Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
યશાયા 23-27

તૂર વિષે ભવિષ્યવાણી

23 તૂરને લગતી દેવવાણી:

“હે તાશીર્શના જહાજો, મોટેથી આક્રંદ કરો! કારણ,
    તૂર ખેદાનમેદાન થઇ ગયું છે:
    સાયપ્રસથી પાછા ફરતાં તમને આ સમાચાર મળે છે.”

હે સાગરકાંઠાના રહેવાસીઓ,
    હે સિદોનના વેપારીઓ, આક્રંદ કરો.
    તમારા માણસો દરિયો ઓળંગી ગયા, અને સાગરોને ખેડતા હતા.
અને શીહોરમાં ઉગાડેલા પાકથી
    અને નીલ નદીને કાંઠે ઉગાડેલા અનાજમાંથી લાભ પામ્યા હતાં
    અને અનેક રાષ્ટ્રો સાથે વેપાર કર્યો હતો.

તમે જરા શરમાઓ, હે સિદોનનગરી
    હતાશ સાગરકાંઠાનો દુર્ગ થઇને પોકારી ઊઠે છે કે,
“હું એવી સ્રી જેવી છું કે,
    જેણે ક્યારેય બાળકને જન્મ આપ્યો નથી
અને જેણે છોકરાઓ મોટા કર્યા
    નથી કે છોકરીઓને ઉછેરી નથી.”

મિસરમાં સમાચાર પહોંચશે
    ત્યારે તેઓ તૂરની ખબર સાંભળીને શોકમાં ડૂબી જશે.
હે સાગરકાંઠાના લોકો,
    આક્રંદ કરતાં તાશીર્શ ચાલ્યા જાઓ.
તમારી એક વખતની આનંદી નગરીમાં હવે કેવળ વિનાશ જ રહ્યો છે.
    તમારો ભૂતકાળનો ઇતિહાસ કેટલો ભવ્ય હતો!
    તારા વતનીઓ દૂરના દેશોમાં જઇ વસ્યા હતા.
જે તૂર બાદશાહી નગર હતું,
    જેના વેપારીઓ સરદારો હતા
અને જેના શાહસોદાગરોની પૃથ્વીમાં સૌથી વધુ શાખ હતી,
    તે તૂરની આવી હાલત કરવાનું કોણે વિચાર્યુ?
આ બધી જાહોજલાલીનો ગર્વ ઉતારવા
    અને પૃથ્વીના સર્વ માનવંતાઓને અપમાનિત
    કરવા સૈન્યોના દેવ યહોવાએ વિચાર્યુ છે.
10 હે તાશીર્શના જહાજો,
    તમે તમારા દેશમાં પાછા ફરો,
    કારણ અહીં કોઇ બંદર હવે રહ્યું નથી.
11 યહોવાએ સમુદ્ર વિરુદ્ધ પોતાનો હાથ ઉગામ્યો છે;
    તે પૃથ્વીના સામ્રાજ્યોને ધ્રૂજાવે છે.
આ મહાન વેપારી નગર અને તેના સાર્મથ્યનો વિનાશ કરવા
    તેમણે આજ્ઞા આપી છે,
12 યહોવએ કહ્યું છે, “હે સિદોનનગરી તારા સુખનો અંત આવ્યો છે.
    તારા લોકો પર અન્યાય કર્યો છે;
તેઓ સાયપ્રસ ચાલ્યા જશે તોયે
    ત્યાં પણ તેમને આરામ મળવાનો નથી.”
13 ખાલદીઓની ભૂમિને જુઓ;
    આ એ રાષ્ટ છે જે હવે અસ્તિત્વ ધરાવતું નથી,
આશ્શૂરે તેને રણના લોકો માટે વસાવ્યો;
    તેઓએ તેના બૂરજો ઊભા કર્યા
અને એક કિલ્લો બાધ્યો.
    તેઓએ એનાં મહેલને ભોંયભેંગા કર્યા;
    અને તેનો વિનાશ કર્યો.
14 હે સાગરખેડુ વહાણોના તાશીર્શના ખલાસીઓ, તમે આક્રંદ કરો;
    કારણ કે તમારો કિલ્લો નાશ પામ્યો છે.

15 તે દિવસે એક રાજાની કારકિદીર્ સુધી, સિત્તેર વર્ષ સુધી, તૂર ભૂલાઇ જશે. સિત્તેર વર્ષ પૂરાં થતાં તેની દશા પેલાં ગીતમાંની વારાંગના જેવી થશે.

