Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગણના 12-13

મરિયમ અને હારુનની ઈર્ષ્યા

12 મૂસા એક કૂશી સ્ત્રીને પરણ્યો હતો. એકવાર મરિયમ અને હારુને મૂસાની ટીકા કરી, કેમકે તે તેને પરણ્યો. તેઓએ કહ્યું, “શું ફકત મૂસા સાથે જ યહોવાએ વાત કરી છે? તેમણે શું આપણી સાથે પણ વાત નથી કરી?”

યહોવાએ તેમના આ શબ્દો સાંભળ્યા. મૂસા તો ખૂબ નમ્ર માંણસ હતો એના જેવો નમ્ર માંણસ વિશ્વમાં પણ મળે નહિ. યહોવાએ તાત્કાલિક મૂસા, હારુન અને મરિયમને મુલાકાત મંડપમાં હાજર થવા આજ્ઞા કરી; “તમે ત્રણે જણ અહીં આવો.”

તેથી તેઓ યહોવા સમક્ષ ઊભા રહ્યા. પછી તંબુના પ્રવેશદ્વાર પાસે યહોવા મેખસ્તંભમાં નીચે ઊતર્યા, અને તંબુના પ્રવેશદ્વાર આગળ ઊભા રહી તેમણે “હારુનને અને મરિયમને” બોલાવ્યાં, “જ્યારે તે બંને જણ આગળ ગયાં એટલે દેવે કહ્યું, હું કહું તે ધ્યાનથી સાંભળો. પ્રબોધકોની સાથે હું સ્વપ્નમાં દર્શન આપીને વાત કરું છું. પરંતુ માંરા સેવક મૂસાની વાત તો ન્યારી છે. માંરું આખું ઘર મેં એના વિશ્વાસે છોડયું છે. હું એની સાથે તો મોઢામોઢ વાત કરું છું, હું ચોખ્ખી વાત કહું છું, મર્મોમાં બોલતો નથી, તેણે માંરું સ્વરૂપ નિહાળ્યું છે. તે પછી માંરા સેવક મૂસાની ટીકા કરતાં તમને ડર કેમ લાગતો નથી?”

પછી યહોવાનો કોપ તેમના પર ઉતર્યો અને તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. 10 તંબુ પરથી વાદળ હઠી જતાંની સાથે જ મરિયમને કોઢ ફૂટી નીકળ્યો અને તેની ચામડી કોઢથી ધોળી થઈ ગઈ. હારુને તે જોયું.

11 ત્યારે તેણે મૂસાને પોકાર કર્યો, “માંરા ધણી, દયા કરીને મૂર્ખાઈમાં અમે જે પાપ કરી બેઠાં છીએ તેને માંટે અમને શિક્ષા કરશો નહિ. 12 જન્મ વખતે જ જેનું અડધું માંસ ખવાઈ ગયું હોય એવા મરેલા જન્મેલા બાળક જેવી એને થવા ન દેશો.”

13 એટલે મૂસાએ યહોવાને પોકાર કર્યો, “ઓ દેવ, તેને સાજી કરો, હું તમને વિનંતી કરું છું.”

14 યહોવાએ મૂસાને કહ્યું, “જો તેનો પિતા તેના મુખ પર થૂંકયો હોત, તો સાત દિવસ તે લજજીત ગણાત. તેથી તેને સાત દિવસ છાવણી બહાર એકાંતમાં મોકલો, ત્યારબાદ તેને પાછી છાવણીમાં લઈ આવજો.”

15 આથી મરિયમને સાત દિવસ સુધી છાવણીની બહાર જુદી રાખવામાં આવી, અને લોકોએ તે છાવણીમાં પાછી ન આવી ત્યાં સુધી મુકામ ઉપાડીને આગળ મૂસાફરી કરી નહિ. 16 ત્યારવાદ તેમણે હસેરોથથી આગળ પ્રવાસ કર્યો અને પારાનના અરણ્યપ્રદેશમાં મુકામ કર્યો.

