M’Cheyne Bible Reading Plan
શેષ પ્રેદશની વહેંચણી
18 સમગ્ર ઇસ્રાએલી લોકો શીલોહમાં એકત્ર થયા અને તેમણે મુલાકાતમંડપ ઉભો કર્યો, હવે બધાં ક્ષેત્રો જીતાઈ ગયા હતા અને તેમના તાબામાં હતા. 2 હજી ઇસ્રાએલીઓના સાત કુળસમૂહોને જમીનનો ભાગ મળ્યો નહોતો.
3 આથી યહોશુઆએ તેમને કહ્યું, “યહોવા તમાંરા પૂર્વજોના દેવે તમને આપેલી જમીન કબ્જે કરવાના સબંધમાં ક્યાં સુધી તમે આળસુ બની રહેવાનું ચાલુ રાખશો? 4 પ્રત્યેક કુળસમૂહમાંથી ત્રણ માંણસો પસંદ કરો; હું તેમને આખા દેશમાં મોકલીશ. અને તેઓ પ્રદેશનું વર્ણન લખશે અને માંરી પાસે પાછા આવશે. 5 તેઓ ભૂમિને 7 ભાગમાં વહેંચી દેશે; યહૂદા પોતાના દક્ષિણના નિવાસમાં જ રહેશે અને યૂસફના લોકો ઉત્તરના પોતાના નિવાસમાં રહેશે. 6 તમાંરો દેશ સાત ભાગોમાં વિભાજીત અને ચિત્રિત થવાનો છે, અને તે લઈને માંરી પાસે આવજો, ત્યારબાદ હું આપણા દેવ યહોવાની સાક્ષીએ ચિઠ્ઠી નાખીશ તમને ભાગ સરખા પ્રમાંણમાં વહેંચી આપીશ. 7 પણ તમાંરી વચ્ચે રહેતા લેવી કુટુંબના લોકોને તેમનો ભાગ નહિ મળે, કારણ યાજક તરીકે સેવા કરવી તે તેમનો ભાગ છે. ગાદ અને રૂબેન કુળોના લોકો અને અર્ધા મનાશ્શા કુળને યર્દન નદીની પૂર્વ ભાગની જમીન આપવામાં આવી હતી, જે મૂસા દેવના સેવકે તેમને આપી હતી.”
8 તેથી તે લોકો તેઓને ત્યાં શું મળ્યું તે વિશે યહોશુઆને અહેવાલ પાછો આપવા જમીન જોવા ગયા. યહોશુઆએ આ આદેશ તે માંણસોને આપ્યો: “તે જમીનનું વર્ણન લખો, તેમાંથી બધે મુસાફરી કરતી વખતે, અને પછી માંરી પાસે પાછા આવો. હું શીલોહ પર દેવની હાજરીમાં જમીનના વિભાજન માંટે ચિઠ્ઠીઓ નાખીશ.”
9 આથી તે માંણસોએ જઈને આખો દેશ જોઈને બધી વાતની નોંધ લીધી. તેઓએ બધા નગરો નોંધ્યાં અને ભૂમિને સાત ભાગમાં વહેંચી અને શીલોહની છાવણીમાં યહોશુઆની પાસે પાછા ફર્યા. 10 યહોશુઆ શીલોહમાં હતો, અને યહોવા પાસે ગયો અને તેની સામે ચિઠ્ઠીઓ નાખી અને ઇસ્રાએલીઓના દરેક કુળસમૂહને તેમનો પોતાનો ભાગ આપ્યો.
બિન્યામિનને મળેલો પ્રદેશ
11 બિન્યામિનના કુટુંબોનો ભાગ ચિઠ્ઠી નાખ્યાં પછી નક્કી થયો હતો. તેમને આપવામાં આવેલો પ્રદેશ યહૂદાના અને યૂસફના પ્રદેશ વચ્ચે આવેલો હતો. 12 ઉત્તરમાં તેમની સરહદ યર્દન નદીથી શરૂ થતી, અને ત્યાંથી નીચાણની ભૂમિ પર યરીખોની ઉત્તરમાં તે ચાલુ રહી અને પછી તે પર્વતીય ક્ષેત્રની પશ્ચિમે ગઈ અને બેથ-આવેન રણ ક્ષેત્ર સુધી ચાલુ રહી. 13 ત્યાથી એ સરહદ લૂઝની આજુબાજુ જાય છે, ત્યાંથી લૂઝ (એટલે કે બેથેલ) ના દક્ષિણ ઢોળાવ સુધી જાય છે. ત્યાંથી તે નીચે અટારોથ-આદાર જઈ, બેથ-હોરોનની નીચે દક્ષિણે આવેલા પર્વતીય દેશ સુધી જાય છે. 14 ત્યાંથી સરહદ ધારદાર વળાંક લઈને પશ્ચિમ બાજુ પર, દક્ષિણ બાજુ તરફ પર્વત પર કે જે બેથ-હોરોનની દક્ષિણે છે ત્યાં જઈ, અને તે કિયાર્થ-બઆલ (એટલે કે કિર્યાથ-યઆરીમ) કે જે યહૂદા લોકોનું નગર છે ત્યાં પૂરી થાય છે આ તેમની પશ્ચિમી સરહદ હતી.
