Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
2 રાજાઓનું 23

લોકોએ નિયમ સાંભળ્યો

23 ત્યારબાદ રાજાએ પોતાની સાથે યહોવાના મંદિરમાં આવવા માટે સંદેશવાહકો મોકલીને યરૂશાલેમના તથા યહૂદાના વડીલો તથા આગેવાનોને બોલાવ્યા. યરૂશાલેમ અને યહૂદાના સર્વ યાજકો, પ્રબોધકો, અને નાનાથી મોટા સર્વ લોકો મંદિર આગળ ભેગા થયા. રાજાએ તેઓની આગળ મંદિરમાંથી મળી આવેલું દેવના નિયમશાસ્ત્રનું પુસ્તક પૂરેપૂરું વાચી સંભળાવ્યું.

ત્યારબાદ રાજાએ મંચ પર ઊભા રહીને, તેમને યહોવાને અનુસરવાનું કહ્યું. અને તેના બધા આદેશો અને હુકમોનું પાલન કરવાનું અને તેમની બધી સુચનાઓને તેમના પૂર્ણ હૃદયથી અને તેમના પૂર્ણ આત્માથી અનુસરવાનું કહ્યું. અને એ રીતે આ પુસ્તકમાં લખેલા કરારની શરતોનો પૂરેપૂરો અમલ કરવાની પ્રતિજ્ઞા કરી; અને બધા લોકોએ પણ એ કરારનું પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી.

એ પછી રાજાએ વડા યાજક હિલ્કિયાને તથા મદદનીશ યાજકને તેમજ દ્વારના રક્ષકોને બઆલદેવની અશેરાદેવીની તેમજ આકાશનાં નક્ષત્રોની પૂજામાં વપરાતી બધી સામગ્રી યહોવાના મંદિરમાંથી હઠાવી લેવાનો હુકમ કર્યો, અને તે બધીને તેણે યરૂશાલેમ બહાર કિદ્રોનનાં કોતરમાં બાળી મુકાવી, અને તેની રાખ બેથેલ લઈ જવામાં આવી.

તેણે યહૂદાના રાજાઓએ, યહૂદાના નગરોમાંના અને યરૂશાલેમની આસપાસનાં ઉચ્ચસ્થાનોમાં ધૂપ અર્પણો કરવા નીમેલા વિધર્મીર્ યાજકોને બરતરફ કર્યા, આમાં બધાં જેમણે બઆલમાં અર્પણો કર્યા હતા તે, સૂર્ય, ચંદ્ર, નક્ષત્રો અને આકાશના બધાં સમૂહોનો સમાવેશ થતો હતો.

યરૂશાલેમના મંદિરમાંથી અશેરાદેવીની મૂર્તિને યરૂશાલેમની બહાર કિદ્રોનના કોતરમાં લઈ જઈને બાળીને ભસ્મ કરી નાખી અને તેની રાખ ગાઝા નજીક સામાન્ય લોકોની કબરો પર ફેંકી દીધી.

તેણે યહોવાના મંદિરમાં આવેલું દેવદાસો અને દેવદાસીઓ માટેનું ઘર, જેમાં સ્રીઓ અશેરા માટે વસ્ત્રો વણતી, તે તોડી પાડયું.

યહૂદાના નગરોમાંથી તેણે બધા યાજકોને યરૂશાલેમમાં ભેગા કર્યા, અને ગેબાથી બેર-શેબા સુધી સર્વત્ર તેઓ જ્યાં જ્યાં અર્પણ સ્તંભ અને અર્પણ વેદીઓ હતી, તે બધાં તેણે ષ્ટ કર્યા. પછી તેણે નગરના શાસક યહોશુઆના દરવાજા પાસે આવેલા ઉચ્ચસ્થાનો તોડી નાખ્યા. જે મુખ્ય નગર દરવાજાની ડાબી બાજુએ હતો. પરંતુ એ થાનકોના યાજકો યરૂશાલેમમાં આવેલી વેદીની પૂજા કરવા આવ્યા નહોતા, તેઓએ તેમના કુટુંબો વચ્ચે બેખમીર રોટલી ખાધી.