મૂસાએ કનાન દેશમાં મોકલેલા જાસૂસો

13 પછી યહોવાએ મૂસાને કહ્યું, “હું જે કનાની ભૂમિ ઇસ્રાએલીઓને આપવાનો છું. તેની ફરીને જાસૂસી કરવા માંટે માંણસો મોકલ. દરેક કુળસમૂહમાંથી એક એક માંણસ જે આગેવાન હોય તેને પસંદ કરીને મોકલ.”

યહોવાની આજ્ઞા અનુસાર પારાનના અરણ્યમાંથી મૂસાએ ઇસ્રાએલીઓના નીચે પ્રમાંણેના આગેવાનોને મોકલી આપ્યાં:

રૂબેન કુળસમૂહમાંથી ઝાક્કૂરનો પુત્ર શામ્મૂઆ;

શિમયોનના કુળસમૂહમાંથી હોરીનો પુત્ર શાફાટ;

યહૂદાના કુળસમૂહમાંથી યફૂન્નેહનો પુત્ર કાલેબ;

ઈસ્સાખારના કુળસમૂહમાંથી યૂસફનો પુત્ર ઈગાલ;

એફ્રાઈમના કુળસમૂહમાંથી નૂનનો પુત્ર હોશિયા;

બિન્યામીનના કુળસમૂહમાંથી રાફ્રુનો પુત્ર પાલ્ટી;

10 ઝબૂલોનના કુળસમૂહમાંથી સોદીનો પુત્ર ગાદીએલ;

11 યૂસફના મનાશ્શા કુળસમૂહમાંથી સૂસીનો પુત્ર ગાદી;

12 દાન કુળસમૂહમાંથી ગમાંલ્લીનો પુત્ર આમ્મીએલ;

13 આશેરના કુળસમૂહ તરફથી મિખાયેલનો પુત્ર સથૂર;

14 નફતાલીના કુળસમૂહ તરફથી વોફસીનો પુત્ર નાહબી;

15 ગાદના કુળસમૂહમાંથી માંખીનો પુત્ર ગેઉએલ.

16 જે પુરુષોને મૂસાએ દેશની જાસૂસી કરવા મોકલ્યા તેઓનાં નામ એ હતા. મૂસાએ નૂનના પુત્ર હોશિયાનું નામ બદલીને યહોશુઆ પાડયું.

17 મૂસાએ તેઓને કનાનભૂમિની ફરીને તપાસ કરવા મોકલતી વખતે સૂચનાઓ આપી: “તમે નેગેબની દક્ષિણમાં થઈને ઉચ્ચ પ્રદેશમાં જાઓ. 18 અને ત્યાં જઈને જુઓ કે તે પ્રદેશ કેવો છે; ત્યાં રહેનારા લોકો કેવા છે-બળવાન છે કે નબળા, વસ્તી વધારે છે કે ઓછી; 19 તે દેશની જમીન ઉપજાઉ છે કે નહિ; તેઓ જે શહેરોમાં રહે છે તે અરક્ષિત છે કે કિલ્લેબંદીવાળા નગરો; 20 ત્યાંની જમીન ફળદ્રુપ છે કે ઉજજડ, ત્યાં જંગલો છે કે નહિ, નિર્ભય થઈને જાઓ અને ત્યાંના કેટલાંક ફળોના નમૂના લઈને આવો.” એ સમય દ્રાક્ષની ઋતુનો પ્રથમ પાકનો હતો.

