New Testament in a Year
ઈસુ દાન વિષે શિક્ષણ આપે છે
6 “સાવધાન રહો! તમે કોઈપણ સત્તકાર્યો કરો તો તે લોકોની સમક્ષ કરશો નહિ. લોકો તમને સારા કાર્યો કરતાં જુએ તે રીતે ના કરો. એમ કરશો તો આકાશના પિતા તરફથી તમને કોઈ જ બદલો મળશે નહિ.
2 “જ્યારે તમે ગરીબોને આપો તો તેની જાહેરાત કરશો નહિ. દંભી લોકો દાન આપતાં પહેલાં તેનાં બણગાં ફૂંકે છે અને લોકો તેમને આપતા જુએ એ રીતે જાહેરમાં ધર્મસ્થાનો અને શેરીઓમાં આપે છે. કારણ બીજા લોકો તેમને માન આપે તેવું તેઓ ઈચ્છે છે. હું તમને સત્ય કહું છું તેમને જે બદલો મળ્યો છે તે એટલો જ છે. 3 જેથી જ્યારે તમે ગરીબોને આપો તો ખાનગીમાં આપો, તમે શું કરો છો તેની કોઈને જાણ પણ થવા દેશો નહિ. 4 તમારું દાન ગુપ્ત હોવું જોઈએ. તમે જે કાંઈ ગુપ્ત રીતે કરો છો તે તમારો પિતા કે જે ગુપ્ત રીતે જે કાંઈ થાય છે તે જોઈ શકે છે. તે તમને બદલો આપશે.
ઈસુ પ્રાર્થના વિષે શિક્ષણ આપે છે
(લૂ. 11:2-4)
5 “જ્યારે તમે પ્રાર્થના કરો, ત્યારે દંભી લોકોની જેમ ના કરો. દંભી લોકો સભાસ્થાનોએ શેરીઓના ખૂણા પાસે ઉભા રહી મોટા અવાજથી પ્રાર્થના કરે છે. જેથી લોકો તેમને જોઈ શકે. હું તમને સત્ય કહું છું કે તેમને તેનો પૂરો બદલો મળી ગયો છે. 6 જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે તમારા ઓરડામાં જાઓ અને તમારા ઓરડાના બારણાં બંધ કરો. પછી તમારા પિતાને પ્રાર્થના કરો. તમારો પિતા ગુપ્ત રીતે કરવામાં આવેલાં કામ જોઈ શકે છે. અને તે તેનો તમને બદલો આપે છે.
7 “અને જ્યારે તમે પ્રાર્થના કરો, ત્યારે અધર્મીઓની જેમ પ્રાર્થના ના કરો, તેઓ માને છે કે દેવની પાસે ઘણી વાતો કરવાથી દેવ ચોક્કસ કાંઈક તો સાંભળશે જ. 8 તમે એવા લોકો જેવા ન બનો, તમે તેની પાસે માંગણી કરો તે પહેલા તમરા પિતા જાણે છે કે તમારે શાની જરૂર છે. 9 તેથી જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે તમારે આ પ્રમાણે પ્રાર્થના કરવી જોઈએ:
‘ઓ આકાશમાંના અમારા પિતા,
અમે પ્રાર્થના કરીએ કે તારું નામ હંમેશા પવિત્ર રહેવું જોઈએ.
10 તારું રાજ્ય આવે અને તું ઈચ્છે છે તેવી બાબતો જે રીતે આકાશમાં બને
છે તે રીતે પૃથ્વી ઉપર બને તે માટે અમે પ્રાર્થના કરીએ છીએ.
11 અમને અમારી રોજની જરૂરિયાત પ્રમાણે અન્ન આપ.
12 જે રીતે અમે અમારું ખરાબ કરનારને માફી આપી છે,
તે રીતે તું પણ અમે કરેલા પાપોની માફી આપ.
13 અને અમને લાલચમાં પડવા દઈશ નહિ;
પરંતુ શેતાનથી અમને બચાવ.’[a]
14 હા, જો તું બીજાઓનાં દુષ્કર્મો માફ કરશે, તો આકાશનો પિતા તારાં પણ દુષ્કર્મો માફ કરશે. 15 પરંતુ જો તું તારું ખરાબ કરનારને માફ નહિ કરે તો આકાશનો પિતા તને પણ માફ નહિ કરે.
ઈસુ ઉપવાસ વિષે શિક્ષણ આપે છે
16 “જ્યારે તમે ઊપવાસ કરો, ત્યારે તમારી જાતને ઉદાસ દેખાડશો નહિ, દંભીઓ એમ કરે છે. તેઓ તેમના ચહેરા વિચિત્ર બનાવી દે છે જેથી લોકોને બતાવી શકે કે તેઓ ઉપવાસ કરી હ્યા છે. હું તમને સત્ય કહું છું કે તે દંભી લોકોને તેનો બદલો પૂરેપૂરો મળી ગયો છે. 17 જ્યારે તું ઉપવાસ કરે ત્યારે, તારા માથા પર તેલ ચોપડ અને તારું મોં ધોઈ નાખ. 18 ત્યારે લોકોને ના જણાવો કે તમે ઉપવાસ કર્યા છે, તમારા પિતા જેને તમે જોઈ શક્તા નથી તે બધુંજ જુએ છે. તમે ગુપ્ત રીતે જે કંઈ કરો છો તે તમારા આકાશમાંના પિતા જુએ છે. અને તે તમને તેનો બદલો જરૂરથી આપશે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International