Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
યહોશુઆ 12-13

પરાજીત રાજવીઓ

12 ઇસ્રાએલીઓએ યર્દન નદીના પૂર્વકાંઠાનો સમગ્ર પ્રદેશ-અર્નોનની ખીણથી હેર્મોન પર્વત સુધીનો પ્રદેશ, અરાબાહની સમગ્ર પૂર્વીય બાજુ સાથે કબજે કરી લીધો. ઇસ્રાએલીઓએ પરાસ્ત કરેલા રાજાઓનાં નામ આ મુજબ છે:

હેશ્બોનવાસી અમોરીઓના રાજા સીહોન પાસે આર્નોનની ધારે આવેલા અરોએર અને ખીણનો મધ્યવર્તી પ્રદેશ, અને અર્ધા ગિલયાદ થી છેક આમ્મોનની સરહદ યાબ્બોક નદી સુધીનો પ્રદેશ હતો. તે પૂર્વીય યર્દનની ખીણ પર ગાલીલના સરોવરથી મૃતસરોવર સુધી, બેથ-યશીમોથ સુધીના અને દક્ષિણ તરફ પિસ્ગાહ પર્વતના ઢોળાવ પ્રદેશ સુધી રાજ્ય કરતો હતો.

બાશાનનો રાજા ઓગ, જે રફાઈઓમાંનો છેલ્લો હતો તે આશ્તારોથ અને એડ્રેઈમાં રહેતો હતો; તે હેર્મોન પર્વત, સાલખાહ અને છેક ગશૂરીઓ તથા માંઅખાથીઓની સરહદ સુધીના આખા બાશાન પ્રાંત ઉપર તથા છેક હેશ્બોનના રાજા સીહોનની સરહદ સુધી અડધા ગિલયાદ પ્રાંત ઉપર રાજ કરતો હતો.

યહોવાના સેવક મૂસાએ રાજાઓને ઇસ્રાએલીઓની મદદથી હરાવ્યા, અને તેમની ભૂમિ પ્રદેશ રૂબેન, ગાદના કુળસમૂહો અને મનાશ્શાના અડધા કુળસમૂહને મૂસા દ્વારા આપવામાં આવી હતી.

યહોશુઆ અને ઇસ્રાએલીઓએ યર્દન નદીની પશ્ચિમે લબાનોની ખીણમાં આવેલ બઆલ-ગાદથી સેઈર નજીક આવેલા હાલાક પર્વત સુધીના બધા રાજાઓને હરાવ્યા અને આ ભૂમિને કુળસમૂહો વચ્ચે તેમના ભાગ પ્રમાંણે વહેંચી આપી. પ્રત્યેક કુળસમૂહને પોતાનો ભાગ વહેંચી આપ્યો. આ વિસ્તારમાં યર્દનની ખીણમાં, પૂર્વીય ઢોળાવોમાં, પર્વતીય પ્રદેશોમાં, પશ્ચિમી ટેકરીઓમાં, અરણ્ય પ્રદેશમાં, નેગેબમાં. આ ભૂમિમાં હિત્તીઓ, અમોરીઓ, કનાનીઓ, પરિઝઝીઓ, હિવ્વીઓ તથા યબૂસીઓ રહેતા હતા.

યરીખોનો રાજા

બેથેલની પાસેના આયનો રાજા

10 યરૂશાલેમનો રાજા

હેબ્રોનનો રાજા

11 યાર્મૂથનો રાજા

લાખીશનો રાજા

12 એગ્લોનનો રાજા

ગેઝેરનો રાજા

13 દબીરનો રાજા

ગેદેરનો રાજા

14 હોર્માંહનો રાજા

અરાદનો રાજા

15 લિબ્નાહનો રાજા

અદુલ્લામનો રાજા

16 માંક્કેદાહનો રાજા

બેથેલનો રાજા

17 તાપ્પુઆહનો રાજા

હેફેરનો રાજા

18 એફેકનો રાજા

લાશ્શારોનનો રાજા

19 માંદોનનો રાજા

હાસોરનો રાજા

20 શિમ્રોન-મરોનનો રાજા

આખ્શાફનો રાજા

21 તાઅનાખનો રાજા

મગિદ્દોનો રાજા

22 કેદેશનો રાજા

કાર્મેલમાંના યોકનઆમનો રાજા

23 દોરના પર્વત ઉપરનો દોરનો રાજા

ગિલ્ગાલમાંના ગોઈમનો રાજા

24 તિર્સાહનો રાજા

આ સર્વ રાજાઓ મળીને કુલ 31 હતા.

