Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
1 કાળવૃત્તાંતનું 18

દુશ્મનો પર દાઉદનો વિજય

18 એ પછી દાઉદે પલિસ્તીઓને હરાવી તેમને તાબે કર્યા અને તેમના હાથમાંથી ગાથ અને તેની આસપાસના ગામો કબ્જે કરી લીધાં.

તેણે મોઆબીઓને પણ હરાવ્યાં, તેઓ તેના તાબેદાર બન્યા અને તેને ખંડણી ભરવા લાગ્યા.

એ પછી દાઉદે ફ્રાત નદીની આસપાસના પ્રદેશ પર કબજો જમાવવા જતા સોબાહના રાજા હદારએઝેરને હમાથ આગળ હરાવ્યો. દાઉદે તેની પાસેથી તેના 1,000 રથ, 7,000 ઘોડેસવારો અને 20,000 પાયદળ કબજે કર્યા. તેણે રથોના સર્વ ઘોડાની પગની નસો કાપી નાખી, પણ તેણે પોતાના 100 રથોને માટે પૂરતાં ઘોડાઓને બચાવી રાખ્યા.

દમસ્કના અરામીઓ સોબાહના રાજા હદારએઝેરની વહારે આવ્યાં તો દાઉદે 22,000 અરામી સૈનિકોને મારી નાખ્યા. અને તેમના પ્રદેશમાં લશ્કરી થાણાં સ્થાપ્યાં. તેઓ દાઉદના તાબેદાર બની ગયા અને તેને ખંડણી ભરવા લાગ્યાં.આમ દાઉદ જ્યાં જ્યાં ગયો, ત્યાં ત્યાં યહોવાએ તેને વિજય અપાવવામાં મદદ કરી.

દાઉદ, હદારએઝેર રાજાના સેવકોની સોનાની ઢાલો યરૂશાલેમમાં લઇ આવ્યો. વળી તેણે હદારએઝર શહેરો ટિબ્હાથ અને કૂનમાંથી પુષ્કળ કાંસુ પણ કબજે કર્યુ. સુલેમાને પાછળથી કાંસાનો મોટો કુંડ, થાંભલાઓ અને વાસણો મંદિર માટે તૈયાર કરાવ્યાં.

હમાથના રાજા તોઉએ સાંભળ્યું કે દાઉદે સોબાહના રાજા હદારએઝેરના સૈન્યનો નાશ કર્યો છે, 10 તેણે પોતાના પુત્ર હદોરામને દાઉદને સત્કાર કરવા અને હદારએઝેરને યુદ્ધમાં હરાવવા માટે ધન્યવાદ આપવા મોકલ્યો. કારણ, હદારએઝેરને તોઉ સાથે વિગ્રહ ચાલ્યાં કરતો હતો. હદોરામ પોતાની સાથે સોના-ચાંદી અને કાંસાના વાસણો લઇ ગયો હતો. 11 તે બધાં દાઉદે યહોવાના મંદિરની સેવા માટે અપીર્ દીધાં. એ જ રીતે, તેણે જીતેલી બધી પ્રજાઓ અદોમ, મોઆબી, આમ્મોનીઓ, પલિસ્તીઓ અને અમાલેકીઓ પાસેથી કબજે કરેલું સોનું ચાંદી તેણે યહોવાને અર્પણ કરી દીધું.

12 સરૂયાના પુત્ર અબીશાયે મીઠાની ખાણમાં 18,000 અદોમીઓને મારી નાંખ્યા. 13 સમગ્ર અદોમ પ્રદેશમાં લશ્કરી થાણાં ગોઠવ્યાં. બધા અદોમીઓ હવે દાઉદના તાબેદાર બની ગયા. આમ, દાઉદ જ્યાં જ્યાં ગયો, ત્યાં ત્યાં યહોવાએ તેને વિજય અપાવ્યો.

