Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ઉત્પત્તિ 37

સ્વપ્નદ્રષ્ટા યૂસફ

37 યાકૂબ જે પ્રદેશમાં એના પિતા આવીને વસ્યા હતાં તે દેશમાં એટલે કે, કનાન દેશમાં રહ્યો. યાકૂબના પરિવારની આ કથા છે.

યૂસફ 17 વર્ષનો યુવાન હતો. તેનું કામ ઘેટાંબકરાંને ચરાવવાનું અને તેમની દેખભાળ રાખવાનું હતું. યૂસફ આ કામ પોતાના ભાઈઓ એટલે કે, બિલ્હાહ તથા ઝિલ્પાહના પુત્રોની સાથે કરતો હતો. (બિલ્હાહ અને ઝિલ્પાહ તેના પિતાની પત્નીઓ હતી.) યૂસફ પોતાના ભાઈઓના દુકૃત્યો વિષે તેના પિતાને જાણ કરતો હતો. તેના પિતા ઇસ્રાએલ વૃદ્વ હતાં ત્યારે યૂસફનો જન્મ થયો હતો. તેથી ઇસ્રાએલ બીજા પુત્રો કરતા વધારે પ્રેમ યૂસફને કરતો હતો; અને તેણે યૂસફ માંટે એક લાંબી બાંયનો રંગીન ઝભ્ભો પણ સિવડાવ્યો હતો. બીજા પુત્રો કરતા પિતાને યૂસફ પર વિશેષ પ્રેમ છે તેના ભાઈઓએ જોતા તેઓ તેના ભાઇ યૂસફને ઘૃણા કરવા લાગ્યા અને તેઓ તેની સાથે મૈત્રીભાવથી વાત કરી શકતા નહોતા.

એક વખત યૂસફે એક વિચિત્ર સ્વપ્ન જોયું. અને પછી યૂસફે આ સ્વપ્નની બાબતમાં પોતાના ભાઈઓને વાત કરી. તેથી તેના ભાઈઓ તેને પહેલા કરતાં વધુ ઘૃણા કરવા લાગ્યા.

યૂસફે કહ્યું, “સાંભળો, મેં એક સ્વપ્ન જોયું છે. આપણે બધા ખેતરમાં ઘઉંના પૂળા બાંધતા હતા. એવામાં માંરો પૂળો ટટાર ઊભો રહ્યો અને તમાંરા પૂળાએ તેની આસપાસ ભેગા થઈને માંરા પૂળાને પ્રણામ કર્યા.”

તેના ભાઈઓએ કહ્યું, “શું તું એમ માંને છે કે, આનો અર્થ એ છે કે, તું રાજા થઈને અમાંરા પર શાસન કરીશ?” આ સ્વપ્ન વિષે યૂસફે જે વાત કરી તેને કારણે તેઓ તેના પર પહેલાં કરતાં વધારે ઘૃણા કરતા થયાં.

પછી યૂસફને બીજું સ્વપ્ન આવ્યું, તે તેણે પોતાના ભાઈઓને કહ્યું. “મેં બીજા સ્વપ્નમાં સૂર્ય, ચંદ્ર અને અગિયાર નક્ષત્રોને મને વંદન કરતા જોયા.”

10 જ્યારે યૂસફે પિતાને તેનાં સ્વપ્ન વિષે કહ્યું ત્યારે તેના પિતાએ તેને ઠપકો આપ્યો અને કહ્યું, “તારા આ સ્વપ્નનો અર્થ શો? શું તું એમ સમજે છે કે, હું તારી માંતા તથા તારા ભાઈઓ તને સાષ્ટાંગ પ્રણામ કરીશુ?” 11 તેના ભાઈઓ તો તેની ઈર્ષ્યા કરતાં રહ્યાં. પણ તેના પિતા આ બાબતનો ગંભીરતાથી વિચાર કરવા લાગ્યા.

12 એક વખત યૂસફના ભાઈઓ પિતાના ઘેટાંબકરાં ચરાવવા માંટે શખેમ ગયા. 13 પછી ઇસ્રાએલે યૂસફને કહ્યું, “શખેમ જા, તારા ભાઈઓ શખેમમાં ઘેટાં બકરાં ચરાવે છે. ચાલ, હું તને તેમની પાસે મોકલું છું.”

યૂસફે કહ્યું, “હું જઈશ, હું તૈયાર છું.”

14 યૂસફના પિતાએ કહ્યું, “જા અને તપાસ કર. તારા ભાઇઓ અને ઘેટાં બકરાં કુશળ છે કે, કેમ? જોઈ આવ ને મને કહે.” એમ કહીને તેણે તેને હેબ્રોનની ખીણમાં થઈ શખેમ જવા મોકલ્યો.