15 દક્ષિણ છેડા તરફ કિયાર્થ-યઆરીમથી નેફતોઆહ નદી સુધી વિસ્તરી, 16 પછી સરહદ હિન્નોમની ખીણની સામે આવેલ પર્વતની તળેટી સુધી જાય છે કે રેફ્રાઈમની ખીણની ઉત્તરે છે, અને હિન્નોમ ખીણથી યબૂસી ઢોળાવ સુધી જઈ અને તે એન-રોગેલ સુધી જાય છે. 17 ત્યાંથી એ ઉત્તરમાં વળીને અદુમ્મીમ ઘાટની સામ ગલીલોથ સુધી ચાલુ હતી ત્યાંથી સરહદ રૂબેનના દીકરા બોહાનના પથ્થરની નીચે જતી હતી. 18 પછી સરહદ અરાબાહના ઉત્તર ભાગ સુધી જતી હતી, પછી યર્દનની ખીણમાં જઈ, 19 ત્યાંથી તે બેથ-હોગ્લાહના ઉત્તરીય ઢોળાવથી થઈ અને યર્દન દક્ષિણ છેડે મૃત સમુદ્રની ઉત્તરની ખાડી આગળ સરહદ પૂરી થાય છે. આ હતી દક્ષિણની સરહદો.
20 યર્દન નદી એ પૂર્વની સરહદ હતી. બિન્યામીનના કુળસમૂહના કુટુંબોને મળેલા પ્રદેશની આ સરહદો હતી. 21 બિન્યામીન કુળના કુટુંબો આ શહેરમાં રહ્યાં હતાં: યરીખો, બેથ-હોગ્લાહ, એમેક-કસીસ, 22 બેથ-અરાબાહ, સમાંરાઈમ, બેથેલ, 23 આવ્વીમ, પારાહ, ઓફ્રાહ, 24 કફાર-આમ્મોની, ઓફની અને ગેબા, બધા મળીને ત્યાં બાર શહેરો અને તેમનાં નજીકના ખેતરો હતાં.
25 ઉપરાંત, ગિબયોન, રામાં, બએરોથ, 26 મિસ્પેહ, કફીરાહ, મોસાહ, 27 રેકેમ, યિર્પએલ, તારઅલાહ, 28 સેલાહ, એલેફ, યબૂસીશહેર (યરૂશાલેમ) ગિબયાથ, અને કિર્યાથ, બધા મળી 14 શહેરો અને તેમના ખેતરો હતા, બિન્યામીનનાં કુટુંબને આ બધા ક્ષેત્રો તેમના ભાગ તરીકે મળ્યા.
શિમયોન વંશને મળેલ પ્રદેશ
19 શિમયોનના લોકોને જમીનનો બીજો ભાગ પ્રાપ્ત થયો. તેઓની ભૂમિ યહૂદાના લોકોના પ્રદેશની અંદર હતી. 2 તેઓને મળ્યા: બેર-શેબા, જે શેબા તરીકે ઓળખાય છે, માંલાદાહ, 3 હસાર-શૂઆલ, બાલાહ, એસેમ, 4 એલ્તોલાદ, બથૂલ હોર્માંહ, 5 સિકલાગ, બેથ-માંર્કાબોથ, હસાર-સૂસાહ, 6 બેથ-લબાઓથ અને શારૂહેન; અને આજુબાજુના ગામો સહિત કુલ 13 નગરો,
7 તદુપરાંત, આયિન, રિમ્મોન, એથેર અને આશાન એમ ગામો સહિત ચાર શહેરો પણ એમાં આવતાં હતાં. 8 એમાં બાઅલાથ-બએર અને નેગેવના રામાં સુધીનાં અને આ નેગેબની આજુબાજુના બધા ક્ષેત્રો તેનાં ગામડાઓ સાથે તેમજ શહેરો તેમાં આવરાયેલા હતાં. શિમયોનની કુળના લોકોને જે ભાગ મળ્યો તે આ પ્રમાંણે હતા. શિમયોનના કુળસમૂહે તેમનો પ્રદેશ યહૂદાની ભૂમિની અંદર મેળવ્યો. 9 યહૂદાના લોકો પાસે જોઈએ તે કરતાં વધારે પ્રદેશ હતો, તેથી શિમયોનનું ક્ષેત્ર તેમની ભૂમિ હતી.
ઝબુલોનને મળેલો પ્રદેશ
10 ઝબુલોન કુળસમૂહના કુટુંબોના ભાગમાં ત્રીજો ભાગ આવ્યો. તેમને મળેલો પ્રદેશ સારીદ સુધી વિસ્તાર પામેલો હતો. 11 ત્યાંથી પશ્ચિમ સરહદ માંરઅલાહની દિશામાં અને ત્યાંથી દાબ્બેશેથ સુધી અને યોકન-આમની પૂર્વે ખીણની પાસે. 12 સારીદની બીજી બાજુએ એ સરહદ પૂર્વમાં કિસ્લોથ-તાબોરની સરહદ સુધી ગઈ, ત્યાંથી દાબરાથ અને યાફીઆ સુધી ઉપર જતી હતી. 13 ત્યાંથી તે પૂર્વ દિશમાં આગળના પ્રદેશમાં ગાથ-હેફેર અને એથ કાસીન થઈ ત્યાંથી તે રિમ્મોન જાય છે અને ધારદાર રીતે નેઆહ તરફ વળે છે. 14 નેઆહમાં સરહદ ફરીથી વળી અને ઉત્તર તરફ હાન્નાથોન તરફ અને પછી યફતાએલની ખીણમાં જાય છે. 15 તદુપરાંત કાટ્ટાથ, નાહલાલ, શિમ્રોન, યિદઅલાહ અને બેથેલેહેમ એમ ગામો સહિત 12 નગરોનો તેમાં સમાંવેશ થતો હતો.