21 તેઓએ સમગ્ર દેશમાં જઈને સીનના અરણ્યથી માંડીને હમાંથની ઘાટી પાસે આવેલા રહોબ સુધીનો પ્રદેશ તપાસ્યો. 22 ઉત્તર તરફ જતાં તેઓ નેગેબમાંથી પસાર થયા અને હેબ્રોન પહોંચ્યા. ત્યાં તેઓએ રાક્ષસ અનાકના વંશજોના અહીમાંન, શેશાય અને તાલ્માંય કુટુંબોને વસેલાં જોયાં. (મિસરમાં સોઆન સ્થપાયું તેના સાત વર્ષ પહેલાં હેબ્રોન સ્થપાયું હતું.) 23 તેઓ પછી હાલમાં જે એશ્કોલની ખીણ તરીકે ઓળખાય છે ત્યાં આવ્યા. તેઓએ ત્યાં દ્રાક્ષના એક ઝૂમખા સાથેની દ્રાક્ષની વેલની એક ડાળી કાપી લીધી. બે માંણસોએ તેને એક વાંસ ઉપર ઉપાડવી પડી, પછી તેમણે દાડમ અને અંજીરના પણ કેલટાક નમૂના ભેગા કર્યા. 24 ઇસ્રાએલીઓએ ત્યાંથી દ્રાક્ષનો એક ઝૂમખો કાપી લીધો હોવાથી એ જગ્યાનું નામ એશ્કોલનું[a] કોતર પાડવામાં આવ્યું. 25 તે દેશમાં ફરીને તે લોકોએ 40 દિવસ સુધી તપાસ કરી. પછી પાછા એ લોકો પારાનના અરણ્યમાં કાદેશ મુકામે મૂસા અને હારુનની તેમજ સમગ્ર ઇસ્રાએલી સમાંજની પાસે પાછા આવ્યા. 26 ત્યાં પારાનના અરણ્યમાં કાદેશ મુકામે તેમણે તેમની આગળ અહેવાલ રજૂ કર્યો અને તે દેશનાં ફળોનાં નમૂના બતાવ્યાં. 27 તેઓએ મૂસાને આ મુજબ કહ્યું, “તમે અમને જે દેશમાં તપાસ કરવા મોકલ્યા હતા ત્યાં અમે ગયા, ત્યાં ખરેખર દૂધ અને મધની રેલછેલ છે. આ રહ્યાં ત્યાંનાં ફળ. 28 પણ ત્યાંના લોકો શક્તિશાળી છે, તેઓનાં નગરો વિશાળ અને કિલ્લેબંધીવાળા છે. વળી અમે ત્યાં અનાકના રાક્ષસીઓને પણ જોયા. 29 અમાંલેકીઓ દક્ષિણમાં રહે છે, હિત્તીઓ, યબૂસીઓ અને અમોરીઓ પહાડી પ્રદેશોમાં રહે છે, અને કનાનીઓ દરિયાકાંઠે અને યર્દનને કાંઠે રહે છે.”

30 પછી કાલેબે મૂસાની આગળ ઊભા રહેલા લોકોને શાંત પાડ્યા અને કહ્યું, “આપણે, તરત એ દેશનો કબજો લઈએ, આપણે એને જીતી શકવા માંટે સાચે જ સમર્થ છીએ.”

31 પણ તેમની સાથે ગયેલા બીજા જાસૂસોએ કહ્યું, “આપણે એ લોકોને જીતી શકીએ તેમ છે જ નહિ, તેઓ આપણા કરતાં વધુ બળવાન છે.” 32 તેમણે તપાસેલી ભૂમિ વિરુદ્ધ ઇસ્રાએલીઓને કહેવાનું તેઓએ શરુ કર્યુ; “અમે જે ભૂમિ તપાસી તે શક્તિશાળી લોકોથી ભરેલી છે કે જેઓ ત્યાં જતી કોઈ પણ વ્યક્તિને સરળતાથી હરાવવા સક્ષમ છે. ત્યાં અમે જોયેલા બધા માંણસો કદાવર અને બળવાન હતા. 33 તદુપરાંત અમે ત્યાં અનાકના વંશજો પુરાતન સમયના રાક્ષસોના વંશજોને પણ જોયા, તેઓ ખૂબ ઊચા અને કદાવર છે, અને અમે તો તેમની આગળ તીતીધોડા જેવા છીએ. એમ અમને લાગતું હતું. અને તે લોકોને પણ અમે તીતીધોડા જેવા જ લાગ્યા હોઈશું.”

ગીતશાસ્ત્ર 49

નિર્દેશક માટે. કોરાહનાં કુટુંબનું ગીત.