15 યૂસફ શખેમમાં ખોવાઈ ગયો. એક માંણસે તેના ખેતરમાં આમતેમ રખડતો જોયો. તે માંણસે પૂછયું. “તું કોને શોધે છે?”

16 યૂસફે જવાબ આપ્યો, “હું માંરા ભાઈઓને શોધું છું; શું તમે બતાવી શકો છો કે, તેઓ કઈ જગ્યાએ ઘેટાંબકરાં ચરાવે છે?”

17 પેલા માંણસે કહ્યું, “તેઓ તો ચાલ્યા ગયા છે. મેં તેમને એમ વાત કરતાં સાંભળ્યા હતા કે, ચાલો, આપણે દોથાન જઈએ.” આથી યૂસફ પોતાના ભાઈઓની પાછળ ગયો અને તેઓ તેને દોથાનમાં મળ્યા.

યૂસફનું ગુલામી માંટે વેંચાઈ જવું

18 યૂસફના ભાઈઓએ તેને દૂરથી આવતાં જોયો અને એ તેમની પાસે આવી પહોંચે તે પહેલાં જ એને માંરી નાખવા માંટેનું ષડયંત્ર તેમણે રચ્યું. 19 ભાઈઓએ એકબીજાને કહ્યું, “જુઓ, પેલો સ્વપ્ન જોવાવાળો યૂસફ આવે છે! 20 ચાલો તક મળતાં આપણે તેને માંરી નાખીએ અને કોઈ હવડ કૂવામાં નાખી દઈએ. અને આપણે આપણા પિતાને કહીશું કે, તેને કોઈ જંગલી જાનવર ખાઈ ગયું છે. પછી આપણે જોઈશું કે, એના સ્વપ્નોનું શું થાય છે?”

21 પરંતુ રૂબેન યૂસફને બચાવવા માંગતો હતો. રૂબેને કહ્યું, “આપણે એનો જીવ ન લઈએ. 22 રણના આ ખાલી કૂવામાં એને નાખી દો, પણ એને કોઈ ઈજા ન કરશો.” રૂબેનની યોજના એને બીજા ભાઇઓના હાથમાંથી બચાવી લઈને પિતાને સુપ્રત કરવાની હતી. 23 યૂસફ તેના ભાઈઓની પાસે આવ્યો ત્યારે એણે પેલો લાંબી બાંયનો સુંદર ડગલો પહેર્યો હતો, તેને ફાડીને ઉતારી લીધો. 24 પછી તેઓએ એને લઈ જઈને હવડ કૂવામાં ફેંકી દીધો. કૂવામાં પાણી નહોતું.

25 પછી યૂસફના ભાઈઓ ખાવા બેઠા. તેમણે નજર કરી, તો ઇશ્માંએલીઓનો એક સંઘ ગિલઆદથી આવતો હતો; અને તેઓ ઊંટ પર અનેક સુગંધીઓ તથા લોબાન તથા બોળ લાદીને મિસર લઈ જતા હતા. 26 યહૂદાએ પોતાના ભાઈઓને કહ્યું, “આપણે આપણા ભાઈની હત્યા કરીએ અને તેનું રકત છુપાવી દઈએ તેથી શો ફાયદો? 27 ચાલો, આપણે તેને ઇશ્માંએલીઓને વેચી દઈએ, અને તેને કોઈ ઈજા ન કરીએ, કારણ તે આપણો ભાઈ છે તથા આપણું જ લોહી છે.” અને તેના ભાઈઓ તેની સાથે સંમત થયા. 28 તે સમયે ત્યાંથી કેટલાક મિદ્યાની વેપારીઓ પસાર થતાં હતા; તેથી ભાઈઓએ યૂસફને કૂવામાંથી બહાર કાઢયો અને 20 રૂપામહોરમાં વેપારીઓને વેચી દીધો. તેથી તેઓ યૂસફને મિસર લઈ ગયા.

29 રૂબેન કૂવા પાસે પાછો આવ્યો; જોયું તો કૂવામાં યૂસફ ન હતો; શોકના માંર્યા તેણે પોતાનાં લૂંગડાં ફાડયાં. 30 પછી તેણે પોતાના ભાઈઓ પાસે પાછા આવીને કહ્યું, “અરે! છોકરો તો નથી; હવે હું શું કરું?” 31 પછી તેઓએ યૂસફનો ઝભ્ભો લીધો, અને બકરાંને કાપીને તેના રકતમાં તે ઝભ્ભો બોળી કાઢયો. 32 અને પછી તે રંગીન લીલી બાંયવાળો ઝભ્ભો પોતાના પિતાને મોકલી આપ્યો અને કહેવડાવ્યું કે, “આ અમને જડયો છે; તે તમાંરા પુત્રનો છે કે, નહિ એ તમે ઓળખી લેજો.”

