Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
યહોશુઆ 6:6-27

યરીખોનું પતન

આથી યહોશુઆએ યાજકોને બોલાવ્યાં અને તેમને કહ્યું, “કરારકોશ ઊંચકો, અને 7 યાજકોને યહોવાના પવિત્રકોશ આગળ સાત રણશિંગડા લઈને ચાલે.”

અને તેણે લોકોને કહ્યું, “આગળ ચાલો અને નગરને ફરતે પ્રદક્ષિણા કરો અને હથિયારબંધ પુરુષો યહોવાનો પવિત્ર કોશની આગળ ચાલશે.”

જ્યારે યહોશુઆએ લોકો સાથે વાતો કરવાનું પૂરું કર્યું, ત્યારે સાત યાજકોએ યહોવાની આગળ સાત રણશિંગડાં ધરી રાખ્યાં હતાં તેને ફૂંક્યા. જ્યારે તેમને અનુસરતાં યાજકો દ્વારા લઈ જવાતો યહોવાનાં કરારનો કોશ તેમની પાછળ ચાલતો હતો. યાજકોની આગળ સશસ્ત્ર સૈનિકો, અને પાછળના સંત્રીઓ પવિત્રકોશની પાછળ ચાલતા હતા સાથે રણશિંગડાં ફૂકતાં, 10 પણ યહોશુઆએ લોકોને શાંતિ જાળવવાની અને યુદ્ધનાદની બૂમો ન પાડવા કહ્યું. તેણે કહ્યું, “જ્યારે હું તમને બૂમ પાડવાનું કહીશ ત્યારે બૂમ પાડજો નહિતર કોઈ અવાજ ન કરતાં. જ્યારે હું તમને કહું ત્યારે જ તમે બૂમ પાડજો.”

11 એ પ્રમાંણે તેણે યહોવાનો પવિત્રકોશ લીધો અને પહેલી વાર શહેરની ફરતે પ્રદક્ષિણા કર્યા પછી તેઓ પોતાની છાવણીમાં પાછા ફર્યા અને રાતના ત્યાં આરામ કર્યો.

12 પછી સવારે યહોશુઆ વહેલો ઊઠયો, અને યાજકોએ યહોવાનો પવિત્રકોશ પાછો ઊંચકી લીધો. 13 ઘેટાનાં સાત રણશિંગડાં લઈને સાત યાજકો તેમને વગાડતાં યહોવાનાં પવિત્રકોશ આગળ ચાલ્યા. સશસ્ત્ર માંણસો આગળ ચાલતા હતા અને પાછળ રક્ષકોનું બીજું જૂથ ત્યાં કૂચ કરતું હતું. અને આ સર્વ સમય દરમ્યાન રણશિંગડાં વાગતા હતાં. 14 બીજા દિવસે ફરીથી તેમણે નગરની એક વાર પ્રદક્ષિણા કરી અને પાછા છાવણીમાં આવી ગયા. તેઓએ આ પ્રમાંણે છ દિવસ સુધી કર્યું.

15 અને સાતમે દિવસે તેઓ મળસ્કે ઊઠયા અને એ જ રીતે સાત વખત નગરની પ્રદક્ષિણા કરી. 16 ફક્ત તે દિવસે જ તેમણે નગરની સાત વાર પ્રદક્ષિણા કરી હતી સાતમાં ફેરા વખતે લાંબા સમય સુધી યાજકોએ જોરથી રણશિંગડાં ફૂંકયા, તેથી યહોશુઆએ લોકોને કહ્યું, “જોરથી બૂમો પાડો યહોવાએ આપણને આ નગર આપી દીધું છે! 17 એ નગર તથા તેમાંનું બધુંજ યહોવાનું છે, કેવળ રાહાબ વારાંગના અને તેના ઘરના માંણસો સિવાયની પ્રત્યેક વ્યક્તિને માંરી નાખજો, કારણ કે તેણે આપણે મોકલેલા જાસૂસોને રક્ષણ આપ્યું હતું. 18 તમાંરે બધાંએ સતર્ક બનવું તેમાંની કોઈ શાપિત વસ્તુ ન લેવી જેનો સંપૂર્ણ નાશ કરવાનો છે. તમે એમાંથી કઈ લો અને રાખો તો ઇસ્રાએલી છાવણી પર વિપત્તિ આવશે અને તમે વિનાશ નોતરશો. 19 સોના અને ચાંદીની જેમ જ લોખંડનાં બધા પાત્ર યહોવાને માંટે અલગ રાખેલા છે અને તમાંરે તે બધું યહોવાના ભંડારમાં આપવાનું છે.”

