Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
2 રાજાઓનું 18

યહૂદાના રાજા હિઝિક્યાનું રાજ

18 ઇસ્રાએલના રાજા એલાહના પુત્ર હોશિયાના શાસનના ત્રીજા વર્ષે આહાજનો પુત્ર હિઝિક્યા યહૂદાનો રાજા થયો. તે રાજા થયો ત્યારે તેની ઉંમર 25 વર્ષની હતી અને તેણે યરૂશાલેમમાં 29 વર્ષ રાજ કર્યુ, તેની માતાનું નામ અબીયા હતું અને તે ઝખાર્યાની પુત્રી હતી.

તેણે પોતાના પિતૃ દાઉદની જેમ યહોવાની દૃષ્ટિએ યોગ્ય એવું આચરણ કર્યુ.

તેણે ઉચ્ચસ્થાનો પરની સમાધિઓ દૂર કરી, અશેરાદેવીની મૂર્તિ કાપી નાખી અને મૂસાએ તૈયાર કરાવેલા કાંસાના સાપને તોડી ટુકડા કરી નાખ્યા, કારણ કે ત્યાં સુધી ઇસ્રાએલીઓ તેને બલિદાનો અર્પણ કરતા હતા, તેણે તેઓને કહ્યું, આ તો ફકત કાંસાનો ટૂકડો છે.

તેણે ઇસ્રાએલના દેવ યહોવા પર વિશ્વાસ રાખ્યો હતો. તેની પેહલાં થઈ ગયેલા કે તેની પછી થયેલા યહૂદાના રાજાઓમાં કોઇ પણ તેના જેવો નહોતો. તે યહોવાને સંપૂર્ણ નિવાન હતો અને નિવાનીમાં તે કદી ચલિત થયો નહોતો, અને યહોવાએ મૂસાને જણાવેલી આજ્ઞાઓનું તે પાલન કરતો હતો. આથી યહોવા તેની મદદમાં રહ્યાં અને તે જે કોઈ જવાબદારી સ્વીકારતો, તેમાં સફળ થતો, તેણે આશ્શૂરના રાજા સામે બળવો કર્યો અને તેની તાબેદારી સ્વીકારવાની ના પાડી. તેણે દૂર ગાઝા સુધીના પલિસ્તીઓને હરાવ્યા અને નાના ગામોથી માંડીને મોટા કિલ્લેબંધીવાળાં શહેરો તેણે જીતી લીધા.

સમરૂનને કબ્જે કરતા આશ્શૂરીઓ

યહૂદાના રાજા હિઝિક્યાના શાસનના 4થા વર્ષે, એટલે કે ઇસ્રાએલમાં હોશિયા રાજાના શાસનનું 7મું વર્ષ ચાલતું હતું આશ્શૂરના રાજા શાલ્માનેસેરે ઇસ્રાએલ પર આક્રમણ કર્યુ અને સમરૂન નગરને ઘેરો ઘાલ્યો, અને તે કબજે કર્યુ. 10 તેણે તે 3વર્ષ પછી કબજે કર્યું. ઇસ્રાએલમાં, રાજા હોશિયા તેના શાસનના 9માં વર્ષમાં હતો અને તે વર્ષે રાજા હિઝિક્યા તેના યહૂદા પરના શાસનના છઠ્ઠા વર્ષમાં હતો. તે સમય દરમ્યાન, સમરૂન નગરનું પતન થયું. 11 તે વખતે આશ્શૂરનો રાજા ઇસ્રાએલી લોકોને પકડીને લઈ ગયો. તેણે તેઓને આશ્શૂરના નગર હલાહમાં, ગોઝાન પ્રદેશમાં, હાબોર નદીના કિનારા પર અને માદીઓનાં નગરોમાં વસાવ્યા. 12 આમ થવાનું કારણ એ હતું કે તેઓ પોતાના દેવ યહોવાની આજ્ઞા માનતા નહોતા અને યહોવાના કરારનો તેમજ યહોવાના સેવક મૂસાએ જણાવેલી એકેએક આજ્ઞાઓનો ભંગ કરતા હતા. તેઓએ પોતાના યહોવા દેવની વાણી સાંભળી નહિ અને તેમની ઇચ્છા મુજબ ચાલ્યા નહિ.