10 હવે પછી કોઈ પણ વ્યકિત પોતાના પુત્ર કે પુત્રીને મારી નાખીને તેનું બલિદાન તરીકે અર્પણ ન કરી શકે, કારણકે રાજાએ બેન-હિન્નોમની ખીણમાં આવેલી તોફેથની વેદીને પણ તોડી પાડી હતી. 11 તેણે નાથાન મેલેખના નિવાસસ્થાન પાસે મંદરિના મુખ્ય પ્રવેશદ્વાર આગળ આવેલી ઘોડાઓની પ્રતિમાઓને તોડી પાડી. તેણે સૂર્ય દેવને સમર્પિત થયેલા રથોને બાળી મૂક્યા.

12 આહાઝના ઉપરના ઓરડા પર યહૂદાના રાજાઓએ બંધાવેલી વેદીઓ હતી, તેને તોડી પાડી. ત્યાર પછી મંદિરના બંને આંગણામાં મનાશ્શાએ બાંધેલી બે વેદીઓ હતી, તે પણ તેણે તોડી નાખી, એ સર્વને ભાંગીને ભૂકો કર્યો અને એ ભૂકો કિદ્રોનની ખીણમાં ફેંકી દીધો.

13 વળી તેણે ઇસ્રાએલની પૂર્વ તરફના ઉચ્ચસ્થાનકો અપવિત્ર કર્યા. તે ઇસ્રાએલના સુલેમાન રાજાએ બંધાવેલી “વિનાશક ટેકરીઓની” દક્ષિણે હતાં જે તેણે આશ્તોરેથ માટે બંધાવી હતી જે સિદોનીઓની ભયાનક દેવી હતી, મોઆબીઓના ભયાનક દેવ કમોશ અને આમ્મોનીઓના ભયાનક દેવ, મિલ્કોમના સ્થાનકો પણ તોડી પાડ્યાં. 14 તેણે સ્તંભો તોડી પાડયા અને અશેરાદેવીનાં પ્રતીકો કાપી નાખ્યાં. તેઓ જે જગ્યાએ ઊભાં હતાં તે જગ્યાઓ માણાસોનાં હાડકાંઓથી પૂરી દીધી.

15 એ જ રીતે બેથેલની વેદી અને ઉચ્ચસ્થાનો, જે ઇસ્રાએલને પાપ કરવા પ્રેરનાર નબાટના પુત્ર યરોબઆમે બંધાવી હતી તેનો પણ તેણે નાશ કર્યો, તેના પથ્થરોને ભેગા કરીને ભાંગીને ભૂકો કરી ફેકી દીધો અને અશેરાદેવીની બધી નિશાનીઓને બાળી મૂકી. 16 જ્યારે યોશિયા બીજી તરફ ફર્યો ત્યારે તેણે એક ટેકરી પર કેટલીક કબરો જોઈ, આ રીતે, જે રીતે દેવના માણસે ભવિષ્યવાણી ભાખી હતી તે પ્રમાણે જ તેણે વેદીને ષ્ટ કરી.

17 અને તેણે પૂછયું, “ત્યાં પેલું સ્મારક શાનું છે?”

નગરના લોકોએ કહ્યું, “એ તો જે દેવના માણસ એલિયાએ યહૂદાથી આવીને તમે બેથેલની વેદીના જે હાલ કર્યા તેની અગમ વાણી ભાખી હતી તેની કબર છે.”

18 તેણે કહ્યું, “એ ભલે રહી. કોઈ એનાં હાડકાં ખસેડશો નહિ.” તેથી તેઓએ તેનાં હાડકાં છોડી દીધાં અને સમરૂનથી આવેલા દેવના માણસનાં હાડકાંને પણ કોઈ અડયું નહિ.

