Old/New Testament
દાઉદનું ગીત.
1 હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો,
મારી આજીજીનો જવાબ આપો
અને મને બતાવો કે તમે ભલા અને ન્યાયી છો.
2 હે યહોવા, મારી, તમારા સેવકની, ચકાસણી ન કરો,
કારણ કે તમારી આગળ કોઇ નિર્દોષ મળશે નહિ.
3 મારા શત્રુઓ મારી પાછળ પડ્યા છે;
તેઓએ મને જમીન પર પછાડ્યો છે,
અને અંધકારમાં પૂરી દીધો છે,
જાણે હું મરી ગયો હોઉં તેમ.
4 માટે મારો આત્મા ઘણો મૂંઝાઇ ગયો છે;
અને મારું અંત:કરણ સ્તબ્ધ થઇ ગયું છે.
5 હું ભૂતકાળનાં વર્ષો સ્મરું છું;
તે વખતે તમે મહિમાવંત ચમત્કારો કર્યા હતાં;
તેનું મનન કરું છું.
6 હું મારા હાથ તમારા ભણી પ્રસારું છું;
સૂકી ધરતીની જેમ મારો જીવ તમારા માટે તરસે છે.
7 હે યહોવા, મને જલ્દી જવાબ દો કારણકે હવે
હું નબળો થતો જાઉં છું;
તમે મારાથી મોઢું ફેરવશો તો
હું મૃત્યુ પામીશ.
8 મને પ્રભાતમાં તમારી કૃપા અનુભવવા દો;
કારણકે, હું તમારા પર ભરોસો રાખું છું.
જે માર્ગે મારે ચાલવું જોઇએ તે મને બતાવો, કારણકે,
હું મારું જીવન તમારા હાથોમાં મૂકું છું.
9 મારા શત્રુઓથી તમે મારી રક્ષા કરો;
સંતાવા માટે હું તમારે શરણે આવ્યો છું.
10 મને તમારી ઇચ્છા પ્રમાણે વર્તવાનું શીખવો;
કારણકે તમે મારા દેવ છો;
તમારો ઉત્તમ આત્મા મને સત્યને માર્ગે દોરી જાઓ.
11 હે યહોવા, તમારા નામને માટે મને જીવાડો;
તમારા ન્યાયીપણાથી મને મુશ્કેલીમાંથી બચાવો.
12 મારા પ્રત્યેની કૃપાથી તમે મારા શત્રુઓનો નાશ કરો;
અને મારા આત્માને સતાવનારાઓનો સંહાર કરો;
કારણકે હું તમારો સેવક છું.
દાઉદનું સ્તુતિગાન.
1 યહોવા મારો ખડક છે,
તેની સ્તુતિ કરો;
તે મારા હાથને અને મારી આંગળીઓને યુદ્ધમાં લડતાં શીખવે;
તે મને યુદ્ધ માટે પ્રશિક્ષણ આપે છે.
2 તે મારો ગઢ છે; મારો કિલ્લો છે;
મારું સાર્મથ્ય અને મારી સુરક્ષા છે;
તે મારા રક્ષક છે;
તે મારા લોકોને
મારે તાબે કરે છે.
યહોવા મારો સાચો પ્રેમ છે.
3 હે યહોવા, શા માટે તમે લોકોને મહત્વના ગણો છો?
તમે માણસોની નોંધ પણ શા માટે લો છો?
4 લોકોના જીવન તો પવનના સૂસવાટા જેવા હોય છે.
લોકોના જીવન તો પસાર થઇ રહેલા પડછાયા જેવા હોય છે.
5 હે યહોવા, તમારાં આકાશોને નીચે નમાવીને ઊતરી આવો;
પર્વતોને સ્પર્શ કરો; એટલે તેઓ ધુમાડામાં ફેરવાઇ જશે.
6 વીજળી ચમકે અને મારા શત્રુઓ વિખેરાઇ જાય.
તમારા “બાણ” ચલાવીને તેઓને વીધી મૂકો.