16 ઝબુલોનના વંશના કુટુંબોના ભાગમાં આ નગરો તેમના ગામો સહિત આવ્યાં હતાં.
ઈસ્સાખારને મળેલો પ્રદેશ
17 ઈસ્સાખારના કુળસમૂહના કુટુંબોને ભાગે ચોથો ભાગ આવ્યો. 18 એના પ્રદેશમાં યિજાએલ, કસુલ્લોથ, શૂનેમ, 19 હફારાઈમ, શીઓન, અનાહરાથ, 20 રાબ્બીથ કિશ્યોન, એબેસ, 21 રેમેથ, એન-ગાન્નીમ, એન-હાદાહ અને બેથ-પાસ્સેસનો સમાંવેશ થતો હતો.
22 એની સરહદ તાબોર, શાહસુમાંહ, અને બેથશેમેશને અડતી હતી અને યર્દન આગળ પૂરી થતી હતી, એમાં ગામો સહિત 16 નગરોનો સમાંવેશ થતો હતો. 23 ઈસ્સાખારના કુળસમુહના કુટુંબોના ભાગમાં આ નગરો તેમના ગામો સહિત આવી જતાં હતાં.
આશોરને મળેલો પ્રદેશ
24 આશેરના કુળસમૂહના કુટુંબોને ભાગે પાંચમો ભાગ આવ્યો. 25 એની સરહદમાં હેલ્કાથ, હલી, બેટેન, આખ્શાફ, 26 અલ્લામ્મેલેખ, આમઆદ, અને મિશઆલનો સમાંવેશ થતો હતો.
પશ્ચિમમાં એની સરહદ કાર્મેલને અને શીહોર-લિબ્નાથને અડતી હતી. 27 પૂર્વ તરફ વળ્યા પછી એ સરહદ બેથ-દાગોન થઈ ઝબુલોનને ઉત્તરમાં યફતાએલની ખીણને, બેથ-એમેક અને નેઈએલને અડીને ઉત્તર તરફ જઈ કાબૂલ, 28 એબ્દોન,[a] હેરોબ, હામ્મોન અને કાનાહથી છેક મહાન સિદોનથી. તે તેમની ભૂમિમાં સમાંવેશ પામતી હતી. 29 પછી તેમની સરહદ દક્ષિણ રામાં તરફ ફરી અને સોરના તેણે વિસ્તારેલા શહેર સુધી ગઈ ત્યાંથી. તે હોસાહ ગઈ અને તે આખ્ઝીબ નજીક સમુદ્રમાં અંત પામી. 30 એમાં મહલબ, આખ્ઝીબ, ઉમ્માંહ, અફેક, અને રહોબનો સમાંવેશ થતો હતો:
ગામો સહિત કુલ 22 નગરો. 31 આશેરના કુળસમૂહનાં કુટુંબોના ભાગમાં આ શહેરો તેમના ગામો સહિત આવ્યાં હતા.
નફતાલીને મળેલો પ્રદેશ
32 નફતાલીના કુળસમૂહના કુટુંબોને ભાગે છઠ્ઠો ભાગ આવ્યો. 33 તેમની સરહદ હેલેફ નજીક શરૂ થઈ, સાઅનાન્નીમમાં મોટા ઓક જાડથી અદામી નેકેબ અને યાબ્નએલ, લાક્કૂમ સુધી, અને તે યર્દન નદીએ પૂરી થઈ. 34 પશ્ચિમ દિશા પર સરહદ આઝનોથ તાબોર તરફ ફરી. અને ત્યાંથી તે હુક્કોક થોભી અને દક્ષિણમાં સરહદ ઝબુલોનને અડી અને પશ્ચિમ દિશામાં તે આશેર અડી અને પૂર્વમાં તેણે યર્દન નદીનો સમાંવેશ કર્યો જે યહૂદાના ક્ષેત્રને અડી. 35 એનાં ભાગમાં કિલ્લેબંદીવાળાં નગરો હતાં. સિદ્દીમ, સેર, હમ્માંથ, રાક્કાથ, કિન્નેરેથ, 36 અદામાંહ, રામાં, હાસોર, 37 કેદેશ, એડ્રેઈ, એનહાસોર, 38 યિરઓન, મિગ્દાલએલ, હોરેમ, બેથ-અનાથ અને બેથશેમેશ એમ ગામો સહિત ઓગગણીશ નગરો હતાં.
