ વ્યક્તિને પારાદૈશમાં લઈ જવામાં આવ્યો. મને ખબર નથી કે તે તેના શરીરમાં હતો કે તેના શરીરથી દૂર હતો. પરંતુ તેણે એવી વસ્તુઓ સાંભળી હતી કે જે તે સમજાવી શક્યો નથી. તેણે એવી વાતો સાંભળેલી કે જે કહેવાની કોઈ વ્યક્તિને પરવાનગી નથી. 5 હું આવી વ્યક્તિ વિષે બડાશ મારીશ. પરંતુ હું ફક્ત મારા પોતાના વિષે બડાશો મારીશ નહિ. હું માત્ર મારી નબળાઈઓ વિષે બડાશ મારીશ.
6 પરંતુ જો મારે મારી જાત વિષે બડાઈ મારવી હોત તો, હું મૂર્ખ તો નહિ જ બનું. હું મૂર્ખ નહિ બનું કારણ કે હું સત્ય કહેતો હોઈશ. પરંતુ હું મારી જાત વિષે બડાઈ મારીશ નહિ. શા માટે? કારણ કે લોકો મને જે કરતા જુએ છે અને જે કહેતા સાંભળે છે, તેથી વિશેષ મારા માટે લોકો ધારે તેવી મારી ઈચ્છા નથી.
7 પરંતુ જે અદભુત વાતો મને બતાવવામાં આવી છે. તેના માટે વધારે પડતો ગર્વ અનુભવવો ના જોઈએ. તેથી કષ્ટદાયક સમસ્યા[b] મને આપવામાં આવી હતી. તે સમસ્યા તે શેતાન તરફથી આવેલો દૂત છે. તેને મને મારવા માટે અને વધુ પડતો ગર્વશાળી બનતો અટકાવવા માટે મોકલવામાં આવ્યો હતો. 8 મેં આ સમસ્યા મારાથી દૂર કરવા માટે પ્રભુને ત્રણ વાર પ્રાર્થના કરી. 9 પરંતુ પ્રભુએ મને કહ્યું કે, “મારી કૃપા તારે માટે પૂરતી છે. જ્યારે તું નિર્બળ બને છે, ત્યારે મારું સાર્મથ્ય તારી નિર્બળતામાં સંપૂર્ણ થાય છે.” તેથી મારી નબળાઈઓ વિષે બડાશ મારતા હું ઘણો પ્રસન્ન છું. પછી ખ્રિસ્તની શક્તિ મારામાં જીવશે. 10 તેથી જ્યારે મારામાં નબળાઈ આવે છે, ત્યારે હું પ્રસન્ન થાઉં છું. મારા વિષે લોકો જ્યારે ખરાબ બોલે છે, ત્યારે હું રાજી થાઉં છું. જ્યારે મને મુશ્કેલી પડે છે ત્યારે હું રાજી થાઉં છું. અને જ્યારે મારી આગળ સમસ્યાઓ હોય છે ત્યારે હું રાજી થાઉં છું. આ બધું જ ખ્રિસ્ત માટે છે. અને હું આ બધાથી આનંદીત છું, કારણ કે જ્યારે હું નિર્બળ હોઉં છું, ત્યારે હું મજબૂત હોઉં છું.
કરિંથીના ખ્રિસ્તીઓ પ્રત્યે પાઉલનો પ્રેમ
11 હું મૂર્ખની જેમ વાત કરી રહ્યો હતો. પરંતુ તમે મને એમ કરવા પ્રેર્યો. તમારે લોકોએ મારા વિષે સારું બોલવું જોઈએ. મારું કોઈ મૂલ્ય નથી, પરંતુ તે “મહાન પ્રેરિતો” નું મૂલ્ય મારા કરતા વધારે નથી! 12 હું જ્યારે તમારી સાથે હતો ત્યારે મે એવા કામો કર્યા જે પૂરવાર કરે કે હું પ્રેરિત છું – મેં ચિહ્નો બતાવ્યા, અદભૂત કાર્યો અને પરાક્રમો કર્યા. મેં ઘણી ધીરજથી આ કામો કર્યા. 13 તેથી બીજી મંડળીઓને જે પ્રાપ્ત થયું તે બધું જ તમને પ્રાપ્ત થયું. માત્ર એક બાબતમાં તફાવત હતો. હું તમને બોજારૂપ નહોતો. આ માટે મને માફ કરશો!
