Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
અયૂબ 30-31

30 “પરંતુ હવે જે મારા કરતાં ઉંમરમાં નાના છે.
    તેઓ પણ મારી મશ્કરી ઉડાવે છે.
અને તેઓના પિતા એટલા લાયકાત વગરના હતા કે
    હું તેઓને મારા ઘેટાંઓનું ધ્યાન રાખનાર કૂતરાઓ સાથે પણ રાખીશ નહિ.
એ યુવાન માણસોના પિતાઓ મને
    મદદ કરવા માટે ખૂબ નિર્બળ છે.
તેઓ વૃદ્ધ અને થાકેલા છે.
    તેઓના સ્નાયુઓ હવે મજબૂત અને કઠણ રહ્યાં નથી.
ખાવા માટે કંઇ ન હોવાને કારણે તેઓ ભૂખ્યા રહે છે.
    તેથી તેઓ રણની સૂકી ધૂળ ખાય છે.
તેઓ રણમાં ખારી ભાજી ચૂંટી કાઢે છે
    અને છોડના મૂળીયાં ખાય છે.
તેઓના નાગરિક તરીકેના હક પણ છીનવી લેવાયા હતાં.
    લોકો તેઓની પાછળ દોડતા હતા, જાણે તેઓ ચોર હોય અને પીછો થઇ રહ્યો હોય.
તેઓ ખીણમાં, ખડકોમાં, ગુફાઓમાં,
    અને ખાડાઓમાં પડી રહે છે.
તેઓ પશુની જેમ ઝાડીઓમાં બરાડા પાડે છે.
    તેઓ ઝાડ નીચે સમૂહમાં ભેગા થાય છે.
તેઓ દેશમાંથી કાઢી મૂકાયેલા નામ
    વગરના નિરર્થક લોકોનો એક સમૂહ છે.
હવે તે માણસોના પુત્રો અનુપ્રાસવાળી કવિતા ગાઇ મારી મશ્કરી કરે છે.
    હું તેઓ મધ્યે મશ્કરી રૂપ બન્યો છું.
10 તેઓ મારા પ્રત્યે ઘૃણા કરે છે અને મારી પાસે આવતા નથી.
    મારા મોં પર થૂંકતા પણ તેઓ અચકાતા નથી.
11 દેવે મારા ધનુષ્યની દોરી લઇ લીધી છે
    અને મને દુર્બળ બનાવી દીધો છે.
12 તેઓ મારી જમણી બાજુથી મારા પર હૂમલો કરે છે તેઓ મારા પગે ફટકો મારી પાડી દે છે.
    કબજે કરેલા નગર જેવું મને લાગે છે.
    હુમલો કરવા અને મારો નાશ કરવા તેઓએ ગંદા ટેકરા મારી દિવાલ સામે બાંધ્યા છે.
13 તેઓ રસ્તા તોડી નાખે છે જેથી હું ભાગી ન શકું.
    મારો નાશ કરવામાં તેઓ સફળ થયા છે.
    તેઓને કોઇની મદદની જરૂર નથી.
14 તેઓ દિવાલમાં એક કાણું પાડે છે.
    તેઓ તેની આરપાર ધસી જાય છે અને પથ્થરો મારી પર પડે છે.
15 હું ભયથી જુ છું,
    એ યુવાન માણસો જેમ પવન વસ્તુઓને ફૂંકી નાખે તેમ મારા સ્વમાન પાછળ પડ્યા છે.
    મારી સુરક્ષા વાદળોની જેમ ચાલી ગઇ છે.

