Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
યહોશુઆ 5:1-6:5

જયારે યર્દન નદીના પશ્ચિમ કાંઠાના બધા કનાની રાજાઓએ તથા અમોરી રાજાઓએ સાંભળ્યું કે ઇસ્રાએલીઓ યર્દન નદીને ઓળંગી ગયા ત્યાં સુધી યહોવાએ તેનાં પાણી સૂકવી નાખ્યાં હતાં, ત્યારે તેઓ હિમ્મત હારી ગયા અને ઇસ્રાએલીઓથી ભયભીત થઈ ગયાં.

ઇસ્રાએલીઓની સુન્નત

એ વખતે યહોવાએ યહોશુઆને કહ્યું, “ચકમકનાં પથ્થર માંથી તીક્ષ્ણ છરીઓ બનાવ, અને ઇસ્રાએલીઓની સુન્નત કર.”[a]

તેથી યહોશુઆએ તીક્ષ્ણ ચપ્પુ બનાવી અને ગીબત હેરોલોથ ઉપર ઇસ્રાએલીઓની સુન્નત કરી.

યહોશુઆએ બધાં ઇસ્રાએલી પુરુષોની સુન્નત કરી. તેને આમ કેમ કર્યું તેનું આ કારણ છે: ઇસ્રાએલના લોકોએ મિસર છોડ્યા પછી જે પુરુષો સેનામાં રહી શકે તેવા હતા તેઓની સુન્નત કરવામાં આવી હતી રણમાં રહેતા ત્યારે ઘણા લડાકુ લોકોએ યહોવાનું માંન્યું નહિ તેથી યહોવાએ વચન આપ્યું તે લોકો “વધારે અનાજ ઉગે છે” તે જમીન નહિ જોવે. યહોવાએ આપણા પૂર્વજોને તે ભૂમિ આપવાનું વચન આપ્યું હતું. પણ તે માંણસોને કારણે દેવે લોકોને 40 વર્ષ રણમાં ભટકવાની ફરજ પાડી તે રીતે તે લડતા લોકો મરી જશે. તે બધાં લડતા લોકો મરી ગયા અને તેમના પુત્રોએ તેઓની જગ્યાં લીધી. પણ મિસરમાંથી પ્રવાસ દરમ્યાન જેઓ રણમાં જન્મ્યા હતા તેમાંનાં એકેય છોકરાની સુન્નત નહોતી થઈ. તેથી યહોશુઆએ તેમની સુન્નત કરી.

યહોશુઆએ બધાં પુરુષોની સુન્નત કરાવવાનું પૂરું કર્યુ. બધાં પુરુષોના ઘા રુઝાયા ત્યાં સુધી લોકો પોતપોતાને ઠેકાણે છાવણીમાં રહ્યાં.

કનાનમાં પ્રથમ પાસ્ખાપર્વ

પછી યહોવાએ યહોશુઆને કહ્યું, “આજે મેં તમાંરામાંથી દોષ દૂર કર્યો છે જે તમને મિસરમાં હતો.” તેથી આજથી આ જગાને ગિલ્ગાલ કહેવાશે અને આજે પણ તે એ જ નામે ઓળખાય છે.

10 યરીખોના મેદાનો પર આવેલા ગિલ્ગાલમાં ઇસ્રાએલીઓએ છાવણી કરી હતી ત્યારે તેઓએ તે મહિનાના ચૌદમાં દિવસની સાંજે પાસ્ખા પર્વ ઊજવ્યું. 11 પાસ્ખાપર્વ ઉજાણીના બીજે દિવસે તેઓએ ખેતરોમાં ઉગેલું અનાજ ખાધું; એટલે તેજ દિવસે આથા વગરની રોટલી અને ભૂંજેલા ધાન્ય ખાધું. 12 જેવું લોકોએ પ્રદેશની ઉપજનું અનાજ ખાધુ કે બીજી સવારથી સ્વર્ગમાંથી આવતો ખાસ ખોરાક (માંન્ના) બંધ થઈ ગયું અને તે વર્ષે તેઓએ કનાના ભૂમિમાં પાકતું ધાન્ય ખાધું.

યહોવાની સેનાનો સેનાધિપતિ

13 જયારે યહોશુઆ યરીખો નજીક પહોંચ્ચોં ત્યારે તેણે પોતાની સામે ખુલ્લી તરવાર લઈને ઊભેલો એક માંણસ જોયો. તેથી યહોશુઆએ તેને પૂછયું, “તું કોના તરફ છે? તું અમાંરો મિત્ર છે કે દુશ્મન?”