હે સર્વ પ્રજાજનો, તમે આ સાંભળો;
    હે વિશ્વવાસી લોકો તમે સાંભળો.
    નિમ્ન કક્ષના કે ઉચ્ચકક્ષાનાં, શ્રીમંત કે દરિદ્રી, તમે સૌ માણસો મારા શબ્દો પર ધ્યાન આપો.
હું બુદ્ધિ વિષે મારા મુખેથી બોલીશ;
    મારા હૃદયમાંથી નિકળતા ઉદૃગારો જ્ઞાન વિષે હશે.
હું દ્રષ્ટાંત પર કાન લગાડીશ,
    અને વીણા પર મારો મર્મ ખોલીશ.
જ્યારે સંકટો આવે છે ત્યારે,
    ચારેબાજુથી મને શત્રુઓ ઘેરી લે એવા દુષ્ટોના સકંજામાં મારે ડરવાની જરૂર નથી.
જેઓ પોતાની સંપત્તિ પર ભરોસો રાખે છે,
    તેઓ કેટલાં ધનવાન છે તેનું અભિમાન કરે છે.
તેઓમાંનો કોઇ પોતાના ભાઇને કોઇ રીતે છોડાવી શકતાં નથી;
    દેવને તે તેનાં બદલામાં ખંડણી આપી શકતાં નથી.
માનવ-જીવનની એટલી મોટી કિંમત છે
    કે દુન્યવી સંપત્તિથી તેનો મૃત્યુદંડ ચૂકવી શકાતો નથી.
જેથી તે સદાકાળનું જીવન પામે,
    અને નરકનાં ખાડાની શિક્ષાથી બચી જાય.
10 બધા લોકો સાક્ષી છે કે વિદ્ધાન મૃત્યુ પામે છે,
    અને મૂર્ખ તેમજ હેવાન માણસો પણ મૃત્યુ પામે છે.
    અને તેઓ તેમની પાછળ તેમની સંપત્તિ બીજાઓ માટે મૂકી જાય છે.
11 તેઓ જમીનજાગીરને પોતાના નામથી ઓળખાવે છે,
    જાણેકે સદાકાળને માટે તે તેઓની જ રહેવાની હોય;
    અને જાણે તેઓ સદાકાળ અધિકાર ભોગવવાના હોય.
12 માણસો ભલે ધનવાન હોય, પણ તેઓ અહીં કાયમ માટે રહેવાના નથી.
    જેવી રીતે બીજા પ્રાણીઓ મરી જાય છે તેમ તેઓ પણ મૃત્યુ પામશે.
13 એવા મૂર્ખ લોકો જેમણે તેમની સંપત્તિનો વિશ્વાસ રાખ્યો હતો,
    અંતે તો તેમનો અંત એવોજ આવશે.
14 પેલા લોકો બરાબર ઘેટાઁ જેવાજ છે.
    શેઓલ તેમનો વાડો બનશે અને મૃત્યુ તેમનો ઘેટાંપાળક બનશે.
જ્યારે પેલાં અભિમાની લોકોના શરીરો
    તેમના વૈભવી ઘરોથી ખૂબ દૂર શેઓલમાં ધીમેથી સડી જશે
    તે દિવસે નિષ્ઠાવાન લોકો વિજયી બનશે.

15 દેવ મને શેઓલની પકડમાંથી છોડાવશે કારણ કે
    તેઓ મને તેમની સાથે રહેવા લઇ જશે.

16 કારણ, તે લોકો ધનવાન છે, અને વૈભવી મકાનો ધરાવે છે
    એટલા માટે તે લોકોથી ડરશો નહિ.
17 તેઓ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તેઓ સાથે કશુંય લઇ જઇ શકશે નહિ
    અને તેમનો વૈભવ તેમની પાછળ જવાનો નથી.
18 ધનવાન વ્યકિત તેના જીવનકાળ દરમ્યાન પોતાની જાતને મહાન ગણતી હશે,
    અને પોતાની જાતને ધન્યવાદ આપ્યા હશે કે તે મહાન હતા,
    તેની દુન્યવી સફળતાઓ માટે લોકોએ પ્રશંસા કરી હતી.
19 પરંતુ આખરે તો તે પણ તેના પૂર્વજોની જેમ મૃત્યુ પામશે
    અને પછી તે જીવનનું અજવાળું ક્યારેય પણ નહિ જુએ.
20 જે વ્યકિત પાસે દુન્યવી વૈભવ છે, પણ આત્મિક સમજ નથી;
    તે વ્યકિત બુદ્ધિહીન નાશ પામનાર પશુ સમાન છે.