દાઉદના મહત્વના કામદારો

14 દાઉદે સમગ્ર ઇસ્રાએલ પર રાજ્ય સ્થાપ્યું, અને સમગ્ર રાષ્ટમાં નીતિમત્તા અને ન્યાયને સ્થાપિત કર્યાં. 15 સરૂયાનો પુત્ર યોઆબ સૈન્યનો સેનાપતિ હતો. અહીલૂદનો પુત્ર યહોશાફાટ ઇતિહાસકાર હતો. 16 અહીટૂબનો પુત્ર સાદોક અને અબ્યાથારનો પુત્ર અબીમેલેખ યાજકો હતા. શાવ્શા રાજાનો લહિયો હતો. 17 યહોયાદાનો પુત્ર બનાયા રાજાના અંગરક્ષકો કથેરીઓ અને પલેથીઓનો ઉપરી હતો.અને દાઉદના પુત્રો રાજાની તહેનાતમાં રહેતા માણસોમાં મુખ્ય હતા.

યાકૂબ 5

સ્વાર્થી શ્રીમંતો શિક્ષાને પાત્ર

તમે શ્રીમંતો, સાંભળો! રૂદન કરો અને ખૂબજ વ્યથિત થાવ. કારણ કે ઘણા સંકટો તમારા પર આવવાનાં છે. વળી તમારી સમૃદ્ધિ સડી ગઇ છે, અને તેનું મૂલ્ય કશું જ રહ્યું નથી, તમારા વસ્ત્રો જીવજંતુ ખાઈ જશે. તમારું સોનું અને ચાંદી કટાઈ જશે, અને તેનો કાટ તમારા ખોટાપણાની સાબિતી બનશે તે કાટ અજ્ઞિની જેમ તમારાં શરીરને ભરખી જશે. અંતકાળ સુધી તમે તમારો ખજાનો સંઘરી રાખ્યો છે. લોકોએ તમારાં ખેતરોમા કામ કર્યું, પરંતુ તમે તેમને વળતર ચૂકવ્યું નહિ તેં લોકો તમારી વિરૂદ્ધ રૂદન કરી રહ્યા છે તે લોકોએ તમારા પાકની લણણી કરી. હવે આકાશના લશ્કરોના પ્રભુએ તેઓની બૂમો સાંભળી છે.

તમે પૃથ્વી પર મોજશોખ અને વિલાસી જીવન જીવો છો. તમે કાપાકાપીના દિવસ માટે તૈયાર પ્રાણીની જેમ તમારી જાતને સ્થૂળ બનાવી દીધી છે. ન્યાયી પ્રત્યે તમે કોઈ દયા બતાવી નથી. તેઓ તમારી વિરૂદ્ધ નહોતા, છતાં તમે તેઓને મારી નાખ્યાં છે.

ધીરજવાન બનો

ભાઈઓ અને બહેનો, ધીરજ રાખો, પ્રભુ ઈસુ આવશે; તેથી તે સમય સુધી ધીરજ રાખો. ખેડૂતો ધીરજવાન છે. ખેડૂત પોતાનો મૂલ્યવાન પાક જમીનમાંથી ઊંગે ત્યાં સુધી રાહ જુએ છે. ખેડૂત ધીરજથી પોતાના પાકને મળનાર પ્રથમ વરસાદ અને અંતિમ વરસાદની રાહ જુએ છે. તમારે પણ ધીરજવાન થવું જોઈએે, આશા ન છોડશો. પ્રભુ ઈસુ ઘણો જલ્દી આવી રહ્યો છે. ભાઈઓ અને બહેનો, એક બીજાની વિરૂદ્ધ ફરિયાદ ન કરો. જો તમે ફરિયાદ કરતા નહિ અટકાશો, તો તમે દોષિત થશો. ન્યાયાધીશને આવવાની તૈયારી છે!

10 ભાઈઓ અને બહેનો, જે પ્રબોધકો એ પ્રભુ વિશે વાત કરેલી તેના ઉદાહરણને અનુસરો. તેઓએ ઘણી ખરાબ વસ્તુઓ સહન કરી, પણ તેઓએ ધીરજ રાખી. 11 જેઓએ ધીરજ રાખી છે તે લોકોનો ધન્ય છે. તેઓ અત્યારે સુખી છે. અયૂબની ધીરજ વિષે તમે સાંભળ્યું છે અને પ્રભુથી જે પરિણામ આવ્યું તે ઉપરથી તમે જોયું છે કે, પ્રભુ ઘણો દયાળુ તથા કૃપાળુ છે.