20 તેથી લોકોએ પોકાર કર્યો અને યાજકોએ રણશિંગાં ફૂંકયાં, જ્યારે લોકોએ રણશિંગાંનો અવાજ સાંભળ્યો તેઓએ મોટી બૂમ પાડી અને તે સમયે નગરની દીવાલ પડી ગઈ, અને ત્યાં જે બધા લોકો ઉભા હતા અંદર ધસી ગયા અને તેને કબજે કરી લીધું. 21 તેમણે નગરનાં સર્વ સજીવો આબાલવૃદ્ધ સ્ત્રી-પુરુષોને તરવારથી વિનાશ કર્યો ઢોર, ઘેટાં, તથા ગધેડાંને પણ જીવતાં રહેવા દીધાં નહિ.

22 ત્યાર બાદ જે બે માંણસોએ દેશની જાસૂસી કરી હતી તેઓને યહોશુઆએ કહ્યું કે, “તમે બન્ને વારાંગનાના ઘરમાં જઈને તેને અને તેના પરિવારનાં માંણસોને તમે વચન આપ્યા મુજબ બહાર લઈ આવો.”

23 તેથી તેઓ ત્યાં ગયા અને રાહાબને, તેના પિતાને, માંતાને, ભાઈઓને અને તેના પરિવારના સર્વ લોકોને બહાર કાઢયા, અને ઇસ્રાએલી છાવણીની બહાર સુરક્ષિત જગ્યામાં રાખ્યા.

24 પછી તેઓએ નગર અને તેમાંનું સઘળું બાળી મૂક્યું. ફકત સોના-રૂપાની અને પિત્તળની અને લોઢાની વસ્તુઓ યહોવાના ભંડારમાં મૂકવામાં આવી હતી. 25 આમ યહોશુઆએ રાહાબ વારાંગનાને અને તેનાં બધાં કુટુંબીજનોને અને પરિવારને જીવતદાન આપ્યું. કારણ, તેણે યહોશુઆએ ચરીખોમાં જાસૂસી કરવા મોકલેલા માંણસોને સંતાડી રાખીને રક્ષણ કર્યુ હતું. તેના વંશજો આજસુધી ઇસ્રાએલમાં વસતા આવ્યા છે.

26 તે સમયે યહોશુઆએ તેઓને એવા શપથ ખવડાવ્યા કે:

“જે કોઈ ઊઠીને આ યરીખો શહેરને ફરી બાંધવા માંટે
    પ્રયત્ન કરશે તે યહોવાની આગળ શાપિત થાઓ.
જે કોઈ શહેરનો પાયો નાખશે તે
    એનો વડો પુત્ર ગુમાંવશે.
અને જે કોઈ એના દરવાજા ઊભા કરશે
    તેનો સૌથી નાનો પુત્ર ગુમાંવશે.”

27 એ પ્રમાંણે યહોવા યહોશુઆની સાથે હતા, અને તેના નામની કીર્તિ આખા દેશમાં પ્રસરી ગઈ.

ગીતશાસ્ત્ર 135-136

યહોવાના નામની સ્તુતિ કરો;
હે યહોવાના સેવકો,
    તમે તેમની સ્તુતિ કરો.
યહોવાના મંદિરમાં, આપણા દેવના મંદિરમાં;
    આંગણામાં ઊભા રહેનારા તેમની સ્તુતિ કરો.
યહોવાની સ્તુતિ કરો કારણ, તે ઉત્તમ છે;
    તેના નામની સ્તુતિ કરો, કારણકે તે આનંદદાયક છે.