7 સ્વર્ગમાંથી નીચે ઊતરી આવો અને મને શત્રુઓના સમુદ્રમાંથી ઉગારો,
મને બહાર ખેચી કાઢો,
અને વિદેશીઓથી મને બચાવો.
8 તેઓ જૂઠું બોલે છે,
તેઓ છેતરપિંડી કરે છે.
9 હે યહોવા, દશ તારવાળાં વાજીંત્ર સાથે હું તમારી સમક્ષ નવું ગીત ગાઇશ,
તમારી સ્તુતિનું ગીત ગાઇશ.
10 તે રાજાઓને તારણ આપે છે;
તે પોતાના સેવક દાઉદને ઘાતકી તરવારથી બચાવનાર છે.
11 આ શત્રુઓથી; આ જૂઠાઓથી; મારી રક્ષા કરો;
આ વિદેશીઓ જે છેતરપિંડી કરે છે
તે લોકોથી તમે મને ઉગારો.
12 અમારા પુત્રો પોતાની યુવાવસ્થામાં વધેલા રોપા જેવા થાઓ;
અમારી પુત્રીઓ રાજમહેલના શણગારેલી ખૂણાની થાંભલીઓ જેવી થાઓ.
13 અમારી વખારો વિવિધ જાતના બધાં અનાજથી ભરપૂર થાઓ;
અને તે અમને હંમેશા મળતું રહે.
અમારાં ઘેટાં અમારા વાડાઓમાં હજારોને
દશ હજારો બચ્ચાં જણનાર થાઓ.
14 અમારા બળદો ખેતરોની પેદાશથી લાદેલા થાઓ;
અમારા નગર પર શત્રુઓનું આક્રમણ ન થાઓ;
સર્વત્ર શાંતિ વિસ્તરો;
શેરીઓમાં કોઇ અપરાધ ન કરો.
15 જે પ્રજાનું આ સત્ય વર્ણન છે; તે પ્રજાને ધન્ય હો.
જે પ્રજાના દેવ યહોવા છે તેઓને ધન્ય છે.
દાઉદનું ગીત.
1 હે મારા દેવ, મારા રાજા, હું તમારા નામનું ગૌરવ વધારીશ!
હું તમારા નામની સ્તુતિ સદાય અને હંમેશા કરીશ!
2 હું પ્રતિદિન તમારી પ્રશંશા કરીશ,
અને સદા હું તમારા નામની સ્તુતિ ગાઇશ.
3 યહોવા મહાન છે તે બહુ જ સ્તુતિપાત્ર છે;
તેમની મહાનતાનો તાગ પામી શકાય તેમ નથી.
4 પેઢી દરપેઢી તમારાં કામની પ્રશંસા થશે;
અને તમારા પરાક્રમનાં કાર્યો પ્રગટ કરાવાશે.
5 હું તમારી મહાનતા અને તમારા મહિમા વિષે બોલીશ;
હું તમારા અદ્ભૂત ચમત્કારો વિષે ચર્ચા કરીશ.
6 લોકો તમારાં પરાક્રમી કૃત્યોનું સાર્મથ્ય પ્રગટ કરશે;
હું તમારી મહાનતા વર્ણવીશ.
7 તેઓ તમારા અનહદ પરોપકારનું સ્મરણ કરીને તમારી કીર્તિ ગજાવશે;
અને તમારા ન્યાયીપણા વિષે ગીતો ગાશે.
8 યહોવા દયાળુ અને કૃપાળુ છે;
તે ક્રોધ કરવામાં ધીમા અને પ્રેમથી ભરપૂર છે.
9 તેઓ પ્રત્યેક સાથે ભલા છે;
અને તે જે કરે છે, તેમાં તેમની દયાની પ્રતીતિ થાય છે.
10 હે યહોવા, જે બધાં તમારું સર્જન છે તે બધાં તમારો આભાર માનો,
અને તમારા ભકતો તમારી સ્તુતિ કરે.
11 તેઓ ભેગા મળીને તમારા રાજ્યના મહિમા વિષે વાત કરશે; અને
તમારું પરાક્રમ પ્રગટ કરશે.