યહૂદા લેવા તત્પર આશ્શૂરીઓ

13 હિઝિક્યાના અમલના 4માં વર્ષે આશ્શૂરના રાજા સાન્હેરીબે યહૂદાનાં બધાં કિલ્લેબંદી નગરો પર ચડાઈ કરીને તે કબજે કરી લીધાં. 14 ત્યારે યહૂદાના રાજા હિઝિક્યાએ લાખીશ સુધી પહોંચેલા આશ્શૂરના રાજાને સંદેશો મોકલ્યો કે, “મારી ભૂલ થઈ છે, તું મારી પાસેથી પાછો જા, તું જે શરતો મારી આગળ રજૂ કરીશ તેનો હું સ્વીકાર કરીશ.”

આથી આશ્શૂરના રાજાએ 11 ટન ચાંદીની અને એક ટન સોનાની વસુલી માગી લીધી. 15 હિઝિક્યાએ તેને યહોવાના મંદિરમાંની અને રાજમહેલના ભંડારમાંથી બધી ચાંદી આપી દીધી; 16 તે સમયે તેણે, યહોવાના મંદિરમાં સોનાના પતરાંથી મઢેલા બારણાં અને બારસાખોને કાપી નાખ્યાં, તેણે તે બધુંય આશ્શૂરના રાજાને આપી દીધું.

માણસોને યરૂશાલેમ મોકલતો આશ્શૂરનો રાજા

17 લાખીશથી આશ્શૂરના રાજાએ સેનાપતિઓને, અને તેના મહત્વના અમલદારોને વિશાળ લશ્કર સાથે યરૂશાલેમ મોકલ્યા. અને તેમણે યરૂશાલેમ પહોંચીને ધોબીઘાટને ઘોરી માર્ગ પર આવેલા ઉપલા તળાવના ગરનાળા આગળ પડાવ નાખ્યો, 18 અને રાજાને તેડાવ્યો; એટલે રાજાના મહત્વના અમલદારો હિલ્કિયાનો પુત્ર એલ્યાકીમ જે મહેલનો મુખ્ય કારભારી હતો, રાજયમંત્રી શેબ્ના અને આસાફનો પુત્ર યોઆહ જે નોંધણીકાર હતો એ સૌને તેમણે મળવા મોકલ્યા.

19 સેનાપતિઓએ તેમને કહ્યું કે, હવે તમે હિઝિક્યાને જઈને કહો કે, “આશ્શૂરનો રાજા કહે છે કે,

‘તને આટલો બધો આત્મવિશ્વાસ શેનાથી છે? 20 શું તું એમ સમજે છે કે, ખાલી મોઢાની વાતો, મુત્સદ્દીગીરી અને લશ્કરી બળનું સ્થાન લઈ શકે છે? તું કોનો આધાર રાખીને મારી સામે બંડ પોકારે છે? 21 મિસરીઓ ઉપર? મિસર તો ભાગેલા બરુ જેવું છે; જે કોઈ એનો આધાર લે છે તેમના હાથ કપાઈ જાય છે. મિસરના રાજા ફારુનનો વિશ્વાસ કે આધાર રાખી શકાય નહિ. 22 અને કદાચ તમે એવું કહો, “અમને મુશ્કેલીઓ અને પીડામાંથી બચાવવા માટે અમે યહોવા પર વિશ્વાસ રાખીએ છીએ,” તો શું એ તમે નહોતા કે જેણે, ઉચ્ચસ્થાનો, જ્યાં યહોવાને યજ્ઞો કરાતાં હતાં તેનો નાશ કર્યો? અને એ તમે નહોતા કે, જેણે યહૂદા અને યરૂશાલેમના લોકોને કહ્યું હતું કે, “તેઓએ ફકત યરૂશાલેમમાં પૂજા કરવી જોઇએ?