39 નફતાલીના કુળસમૂહના કુટુંબોના ભાગમાં આ નગરો તેમના ગામો સહિત આવ્યાં હતાં.
દાનને મળેલો પ્રદેશ
40 દાનના કુળસમૂહના કુટુંબોને ભાગે સાતમો હિસ્સો આવ્યો. 41 એમના પ્રદેશની સરહદમાં શોરાહ, એશ્તાઓલ, ઈર-શેમેશ, 42 શાઅલાબ્બીન, આયાલોન, યિથ્લાહ, 43 એલોન, તિમ્નાહ, એક્રોન, 44 એલ્તકેહ, ગિબ્બથોન, બાઅલાથ, 45 યહૂદ, બની-બરાક, ગાથરિમ્મોન, 46 મે-યાર્કોન, અને રાક્કોન તેમજ યાફોની સામે આવેલો પ્રદેશ સમાંઈ જતો હતો.
47 જ્યારે દાનના લોકો પોતાનો પ્રદેશ ખોઈ બેઠા ત્યારે તેમણે લેશેમ જઈને તેના ઉપર હુમલો કર્યો. અને તેને જીતી લીધું અને ત્યાંના લોકોને મોતને ઘાટ ઉતાર્યા; ત્યારબાદ તેમણે તેનો કબજો મેળવીને ત્યાં વસવાટ કર્યો. તેમણે તેનું નામ લેશેમ બદલીને પોતાના દાન કુળસમૂહના નામ પરથી “દાન” રાખ્યુ. 48 દાનનાં કુળસમૂહના કુટુંબોના ભાગમાં આ નગરો તેમના ગામો સહિત આવ્યાં હતાં.
યહોશુઆને મળેલો પ્રદેશ
49 આમ, સધળો પ્રદેશ સર્વ કુળસમૂહો વચ્ચે સીમાંવાર વહેંચવામાં આવ્યો; ઇસ્રાએલી પુત્રોએ પ્રદેશ વહેંચવાનું અને સરહદો નક્કી કરવાનું કામ પૂરું કર્યુ. 50 તેમણે નૂનના પુત્ર યહોશુઆને પ્રદેશનો એક ભાગ આપ્યો. યહોવાની આજ્ઞા પ્રમાંણે તેઓએ તેને એફ્રાઈમના પર્વતીય દેશમાં તિમ્નાથ-સેરાહ શહેર આપ્યું હતું. આ તે શહેર હતું જે યહોશુઆએ તેઓને કહ્યું હતુ કે તેને જોઈએ છે. યહોશુઆએ શહેર ફરીથી બાંધ્યું અને ત્યાં સ્થાયી થયો.
51 યાજક એલઆજાર, નૂનનો પુત્ર યહોશુઆ અને ઇસ્રાએલી કુટુંબોના આગેવાનો શીલોહે મળ્યા. અને યહોવાની સામે મુલાકાત મંડપાના પ્રવેશ દ્વાર આગળ ભેગા થયા. અને તેઓએ ચિઠ્ઠીઓ નાખી અને તે પ્રમાંણે તેમને જમીન ફાળવી અને આ રીતે તેઓએ લોકો વચ્ચે જમીનની ફાળવણી પૂરી કરી.
1 યહોવાની સ્તુતિ કરો!
તેમની સમક્ષ નવું ગીત ગાઓ;
સંતોની સભામાં તેની સ્તુતિ કરો.
2 ઇસ્રાએલ, તમારા સર્જનહારનાં અસ્તિત્વનો તમે આનંદ કરો;
સિયોનના લોકો, તમારા રાજાની નિકટતાનો આનંદ મનાવો.
3 તેઓ તેના નામની સ્તુતિ નૃત્યસહિત કરો;
ડફ તથા વીણાથી તેનાં સ્તોત્ર ગીત ગાઓ.
4 કારણકે યહોવા પોતાના લોકોમાં આનંદ માને છે;
અને નમ્રજનોનો ઉદ્ધાર કરે છે.
5 તેમનાં સંતો તેમના ગૌરવથી હરખાય છે;
પથારીમાં સૂતા હોય ત્યારે પણ તમે આનંદના ગીતો ગાઓ.
6 તેઓના કંઠમાંથી યહોવાની ઉત્તમ સ્તુતિ ગવાઓ;
અને તેઓના હાથમાં બેધારી તરવાર રહો.
7 તેઓ બીજા રાષ્ટ્રોને સજા કરે
અને તેમને પાઠ ભણાવે.
8 તેઓના રાજાઓને અને આગેવાનોને;
લોખંડની સાંકળોથી બાંધે.
9 અને તેઓને દેવના ચુકાદા મુજબ તેઓ સજા કરે!
યહોવા તેમના બધાં સંતોનો આદર છે.
યહોવાની સ્તુતિ કરો.
1 યહોવાની સ્તુતિ કરો!
તેમના મંદિરમાં તેમની સ્તુતિ કરો!
તેમના શકિતશાળી આકાશમાં તેમની સ્તુતિ કરો!
2 તેનાં પરાક્રમી કાર્યો માટે તેમની સ્તુતિ કરો;
તેમની અજોડ મહાનતા માટે તેમની સ્તુતિ કરો.