19 વળી, યોશિયાએ સમરૂનનાં નગરોમાં ઇસ્રાએલના રાજાઓએ બનાવેલા ઉચ્ચસ્થાનકોનો નાશ કરીને જે યહવોનો રોષ વહોરી લીધો હતો, તે બધાંની પણ તેણે બેથેલમાં કરી હતી તેવી જ દશા કરી.

20 એ ટેકરી ઉપરનાં થાનકોના બધા યાજકોનો તેણે વેદીઓ પર વધ કર્યો, અને તે વેદીઓ પર તેણે માણસનાં હાડકાં બાળ્યાં, પછી તે યરૂશાલેમ પાછો ગયો.

પાસ્ખાપર્વ ઉજવતાં યહૂદાના લોકો

21 રાજાએ સમગ્ર પ્રજાને આ પ્રમાણે આજ્ઞા કરી, “તમારા દેવ યહોવાના માનમાં, કરારના આ પુસ્તકમાં ઠરાવ્યા મુજબ, પાસ્ખાપર્વ ઊજવો.”

22 ન્યાયાધીશોના સમયથી કયારેય આવો પાસ્ખાપર્વ ઊજવાયો નહોતો, ઇસ્રાએલ કે યહૂદાના એક પણ રાજા દ્વારા પણ નહિ. 23 પણ યોશિયાના અમલના 18મે વર્ષે જ આ પાસ્ખાપર્વ યહોવાના માનમાં યરૂશાલેમમાં ઊજવાયો.

24 આ ઉપરાંત યોશિયાએ યાજક હિલ્કિયાને યહોવાના મંદિરમાંથી મળેલી પોથીમાંના નિયમશાસ્ત્રાનાં વચનોનું પાલન કરવા માટે કહ્યું અને બધાં તાંત્રિકો, મેલી વિદ્યાના ઉપાસકો, કુળદેવો અને યહૂદાના પ્રદેશમાં અને યરૂશાલેમમાં જોવામાં આવતી બધી મૂર્તિઓ જે અનાદરને પાત્ર હોય તે બધી બાળી નાખીને તેનો નાશ કરીને તે જગ્યા સાફ કરી નાખી.

25 એના પહેલાં કે પછી એવો કોઈ રાજા થયો નથી, જેણે મૂસાના નિયમશાસ્ત્રનું પાલન કરીને પૂરા હૃદયથી અને સંપૂર્ણ બળથી યહોવાની ભકિત કરી હોય.

26 તેમ છતાં મનાશ્શાના ખરાબ કૃત્યોને કારણે યહૂદા વિરૂદ્ધ યહોવાને ચઢેલો ભારે રોષ હજુ શમ્યો ન હતો. 27 યહોવાએ જાહેર કર્યુ કે, “હું યહૂદીઓને પણ ઇસ્રાએલીઓની જેમ મારા સાન્નિધ્યથી દૂર હડસેલી મુકીશ. મેં પસંદ કરેલા આ નગર યરૂશાલેમને તેમજ યહોવાના જે મંદિરને વિષે મેં એમ કહ્યું હતું કે, ‘ત્યાં મારું નામ કાયમ રહેશે.’ તેને પણ હું દૂર કરીશ.”

28 યહૂદાના રાજા યોશિયાનાઁ શાસનનાં બીજા બનાવો યહૂદાના રાજાઓના ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે.

યોશિયાનું મૃત્યુ

29 એના અમલ દરમ્યાન મિસરના રાજા ફારુન નકોહ આશ્શૂરના રાજાને મદદ કરવા ફ્રાત નદી આગળ જવા નીકળ્યો હતો અને રાજા યોશિયાએ તેને માર્ગમાં અટકાવ્યો હતો; નકોહ રાજાએ તેને જોયો ત્યારે તેણે એને મગિદ્દોમાં મારી નાખ્યો. 30 તેના અધિકારીઓ તેના મૃતદેહને રથમાં મૂકીને મગિદ્દોથી યરૂશાલેમ લાવ્યા અને તેના મૃત્યુ અગાઉથી તેણે પસંદ કરી રાખેલી કબરમાં તેને દફનાવ્યો.