14 તેણે પ્રત્યુત્તર આપ્યો, “હું તો એકે નથી,” પણ હું તો યહોવાની સેનાનો સેનાધિપતિ છું. અને એ તમને કહેવા માંટે આવ્યો છું.

યહોશુઆએ તેને જમીન પર મોઢું કરીને ભજન કરીને કહ્યું, “માંરા માંલિકની તેના સેવકને શી આજ્ઞા છે?”

15 યહોવાની સેનાના સેનાપતિએ તેને કહ્યું, “તારાં પગરખાં ઉતારી નાખ, કારણ કે તું જે ભૂમિ પર ઊભો છે તે ભૂમિ પવિત્ર છે.” અને યહોશુઆએ તેમ કર્યું.

યરીખોનગરના કરવાજાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા, કારણ કે તેના લોકો ઇસ્રાએલીઓથી ભયભીત થયેલા હતા. કોઈ અંદર કે બહાર આવ-જા કરનું નહિ.

યહોવાએ યહોશુઆને કહ્યું કે, “હું તને યરીખો તેના રાજા અને બહાદુર યોદ્ધાઓને હરાવવા દઈશ. તારે અને તારા સમગ્ર બહાદુર યોદ્ધાઓએ છ દિવસ સુધી પ્રતિદિન એક વખત શહેરની ફરતે પ્રદક્ષિણા કરવી. સાત યાજકોએ હાથમાં ઘેટાંના શિંગડામાંથી બનાવેલ સાત રણશિંગડાં લઈને કોશની આગળ ચાલે. સાતમે દિવસે તારે અને તારા સૈનિકોએ સાત વખત શહરને ફરતે પ્રદક્ષિણા કરવી અને યાજકે રણશિંગડાઓ વગાડવાં. ત્યારબાદ તેઓ લાંબા જોરદાર ધમાંકા સાથે રણશિંગુ ફૂંકશે અને તે સાંભળીને લોકો મોટા અવાજે બૂમ પાડશે, ત્યારે નગરનો દરવાજો તૂટી પડશે; અને તમાંરે બધાએ સીધા નગરમાં ધુસી જવું.”

ગીતશાસ્ત્ર 132-134

મંદિર પરના ચઢાણ માટેનું ગીત.

હે યહોવા, જે સર્વ કષ્ટો દાઉદે સહન કર્યા હતાં તેને યાદ કરો.
યાકૂબના સમર્થ દેવ સમક્ષ તેણે પ્રતિજ્ઞા લીધી હતી;
    હા યહોવા સમક્ષ તેણે શપથ લીધા હતાં.
“જ્યાં સુધી હું યહોવાને માટે મકાન ન મેળવું;
    અને યાકૂબના સમર્થ દેવ માટે નિવાસસ્થાન તૈયાર ન કરું;
ત્યાં સુધી હું મારા ઘરમાં જઇશ નહિ;
    ત્યાં સુધી મારા પલંગ પર ઊંઘીશ નહિ.
વળી મારી આંખોને ઊંઘ
    અને મારા પોપચાને નિદ્રા આવવા દઇશ નહિ.”

દેવ, અમે તેના વિષે એફાથાહમાં સાંભળ્યું,
    અમને તે કરારકોશ કિર્યાથ યેરામ ના જંગલના ખેતરોમાં મળ્યો.
પણ હવે ચાલો આપણે મંદિરમા, દેવના કાયમી ઘરમાં જઇએ;
    ચાલો આપણે દેવના પાયાસનની આગળ તેને ભજીએ.
હે યહોવા, ઊઠો અને, તમે તમારા શકિતશાળી કોશની સાથે
    તમારા વિશ્રામસ્થાનમાં આવો.
તમારા યાજકો ન્યાયીપણાથી આશીર્વાદિત થાઓ;
    અને તારા ભકતો હર્ષનાદ કરો.
10 તમારા સેવક દાઉદને માટે દેવ,
    તમે જે એકને પસંદ કરીને અભિષિકત કર્યો છે તેનો અસ્વીકાર ન કરો.
11 યહોવાએ દાઉદની સાથે સત્ય પ્રતિજ્ઞા કરી:
    “હું તારી ગાદી પર તારા વંશજોને મૂકીશ” તેથી તે તેનું વચન તોડશે નહિ.
12 જો તારા પુત્રો મારો કરાર, અને જે નિયમો હું તેમને શીખવું તે પાળે;
    તો તેઓના સંતાનો પણ તારી ગાદીએ સદાકાળ બેસશે.

