Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
નિર્ગમન 2

બાળક મૂસા

લેવીઓના ઘરનો એક પુરુષ જઈને પોતાની જાતની કન્યાને પરણ્યો હતો. તે સ્ત્રી ગર્ભવતી થતાં તેને પુત્ર અવતર્યો. પુત્ર રૂપાળો હતો તેથી તેણે તે બાળકને ત્રણ મહિના સુધી સંતાડી રાખ્યો. પણ પછી તેને સંતાડી રાખવાનું શક્ય ન રહ્યું એટલે તેણે નેતરનો એક કરંડિયો લીધો, તેને ડામરથી લીપ્યો જેથી તે તરતો રહે. તેમાં બાળકને સુવાડીને કરંડિયો તે નદી કિનારે બરુઓમાં મૂકી આવી. પછી તે છોકરાનું શું થાય છે, તે જોવા માંટે તેની બહેનને દૂર ઊભી રાખી.

હવે પછી એવું બન્યું કે ફારુનની કુવરી નદીમાં સ્નાન કરવા માંટે આવી અને તેની દાસીઓ નદી કિનારે આમતેમ ફરવા લાગી. કુવરીએ બરુઓમાં પેલો કરંડિયો જોઈને પોતાની દાસીને મોકલીને તે મંગાવી લીધો. પછી તેણે ઉધાડીને જોયું, તો અંદર એક બાળક રડતું હતું, તેથી તેને તેના પર દયા આવી.

અને તેને કહ્યું, “આ કોઈ હિબ્રૂનું બાળક હોવું જોઈએ. પછી તે બાળકની બહેને ફારુનની દીકરીને કહ્યું, હું જઈને કોઈ હિબ્રૂ ઘાવને બોલાવી લાવું જે બાળકની સાચવણી કરે અને તેના લાલનપાલન કરવા માંટે તમાંરી મદદ કરે?”

ફારુનની કુવરીએ કહ્યું, “જા, બોલાવી લાવ.”

એટલે તે છોકરી જઈને બાળકની માંને બોલાવી લાવી.

કુવરીએ તેને કહ્યું, “આ બાળકને લઈ જા અને માંરા વતી તેની સાચવણી કર અને તેને ઘવડાવ. હું તને તે બદલ પગાર આપીશ.”

તેથી સ્ત્રી તેનું બાળક લઈ ગઈ અને તેની સાચવણી કરી. 10 પછી તે બાળક મોટું થયું એટલે તે તેને ફારુનની કુંવરી આગળ લઈ આવી અને તેણે તેને પુત્રની જેમ રાખ્યો. “મેં એને પાણીમાંથી બહાર કાઢયો હતો, ‘એમ કહીને કુવરીએ પુત્રનું નામ મૂસા રાખ્યું.’”

મૂસાની પોતાના લોકોને મદદ

11 મૂસા મોટો થયો. અને એક દિવસ પોતાના લોકો પાસે ગયો. તેણે પોતાના માંણસો પર સખ્ત કામ કરવા માંટે બળજબરી થતા જોઈ. અને તેણે એક મિસરીને એક હિબ્રૂને માંરતા જોયો. 12 તેણે આમતેમ નજર કરી છતાં તેને કોઈ દેખાયું નહિ એટલે તેણે મિસરીને માંરી નાખીને રેતીમાં દાટી દીઘો.

13 અને બીજે દિવસે તે બહાર ફરવા નીકળ્યો, ત્યારે તેણે બે હિબ્રૂઓને લડતાં જોયા. તેણે જેનો વાંક હતો તે માંણસને કહ્યું, “શા માંટે તું તારા જાતભાઈને માંરે છે?”

14 એટલે તે માંણસે તેને કહ્યું, “તને અમાંરો ઉપરી અને ન્યાયાધીશ કોણે બનાવ્યો છે? તે જેમ પેલા મિસરીની હત્યા કરી તેમ માંરી હત્યા કરવા માંગે છે?”

તે સાંભળીને મૂસા ડરી ગયો તેથી વિચાર કરવા લાગ્યો કે, “હવે બધાંને ખબર પડી ગઈ છે કે મેં શું કર્યુ છે.”