હજી સુધી ન મળેલી ભૂમિ

13 હવે યહોશુઆ ખૂબ વૃદ્ધ થયો હતો અને યહોવાએ તેને કહ્યું, “તું વયોવૃદ્ધ થયો છે, અને હજી બીજાં ઘણાં રાજ્યો જીતવાના બાકી છે, જે આ પ્રમાંણે છે: પલિસ્તીઓનો સમગ્ર પ્રદેશ. ગશૂરીઓનો સમગ્ર પ્રદેશ, મિસરની પૂર્વમાં શીહોરથી ઉત્તરમાં એકોન જે કનાનીઓની ભૂમિ છે, પાંચ પલિસ્તી શાસકો ગાજા આશ્દોદ, આશ્કેલોન, ગિત્તી અને એક્રોન તથા આવ્વીની ભૂમિ, દક્ષિણમાં કનાનીઓની બધી ભૂમિ અને મઆરાહ જે સિદોની લોકોના કબજમાં હતો તથા એમોરીઓની સરહદમાં આવેલ એફેક, અને ગબાલીઓનો પ્રદેશ. અને પૂર્વ તરફનું આખું લબાનોન, હેર્મોન પર્વત નીચે બઆલ-ગાદથી લબનોન સુધી,

“લબાનોન થી મિસ્રેફોથ-માંઈમ સુધીના પર્વતીય દેશમાં રહેતા બધા સિદોની લોકો, ઇસ્રાએલી લોકોની સામે હું પોતેજ તેઓને હાંકી કાઢીશ. મેં તમને આજ્ઞા કરી હતી તેમ તમે ઇસ્રાએલીઓ વચ્ચે ભૂમિના ભાગલા પાડો ત્યારે આ ભૂમિ આવરી લેવાની ખાતરી કરો. હવે આ ભૂમિને નવ કુળસમૂહો અને મનાશ્શાના અર્ધા કુળસમૂહ વચ્ચે વહેંચી આપ.”

જમીનની ફાળવણી

રૂબેન અને ગાદના કુળસમૂહો અને મનાશ્શા કુળના બાકીના અડધાને યર્દન નદીને પૂર્વની જમીન મળી જે દેવના સેવક મૂસાએ તેમને આપી હતી. તેણે આ ભૂમિ આર્નોન ખીણની ધારે આવેલ અરોએરથી અને શહેર કે જે ખીણની વચ્ચે છે અને દીબોનથી મેદબા સુધીનો સમગ્ર સપાટ પ્રદેશ કબ્જે કર્યા હતાં. 10 અમોરી રાજા સીહોન જે હેશ્બોનથી ઓમ્મોનીટસની સરહદ સુધી રાજ્ય કરતો હતો, તેનાં બધાં શહેર. 11 અને ગિલયાદ; ગશૂર અને માંઅખાથ પ્રદેશ; હેર્મોન પર્વતનો સમગ્ર પ્રદેશ; બધું બાશાન છેક સાલખાહ, 12 ઓગ જેણે બાશાનમાં આશ્તારોથમાં અને એડ્રેઈમાં રાજ્ય કર્યુ તેનું સમગ્ર રાજ્ય તે ભૂમિ પર હતું. તે રફાઈઓનાં છેલ્લામાંનો એક હતો, કારણ મૂસાએ રેફાઈઓ પર હુમલો કર્યો હતો અને તેમને દૂર ખસેડી દીધાં હતાં. 13 પણ ઇસ્રાએલીઓએ ગશૂરીઓને અને માંઅખાથીઓને હાંકી કાઢયા ન હતાં. તેઓ આજે પણ ઇસ્રાએલના લોકો વચ્ચે રહે છે.

14 ફક્ત લેવી કુળસમૂહને કોઈ પણ ભૂમિ મળી ન હતી. તેઓનો ભાગ ફક્ત ઇસ્રાએલના દેવ યહોવાને અર્પાતા દહનાર્પણો માંથી જ મળતો હતો જેમ યહોવાએ તેમને વચન આપ્યું હતું.