13 હે યહોવા, તમે સિયોનને
    તમારા નિવાસસ્થાન તરીકે પસંદ કર્યુ છે.
14 તમે કહ્યું છે, “મારા સદાકાળના વિશ્રામનું આ સ્થળ છે.
    હું અહીં બિરાજમાન થઇશ.” મેં તેમ કરવા ચાહ્યું હતું.
15 હું આ સિયોનને સમૃદ્ધ બનાવી અને અનાજથી ભરી દઇશ.
    અને હું સિયોનમાં ગરીબ લોકોને ભરપૂર અનાજથી સંતોષીશ.
16 હું તેના યાજકોને તારણનો ઝભ્ભો પહેરાવીશ;
    મારા પરમ ભકતો આનંદથી ગાશે.
17 દાઉદની શકિત આ જગાએ, મજબૂત બનશે.
    “મારા અભિષિકત માટે મેં દીવો તૈયાર કર્યો છે.”
18 તેના શત્રુઓને હું શરમથી ઢાંકી દઇશ;
    પણ તે પોતે એક ગૌરવી રાજા બનશે.

મંદિરે ચઢવા માટેનું દાઉદનું ગીત.

ભાઇઓ સહુ સંપીને રહે તે કેવું સરસ
    અને શોભાયમાન છે!
તેં માથે ચોળેલા, દાઢી સુધી, હા, હારુનની દાઢી સુધી
    અને તેના વસ્રની કોર સુધી, ઊતરેલા મૂલ્યવાન તેલનાં જેવું છે.
વળી તે હેમોર્ન પર્વત પરના તથા સિયોનના પર્વતો પરના ઝાકળ જેવું છે.
    કારણકે, યહોવાએ આપણને સિયોનમાં શાશ્વત જીવનનાં આશીર્વાદ આપ્યાં છે.

મંદિર પર ચઢવા માટેનું ગીત.

હે યહોવાના સેવકો, રોજ રાત્રે યહોવાના મંદિરમાં સેવા કરતાં સેવકો;
    તમે યહોવાને સ્તુત્ય માનો.
પવિત્રસ્થાન ભણી તમારા હાથ ઊંચા કરો
    અને યહોવાની સ્તુતિ કરો.
સિયોનમાંથી યહોવા, જેણે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું છે
    તમને આશીર્વાદ આપો!

યશાયા 65

ધર્મદ્રોહીની સજા

65 યહોવા કહે છે; “પહેલા કદી મારા વિષે જાણવાની કાળજી કરી નહોતી એવા લોકો હવે મને શોધી રહ્યા છે. પહેલા કદી મને તેઓ શોધતા નહોતા, છતાં હું તેમને મળવા તૈયાર હતો. એ પ્રજા મને નામ દઇને પોકારતી નહોતી છતાં મેં તેમને કહ્યું કે, ‘આ રહ્યો હું. આ રહ્યો હું.’

“એ બળવાખોર લોકોને વધાવી લેવા મેં આખો દિવસ હાથ પહોળા કર્યા, પણ તેઓ સ્વછંદી બની ખોટે માર્ગે ચાલે છે, સતત મારા મોઢા આગળ મને ગુસ્સો ચડે એવું કરે છે. તેઓ ઉપવનોમાં જઇને બીજા દેવોને બલિદાન આપે છે, અને તેમની વેદી પર ધૂપ ચઢાવે છે અને રાત્રે તેઓ કબ્રસ્તાનમાં અને ગુફાઓમાં જાય છે; તેઓ ડુક્કરનું માંસ ખાય છે અને તેમના પાત્રો અશુદ્ધ પ્રાણીઓમાંથી બનેલા રસાથી ભરેલા હોય છે, તેમ છતાં તેઓ એકબીજાને કહે છે, ‘મારી વધારે નજીક ન આવશો, નહિ. તો હું તમને પવિત્ર બનાવી દઇશ!’ તેઓ મને ગૂંગળાવે છે; તેઓ મને સતત ક્રોધિત કરે છે.”

ઇસ્રાએલને સજા મળવી જોઇએ

“જુઓ, આ સત્ય મારી આગળ નોધેલું છે: એનો બદલો આપ્યા વગર હું જંપીશ નહિ. હું તેઓના પાપોનો જ નહિ પરંતુ તેઓના પિતૃઓના પાપોનો પણ બદલો તેઓને આપીશ. કારણ કે તેઓએ પણ પર્વતો પર ધૂપ બાળ્યો છે અને ટેકરીઓ પર મારું અપમાન કર્યું છે. હું તેઓના અપરાધોનો પૂરો બદલો વાળી આપીશ.”