23 ‘તેથી હવે હું તમને કહું છું, મારા ધણી આશ્શૂરના રાજા સાથે સોદો કરી શકે તેવા 2,000 સૈનિકો તમારી પાસે હોય તો હું તમને 2,000 ઘોડા આપવા તૈયાર છું. 24 તમે મારા ઘણીના સેવકોનાં એક પણ કપ્તાનને કેવી રીતે હરાવી શકો? જો તમે રથો અને ઘોડાઓ માટે મિસર પર આધાર રાખો તો?

25 ‘તમે શું એમ માનો છો કે, હું આ દેશને ખેદાન-મેદાન કરવા ચઢી આવ્યો છું. તે યહોવાની સંમતિ વગર આવ્યો હોઈશ? યહોવાએ પોતે મને કહ્યું છે કે, “તું આ દેશ પર ચઢાઈ કરી એને ખેદાનમેદાન કરી નાંખ.”’”

26 એલ્યાકીમ, શેબ્ના અને યોઆહે સેનાપતિઓને કહ્યું, “મહેરબાની કરીને અમારી સાથે અરામીભાષામાં બોલો, અમે એ ભાષા સમજીએ છીએ. અમારી સાથે યહૂદીઓની ભાષામાં ના બોલશો. કારણ કે બધા લોકો જેઓ દિવાલ પર છે તેઓ સમજી જશે કે તમે શું કહી રહ્યાં છો!”

27 પણ સેનાપતિએ કહ્યું, “શું અમારા રાજાએ મને તમારી સાથે અને તમારા રાજાની સાથે જ વાત કરવા મોકલ્યો છે? તેણે મને આ કોટ પરના લોકોને પણ કહેવા મોકલ્યો છે. કારણ કે તેમણે પણ તમારી જેમ પોતાનાં મળમૂતર પર જીવવું પડશે.”

28 પછી આશ્શૂરના આ સંદેશવાહકે પેલા કોટ પર ઊભેલા લોકો સાંભળે તે રીતે મોટા સાદે હિબ્રૂ ભાષામાં કહ્યું, “આશ્શૂરના રાજાધિરાજનો સંદેશ સાંભળો: 29 રાજા કહે છે, ‘હિઝિક્યાથી ભોળવાશો નહિ, એ તમને મારા હાથમાંથી કદાપિ બચાવી શકશે નહિ.’ 30 હિઝિક્યાને અનુમતિ ન આપશો કે, તે તમને યહોવા પર આધાર એમ કહીને રખાવે, ‘યહોવા ચોક્કસપણે આપણને બચાવશે અને આ નગરનું આશ્શૂરના રાજાના હાથે પતન નહિ થાય.’ 31 તમે હિઝિક્યા રાજાનું ચોક્કસ સાંભળશો નહિ, કારણકે આશ્શૂરનો રાજા કહે છે કે,

‘મારી સાથે સુલેહ કરો અને મારી પાસે આવો. પછી તમે દરેક તમારા પોતાના દ્રાક્ષના વાડાના અને અંજીરના ઝાડોના ફળનો આનંદ માણશો. અને તમારા પોતાના કૂંવાનું પાણી પીશો. 32 ત્યાં સુધી અહીં તમારા દેશમાં તમે શાંતિથી રહી શકો છો. ત્યાર પછી હું તમને તમારા દેશ જેવા જ એક દેશમાં લઇ જઇશ, અનાજ અને દ્રાક્ષારસનો દેશ, રોટલી અને દ્રાક્ષનીવાડીઓનો દેશ, જૈતુન અને મધનો દેશ-તમે આમ કરો જેથી તમે મરશો નહિ પણ જીવી જશો પણ જ્યાંરે હિઝિક્યા રાજા તમને કહે કે, “યહોવા તમને ઉગારશે તો તેને સાંભળશો નહિ.” 33 કોઈ પણ પ્રજાના દેવે મારા હાથમાંથી એના દેશને બચાવ્યો છે ખરો? 34 હમાથ અને આર્પાદના દેવો કયાં છે? કયાં છે સફાર્વાઈમ, હેના અને ઇવ્વાહના દેવો? એ દેવો સમરૂનને મારા હાથમાંથી છોડાવવા સમર્થ હતા ખરા? 35 આ બધા દેશોના દેવોમાંથી કયા દેશના દેવો પોતાના દેશને મારા હાથમાંથી છોડાવી શક્યા? તો કેવી રીતે યહોવા યરૂશાલેમને મારા હાથમાંથી છોડાવશે?’”