યહોવાએ પોતાને માટે યાકૂબને પસંદ કર્યો છે;
    ઇસ્રાએલને પોતાની ખાસ સંપતિ થવા માટે.
હું યહોવાની મહાનતા જાણું છું,
    સર્વ દેવો કરતાં તે મહાન છે.
આકાશમાં પૃથ્વી પર, સમુદ્રોમાં અને ઊંડામાં ઊંડા સમુદ્રોમાં
    યહોવાએ જે ઇચ્છયું તે કર્યુ.
તે પાણીની વરાળને ઊંચે લઇ જઇ તેના વાદળાં બાંધે છે;
    અને સમગ્ર પૃથ્વી પર ફેલાવે છે;
તે વિજળી મોકલી વરસાદને વરસાવે છે;
    પોતાના ખજાનામાંથી તે વાયુને બહાર કાઢે છે.
મિસરમાં તેણે માણસોના તથા પશુઓના પ્રથમજનિતોનો વિનાશ પણ કર્યો.
તેણે ફારુન અને તેના અધિકારીઓ વિરુદ્ધ પોતાની નિશાનીઓ
    અને ચમત્કારો સમગ્ર મિસરમાં મોકલ્યા.
10 તેમણે શૂરવીર પ્રજાઓનો નાશ કર્યો;
    અને પરાક્રમી રાજાઓનો પણ તેણે નાશ કર્યો.
11 અમોરીઓના રાજા સીહોનને,
    તથા બાશાનના રાજા ઓગને;
    અને કનાનના સર્વ રાજ્યોને તેણે પરાજય આપ્યો.
12 તેમના દેશને તેણે પોતાના લોક ઇસ્રાએલને વારસામાં આપ્યો.

13 હે યહોવા, તારું નામ અનંતકાળ છે;
    હે યહોવા, તારું સ્મરણ પેઢી દરપેઢી ટકી રહેનાર છે.
14 યહોવા પોતાના લોકોનો ન્યાય કરશે;
    તે તેના સેવકો પ્રતિ દયાળુ થશે.
15 બીજા રાષ્ટ્રોના મૂર્તિદેવો તો સોના ચાંદીના છે.
    તેઓ માણસોના હાથે જ બનેલા છે.
16 તેઓને મોં છે છતાં તે બોલતી નથી;
    આંખો હોય છે છતાં તેઓ જોતાં નથી.
17 કાન હોય છે છતાં તેઓ સાંભળતા નથી;
    અને તેઓના મુખમાં શ્વાસ હોતો નથી.
18 જેઓ તેને બનાવે છે તેઓ પણ તેના જેવા જ થશે;
    અને જેઓ તેમના પર ભરોસો રાખે છે તેઓ પણ તેના જેવા જ થશે.

19 હે ઇસ્રાએલનું કુળ, યહોવાની સ્તુતિ કરો!
    હે હારુનનું કુળ, યહોવાની સ્તુતિ કરો!
20 હે લેવીના યાજકો, યહોવાનો ધન્યવાદ માનો,
    જેઓ યહોવાનો ભય રાખો છો અને આદર કરો છો, યહોવાની પ્રસંશા કરો!
21 યહોવા યરૂશાલેમમાં નિવાસ કરે છે;
    યરૂશાલેમના સર્વ લોકો, યહોવાની સ્તુતિ કરો. સિયોનમાંથી ધન્ય હોજો.

યહોવાની સ્તુતિ કરો!