16 “હવે મારું જીવન લગભગ લુપ્ત થઇ ગયું છે અને હું મરવાની અણી પર છું.
    દુ:ખના દિવસોએ મને ઘેરી લીધો છે.
17 રાત્રી દરમ્યાન મારા હાડકાઓને પીડા થાય છે,
    પીડા મને સતાવવાનું છોડતી નથી.
18 દેવે મારો કાંઠલો પકડ્યો
    અને મારા વસ્ત્રોને ચોળીને બગાડી નાખ્યા છે.
19 દેવે મને કાદવમાં ફેંકી દીધો છે.
    હવે હું ધૂળ તથા રાખ જેવો બની ગયો છું.
20 હે દેવ, હું કાલાવાલા કરું છું, પણ તમે મારું સાંભળતા નથી.
    હું તમારી સમક્ષ આવીને ઊભો છું પણ તમે મારી સામે નજર કરતા નથી.
21 તમે મારા પ્રત્યે નિષ્ઠુર થઇ ગયા છો.
    તમે તમારી શકિતનો ઉપયોગ મને ઈજા પહોંચાડવામાં કરો છો.
22 દેવ તમે મજબૂત પવનને મને ફૂંકી દેવા દો છો.
    તમે મને હવાના તોફાનમાં ઊછાળો છો.
23 હું જાણું છું કે તમે મને મોતને ઘાટ ઉતારી રહ્યા છો,
    જ્યા બધા જીવંત માણસોને મળવાનું છે ત્યાં તમે મને લઇ જાઓ છો.

24 “મુશ્કેલીમાં આવી પડેલો માણસ મદદને
    માટે કાલાવાલા કરે છે અને હાથ લંબાવે છે.
25 શું દુ:ખી માનવીઓ માટે મેં આંસુ સાર્યા નથી?
    દીનદુ:ખિયાઓ માટે મારું હૃદય શું રડી ઊઠયું નથી?
26 તેમ છતાં મેં જ્યાં સારી વસ્તુની આશા રાખી હતી
    ત્યાં મને ખરાબ વસ્તુ મળી, જ્યાં મેં પ્રકાશની આશા રાખી હતી ત્યાં મને અંધકાર મળ્યો.
27 મારું અંતર ઉકળે છે. દુ:ખનો અંત આવતો નથી.
    અને પીડા હજી તો શરૂજ થઇ છે.
28 હું સૂર્યના પ્રકાશ વિના, આખો વખત ઉદાસ અને ઉત્સાહ ભંગ રહું છું.
    જાહેર સભામાઁ ઊભો રહું છું અને મદદ માટે બૂમો પાડુઁ છું.
29 હવે હું રડતાં શિયાળવા જેવો
    અને ચીખતાં શાહમૃગો જેવો બની ગયો છું.
30 મારી ચામડી કાળી પડી ગઇ છે, અને ખરી પડી છે.
    મારું શરીર તાવથી તપી ગયું છે.
31 તેથી મારી વીણામાંથી હવે વેદનાના સૂર નીકળે છે,
    મારી વાંસળીમાંથી હવે વ્યથાનું સંગીત સંભળાય છે.
31 “મેં મારી આંખો સાથે કરાર કર્યો છે;
    કે કોઇ કુમારિકા સામે લાલસાભરી નજરે જોવું નહિ.
સર્વસમર્થ દેવ, લોકોને માટે શું કરે છે?
    તેના ઉચ્ચસ્થાનથી લોકોને બદલો કેવી રીતે આપે છે?
શું તે દુરાચારીઓને માટે વિપત્તિ
    અને ખોટું કરનારાઓ માટે વિનાશ મોકલી આપતા નથી?
શું તે મારા આચરણ નથી જોતા?
    અને મારા બધાં પગલાં નથી ગણતા?
જો મેં કપટ ભરેલો આચાર કર્યો હોય,
    અથવા જો મારો પગ કોઇને છેતરવા તરફ વળ્યો હોય;
જો દેવ ચોક્કસ માપનું ત્રાજવું ઊપયોગમાં લે
    તો તેને જાણ થશે કે હું નિર્દોષ છું.
જો હું સત્યના માર્ગથી પાછો ફર્યો હોઉં,
    મારી આંખોએ મારા હૃદયને અનિષ્ટ કરવા દીધું હોય અથવા તો
    જો મેં બીજા કોઇની નાની વસ્તુ પણ આંચકી લીધી હોય, તો દેવને જાણ થઇ જશે.
તો મારું વાવેલું અનાજ બીજાઓ ખાય
    અને મારા ઉગાવેલા છોડ ઊખેડી નાખવાનું યોગ્ય જ હશે.