પછી તેના પુત્ર યહોઆહાઝને તેના પિતાની જગ્યાએ નવા રાજા તરીકે પસંદ કરીને અભિષ્કિત કર્યો.

યહૂદાનો નવો રાજા યહોઆહાઝ

31 યહૂદાનો નવો રાજા યહોઆહાઝ ગાદીએ બેઠો, ત્યારે તે ત્રેવીસ વર્ષનો હતો, તેણે યરૂશાલેમમાં ત્રણ મહિના રાજ કર્યું, તેની માતાનું નામ હમૂટાલ હતું. તે લિબ્નાહના યર્મિયાની પુત્રી હતી. 32 યહોઆહાઝે પોતાના પિતૃઓની જેમ યહોવાની દૃષ્ટિએ અયોગ્ય ગણાય એવું આચરણ કર્યું.

33 ફારુન નકોહે તેને યરૂશાલેમ કબજે કરતો અટકાવવા માટે હમાથમાં કેદ પકડયો અને પછી તેણે દેશ પર 7,500 પાઉંડ ચાંદી અને 75 પાઉંડ સોનાનો કર નાખ્યો.

34 ફારુને યોશિયાના પુત્ર એલ્યાકીમને તેના પિતા યોશિયા પછી રાજા બનાવ્યો અને તેનું નામ બદલીને યહોયાકીમ રાખ્યું. યહોઆહાઝને તે મિસર લઈ ગયો અને ત્યાં તેનું અવસાન થયું. 35 યહોયાકીમે ફારુનને સોનું અને ચાંદી આપ્યાં.પરંતુ લોકો પર, તેમના દરજ્જા પ્રમાણે કર નાખ્યો, તેણે તેમ કર્યું જેથી તે ફારુનની માંગોને પહોંચી વળે.

36 યહોયાકીમ ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 25 વર્ષની હતી. અને તેણે યરૂશાલેમમાં 11 વર્ષ રાજ કર્યુ. તેની માતાનું નામ ઝબીદાહ હતું અને તે રૂમાહના પેદાયાની પુત્રી હતી. 37 યહોયાકીમે પોતાના પિતૃઓની જેમ યહોવાની દૃષ્ટિએ અયોગ્ય ગણાય તેવું આચરણ કર્યું.

હિબ્રૂઓ 5

પ્રત્યેક પ્રમુખ યાજકની પસંદગી મનુષ્યમાંથી થાય છે. યહૂદી પ્રમુખ એક સાધારણ માણસ છે જે દેવ સંબંધીની બાબતોમાં લોકો વતી દેવ સમક્ષ આવવા લોકોનું પ્રતિનિધિત્વ કરવા માટે નિયુક્ત થાય છે. તેથી લોકોએ અર્પણ કેરેલ ભેટો દેવ સમક્ષ ધરે છે અને તેઓના પાપને માટે તે દેવને બલિદાનો અર્પણ કરે છે. પ્રમુખ યાજકમાં પણ લોકો જેવી જ નિર્બળતાઓ છે. તેથી બીજાની નિર્બળતાઓ સમજે છે અને અણસમજુ અને ભૂલ કરનાર લોકો સાથે તે માયાળુપણે વર્તે છે. તેથી પ્રમુખ યાજકને પોતાની નિર્બળતાઓ છે. તેથી તે લોકોનાં પાપો માટે તથા પોતાનાં પાપો માટે બલિદાન અર્પણ કરે છે.