યહોવાની સ્તુતિ કરો, કારણકે તે ઉત્તમ છે.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
સર્વ દેવોના દેવની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
પ્રભુઓના પ્રભુ સ્તુતિ કરો!
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
દેવની સ્તુતિ કરો જે એકલા જ મહાન ચમત્કારો સજેર્ છે!
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
જેણે પોતાના ડહાપણ વડે આકાશો ઉત્પન્ન કર્યા છે; તેની સ્તુતિ કરો.
    કારણ કે તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
જેણે પાણી પર ભૂમિને વિસ્તારી છે, તેની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
આકાશોમાં જેમણે મહાન જ્યોતિઓ બનાવી છે તેમની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
દિવસ પર અમલ ચલાવવા જેમણે સૂર્ય બનાવ્યો છે તેની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
રાત પર અમલ ચલાવવાં જેમણે ચંદ્ર અને તારા બનાવ્યાં છે તેમની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
10 મિસરના પ્રથમજનિતોનો જેમણે સંહાર કર્યો; તેમની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
11 વળી તેઓની પાસેથી ઇસ્રાએલને છોડાવનારની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
12 પોતાના બળવાન ભુજ અને લાંબા કરેલા હાથ વડે જે તેઓને છોડવી લાવ્યા; તેમની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
13 તેઓની આગળ માર્ગ કરવા જેમણે લાલ સમુદ્રના બે ભાગ કર્યા તે યહોવાની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
14 સમુદ્રમાં થઇને જે તેઓને સુરક્ષિત સામે પાર લઇ ગયા;
    તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
15 ફારુન તથા તેની ફોજને લાલ સમુદ્રમાં ઉથલાવી નાખનારની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
16 રણમાં થઇને પોતાના લોકોને જેમણે દોર્યા;
    તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
17 જેણે મોટા રાજાઓને હરાવ્યા છે તેમની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
18 જેણે મહાન રાજાઓનો સંહાર કર્યો છે તેની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
19 અમોરીઓના રાજા સીહોનનો જેમણે સંહાર કર્યો;
    તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
20 બાશાનના રાજા ઓગનો જેમણે સંહાર કર્યો; તેમની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ રકે છે.
21 જેમણે આ રાજાઓની ભૂમિ ઇસ્રાએલને ભેટ તરીકે સદાકાળ માટે આપી, તેમની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
22 જેમણે તે પોતાના સેવક ઇસ્રાએલને વારસામાં આપ્યો તેની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
23 જેમણે અમારી નબળાઇઓમાં અમને સંભાર્યા; તેની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
24 અમારા શત્રુઓથી જેમણે અમારો બચાવ કર્યો, તેની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
25 દરેક સજીવને ખોરાક પૂરો પાડે છે; તેમની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
26 આકાશોના દેવની આભારસ્તુતિ કરો.
    કારણકે તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.

યશાયા 66

યહોવાનો મહિમા અવશ્ય પ્રગટ થશે

66 યહોવા કહે છે,
“આકાશો મારું રાજ્યાસન છે,
    અને પૃથ્વી મારી પાદપીઠ છે;
તમે મારું ઘર ક્યાં બાંધશો?
    મારું નિવાસસ્થાન ક્યાં ઊભું કરશો?
આ આખું વિશ્વ તો મેં જ બનાવેલું છે
    અને એ બધું તો મારું જ છે.
હું એવા લોકોનું સન્માન કરીશ, જેઓ દીનદુ:ખી હોય, કચડાયેલા અને ભાંગી પડેલા હોય,
    અને જે મારી આજ્ઞા માથે ચડાવતો હોય અને જે મારા વચન સમક્ષ ધ્રૂજતો હોય.
પરંતુ જે લોકો પોતાની જાતે પોતાના માર્ગની પસંદગી કરીને
    પોતાનાં પાપોમાં આનંદ માને છે
અને જૂઠા દેવોને ધૂપ અર્પણ કરે છે,
    તેમને હું શ્રાપ આપીશ.
દેવ તેમના અર્પણોને માન્ય રાખશે નહિ,
    આવા માણસો દેવની વેદી પર બળદનું બલિદાન આપે
તે મનુષ્યના બલિદાન સમાન ગણાશે અને તેનો સ્વીકાર થશે નહિ.
    પણ જો તેઓ ઘેટાંનું ખાદ્યાર્પણ લાવે તો
તે દેવની ષ્ટિમાં કૂતરાં અથવા ડુક્કરના
    રકતનું અર્પણ કરવા જેવું ધિક્કારપાત્ર ગણાશે!
હું તેઓ જેનાથી ડરે છે
    એવી આફતો જ પસંદ કરીને એમને માથે ઉતારીશ.
કારણ કે મેં હાંક મારી ત્યારે તેઓએ પ્રત્યુત્તર ન આપ્યો.
    મેં તેઓને સંબોધ્યા
ત્યારે તેઓએ સાંભળ્યું નહિ;
    મારી નજરે જે ખોટું હતું તે તેઓએ કર્યું.
અને મને ન ગમે તેવું
    તેઓએ પસંદ કર્યું.”