“જો મારું મન કોઇ સ્ત્રી ઉપર લોભાયું હોય,
    જો મેં મારા પાડોશીના બારણે તેની પત્ની સાથે વ્યભિચાર કરવાની રાહ જોઇ હોય.
10 તો ભલે મારી પત્ની બીજા પુરુષ માટે રસોઇ કરે.
    અને ભલે બીજા પુરુષની થઇ જાય.
11 કારણકે જાતીય પાપ એ શરમજનક પાપ છે.
    એ તો ભયંકર શિક્ષાને પાત્ર છે.
12 તે તો એક અગ્નિ છે જે તમામ વસ્તુઓને સળગાવી નાખે છે.
    મેં જે કાઇ વાવ્યું છે તેને તે ઉખાડી શકે તેમ છે.

13 “મેં મારા કર્મચારીઓનો
    હક કદી ડૂબાડી દીધો નથી.
14 મેં જો એમ કર્યુ હોય તો જ્યારે દેવ મારી સામે આવીને ઊભા રહેશે તો હું શું કરીશ?
    જ્યારે તે પૂછશે મેં શું કર્યું, તો મારે શું કહેવું જોઇએ?
15 કારણકે જે દેવે મને સજ્ર્યો છે તેણે જ મારાં નોકરચાકરોને સર્જ્યા છે
    અ મને માતાઓના ગર્ભની અંદર દેવે અ મને સૌને આકાર આપ્યા છે.

16 “મેં ગરીબોને કશું આપ્યું ન હોય તેવું કદી બન્યું નથી
    અને વિધવાઓને મેં કદી રડાવી નથી.
17 અનાથો ભૂખ્યા હોય
    ત્યારે મેં એકલપેટાની જેમ કદી ખાધું નથી.
18 હું જુવાન હતો ત્યારથી મેં એમના પિતાની જેમ એમની સંભાળ લીધી છે
    અને વિધવાઓને તો મેં પહેલેથી જ મદદ કરી છે.
19 અને કોઇને ઠંડીથી થરથરતા અથવા તો
    એક ગરીબ માણસને ડગલા વગરનો જોયો હોય.
20     મેં હમેશા તેઓને કપડાં આપ્યા તેઓને હૂંફાળા કરવા
મેં મારા પોતાના ઘેટાંઓનું ઊન આપ્યું
    અને તેઓએ મને હૃદયપૂર્વક આશીર્વાદ આપ્યા.
21 મેં એક અનાથ મદદ માગવા માટે
    તે જ્યારે દરવાજા પર આવ્યો હોય ત્યારે હાથ ઉઠાવ્યો હોય.
22 જો મેં આવું કશું કર્યુ હોય તો મારો હાથ તોડી નાંખવામાં આવે
    અને તેને ખભામાંથી ખેંચી કાઢવામાં આવે!
23 પણ મેં કાંઇ ખોટુ કર્યુ નથી.
    હું દેવની શિક્ષાથી ડરું છું.
    તેની મહાનતા મને ડરાવે છે.

24 “મેં મારી ધનસંપત્તિ પર કદી આધાર રાખ્યો નથી,
    અને હંમેશા મદદ કરવા માટે મને દેવમાં વિશ્વાસ હતો.
    મેં કદી કહ્યું નથી કે શુદ્ધ સ્વર્ણ, ‘તુંજ મારી એકમાત્ર આશા છે.’
25 હું ધનવાન છું પણ તેથી હું અભિમાની નથી.
    હું ખૂબ પૈસા કમાયો.
પણ તે એકજ એવી વસ્તુ
    નથી જેનાથી હું સુખી થયો.
26 મેં તેજસ્વી સૂર્ય કે સુંદર
    ચંદ્રની પૂજા કરી નથી.
27 હું સૂર્ય અને ચંદ્રની પૂજા
    કરું એવો મૂર્ખ ન હતો.
28 તે પણ એક પાપ છે જેની સજા થવીજ જોઇએ.
    જો મેં એવી કોઇપણ વસ્તુની ઉપાસના કરી હોય તો હું દેવને વિશ્વાસુ રહ્યો હોઇશ નહિ.