3 રણશિંગડા વગાડીને તેમની સ્તુતિ કરો;
સિતાર તથા વીણાથી તેમની સ્તુતિ કરો.
4 ખંજરી તથાનૃત્યસહિત તેમની સ્તુતિ કરો;
સારંગી તથા શરણાઇ સાથે તેમની સ્તુતિ કરો.
5 તીવ્ર સૂરવાળી ઝાંઝોના મોટા અવાજ સાથે તેમની સ્તુતિ ગાઓ,
ઝાંઝોના હર્ષનાદ સાથે તેમની સ્તુતિ કરો!
6 શ્વાસોચ્છ્વાસ લેનારાં સર્વ યહોવાની સ્તુતિ કરો!
તમે સૌ યહોવાની સ્તુતિ કરો!
9 મારું માથું જળાશય હોય તો કેવું સારું!
મારી આંખો આંસુના ઝરણાં હોય તો કેવું સારું! હું સદાકાળ ચિંતા કર્યા કરું;
મારા લોકોની હત્યાઓ માટે હું રાત-દિવસ કલ્પાંત કર્યા કરું!
2 અરે, હું તેઓથી દૂર ચાલ્યો જાઉં
અને તેઓને વીસરી જાઉં
અને અરણ્યમાં મને રહેવા માટે કોઇ ઝૂંપડી મળી જાય ને,
તો હું મારા લોકોને છોડીને ત્યાં ચાલ્યો જાઉં!
એ બધા બેવફા લોકો છે,
દગાબાજોની ટોળકી છે.
3 યહોવા કહે છે, “તેઓ ધનુષ્યની માફક
પોતાની જીભ વાળીને પોતાનાં અસત્યના બાણો ફેંકે છે.
તેઓ સત્યની પરવા કરતા નથી
અને તેઓ વધુ ને વધુ દુષ્ટ બનતા જાય છે;
તેઓ મારી પણ પરવા કરતા નથી.”
4 “પ્રત્યેક જણ પોતાના મિત્રથી સાવધ રહેજો,
ભાઇનો પણ વિશ્વાસ ન કરતા,
કારણ, એકેએક ભાઇ
યાકૂબ જેવો દગાબાજ છે.
5 અને એકેએક મિત્ર પોતાના મિત્રની
નિંદાત્મક જૂઠી વાતો ફેલાવે છે.
દરેક જણ પોતાના મિત્રને છેતરે છે,
કોઇ સાચું બોલતું નથી,
તેમની જીભ જૂઠું
બોલવા ટેવાઇ ગઇ છે.
6 તેઓ ખોટે માર્ગે ચડી ગયા છે,
પાછા ફરી શકે એમ નથી,
અન્યાય પર અન્યાય અને છેતરપિંડી
ઉપર છેતરપિંડી કર્યા જ જાય છે!
મારી પાસે આવવાનો સંપૂર્ણ ઇન્કાર કરે છે.”
આ યહોવાના વચન છે.
7 તેથી સૈન્યોનો દેવ યહોવા કહે છે,
“હું તેઓને દુ:ખરૂપી કુલડીમાં ઓગાળીશ.
હું તેઓને શુદ્ધ કરીશ અને ધાતુની જેમ
હું તેઓની પરીક્ષા કરીશ,
આ સિવાય તેઓને માટે હું બીજું શું કરું?
8 તેમની જીભ જીવલેણ બાણ જેવી છે,
તેઓ જૂઠાણું જ ઉચ્ચારે છે.
બધા મોઢે મીઠું બોલે છે,
પણ મનમાં એકબીજાને ફસાવવાના ઘાટ ઘડે છે.”
9 યહોવા પૂછે છે, “આ બધા માટે
મારે તેમને શું સજા ન કરવી?
આવી પ્રજા પર શું
મારો આત્મા વૈર નહિ લે?”
10 હું તેઓના પર્વતો અને ઘાસચારાના બીડો માટે વિલાપ
અને રૂદન કરતાં કરતાં તેમની તરફ નજર કરું છું;
તેઓ ઉજ્જડ થઇ ગયા છે,
તેમાં કોઇ જીવતું રહ્યું નથી.
ઢોરનો અવાજ સંભળાતો નથી
અને પક્ષીઓ તથા જંગલી પ્રાણીઓ પણ ત્યાં નથી;
સર્વ નાસી ગયા છે.
11 યહોવાએ કહ્યું, “યરૂશાલેમને હું ખંડેરોનો ઢગલો બનાવી દઇશ,
શિયાળોની બોડ બનાવી દઇશ,
અને હું યહૂદિયાના શહેરોને નિર્જન
વગડામાં ફેરવી નાખીશ.”
12 મેં પૂછયું, “યહોવા, કોણ એવો શાણો છે જે આ સર્વ સમજી શકે? તે સમજાવનાર યહોવાનો સંદેશાવાહક ક્યાં છે? વળી આ દેશ શા માટે અરણ્ય જેવો થઇ ગયો છે કે તેમાં થઇને મુસાફરી કરવાની કોઇ હિંમત કરતું નથી?”
13 યહોવાએ કહ્યું,
“એનું કારણ એ છે કે લોકોએ એમને માટે મેં રજૂ કરેલી નિયમસંહિતાનો ત્યાગ કર્યો છે.