33 તે ઓળખ્યો, ને કહ્યું, “આ તો માંરા પુત્રનો ઝભ્ભો છે; કોઈ જંગલી પશુએ તેને ફાડી ખાધો છે; જરૂર યૂસફને ફાડી ખાધો છે.” 34 પછી યાકૂબે પોતાનાં વસ્રો ફાડી નાંખ્યાં અને ઢીલો ઝભ્ભો પહેર્યો અને ધણા દિવસ સુધી તેણે પુત્રના મરણનો શોક પાળ્યો. 35 અને એના બધા પુત્ર-પુત્રીઓએ તેને દિલાસો આપવાનો પ્રયત્ન કર્યો; પણ તે શાંત થયો નહિ અને તેણે કહ્યું, “માંરા મરવાના દિવસ સુધી હું શોક કર્યા કરીશ.” આમ તેના પિતાએ વિલાપ કર્યો.

36 તે સમય દરમ્યાન પેલા મિધાનીઓએ યૂસફને મિસરમાં ફારુનના એક અમલદાર, અંગરક્ષકોના અધિકારી પોટીફારને વેચી દીધો.

માર્ક 7

દેવના નિયમો અને લોકોએ બનાવેલા કાયદાઓ

(માથ. 15:1-20)

કેટલાએક ફરોશીઓ અને કેટલાએક શાસ્ત્રીઓ યરૂશાલેમમાંથી આવ્યા. તેઓ ઈસુની આજુબાજુ ભેગા થયા. ફરોશીઓ અને શાસ્ત્રીઓ ઈસુના કેટલાએક શિષ્યોને ગંદા હાથો વડે ખાતાં જોયા. (“ચોખ્ખા નહિ” નો અર્થ: ફરોશીઓ લોકોને આગ્રહ કરતા કે જે અમુક રીતે તેમના હાથ થોવા જોઈએ તે રીતે ધોયા ન હતા.) ફરોશીઓ અને બધા યહૂદીઓ તેમની વિશિષ્ટ રીતે હાથ ધોયા વિના કદાપિ ખાતા નથી. તેઓ તેમની અગાઉ થઈ ગયેલા મહાન લોકોએ આપેલા ઉપદેશને અનુસરવા આ કરતા. અને જ્યારે યહૂદીઓ બજારમાંથી કઈક ખરીદે છે. ત્યારે તેઓ તેને ખાસ રીતે ધુએ નહિ ત્યાં સુધી તેઓ કદી ખાતા નથી. તેઓ તેમની અગાઉ જે રહેતા હતા તે લોકોના બીજા નિયમોને પણ અનુસર્યા. તેઓ પ્યાલાઓ, ઘડાઓ અને ગાગરો ધોવા જેવા નિયમોને પણ અનુસરે છે.

ફરોશીઓ અને શાસ્ત્રીઓએ ઈસુને કહ્યું, “તારા શિષ્યો અમારા મહાન લોકો જે અમારી અગાઉ જીવી ગયા તેઓએ અમને આપેલા નિયમોને અનુસરતા નથી. તારા શિષ્યો જે હાથો ચોખ્ખા નથી તેના વડે તેમનું ખાવાનું ખાય છે. તેઓ આમ શા માટે કરે છે?”

ઈસુએ જવાબ આપ્યો, “તમે બધા દંભી છો. યશાયા તમારા વિષે સાચું જ કહે છે. યશાયાએ લખ્યું છે,

‘આ લોકો કહે છે તેઓ મને માન આપે છે,
    પણ તેઓ ખરેખર મને તેમના જીવનનો મહત્વનો ભાગ બનાવતા નથી.
તેઓ મારી ભક્તિ વ્યર્થ કરે છે.
    જે વસ્તુઓનો તેઓ ઉપદેશ કરે છે તે તો લોકોએ બનાવેલા ફક્ત સાદા નિયમો છ.’(A)

તમે દેવની આજ્ઞાને અનુસરવાનું બંધ કર્યુ છે. હવે તમે માણસોના ઉપદેશો અનુસરો છો.”