14 હવે ત્રીજી વખત તમારી મુલાકાત લેવા માટે હું તૈયાર છું. અને હું તમને બોજારૂપ બનીશ નહિ. તમારું જે કાંઈ છે, તેમાંથી મારે કશું જ જોઈતું નથી. હું તમને ઈચ્છું છું. બાળકોએ માતા પિતાને આપવા માટે કોઈ બચાવવાની જરૂર નથી, માતા પિતાએ તેમના બાળકોને આપવા બચાવવું જોઈએ. 15 મારી પાસે જે કાંઈ છે તે તમને આપતા મને આનંદ થાય છે. હું મારી જાત સુદ્ધા તમને આપીશ. જો હું તમને વધારે પ્રેમ કરું તો શું તમે મને ઓછો પ્રેમ કરશો?
16 એ સ્પષ્ટ છે કે હું તમને બોજારુંપ નહોતો. હું ચાલાક હતો અને તમને પકડવા જૂઠનો ઉપયોગ કરતો હતો તેવું તમે વિચારો છો. 17 તમારા પ્રતિ મોકલેલા કોઈ પણ માણસોનો ઉપયોગ કરીને શું તમને છેતર્યા છે? ના! તમે જાણો છો મેં એમ નથી કર્યુ. 18 મેં તિતસને તમારી પાસે જવા કહ્યું અને અમારા બંધુને મેં તેની સાથે મોકલ્યો. તિતસે તમને નથી છેતર્યા, ખરું ને? ના! તમે જાણો છો કે મને અને તિતસને એક જ આત્માએ દોર્યા છે. અને અમે એ જ માર્ગને અનુસર્યા છે.
19 તમે શું એમ માનો છો કે આ બધા સમય દરમ્યાન અમે અમારો બચાવ કરીએ છીએ? ના. અમે ખ્રિસ્ત થકી આ બધી વાતો કહીએ છીએ. અને દેવની સમક્ષ અમે આ બધી વસ્તુ કહીએ છીએ. તમે મારા પરમ મિત્રો છો. અને અમે જે કઈ કરીએ છીએ તે તમને વધુ સાર્મથ્યવાન બનાવવા કરીએ છીએ. 20 હું આમ કરું છું કારણ કે મને ભય છે કે હું તમને જેવા થવા ઈચ્છું છું તેવા તમે હશો નહિ. જ્યારે હું આવું છું અને તમે મને જેવો થવા ઈચ્છો છો તેવો હું હોઈશ નહિ. મને ભય છે કે તમારા સમૂહમાં વિવાદ, ઈર્ષા, ક્રોધ, સ્વાર્થ, ઝઘડા, દુષ્ટવાતો, ગપસપ, ઉધ્ધતાઈ અને મુંઝવણો હશે. 21 મને ભય છે કે જ્યારે હું ફરીથી તમારી પાસે આવીશ ત્યારે મારો દેવ મને તમારી આગળ નમ્ર બનાવશે. તમારામાંના ઘણા દ્વારા મને વિષાદ થશે. જેઓએ અગાઉ પાપો કર્યા છે તે માટે હું દિલગીર થઈશ. કારણ કે તેઓએ પસ્તાવો કર્યો નથી. તથા તેઓએ તેઓના પાપી જીવન માટે પશ્ચાતાપ કર્યો નથી. તેઓના વ્યભિચાર અને શરમજનક કૃત્યો માટે પણ તેઓએ પશ્ચાતાપ નથી કર્યો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International