15 મૂસાએ રૂબેનના કુળસમૂહને ભૂમિ આપી તેમની ટોળીઓ દ્વારા. 16 તેઓને પ્રાપ્ત થયેલો અરોએરનો પ્રદેશ જે અર્નોની ખાડીની ધારે આવેલો છે, અને નગર જે ખીણની મધ્યમાં આવેલું છે, અને મેદબાનો સમગ્ર સપાટ પ્રદેશ. 17 અને હેશ્બોનની સપાટ ભૂમિ અને તેના બધા નગરો, દીબોન, બામોથ-બઆલ, બેથ-બઆલમેઓન, 18 યાહાસ, કદેમોથ, મેફાઆથ, 19 કિર્યાથાઈમ, સિબ્માંહ, ખીણમાંના ડુંગર ઉપરનું સેરેથશાહાર, 20 બેથ-પેઓર, પિસ્ગાહ અને બેથયશીમોથની ટેકરીઓ, 21 ભૂમિમાં સપાટ ભૂમિમાં બધાં નગરો અને અમોરી રાજા સીહોન જે હેશ્બોનમાં રાજ્ય કરતો હતો તેના બધા રાજ્યોનો સમાંવેશ થતો હતો. મૂસાએ તેને અને મિધાઅનના નેતાઓ તથા અવી, રેકેમ, સૂર, હૂર અને શિઓનના[a] રેબાને પણ હરાવ્યા હતા. 22 જે લોકોને ઇસ્રાએલીઓએ યુદ્ધમાં માંરી નાખ્યા હતાં તેમાં બયોર ના દીકરા બલામ કે જે એક ભૂવો હતો તેનો પણ સમાંવેશ થતો હતો. 23 રૂબેનીઓની સરહદ યર્દન નદી અને તેના કાંઠાનો પ્રદેશ હતો, રૂબેનીઓને આ રગ્યા તેમની ટોળીઓ દ્વારા આપવામાં આવી હતી. જેઓને આ શહેરો ગામો સાથે આપવામાં આવ્યા હતાં.

24 મૂસાએ ગાદ કુળસમૂહને પણ તેમની ટોળીઓ પ્રમાંણે ભૂમિ આપી હતી.

25 તેમની પાસે યાઝેરની ભૂમિ, ગિલયાદના બધાં શહેરો અને અમોરીઓની અડધી ભૂમિથી છેક અરોએર સુધી, જે રાબ્બાહની પૂર્વે છે તે હતાં. 26 એ પ્રદેશ હેશ્બોનથી તે રામાંથ-મિસ્પાહ અને બટોનીમ સુધી અને માંહનાઈમથી દબીરની સરહદ સુધી વિસ્તરેલો હતો. 27 અને ખીણમાં બેથ-હારામ, બેથ-નિમ્રાહ, સુક્કોથ અને સાફોન અને હેશ્બોનના રાજા સીહોનનુ બાકીનું રાજ્ય. ઉત્તરમાં ગાલિલના સરોવરનો પ્રદેશ, યર્દન નદીના પુર્વકાંઠા સુધીનો બધાં પ્રદેશ આવરી લેવાયેલો હતો, જે તેમની પશ્ચિમ સરહદ હતી. 28 ગાદના કુળસમૂહોએ તે ટોળીઓ પ્રમાંણે પ્રાપ્ત કરી, તેમાં શહેરો અને તેના ગામડાઓનો સમાંવેશ થતો હતો.

29 મૂસાએ મનાશ્શાના અર્ધા કુળસમૂહને તેમની ટોળીઓ પ્રમાંણે જમીન આપી હતી. મનાશ્શા કુળસમૂહના અડધા કુટુંબોને આ પ્રદેશ મળ્યો હતો.

30 તેઓની હદ માંહનાઈમથી, આખું બાશાન, બાશાનના રાજા ઓગનું સમગ્ર રાજ્ય, બાશાનમાં આવેલા યાઈરનાં બધા શહેરો, કુલ 60 નગરો, 31 અને અડધું ગિલયાદ, બાશાનના નગરો આશ્તારોથ અને એડેઈ જ્યાં ઓગ રાજા રહેતો આ બધી ભૂમિ મૂસાએ મનાશ્શાના દીકરા માંખીરના અડધા કુટુંબોને આપી હતી.

32 તેમજ મૂસાએ તેઓને યર્દન નદી પાર, યરીખો પૂર્વે, મોઆબનો સપાટ પ્રદેશ આપ્યો હતો. 33 પરંતુ મૂસાએ લેવીના કુળસમૂહને કોઈ ભૂમિ આપી ન હતી. યહોવાએ પોતે જ તેમનો ભાગ થવાનું વચન તેમને આપ્યું હતુ. ઇસ્રાએલનો દેવ યહોવા એ જ તમાંરો ભાગ છે વતન વારસો છે, તમાંરી સર્વ જરૂરિયાતોનો સ્ત્રોત માંત્ર છે; અને તેથી યહોવા જ તેઓની પ્રત્યેક જરૂરિયાતની કાળજી રાખશે.

ગીતશાસ્ત્ર 145

દાઉદનું ગીત.