યહોવા કહે છે, “જેમ ઝૂમખામા નવો દ્રાક્ષારસ મળે છે ત્યારે, તેનો નાશ કરશો માં, કારણ કે તેમાં આશીર્વાદ છે, એમ લોકો કહે છે; તેમ હું મારા સેવકોને માટે કરીશ, જેથી તે સર્વ લોકોનો નાશ ન થાય. હું યાકૂબના વંશજો અને યહૂદાના લોકોને આશીર્વાદ આપીશ અને તેમને મારા આ પર્વતીય પ્રદેશના વારસો બનાવીશ. મારા પસંદ કરેલા લોકો, મારા સેવકો ત્યાં વાસો કરશે. 10 જેઓએ મારી શોધ કરી છે તેવા મારા લોકોને માટે શારોનના મેદાનોને ફરીથી ઘેટાં-બકરાં અને ઢોર-ઢાંખરથી ભરી દેવામાં આવશે અને આખોરની ખીણ તેઓનું ગોચર બની રહેશે.

11 “પરંતુ તમે મારો ત્યાગ કરનારા છો, મારા પવિત્ર પર્વત સિયોનને ભૂલી ગયા છો, ભાગ્યદેવતાઓને થાળ ધરાવો છો અને એમને જાતજાતનાં દ્રાક્ષારસની પ્યાલીનું નૈવેદ્ય ચઢાવો છો; 12 તેથી તમને તો હું તરવારને ઘાટ ઉતારીશ. તમારા બધાની હત્યા કરવામાં આવશે, કારણ, મેં તમને બોલાવ્યા પણ તમે જવાબ ન આપ્યો; હું બોલ્યો, પણ તમે કાને ન ધર્યું. મારી નજરમાં જે ખોટું હતું તે તમે કર્યું અને મને જે પસંદ નહોતું તે તમે પસંદ કર્યું.”

13 આથી યહોવા મારા માલિક કહે છે કે,
“મારા સેવકો ખાવા પામશે
    પણ તમે ભૂખ્યા રહેશો,
મારા સેવકો પીશે
    પણ તમે તરસ્યા રહેશો.
મારા સેવકો ખુશી થશે
    પણ તમે ફજેત થશો.
14 મારા સેવકો આનંદથી ગીતો ગાશે
    પણ તમે ભગ્નહૃદય થઇને રડશો,
અને અંતરના સંતાપને
    લીધે આક્રંદ કરશો.
15 મારા અપનાવેલા સેવકો શાપ આપવામાં તમારા નામનો ઉપયોગ કરશે.
    હું મારા માલિક, યહોવા તમારું મોત નીપજાવીશ.
    પણ હું મારા સેવકોને નવું નામ આપીશ.
16 છતાં દેશમાં જે કોઇ વ્યકિત બીજા કોઇને આશીર્વાદ આપશે,
    તે તે વ્યકિતને સત્ય દેવને નામે આશીર્વાદ આપશે.
જે કોઇ દેશમાં સમ ખાશે તે,
    વિશ્વાસપાત્ર દેવના નામના સમ ખાશે.
કારણ પહેલાની મુશ્કેલીઓ ભૂલાઇ ગઇ હશે
    અને મારી આંખથી સંતાઇ ગઇ હશે.”

એક નવો સમય આવી રહ્યો છે

17 યહોવા કહે છે, “જુઓ, હું નવું આકાશ અને નવી પૃથ્વી સર્જુ છું.
પહેલાની સૃષ્ટિને કોઇ સંભારશે નહિ,
    તેનું કોઇને સ્મરણ પણ નહિ થાય.
18 પરંતુ હું જે સર્જું છું, તેથી તમે ખુશ થઇને સદા આનંદોત્સવ કરો, કારણ,
    હું એક યરૂશાલેમનું સર્જન કરીશ,
જે મારા માટે આનંદ લાવશે
    અને જેના લોકો મારાથી ખુશખુશાલ હશે.

19 “હું યરૂશાલેમમાં આનંદ પામીશ
    અને ત્યાં રહેતા લોકોથી ખુશ રહીશ.
ત્યાં ફરીથી રૂદન
    તથા આક્રંદનો અવાજ સંભળાશે નહિ.
20 ત્યાં નવાં જન્મેલા બાળકો થોડા
    દિવસ જીવીને મૃત્યુ પામશે નહિ;
પૂરું આયુષ્ય ભોગવ્યા વિના કોઇ વૃદ્ધ મૃત્યુ પામશે નહિ;
    અને સો વરસ પૂરાં ન જીવવું એ શાપરૂપ મનાશે.