29 “હું મારા શત્રુના દુ:ખે
    કદી ખુશ થયો નથી.
તેઓની મુશ્કેલીમાં મેં
    કદી હાંસી નથી ઉડાવી.
30 મે મારા મુખને મારા દુશ્મનોને શાપ આપવાનું
    અને તેઓ મરી જાય તેમ ઇચ્છવાનું પાપ કદી કરવા દીધું નથી.
31 મારા ઘરમાં દરેક જણ જાણે છે
    કે મેં અજાણ્યાને કાયમ ખાવાનું આપ્યું છે.
32 પરદેશીને માર્ગમાં ઉતારો કરવો પડતો નહોતો;
    પણ મુસાફરને માટે મારાઁ બારણાં હંમેશા ઉઘાડાં હતાં.
33 જો આદમની જેમ
    મેં મારાં પાપ સંતાડ્યાં હોય,
34 લોકો કદાચ શું કહેશે એવો મને કદી ડર લાગ્યો નથી.
    ડરે મને કદી ચૂપ રહેવા દીધો નથી.
એણે મને કદી બહાર જતા રોક્યો નથી.
    લોકોના મારા પરના ધિક્કારથી હું ડરતો નથી.

35 “અરે હું ઇચ્છું છું, મને કોઇ સાંભળતું હોત!
    મને મારી બાજુ સમજાવવા દો.
હું ઇચ્છું છું કે સર્વસમર્થ દેવ મને જવાબ આપે.
    હું ઇચ્છું છું કે તેને જે લાગે મેં ખોટું કર્યુ છે તો તે લખી નાખે.
36 તો હું એને મારે ખભે લટકાવીશ.
    હું રાજમુગટની જેમ તેને પહેરીશ.
37 હું મારા એકેએક પગલાનો અહેવાલ તેને આપીશ.
    હું મારું માથું ઊચુ રાખીને એની સામે ઊભો રહીશ.

38 “મેં મારી જમીન કોઇ પાસેથી ચોરી નથી,
    કોઇપણ મને તેની ચોરી માટે દોષિત ઠરાવી શકે તેમ નથી.
39 મેં હંમેશા ખેડૂતોને તેના ખોરાક માટે પૈસા ચૂકવ્યા,
    જે મને આ જમીનમાંથી મળ્યા.
મેં કદી બીજા માણસની જમીન
    તેને મારી નાખીને ઝૂંટવવાની કોશિષ કરી નથી.
40 જો મેં કોઇ આવી ખરાબ બાબત કરી હોય
    તો એવું થજો કે મારી જમીનમાં ઘંઉ અને જવને બદલે કાંટા અને ખડ ઉગે!”

અયૂબનું નિવેદન પૂરું થયું.

પ્રેરિતોનાં કૃત્યો 13:26-52

26 “મારા ભાઈઓ, ઈબ્રાહિમના વંશજોના દીકરાઓ અને તમે બિનયહૂદિઓ કે જેઓ સાચા દેવને ભજો છો, ધ્યાનથી સાંભળો! આ તારણ વિષેના સમાચાર અમને મોકલવામાં આવેલ છે. 27 યરૂશાલેમમાં રહેતા યહૂદિઓ અને યહૂદિ અધિકારીઓ ઈસુ તારનાર હતો તેનો અનુભવ કરતા નથી. પ્રબોધકોએ ઈસુ વિષે જે વચન કહ્યા છે તે પ્રત્યેક વિશ્રામવારે યહૂદિઓ સમક્ષ વાંચવામાં આવતા હતાં. પણ તેઓ સમજતા નહોતા. યહૂદિઓએ ઈસુનો તિરસ્કાર કર્યો, આ રીતે તેઓએ પ્રબોધકોના શબ્દોને સાચા બનાવ્યા! 28 ઈસુના મૃત્યુદંડ માટે તેઓને કોઇ ચોક્કસ કારણ જડ્યું નહિ પરંતુ તેઓએ પિલાતને તેને મારી નાખવા કહ્યું.