હે મારા દેવ, મારા રાજા, હું તમારા નામનું ગૌરવ વધારીશ!
    હું તમારા નામની સ્તુતિ સદાય અને હંમેશા કરીશ!
હું પ્રતિદિન તમારી પ્રશંશા કરીશ,
    અને સદા હું તમારા નામની સ્તુતિ ગાઇશ.
યહોવા મહાન છે તે બહુ જ સ્તુતિપાત્ર છે;
    તેમની મહાનતાનો તાગ પામી શકાય તેમ નથી.
પેઢી દરપેઢી તમારાં કામની પ્રશંસા થશે;
    અને તમારા પરાક્રમનાં કાર્યો પ્રગટ કરાવાશે.
હું તમારી મહાનતા અને તમારા મહિમા વિષે બોલીશ;
    હું તમારા અદ્ભૂત ચમત્કારો વિષે ચર્ચા કરીશ.
લોકો તમારાં પરાક્રમી કૃત્યોનું સાર્મથ્ય પ્રગટ કરશે;
    હું તમારી મહાનતા વર્ણવીશ.
તેઓ તમારા અનહદ પરોપકારનું સ્મરણ કરીને તમારી કીર્તિ ગજાવશે;
    અને તમારા ન્યાયીપણા વિષે ગીતો ગાશે.

યહોવા દયાળુ અને કૃપાળુ છે;
    તે ક્રોધ કરવામાં ધીમા અને પ્રેમથી ભરપૂર છે.
તેઓ પ્રત્યેક સાથે ભલા છે;
    અને તે જે કરે છે, તેમાં તેમની દયાની પ્રતીતિ થાય છે.
10 હે યહોવા, જે બધાં તમારું સર્જન છે તે બધાં તમારો આભાર માનો,
    અને તમારા ભકતો તમારી સ્તુતિ કરે.
11 તેઓ ભેગા મળીને તમારા રાજ્યના મહિમા વિષે વાત કરશે; અને
    તમારું પરાક્રમ પ્રગટ કરશે.
12 જેથી સર્વ લોકો તમારા ચમત્કાર વિષે,
    તથા તમારા રાજ્યના મહિમા વિષે અને પ્રતાપ વિષે જાણે.
13 કારણકે તમારા રાજ્યનો અંત કદી આવતો નથી;
    અને તમારું શાસન પેઢી દરપેઢી ચાલું રહે છે.

14 ભંગિત થયેલ સૌનો આધાર યહોવા પોતે છે;
    બોજા તળે કચડાયેલાઓને તે બળવાન કરે છે.
15 સર્વ કોઇ તમને આતુરતાથી જોઇ રહ્યાં છે.
    અને તેઓની જરૂરિયાત પ્રમાણે તમે અન્ન પૂરું પાડો છો.
16 પ્રત્યેક સજીવોની ભૂખ
    અને તરસ તમે સતત સંતોષો છો.
17 યહોવા જે કઇ કરે છે તે સર્વમાં પ્રામાણિક
    અને દયાથી ભરપૂર છે.
18 જેઓ પ્રામાણિકપણે તેમને મદદ માટે પોકારે છે;
    તેઓની સાથે યહોવાની આત્મીયતા રહે છે.
19 યહોવાનો ભય રાખનારા, અને તેમના પર ભરોસો રાખનારાઓની મનોકામનાઓ પૂર્ણ કરે છે;
    સદાય માટેની તેમની વિનંતીઓ સાંભળીને તેઓને છોડાવે છે.
20 તેમના પર પ્રેમ રાખનારા સર્વ કોઇનું તે રક્ષણ કરે છે;
    પણ દુષ્ટોનો નાશ કરે છે.
21 હું મારા મુખે યહોવાની સ્તુતિ કરીશ;
    તેમના પવિત્ર નામની સ્તુતિ દરેક જણ સદાકાળ કરતો રહેશે!

યર્મિયા 6

યરૂશાલેમ પર આક્રમણનો ભય

“હે બિન્યામીનના લોકો, જીવ બચાવવા ભાગો,
    યરૂશાલેમમાંથી નીકળી જાઓ,
તકોઆમાં રણશિંગડું વગાડો
    અને બેથ-હાક્કેરેમ પર ચેતવણીનો દીવો પેટાવો,
સર્વને ચેતવણી આપો કે ઉત્તર તરફથી
    સાર્મથ્યવાન લશ્કર મહાવિનાશ કરવા આવી રહ્યું છે.
તુ ખૂબ સુંદર અને અડકવામાં નાજુક છે,
    પણ સિયોનની દીકરી, હું તારો નાશ કરવાનો છું.
ઘેટાંપાળકો પોતાનાં ટોળા લઇને ત્યાં આવે છે.
    એની ફરતે તંબુઓ નાંખે છે,
દરેક જણ પોતાને ગમે
    તે જગ્યાએ ચરશે.”

તેઓ કહે છે: “તેની સામે યુદ્ધે ચડવા માટે તૈયાર થાઓ;
    ચાલો, આપણે ભરબપોરે તેના પર હુમલો કરીએ.
હાય રે! દિવસ તો ઢળી ગયો,
    સંધ્યાની છાયા લંબાતી જાય છે!
તો ચાલો, આપણે તેના પર રાતે હુમલો કરીને
    તેના મહેલોનો નાશ કરીએ.”