યહોવાના વચનથી ધ્રૂજનારા,
    અને જેઓ દેવનો ભય રાખે છે
તેઓ આ વચન સાંભળો:
    “તમારા ભાઇઓ તમારો દ્વેષ કરે છે
અને મારા નામ પ્રત્યેના વિશ્વાસુપણાને લીધે તમને કાઢી મૂકે છે,
    તમારો બહિષ્કાર કરી મહેણાં મારે છે;
‘અમે જોઇએ તો ખરાં કે યહોવા પોતાનો મહિમા કેવો પ્રગટ કરે છે
    અને તમે કેવા ખુશ થાઓ છો!’
    પરંતુ તેઓ પોતે જ ફજેત થશે.”

સજા અને નવી પ્રજા

સાંભળો, નગરમાં આ સર્વ કોલાહલ ઊઠે છે, મંદિરમાંથી અવાજ સંભળાય છે! એ પોતાના દુશ્મનો પર વૈર વાળતા યહોવાનો અવાજ છે.

“પ્રસવવેદના થતાં પહેલાં બાળકને જન્મ આપનારી સ્ત્રી જેવી આ મારી પવિત્ર નગરી છે. આવું કદી કોઇએ જોયું છે કે સાંભળ્યું છે? શું એક જ દિવસમાં કદી કોઇ દેશ અસ્તિત્વમાં આવે ખરો? સિયોનને પ્રસવ વેદના વેઠવી પડશે નહિ, અને તે પહેલાં એ દેશને જન્મ આપશે.”

યહોવા તમારા દેવ પૂછે છે કે, “પ્રસૂતિકાળ પાસે લાવીને પછી પ્રસવ ન થાય એવું શું હું કરીશ? ના, એમ હું કદી નહિ કરું.”

10 યહોવા કહે છે, “યરૂશાલેમ પર પ્રેમ રાખનારાઓ, તેની સાથે તમે પણ આનંદો,
    હષોર્લ્લાસ માણો! એને માટે આક્રંદ કરનારાઓ, હવે તેના આનંદમાં આનંદ માનો;
11 માતાની શાતાદાયક છાતીએ ધાવીને
    બાળક જેમ ધરપત અનુભવે છે
તેમ તમે એની ભરી ભરી
    સમૃદ્ધિ ભોગવીને તૃપ્તિ પામશો.”

12 યહોવા કહે છે,
“હું એના પર સરિતાની જેમ સુખશાંતિ વહાવીશ
    અને ઊભરાતા વહેણાની જેમ પ્રજાઓની સમૃદ્ધિ રેલાવીશ.
તમે ધાવશો; કેડે ઊંચકી લેવાશો,
    ખોળામાં તમને ખૂબ લાડ લડાવાશે.
13 નાનાં બાળકોને જેમ તેની મા દિલાસો આપે છે,
    તે પ્રમાણે હું તમને દિલાસો આપીશ;
    અને યરૂશાલેમમાં તમે સૌ દિલાસો પામશો.”

14 તમે જ્યારે યરૂશાલેમને જોશો ત્યારે તમારા હૃદયમાં આનંદ થશે;
    તમારી તંદુરસ્તી લીલોતરીની જેમ ઉગશે.
યહોવાનો ભલાઇનો હાથ તેમના લોકો પર છે,
    અને તેમનો કોપ તેમના શત્રુઓ પર છે,
    તે સર્વ પ્રજાઓ જોઇ શકશે.
15 યહોવા અગ્નિની જેમ,
    વાવંટોળ જેવા રથો સાથે પ્રખર રોષથી
અને ભભૂકતા ક્રોધાગ્નિથી
    આઘાત કરવાને આવી રહ્યા છે.
16 યહોવા આગ અને તરવારથી આખી
    માનવજાતનો ન્યાય તોળશે,
    અને ઘણા યહોવાને હાથે માર્યા જશે.