તેમણે નથી મારું કહ્યું સાંભળ્યું કે
નથી તેનું પાલન કર્યું.
14 તેના બદલે તેઓએ પોતાને ગમ્યું તે કર્યું છે.
અને તેઓના પિતૃઓએ શીખવ્યા પ્રમાણે બઆલની મૂર્તિઓની પૂજા કરી છે.”
15 આથી હું, ઇસ્રાએલનો દેવ, સૈન્યોનો દેવ યહોવા કહું છું કે,
“હવે હું આ લોકોને ખાવા માટે કડવી વેલ
અને પીવા માટે ઝેર આપવાનો છું.
16 હું તેમને સમગ્ર વિશ્વમાં વિખેરી નાખીશ,
તેઓ દૂરના દેશોમાં વિદેશીઓ જેવા થશે;
ત્યાં પણ વિનાશકારી તરવાર તેઓનો પીછો કરશે.
આમ તેઓનો સંપૂર્ણ નાશ થશે.”
17 સૈન્યોનો દેવ યહોવા કહે છે,
“પરિસ્થિતિઓનો વિચાર કરીને દુ:ખનાં ગીતો ગાનારીઓને બોલાવો.
દુ:ખનાં ગીતો ગાવામાં જે
પારંગત હોય તેને બોલાવો;
18 જલદી કરો, તેમને કહો કે
‘આપણે માટે જલ્દી દુ:ખનાં ગીતો ગાય,
જેથી આપણી આંખોમાં ચોધાર આંસુ વહે
અને આપણી પાંપણો ભીંજાઇ જાય.’
19 “સિયોનમાં વિલાપના સ્વર સંભળાય છે:
‘આપણો વિનાશ કેટલો ભયંકર છે!
આપણે કેવા શરમિંદા થવું પડ્યું?
આપણને આપણી ભૂમિ છોડવાની ફરજ પડી,
કારણ કે તેઓએ આપણા
ઘરોને તોડી પાડયા છે.’”
20 પરંતુ હે વિલાપ કરનારી સ્ત્રીઓ,
દેવનો સંદેશો સાંભળો.
તે શું કહે છે તે ધ્યાનથી સાંભળો;
“તમારી પુત્રીઓને અને તમારી પડોશણોને મરશિયા ગાતાં શીખવો.
21 ‘મૃત્યુ આપણી બારીઓમાં થઇને આપણી હવેલીઓમાં અંદર ઊતર્યું છે.
અને આપણા બાળકોને વધેરી નાખ્યા છે.
તેઓ હવે રસ્તા પર રહ્યાં નથી,
અને તરુણો જાહેર ચોકમાં રહ્યાં નથી.’”
22 યહોવા કહે છે: “તેઓને આ પ્રમાણે કહો,
‘ખેતરમાં ખાતરની માફક
તથા કાપણી કરનારની પાછળ કલ્લા પડે છે
તેની માફક મૃત શરીરો ખેતરોમાં વિખરાયેલા હશે.
અને તેઓને દફનાવનાર કોઇ હશે નહિ.’”
23 યહોવા કહે છે,
“જ્ઞાનીએ પોતાના જ્ઞાનની કે બળવાને
પોતાના બળની કે ધનવાને
પોતાના ધનની બડાશ મારી અભિમાન કરવું જોઇએ નહિ.
24 પરંતુ તેઓ ફકત
આ એક બાબતમાં અભિમાન કરે
કે તેઓ મને સાચે જ ઓળખે છે અને સમજે છે
કે હું નિષ્પક્ષ અને ન્યાયી યહોવા છું
અને મારી પ્રીતિ અવિચળ છે
કારણ કે આ જ મને પસંદ છે.”
આ યહોવાના વચન છે.
25 યહોવા કહે છે કે, “એવો સમય આવે છે કે જ્યારે હું સર્વ બે સુન્નતીઓને શિક્ષા કરીશ; 26 જ્યારે મિસર, યહૂદિયા, અદોમ, આમ્મોન, અને મોઆબના વતનીઓને તેમજ જેઓ રણમાં ભટકતા ફરે છે અને તે બધાં જેઓ પોતાના વાળના ખૂણાઓ કાપે છે તેમને હું સજા કરનાર છું. કારણ, આ બધી પ્રજાઓની સુન્નત થઇ નથી અને ઇસ્રાએલીઓના હૃદય સુન્નત થયા નથી.”
ઈસુ ધાર્મિક નેતાઓની ટીકા કરે છે
(માર્ક 12:38-40; લૂ. 11:37-52; 20:45-47)
23 ઈસુએ પછી લોકોને અને તેના શિષ્યોને કહ્યું. ઈસુએ કહ્યું, 2 “યહૂદિ શાસ્ત્રીઓને તથા ફરોશીઓને મૂસાનો ઉપદેશ તમને સમજાવવાનો અધિકાર છે. 3 તેથી એ લોકો જે કહે તે પ્રમાણે વર્તજો અને તેમની આજ્ઞાનું પાલન કરજો. પરંતુ તે લોકો જે કરે છે તે પ્રમાણે તમે ન કરતા. હું એટલા માટે કહું છું કે, તેઓ જે ઉપદેશ આપે છે તે પ્રમાણે તેઓ પોતે વર્તતા નથી. 4 તેઓ એવા કડક નિયમો બનાવે છે કે લોકોને પાળવા મુશ્કેલ પડે છે. તે બીજા લોકોને નિયમોનું પાલન કરવા અનુરોધ કરે છે પરંતુ તે લોકો તેમાંનો એક પણ નિયમ પાળવા પ્રયત્ન કરતા નથી.