કોઈ પણ મનુષ્ય પોતાની ઈચ્છાથી પ્રમુખ યાજક બનવાનું માન પોતાની જાતે મેળવી શકતો નથી. જેમ દેવે હારુંનની પસંદગી કરી તેમ દરેક પ્રમુખ યાજકની પસંદગી દેવથી જ થાય છે. ઈસુ ખ્રિસ્તે પણ પોતાની જાત માટે પ્રમુખ યાજક થવાની અને મહિમા પ્રાપ્ત કરવા માટે પસંદગી કરી નહોતી. પરંતુ દેવે તેને પસંદ કર્યો. દેવે ખ્રિસ્તને કહ્યું,

“તું મારો પુત્ર છે;
    આજે હું તારો પિતા બન્યો છું.” (A)

અને શાસ્ત્રમાં દેવે એક જગ્યાએ એમ પણ કહ્યું હતું કે,

“તું મલ્ખીસદેક[a] ની માફક
    સનાતન યાજક રહીશ.” (B)

ખ્રિસ્ત જ્યારે પૃથ્વી પર હતો ત્યારે તેણે દેવને તેની મદદ માટે મોટે ઘાટે પ્રાર્થના કરી, અને આંસુ સહિત મરણમાંથી તેને છોડાવનાર દેવની પ્રાર્થના કરી. તે દરેક સમયે દેવની ઈચ્છા પ્રમાણે જ કરતો તેથી દેવે તેની પ્રાર્થના સાંભળી. ઈસુ દેવનો પુત્ર હતો. છતાં દુ:ખ સહનના અનુભવથી આજ્ઞાનું પાલન કરવાનું શીખ્યો. આ રીતે પરિપૂર્ણ થઈને, તે પોતાની આજ્ઞા પાળનારા સર્વને સારું અનંત તારણનું કારણ થયો. 10 અને દેવે ઈસુને મલ્ખીસદેકના ધારા પ્રમાણે પ્રમુખયાજકનું નામ આપ્યું.

પતનની વિરુંદ્ધ ચેતવણી

11 આ વિષે અમારે તમને ઘણુંજ કહેવાનું છે. પરંતુ તે સમજાવવું ઘણું અઘરું છે કારણ કે તમે સમજવાની કોઈ જ ઈચ્છા દર્શાવી નથી. 12 જો કે આ સમયે તો તમારે ઉપદેશક થવું જોઈતું હતું. પરંતુ આ સમયે એવું દેખાય છે કે બીજા લોકો તમને ફરીથી દેવના વચનનાં મૂળતત્વો શીખવે. તમારે ભારે ખોરાક નહિ પરંતુ દૂધની જરુંરીયાત છે એવા તમે થયા છો. 13 જે વ્યક્તિ હજી દૂધ પર જીવે છે તે ન્યાયીપણા સંબધી તે બિનઅનુભવી છે, કેમ કે તે બાળક જ છે. 14 પણ જેઓ પુખ્ત ઉંમરના છે. એટલે જેઓની ઈન્દ્રિયો ખરું ખોટું પારખવામાં કેળવાયેલી છે, તેઓને સાંરું ભારે ખોરાક છે. તેથી આત્મિક જીવનમાં વૃદ્ધિ પામ્યા સિવાય તમે ભારે ખોરાક એટલે કે જ્ઞાન પચાવી શકશો નહિ.