15 આ વાતની જાણ ફારુનને થતા, તે મૂસાને માંરી નાખવા તૈયાર થયો. પણ મૂસા ફારુનને ત્યાંથી નાસી જઈને મિધાન દેશમાં જઈને વસ્યો.

મૂસાનું મિધાનમાં આગમન

એક વખત તે કૂવા પાસે બેઠો હતો 16 ત્યારે મિધાનના યાજકની સાત પુત્રીઓ ત્યાં આવી. અને પોતાના બાપનાં ઘેટાંબકરાને પાણી પીવડાવવા માંટે કૂવામાંથી પાણી ખેંચીને હવાડા ભરવા લાગી. 17 ત્યાં તો ભરવાડો ત્યાં આવ્યા અને તેમને કાઢી મૂકવા લાગ્યા, પણ મૂસા તેમની જોડે આવી પહોંચ્ચોં અને તેમનાં ઘેટાંબકરાંને પાણી પાયું.

18 જ્યારે તેઓ તેમના પિતા રેઉએલ પાસે ગઈ ત્યારે તે બોલ્યા, “આજે તમે આટલાં વહેલાં કેમ આવ્યાં?”

19 એટલે તેમણે જવાબ આપ્યો, “અમને એક મિસરીએ ભરવાડોથી બચાવી અને છોડાવી વળી અમને પાણી પણ કાઢી આપ્યું, અને ઘેટાંબકરાંને પાયું.”

20 એટલે પછી તેણે પોતાની પુત્રીઓને પૂછયું, “તે કયાં છે? અને તમે તેને મૂકીને શા માંટે આવ્યાં? જાઓ, તેને જમવા માંટે બોલાવી લાવો.”

21 મૂસા તે માંણસ સાથે રહેવા સંમત થયો, અને પોતાની પુત્રી સિપ્પોરાહના લગ્ન મૂસા સાથે તેણે કર્યા. 22 પછી તેણે એક પુત્રને જન્મ આપ્યો અને તેનું નામ મૂસાએ ગેર્શોમ એટલા માંટે પાડયું કે, મૂસા બીજાનાં દેશમાં અજાણ્યો હતો.

દેવનો ઇસ્રાએલીઓને મદદ કરવાનો નિર્ણય

23 હવે ઘણો સમય પસાર થયા પછી મિસરના રાજાનું અવસાન થયું. ઇસ્રાએલીઓ ગુલામીમાં પીડાતા હતા. તેઓ આક્રદ કરીને મદદ માંટે પોકાર કરતા હતા તેથી ગુલામીમાંથી કરેલો એ પોકાર દેવ સુધી પહોંચ્યો. 24 દેવે તેમનું રૂદન અને ઊહંકાર સાંભળ્યો અને ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબ સાથે કરેલા કરારનું તેમને સ્મરણ થયું. 25 અને દેવે ઇસ્રાએલીઓની સ્થિતી જોઈ અને તેમને ખબર હતી કે તે વહેલા તેઓની મદદ કરવાના છે.

લૂક 5

પિતર, યાકૂબ, યોહાન ઈસુને અનુસરે છે

(માથ. 4:18-22; માર્ક 1:16-20)

ગન્નેસરેત ગાલીલ સરોવરને કાંઠે ઈસુ ઊભો હતો તે દેવના વચનનો ઉપદેશ કરતો હતો. તેઓ તેનો ઉપદેશ સાંભળતા હતા. ત્યારે તેણે સરોવરને કિનારે બે હોડી લાંગરેલી જોઈ. માછીમારો તેઓની જાળ પાણીમાં ધોઇ રહ્યાં હતા. તેમાની એક હોડી સિમોનની હતી. ઈસુ તે હોડીમાં બેસવા ચઢી ગયો. ઈસુએ તેને કાંઠાથી થોડે દૂર હોડી હંકારવાનું કહ્યું. તેણે તેમાં બેસીને લોકોને ઉપદેશ આપ્યો.