આમ સૈન્યોના દેવ યહોવાએ આ પ્રમાણે કહ્યું છે,
    “તેણીના વૃક્ષો કાપી નાખો
    અને યરૂશાલેમ પર આક્રમણ કરવા મોરચાઓ ઊભા કરો.
આ નગર તો દંડને પાત્ર છે
    કારણ કે એમાં જુલમ સિવાય બીજું કશું નથી.
જેમ ઝરો પાણીથી ઊભરાય છે
    તેમ એ દુષ્ટતાથી ઊભરાય છે.
નગરમાં મારઝૂડ અને લૂંટફાટ સિવાય કશું જ સંભળાતું નથી,
    માંદગી અને ધા સિવાય કશું જોવા મળતું નથી.
માટે યરૂશાલેમ, આ ચેતવણી પર
    તું ધ્યાન આપ.
નહિ તો ધૃણાથી હું તારો ત્યાગ કરીશ.
    તને વસ્તી વગરનું વેરાન બનાવી દઇશ.”

સૈન્યોના દેવ યહોવાએ મને કહ્યું,
“તમારા પર એક પછી એક આફત આવી પડશે
    અને ઇસ્રાએલમાં જે થોડાં બાકી રહેલા હશે તેઓને શોધીને લઇ જવામાં આવશે.
દ્રાક્ષા તોડનાર વેલા પર ચૂંટાયા વગર રહી ગયેલી દ્રાક્ષાઓને એકત્ર કરવા ફરીથી વેલાને તપાસી જુએ છે,
    તેમ બચાવી લીધેલા મારા થોડા લોકોને તું જરૂર જોતો હોઇશ.”
10 મેં જવાબ આપ્યો, “મારે કોને કહેવું?
    કોને ચેતવવા?
    કોણ સાંભળશે?
તેમના કાન તમારા વિષે કંઇ
    સાંભળવા માંગતા નથી.
હા, તેઓ યહોવાના વચનને નિંદાસ્પદ ગણે છે,
    તેઓને તે ગમતા નથી.
11 પણ, યહોવા, હું તારા રોષથી ભર્યોભર્યો છું,
    હું એને અંદર સમાવી શકતો નથી.”
ત્યારે યહોવાએ કહ્યું, “તો એને મહોલ્લામાં
    રમતાં નાનાં બાળકો પર અને ટોળે વળતા તરુંણો પર
ઠાલવ, પતિ, પત્ની, અને ઘરડાઓ સુદ્ધાં
    બધા જ એનો ભોગ બનશે.
12 તેઓના શત્રુઓ તેઓનાં ઘરોમાં વાસો કરશે
    અને તેઓનાં ખેતરો તથા પત્નીઓ લઇ લેશે.
કારણ કે હું આ દેશના લોકોને શિક્ષા કરીશ.”
    આ યહોવાના વચન છે.

13 “કારણ કે તેઓ બધા સામાન્ય માણસથી માંડીને છેક ઉચ્ચ અધિકારી
    સુધી સર્વ તેમના લોભ દ્વારા ખોટા લાભો મેળવે છે,
    અને તેમના પ્રબોધકો અને યાજકો પણ તેવી જ છેતરામણી રીતે વતેર્ છે!
14 તેઓ મારા લોકોના ઘાને સામાન્ય
    ઉઝરડા હોય એમ ઉપચાર કરે છે,
તેઓ કહે છે કે, ‘બરાબર છે, બધું બરાબર છે.’
    પણ લગારે બરાબર નથી.
15 પોતાનાં અધમ કૃત્યોની તેમને લાજ શરમ આવે છે ખરી? લાજશરમ?
    એમને વળી લાજશરમ કેવી?
તેઓ ભોંઠપણને ધોળીને પી ગયા છે.
    તેથી બીજાની જેમ તેમનું પણ પતન થશે,
હું જ્યારે તેમને સજા કરીશ ત્યારે તેઓ ઠોકર ખાઇને ભોંયભેગા થઇ જશે.”
    આ યહોવાના વચન છે.