16 “હે ભૂલાઇ ગયેલી વારાંગના,
    વીણા લઇને નગરમાં ફરી વળ;
મધુરા સ્વરો છેડી ગીત ઉપર ગીત ગા,
    જેથી લોકો તને ફરી સંભારે.”

17 સિત્તેર વર્ષ પૂરાં થયા પછી યહોવા તૂરની મુલાકાત લેશે, ને તૂર ફરીથી પોતાનો ધંધો શરૂ કરશે, પૃથ્વીનાં સર્વ રાજ્યો સાથે તે વેપાર કરશે. 18 પણ તેની કમાણી તથા પગાર યહોવાને અર્પણ કરવામાં આવશે; ખજાનામાં તેનો સંગ્રહ કરાશે નહિ, એની કમાણીમાંથી યહોવાના ભકતો માટે પુષ્કળ ખાવા-પીવાનું અને કપડાલત્તા ખરીદવામાં આવશે.

પૃથ્વી સંબંધી દેવનું ન્યાયશાસન

24 જુઓ! યહોવા પૃથ્વીનો નાશ કરી નાખશે; તે તેનો વિનાશ કરીને તેને રસકસ વગરની બનાવશે. તે પૃથ્વીના પડને ઉપરતળે કરી નાખે છે અને તેના પર વસતા સર્વજનને વેરવિખેર કરી નાખે છે. બધાની દશા સરખી થશે; યાજકો, અને લોકો, સેવકો અને ધણીઓ, દાસીઓ અને શેઠાણીઓ, ખરીદનારાઓ અને વેચનારાઓ, ઉછીનું લેનારા અને આપનારા, લેણદારો અને દેણદારો. સમગ્ર પૃથ્વી બિલકુલ ઉજ્જડ અને વેરાન થઇ જશે, તેને લૂંટી લેવામાં આવશે, કારણ કે આ યહોવાના વચન છે. પૃથ્વી સૂકાઇ જાય છે અને સંકોચાઇ જાય છે, સૂકી ભૂમિ નકામી થઇ જાય છે અને ક્ષીણ થઇ જાય છે. પૃથ્વી અને આકાશ બંને ક્ષીણ થતા જાય છે.

પૃથ્વી તેના વસનારાઓથી ષ્ટ થઇ છે, કારણ કે તેમણે નિયમનું ઉલ્લંધન કર્યુ છે, અને કાયદાઓ તોડ્યાં છે. તેઓએ દેવ સાથેના સનાતન કરારનો ભંગ કર્યો છે. આથી શાપ પૃથ્વીને ભરખી રહ્યો છે અને એમાં વસનારાઓ પોતાના ગુનાની સજા ભોગવી રહ્યા છે. આથી પૃથ્વીની વસ્તી ઘણી ઘટી ગઇ છે અને માત્ર થોડાં જ માણસો બચવા પામ્યા છે.

દ્રાક્ષના વેલા કરમાઇ ગયા છે, તેથી દ્રાક્ષનો દ્રાક્ષારસ બનતો નથી, જેઓ મોજ માણતા હતા તેઓ નિસાસા નાખે છે. અને રૂદન કરે છે. વીણાનું સુમધુર સંગીત અને ખંજરીનો અવાજ સંભળાતો બંધ થઇ ગયો છે. આનંદના દિવસોનો અંત આવ્યો છે. હવે લોકો ગીત ગાતાં ગાતાં દ્રાક્ષારસ પીતા નથી, તેમને તે કડવો લાગે છે.

10 નગરી ઉજ્જડ અને વેરાન થઇ ગઇ છે; બધાં ઘરો બંધ થઇ ગયાં છે, તેથી કોઇ વ્યકિત તેમાં પ્રવેશી શકતું નથી. 11 નગરમાં રસ્તાઓ પર લોકો પોકાર કરે છે, કારણ દ્રાક્ષારસ મળતો નથી. આનંદોત્સવ પર અંધકારની છાયા ઊતરી છે, ધરતી પરથી આનંદને દેશવટો દેવાયો છે; 12 સમગ્ર નગર ખંડેર થઇ ગયું છે; તેના દરવાજાઓ તોડી પાડવામાં આવ્યા છે.