ઈસુએ ઉપદેશ આપી રહ્યાં પછી સિમોનને કહ્યું, “હોડીને દૂર ઊંડા પાણીમાં લઈ જાઓ. અને માછલાં પકડવા જાળો નાખો. તમને કેટલાંક માછલાંઓ મળશે.”

સિમોને ઉત્તર આપ્યો, “સ્વામી, અમે આખી રાત ખૂબ મહેનત કરી છે, પરંતુ અમને કશું જ પ્રાપ્ત થયું નથી. પરંતુ તું કહે છે તે કારણથી હું જાળો નાખીશ.” માછીમારોએ પાણીમાં જાળો નાખી અને જાળોમાં એટલી બધી માછલીઓ ભરાઇ કે તેના ભારથી જાળો તૂટવા માંડી. તેથી તેઓએ બીજી હોડીમાં બેઠેલા એમના મિત્રોને ઇશારો કર્યો. તેઓ આવ્યા અને બંને હોડીઓમાં એટલી બધી માછલીઓ ભરી કે હોડીઓ ડૂબવા માંડી.

8-9 જ્યારે સિમોન પિતરે આ જોયું ત્યારે તે ઈસુના ચરણોમાં માથું નમાવીને બોલ્યો, “પ્રભુ! હું તો એક પાપી માણસ છું. તું મારાથી દૂર રહે.” તેણે આ એટલા માટે કહ્યું કારણ કે આટલી બધી માછલીઓ પકડાઇ તેથી તે અને તેના સાથીદારો ભારે આશ્ચર્ય પામ્યા. 10 ઝબદીનો દીકરો યાકૂબ અને યોહાન તથા પિતરના ભાગીદારો જે સિમોનના મિત્રો હતા તેઓને પણ આ જોઈને ભારે આશ્ચર્ય થયું હતું.

તેથી ઈસુએ સિમોનને કહ્યું, “ગભરાઇશ નહિ, હવે પછી તું માછલીઓ નહિ, પરતું માણસોને ભેગા કરીશ!”

11 પછી તે લોકો તેઓની હોડીઓ કિનારે લાવ્યા અને સર્વસ્વનો ત્યાગ કરીને ઈસુને અનુસર્યા.

ઈસુ માદાં માણસને સાજો કરે છે

(માથ. 8:1-4; માર્ક 1:40-45)

12 પછી એક વખત ઈસુ એક શહેરમાં હતો, ત્યારે આખા શરીરે રક્તપિત્તના રોગથી પીડાતો એક માણસ ત્યાં હતો. ઈસુને જોઈને તે માણસે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને કહ્યું, “પ્રભુ! મને સાજો કર, તું ચાહે તો મને સાજો કરી શકવા સમર્થ છે.”

13 ઈસુએ કહ્યું, “હું તને સાજો કરવા ઈચ્છું છું, તું સાજો થઈ જા!” ઈસુનો સ્પર્શ થતાં જ દર્દીનો રક્તપિત્તનો રોગ મટી ગયો. તે રોગ મુક્ત થઈ ગયો. 14 ઈસુએ આ વાત કોઈને પણ ન કહેવાની આજ્ઞા કરીને કહ્યું, “તું યાજક પાસે જા અને તારી જાત તેને બતાવ અને મૂસાના આદેશ પ્રમાણે દેવને ભેટ અર્પણ કર. જેથી લોકોને ખબર પડશે કે તું સારો થઈ ગયો છે.”

15 પરંતુ ઈસુના આ સમાચાર તો વધુ ને વધુ પ્રસરવા લાગ્યા. ઘણા લોકોના ટોળેટોળા ઈસુને સાંભળવા તથા પોતાના રોગમાંથી મુક્ત થવા આવવા લાગ્યા. 16 તેથી ઈસુ વારંવાર એકાંત સ્થળોએ જતો જેથી એકાંતે પ્રાર્થના કરી શકતો.