36 બધા લોકો મૂંગા રહ્યા, કોઈ એક શબ્દ પણ બોલ્યું નહિ. કારણ, રાજાએ હુકમ કર્યો હતો કે, “કોઈ એને જવાબ ન આપશો.”

37 મહેલોના મુખ્ય કારભારી હિલ્કિયાનો પુત્ર એલ્યાકીમ, મંત્રી શેબ્ના અને આસાફનો પુત્ર નોંધણીકાર યોઆહ, હિઝિક્યા રાજાની પાસે ગયા. તેઓએ નિરાશ થઇને પોતાનાં વસ્ત્રો ફાડયાં અને આશ્શૂરના રાજાના મુખ્ય સેનાપતિએ જે કહ્યું હતું તે તેને કહી સંભળાવ્યું.

ફિલેમોન

અમારા પ્રિય મિત્ર અને અમારા સહ-કાર્યકર ફિલેમોનને ઉદ્દેશીને આ પત્ર છે.

આપણી બહેન આફિયા, અમારા એક સહ-કાર્યકર આર્ખિપસ, અને તારા ઘરમાંની એકત્રીત મંડળી એ સર્વનાં નામ જોગ લખિતંગ. ખ્રિસ્ત ઈસુનો બંદીવાન પાઉલ તથા આપણો ભાઈ તિમોથી.

દેવ આપણા પિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ પ્રાપ્ત થાઓ.

ફિલેમોનનો પ્રેમ અને વિશ્વાસ

મારી પ્રાર્થનાઓમાં હું તને યાદ કરું છું. અને તારા માટે હું હંમેશા મારા દેવની આભારસ્તુતિ કરું છું. દેવ અને સર્વ સંતો માટે તને જે પ્રેમ છે અને પ્રભુ ઈસુમાં તને વિશ્વાસ છે, તે વિષે મેં સાંભળ્યું છે. અને તારા એ વિશ્વાસ અને પ્રેમ બદલ હું દેવની આભારસ્તુતિ કરું છું. મારી પ્રાર્થના છે કે જે વિશ્વાસમાં તું સહભાગી થયો છે તેને લીધે ખ્રિસ્તની દરેક સારી બાબત આપણામાં છે તે આપણને ખ્રિસ્ત તરફ દોરી જાય છે તે સારી બાબત તું સમજી શકીશ. મારા ભાઈ, તેં દેવના લોકો પ્રત્યે પુષ્કળ પ્રેમ દર્શાવ્યો છે. તેં તેઓને સુખી કર્યા છે. આથી મારા મનને ખૂબ જ આનંદ તથા દિલાસો મળ્યો છે.

એક ભાઈની જેમ ઓનેસિમસનો સ્વીકાર કરજે

એક બાબત છે કે જે તારે કરવાની છે અને ખ્રિસ્તમાં તારા પ્રેમને કારણે તને તે કરવાની આજ્ઞા આપવાની મને છૂટ છે. પણ હું તને આજ્ઞા કરતો નથી; હું તો તને તે કામ કરવા જણાવું છું. હું પાઉલ છું, હવે હું વૃદ્ધ થયો છું, અને ખ્રિસ્ત ઈસુના કારણે હું કેદી થયો છું. 10 મારા પુત્ર સમાન ઓનેસિમસ વિષે હું તને કહું છું. હું જ્યારે કેદમાં હતો ત્યારે તે મારો ધર્મપુત્ર થયો છે. 11 ભૂતકાળમાં તો તે તારાં માટે નકામો જ હતો. પરંતુ તે હવે આપણા બંને માટે ઉપયોગી બન્યો છે.