યોએલ 2

દેવ પોતાનો આત્મા રેડશે

સિયોનમાં રણશિંગડું વગાડો,
    મારા પવિત્ર પર્વત પર ભય સૂચવતો ચેતવણીનો સૂર સંભળાવો.
દેશના સર્વ લોકો, થરથરી ઊઠો,
    કારણકે યહોવાનો ન્યાયનો દિવસ આવી રહ્યો છે.
    તે છેક નજીક છે.
અંધકાર અને વિષાદનો તે દિવસ છે.
    વાદળો અને અંધકારનો દિવસ.
પર્વતો પર પથરાતા ઘાટા પડછાયા જેવું બળવાન
    અને વિશાળ સૈન્ય જેવું દેખાય છે.
એવું પહેલાં કદી બન્યું નથી કે, ભવિષ્યમાં કદી જોવા નહિ મળે,
    મોટી તથા બળવાન પ્રજા આવશે.
અગ્નિ તેમની સમક્ષ ભભૂકે છે.
    તેમની પાછળ જવાળાઓ લપકારા મારે છે.
તેમની સમક્ષની ભૂમિ આદમના બગીચા જેવી છે.
    પરંતુ તેઓની પાછળ તે ઉજ્જડ અરણ્ય જેવી છે. હા, કશું જ રહેતું નથી.
તેમનો દેખાવ ઘોડાઓના જેવો છે;
    અને જાણે ઘોડેસવાર હોય તેમ તેઓ દોડે છે.
તેઓ શિખરો પર ગડગડાટ કરતાં,
રથોની જેમ આગળ ઘસી રહ્યાં છે,
    ઘાસ બળતી જવાળાઓના લપકારાની જેમ
અને યુદ્ધભૂમિમાં શકિતશાળી
    સૈનાની જેમ આગળ વધે છે.
તેમને જોતાં પ્રજાઓ ધ્રુજી ઊઠે છે.
    ભયને કારણે સૌના ચહેરા ઉપરથી લોહી ઊડી જાય છે.

આ “યોદ્ધાઓ” પાયદળની જેમ દોડે છે,
    અને પ્રશિક્ષણ પામેલા સૈનિકોની જેમ ભીંતો ઉપર ચઢી જાય છે.
તેઓ બધા એક હરોળમાં ખસે છે
    અને તેમની હરોળથી હટતાં નથી.
તેઓ એકબીજાને ધક્કો નથી મારતાં
    અને હરોળમાં રહે છે.
જ્યારે તેઓ શસ્ત્રો સમક્ષ પડે ત્યારે,
    તેઓ ક્રમ તોડતાં નથી.
તેઓ શહેરમાં ઉમટયા છે.
    તેઓ દીવાલોની એક તરફથી બીજી તરફ દોડે છે.
તેઓ મકાનોની અંદર ચઢી જાય છે.
    અને બારીઓમાંથી ચોરની જેમ પ્રવેશે છે.
10 ધરતી તેમની આગળ ધ્રુજે છે અને આકાશ થરથરે છે,
    સૂર્ય અને ચંદ્ર કાળા પડી જાય છે અને તારાઓ તેજસ્વીતા ગુમાવે છે.
11 યહોવા તેના સૈન્યદળોને આજ્ઞાઓ આપે છે.
    તેમનું સૈન્ય મોટું છે,
અને તેમની આજ્ઞા પાળનારાઓ શકિતશાળી છે.
    યહોવાનો ન્યાયનો દિવસ ભયંકર
અને બિહામણો છે.
    એની સામે કોણ ટકી શકે?

યહોવા લોકોને પરિવતિર્ત થવાનું કહે છે

12 તોપણ, યહોવા કહે છે,
    “હજી સમય છે સાચા હૃદયથી
તમે મારી પાસે પાછા ફરો.
    ઉપવાસ કરી, રૂદન કરો, ને આક્રંદ કરો.”
13 તમારાં વસ્ત્રો નહિ,
    હૃદયો ચીરી નાખો.
તમારા યહોવા દેવ પાસે પાછા ફરો.
    તે દયાળુ અને કૃપાળુ છે.
તે ગુસ્સે થવામાં ધીમો છે
    અને તેની પાસે અનેરો પ્રેમ છે
અને તે ન્યાયના ચુકાદાને લગતો
    તેનો વિચાર બદલે છે.
14 કોણ જાણે છે? કદાચ તે તેના વિચાર બદલે
    અને સજાથી ફરી તમને આશીર્વાદ આપે.
ત્યારે તમારા દેવ યહોવાને ખાદ્યાર્પણ
    અને પેયાર્પણ રહેવા દે.