પક્ષઘાતી માણસને ઈસુ સાજો કરે છે

(માથ. 9:1-8; માર્ક 2:1-12)

17 એક વખત ઈસુ ઉપદેશ આપતો હતો ત્યારે કેટલાક ફરોશીઓ અને નિયમોપદેશકો ત્યાં આવીને બેઠા. તે બધા ગાલીલ, યહૂદિયા અને યરૂશાલેમના હતા. ઈસુ પાસે રોગીઓને સાજા કરવા પ્રભુનું પરાક્રમ હતું. 18 કેટલાએક માણસો એક પક્ષઘાતી માણસને ખાટલામાં ઊંચકીને લાવ્યાં હતા. તે માણસોએ ઈસુની આગળ તેને લાવવા અને નીચે મૂકવા પ્રયત્ન કર્યા. 19 પણ ત્યાં લોકોની ભીડ એટલી બધી હતી કે તેઓ તેની પાસે જવાનો માર્ગ કરી શક્યા નહિ. આખરે તેઓ છાપરા પર ચઢી ગયા અને છત પરનું છાપરું ખસેડીને પથારી સાથે જ પક્ષઘાતીને ઈસુની આગળ વચ્ચે ઉતાર્યો. 20 તેઓનો વિશ્વાસ જોઈને ઈસુએ પક્ષઘાતી રોગીને કહ્યું, “મિત્ર, તારા પાપો માફ કરવામાં આવ્યા છે.”

21 ફરોશીઓ અને શાસ્ત્રીઓ પણ અંદરો અંદર વિચાર કરવા લાગ્યા અને કહેવા લાગ્યા, “આ માણસ કોણ છે? આ તે દેવનું અપમાન કહેવાય! પાપમાંથી માફી આપવાનું કામ દેવના સિવાય બીજું કોણ કરી શકે?”

22 પરંતુ ઈસુને ખબર પડી ગઇ કે તેઓ શું વિચારતા હતા, તેણે કહ્યું, “તમારા મનમાં આવા વિચારો કેમ આવે છે?” 23-24 તારા પાપો માફ થયા છે એમ કહેવું અથવા ચાલ ઊભો થા અને તારી પથારી લઈને ચાલતો થા. એ બેમાં કયું સરળ છે, તેનો વિચાર કરો. પરંતુ તમને ખાતરી થાય તે માટે હું સાબિત કરી બતાવીશ કે પૃથ્વી પર માણસના દીકરાને પાપમાંથી માફી આપવાનો અધિકાર છે. તેથી ઈસુએ પક્ષઘાતી માણસને કહ્યું, “હું તને આજ્ઞા કરું છું ઊઠ! અને તારી પથારી ઊચકીને ઘેર ચાલ્યો જા!”

25 પછી તરત જ તે માણસ બધા લોકોની હાજરીમાં ઊભા થયો. તે જે પથારીમાં સૂતો હતો તે ઉપાડીને દેવની સ્તુતિ કરતો કરતો પોતાને ઘેર ચાલ્યો ગયો. 26 બધાજ લોકો અચરત પામી ગયા. તેઓ સ્તુતિ કરવા લાગ્યા. લોકો વિશ્વાસથી નવાઇ પામી દેવના સામથ્યૅ માટે તેઓ ખૂબ માનથી બોલ્યા, “આજે આપણે આજાયબ જેવી વાતો જોઈ છે!”

લેવી ઈસુને અનુસરે છે

(માથ. 9:9-13; માર્ક 2:13-17)

27 આ પ્રસંગ પછી ઈસુ બહાર જતો હતો ત્યારે તેણે લેવી નામના જકાતદારને જકાતનાકામાં બેઠેલો જોયો. તેથી ઈસુએ તેને કહ્યું, “આવ અને મને અનુસર!” 28 આ સાંભળીને તરત જ લેવી સર્વસ્વ છોડીને ઈસુને અનુસરવા લાગ્યો.

29 અને પછી લેવીએ પોતાના ઘરે ઈસુના માનમાં ભોજનસમારંભનુંઆયોજનકર્યુ. ત્યાં ભોજનસમારંભમાં ઘણા જકાતદારો અને બીજા કેટલાએક લોકો પણ હાજર હતા. 30 તે વખતે ફરોશીઓ અને શાસ્ત્રીઆએે તેના શિષ્યોને ફરીયાદ કરી, “તમે શા માટે જકાતદારો અને પાપીઓની સાથે ભોજન કરો છો અને પીઓ છો?”

