New Testament in a Year
51 ઈસુની સાથેના શિષ્યોમાંના એકે લાંબો હાથ કરીને પોતાની તલવાર કાઢી. આ શિષ્યે મુખ્ય યાજકના નોકર પર હુમલો કર્યો અને કાન કાપી નાખ્યો.
52 ઈસુએ તે માણસને કહ્યું, “તારી તલવાર પાછી તેની જગ્યાએ મૂકી દે. જે લોકો તલવારનો ઉપયોગ કરે છે તેઓ તલવાર વડે મારી નંખાશે. 53 તમે ખરેખર જાણો છો કે મારા બાપ પાસે માંગણી કરું તો તે દૂતોની બાર ફોજ કરતાં વધારે આપી શકે. 54 પરંતુ ધર્મલેખોમાં કહ્યું છે તેથી એવું જ થવું જોઈએ.”
55 પછી ઈસુએ બધા લોકોને કહ્યું, “તમે તલવારો અને લાકડીઓ લઈને હું અપરાધી હોઉં તે રીતે મને પકડવા આવ્યો છો? હું હંમેશા મંદિરમાં બેસીને બોધ આપતો હતો. તમે ત્યાં મને પકડ્યો નહિ. 56 પરંતુ આ બધી ઘટનાઓ બની, તેથી પ્રબોધકોના લેખ પૂર્ણ થયા.” પછી ઈસુના બધા શિષ્યો તેને છોડીને દૂર નાસી ગયા.
યહૂદિ આગેવાનો સમક્ષ ઈસુ
(માર્ક 14:53-65; લૂ. 22:54-55, 63-71; યોહ. 18:13-14, 19-24)
57 ઈસુને જે માણસોએ પકડયો હતો તેઓ તેને પ્રમુખ યાજક કાયાફા પાસે દોરી ગયા. શાસ્ત્રીઓ અને વડીલ યહૂદિ નેતાઓ ત્યાં ભેગા થયા હતા. 58 પિતર ઈસુ પાછળ ગયો, પણ તે ઈસુની નજીક આવ્યો નહિ. પિતર પ્રમુખ યાજકના ઘરની ઓસરી સુધી ઈસુની પાછળ આવ્યો. તે અંદર ગયો અને ચોકીદારો સાથે બેઠો. પિતર જોવા ઈચ્છતો હતો કે અંતમાં ઈસુનું શું થશે.
59 મુખ્ય યાજકો અને સમગ્ર ન્યાયી સભાએ ઈસુની વિરૂદ્ધ કંઈ શોધવાનો પ્રયત્ન કર્યો, જેથી તેઓ તેને મારી નાખી શકે. તેઓએ લોકોને જૂઠી સાક્ષી કહેવડાવવા માટે પ્રયત્ન કર્યો કે ઈસુએ ખોટું કર્યુ છે. 60 ઘણા લોકો આવ્યા અને ઈસુ વિષે ખોટી વાતો કહી. પરંતુ સભાને ઈસુને મારી નાખવા માટે સાચું કારણ મળ્યું નહિ, પછી બે માણસો આવ્યા અને કહ્યું, 61 “આ માણસે કહ્યું છે કે, ‘હું દેવના મંદિરનો નાશ કરી શકું છું અને ફરીથી ત્રણ દિવસમાં બાંધી શકું છું.’”
62 પછીથી પ્રમુખ યાજક ઊભો થયો, અને તેણે ઈસુને કહ્યું, “આ લોકોએ તારી વિરૂદ્ધ કહ્યું છે. તારી વિરૂદ્ધમાં મુકાયેલા આક્ષેપો વિષે તારે કંઈક કહેવું છે? શું આ લોકો સાચું કહે છે?” 63 પણ ઈસુએ કંઈજ કહ્યું નહિં.
ફરીથી પ્રમુખ યાજકે ઈસુને કહ્યું, “હવે હું તને સોગંદ દઉં છું હું તને જીવતા દેવના અધિકારથી અમને સાચું કહેવા હુકમ કરું છું. અમને કહે, શું તું દેવનો દીકરો ખ્રિસ્ત છે?”
64 ઈસુએ કહ્યું, “હા, હું છું. ભવિષ્યમાં તમે માણસના દીકરાને દેવની જમણી બાજુએ બેઠેલો જોશો અને તમે માણસના દીકરાને આકાશના વાદળા પર આવતો જોશો.”
65 જ્યારે પ્રમુખ યાજકે આ સાંભળ્યું, ત્યારે તે ઘણો ગુસ્સે થયો. તેણે તેનાં વસ્ત્રો ફાડી નાંખ્યાં. અને કહ્યું, “હવે વધુ સાબિતીની જરૂર નથી, તમે બધાએ હમણા જ દેવ વિરૂદ્ધ બોલતાં સાંભળ્યો. 66 તમે શું વિચારો છો?”
યહૂદીઓએ ઉત્તર આપ્યો, “તે અપરાધી છે, અને તે મરણજોગ છે.”
67 પછી ત્યાં લોકો ઈસુના ચહેરા પર થૂંક્યા અને તેઓએ તેને મૂક્કીઓ મારી. બીજા લોકોએ ઈસુને થબડાકો મારી. 68 તેઓએ કહ્યું, “ઓ ખ્રિસ્ત! અમને કહે તને કોણે માર્યુ!”
પિતરનું ઈસુને હું ઓળખું છું કહેતાં ડરવું
(માર્ક 14:66-72; લૂ. 22:56-62; યોહ. 18:15-18, 25-27)
69 તે સમયે, પિતર પરસાળમાં બેઠો હતો. એક સેવિકા પિતર પાસે આવી. તેણે કહ્યું, “તું પણ ગાલીલના ઈસુની જોડે હતો.”
70 પણ પિતરે કહ્યું કે, તે ઈસુ સાથે કદી હતો નહિ. તેણે ત્યાં બધા લોકોને આ કહ્યું. પિતરે કહ્યું, “તમે કોના વિષે વાત કરો છો તે હું જાણતો નથી.”
71 પછી પિતરે પરસાળ છોડી, દરવાજા આગળ બીજી એક સેવિકાએ તેને જોયો. તેણે ત્યાં લોકોને કહ્યું, “આ માણસ ઈસુ નાઝારી સાથે હતો.”
72 ફરીથી, પિતરે દેવના સમ ખાઈન કહ્યું કે તે ઈસુ સાથે કદી ન હતો. પિતરે કહ્યું, “દેવના સોગંદ પૂર્વક કહું છું કે હું આ માણસ ઈસુને ઓળખતો નથી!”
73 થોડીવાર પછી ત્યાં ઊભેલા કેટલાક લોકો પિતર પાસે ગયા અને કહ્યું, “અમે જાણીએ છીએ કે ઈસુને અનુસરનારા તે લોકોમાંનો તું એક છે કારણ કે તું જે રીતે વાત કરે છે તે જ બતાવે છે. તેના આધારે અમે આ કહીએ છીએ.”
74 પછી પિતરે શાપ આપવાનું શરૂ કર્યુ. તેણે દ્ઢતાથી કહ્યું, “હું દેવના સમ ખાઉં છું કે હું આ માણસને ઓળખતો નથી.” પિતરના આમ કહ્યા પછી મરઘો બોલ્યો. 75 પછી ઈસુએ તેને જે કહ્યું હતું, તે પિતરને યાદ આવ્યુ, “મરઘો બોલતા પહેલા તું ત્રણ વાર કહીશ કે તું મને ઓળખતો નથી.” પછી પિતર બહાર ગયો અને ધ્રુંસકે ધ્રુંસકે રડયો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International