યહોવાની ઉપાસના કરો

15 સિયોનમાં રણશિંગડું વગાડો,
    પવિત્ર ઉપવાસ જાહેર કરો;
    અને ધામિર્ક સભા માટે લોકોને ભેગા કરો.
16 લોકોને ભેગા કરો,
    સમુદાયને પાવન કરો,
વડીલો, બાળકો અને ધાવણાં બાળકોને ભેગા કરો.
    વર અને કન્યાએ તેમનો લગ્ન મંડપ છોડી આવવું જાઈએ.
17 યાજકો, જે યહોવાના સેવકો છે,
    તેમણે ઓસરી અને વેદી વચ્ચે રડવું અને કહેવું કે,
“હે યહોવા, તારા લોકો પર દયા કર.
    વિદેશીઓને તેમને હરાવવા ન દો.
    તમારા લોકોને વિદેશીઓ સમક્ષ લજ્જિત થવા ન દો,
જેઓ દરેકને કહે છે,
    ‘તેઓનો દેવ કયાં છે?’”

યહોવા તમને તમારી ભૂમિ પાછી અપાવશે

18 ત્યારે યહોવાને પોતાના દેશને માટે લાગણી થઇ,
    ને તેને પોતાના લોકો પર દયા આવી.
19 યહોવાએ પોતાના લોકોને જવાબ આપ્યો,
“જુઓ, હું તમને સંતોષ થાય તેટલા પૂરતાં અનાજ,
    દ્રાક્ષારસ, અને તેલ મોકલીશ. હવે હું
    તમને વિદેશીઓ સમક્ષ હજી વધારે લજ્જિત થવા નહીં દઉ.
20 પણ હું આ સૈન્યોને ઉત્તરમાંથી ખસેડી
    અને તેઓને દૂર દેશમાં મોકલી દઇશ.
હું તેઓને ઉજ્જડ તથા વેરાન દેશમાં પાછા મોકલી દઇશ.
    તેઓમાંના અડધાને મૃત સરોવરમાં
અને બાકીનાને ભૂમધ્ય સમુદ્રમાં ધકેલીશ.
    પછી તેઓ દુર્ગંધીત થશે અને તેમની ગંધ ઉચે ચઢશે કારણકે
તેણે શકિતશાળી કાર્યો કર્યાં છે.”

ભૂમિને ફરીથી નવી બનાવાશે

21 હે ભૂમિ, ગભરાઇશ નહિ,
    હવે ખુશ થા અને આનંદ કર.
    કારણકે યહોવાએ મહાન કાર્યો કર્યા છે.
22 હે વનચર પશુઓ, તમે ડરશો નહિ;
    કારણકે ગૌચરની જગ્યાઓ ફરીથી હરિયાળી થશે.
વૃક્ષો પોતાના ફળ ઉપજાવશે,
    અંજીરવૃક્ષો અને દ્રાક્ષાવેલાઓ ફરીથી ફળવંતા થશે.

23 હે સિયોનના લોકો, ખુશ થાઓ,
    તમારા યહોવા દેવના નામે આનંદ કરો;
કારણકે તે તમારી સાથેના સંબંધના
    પ્રસ્થાપનના ચિહનરૂપે શરદઋતુનાં વરસાદો મોકલી રહ્યો છે.
તે તમારા માટે વરસાદ વરસાવશે.
    ફરીથી, તે વસંત અને શરદઋતુમાં વરસાદ વરસાવશે.
24 ફરી ખળીઓ ઘઉંથી ભરાઇ જશે
    અને કુંડો જૈતતેલ અને દ્રાક્ષારસથી ઊભરાશે.
25 “મેં મારું મહાન વિનાશક તીડોનું લશ્કર તમારી વિરૂદ્ધ મોકલ્યું હતું-સામૂહિક તીડો,
    ફુદકતાં તીડો, વિનાશક તીડો, અને કાપતાં તીડો.
    તેમના દ્વારા નષ્ટ થયેલો પાક હું તમને પાછો આપીશ.
26 તમે ચોક્કસ ઘરાઇને ખાશો
    અને યહોવા દેવના નામની સ્તુતિ કરશો;
જે તમારી સાથે અદ્ભૂત રીતે ર્વત્યા છે
    અને મારા લોકો ફરી કદી લજ્જિત નહિ થાય.
27 પછી તમને ખબર પડશે કે,
    હું ઇસ્રાએલમાં છું, ને હું તમારો દેવ યહોવા છું,
    ને બીજું કોઇ નથી;
અને મારા લોકો કદી લજ્જિત થશે નહિ.”