12 જેથી સર્વ લોકો તમારા ચમત્કાર વિષે,
તથા તમારા રાજ્યના મહિમા વિષે અને પ્રતાપ વિષે જાણે.
13 કારણકે તમારા રાજ્યનો અંત કદી આવતો નથી;
અને તમારું શાસન પેઢી દરપેઢી ચાલું રહે છે.
14 ભંગિત થયેલ સૌનો આધાર યહોવા પોતે છે;
બોજા તળે કચડાયેલાઓને તે બળવાન કરે છે.
15 સર્વ કોઇ તમને આતુરતાથી જોઇ રહ્યાં છે.
અને તેઓની જરૂરિયાત પ્રમાણે તમે અન્ન પૂરું પાડો છો.
16 પ્રત્યેક સજીવોની ભૂખ
અને તરસ તમે સતત સંતોષો છો.
17 યહોવા જે કઇ કરે છે તે સર્વમાં પ્રામાણિક
અને દયાથી ભરપૂર છે.
18 જેઓ પ્રામાણિકપણે તેમને મદદ માટે પોકારે છે;
તેઓની સાથે યહોવાની આત્મીયતા રહે છે.
19 યહોવાનો ભય રાખનારા, અને તેમના પર ભરોસો રાખનારાઓની મનોકામનાઓ પૂર્ણ કરે છે;
સદાય માટેની તેમની વિનંતીઓ સાંભળીને તેઓને છોડાવે છે.
20 તેમના પર પ્રેમ રાખનારા સર્વ કોઇનું તે રક્ષણ કરે છે;
પણ દુષ્ટોનો નાશ કરે છે.
21 હું મારા મુખે યહોવાની સ્તુતિ કરીશ;
તેમના પવિત્ર નામની સ્તુતિ દરેક જણ સદાકાળ કરતો રહેશે!
21 પવિત્રલેખમાં લખ્યું છે કે:
“જે લોકો જુદા પ્રકારની ભાષા બોલે છે
તેમની અને વિદેશીઓની વાણીનો ઉપયોગ કરીને
હું લોકોને ઉદબોધન કરીશ
પરંતુ તેમ છતાં આ લોકો મને કબૂલ કરશે નહિ.” (A)
પ્રભુ આમ કહે છે.
22 તેથી અન્ય ભાષા વિશ્વાસીઓને નહિપણ અવિશ્વાસીઓને ચિહનરુંપ છે; પણ પ્રબોધ વિશ્વાસીઓને નહિ પણ અવિશ્વાસીઓને ચિહનરુંપે છે. 23 ધારો કે આખી મંડળી ભેગી મળે અને સભામાં તમે બધા જુદી-જુદી ભાષાઓ બોલો, ત્યારે નહિ સમજનારા કે વિશ્વાસ વગરના કેટલાએક લોકો ત્યાં આવે તો તેઓ તમને કહેશે કે તમે ઘેલા છો. 24 પરંતુ ધારો કે તમે બધા પ્રબોધ કરી રહ્યા છો ત્યારે વિશ્વાસ વગરની બહારની કોઈ વ્યક્તિ ત્યાં આવે તો જ્યારે તમે પ્રબોધ કરી રહ્યા છો ત્યારે તે વ્યક્તિના પાપ તમે દર્શાવશો અને તમે બધા જે કહો છો તેનાથી તે વ્યક્તિનો ન્યાય થશે. 25 તે વ્યક્તિના હૃદયની રહસ્યમય વાત પ્રકાશમાં આવશે અને પરિણામે તે વ્યક્તિ નમન કરીને દેવનું ભજન કરશે અને કહેશે કે, “ખરેખર, દેવ તમારી સાથે છે.”