12 હું તારી પાસે તેને પાછો મોકલું છું. મારું પોતાનું હૈયું હું તેની સાથે મોકલું છું. 13 સુવાર્તાને કારણે હું જ્યારે જેલમાં છું એવા સમયે તે મને મદદરુંપ થાય, એ માટે હું તેને મારી પાસે જ અહીં રાખવા ઈચ્છતો હતો. મને મદદ કરતાં કરતાં એ તારી જ સેવા કરે. 14 પરંતુ એ માટે તને અગાઉથી પૂછયા વિના કઈ પણ કરવું મને ન ગમે. તારી પર દબાણ કરીને કામ સોંપુ છું એમ નહિ પરંતુ મારા માટે તું જે કંઈ સારું કરે તે તારી સ્વેચ્છાથી થાય એમ હું ઈચ્છું છું.

15 ઓનેસિમસ થોડા સમય માટે તારાથી છૂટો પડી ગયો હતો, એવું કદાચ એટલા માટે બન્યું કે તે જ્યારે પાછો આવે ત્યારે હંમેશને માટે તારો થઈને રહે. 16 દાસ તરીકે નહિ, પરંતુ દાસ કરતાં કંઈક વધારે સારો, વહાલા ભાઈ તરીકે હું તેને ખૂબ પ્રેમ કરું છું. પરંતુ તું એને વધારે પ્રેમ કરીશ. કેવળ એક મનુષ્યના રૂપે અને પ્રભુમાં સ્થિર એક ખ્રિસ્તી ભાઈ તરીકે પ્રેમ કરજે.

17 જો તારા મિત્ર તરીકે તું મને સ્વીકારતો હોય તો, તું ઓનેસિમસને ફરી પાછો અપનાવી લેજે. મારું સ્વાગત કરે તેમ તું એને આવકારજે. 18 ઓનેસિમસે જો તારા માટે કઈક ખોટું કર્યુ હોય અથવા જો તેણે તારું દેવું કર્યુ હોય, તો તે મારા ખાતે ઉધારજે. 19 હું પાઉલ છું, અને મારા પોતાના હાથે હું આ લખી રહ્યો છું. ઓનેસિમસનું જે કાંઇ દેવું હોય તે હું ભરપાઈ કરી આપીશ. અને જો કે તારા પોતાના જીવન માટે તું મારો કેટલો ઋણી છું, તે વિશે હું કશું જ નથી કહેતો. 20 તેથી, મારા ભાઈ, પ્રભુમાં તું મારી માટે કઈક કરી બતાવ. ખ્રિસ્તમાં મારા હ્રદયને તું શાંત કર. 21 હું તને આ પત્ર લખું છું કારણ મને ખાતરી છે કે હું જે ઇચ્છું છું તે કામ તું કરીશ જ. હું જાણું છું કે હું જે કહું છું તે કરતાં પણ કઈક વધારે કરીશ.

22 વળી, મારે રહેવા માટે પણ એક ઓરડો તું તૈયાર કરાવી રાખજે. મને આશા છે કે દેવ તારી પ્રાર્થનાઓનો પ્રત્યુતર આપશે અને હું તારી પાસે આવી શકીશ.

અંતિમ શુભેચ્છાઓ

23 ખ્રિસ્ત ઈસુ માટે કેદી બનેલો એપાફ્રાસ પણ મારી સાથે છે. તે તને ક્ષેમકુશળ કહે છે. 24 વળી માર્ક, અરિસ્તાર્ખસ, દેમાસ અને લૂક પણ તને ક્ષેમકુશળ કહે છે. તેઓ મારી સાથેના કાર્યકરો છે.

25 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા આત્મા પર થાઓ.

હોશિયા 11

ઇસ્રાએલ યહોવાને ભૂલી ગયું

11 યહોવા કહે છે, “ઇસ્રાએલ બાળક હતો ત્યારે હું તેના પર પ્રેમ રાખતો હતો.
    મેં મારા પુત્રને મિસરમાંથી બોલાવ્યો હતો.
પરંતુ જેમ જેમ મેં તેને બોલાવ્યો,
    અને વધારે પ્રેમ આપ્યો તેમ તેમ તેણે વધારે બંડ કરીને,
બઆલને બલિદાનો આપ્યાં
    અને મૂર્તિઓની સન્મુખ વધારે ધૂપ કરતો રહ્યો.