17 જેઓ દેહશુદ્ધિ કરી, સરઘસ કાઢી બીજા દેવોનાં ઉપવનમાં પૂજા કરવા પ્રવેશ કરે છે, “જેઓ ભૂંડનું માંસ, ઊંદર અને સાપોલિયાનાં મના કરાયેલા માંસની ઉજાણી કરે છે, તે બધાનો તેમના કૃત્યો અને વિચારો સાથે દુ:ખદ અંત આવશે.

18 “તેઓ શું કરી રહ્યા છે અને તેઓ શું વિચારી રહ્યા છે તે સર્વ હું જોઇ શકું છું. તેથી હું સર્વ પ્રજાઓને યરૂશાલેમમાં એકઠી કરીશ અને ત્યાં તેઓ મારો મહિમા જોશે. 19 હું તેમને એક એંધાણી આપીશ અને તેમનામાંના બચી ગયેલાઓને જુદી જુદી પ્રજાઓમાં મોકલીશ. હું તેમને લીબિયા અને લ્યુડ તેમના કાર્યકુશળ ધર્નુધારીઓ સાથે, અને તાશીર્શ, (પુટ અને બુદમા,) અને તુબાલ અને ગ્રીસ તથા દૂર દૂરના દરિયાપારના દેશોમાં, જ્યાંના લોકોએ મારા ઉપદેશો સાંભળ્યાં નથી કે મારો મહિમા જોયો નથી, અને મારા મોકલેલા એ લોકો ત્યાંની પ્રજાઓમાં મારો મહિમા પ્રગટ કરશે. 20 અને યહોવાને માટે ઉપહાર તરીકે દરેક પ્રજાઓમાંથી તારા સર્વ ભાઇઓને પાછા લાવશે. ત્યાંથી તેઓને મારા પવિત્ર પર્વત યરૂશાલેમમાં ઘોડાઓ પર, રથોમાં, પાલખીઓમાં, ખચ્ચરો પર તથા ઊંટડીઓ પર બેસાડીને કાળ જીપૂર્વક લાવવામાં આવશે, એમ યહોવા કહે છે. કાપણીના સમયમાં જેમ અર્પણોને યહોવાના શુદ્ધ પાત્રોમાં મંદિરમાં લાવવામાં આવે તેમ તેઓ યહોવાની સમક્ષ અર્પણ રૂપ થશે. 21 તેઓમાંના કેટલાકને હું મારા યાજકો અને લેવીઓ બનાવીશ” એમ યહોવા કહે છે.

નવું આકાશ અને નવી પૃથ્વી

22 “હું જે નવું આકાશ અને નવી પૃથ્વી બનાવવાનો છું તે મારી નજર સમક્ષ કાયમ રહેશે, તેમ તમારા વંશજો અને તમારું નામ પણ કાયમ રહેશે. 23 વળી યહોવા કહે છે કે, દર મહિને ચદ્રદર્શનને દિવસે અને દર અઠવાડિયે વિશ્રામવારને દિવસે આખી માનવજાત મારી આગળ ઉપાસના કરવા આવશે.

24 “અને તેઓ બહાર જશે ત્યારે મારી સામે બળવો કરનારાંના મુડદાં તેઓ જોશે; કારણ કે તેઓનો કીડો કદી મરનાર નથી; તેઓનો અગ્નિ ઓલવાશે નહિ; અને તેઓ સમગ્ર માણસજાતને ધિક્કારપાત્ર થઇ પડશે.”

માથ્થી 14

હેરોદે ઈસુના વિષે સાંભળ્યું

(માર્ક 6:14-29; લૂ. 9:7-9)

14 આ સમયે ગાલીલના રાજ્યકર્તા હેરોદ, ઈસુ વિષે સાંભળ્યું. ત્યારે તેણે પોતાના ચાકરોને કહ્યું, “આ માણસ (ઈસુ) તો યોહાન બાપ્તિસ્ત છે. તે મૃત્યુમાંથી ઉઠયો છે. તેથી જ આ પરાક્રમી કામો કરવા તે સાર્મથ્યવાન છે.”