તમારી વાણી અંગે સાવધ રહો

12 મારા ભાઈઓ અને બહેનો, જ્યારે તમે વચન આપો ત્યારે સમ ન ખાઓ. તે ખૂબજ મહત્વનું છે કે તમે જે કહો છો તેને સાબિત કરવામાં આકાશ, ધરતી અથવા બીજી કોઈ પણ વસ્તુના નામના સમ ન ખાઓ. જ્યારે તમે હકારાત્મક છો ત્યારે માત્ર “હા” કહો અને નકારાત્મક છો, ત્યારે માત્ર “ના” કહો. આમ કરો કે જેથી તમે ગુનેગાર ન ઠરો.

પ્રાર્થનાનું સાર્મથ્ય

13 જો તમારામાં કોઈ દુ:ખી હોય, તો તેણે પ્રાર્થના કરવી જોઈએ. અને જો કોઈ આનંદિત બને તો, તેણે સ્તોત્ર ગાવું જોઈએ. 14 જો તમારામાંનું કોઈ માંદુ પડે તો, તેણે મંડળીના વડીલોને બોલાવવા જોઈએ. વડીલોએ પ્રભુના નામે તેને તેલ ચોળીને તેને માટે પ્રાર્થના કરવી જોઈએ. 15 અને વિશ્વાસથી કરેલી પ્રાર્થના માંદા માણસને સાજો કરે છે. પ્રભુ તેને સાજો કરશે. અને આ માણસે જો પાપ કર્યા હશે તો દેવ તેને માફ કરશે.

16 તમે જે ખરાબ કામ કર્યા હોય તે એકબીજાને કહો. અને પછી એકબીજા માટે પ્રાર્થના કરો. આમ કરો કે જેથી દેવ તમને સાજા કરી શકે. જો સારો માણસ આગ્રહથી પ્રાર્થના કરે તો મહાન કાર્યો થાય છે. 17 એલિયા સ્વભાવે આપણા જેવી જ વ્યક્તિ હતી. તેણે પ્રાર્થના કરી કે વરસાદ ન પડે. અને સાડા ત્રણ વરસ સુધી પૃથ્વી પર વરસાદ ન પડ્યો! 18 પછી એલિયાએ પ્રાર્થના કરી કે વરસાદ પડે. અને આકાશમાંથી વરસાદ પડ્યો, અને ધરતીમાંથી પાક ઊગી નીકળ્યો.

આત્માનો ઉધ્ધાર

19 મારા ભાઈઓ અને બહેનો, જો તમારામાંનો કોઈ સત્યમાંથી ભૂલો પડે તો બીજી વ્યક્તિ તેને સત્ય તરફ પાછા વળવા મદદરુંપ બને. 20 યાદ રાખો: જે વ્યક્તિ પાપીને ખોટા માર્ગેથી પાછી વાળે છે, તે વ્યક્તિ તે વ્યક્તિના પ્રાણને મોતમાંથી બચાવે છે. આમ તે પાપોની ક્ષમા માટે નિમિત્ત બને છે.

યૂના 2

યૂનાની પ્રાર્થના

તે વખતે યૂનાએ માછલીના પેટમાંથી યહોવાને પ્રાર્થના કરી.

તેણે કહ્યું, “મારી વિપત્તિમાં
    મેં યહોવાને બોલાવ્યા
    અને તેમણે મને પ્રત્યુત્તર આપ્યો;
મૃત્યુની ઊંડી ખીણમાં
    મેં મદદ માટે રૂદન કર્યુ
    અને તમે મને સાંભળ્યો.

“કારણકે તમે મને સમુદ્રના ઊંડાણમાં ફેંક્યો,
    પાણીના મોજાઓએ મને બધી બાજુથી ઢાંકી દીધો.
ત્યારે મને થયું, ‘મને તમારી નજર આગળથી ફેંકી દેવામાં આવ્યો છે;’
    તો પણ હું ફરીથી તમારા પવિત્રમંદિર તરફ જોઇશ.