21 “લોકો જે ઘર બાંધશે તેમાં રહેવા પામશે,
    જે દ્રાક્ષની વાડીઓ રોપશે તેના ફળ ખાવા પામશે.
22 કોઇ ઘર બાંધે ને કોઇ વસે,
    કોઇ વાડી રોપે ને કોઇ
ખાય એવું નહિ બને.
    વૃક્ષની જેમ મારા લોકો લાંબું જીવશે.
મારા અપનાવેલા લોકો
    પોતાના પરિશ્રમના ફળ ભોગવવા પામશે.
23 તેઓની મહેનત વ્યર્થ નહિ જાય,
    અને તેમણે ઉછેરેલા બાળકો
આફતનો ભોગ નહિ બને,
    કારણ, હું યહોવા, તેમને અને તેમના સંતાનોને આશીર્વાદ આપીશ.
24 તેઓ મને પોકારે તે પહેલાં જ હું જવાબ આપીશ,
    તેઓ બોલે ના બોલે ત્યાં તો મેં સાંભળી લીધું હશે.
25 વરૂ તથા ઘેટાનું બચ્ચું સાથે ચરશે,
    સિંહ બળદની જેમ કડબ ખાશે,
    અને ઝેરી સર્પો કદી ડંખ મારશે નહિ!
મારા આખા પવિત્ર પર્વતમાં તેઓ ઉપદ્રવ કરશે નહિ ને વિનાશ કરશે નહિ.”
    એમ યહોવા કહે છે.

માથ્થી 13

ઈસુ બીજ વાવનારનું દૃષ્ટાંત કહે છે

(માર્ક 4:1-9; લૂ. 8:4-8)

13 તે જ દિવસે ઈસુ ઘરમાંથી નીકળીને સરોવરના કિનારે જઈને બેઠો. ઘણા લોકો તેની આસપાસ ભેગા થયા. તેથી તે હોડીમાં પ્રવેશ્યો અને બેઠો. લોકો કિનારે ઊભા રહ્યાં. ઈસુએ દૃષ્ટાંતો દ્વારા ઉપદેશ આપવાનું શરૂ કર્યુ. તેણે કહ્યું,

“એક ખેડૂત ખેતરમાં વાવવા માટે બહાર ગયો. જ્યારે ખેડૂત વાવણી કરતો હતો ત્યારે કેટલાંએક બી રસ્તાની બાજુએ પડયાં. પક્ષીઓ આવ્યાં અને તે ખાઈ ગયાં. કેટલાંએક બી પથ્થરવાળી જમીન પર પડ્યાં. ત્યાં પૂરતી માટી નહોતી. અને માટીનું ઊંડાણ નહોતું. તેથી બી વહેલા ઊગી નીકળ્યાં. પણ સૂર્યના તાપથી બધા જ કુમળા છોડ ચીમળાઈ ગયા અને સુકાઈ ગયા. કારણ તેમનાં મૂળ ઊડાં ન હતાં. કેટલાએક બી કાંટા ઝાંખરામાં પડ્યાં. ઝાંખરા ઉગ્યાં પણ સારા બી ના છોડને ઉગતા જ દબાવી દીધા. કેટલાંક સારી જમીનમાં પડ્યાં અને તેમાંથી છોડ ઊગ્યા, અને અનાજ ઉત્પન્ન કર્યુ. કેટલાંક છોડે સોગણાં, કેટલાંક સાઠગણાં અને કેટલાંકે ત્રીસગણાં ફળ ઉત્પન્ન કર્યા. તમે લોકો જે મને સાંભળી રહ્યાં છો, તે ધ્યાનથી સાંભળો!”

ઈસુના ઉપદેશમાં દૃષ્ટાંતનો ઉપયોગ

(માર્ક 4:10-12; લૂ. 8:9-10)

10 પછી ઈસુના શિષ્યોએ તેને આવીને પૂછયું, “તું લોકોને દૃષ્ટાંતો દ્વારા શા માટે શીખવે છે?”

11 ઈસુએ શિષ્યોને કહ્યું, “આકાશના રાજ્ય અને તેના મર્મો વિષે તમને સમજવાનો અધિકાર આપવામાં આવ્યો છે પરંતુ તે બીજા લોકોને આપવામાં આવ્યો નથી. 12 જેની પાસે સમજ છે, તેને આપવામાં આવશે અને તેની પાસે તેની જરૂરિયાત કરતાં પણ પુષ્કળ થશે, પણ જેની પાસે સમજ નથી, તેની પાસે જે થોડી ઘણી છે તે પણ ગુમાવી બેસશે. 13 આથી હું દૃષ્ટાંત દ્વારા તેમને કહું છું કે તમે નજર કરશો અને તમને દેખાશે. લોકો જુએ છે પણ હકીકતમાં તેઓ જુએ છે છતાં તેઓ જોતા નથી. તેઓ સાંભળે છે, પણ હકીકતમાં તેઓ સાંભળતા નથી અને સમજતા પણ નથી. 14 તેથી યશાયા પ્રબોધકે ભવિષ્યવાણી કરી છે તે સાચી પડી છે:

‘તમે લોકો સાંભળશો અને સાંભળતા જ રહેશો,
    પણ કદી સમજશો નહિ.
તમે જોઈ શકશો છતાં પણ કદી પણ જોઈ શકશો નહિ.
    અને તમે શું જુઓ છો તે સમજી શકશો નહિ તેમના કિસ્સામાં આ સાચું સાબિત થયું છે.
15 કેમ કે આ લોકોનું હૃદય લાગણી વિહિન થઈ ગયું છે.
    તેઓને કાન છે, પણ ભાગ્યે જ સાંભળે છે,
    અને તેઓએ પોતાની આંખો બંધ કરી છે.
કારણ સત્ય જોવું નથી,
    નહિ તો તેઓ પોતાની આંખોથી જુએ,
    પોતાના કાનથી સાંભળે,
    અને પોતાના હૃદયથી સમજી પાછા ફરે તો હું
તેઓને સાજા કરું.’ (A)

16 પણ તમે આશીર્વાદ પામેલા છો, કારણ કે તમારી આંખો જોઈ શકે છે અને તમારા કાન સાંભળી શકે છે. ને સમજી શકે છે. 17 હું તમને સત્ય કહું છું કે ઘણા પ્રબોધકો અને સારા માણસો તમે જે જુઓ છો તે જોવા ઈચ્છતા હતા પરંતુ તેઓ જોઈ શકયા નહિ. અને ઘણા પ્રબોધકો અને સારા માણસો તમે જે સાંભળો છો તે સાંભળવા ઈચ્છતા હતા પરંતુ તે સાંભળી શકયા નહિ.

ઈસુ બી નો અર્થ સમજાવે છે

(માર્ક 4:13-20; લૂ. 8:11-15)

18 “બી વાવનાર ખેડૂતનાં દૃષ્ટાંતનો અર્થ ધ્યાનથી સાંભળો:

19 “જે બીજ રસ્તા ઉપર પડ્યા છે તેનો અર્થ શો? એનો અર્થ એ કે જે રાજ્ય વિષેની સંદેશ સાંભળે છે પણ તે સમજી શકતો નથી, ત્યારે શેતાન આવીને તેના મનમાં જે વાવેલું છે તે છીનવીને લઈ જાય છે. રસ્તાની કોરે જે વાવેલું તે એ જ છે.

20 “અને ખડકાળ પ્રદેશમાં બી પડે છે, તેનો અર્થ શો? એ બી એવા માણસ જેવું છે કે જે ઉપદેશ સાંભળે છે અને તરત જ આનંદથી સ્વીકારી લે છે. 21 તો પણ તેના પોતામાં જડ નહિ હોવાથી તે થોડીવાર ટકે છે અને જ્યારે વચનને લીધે વિપત્તિ અથવા સતાવણી આવે છે ત્યારે તે તરત ઠોકર ખાય છે તે માણસનાં હૃદય સુધી તે ઉપદેશની અસર થાય અને જયારે તેને સ્વીકારેલા સંદેશને લીધે સતાવણી થાય છે ેત્યારે ઝડપથી સિધ્ધાંતો ત્યજી દે છે અને પાછો પડે છે.

22 “અને જે બી કાંટા અને ઝાંખરામાં પડ્યાં છે તે એવી વ્યક્તિ જેવા છે કે જે ઉપદેશ સાંભળે છે પણ જ્યારે દુન્યવી ચિંતાઓ અને સંપત્તિના પ્રલોભનો આવે છે ત્યારે સંદેશને ગુંગળાવી નાખે છે. અને તેને ઊગતા અટકાવે છે. અને તે કોઈ ફળ ધારણ કરી શકતા નથી.

23 “સારી જમીન ઉપર પડેલા બી નો અર્થ એ છે કે જે વ્યક્તિ આ ઉપદેશ સાંભળે છે અને સમજે છે તે તેનાં ફળ પામે છે અને કોઈવાર તે જીવનમાં સો ગણાં, કોઈવાર સાઠ ગણાં અને કોઈવાર ત્રીસ ગણાં ફળ ધારણ કરે છે.”

ઘઉ અને નકામા છોડ વિષે વાર્તા

24 ઈસુએ બીજું એક દૃષ્ટાંત કહ્યું, “આકાશનું રાજ્ય એ વ્યક્તિ જેવું છે, જેણે પોતાના ખેતરમાં સારા બીજની વાવણી કરી હતી. 25 એક રાત્રે, બધાં જ માણસો ઊંઘતા હતા. ત્યારે તેનો વૈરી આવ્યો અને ઘઉંમાં નકામા બી વાવી ગયો. 26 પણ જ્યારે છોડ ઊગ્યા અને દાણા દેખાયા ત્યારે નકામા છોડ પણ દેખાયા. 27 ખેડૂતનો છોકરો આવ્યો અને તેને કહ્યું, ‘શું તમે ખેતરમાં સારા બી વાવ્યા ન હતાં? તો પછી ખરાબ છોડ ક્યાંથી આવ્યા?’