યોહાનની હત્યા

હેરોદે આ પહેલા યોહાનને કેદ કર્યો હતો અને તેને સાંકળો વડે બાંધી જેલમાં પૂરી દીધો હતો. હેરોદના ભાઈ ફિલિપની પત્ની હરોદિયાને લીધે યોહાનની ધરપકડ થઈ હતી. હેરોદે યોહાનની ધરપકડ એટલા માટે કરી હતી કે તે તેને વારંવાર કહેતો કે, “હેરોદિયાની સાથે રહેવું તારા માટે ઉચિત નથી.” તેથી હેરોદ તેને મારી નાંખવા માંગતો હતો પરંતુ તે લોકોથી ડરતો હતો. કારણ લોકો યોહાનને પ્રબોધક માનતા હતા.

પણ હેરોદના જન્મ દિવસે હેરોદિયાની દીકરીએ હેરોદ અને તેના મહેમાનોની સમક્ષ નૃત્ય કર્યુ. તેથી તે ખૂબ ખુશ થયો. હેરોદે તેને વચન આપ્યું કે તારે જે જોઈએ તે માંગ હું તને આપીશ. શું માંગવું તે હેરોદિયાએ તેની દીકરીને કહ્યું, તેથી તેણે હેરોદને કહ્યુ, “આ થાળીમાં યોહાન બાપ્તિસ્તનું માથું મને આપ.”

રાજા હેરોદ ખૂબજ દિલગીર થયો પણ તેના મહેમાનોની સમક્ષ તેણે તે દીકરીને વચન આપ્યું હતું, તેથી તેની માંગ પૂરી કરવા હુકમ કર્યો. 10 તેથી તેણે જેલમાં માણસોને યોહાનનો શિરચ્છેદ કરવા મોકલ્યા. 11 યોહાનનું માથું થાળીમાં મૂકીને છીકરીને આપ્યું. છોકરી તે માથું તેની મા પાસે લઈ ગઈ. 12 પછી યોહાનના શિષ્યો આવ્યા અને તેનું ધડ લીધુ અને દફનાવી દીધું. પછી તેઓએ જઈને ઈસુને આ બધી બાબત જણાવી.

ઈસુ 5,000થી વધુને જમાણે છે

(માર્ક 6:30-44; લૂ. 9:10-17; યોહ. 6:1-14)

13 ઈસુએ જ્યારે યોહાન વિષે જાણ્યું ત્યારે તે હોડીમાં એકલો એકાંત સ્થળે ચાલ્યો ગયો. લોકોએ જ્યારે જાણ્યું કે ઈસુ ચાલ્યો ગયો છે, તો લોકસમુદાય પોતાના ગામ છોડી તેની પાછળ પાછળ ચાલતો ગયો. 14 ઈસુ જ્યારે હોડીમાંથી બહાર આવ્યો ત્યારે તેણે લોકોની ભીડ જોઈ, તેમના પર દયા વર્ષાવી, માંદા લોકોને સાજા કર્યા.

15 બપોર પછી તેના શિષ્યો તેની પાસે આવ્યા અને કહ્યુ, “આ સુમસાન જગ્યા છે. હવે ખૂબ મોડું થઈ ગયું છે તો લોકોને મોકલો કે જેથી તેઓ ગામડાઓમાં જાય અને તેમના માટે થોડું ખાવાનું ખરીદે.”

16 ઈસુએ કહ્યું, “તમારે દૂર જવાની જરૂર નથી. તમે તેઓને ખાવા માટે ખોરાક આપો.”

17 શિષ્યોએ કહ્યુ, “પણ આપણી પાસે ફક્ત પાંચ રોટલી અને બે માછલી છે.”

18 ઈસુએ કહ્યુ, “રોટલી અને માછલી મારી પાસે લાવો,” 19 પછી તેણે લોકોને ઘાસ પર બેસી જવા કહ્યું. ઈસુએ પાંચ રોટલી અને બે માછલી લીધી અને તેણે આકાશ તરફ જોયું, ખોરાક માટે દેવનો આભાર માન્યો, તેણે રોટલીના ટૂકડા કર્યા અને તેના શિષ્યોને તે આપ્યા. અને તેઓએ તે લોકોને આપ્યા. 20 બધા જ લોકોએ ખાધુ અને ખૂબજ સંતુષ્ટ થયા. ખોરાકના બાકીના બચેલા ટૂકડાઓ શિષ્યોએ બાર ટોપલીઓમાં ભર્યા. 21 જેઓએ ત્યાં ખાધું તેમા સ્ત્રીઓ અને બાળકોને ગણતરીમાં લીધા સિવાય 5,000 પુરુંષો હતા.