“પાણીની ભીંસથી હું
    મરવા જેવો થઇ ગયો હતો,
    મહાસાગર મને ચોમેરથી ઘેરી વળ્યો હતો,
મારા માથા ફરતે દરિયાઇ
    વેલા વીંટાઇ ગયા હતા.
હું નીચે પર્વતોના મૂળ તરફ ગયો,
    પૃથ્વીએ સદા માટે મને બંધી કર્યો.
તોપણ હે મારા દેવ,
    યહોવા તેઁ મને ઉંડી
કબરમાંથી બહાર કાઢયો.

“જ્યારે મારું જીવન તાજગી ગુમાવી રહ્યું હતું.
    મેં યહોવાને યાદ કર્યાં;
મારી પ્રાર્થના તારા
    પવિત્ર મંદિરમાં તારા કાને પહોંચી.

“લોકો કે જેઓ દેવની નકામી મુતિઓર્ પૂજે છે
    તેઓ તે જ એકને ત્યાગી દે છે જે વફાદારીથી તેમની દરકાર કરત.
પણ હું બલિઓ અપીર્શ
    અને તમને ધન્યવાદ આપીશ.
હું મારા વચનો જાળવીશ.
    તારણ યહોવાથી છે.”

10 યહોવાએ માછલીને આજ્ઞા કરી, ને તેણે યૂનાને કોરી જમીન પર ઓકી નાખ્યો.

લૂક 7

ઈસુનું નોકરને સાજા કરવું

(માથ. 8:5-13; યોહ. 4:43-54)

ઈસુએ લોકોને આ બધી બાબતો કહેવાનું પૂર્ણ કર્યુ. પછી ઈસુ કફર-નહૂમ ગયો. ત્યાં કફરનહૂમમાં એક લશ્કરનો અમલદાર હતો. તે અમલદારને એક નોકર હતો જે ઘણો માંદો હતો. તે મરવાની અણી પર હતો, તે અમલદાર નોકરને ઘણો ચાહતો હતો. જ્યારે અમલદારે ઈસુ વિષે સાંભળ્યું ત્યારે તેણે યહૂદિઓના વડીલોને તેની પાસે મોકલ્યો. તે અમલદારની ઈચ્છા હતી કે માણસો ઈસુને આવીને નોકરને બચાવવાનું કહે. તે માણસો ઈસુ પાસે ગયા. તેઓએ ઈસુને અમલદારને મદદ કરવા વિનંતી કરી. તેઓએ કહ્યું, “આ અમલદાર તમારી મદદ માટે યોગ્ય છે. તે આપણા લોકોને ચાહે છે અને આપણા માટે તેણે સભાસ્થાન બંધાવ્યું છે.”

તેથી ઈસુ તે માણસો સાથે ગયો. જ્યારે ઈસુ અમલદારના ઘર નજીક આવતો હતો ત્યારે અમલદારે કેટલાએક મિત્રોને કહેવા માટે મોકલ્યા કે, “પ્રભુ મારા ઘરમાં આવવાની તકલીફ લઈશ નહિ. હું તને મારા ઘરમાં લાવવા માટે પૂરતી યોગ્યતા ધરાવતો નથી. તેથી હું મારી જાતને તારી પાસે આવવા યોગ્ય ગણી શકતો નથી. તારે તો માત્ર આજ્ઞા કરવાની જ જરૂર છે અને મારો નોકર સાજો થઈ જશે. હું તારી સત્તા જાણું છું. હું બીજા માણસોની સત્તાનો તાબેદાર છું. અને મારા તાબામાં સૈનિકો છે. હું એક સૈનિકને કહું છું કે જા, એટલે તે જાય છે અને બીજા સૈનિકને કહું છું, કે આવ, અને તે આવે છે; અને મારા નોકરને હું કહું છું કે આ કર અને નોકર તે કરે છે.”