28 “તે માણસે ઉત્તર આપ્યો, ‘વૈરીઓએ આ વાવ્યું છે,’

“નોકરે પૂછયું, ‘તમે રજા આપો તો નકામા છોડ કાઢી નાખીએ.’

29 “તેણે કહ્યુ, ‘ના, તેમ કરવા જશો તો નકામા છોડ સાથે ઘઉંના છોડ પણ ઉખાડી નાખશો. 30 પાક લણતાં સુધી ઘઉં અને નકામા દાણા ભલે સાથે ઊગે પાક લણણીના સમયે લણનારાઓને હું કહીશ પહેલા નકામા છોડને ભેગા કરો. તેમને બાળી નાખવાના હેતુથી તેમના ભારા બાંધો. અને પછી ધઉં મારા કોઠારમાં ભેગા કરો.’”

ઈસુ બીજી દૃષ્ટાંત કથાઓ સાથે શિક્ષણ આપે છે

(માર્ક 4:30-34; લૂ. 13:18-21)

31 પછી ઈસુએ લોકોને બીજુ દૃષ્ટાંત કહ્યું, “આકાશનું રાજ્ય રાઈના બી જેવું છે જેને માણસે લઈને તેના ખેતરમાં વાવ્યું. 32 બધા જ બી કરતાં તે સૌથી નાનું છે. પણ તે જ્યારે ઉગે છે ત્યારે બગીચાનાં બધાજ છોડ કરતાં બધારે મોટું બને છે અને તે વૃક્ષ બને છે. અને પક્ષીઓ ત્યાં આવીને ડાળીઓમાં માળા બાંધે છે.”

33 પછી તેણે બીજુ દૃષ્ટાંત કહ્યું, “આકાશનું રાજ્ય ખમીર જેવું છે, એક સ્ત્રીએ ત્રણ ગણાં લોટમાં ખમીર ભેળવ્યું જ્યાં સુધી બધાજ લોટને આથો આવી ખમીર તૈયાર ન થયું ત્યાં સુધી તે રહેવા દીઘું.”

34 ઈસુએ લોકોને દૃષ્ટાંત કથાઓ દ્વારા ઉપદેશ આપ્યો. તેણે દૃષ્ટાંત કથાઓનો ઉપયોગ કર્યા સિવાય કદીયે ઉપદેશ આપ્યો નથી. 35 આમ એટલા માટે બન્યું, પ્રબોધકે જે કહ્યું હતું તે સાચું પડે:

“હું દૃષ્ટાંતો દ્વારા જ વાત કરીશ;
    અને પૃથ્વીની ઉત્પત્તિથી અત્યાર સુધી ગુપ્ત રખાયેલા રહસ્યોને હું સમજાવીશ.” (B)

ધઉં અને કડવા દાણાના દૃષ્ટાંતનો ખુલાસો

36 પછી ઈસુ લોકસમુદાયને છોડી ઘરમાં ગયો, તેના શિષ્યોએ આવીને તેને વિનંતી કરી, “અમને ખેતરના નકામા છોડવાનું દૃષ્ટાંત સમજાવો.”

37 ઈસુએ ઉત્તર આપ્યો, “જેણે સારા બી નું વાવેતર કર્યુ છે તે માણસનો દીકરો છે. 38 આ ખેતર પણ જગત છે જ્યાં સારા બી રાજ્યના સંતાન છે અને ખરાબ બી શેતાનનાં સંતાન છે. 39 જે વૈરીએ ખરાબ બી વાવ્યા તે શેતાન છે, કાપણી એ જગતનો અંત છે, અને પાક લણનારા એ દૂતો છે.

40 “આ દૃષ્ટાંતમાં જેમ નકામા છોડને જુદા કાઢી બાળી દેવામાં આવે છે તે જ પ્રમાણે જગતના અંતકાળે થશે. 41 માણસનો દીકરો પોતાના દૂતોને મોકલશે એ દૂતો એવા લોકો જેઓ બીજાને પાપ કરવા પ્રેરે છે અને જેઓ અનિષ્ટ કરે છે તેમને બહાર કાઢશે અને તેમને તેના રાજ્યની બહાર લઈ જશે. 42 તે દૂતો આવા માણસોને અગ્નિની ભઠ્ઠીમાં ફેંકી દેશે. જ્યાં લોકો વેદનાને લીધે રડશે અને દાંત પીસશે. 43 ત્યારે સારા લોકો જ તેના બાપના રાજ્યમાં સૂરજની જેમ ચમકશે. જે સાંભળી શકતા હોય તે મારી વાત ધ્યાનથી સાંભળી લો!