31 ઈસુએ તેઓને પ્રત્યુત્તર આપ્યો, “તંદુરસ્ત માણસોને વૈદની જરૂર પડતી નથી. ફક્ત રોગીઓને જ વૈદની જરૂર પડે છે. 32 હું પ્રામાણિક માણસનો નહિ પરંતુ પાપીઓને તેઓના જીવન અને હ્રદય પરિવર્તન કરવા બોલાવવા આવ્યો છું!”

ઉપવાસ વિષેના પ્રશ્રનો ઈસુ ઉત્તર આપે છે

(માથ. 9:14-17; માર્ક 2:18-22)

33 તેઓએ ઈસુને કહ્યું, “યોહાન બાપ્તિસ્તના શિષ્યો વારંવાર ઉપવાસ અને પ્રાર્થના કરે છે, ફરોશીઓના શિષ્યો પણ એમ જ કરે છે. પરંતુ તારા શિષ્યો તો હંમેશા ખાય છે અને પીએ છે.”

34 ઈસુએ તેઓને કહ્યું, “જો વરરાજા તેઓની સાથે હોય તો શું વરરાજાની જાનમાં આવેલા જાનૈયાઓ ઉપવાસી રહે તેવું શક્ય છે? 35 પરંતુ એવો સમય આવશે. જ્યારે વરરાજાને તેઓની પાસેથી લઈ લેવામાં આવશે અને તેના મિત્રોને ઉપવાસ કરવો પડશે.”

36 ઈસુએ લોકોને આ દષ્ટાંત પણ કહ્યું, “કોઈ પણ વ્યક્તિ પોતાના નવા કોટમાંથી કાપડનો ટૂકડો કાઢીને જૂના કોટને થીંગડુ મારતો નથી. કારણ કે તે જાણે છે કે આમ કરવાથી નવા કોટને નુકશાન થશે અને નવા કોટનું થીંગડુ જૂના કોટના કાપડને મળતું નહિ આવે. 37 કોઈ પણ માણસ નવો દ્ધાક્ષારસ જૂના દ્ધાક્ષારસની મશકોમાં ભરતો નથી. કારણ કે નવો દ્ધાક્ષારસ જૂની મશકને ફાડી નાખશે અને તેથી દ્ધાક્ષારસ ઢોળાઇ જશે. દ્ધાક્ષારસની મશકોનો નાશ થશે. 38 લોકો હંમેશા નવો દ્ધાક્ષારસ નવી મશકોમાં જ ભરે છે. 39 જે કોઈ જૂના દ્ધાક્ષારસનું પાન કરે છે તેઓ કદાપિ નવો દ્ધાક્ષારસ માગતા નથી. તે કહે છે, ‘જૂનો દ્ધાક્ષારસ જ સારો છે.’”

અયૂબ 19

અયૂબનો પ્રત્યુતર

19 ત્યારબાદ અયૂબે જવાબ આપ્યો:

“તમે ક્યાં સુધી મને આવો ત્રાસ આપ્યા કરશો?
    અને મહેણાં મારીને મને કચડ્યા કરશો?
તમે પહેલેથીજ મને દસ વખત મહેણાં માર્યાં છે.
    જયારે તમે મારા પર હુમલો કરો છો, તમને શરમ આવતી નથી!
જો મેં પાપ કર્યુ પણ હોય, તો તે મારી સમસ્યા છે.
    તે તમને દુ:ખ નહિ પહોંચાડે.
તમારે ફકત તમારી જાતને મારી કરતા સારી દેખાડવી છે.
    તમે કહો છો કે મારી સમસ્યા એ મારો દોષ છે.
આટલું સમજી લો દેવે મને વિના વાંકે દંડ્યો છે
    અને મને ફાંસલામાં પકડી લીધો છે તે સાચું છે.
જો હું એમ બૂમો પાડું, ‘મારી મદદ કરો, મારા ઉપર હુમલો થયો છે.’
    તો કોઇ મારી મદદે આવતું નથી. જો હું પોકાર કરું તોય મને ન્યાય મળતો નથી.
દેવે મારો માર્ગ બંધ કરી દીધો છે.
    તેણે મારા રસ્તાઓને અંધકારથી ઢાંકી દીધા છે.
એમણે મને બેઆબરુ કર્યો છે અને અપમાનિત પણ કર્યો છે.
    મારા માથા પરનો મુગટ ઉતારી નાંખ્યો છે.
10 જ્યાં સુધી મારો વિનાશ ન થાય
    ત્યાં સુધી ચારે બાજુથી તે મારા પર પ્રહાર કરે છે.
    મારી આશાઓ ઝાડની જેમ મૂળમાંથી ઉખેડાઇ ગઇ છે.
11 તદુપરાંત તેમણે પોતાનો બધો રોષ મારી વિરુદ્ધ પ્રગટ કર્યો છે,
    તેઓ મને પોતાનો શત્રુ જેવો ગણે છે.
12 તેણે તેનું આખું સૈન્ય મારી સામે મૂકી દીધું છે,
    મારી આજુબાજુ હુમલો કરવા માટે ઊંચી મજબૂત ઇમારતો બાંધી છે.
    અને મારા ઘરની આસપાસ છાવણીઓ નાખી છે.

13 “તેમણે મને મારા ભાઇઓ અને સાથીઓથી વિખૂટો પાડ્યો છે.
    હું બધાય સ્વજનોમાં અજાણ્યા જેવો લાગું છું.
14 સગાંવહાંલાઓએ મને તજી દીધો છે.
    મારા મિત્રો પણ મને ભૂલી ગયા છે.
15 મારા ઘરમાં જે મુલાકાતીઓ રહે છે તે તથા મારા નોકરો પણ મને પારકા જેવો ગણે છે.
    તેઓને હું વિદેશી જેવો લાગુ છું.
16 મારા નોકરને હું બોલાવું છું અને તે આવતો નથી.
    જો હું મદદ માટે આજીજી કરું તો પણ તે જવાબ આપતો નથી.
17 મારી પત્ની મારા શ્વાસનેજ ધિક્કારે છે,
    અને મારા સગા ભાઇઓ પણ મારો તિરસ્કાર કરે છે.
18 નાનાં બાળકો પણ મારો તિરસ્કાર કરે છે;
    અને જ્યારે હું ઊઠું છું ત્યારે તેઓ મને ખરાબ શબ્દો કહે છે.
19 મારા ગાઢ મિત્રો મારો તિરસ્કાર કરે છે.
    મારા સૌ પ્રિયજનો મારી વિરૂદ્ધ થઇ ગયાં છે.

20 “હું ખૂબ પાતળો છું, મારાં હાડકાંમાંથી મારી ચામડી ઢીલાશથી લટકે છે.
    મારામાં થોડોકજ જીવ બાકી રહ્યો છે.

21 “હે મારા મિત્રો, મારા પર દયા કરો,
    કારણકે દેવ મારી વિરૂદ્ધ થઇ ગયા છે.
22 શા માટે દેવની જેમ તમે પણ મારી પાછળ પડ્યાં છો?
    મેં વેઠેલા દુ:ખોથી પણ તમને સંતોષ નથી થતો શું?

23 “હું ઇચ્છું છું, કોઇ હું શું બોલું છું તે યાદ રાખે અને તે એક ચોપડીમાં લખે.
    હું ઇચ્છું છું મારા શબ્દો ટીપણી પર લખાય.
24 હું ઇચ્છું છું કે, હું જે કહું છું તે લોખંડની કલમથી સીસાથી ખડક
    પર કોતરવામાં આવે તો તે સદાય રહેશે.
25 હું જાણું છું કે મારો ઉધ્ધાર કરનાર કોઇ છે.
    હું જાણુ છું તે જીવે છે. અને આખરે તે અહીં પૃથ્વી પર ઊભો રહેશે અને મારો બચાવ કરશે.
26 મારી ચામડી ઉતરડાઇ જશે અને મારો દેહ પડી જશે પછી
    પણ હું મારા દેવને મળીશ.
27 હા, હું તેમને મારી પોતાની આંખો વડે જોઇશ.
    બીજું કોઇ નહિ હું પોતેજ દેવને જોઇશ
    અને તે મને મનમાં કેટલો ક્ષુબ્ધ અનુભવ કરાવે છે તે હું તમને કહી શકતો નથી.