બધાં લોકોને પોતાનો આત્મા આપવાની દેવની પ્રતિજ્ઞા

28 “ત્યાર પછી,
    હું મારો આત્મા બધા લોકો પર રેડીશ.
તમારા પુત્રો અને પુત્રીઓ પ્રબોધ કરશે,
    તમારા ઘરડાંઓ સ્વપ્નો જોશે
    અને યુવાનોને સંદર્શનો થશે.
29 વધુમાં, તે સમયે હું મારો આત્મા તમારા દાસો
    અને દાસીઓ ઉપર રેડીશ.
30 વળી હું પૃથ્વી પર અને આકાશમાં આશ્ચર્યજનક નિશાનીઓ મૂકીશ,
    લોહી અને અગ્નિ તથા ધુમાડાના સ્તંભો
31 યહોવાનો મહાન અને ભયંકર દિવસ આવે
    તે પહેલાઁ સૂર્ય અંધકારરૂપ
    અને ચંદ્ર લોહીરૂપ થઇ જશે.
32 તે સમયે એમ થશે કે, જે કોઇ યહોવાને બોલાવશે તે ભાગી જશે,
    કારણ, યહોવાએ કહ્યું હતું કે,
    યરૂશાલેમમાં અને સિયોન પર્વત પર દીર્ધજીવીઓ થશે,
અને યરૂશાલેમમાં બાકી રહેલાઓમાંથી જેને યહોવા બોલાવે.
    તેઓ ઉગરી જશે.

ગીતશાસ્ત્ર 142

દાઉદ ગુફામાં હતો તે સમયે લખાયેલી તેની પ્રાર્થના. દાઉદનું માસ્કીલ.

હું મોટા સાદે યહોવાને આજીજી કરું છું;
    અને દયા માટે ઊંચા સ્વરે વિનંતી કરું છું.
હું તેમની આગળ મારી ફરિયાદો વરસાવું છું
    અને મારી મુશ્કેલીઓ વિષે હું તેમને જણાવું છું.
હું બેહોશ થવાનો હોઉં,
    ત્યારે મને શું થાય છે તે તમે જાણો છો પણ જે રસ્તે હું ચાલું છું;
    તેમા તેઓએ ફંદા ગોઠવ્યા છે.

જ્યારે હું આજુબાજુ જોઉં છું,
    હું કોઇ મિત્રને જોતો નથી,
જે મને મદદ કરી શકે,
    અથવા મારી સંભાળ રાખી શકે અથવા મારો બચાવ કરી શકે.
હે યહોવા, મારી પ્રાર્થનામાં મે તમને પોકાર કર્યો અને કહ્યું,
    “યહોવા, મારી સંતાવાની જગા માત્ર તમે જ છો.
    આ જીવનમાં મારી પાસે જે બધું છે તે તમે છો.”
મારા પોકારો સાંભળો,
    કેમકે હું દુ:ખી છું;
જેઓ મારી પાછળ પડ્યાં છે તેમનાથી મને બચાવો;
    કારણકે તેઓ મારા કરતાં વધુ બળવાન છે.
મને બંદીવાસમાંથી બહાર લાવો,
    જેથી હું તમારો આભાર માની શકું.
તમારી સર્વ મદદને માટે દેવનો ભય રાખનારા
    મારી સાથે આનંદ કરશે તમે મારા માટે ઉદાર છો.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International