29 “ઈસુના વિષે થનારા ખરાબ બનાવોના લખાણો મુજબ યહૂદિઓએ સઘળું ખરાબ કર્યુ. પછી તેઓએ ઈસુને વધસ્તંભ પરથી ઉતારીને તેને કબરમાં મૂક્યો. 30 પણ દેવે તેને મૃત્યુમાંથી ઉઠાડ્યો! 31 આ પછી ઘણા દિવસો માટે જે લોકો ગાલીલથી યરૂશાલેમ ઈસુ સાથે ગયા હતા, તેઓએ ઈસુને જોયો. તેઓ હમણાં લોકોની આગળ તેના સાક્ષી છે.

32 “અમે દેવે અમારા પૂર્વજોને આપેલાં વચન વિષેની વધામણી કહીએ છીએ. 33 અમે તેનાં બાળકો છીએ. અને દેવે આ વચન અમારા માટે પરિપૂર્ણ કર્યુ છે. દેવે ઈસુને મૃત્યુમાંથી ઉઠાડીને આ કર્યુ છે. આપણે આ વિષે ગીતશાસ્ત્રમાં પણ વાંચીએ છીએ.

‘તુ મારો દીકરો છે,
    આજે હું તારો પિતા થયો છું.’(A)

34 દેવે ઈસુને મૃત્યુમાંથી ઉઠાડ્યો છે. ઈસુ ફરીથી કબરમાં કદાપિ જશે નહિ અને ધૂળમાં ફેરવાશે નહિ. તેથી દેવે કહ્યું:

‘હું તને સાચા અને પવિત્ર વચનો (આશીર્વાદો) આપીશ જે મેં દાઉદને આપ્યાં હતા.’(B)

35 પણ બીજી એક જગ્યાએ દેવ કહે છે:

‘તું તારા પવિત્રનાં શરીરને કબરમાં સડવા દઇશ નહિ.’(C)

36 “દાઉદ જ્યારે જીવતો હતો ત્યારે તેણે દેવની ઈચ્છા પ્રમાણે કર્યુ. પછી તે મૃત્યુ પામ્યો. દાઉદને તેના પૂર્વજોની સાથે દાટવામાં આવ્યો અને કબરમાં તેના શરીરને સડો લાગ્યો. 37 પણ એક જેને દેવે મૃત્યુમાંથી ઉઠાડ્યો તેનું કબરમાં કોહવાણ થયું નહિ. 38-39 ભાઈઓ, અમે તમારી આગળ જે પ્રગટ કરીએ છીએ, તે તમારે સમજવું જોઈએ કે તેના દ્ધારા પાપોની માફી તમને પ્રગટ કરવામાં આવે છે. તેના (ઈસુ) મારફત પ્રત્યેક વ્યક્તિ જે વિશ્વાસીઓ છે તેને બધામાંથી મુક્તિ મળશે. જેમાં મૂસાનો નિયમ પણ તમને મુક્ત કરી શકે તેમ નથી. પ્રત્યેક વિશ્વાસ કરનાર ઈસુ દ્ધારા ન્યાયી ઠરે છે. 40 ધ્યાનથી સાંભળો! રખેને પ્રબોધકોના લેખમાંનુ આ વચન તમારા પર આવી પડે કે:

41 ‘ઓ તિરસ્કાર કરનારાઓ!
    સાંભળો, તમે આશ્ચર્ય પામશો, અને નાશ પામશો;
કારણ કે તમારા સમય દરમ્યાન
    હું (દેવ) કંઈક કરીશ જે તમે માનશો નહિ.
કદાચ જો કોઇ તમને તે સમજાવે તો પણ તમે તે માનશો નહિ!’”(D)

42 જ્યારે પાઉલ અને બાર્નાબાસ સભાસ્થાન છોડતા હતા, લોકોએ પાઉલ અને બાર્નાબાસને આ પછીના બીજા વિશ્રામવારે આ વિષે વધારે કહેવા માટે ફરીથી આવવા કહ્યું. 43 સભા વિસર્જન થયા પછી, યહૂદિઓ અને ઘણા લોકો જે યહૂદિધર્મમાં પરિવર્તન થયા હતા અને સાચા દેવની ભક્તિ કરતા હતા તેઓ પાઉલ અને બાર્નાબાસને અનુસર્યા. પાઉલ અને બાર્નાબાસે તેઓને વાત કરી અને દેવની કૃપામાં ચાલુ રહેવા સમજાવ્યા.

44 બીજા વિશ્રામવારે, લગભગ શહેરના બધા જ લોકો પ્રભુનો બોધ સાંભળવા ભેગા મળ્યા. 45 યહૂદિઓએ આ બધા લોકોને ત્યાં જોયા. તેથી યહૂદિઓને વધારે ઈર્ષા થઈ. તેઓએ થોડાક અપશબ્દો કહ્યા. અને પાઉલે જે કહ્યું હતું તેના વિરોધમાં દલીલો કરી. 46 પણ પાઉલ તથા બાર્નાબાસે ઘણી હિંમત રાખીને કહ્યું, તેઓએ કહ્યું, “અમારે પ્રથમ તમને યહૂદિઓને દેવના વચનો કહેવા જોઈએ. પણ તમે ધ્યાનથી સાંભળવાની ના પાડી. તમે તમારી જાતે ખોવાઇ જાઓ છો, અનંતજીવન પામવાને તમે પોતાને અયોગ્ય ઠરાવો છો! તેથી અમે હવે બીજા રાષ્ટ્રોના લોકો પાસે જઈશું. 47 પ્રભુ એ આપણને જે કરવાનું કહ્યું છે તે આ છે. પ્રભુએ કહ્યું છે:

‘મેં તમને બીજા રાષ્ટ્રો માટેનો પ્રકાશ થવા બનાવ્યા છે,
    જેથી કરીને તમે આખા વિશ્વમાં લોકોને તારણનો માર્ગ બતાવી શકશો.’(E)

48 જ્યારે બિનયહૂદિઓએ પાઉલને આમ કહેતા સાંભળ્યો, ત્યારે તેઓએ ખુશ થઈને દેવનું વચન મહિમાવાન માન્યું અને લોકોમાંના ઘણાએ વિશ્વાસ કર્યો. તે લોકોની પસંદગી અનંતજીવન માટે કરવામાં આવી હતી.

49 અને તેથી આખા દેશમાં પ્રભુનો સંદેશ કહેવામાં આવ્યો હતો. 50 પરંતુ યહૂદિઓએ ધાર્મિક તથા કુલીન સ્ત્રીઓને તથા શહેરના અધિકારીઓને ઉશ્કેરણી કરીને પાઉલ અને બાર્નાબાસની સતાવણી કરાવી. પરિણામે આ લોકોએ પાઉલ અને બાર્નાબાસને શહેરની બહાર હાંકી કાઢ્યા. 51 તેથી પાઉલ અને બાર્નાબાસે તેમનાં પગોની ધૂળ ખંખેરી નાખી. પછી તેઓ ઈકોનિયા શહેરમાં ગયા. 52 પરંતુ અંત્યોખમાં ઈસુના શિષ્યો ખુશ હતા અને પવિત્ર આત્માથી ભરપૂર હતા.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International