યશાયા 2

યહોવાના પ્રકાશમાં ચાલો

એક બીજો સંદેશ જેની ભવિષ્યવાણી આમોસના પુત્ર યશાયાએ યહૂદા અને યરૂશાલેમ માટે કરી, તે આ પ્રમાણે છે.

છેલ્લા કાળમાં, યહોવાના મંદિરનો પર્વતના શિખરો પર સ્થાપન થશે.
    અને બીજા બધા શિખરોથી ઉંચો જશે.
દેશવિદેશનાં અસંખ્ય લોકોનો પ્રવાહ
    ત્યાં પગે ચાલતો આવશે.
દરેક જણ કહેશે,
    “ચાલો, આપણે યહોવાના પર્વત પાસે,
    યાકૂબના દેવના મંદિર પાસે, ચઢી જઇએ;
જેથી તે આપણને પોતાનો જીવનમાર્ગ બતાવે
    અને આપણે તેના માર્ગે ચાલીએ.”

કારણ, યહોવા નિયમશાસ્ત્ર સિયોન નગરીમાંથી અને યરૂશાલેમમાંથી પોતાનાં વચન આપનાર છે,
    અને તેની વાણી ત્યાંથી પ્રગટ થનાર છે.
તે વિદેશીઓમાં ન્યાય કરશે.
    તે અસંખ્ય પ્રજાઓનો ન્યાય કરશે.
ત્યારે લોકો તરવારને ટીપીને હળનાં ફળાં બનાવશે
    તથા ભાલાઓનાઁ દાંતરડાં બનાવશે;
પ્રજાઓ એકબીજા સામે તરવાર નહિ
    ઉગામે કે કદી યુદ્ધની તાલીમ નહિ લે.

હે યાકૂબના વંશજો, ચાલો, આપણે યહોવાના પ્રકાશમાં ચાલીએ.

હે યાકૂબના કુળો, તમે તમારા લોકોને છોડી દીધા છે. તેઓ પૂર્વ દેશોના અને પલિસ્તીના ધંતરમંતર કામણટૂમણ ને વહેમોમાં તથા વિદેશીઓના રસ્તા અને રીતરિવાજોને અનુસરે છે. વળી તેમનો દેશ સોનાચાંદીથી ભરપૂર છે. તેમના ભંડારનો કોઇ પાર નથી. તેમનો દેશ ઘોડાઓથી ભરાઇ ગયો છે. તેમના રથોનો કોઇ પાર નથી. તેમનો દેશ મૂર્તિઓથી ભરાઇ ગયો છે, તેઓ પોતાને હાથે ઘડેલી વસ્તુને પૂજે છે. સૌ કોઇને નીચા પાડવામાં આવશે. સૌને નીચા નમાવવામાં આવશે. તું એમને માફ કરીશ નહિ.

10 પોતાને યહોવાની મહાનતા અને તેમની ભવ્યતાના મહિમાંથી બચવા ખડકોમાં શરણ શોધો, જમીનમાં સંતાઇ જાઓ.

11 તે દિવસે માણસના ગર્વને નીચો નમાવવામાં આવશે. અને પુરુષોનું અભિમાન ઉતારવામાં આવશે અને ફકત યહોવાનો જ મહિમા કરવામાં આવશે.

12 કારણ, સૈન્યોનો દેવ યહોવાએ જે કઇં ગવિર્ષ્ઠ અને અભિમાની છે, જે કઇં ઊંચુ છે તે બધાને નમાવવા માટે એક દિવસ નક્કી કરેલો છે. 13 લબાનોનનાં ઊંચાં દેવદાર અને બાશાનનાં મજબૂત એલોનવૃક્ષોને નીચાં નમાવવામાં આવશે. 14 સર્વ ઊંચા ઊંચા પર્વતોને, ડુંગરોને ભોંયભેગા કરવામાં આવશે. 15 સર્વ ઊંચા મિનારાને અને બધા જ કિલ્લાના કોટોને ભોંયભેગા કરવામાં આવશે. 16 તાશીર્શનાં ભવ્ય વહાણોને ડૂબાડી દેવામાં આવશે.