13 પૃથ્વી પરના લોકો, જાણે જૈતુન વૃક્ષને ઝૂંડી નાખ્યા હોય તેવા.
    અથવા દ્રાક્ષ ચૂંટી લીધા પછી દેખાતા
    દ્રાક્ષવેલા જેવા લાગે છે.
14 પરંતુ બચી ગયેલા તે થોડા લોકો મોટા સાદે આનંદના ગીતો ગાશે.
    તેઓ યહોવાના મહાત્મ્યને લીધે પશ્ચિમમાં હર્ષનાદ કરશે.
15 તેથી પૂર્વમાં જેઓ છે તેઓ પણ યહોવાના મહિમાની ઘોષણા કરશે.
    અને દરિયાકાંઠે રહેનારા લોકો
    પણ ઇસ્રાએલના યહોવા દેવની સ્તુતિ કરશે.
16 પૃથ્વીના બધા છેડેથી આપણે “ન્યાયીનો મહિમા થાઓ”
    તેમ સાંભળીશું પણ અફસોસ!
“હું તો ક્ષીણ થતો જઉં છું,
    મારા માટે કોઇ આશા નથી.
દગાબાજી કરનારા દગાબાજી કરે જાય છે
    અને દિવસે દિવસે તેઓની દગાબાજીમાં વધારો થતો જાય છે.”

17 હે પૃથ્વીવાસીઓ, તમારા માટે ભય,
    ખાડો અને ફાંસલો જ છે.
18 જે ડર લાગે તેવા સમાચારથી
    જેઓ દૂર ભાગી જાય છે,
તેઓ ખાડામાં પડશે અને જે ખાડામાંથી
    બહાર નીકળશે તે ફાંસલામાં સપડાશે.
આકાશમાંથી મૂસળધાર વરસાદ વરસશે,
    પૃથ્વીના પાયા હચમચી જશે.
19 પૃથ્વીનો સંપૂર્ણ વિનાશ થશે,
    એમાં મોટી મોટી તિરાડો પડશે, અને ભીષણતાથી ધૂજી ઊઠશે.
20 પૃથ્વી પીધેલાની જેમ લથડિયાં ખાશે,
    તોફાનમાં ફસાયેલા તંબુની જેમ ઝોલા ખાશે,
પૃથ્વીના પાપનો ભાર વધી ગયો છે,
    તેનું એવું પતન થશે કે પછીથી
    તે ફરીથી ઊઠી શકશે નહિ.

21 તે દિવસે યહોવા આકાશમાંના સૈન્યોને,
    તથા પૃથ્વી પરના અભિમાની રાજાઓને
    તથા અધિકારીઓને શિક્ષા કરશે.
22 તે સર્વને કેદીઓની જેમ એકઠાં કરવામાં આવશે
    અને જ્યાં સુધી તેઓનો
ન્યાય કરીને શિક્ષા કરવામાં નહિ
    આવે ત્યાં સુધી બંદીખાનામાં કેદ કરી રાખવામાં આવશે.
23 સૈન્યોનો દેવ યહોવા યરૂશાલેમમાં સિયોન પર્વત પર રાજા થશે
    અને લોકોના આગેવાનો સમક્ષ તેનો મહિમા ઝળહળી ઊઠશે.
એટલે ચંદ્ર શરમનો માર્યો મોં સંતાડશે,
    સૂર્ય લજવાઇને ઝાંખો થઇ જશે.

યહોવાના સ્તુતિગાન કરો

25 હે યહોવા, તમે મારા દેવ છો,
    હું તમારા ગુણગાન ગાઇશ
અને તમારા નામની સ્તુતિ કરીશ,
    તમે અદભૂત કાર્યો કર્યા છે;
તમે લાંબા સમય પહેલાં ઘડેલી
    યોજનાઓ પૂરેપૂરી પાર ઊતારી છે.
તમે સમૃદ્ધ નગરોને ઉજ્જડ કરો છો.
    તમે કિલ્લેબંધ નગરોને ખંડેરોનો ઢગ બનાવી દીધાં છે.
તમે વિદેશીઓના ગઢનો વિનાશ કરી નાખ્યો છે.
    તેઓ તે ફરીથી બાંધશે નહિ.
તેના કારણે સાર્મથ્યવાન લોકો તમારી સમક્ષ ભયથી થથરશે;
    ક્રૂર લોકો તમને આધિન થશે અને તમારા નામનો મહિમા કરશે.
પણ હે યહોવા, તડકામાં તમે નિર્ધનોનો પડછાયો છો,
    મુશ્કેલીઓમાં તમે દુ:ખી લોકોનો આશ્રય છો,
    વાવાઝોડા સામે રક્ષણ છો,
તમે નિર્દય લોકો સામે તેમને આશ્રય આપો છો
    જેઓ શિયાળાના ધોધમાર વરસાદ જેવા છે.
તે ક્રૂર લોકો સૂકા પ્રદેશમાં
    વાતી લૂ જેવા હતા,
પરંતુ તમે ક્રૂર વિદેશીઓનો વિજય ઉન્માદ દબાવી દીધો છે
    જેવી રીતે વાદળની છાયા ગરમીને ઓછી કરી નાખે છે તેમ.