ધન ભંડાર અને મોતીની વાર્તા

44 “આકાશનું રાજ્ય ખેતરમાં સંતાડેલા ખજાના જેવું છે એક દિવસ જ્યારે માણસને તે ખજાનો મળ્યો ત્યારે ખૂબ ખુશ થયો અને તે જ ખેતરમા ધનનો ખજાનો સંતાડી દીઘો. અને તે ખેતર ખરીદવા પોતાની પાસે જે કઈ હતું, તે બધુંજ વેચી દીધું.

45 “વળી, આકાશનું રાજ્ય સુંદર સાચા મોતીની શોધ કરવા નીકળેલા એક વેપારી જેવું છે. 46 એક દિવસે તે વેપારીએ આ વિશિષ્ટ મૂલ્યવાન મોતી જોયું ત્યારે તે ગયો અને તેની પાસે જે કઈ હતુ તે બધુ વેચી દીધું અને તે ખરીદી લીધું.

માછલીની જાળની વાર્તા

47 “અને આકાશનું રાજ્ય એક જાળ જેવું છે, જેને સરોવરમાં નાખીને બધીજ જાતની માછલીઓ પકડી હતી. 48 જ્યારે જાળ પૂરી માછલીઓથી ભરાઈ ગઈ ત્યારે તેણે જાળને પાણીમાંથી બહાર કાઢી સારી માછલીઓ ટોપલીઓમાં ભરી દીઘી. અને ખરાબ માછલીઓને ફેંકી દીઘી. 49 સૃષ્ટિના અંત સમયે પણ આવું જ થશે. દૂતો આવીને દુષ્ટ માણસોને સારા માણસોથી જુદા પાડશે. 50 દૂતો દુષ્ટ માણસોને ધગધગતા અગ્નિમાં ફેંકી દેશે જ્યાં એ લોકો કલ્પાંત કરશે અને દુ:ખથી તેમના દાંત પીસશે અને દુ:ખી થશે.”

51 પછી ઈસુએ તેના શિષ્યોને પૂછયું, “હવે તમે આ બધી બાબતો સમજો છો?”

શિષ્યોએ કહ્યું, “હા, અમે સમજીએ છીએ.”

52 પછી ઈસુએ શિષ્યોને કહ્યું, “જે શાસ્ત્રીઓ આકાશના રાજ્ય વિષે જાણે છે એ એક એવા ઘર ઘણી છે કે જે તેના કોઠારમાંથી નવી અને જુની વસ્તુઓ બહાર કાઢી નાખે છે.”

ઈસુ વતનમાં પાછો ફર્યો

(માર્ક 6:1-6; લૂ. 4:16-30)

53 જ્યારે ઈસુએ દૃષ્ટાંતો દ્વારા પોતાનો ઉપદેશ પૂરો કર્યા પછી ત્યાંથી ચાલી નીકળ્યો. 54 ઈસુ જ્યાં ઉછરીને મોટો થયો હતો ત્યાં ગયો અને લોકોને તેમના સભાસ્થાનમાં ઉપદેશ આપવા લાગ્યો. અને લોકો આશ્ર્ચર્યમુગ્ધ થયા અને કહ્યું, “આ માણસને આવું ડહાપણ અને ચમત્કાર કરવાનું પરાક્રમ કયાંથી પ્રાપ્ત થયું?” 55 આ તો એક સુથારનો દીકરો છે. તેની મા મરિયમ તરીકે ઓળખાય છે. તેના ભાઈઓને યાકૂબ, યૂસફ, સિમોન અને યહૂદા તરીકે આપણે ઓળખીએ છીએ. 56 તેની બહેનો પણ અહીં જ રહે છે, તો આ માણસમાં આટલું બધું ડહાપણ અને આ બધું કરવાનું સાર્મથ્ય કયાંથી આવ્યાં? 57 એથી એ લોકોએ તેનો સ્વીકાર કર્યો નહિ.

એટલે ઈસુએ લોકોને કહ્યું, “પ્રબોધકને પોતાના ગામ કે પોતાના ઘર સિવાય બધે જ સન્માન મળે છે.” 58 તે લોકો ઈસુમાં વિશ્વાસ કરતાં ન હતા, તેથી તેણે ત્યાં ઘણાં પરાક્રમી કાર્યો બતાવ્યા નહિ.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International