16 હજુ પણ યહોવા તમને સમજાવે છે:
“જુઓ, ભૂતકાળના વર્ષોમાં
    તમે દેવના માર્ગોમાં ચાલતા હતા.
તો જે ઉત્તમ માર્ગ છે તેની શોધ કરીને તે માર્ગે ચાલો.
    ત્યાં તમારા આત્માને શાંતિ મળશે.
પણ તમે પ્રત્યુત્તર આપો છો,
    ‘ના, અમારે એવા રસ્તા પર ચાલવું નથી!’
17 તમને ચેતવણી આપવા મેં તમારા પર ચોકીદારો નીમ્યા.
    ‘રણશિંગડાનો અવાજ સાંભળજો, વિપત્તિ આવતી હશે, ત્યારે તે તમને ચેતવી દેશે.’
    પરંતુ તમે કહ્યું, ‘ના, અમે તે તરફ ધ્યાન આપીશું નહિ.’”
18 આથી યહોવાએ કહ્યું, “હે પ્રજાઓ, તમે સાંભળો,
    અને જાણી લો કે મારા લોકોના શા હાલ થવાના છે.
19 હે પૃથ્વીના લોકો, સાંભળો, અને નોંધી રાખો,
    કે તે લોકો પર હું આફત ઉતારનાર છું.
    એ એમના કાવાદાવાનું ફળ છે.
તેમણે મારા શબ્દો કાને ધર્યા નથી;
    અને તેમણે મારા નિયમશાસ્ત્ર નો અસ્વીકાર કર્યો છે.”

20 યહોવા કહે છે, “હવે મારી સમક્ષ શેબાથી દૂરદેશાવરથી મંગાવેલ ધૂપ-લોબાન બાળવાથી કાઇં વળવાનું નથી.
    તમારી કિંમતી સુગંધીઓ સાચવી રાખો!
હું તમારા અર્પણો સ્વીકારી શકતો નથી.
    તેમાં મને પ્રસન્ન કરતી સુગંધ નથી.”

21 યહોવા કહે છે,
“તેથી હું મારા એ લોકોને ઠોકર ખવડાવીશ
    અને તેઓ ભૂમિ પર પછડાશે;
પિતા અને પુત્ર,
    પડોશી અને મિત્ર બધા જ નાશ પામશે.”

22 યહોવા કહે છે,
“ઉત્તરમાંથી એક પ્રજા આવી રહી છે,
    પૃથ્વીને દૂરને છેડે એક બળવાન પ્રજા યુદ્ધની તૈયારી કરી રહી છે.
23 તેઓ ક્રૂર અને નિર્દય છે,
    શસ્ત્રસજ્જ થઇ ઘોડેસવારી કરતા આવે છે,
તેઓની કૂચનો અવાજ
    ઘૂઘવતા સમુદ્ર જેવો છે.
હે સિયોનની દીકરી,
    તેઓ તારી વિરુદ્ધ લડાઇ કરવા તૈયાર છે.”
24 લોકો કહે છે, “અમે સમાચાર સાંભળ્યા છે,
    અમારા ગાત્રો ગળી ગયા છે.
અમને વેદના જાગી છે,
    જાણે પ્રસૂતિની વેદના.
25 બહાર ખેતરોમાં જશો નહિ,
    રસ્તાઓ પર મુસાફરી કરશો નહિ
કારણ કે સર્વત્ર શત્રુ છે અને સંહાર કરવાને તત્પર છે.
    ચારે તરફ ભય છે.
26 હે મારા પ્રિય લોકો શોકનાં વસ્ત્રો ધારણ કરો,
    રાખમાં બેસો,
અને એકના એક પુત્રને માટે હોય
    તેમ ભગ્નહૃદયે ચિંતા કર.
કારણ કે વિનાશ કરનાર સૈન્યો
    એકાએક આપણા પર ચઢી આવશે.

27 “યર્મિયા, મેં તને ધાતુઓનો પારખનાર કર્યો છે,
    મારા લોકોની પરીક્ષા કર,
    અને તેઓનું મૂલ્ય નક્કી કર.
તેઓ શું કહે છે તે તું સાંભળ.
    અને તેઓ શું કરે છે તે તું જો.
28 એ બધા અધમ બંડખોરો
    અને યહોવાની વિરુદ્ધ દુષ્ટતા ભરેલી વાતો કરનારા નથી?
    તેઓ પિત્તળ જેવા કઠોર અને લોખંડ જેવા ક્રૂર છે.
29 ધમણ ચાલે છે, વેગથી હવા ફૂંકે છે.
    અને શુદ્ધ કરનારો અગ્નિ વધુ પ્રબળ બની અતિશય ગરમી આપતો જાય છે.
આવો અગ્નિ પણ તેઓને શુદ્ધ કરી શકતો નથી.
    કારણ કે તેઓમાંથી કોઇ જ પ્રકારની શુદ્ધતા બહાર આવી શકે તેમ નથી.
તો પછી શુદ્ધિકરણની પ્રક્રિયા શા માટે ચાલુ રાખવી?
    તે બધુંજ કચરો છે.
    અગ્નિ ગમે તેટલો પ્રબળ બને પણ તેઓ તો પોતાના દુષ્ટ માર્ગોમાં ચાલુ જ રહે છે.
30 તેઓ નકારેલી ચાંદી એમ કહેવાય છે.
    કારણ કે યહોવાએ તેમનો નકાર કર્યો છે.”