પછી ઈસુએ તેઓને કહ્યું, “તમે ધારો છો કે તમે ચાલાક છો! તમે દેવની આજ્ઞા અવગણો છો જેથી તમે તમારા પોતાના ઉપદેશકને અનુસરી શકો. 10 મૂસાએ કહ્યું, ‘તમારે તમારા માતાપિતાને માન આપવું જોઈએ.’ પછી મૂસાએ કહ્યું, ‘જે કોઈ વ્યક્તિ તેના પિતા કે માની નિંદા કરે તેને મારી નાખવો જોઈએ.’ 11 પણ તમે ઉપદેશ આપો છો કે વ્યક્તિ તેના પિતા અને માને કહી શકે, ‘મારી પાસે થોડુંક છે. હું તમને મદદ કરવા માટે તેનો ઉપયોગ કરી શકુ. પણ હું તમને મદદ કરવા માટે તેનો ઉપયોગ નહિ કરું. હું તે દેવને અર્પણ કરીશ.’ 12 તમે વ્યક્તિને તેના મા કે પિતા માટે એથી વધારે કાંઇ કરવાની મંજૂરી આપતા નથી. 13 તેથી તમે ઉપદેશ આપો છો કે દેવે જે કહ્યું છે તે મહત્વનું નથી. તમે ધારો છો કે તમે લોકોને જે ઉપદેશ આપો છો તે નિયમોને અનુસરવું તે વધારે મહત્વનું છે અને તમે તેના જેવું ઘણું કરો છો.”

14 ઈસુએ ફરીથી લોકોને તેમની પાસે બોલાવ્યા. તેણે કહ્યું, “પ્રત્યેક વ્યક્તિએ મને ધ્યાનથી સાંભળવો જોઈએ અને હું જે કહું છું તે સમજવું જોઈએ. 15 એવી કોઈ વસ્તુ નથી જે વ્યક્તિ તેના શરીરમાં મૂકે છે જે તેને અપવિત્ર બનાવે છે. તેનામાંથી જે વસ્તુઓ બહાર આવે છે તેના વડે જ વ્યક્તિ અપવિત્ર બને છે.” 16 તમે લોકો મારા શબ્દો ધ્યાનથી સાંભળો. તમને લોકોને જો કાન હોય તો, સાંભળો.

17 પછી ઈસુ તે લોકોને છોડીને ઘરમાં ગયો. શિષ્યોએ ઈસુને આ વાર્તા વિષે પૂછયું. 18 ઈસુએ કહ્યું, “તમને સમજવામાં હજુ મુશ્કેલી છે? તમે ખાતરીપૂર્વક જાણો છો કે બહારથી વ્યક્તિમાં એવું કશું પ્રવેશતું નથી જે તેને વટાળી શકે. 19 ખોરાક વ્યક્તિના મગજમાં જતો નથી. ખોરાક તો પેટમાં જાય છે. પછી તે ખોરાક શરીરની બહાર નીકળી જાય છે.” (જ્યારે ઈસુએ આ કહ્યું, તેનો અર્થ એ છે કે એવો કોઈ ખોરાક નથી જે લોકોને ખાવા માટે ખોટો છે.)

20 અને ઈસુએ કહ્યું, “જે વસ્તુઓ વ્યક્તિઓમાંથી આવે છે તે જ તે વ્યક્તિને વટાળે છે. 21 આ બધી ખરાબ વસ્તુઓ વ્યક્તિના મનની અંદર શરૂ થાય છે. મનમાં ખોટા વિચારો, અનૈતિક પાપો, ચોરી, ખૂન, 22 વ્યભિચાર, સ્વાર્થ, લોકોનું ખરાબ કરવું, વ્યર્થ જીવન, પાપનાં કામો કરવા, અદેખાઇ, લોકોની નિંદા કરવી, મિથ્યા દંભ કરવો અને મૂર્ખાઈભર્યું જીવન. 23 આ બધી દુષ્ટ વસ્તુઓ વ્યક્તિની અંદરથી આવે છે. આ વસ્તુઓ વ્યક્તિને વટાળે છે.”

ઈસુની બિનયહૂદિ સ્ત્રીને સહાય

(માથ. 15:21-28)

24 ઈસુ તે જગ્યા છોડીને તૂરની આજુબાજુના પ્રદેશમાં ગયો. ઈસુ ત્યાં એક ઘરમાં ગયો. તે ત્યાં હતો એમ તે પ્રદેશના લોકો જાણે એમ ઈસુ ઈચ્છતો નહોતો. પણ ઈસુ ગુપ્ત રહી શક્યો નહિ. 25 એક સ્ત્રીએ સાંભળ્યું કે ઈસુ ત્યાં હતો. તેની નાની દીકરીની અંદર શેતાનનો અશુદ્ધ આત્મા હતો. તેથી તે સ્ત્રી ઈસુ પાસે આવીને તેના ચરણોમાં નમી પડી. 26 તે સ્ત્રી યહૂદિ ન હતી. તે ગ્રીક હતી અને સિરિયા પ્રદેશના ફિનીકિયામાં જન્મી હતી. તે સ્ત્રીએ ઈસુને તેની દીકરીમાંથી ભૂત કાઢવાને વિનંતી કરી.