5 “તેઓ સારા કામ એટલા માટે કરે છે કે લોકો તેઓને જુએ. તેઓ પવિત્ર દેખાવા માટે શાસ્ત્ર વચનોના શબ્દો સાથેની પેટીઓ લઈ લે છે અને સ્મરણપત્રોને પહોળા બનાવે છે અને પોતાના ઝભ્ભાની ઝૂલને લાંબી કરે છે જેથી લોકો તેમને ધર્માત્મા સમજે, જુએ. 6 આવા ફરોશીઓ અને શાસ્ત્રીઓને જમણવારોમાં મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરવાનું ગમે છે અને સભાસ્થાનોમાં મુખ્ય સ્થાને બેસવાનુ ગમે છે. 7 બજારમાં લોકો તેમને માન આપે તે તેમને ગમે છે અને લોકો તેમને ‘ગુરું’ કહીને બોલાવે તેવુ તે ઈચ્છે છે.
8 “પરંતુ તમે ‘ગુરું’ ન કહેવાઓ કારણ તમારો ગુરું તો એક જ છે અને તમે બધા તો ભાઈ બહેન છો. 9 તમારામાંથી કોઈને પણ આ પૃથ્વી પર ‘પિતા’ ન કહો કારણ તમારો પિતા તો એક જ છે અને તે આકાશમાં છે. 10 તમે ‘સ્વામી’ પણ ન કહેવાઓ, કારણ તમારો સ્વામી તો ફક્ત એક જ છે અને તે માત્ર ખ્રિસ્ત, જે તમારા સ્વામી છે. 11 તમારામાં મહત્વપૂર્ણ વ્યક્તિ એ હશે કે જે તમારો સેવક બનશે. 12 જે પોતાની જાતને બીજા કરતા ઊંચો કરશે તેઓને નીચા કરવામાં આવશે. અને જેઓ પોતાને નીચો કરશે તેઓને ઊંચા કરવામાં આવશે.
13 “હે શાસ્ત્રીઓ અને ફરોશીઓ, તમને અફસોસ છે, તમે ઢોંગી છો, કારણ તમે આકાશના રાજ્યના દરવાજા લોકો માટે બંધ કરો છો. તમે પોતે આકાશના રાજ્યમાં પ્રવેશ કરતા નથી, અને જેઓ આકાશના રાજ્યમાં પ્રવેશ કરવા પ્રયત્ન કરે છે તેમને જવા દેતા નથી. [14 અરે, ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ; ઢોંગીઓ, તમને અફસોસ છે! કારણ કે તમે વિધવાઓની મિલકત હડપ કરી જાઓ છો અને ઢોંગ કરીને લાંબી પ્રાર્થનાઓ કરો છો તે માટે તમને સખત સજા થશે.]
15 “ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! તમારા માર્ગોને એક વ્યક્તિ અનુસરે માટે તમે સમુદ્ર તથા પૃથ્વી ફરી વળો છો; જ્યારે તમને તે વ્યક્તિ મળે છે ત્યારે તમે તેને પોતા કરતાં બમણો નરકનો દીકરો બનાવો છો!
16 “ઓ અંધ આગેવાનો તમારી કેવી દુર્દશા થશે? તમારો નિયમ છે કે ‘જો કોઈ પ્રભુ મંદિરના નામે સમ લે તો કાંઈ વાંધો નહિં, અને એ ના પાળે તો પણ ચાલે પણ મંદિરના સોનાના નામે સમ લે તો પછી તેણે તેના સમ પાળવા જોઈએ.’ 17 અરે ઓ અંધ મૂર્ખાઓ! વધારે મોટુ કયું, સોનું કે મંદિર? મંદિર મોટું છે કારણ એ મંદિરને લીધે સોનું પવિત્ર બન્યું છે.
18 “તમે એ પણ કહો છો, ‘કોઈ વેદીના સમ ખાય તો તે અગત્યનું નથી પરંતુ જો વેદી પર ચઢાવેલ વસ્તુના સમ ખાય તો તેણે તે સમ પાળવા જ જોઈએ.’ 19 અરે અંધજનો, કોણ મોટું, વેદી પર ચઢાવેલી વસ્તુ કે વેદી? જે અર્પણને પવિત્ર બનાવે છે? 20 તેથી જે કોઈ વેદીના સમ લે છે તે તેના તથા તેના પર મૂકેલ દરેક વસ્તુના સમ લે છે. 21 જે મંદિરના સમ લે છે તે તેની સાથે મંદિરમાં રહે છે તેના પણ સમ લે છે. 22 અને જે આકાશના સમ લે છે તે દેવના રાજ્યાસનની સાથે એ રાજ્યાસન પર બેસનારના પણ સમ લે છે.