માથ્થી 20

ઈસુ ખેત મજૂરોનું દૃષ્ટાંત આપે છે

20 “આકાશનું રાજ્ય એક જમીનદાર જેવું છે. આ માણસ તેના ખેતરમાં દ્રાક્ષ ઉગાડે છે. એક મળસકે તે માણસ પોતાના ખેતરમાં કામ કરવા માટે મજૂરો લેવા ગયો. અને તેણે તેઓની સાથે રોજનો એક દીનાર નક્કી કરીને ખેતરમાં મજૂરોને મોકલ્યા.”

“નવ વાગ્યાની આસપાસ તે જમીનદાર બજારમાં ગયો ત્યારે કેટલાક માણસો કશુંય કામ કર્યા વિના ત્યાં ઊભા હતા. તેથી તે માણસે કહ્યું, તમે મારા ખેતરમાં જઈને કામ કરશો તો હું તમને યોગ્ય વળતર આપીશ.” તેથી લોકો ખેતરમાં કામ કરવા ગયા.

“ફરી બાર વાગે અને બીજી વાર ત્રણ વાગે બજારમાં ગયો ત્યારે પણ લોકોને ખેતરમાં કામ કરવા માટે લઈ આવ્યો. પછી સાંજે પાંચે વાગે તે બજારમાં ફરીથી ગયો ત્યારે પણ કેટલાક માણસો ત્યાં ઊભા હતા, તેઓને જમીનદારે પૂછયું, ‘તમે આખો દિવસ કોઈપણ કામ વિના અહીં કેમ ઊભા રહ્યા છો?’

“તે લોકોએ કહ્યું, ‘અમને કોઈએ કામ આપ્યું નથી.’

“તે માણસે તેઓને કહ્યું, ‘તમે મારા ખેતરમાં જાવ અને કામે લાગો,’

“સાંજ પડી એટલે, દ્રાક્ષની વાડીના ધણીએ તેના મુખ્ય કારભારીને બોલાવીને કહ્યું કે, ‘મજૂરોને બોલાવીને તેમની મજૂરી ચૂકવી દો. પહેલાથી છેલ્લા જે મજૂરો આવ્યા તેમને મજૂરી આપવાનું શરૂ કરો અને પહેલા મજૂરીએ આવ્યા હતાં તેમને આપતા સુધી ચાલુ રાખો.’

“જે મજૂરો પાંચ વાગે આવ્યા હતા તેમાંના દરેકને એક દીનારનો સિક્કો મળ્યો. 10 પછી જે સૌથી પહેલા સવારમા કામ પર આવ્યા હતા તે તેમનું મહેનતાણું લેવા આવ્યા. તેઓએ વિચાર્યુ તેઓ વધારે મહેનાતાણું મેળવશે પણ તે દરેકને એક જ દીનારનો સિક્કો મળ્યો. 11 જ્યારે તેમને એક દીનારનો સિક્કો મળ્યો ત્યાર પછી દ્રાક્ષની વાડીના માલિકને તેમણે ફરિયાદ કરી. 12 ‘જે લોકો છેલ્લાં આવ્યા હતા અને એક કલાક જ કામ કર્યુ તેમને તેં અમારા જેટલી જ મજૂરી આપી. જ્યારે અમે તો આખો દિવસ સૂર્યની ગરમીમાં કામ કર્યુ છે.’

13 “પણ ખેતરના માલિકે તેઓમાંના એક જણાને કહ્યું, ‘મિત્ર, મેં તારી સાથે કોઈ જ અન્યાય કર્યો નથી. શું તમે કબૂલ થયા ન હતા કે હું તમને એક દીનાર આપીશ? 14 તેથી આ તારી મજૂરી લે અને ચાલતો થા, માટે જે છેલ્લો માણસ મજૂરી કરવા આવ્યો છે તેને આટલી જ મજૂરી આપવાની મારી ઈચ્છા છે. 15 મારે મારા પૈસાનું જે કરવું હોય તે કરું. તમને અદેખાઈ આવે છે કારણ કે એ લોકો સાથે હું સારો છું.’

16 “એ પ્રમાણે જેઓ છેલ્લા છે તેને હવે ભવિષ્યમાં પ્રથમ સ્થાન મળશે. અને જેનું પ્રથમ સ્થાન હશે તેને ભવિષ્યમાં છેલ્લું સ્થાન મળશે.”