17 તે દિવસે, માણસનો ગર્વ નીચો નમાવવામાં આવશે. અને તેનું અભિમાન ઉતારી નાખવામાં આવશે. અને માત્ર યહોવા એકલાનો જ મહિમા કરવામાં આવશે, 18 અને બીજી મૂર્તિઓ તો બિલકુલ સમાપ્ત થઇ જશે. 19 યહોવા પૃથ્વીને ધ્રુજાવવા આવે ત્યારે લોકો તેના રોષથી અને તેના પ્રતાપના તેજથી બચવા પર્વતોની ગુફાઓમાં અને જમીનની ફાંટોમાં ભરાઇ જશે.

20 તે દિવસે માણસ પોતે બનાવેલી સોનાચાંદીની મૂર્તિઓને ફેંકી દેશે. તેઓ એ બધી મૂર્તિઓને છછૂંદર અને ચામાચિડિયા માટે ફગાવી દેશે. 21 જ્યારે યહોવા પૃથ્વીને ૂજાવવા માટે આવે ત્યારે તેના રોષથી, અને તેના પ્રતાપના તેજથી બચવા લોકો પર્વતોની ફાંટોમાં અને ખડકોની તિરાડોમાં ભરાઇ જશે.

22 હવે માણસને ભરોસે રહેશો નહિ, કારણ એની શી વિસાત છે? જેનો શ્વાસ તેના નસકોરાંમાં જ છે.

હિબ્રૂઓ 10

ખ્રિસ્તનું બલિદાન આપણને સંપૂર્ણ બનાવે છે

10 નિયમશાસ્ત્ર ભવિષ્યમાં આવનારા શુભ કાર્યોની પ્રતિછાયારૂપ છે અને તે વસ્તુઓની ખરી પ્રતિમાઓ તેમાં નથી. દર વર્ષે એના એ જ બલિદાનો સતત અર્પણ કરવામાં આવતાં હતાં, છતાં નિયમશાસ્ત્ર પ્રમાણે કોઈ વ્યક્તિ પરિપૂર્ણ થઈ શકી નથી. જો જૂના નિયમે લોકોને પરિપૂર્ણ બનાવ્યો હોત તો પછી તેઓએ બલિદાન આપવાનું બંધ કર્યુ હોત. તેઓ સદાને માટે શુદ્ધ થઈ ગયા હોત અને તેઓએ તેમના પાપો માટે દોષિત થવું પડ્યું ના હોત. પરંતુ નિયમશાસ્ત્ર તે કરી શક્યું નહિ. પરંતુ એ વાર્ષિક બલિદાનો તો તેમના મનમાં દર વર્ષે પાપોની યાદ તાજી કરાવે છે. કારણ કે ગોધાઓનું તથા બકરાઓનું લોહી પાપ દૂર કરવા સમર્થ નથી.

આથી જ્યારે ખ્રિસ્ત આ દુનિયામાં આવ્યો, ત્યારે તેણે કહ્યું:

“હે દેવ પશુઓનુ રક્ત તને પ્રસન્ન કરી શકે તેમ નથી.
    પણ તેં મારા માટે શરીર બનાવ્યું છે.
પાપોની માફીને અર્થ અપાતું દહનાર્પણ તથા પાપાર્થાર્પણથી
    તું કઈ પ્રસન્ન થતો નહોતો.
તેથી તેમણે કહ્યું, ‘હે દેવ,
    હું અહીં શાસ્ત્રમાં મારા સંબધી લખ્યા પ્રમાણે
    તારી ઇચ્છા પૂર્ણ કરવા હું અહીં છું.’” (A)

પ્રથમ ખ્રિસ્તે કહ્યું છે, “શાસ્ત્રમાં અપાતાં પાપમુક્તિ માટેનાં અર્પણો તથા દહનાર્પણોથી અપાતાં બલિદાનો દ્ધારા તું પ્રસન્ન થઈ શકે તેમ નથી,” (આ બધા બલિદાનોની આજ્ઞા નિયમ કરે છે.) પછી તેણે કહ્યું, “હે દેવ! હું આ રહ્યો, તારી ઇચ્છા પૂર્ણ કરવા હું આવ્યો છું.” આ પ્રમાણે તેણે જૂની વ્યવસ્થા રદ કરી અને નવી વ્યવસ્થા સ્થાપી. 10 દેવીની ઈચ્છા મુજબ ઈસુ ખ્રિસ્તનાં કાર્યો પ્રમાણે એક જ વાર ખ્રિસ્તનું શરીર અર્પણ થયાથી આપણને પવિત્ર કરવામાં આવ્યા છે.