27 ઈસુએ તે સ્ત્રીને કહ્યું, “છોકરાંની રોટલી લઈને કૂતરાંઓને આપવી તે યોગ્ય નથી. પ્રથમ છોકરાંને તેઓ ઈચ્છે તેટલું બધું ખાવા દો.”

28 તે સ્ત્રીએ જવાબ આપ્યો, “તે સાચું છે, પ્રભુ. પરંતુ છોકરા જે ખોરાકના નાના કકડાં મેજ નીચે પડે છે તે ખાતા નથી. તે કૂતરાંઓ ખાઇ જાય છે.”

29 પછી ઈસુએ સ્ત્રીને કહ્યું, “તે એક ઘણો સારો જવાબ છે, તું જઈ શકે છે. તે ભૂત તારી દીકરીમાંથી નીકળી ગયું છે.”

30 તે સ્ત્રી ઘેર ગઈ અને તેની દીકરીને પથારીમાં પડેલી જોઈ. ભૂત નીકળી ગયુ હતું.

ઈસુ બહેરા માણસને સાજો કરે છે

31 પછી ઈસુએ તૂરની આજુબાજુનો પ્રદેશ છોડ્યો અને સિદોન થઈને ગાલીલ સરોવર તરફ ગયો. ઈસુ દસ ગામોના પ્રદેશમાં થઈને ગયો. 32 જ્યારે તે ત્યાં હતો ત્યારે કેટલાક લોકો એક માણસને તેના પાસે લાવ્યા. આ માણસ બહેરો હતો અને બોબડો હતો. લોકોએ ઈસુને તેના હાથ તે માણસ પર મૂકીને તેને સાજો કરવા વિનંતી કરી.

33 ઈસુ તે માણસને લોકો પાસેથી દૂર તેની સાથે એકાંતમાં દોરી ગયા. પછી ઈસુએ તે માણસના કાનની અંદર તેની આંગળી મૂકી અને થૂંકીને તે માણસની જીભને સ્પર્શ કર્યો. 34 ઈસુએ આકાશમાં ઊંચે જોયું અને નિસાસો નાખ્યો. ઈસુએ તે માણસને કહ્યું, “એફફથા!” (આનો અર્થ, “ઊઘડી જા.”) 35 જ્યારે ઈસુએ આ કર્યુ, ત્યારે તે માણસ સાંભળવા શક્તિમાન બન્યો. તે માણસ તેની જીભનો ઉપયોગ કરવા સમર્થ બન્યો અને સ્પષ્ટ બોલવા લાગ્યો.

36 ઈસુએ લોકોને આજ્ઞા કરી કે જે કઈ બન્યું છે તે વિષે કોઈ વ્યક્તિને કહેવું નહિ. ઈસુએ હંમેશા લોકોને આજ્ઞા કરતા કહ્યું કે તેના વિષે બીજા લોકોને કહેવું નહિ. પણ જેમ જેમ તેણે તેના વિષે ન કહેવાની વધુ ને વધુ આજ્ઞા કરી તેમ લોકો તેના વિષે વધારે ને વધારે કહેવા લાગ્યા. 37 લોકો ખરેખર નવાઇ પામ્યા. લોકોએ કહ્યું, “ઈસુ દરેક વસ્તુ સારી રીતે કરે છે. ઈસુ બહેરાં માણસોને સાંભળતાં કરે છે. અને જે લોકો વાત કરી શકતા નથી, તેઓને વાત કરવા શક્તિમાન કરે છે.”

અયૂબ 3

અયૂબનો આર્તનાદ અને અફસોસ

અયૂબ જન્મ્યો હતો તે દિવસને શાપ દે છે. અયૂબે કહ્યું:

“મને એમ થાય છે કે હું જન્મ્યો તે દિવસ હંમેશ માટે અર્દ્રશ્ય થઇ જાય!
મને થાય છે તે દિવસ અંધકારમાં જ હોત,
    અને હું ઇચ્છું છું દેવ તે દિવસ ભૂલી જાય!
મને થાય છે તેઓએ કહ્યું કે ‘તે એક છોકરો છેં,’
    તે રાત આવી ન હોત! હું ઇચ્છું છું
    તે દિવસે કોઇ રોશની ઝળકતી ન હોત.
હું ઇચ્છું છું તે દિવસ અંધકાર ભર્યો હોત એવો કાળો જેવું કાળું મૃત્યુ, હું ઇચ્છું છું,
    તે દિવસે વાદળો સંતાઇ ગયા હોય, હું ઇચ્છું છું,
    હું જન્મ્યો તે દિવસથી કાળાં વાદળો પ્રકાશને બિવડાવી ભગાડી મૂકે.
હું ઇચ્છું છું અંધકાર તે રાત્રિને પાસે રાખે,
    પંચાગમાં તે સુખનો દિવસ કોઇ
    મહિનામાં પણ તે ન ગણાય.
તે રાત્રિ કોઇ વસ્તુ ઉત્પન કરે નહિ,
    તે રાત્રે આનંદની એકપણ બૂમ ન સંભળાય.
કેટલાક જાદૂગરો હંમેશા અજગરને જગાડવા ચતુર હોય છે.
    તો તેઓને હું જન્મ્યો હતો તે દિવસને શાપ ઉપર શાપ આપવા દો.
તે દિવસના પ્રભાતના તારા અંધકારમાં રહે,
    તે રાત્રિ ભલે સવાર થવાની રાહ જોયા કરે
    પરંતુ પ્રકાશ તે આ ઉગતા સૂર્યના પહેલા કિરણોને ન જુએ.
10 તે રાત્રિ મારા જન્મ કરાવ્યા વગર રહી નહિ
    તેથી મને આ મુશ્કેલીઓ દેખાયા વગર રહી નહિ.
11 હું ગર્ભસ્થાનમાં જ મરી કેમ ન ગયો?
    જન્મતાંજ કેમ પ્રાણ ન છોડ્યો?
12 મારી માતાએ શા માટે મને તેના ઘૂંટણો પર રાખ્યો?
    માતાએ શા માટે મને ધવડાવ્યો?
13 જ્યારે હું જન્મ્યો ત્યારે જ મરી ગયો હોત
    તો અત્યારે મને શાંતિ હોત મને થાય છે,
હું આરામમાં ઊંઘતો હોત.
14     જેઓ અગાઉ પૃથ્વી પર રાજાઓ અને વિદ્વાન માણસો સાથે રહેતા હતા
    તે માણસોએ પોતાને માટે મકાનો બંધાવ્યા હતા તે અત્યારે નાશ પામી ગયા છે અને સમાપ્ત થઇ ગયા છે.
15 અને હું ધનવાન રાજકર્તાઓ જેમણે તેમના ઘરો અઢળક સોના અને ચાંદીથી ભરી દીધેલા છે
    તેઓની સાથે શાંતિમય અને સુખદાયી થઇ ગયો હોત!
16 મરેલું જન્મે અને જમીનમાં દાટી દે તેમની પેઠે શા માટે
    હું એ બાળક ન હતો?
મને થાય છે જેણે દિવસનો પ્રકાશ જોયો નથી
    તે એક બાળક જેવો હું હોત!
17 અધમ માણસો જ્યારે કબર ભેગા થાય છે ત્યારે હેરાન કરવાનું બંધ કરે છે
    અને જે લોકો થાકેલા છે તેઓને કબરમાં શાંતિ લાગે છે.
18 ગુલામોને પણ કબરમાં આરામ મળે છે
    કારણકે તેઓને ચોકીદારો તેના પર બૂમો પાડતા તે સંભળાતું નથી.
19 બધાજ જાતના લોકો કબરમાં છે-મહત્વશીલ
    અને મહત્વ વગરના લોકો ગુલામ તેના ધણીથી મુકત હોય છે.

20 “માણસ જે પીડા ભોગવી રહ્યો છે શા માટે જીવતા રહ્યાં કરવું છે.
    એક દુ:ખી આત્માવાળા માણસને શા માટે જીવન અપાય છે?
21 તે માણસને મરવાની ઇચ્છા છે પણ મોત આવતું નથી.
    તે દુ:ખદાયી માણસ છૂપાયેલા ખજાના કરતા મોતને વધારે શોધે છે.
22 તે લોકોને તેઓની કબર મળતા ખુશ થશે.
    તેઓ તેઓની સમાધિ મેળવવાથી આનંદ પામશે.
23 પરંતુ દેવ તેઓની આસપાસ રક્ષા કરતી એક દિવાલ છે
    અને તેઓનું ભવિષ્ય ગુપ્ત રાખે છે.
24 જ્યારે ખાવાનો સમય થાય છે ત્યારે હું માત્ર દુ:ખથી નિસાસો નાખું છું, આનંદનો નહિ
    અને મારી ફરિયાદો બહાર પાણીની જેમ રેડાય છે.
25 મને ડર છે કે મને કાંઇ ભયંકર થવાનું છે
    અને બરોબર તેમજ થયું.
26 હું શાંત રહીં શકતો નથી,
    હું સ્વસ્થ થઇ શકતો નથી,
હું આરામ કરી શકતો નથી,
    હું ખૂબજ ઉદ્ધિગ્ન થયો છું.
જેની મને વધારે બીક લાગતી હતી તેજ મને થયું.”