તમારી સભા મંડળીને મદદરૂપ થવી જોઈએ
26 તો ભાઈઓ અને બહેનો, તમારે શું કરવું જોઈએ? જ્યારે તમે મળો ત્યારે એક વ્યક્તિ ગીત ગાવા માટે હોય, બીજી વ્યક્તિએ બોધ આપવાનો હોય, બીજી વ્યક્તિ દેવ તરફથી પ્રગટેલા નૂતન સત્યને દર્શાવતી હોય, જ્યારે અન્ય વ્યક્તિ અન્ય ભાષા બોલતી હોય અને બીજી વ્યક્તિ આ ભાષાનું અર્થઘટન કરતી હોય. આ બધીજ બાબતોનો મૂળભૂત હેતુ મંડળીઓને વધુ શક્તિશાળી બનાવવાનો હોવો જોઈએ. 27 જ્યારે તમે એકત્રિત થાઓ અને કોઈ વ્યક્તિ સમૂહને અન્ય ભાષામાં ઉદબોધિત કરે ત્યારે બે કે વધુમાં વધુ ત્રણથી વધારે માણસોએ ન બોલવું જોઈએ. અને તેઓએ એક પછી એક બોલવું જોઈએ અને બીજી વ્યક્તિએ તે જે બોલે છે તેનું અર્થઘટન કરવું જોઈએ. 28 પરંતુ ત્યાં કોઈ પણ અર્થઘટન કરનાર ન હોય તો મંડળીની સભામાં અન્ય ભાષામાં બોલનારે શાંત રહેવું જોઈએ. તે વ્યક્તિએ માત્ર પોતાની જાતને અને દેવને ઉદબોધન કરવું જોઈએ.
29 અને માત્ર બે કે ત્રણ પ્રબોધકોએ જ બોલવું જોઈએ અને તેઓ જે બોલે છે તેનું બીજાઓએ મૂલ્યાંકન કરવું જોઈએ. 30 અને જે વ્યક્તિ બેઠેલી છે તેનામાં પ્રભુના સંદેશની પ્રેરણા જાગે તો પ્રથમ વસ્તાએ અટકી જવું જોઈએ. 31 તમે બધા એક પછી એક પ્રબોધ કરી શકો. આ રીતે બધા જ લોકોને ઉપદેશ આપી શકાય અને પ્રોત્સાહિત કરી શકાય. 32 પ્રબોધકોનો આત્મા પ્રબોધકોના પોતાના નિયંત્રણમાં હોય છે. 33 દેવ અવ્યવસ્થાનો નહિ પરંતુ શાંતિનો દેવ છે.
34 સ્ત્રીઓએ મંડળીની સભાઓમાં શાંત રહેવું જોઈએ. દેવના લોકોની બધી જ મંડળીઓમાં આમ જ હોવું જોઈએ. મૂસાનો નિયમ કહે છે તે પ્રમાણે સ્ત્રીઓને બોલવાની છૂટ ન આપવી જોઈએ અને તેમણે નિયંત્રણમાં રહેવું જોઈએ. 35 સ્ત્રીઓને પોતાને કઈક જાણવાની ઈચ્છા હોય તો તેમણે તેમના ઘેર તેમના પતિઓને પૂછવું જોઈએ. મંડળીની સભાઓમાં સ્ત્રીઓનું બોલવું ઘણું શરમજનક છે.
36 શું દેવનો ઉપદેશ તમારા થકી છે? ના! અથવા તમે માત્ર એક એવા છો કે જેમના આ ઉપદેશ પ્રાપ્ત થયો છે? ના! 37 જો કોઈ પણ વ્યક્તિ એમ ધારતી હોય કે તે પોતે પ્રબોધક છે અથવા તેને આત્મિક દાન મળેલું છે, તો તે વ્યક્તિએ સમજવાની જરુંર છે કે તમને જે આ હું લખું છું તે પ્રભુનો આદેશ છે. 38 જો તે વ્યક્તિ આ ન જાણતી હોય તો દેવ દ્વારા તે અજ્ઞાત છે.
39 તેથી મારા ભાઈઓ અને બહેનો, ખરેખર તમારે પ્રબોધ કરવાની અભિલાષા રાખવી જોઈએ, પરંતુ અન્ય ભાષામાં બોલવાનું દાન ધરાવતા લોકોને તે ભાષામાં બોલતા રોકશો નહિ. 40 પરંતુ દરેક વસ્તુ યોગ્ય અને વ્યવસ્થિત રીતે કરવી જોઈએ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International