જ્યારે ઈસુએ આ સાંભળ્યું; તે આશ્ચર્યચકિત થયો. જે લોકો તેની પાછળ આવતા હતા તેઓના તરફ ઈસુ પાછો ફર્યો. ઈસુએ કહ્યું, “હું તમને કહું છું આટલો બધો વિશ્વાસ તો મેં ઇઝરાએલમાં પણ નથી જોયો.”

10 જે લોકોને ઈસુ પાસે મોકલવામાં આવ્યા હતા. તેઓ ઘેર પાછા ફર્યા ત્યારે તેઓએ નોકરને સાજો થયેલો જોયો.

ઈસુનું માણસને સજીવન કરવું

11 બીજે દિવસે ઈસુ નાઇન નામના શહેરમાં ગયો. તેના શિષ્યો અને લોકોનો મોટો સમૂહ તેની સાથે યાત્રા કરતો હતો. 12 જ્યારે ઈસુ શહેરની ભાગોળે આવ્યો, તેણે એક મૂએલા માણસને બહાર લઈ જતાં જોયો, એક માતા કે જે વિધવા હતી તેનો એકનો એક દિકરો મૃત્યુ પામ્યો હતો. જ્યારે તેના પુત્રના મૃતદેહને લઈ જવાતો હતો ત્યારે માતાની સાથે શહેરના ઘણા લોકો હતા. 13 જ્યારે પ્રભુએ (ઈસુ) તેને જોઈ, ત્યારે તેના હ્રદયમાં તેને માટે કરૂણા ઉપજી. ઈસુએ તેને કહ્યું, “રડીશ નહિ,” 14 ઈસુ ઠાઠડીની પાસે ગયો અને તેને સ્પર્શ કર્યો. ખાંધિયા ઊભા રહ્યાં. ઈસુએ મૃત્યુ પામેલા પુત્રને કહ્યું, “હે જુવાન, હું તને કહું છું કે ઊઠ.” 15 પછી તે મૃત્યુ પામેલો માણસ બેઠો થયો અને વાતો કરવા લાગ્યો. ઈસુએ તેને તેની માને સોંપ્યો.

16 બધાજ લોકો ભયભીત થયા. તેઓ દેવની સ્તુતી કરતા હતા. તેઓએ કહ્યું, “આપણી પાસે એક મોટો પ્રબોધક આવ્યો છે!” અને તેઓએ કહ્યું, “દેવ તેના લોકોની સંભાળ રાખે છે.”

17 ઈસુ વિષેના આ સમાચાર આખા યહૂદિયામાં અને આસપાસના બધાજ પ્રદેશમાં પ્રસરી ગયા.

યોહાનનો પ્રશ્ર

(માથ. 11:2-19)

18 યોહાનના શિષ્યોએ આ બધી વાતો યોહાનને કહી. યોહાને પોતાના શિષ્યોમાંથી બે શિષ્યોને પોતાની પાસે બોલાવ્યા. 19 યોહાને તેઓને પ્રભુ (ઈસુ) ની પાસે મોકલીને પૂછાવ્યું કે, “જે આવનાર છે તે શું તું જ છે કે અમે બીજી વ્યક્તિની રાહ જોઈએ?”

20 તેથી તે માણસો ઈસુ પાસે આવ્યા. તેઓએ કહ્યું, “બાપ્તિસ્મા કરનાર યોહાને તારી પાસે અમને પૂછવા મોકલ્યા છે કે જે આવનાર છે તે શું તું જ છે કે પછી અમે બીજી આવનાર વ્યક્તિની રાહ જોઈએ?”

21 તે સમય દરમ્યાન, ઈસુએ ઘણા લોકોને માંદગીમાંથી, રોગોમાંથી અને ભૂંડા આત્માઓથી પીડાતાઓને સાજા કર્યા. ઈસુએ ઘણા આંધળાઓને સાજા કર્યા જેથી તેઓ ફરીથી દેખતા થઈ શકે. 22 પછી ઈસુએ યોહાનના શિષ્યોને કહ્યું, “જાઓ અને તમે અહીં જે જોયું છે અને સાંભળ્યું છે તે યોહાનને કહી સંભળાવો. આંધળા લોકો સાજા થયા છે અને જોઈ શકે છે. લૂલાં સાજા થયા છે અને ચાલી શકે છે. રક્તપિત્તિઓને સાજા કરવામાં આવે છે, બહેરાઓને સાજા કર્યા છે અને તેઓ સાંભળી શકે છે. મૃત લોકોને સજીવન કરવામાં આવ્યા છે. અને ગરીબ લોકોને દેવના રાજ્યની સુવાર્તા પ્રાપ્ત થાય છે. 23 અને જે કોઈ મારા સંબંધી ઠોકર નહિ ખાશે તેને ધન્ય છે!”