ઈસુના તેના મરણ વિષેનો સંકેત

(માર્ક 10:32-34; લૂ. 18:31-34)

17 ઈસુ જ્યારે પોતાના બાર શિષ્યો સાથે યરૂશાલેમ જઈ રહ્યો હતો. ત્યારે તેણે એ બધાને એકાંતમાં એક બાજુએ બોલાવીને કહ્યું, 18 “જુઓ, આપણે યરૂશાલેમ જઈ રહ્યા છીએ. માણસનો દીકરો મુખ્ય યાજક અને શાસ્ત્રીઓને સોંપવામાં આવશે, અને તેને મોતની સજા ફટકારવામાં આવશે. 19 પછી તે લોકો માણસના દીકરાને બીનયહૂદિઓને સોંપી દેશે જેઓ તેની ક્રૂર મશ્કરી કરશે. તેના પર કોરડા વીંઝશે અને તેને વધસ્તંભ પર જડાવી દેશે, પરંતુ ત્રીજા દિવસે તે સજીવન થશે.”

માતાની ખાસ માંગણી

(માર્ક 10:35-45)

20 પછી ઝબદીની પત્ની પોતાના દીકરાઓને સાથે રાખીને ઈસુની પાસે આવી. તેણે પગે પડીને ઈસુની પાસે માંગણી કરી.

21 ઈસુએ પૂછયું, “તારે શું જોઈએ છે?”

તેણે ઉત્તર આપ્યો, “મને વચન આપ કે તારા રાજ્યમાં મારા બે દીકરાઓમાંથી એક દીકરો તારી જમણી બાજુ અને બીજો દીકરો તારી ડાબી બાજુએ બેસે.”

22 ઈસુએ બે દીકરાઓને કહ્યું, “તમે શું માંગી રહ્યા છો તે તમે જાણતા નથી. જે પ્યાલો મારે પીવાનો છે તે તમારાથી પીવાશે?”

તેઓએ કહ્યું, “હા, અમે પી શકીશું!”

23 ઈસુએ તેઓને કહ્યું, “અલબત્ત હું જે કંઈ પીઉ તે તમે પી શકશો તો ખરા. પણ મારી જમણી કે ડાબી બાજુ કોને સ્થાન આપવું, તે મારા હાથની વાત નથી. એ સ્થાનો મારા પિતાએ નક્કી કરેલ વ્યક્તિઓ માટે છે.”

24 જ્યારે આ માંગણી વિષે બાકીના દશ શિષ્યોએ સાંભળ્યું ત્યારે તેઓ આ બે ભાઈઓ પર બહું ગુસ્સે થયા. 25 પછી ઈસુએ શિષ્યોને પોતાની પાસે બોલાવીને કહ્યું, “તમે જાણો છો કે યહૂદી રાજ્ય કર્તાઓ પોતાની પ્રજા પર સત્તાનો પૂર્ણ અમલ કરે છે અને તેમના મોટા માણસો તેમના અધિકારનું લોકોને ભાન કરાવવા ચાહે છે. 26 પણ તમારી સાથે આ રીતે થવું ન જોઈએ. તમારામાં જે આગેવાન થવા ઈચ્છે તે તમારો સેવક હોવો જોઈએ. 27 અને જે સૌથી મોટો થવા ઈચ્છે છે, તેણે એક ગુલામ તરીકે તમારી સેવા કરવી જોઈએ. 28 તમારે માણસના દીકરા જેવા થવું જોઈએ, માણસનો દીકરો સેવા કરાવવા નહિ પણ સેવા કરવા અને ઘણા લોકોને માટે મુક્તિ મૂલ્ય તરીકે પોતાનું જીવન સમર્પણ કરવા આવ્યો છે.”

ઈસુએ બે આંધળા માણસોને દેખતા કર્યા

(માર્ક 10:46-52; લૂ. 18:35-43)

29 જ્યારે ઈસુ અને તેના શિષ્યો યરીખોથી નીકળીને જતા હતા ત્યારે ઘણા લોકો ઈસુને અનુસરતા હતા. 30 રસ્તાની બાજુએ બે અંધજનો બેઠા હતા. એ રસ્તે થઈને ઈસુ પસાર થાય છે એવું સાંભળીને તેઓ જોરશોરથી બૂમો પાડવા લાગ્યા, “હે પ્રભુ, દાઉદના દીકરા અમારા પર દયા કર!”

31 લોકોએ તેઓને ધમકાવીને શાંત રહેવા કહ્યું છતાં તેઓ તો વધારે જોરથી બૂમો પાડતા હતા, “હે પ્રભુ, દાઉદના દીકરા, અમારા પર દયા કર!”

32 તે સાંભળીને ઈસુ ઊભો રહ્યો અને તેઓને બોલાવીને પૂછયું, “તમે મારી પાસે તમારા માટે શું કરાવવા ઈચ્છો છો?”

33 તેઓએ કહ્યું, “પ્રભુ, અમારે દેખતા થવું છે.”

34 ઈસુને તેમના પર દયા આવી અને તેઓની આંખોને સ્પર્શ કર્યો. અને તરત જ તેઓ જોઈ શક્યા. અને તેઓ ઈસુની પાછળ ચાલ્યા.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International