ઈસુ સરોવરના પાણી પર ચાલ્યા

(માર્ક 6:45-52; યોહ. 6:16-21)

22 પછી ઈસુએ તેના શિષ્યોને હોડીમાં જવાનું કહ્યુ અને કહ્યું, “તમે સરોવરની પેલે પાર જાઓ, હું થોડી વારમાં આવુ છું.” ઈસુ ત્યાં રોકાયો અને લોકોને કહ્યું, “તમે ઘેર જાઓ.” 23 ઈસુએ લોકોને વિદાય આપી અને ટેકરી પર એકલો પ્રાર્થના કરવા ગયો ત્યારે ખૂબજ મોડું થઈ ગયું હતું અને ઈસુ એકલો જ ત્યાં હતો. 24 આ વખતે હોડી કિનારાથી ખૂબજ દૂર હતી અને મોજાઓથી ડામાડોળ થઈ રહી હતી કારણ કે તેની સાથે સખત પવન ફૂંકાતો હતો.

25 સવારના ત્રણ અને છ બાગ્યાની વચ્ચે ઈસુ સરોવરના પાણી પર ચાલતો ચાલતો તેમની પાસે આવ્યો. 26 ઈસુને પાણી પર ચાલતો આવતો જોઈને શિષ્યો ભયભીત થયા અને બૂમો પાડવા લાગ્યા કે, “આ ભૂત છે!”

27 ઈસુ તરત જ બોલ્યો: “ચિંતા ન કરો! એ તો હું જ છું! ડરો નહિ.”

28 ત્યારે પિતરે તેને કહ્યું, “પ્રભુ, જો એ તું જ છે, તો તું મને પાણી પર ચાલીને તારી પાસે આવવા કહે.”

29 ઈસુએ કહ્યું, “પિતર, તું આવ.”

પછી પિતર હોડીમાંથી ઉતરી પાણી પર ચાલતો ઈસુ તરફ જવા લાગ્યો. 30 પણ જ્યારે પિતર પાણી પર ચાલતો હતો ત્યારે તેણે સખત પવન ફૂંકાતો જોયો અને તે ડરી ગયો. તે ડૂબવા લાગ્યો અને બૂમ પાડી ઊઠ્યો, “હે પ્રભુ, મને બચાવ!”

31 તરત જ ઈસુએ તેનો હાથ પકડ્યો અને કહ્યું, “તારો વિશ્વાસ ઘણો ઓછો છે. અને તેં શા માટે શંકા કરી?”

32 ઈસુ અને પિતર હોડીમાં ચઢયા પછી પવન શાંત થઈ ગયા. 33 તેના જે શિષ્યો હોડીમાં હતા તેઓએ તેને નમન કર્યુ અને કહ્યું, “તું ખરેખર દેવનો દીકરો છે.”

ઈસુએ માંદા માણસોને સાજા કર્યા

(માર્ક 6:53-56)

34 સરોવર પાર કરી, તેઓ ગન્નેસરેતને કિનારે ઉતર્યા. 35 લોકોએ જાણ્યું કે ઈસુ આવ્યો છે, તે તેના આગમનના સમાચાર તેઓએ આખા પ્રદેશમાં પ્રસરાવ્યા, અને બધાજ માંદા લોકોને ઈસુ પાસે લાવવા એકબીજાને કહ્યું અને લોકો ઈસુ પાસે બધાજ માંદા માણસોને લાવ્યા. 36 અને માંદા લોકો ઈસુને આજીજી કરવા લાગ્યા કે ફક્ત તારા ઝભ્ભાની કિનારને અડકવા દે. જેટલા લોકોએ તેના ઝભ્ભાને સ્પર્શ કર્યો તે બધાજ સાજા થઈ ગયા.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International