24 યોહાનના સંદેશાવાહકો ગયા પછી ઈસુએ યોહાન વિષે લોકોને કહેવાનું શરૂ કર્યુ: “રેતીના રણમાં તમે શું જોવા ગયા હતા? શું પવનથી હાલતા બરુંને? 25 તમે બહાર શું જોવા ગયા હતા? શું સુંદર વસ્ત્ર પરિધાન કરેલા માણસને? ના, તો શું જેઓ ભપકાદાર વસ્ત્રો પહરે છે અને ભોગવિલાસ કરે છે કે જેઓ મહેલોમાં રહે છે. 26 ખરેખર, તમે શું જોવા માટે બહાર ગયા હતા? શું પ્રબોધકને? હા, અને હું તમને કહું છું, યોહાન એ પ્રબોધક કરતાં વધારે છે. 27 યોહાન વિષે આમ લખેલું છે:

‘સાંભળ! હું મારા દૂતને તારી આગળ મોકલું છું.
    જે તારી આગળ તારો માર્ગ સિદ્ધ કરશે.’(A)

28 હું તમને કહું છું, આજ પર્યંત જે કોઈ જન્મ્યા છે તે સૌના કરતાં યોહાન વધારે મોટો છે. તો પણ દેવના રાજ્યમાં જે માત્ર નાનો છે, તે તેના કરતાં મોટો છે.”

29 (જ્યારે લોકોએ આ સાંભળ્યું ત્યારે તે બધાએ કબૂલ કર્યુ કે, દેવનો ઉપદેશ સારો હતો. જકાતદારો પણ સંમત થયા. આ બધા લોકો યોહાનથી બાપ્તિસ્મા પામ્યા હતા. 30 પરંતુ ફરોશીઓ તથા શાશ્ત્રીઓએ તેમના માટેની દેવની યાજનાનો સ્વીકાર કરવાની ના પાડી. અને તેઓએ યોહાન દ્ધારા બાપ્તિસ્મા પામવા ના પાડી.)

31 “આ સમયના લોકો માટે હું શું કહું? હું તેઓને શાની ઉપમા આપું? તેઓ કોના જેવા છે? 32 આ પેઢીના લોકો તો બજારમાં કોઈ જગ્યાએ બેઠેલા બાળકો જેવા છે. એક બાળકોનું ટોળું બીજા બાળકોને બોલાવે છે અને કહે છે:

‘અમે તમારે માટે સંગીત વગાડ્યું,
    પણ તમે નાચ્યા નહિ;
અમે કરૂણ ગીત ગાયું,
    પણ તમે દિલગીર થયા નહિ.’

33 યોહાન બાપ્તિસ્ત આવ્યો અને બીજા લોકોની જેમ રોટલી ખાધી નહિ કે દ્ધાક્ષારસ પીધો નહિ, અને તમે કહો છો કે, ‘તેનામાં ભૂત છે.’ 34 માણસનો દીકરો બીજા લોકોની જેમ ખાતો અને પીતો આવ્યો છે. અને તમે કહો છો કે ‘એના તરફ જુઓ! તે વધારે પડતું ખાય છે અને ખૂબ વધારે દ્ધાક્ષારસ પીએ છે! તે જકાતદારોનો તથા ખરાબ માણસોનો મિત્ર છે!’ 35 પરતું જ્ઞાની પોતાના સર્વ કાર્યોથી યથાર્થ મનાય છે.”

સિમોન ફરોશી

36 ફરોશીઓમાંના કોઈ એકે ઈસુને પોતાની સાથે જમવા માટે કહ્યું. ઈસુ ફરોશીના ઘરમાં ગયો અને મેજ પાસે બેઠો.