રોમનો 7

લગ્નનું દૃષ્ટાંત

ભાઈઓ અને બહેનો, તમે મૂસાના નિયમશાસ્ત્રને સમજો છો. તેથી સાચેજ તમે જાણો છો કે કોઈ વ્યક્તિ જ્યાં સુધી જીવિત હોય છે ત્યાં સુધી જ નિયમશાસ્ત્રની સત્તા એના પર ચાલે છે. હું તમને એક દૃષ્ટાંત આપીશ: પરણિત સ્ત્રી જ્યાં સુધી તેનો પતિ જીવતો હોય ત્યાં સુધી તેની સાથે રહેવા બંધાયેલી હોય છે. પરંતુ જો તે સ્ત્રીનો પતિ મરણ પામે તો, પછી પતિ સાથેના સંબંધને લગતા નિયમથી તે સ્વતંત્ર થાય છે. પરંતુ જે સ્ત્રીનો પતિ જીવતો હોય અને જો તેની પત્ની બીજા પુરુંષ સાથે લગ્ન કરે, તો નિયમશાસ્ત્ર કહે છે તેમ, તે સ્ત્રી વ્યભિચારની અપરાધી બને છે. પરંતુ જો એ સ્ત્રીનો પતિ મૃત્યુ પામે, તો પછી લગ્નના નિયમમાંથી તે સ્ત્રીને મુક્ત કરવામાં આવે છે. આમ, પતિના મૃત્યુ પછી જો તે સ્ત્રી બીજા પુરુંષ સાથે લગ્ર કરે તો તે વ્યભિચારનો અપરાધ ગણાતો નથી.

એ જ પ્રમાણે, મારા ભાઈઓ તથા બહેનો, ખ્રિસ્તના શરીરની સાથે જ તમારા જૂના શરીરનું મૃત્યુ થયું છે. હવે તમે નિયમના બંધનમાંથી મુક્ત થયા છો. હવે તમે એક માત્ર એવા ખ્રિસ્તના શિષ્ય થયા છો, જે મૃત્યુમાંથી ઊભો થયો હતો. હવે આપણે ખ્રિસ્તના શિષ્ય થયા છીએ. જેથી કરીને દેવની સેવામાં આપણો ઉપયોગ થઈ શકે. ભૂતકાળમાં તો આપણે જ્યારે દૈહિક હતા, ત્યારે પાપ વાસનાઓને આધીન હતા. અને આપણે જે પાપ કર્યા તે આપણા માટે આધ્યાત્મિક મૃત્યુ નોતરતા હતા. ભૂતકાળમાં, નિયમશાસ્ત્રે આપણને કેદીઓની જેમ બાંધી રાખ્યા હતા. હવે આપણા જૂના નિયમશાસ્ત્રો નાશ પામ્યા છે. અને તેથી નિયમશાસ્ત્રના બંધનમાંથી આપણને હવે મુક્ત કરવામાં આવ્યા છે. લેખિત નિયમોની જૂની પધ્ધત્તિથી નહિ, પરંતુ હવે નવીન પધ્ધત્તિ પ્રમાણે આપણે દેવની સેવા કરીએ છીએ. પવિત્ર આત્માની સાતે આપણે હવે નવી પધ્ધત્તિ પ્રમાણે દેવની સેવા કરીએ છીએ.

પાપની વિરૂદ્ધ આપણે સંઘર્ષ

ત્યારે આપણે શું કહીએ, શું નિયમ પાપરૂપ છે? ના, કદી નહિ. પરંતુ નિયમ વગર મેં પાપ જાણ્યું ના હોત, કારણ કે જો નિયમશાસ્ત્રે કહ્યું ન હોત કે લોભ ન રાખ, તો મેં લોભ જાણ્યો ના હોત. “તમારે બીજાઓની માલિકીની વસ્તુઓની ઈચ્છા કરવી જોઈએ નહિ.” પણ પાપને તક મળવાથી આજ્ઞા વડે મારામાં સઘળા પ્રકારની અનિષ્ટ ઈચ્છાઓ પૂર્ણ કરવા મને લલચાવ્યો. મારામાં પાપ પેઠું. કારણ કે નિયમ વિના પાપ નિર્જીવ છે. નિયમશાસ્ત્રનું મને જ્ઞાન થયું તે પહેલાં પણ હું તેના વગર જીવતો હતો. પરંતુ જેવો નિયમનો આદેશ મને મળ્યો કે તરત જ પછીથી મારામાં પાપ સજીવન થયું. 10 અને આમ પાપના કારણે મારું આધ્યાત્મિક મૃત્યુ થયું. એ આદેશનો હેતુ મને જીવન બક્ષવાનો હતો, પરંતુ મારા માટે એ આદેશ મૃત્યુ લાવ્યો. 11 મને પાપે આજ્ઞાનો ઉપયોગ કરી મૂર્ખ બનાવવાનો રસ્તો શોધ્યો. પાપે મારા આત્મિક મરણને માટે આજ્ઞાનો ઉપયોગ કર્યો.