11 તેમ જ દરેક યાજક નિત્ય સેવા કરતાં તથા એ ને એ જ બલિદાનો ઘણીવાર અર્પણ કરતા. પરંતુ તે બલિદાનોથી પાપોને કદી દૂર કરી શક્યા નહિ. 12 પણ આપણાં પાપોને માટે ખ્રિસ્તે એક જ વાર બલિદાન આપ્યું અને ખ્રિસ્ત દેવની જમણી બાજુએ બિરાજ્યો. 13 અને તેના દુશમનોને તેની સત્તા નીચે મૂકવામાં આવે તેથી ખ્રિસ્ત હવે ત્યાં રાહ જોઈ રહ્યો છે. 14 જેઓને પવિત્ર કરવામાં આવે છે તેઓને ખ્રિસ્તે પોતાના એક જ બલિદાનથી બધા જ સમય માટે પરિપૂર્ણ કર્યા.

15 આ વિષે પવિત્ર આત્મા પણ સાક્ષી આપે છે. તે પહેલા કહે છે:

16 “આ કરાર છે જે ભવિષ્યમાં હું મારા લોકો સાથે કરીશ એમ પ્રભુ કહે છે.
હું મારા નિયમો તેઓના હ્રદય પર લખીશ.
    હું મારા નિયમો તેઓના મનમાં સ્થાપીશ.” (B)

17 પછી તે કહે છે:

“તેઓના પાપકર્મો અને દુષ્કર્મોને હું માફ કરીશ અને ભવિષ્યમાં તે હું કદી યાદ કરીશ નહિ.”(C)

18 અને હવે સદાને માટે પાપ માફ થયાં છે ત્યારે પાપ મુક્તિ માટે અન્ય કોઈ અર્પણની જરુંર રહેતી નથી.

દેવની નજીક આવો

19 ભાઈઓ, તેણે આપણા માટે પડદામાં થઈને, એટલે પોતાના શરીરમાં થઈને, એક નવો તથા જીવતો માર્ગ ઉઘાડ્યો છે, આપણે કોઈ પણ જાતના ભય વિના દાખલ થઈ શકીશું. 20 ઈસુએ જે નવો માર્ગ બતાવ્યો તે દ્ધારા આપણે અંદર જઇ શકીશું. 21 દેવના ઘરમાં રાજ કરવા માટે આપણી પાસે એક મોટો યાજક નિમાયેલો છે. 22 આપણને શુદ્ધ કરવામાં આવ્યા છે. અને આપણું અંત:કરણ દોષિત લાગણીઓથી મુક્ત છે. આપણા શરીરનું શુદ્ધ પાણીથી સ્નાન કરાવવામાં આવ્યું છે તેથી શુદ્ધ હ્રદયથી અને ખાતરી જે વિશ્વાસ દ્ધારા પ્રાપ્ત થયેલ છે માટે આપણે દેવની નજીક આવી શકીએ છીએ. 23 જે આશાઓમાં આપણે સંમત છીએ તેને આપણે મક્કમતાથી વળગી રહીએ, કારણ કે જેણે આપણને વચન આપ્યું છે તેનો સંપૂર્ણ ભરોસો આપણે કરી શકીએ છીએ.

એકબીજાને મદદરુંપ બનો

24 આપણે અકબીજાનો વિચાર કરવો જોઈએ અને સારા કામ કરી અને પ્રેમ દર્શાવી એકબીજાને એ પ્રમાણે કરવા માટે ઉત્તેજન આપીએ. 25 જેમ કેટલાક લોકો કરે છે તેમ આપણે સમૂહમાં મળવાનું પડતું ન મૂકીએ, પણ આપણે સમૂહમાં મળીએ અને એકબીજાને બળ આપીએ, આ પ્રમાણે આપણે કરવાનું વધુ અને વધુ પ્રયત્ન કરીએ કારણ દહાડો[a] નજીકને નજીક આવી રહ્યો છે.