37 તે સમયે તે શહેરમાં એક પાપી સ્ત્રી હતી; તેણે જાણ્યું કે ઈસુ ફરોશીના ઘેર જમવા બેઠો છે. તેથી તે અત્તરની આરસપાનની એક ડબ્બી લાવી. 38 તે ઈસુના પગ પાસે ઊભી રહી, અને રડવા લાગી. પછી તેના આંસુઓથી તેના પગ ધોવાનું શરૂ કર્યું. તે પોતાના ચોટલાથી ઈસુના પગ લૂછવા લાગી. તેણે તેના પગને ઘણીવાર ચૂમ્યા અને પછી અત્તરથી ચોળ્યા.

39 ઈસુને પોતાને ઘેર આવવા જે ફરોશીએ કહ્યું હતું, તેણે આ જોયું. તે તેની જાતે વિચાર કરવા લાગ્યો. “જો આ માણસ પ્રબોધક હોત તો એ જાણતો હોત કે જે સ્ત્રીતેને સ્પર્શે છે તે પાપી છે!”

40 ઈસુએ ફરોશીને કહ્યું, “સિમોન, મારે તને કંઈક કહેવું છે.”

સિમોને કહ્યું, “ઉપદેશક તું શું કહેવા માગે છે?”

41 ઈસુએ કહ્યું, “બે માણસો હતા, બંને એક જ લેણદારના દેવાદાર હતા, એક માણસને લેણદારનું 500 ચાંદીના સિક્કાનું દેવું હતું. બીજાને લેણદારનું 50 ચાંદીના સિક્કાનું દેવું હતું. 42 માણસો પાસે પૈસા ન હતા, તેથી તેઓનું દેવું ચૂકવી શક્યા નહિ. પરંતુ લેણદારે તે માણસોને કહ્યું, ‘તેઓએ તેને કશું આપવાનું નથી. તે બે માણસોમાંથી કયો માણસ લેણદારને વધુ પ્રેમ કરશે?’”

43 સિમોને ઉત્તર આપ્યો, “મને લાગે છે કે જે માણસને તેનું સૌથી વધારે દેવું હતું તે.”

ઈસુએ સિમોનને કહ્યું, “તું સાચો છે.” 44 પછી ઈસુ તે સ્ત્રીતરફ વળ્યો અને સિમોનને કહ્યું, “આ સ્ત્રીને તું જુએ છે? જ્યારે હું તારા ઘરમાં આવ્યો ત્યારે તેં મને મારા પગ ધોવા માટે પાણી આપ્યું નહી. પણ તેણે મારા પગ તેના આંસુથી ધોયા અને તેના ચોટલાથી લૂંછયા છે. 45 તેં મને ચુંબન કર્યુ નથી, પણ હું જ્યારથી અંદર આવ્યો ત્યારથી તે જરા પણ રોકાયા વગર મારા પગને ચુંબન કર્યા કરે છે! 46 તેં મારા માથામાં તેલ ચોળ્યું નથી, પણ તેણે મારા પગ પર અત્તર ચોળ્યું છે. 47 તેથી હું તને કહું છું કે, તેના ગણા પાપો હોવા છતાં માફ થયા છે. આ સ્પષ્ટ છે, કારણ કે તેણે ઘણો પ્રેમ દર્શાવ્યો છે. પરંતુ જેને ઓછું માફ કરવામાં આવે છે તે પ્રેમ પણ થોડોક દર્શાવે છે.”

48 પછી ઈસુએ તે સ્ત્રીને કહ્યું, “તારા પાપ માફ કરવામાં આવ્યા છે.”

49 જમવાના મેજ પાસે બેઠેલા લોકો તેઓની જાતે વિચાર કરવા લાગ્યા કે, “આ માણસ કોણ છે કે જે પાપને પણ માફ કરે છે?”

50 ઈસુએ તે સ્ત્રીને કહ્યું, “તારા વિશ્વાસે તને બચાવી છે, શાંતિથી જા.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International