12 આમ, નિયમશાસ્ત્ર તો પવિત્ર છે જ, અને આજ્ઞા પણ પવિત્ર, ન્યાયી અને સારી છે. 13 તો આનો અર્થ શું એવો થાય કે જે કઈક સારું છે તે જ મારા માટે મૃત્યુ લાવ્યું? ના! પરંતુ પાપે જે મારું મૃત્યુ લાવી શકે તેવા સારાપણાનો ઉપયોગ કર્યો. આમ એટલા માટે બન્યું કે પાપનું ખરું સ્વરૂપ પ્રગટ થઈ શકે. અને તેના બધા અનિષ્ટોમાં પાપ બતાવી શકાય આ બધું આજ્ઞા દ્વારા જ થયું હતું.

માનવ (હૃદય) માં સંઘર્ષ

14 આપણે જાણીએ છીએ કે નિયમ આધ્યાત્મિક છે. પરંતુ હું આધ્યાત્મિક નથી. જાણે કે હું તેનો સેવક હોઉં તેમ પાપ મારા પર સત્તા ચલાવે છે. 15 હું જે કોઈ કામો કરું છું, તે સમજી શકતો નથી. તેથી જે સારાં કામો કરવાની મારી ઈચ્છા છે, તે હું કરી શકતો નથી. અને જે ખરાબ કામો કરવાનું હું ધિક્કારું છું તે હું કરું છું. 16 ત્યારે હું જે ઈચ્છતો નથી તે જો હું કરું છું, તો હું નિયમ વિષે કબૂલ કરું છું કે તે સારો છે. 17 પરંતુ આ ખરાબ કામો કરનાર ખરેખર હું નથી. મારામાં રહેતું પાપ ખરાબ કામો કરે છે. 18 હા, હું જાણું છું કે મારામાં એટલે મારા દેહમાં કંઈ જ સારું વસતું નથી. મારો કહેવાનો અર્થ એ છે કે મારા અસ્તિત્વનો જે અંશ આધ્યાત્મિક નથી, તેમાં કોઈ સારાપણાનો સમાવેશ નથી. મારી ઈચ્છા તો એવી છે કે હું સારાં જ કામો કરું. પરંતુ હું તે કરતો નથી. 19 મારે જે સારાં કામો કરવાં છે તે હું કરતો નથી. તેને બદલે જે ખરાબ કામો જે મારે નથી કરવાં તે મારાથી થઈ જાય છે. 20 તેથી જે કામો મારે કરવાં નથી, તે જો મારાથી થઈ જતાં હોય, તો એવાં કામો કરનાર ખરેખર હું નથી. મારામાં રહેતું પાપ એ બધાં ખરાબ કામો કરે છે.

21 તેથી મેં આ સિદ્ધાંત શોધ્યો. જ્યારે હું સારું કરવા ઈચ્છું છું ત્યારે ભૂડું જ ઉપલબ્ધ હોય છે. 22 દેવના નિયમમાં હું અંતરના ઊડાણમાં ખૂબ સુખી છું. 23 પરંતુ મારા શરીરમાં કોઈ જુદો જ નિયમ કાર્ય કરતો જોઉ છું. માનસિક સ્તરે મારા મનમાં જે નિયમનો સ્વીકાર થયો છે તેની સામે પેલો શારીરિક સ્તર પર ચાલતો નિયમ યુદ્ધ છેડે છે. મારા શરીરમાં ચાલતો એ નિયમ તે પાપનો નિયમ છે, અને એ નિયમ મને એનો કેદી બનાવે છે. 24 તેથી હું દુ:ખી છું! મારા માટે મૃત્યુ લાવનાર આ શરીરથી મને કોણ બચાવશે? 25 દેવ જ મને બચાવશે! આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા હું તેનો આભાર માનું છું!

આમ મારા મનમાં હું મારી જાતે દેવના નિયમને અનુસરું છું. પણ મારા પાપમય સ્વભાવથી હું પાપના નિયમનો દાસ છું.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International