28 “તમે કદાચ કહો, ‘અમે અયૂબને હેરાન કરીશું.
    અને તેનો વાંક કાઢવા કઇક કારણ શોધીશું.’
29 તરવારથી તમારે ડરવું જોઇએ; કારણકે દેવ ગુનેગાર ને સજા આપે છે.
    તમને સજા આપવા દેવ તરવારનો ઊપયોગ કરશે.
    ત્યારે તમને ખબર પડશે કે ન્યાય કરનાર એક છે.”

1 કરિંથીઓ 6

ખ્રિસ્તીઓ વચ્ચે મૂલવણીની સમસ્યાઓ

જ્યારે તમારામાંની એક વ્યક્તિને તકરાર હોય, તો શા માટે તમે ન્યાયાધીશો પાસે કાયદાની અદાલતોમાં જાઓ છો? તે માણસો દેવ સાથે ન્યાયી હોતા નથી. તો શા માટે તે લોકોને તમે શું ન્યાયી છે તેનો નિર્ણય કરવા દો છો? તમારે તો શરમાવું જોઈએ! શા માટે તમે સંતોને કોણ ન્યાયી છે તેનો નિર્ણય કરવા દેતા નથી? નિશ્ચિત રીતે તમે જાણો જ છો કે સંતો જ જગતનો ન્યાય કરશે. તો જો તમે જગતનો ન્યાય કરશો તો પછી આવી નજીવી વાતને ન્યાય કરવા માટે તમે સક્ષમ છો જ. તમે જાણો છો કે ભવિષ્યમાં આપણે દૂતોને ન્યાય કરીશું. તેથી નિશ્ચિત રીતે આપણે આ જીવનની બાબતોની મૂલવણી કરી શકીએ છીએ. તેથી તમારી જો અસંમતિ હોય તો તેનો ન્યાય થવો જોઈએ, શા માટે તમે આ બાબતો તે લોકો સધી લઈ જાઓ છો કે જે મૈંડળીના ભાગરૂપ નથી? તે લોકો મૈંડળી માટે કોઈ વિસાતમાં નથી. તમને શરમાવવા હું આમ કહી રહ્યો છું. નિશ્ચિત રીતે તમારામાંથી બે ભાઈઓ વચ્ચેની ફરિયાદ દૂર કરી શકે તેવો કોઈ જ્ઞાની માણસ તમારા જૂથમાં હશે! પરંતુ હવે એક ભાઈ બીજા ભાઈની વિરૂદ્ધમાં ન્યાયાલયમાં જાય છે. લોકો જે વિશ્વાસુ નથી તેવા લોકોને તમે તમારા મુકદમાનો ન્યાય કરવાનું કહો છો!

જે કાનૂની કાર્યવાહી તમે એકબીજા વિરૂદ્ધ કરી છે તે પૂરવાર કરે છે કે તમે ક્યારનાય પરાજિત થઈ ચૂક્યા છો. એના બદલે તો કોઈ વ્યક્તિને તમે તમારા વિરૂદ્ધ કઈક ખોટું કરવા દીધું હોત તો સારું થાત! તમે કોઈને તમારી જાતને છેતરવા દીઘી હોત તો સારું થાત! પરંતુ તમે તમારી જાતેજ ખોટા કામ કરો છો અને છેતરો છો! અને તે પણ તમે ખ્રિસ્તના જ તમારા પોતાના ભાઈઓ સાથે આમ કરો છો!