“જો કે, મેં જ તેને બાળપણમાં શિક્ષા આપી ચાલતાં શીખવ્યું હતું.
    મેં જ તેને મારી બાથમાં લીધો હતો.
પણ તે જાણતો ન હતો,
    તેને સાજોસમો રાખનાર હું હતો.
મેં તેઓને પ્રેમની લગામથી બાંધ્યા
    અને તેમને દોર્યા મે તેઓને ઊંચા કર્યા
અને તેઓને બાળકની જેમ તેડ્યા,
    અને હું પોતે વાકો વળ્યો અને તેમને જમાડ્યા.

“મારા લોકો મિસર તરફ પાછા ફરશે નહિ. આશ્શૂર તેમના પર રાજ કરશે. આવું બનશે કારણ કે, તેઓએ મારી તરફ ફરવાનો નકાર કર્યો છે. તેના શહેરો પર તરવાર લટકશે. તે તેઓના બધા પુરુષોનો તેમની દુષ્ટ યોજનાઓ માટે નાશ કરશે.

“મારા લોકોનું વલણ મારાથી વિમુખ થવાનું છે, એમને મારા તરફ ઊંચે આવવા માટે કહેવામાં આવે છે, પણ તેઓ માન આપતા નથી.”

યહોવા ઇસ્રાએલનો વિનાશ નથી ઇચ્છતાં

“હે ઇસ્રાએલ, હું તારો ત્યાગ શી રીતે કરું?
    હું તને શી રીતે શત્રુઓના હાથમાં જવા દઉં?
હું તારા હાલ અદમા જેવા શી રીતે થવા દઉં?
    અથવા સબોઇમની સાથે વત્ર્યો તેમ તારી સાથે શી રીતે વર્તું?
મારું મન પાછું પડે છે;
    ને દયાથી ઓગળી જાય છે;
હું મારા ક્રોધના આવેશ
    મુજબ વર્તીશ નહિ,
હું ફરી તારો નાશ કરીશ નહિ,
    કારણકે હું દેવ છું, માણસ નથી;
હું તારી વચ્ચે વસતો પરમપવિત્ર દેવ છું.
    હું આવીને તારો નાશ નહિ કરું.
10 મારા લોકો અનુસરસે યહોવા
    સિંહની જેમ ગર્જના કરશે.
હાં તે ગર્જશે અને તેના બાળકો
    પશ્ચિમમાંથી ધ્રુજતા આવશે.
11 તેઓ મિસરમાંથી પંખીઓનાં ટોળાની
    જેમ વેગથી આવી પહોંચશે.
કબૂતરની જેમ તેઓ આશ્શૂરમાંથી આવશે.
    અને હું તેઓને ફરીથી તેઓનાં ઘરમાં વસાવીશ.”
    યહોવાએ આ વચન આપ્યું છે.
12 “એફ્રાઇમે મને જૂઠાણાથી ઘેરી લીધો.
    ઇસ્રાએલી લોકોએ મને તેમની છેતરપિંડીવાળા કૃત્યોથી ઘેરી લીધો.
ગમે તેમ, યહૂદા હજી પણ દેવન પ્રત્યે,
    તેના વિશ્વાસુ પવિત્ર દેવ પ્રત્યે, અસ્થિર છે.”

ગીતશાસ્ત્ર 132-134

મંદિર પરના ચઢાણ માટેનું ગીત.

હે યહોવા, જે સર્વ કષ્ટો દાઉદે સહન કર્યા હતાં તેને યાદ કરો.
યાકૂબના સમર્થ દેવ સમક્ષ તેણે પ્રતિજ્ઞા લીધી હતી;
    હા યહોવા સમક્ષ તેણે શપથ લીધા હતાં.
“જ્યાં સુધી હું યહોવાને માટે મકાન ન મેળવું;
    અને યાકૂબના સમર્થ દેવ માટે નિવાસસ્થાન તૈયાર ન કરું;
ત્યાં સુધી હું મારા ઘરમાં જઇશ નહિ;
    ત્યાં સુધી મારા પલંગ પર ઊંઘીશ નહિ.
વળી મારી આંખોને ઊંઘ
    અને મારા પોપચાને નિદ્રા આવવા દઇશ નહિ.”