ખ્રિસ્ત તરફથી મોં ના ફેરવો

26 સત્યનું જ્ઞાન થયા પછી જો આપણે પાપમાં જીવવાનું ચાલું રાખીએ, તો પાપના નિવારણ માટે બીજુ બલિદાન છે જ નહિ. 27 જો આપણે પાપ કરવાનું ચાલુ જ રાખીશું તો ન્યાયની ભયંકર અપેક્ષા અને દેવના વિરોધિઓને ભસ્મ કરી નાખે એવા અગ્નિના તેઓ ભોગ બનશે. 28 જો કોઈ મૂસાના નિયમશાસ્ત્રનો ભંગ કરે અને તે બે કે ત્રણ સાક્ષીઓ દ્ધારા પૂરવાર થાય તો તેને માફી નહિ આપતા કોઈ પણ દયા વગર મોતની સજા થતી હતી. 29 તો પછી દેવપુત્રને પગ તળે કચડી નાખનાર, કરારના જે રક્તથી પવિત્ર થયો હતો તેને અશુદ્ધ ગણનાર કૃપાનું ભાન કરાવનાર પવિત્ર આત્માનું અપમાન કરનાર વ્યક્તિ કેટલી ભયંકર સજાને પાત્ર ઠરશે તેનો વિચાર કરો. 30 આપણે જાણીએ છીએ કે દેવે કહ્યું છે, “દુષ્ટ કૃત્યો કરનારને હું શિક્ષા કરીશ, હું તેને ભરપાઇ કરીશ.”(D) દેવે એ પણ કહ્યું છે કે, “પ્રભુ તેના લોકોનો ન્યાય કરશે.”(E) 31 કોઈના પણ માટે જીવતા દેવના હાથમાં પડવું તે કેટલું ભયંકર છે!

તમારા આનંદ અને હિંમત ગુમાવશો નહિ

32 યાદ રાખો. ભૂતકાળના તે દિવસોમાં જ્યારે તમે સત્યનું જ્ઞાન પ્રાપ્ત કર્યુ ત્યારે તમે ઘણી યાતનાઓ સહન કરી સંઘર્ષ કર્યો, પરંતુ તમે બળવાન બનવાનું ચાલુ રાખ્યું. 33 ઘણીવાર તમે ઠપકો અને સતાવણી થઈ તે સહન કરી. વળી કેટલીક વાર બીજાંઓને એવાં દુ:ખોમાંથી પસાર થતા જોઈને તમે તેઓની પડખે ઊભા રહ્યા. 34 હા, જ્યારે કેટલાક લોકો કરાવાસમાં હતા, ત્યારે તેવા લોકોને તમે મદદ કરી તેમના દુ:ખના ભાગીદાર બન્યા. તમારું સર્વસ્વ પડાવી લેવામાં આવ્યું ત્યારે પણ તમે આનંદિત રહ્યા કારણ કે તમે જાણતા હતા કે તમારી પાસે એના કરતાં વધુ સારી અને સદા ને માટે ટકી રહે તેવી સંપત્તિ છે.

35 માટે ભૂતકાળમાં હતી તે હિંમત ગુમાવશો નહિ કારણ કે તમને એનો મહાન બદલો મળવાનો છે. 36 તમારે ધીરજ રાખવાની જરુંર છે. દેવની ઈચ્છા પૂરી કરવાનું કાર્ય ચાલુ રાખો. અને તેથી જ તમને જે વચનો આપ્યા છે તે પ્રાપ્ત કરશો. 37 થોડા સમયમાં,

“પ્રભુ જે ફરીથી આવનાર છે તે વિલંબ કરશે નહિ.
38 ન્યાયી માણસ મારામાં વિશ્વાસ રાખીને જીવશે.
    જો તે ભયનો માર્યો પાછો હટી જશે તો પછી તેનામાં મને આનંદ થશે નહિ.” (F)

39 પણ આપણે એ પ્રકારના માણસો નથી, જે પીછે હઠ કરે અને ખોવાઇ જાય. ના. આપણે એવા લોકો છીએ કે દેવમાં આપણને દઢ વિશ્વાસ છે અને તેનામાં આપણે ઉદ્ધાર પામેલાં છીએ.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International