23 “ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! તમે તમારી પાસે જે કાંઈ ફુદીનાનો, સૂવાનો, તથા જીરાનો દશમો ભાગ છે તે દેવને આપો છો. પરંતુ તમે વધારે નિયમશાસ્ત્રની મોટી વાતોનું પાલન કરતા નથી. તમે ન્યાયીકરણ, દયા અને વિશ્વાસની અવગણના કરો છો. તમારે આ બીજી બાબતોની ઉપેક્ષા કર્યા વિના તમારે આ બધાનું પાલન કરવું જોઈએ. 24 તમે લોકોને માર્ગદર્શન આપો છો, પણ તમે પોતે જ આંધળા છો! તમે તમારા પીણામાંથી માખી દૂર કરો છો પણ ઊંટને ગળી જાઓ છો.
25 “અરે ઢોંગી, યહૂદિ શાસ્ત્રીઓ અને ફરોશીઓ તમને અફસોસ છે! તમે તમારી વાટકીઓ, થાળીઓ બહારથી સાફ કરી રાખો છો, પરંતુ તમે તમારા પોતાના સંતોષ માટે લોકોને છેતરીને તેની અંદર જુલ્મ તથા અન્યાય ભરો છો. 26 ઓ આંધળા ફરોશી, પહેલા તું તારા થાળી વાટકા અંદરથી સાફ કર તો તેની સાથે સાથે વાસણ બહારથી પણ સ્વચ્છ થઈ જશે.
27 “અરે ઢોંગી, યહૂદિ શાસ્ત્રીઓ અને ફરોશીઓ તમને અફસોસ છે! કે તમે સફેદ ધોળેલી કબર જેવા છો. કારણ કે તે બહારથી સુંદર દેખાય છે પણ અંદરથી મરણ પામેલા લોકોનાં હાડકાઓ અને બધીજ જાતનો ગંદવાડ ભરેલો છે. 28 એવું જ તમારા માટે છે. લોકો તમને બહારથી જુએ છે તો તમે ન્યાયી જેવા દેખાવ છો. પણ અંદરથી તો તમે ઢોંગથી ભરેલા દુષ્ટ છો.
29 “અરે ઢોંગી, યહૂદિ શાસ્ત્રી અને ફરોશીઓ, તમને અફસોસ છે! કે તમે પ્રબોધકો માટે કબરો બનાવો છો અને ન્યાયી લોકોની કબરો શણગારો છો. 30 અને કહો છો, ‘જો પૂર્વજોના સમયમાં અમે હોત તો આ પ્રબોધકોને મારી નાખવા જરાપણ મદદ ન કરી હોત.’ 31 એટલે તમે એ સ્વીકારો છો કે જે લોકોએ પ્રબોધકોને મારી નાખ્યા છે તેમના જ તમે સંતાનો છો. 32 તેઓના પગલે ચાલીને અને તમારા બાપદાદાઓનાં પાપ પૂરા કરશો!
33 “ઓ સર્પો! સર્પોના વંશ! તમે નરકના દંડમાંથી કેવી રીતે બચી શકશો! 34 આથી હું તમારી પાસે પ્રબોધકને તથા જ્ઞાનીઓ તથા શાસ્ત્રીઓને મોકલું છું. તેઓમાંના કેટલાકને તમે વધસ્તંભે જડશો અને કેટલાકને મારી નાખશો. કેટલાકને તમે તમારા સભાસ્થાનોમાં કોરડા મારશો અને ગામેગામ તેઓની પાછળ પડશો.
35 “તેથી તમે પૃથ્વી પર સારી વ્યક્તિઓને મારી નાખવા માટે ગુનેગાર ઠરશો, ન્યાયી હાબેલને મારી નાખવામાં આવ્યો. તેનાથી માંડી બેરખ્યાના દીકરા ઝખાર્યાને મંદિરની તથા હોમવેદીની વચ્ચે મારી નાખવામાં આવ્યો. તેથી હાબેલ અને ઝખાર્યાના સમયમાં જે બધા સારા લોકો રહેતા હતા તેના મરણ માટે તમે ગુનેગાર છો. 36 હું તમને સાચે જ કહું છું. આ બધી વસ્તુઓ માટે આ પેઢીના લોકોને ભોગવવું જ પડશે.
યરૂશાલેમના લોકો પર ઈસુનો ખેદ
(લૂ. 13:34-35)
37 “ઓ યરૂશાલેમ, યરૂશાલેમ! પ્રબોધકોને મારી નાખનાર અને દેવના પ્રેરિતોને પથ્થરોથી મારી નાખનાર, હું ઘણીવાર તમારાં બાળકોને ભેગા કરવા ઈચ્છતો હતો, જેમ મરઘી પોતાના બચ્ચોઓને પાંખો તળે એકઠાં કરે છે, પણ તમે એવું ઈચ્છયું નહિ. 38 હવે તારું મંદિર પૂરેપૂરું ઉજજડ થઈ જશે. 39 હું તને કહું છું, ‘પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે’(A) એવું તમે નહિ કહો ત્યાં સુધી તમે મને ફરી કદી જોશો નહિ.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International