દેવ, અમે તેના વિષે એફાથાહમાં સાંભળ્યું,
    અમને તે કરારકોશ કિર્યાથ યેરામ ના જંગલના ખેતરોમાં મળ્યો.
પણ હવે ચાલો આપણે મંદિરમા, દેવના કાયમી ઘરમાં જઇએ;
    ચાલો આપણે દેવના પાયાસનની આગળ તેને ભજીએ.
હે યહોવા, ઊઠો અને, તમે તમારા શકિતશાળી કોશની સાથે
    તમારા વિશ્રામસ્થાનમાં આવો.
તમારા યાજકો ન્યાયીપણાથી આશીર્વાદિત થાઓ;
    અને તારા ભકતો હર્ષનાદ કરો.
10 તમારા સેવક દાઉદને માટે દેવ,
    તમે જે એકને પસંદ કરીને અભિષિકત કર્યો છે તેનો અસ્વીકાર ન કરો.
11 યહોવાએ દાઉદની સાથે સત્ય પ્રતિજ્ઞા કરી:
    “હું તારી ગાદી પર તારા વંશજોને મૂકીશ” તેથી તે તેનું વચન તોડશે નહિ.
12 જો તારા પુત્રો મારો કરાર, અને જે નિયમો હું તેમને શીખવું તે પાળે;
    તો તેઓના સંતાનો પણ તારી ગાદીએ સદાકાળ બેસશે.

13 હે યહોવા, તમે સિયોનને
    તમારા નિવાસસ્થાન તરીકે પસંદ કર્યુ છે.
14 તમે કહ્યું છે, “મારા સદાકાળના વિશ્રામનું આ સ્થળ છે.
    હું અહીં બિરાજમાન થઇશ.” મેં તેમ કરવા ચાહ્યું હતું.
15 હું આ સિયોનને સમૃદ્ધ બનાવી અને અનાજથી ભરી દઇશ.
    અને હું સિયોનમાં ગરીબ લોકોને ભરપૂર અનાજથી સંતોષીશ.
16 હું તેના યાજકોને તારણનો ઝભ્ભો પહેરાવીશ;
    મારા પરમ ભકતો આનંદથી ગાશે.
17 દાઉદની શકિત આ જગાએ, મજબૂત બનશે.
    “મારા અભિષિકત માટે મેં દીવો તૈયાર કર્યો છે.”
18 તેના શત્રુઓને હું શરમથી ઢાંકી દઇશ;
    પણ તે પોતે એક ગૌરવી રાજા બનશે.

મંદિરે ચઢવા માટેનું દાઉદનું ગીત.

ભાઇઓ સહુ સંપીને રહે તે કેવું સરસ
    અને શોભાયમાન છે!
તેં માથે ચોળેલા, દાઢી સુધી, હા, હારુનની દાઢી સુધી
    અને તેના વસ્રની કોર સુધી, ઊતરેલા મૂલ્યવાન તેલનાં જેવું છે.
વળી તે હેમોર્ન પર્વત પરના તથા સિયોનના પર્વતો પરના ઝાકળ જેવું છે.
    કારણકે, યહોવાએ આપણને સિયોનમાં શાશ્વત જીવનનાં આશીર્વાદ આપ્યાં છે.

મંદિર પર ચઢવા માટેનું ગીત.

હે યહોવાના સેવકો, રોજ રાત્રે યહોવાના મંદિરમાં સેવા કરતાં સેવકો;
    તમે યહોવાને સ્તુત્ય માનો.
પવિત્રસ્થાન ભણી તમારા હાથ ઊંચા કરો
    અને યહોવાની સ્તુતિ કરો.
સિયોનમાંથી યહોવા, જેણે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું છે
    તમને આશીર્વાદ આપો!

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International