9-10 તમે નિશ્ચિત રીતે જાણો છો કે લોકો અપકૃત્યો કરશે તે દેવનાં રાજ્યને પ્રાપ્ત નહિ કરી શકે. મૂર્ખ ન બનો. આ લોકો દેવનું રાજ્ય નહિ મેળવી શકે: લોકો કે જે તેમની જાતનો બીજા માણસો દ્વારા જાતીય ઉપયોગ થવા દે છે, લોકો કે જે મૂર્તિ પૂજા કરે છે, લોકો કે જે વ્યભિચાર કરે છે, જે પુરુંષો પોતાની જાતને અન્ય પુરુંષોને સોંપે છે એટલે કે પુરુંષ બીજા પુરુંષ સાથે સજાતીય સંબંધ પ્રસ્થાપિત કરે છે, લોકો જે ચોરી કરે છે, લોકો કે જે સ્વાર્થી છે, લોકો કે જે મધપાનથી ચકચૂર બને છે, લોકો કે જે બીજા લોકોની નિંદા કરે છે, લોકો કે જે બીજાને છેતરે છે. 11 ભૂતકાળમાં, તમારામાંના કેટલાએક આવા હતા. પરંતુ તમારું શુદ્ધિકરણ કરવામાં આવ્યું, અને તમને પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા અને દેવના આત્મા દ્વારા દેવ સાથે ન્યાયી બનાવવામાં આવ્યા.

તમારા શરીરનો દેવના મહિમા માટે ઉપયોગ કરો

12 “દરેક વસ્તુઓ માટે મને છૂટ છે.” પરંતુ દરેક વસ્તુ સારી હોતી નથી. “દરેક વસ્તુઓ માટે મને છૂટ છે.” પરંતુ કોઈ પણ વસ્તુને હું મારા પર પ્રભુત્વ સ્થાપવા દઈશ નહિ. 13 “ભોજન પેટ માટે છે, અને પેટ ભોજન માટે છે.” હા. પરંતુ દેવ બંનેનો વિનાશ કરશે. શરીર અનૈતિક શારીરિક પાપ માટે નથી. શરીર પ્રભુ માટે છે, અને પ્રભુ શરીર માટે છે. 14 દેવે તેના સાર્મથ્યથી પ્રભુ ઈસુને મૃત્યુમાંથી ઉઠાડ્યો. દેવ આપણને પણ ઉઠાડશે. 15 નિશ્ચિત રીતે તમે જાણો છો કે તમારા શરીર સ્વયં ખ્રિસ્તના અંશરૂપો છે. તેથી હું કદાપિ ખ્રિસ્તના અંશરૂપ શરીરને વેશ્યા સાથે ન જોડી શકુ! 16 શાસ્ત્રલેખમાં આ પ્રમાણે લખેલ છે કે: “બે વ્યક્તિઓ એક દેહ થશે.” (A) તેથી તમારે જાણવું જોઈએ કે જે વ્યક્તિ એક વેશ્યા સાથે શારીરિક સંબંધથી જોડાશે તે તેની સાથે શરીરમાં એક બનશે. 17 પરંતુ જે વ્યક્તિ પોતાની જાતને પ્રભુ સાથે જોડે છે તે તેની સાથે આત્મામાં એક થાય છે.

18 તેથી વ્યભિચારથી નાસો. અન્ય બીજા જે કઈ પાપ વ્યક્તિ કરે છે તે તેના શરીરની બહાર રહીને કરે છે. પરંતુ જે વ્યક્તિ વ્યભિચાર કરે છે તે તેના પોતાના શરીર વિરુંદ્ધ કરે છે. 19 તમારે જાણવું જોઈએ કે તમારું શરીર તો પવિત્ર આત્માનું મંદિર છે. તમારામાં પવિત્ર આત્માનો વાસ છે. તમને પવિત્ર આત્મા દેવમાંથી પ્રાપ્ત થયેલ છે. તમે પોતે તમારી જાતના ધણી નથી. 20 દેવ દ્વારા તમારું મૂલ્ય ચુકવવામાં આવ્યું છે. તેથી તમારા શરીર દ્વારા દેવને મહિમા આપો.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International