પોતાના સેવકો માટે દેવનો સમારોહ

સૈન્યોનો દેવ યહોવા સિયોન પર્વત પર બધા લોકો માટે મિષ્ટાનની અને ઉત્તમ પીણાની ઉજાણી તૈયાર કરશે.

આ સિયોન પર્વત પર, યહોવા સમગ્ર પ્રજાઓના શોકનાં વાદળોને દૂર કરશે અને તેમની પર ફેલાયેલા દુ:ખના કફનને દૂર કરશે; તે સદાને માટે મૃત્યુને મિટાવી દેશે. યહોવા મારા માલિક બધાનાં આંસૂ લૂછી નાખશે, અને સમગ્ર પૃથ્વી પર પોતાના લોકો તરફથી મળતી અપકીર્તિ દૂર કરશે. આ યહોવાના શબ્દો છે.

તે દિવસે સૌ લોકો એમ કહેશે,
    “એ આપણો ઉદ્ધાર કરશે એવી જેને વિષે આપણે આશા સેવતા હતા,
તે આપણો દેવ આ છે,
    આપણે જેની પ્રતિક્ષા કરતા હતા તે આ યહોવા છે,
અને તેણે આપણો ઉદ્ધાર કર્યો છે;
    માટે ચાલો, આપણે આનંદોત્સવ કરીએ.”
10 યહોવા, તેનો હાથ આ પર્વત પર ટેકવશે
    પરંતુ જેમ તણખલાને પગ નીચે કચડીને કચરાના ઢગલા પર
ફેંકી દેવામાં આવે છે, તેમ ફેંકી દેશે.
    અને મોઆબને પગ નીચે કચડી નાખવામાં આવશે.
11 જેમ કોઇ તરનારો તરવા માટે
    પોતાના હાથથી પાણીને પાછું ધકેલે છે,
તેમ દેવ તેઓને પાછા હઠાવશે,
    તે તેઓના ઘમંડનો અને સર્વ દુષ્ટ કાર્યોનો અંત લાવશે.
12 યહોવા મોઆબના કિલ્લાઓની ઊંચી ભીતોને તોડી પાડશે.
    ભોંયભેગી કરી દેશે, ને ધૂળમાં મેળવી દેશે.

ભાગ્યપરિવર્તન અને સ્તુતિગાન

26 તે દિવસે યહૂદિયા દેશમાં આ ગીત ગવાશે:

અમારું નગર મજબૂત છે.
    અમારું રક્ષણ કરવાને માટે યહોવાએ કોટ અને કિલ્લા ચણેલા છે.
દરવાજા ઉઘાડી નાખો જેથી ધર્મને માર્ગે
    ચાલનારી પ્રજા જે વફાદાર રહે છે તે ભલે અંદર આવે.

હે યહોવા, જેમનાં ચિત્ત ચલિત થતાં નથી,
    તેમને તું પૂરેપૂરી શાંતિમાં રાખે છે;
    કારણ કે તેઓ તારા પર વિશ્વાસ રાખે છે.

સદા યહોવા પર ભરોસો રાખો,
    તે જ આપણો સનાતન ખડક છે.
તેણે ઊંચી હવેલીઓમાં વસનારાઓને નીચા નમાવ્યાં છે,
    તેમના ગગનચુંબી નગરને
તેણે તોડી પાડીને ભોંયભેગુ કરી નાખ્યું છે.
    ધૂળભેગું કર્યું છે.
તે પગ તળે કચડાય છે, ને દીનદલિતોના પગ તળે તે રોળાય છે.

ન્યાયીના માર્ગે ચાલનારનો રસ્તો સુગમ છે;
    તમે યહોવા એને સરળ બનાવો છો.
અમે તમારા નિયમોને માર્ગે ચાલીએ છીએ,
    અને તમારી જ પ્રતિક્ષા કરીએ છીએ,
તમારું નામસ્મરણ એ જ અમારા
    પ્રાણની એકમાત્ર ઝંખના છે.
આખી રાત હું તમારા માટે ઉત્કંઠિત રહ્યો છું;
    મારા ખરા હૃદયથી આગ્રહપૂર્વક હું તમને શોધીશ;
કારણ કે જ્યારે તમે પૃથ્વીનો ન્યાય કરીને શિક્ષા કરો છો,
    ત્યારે લોકો પોતાની દુષ્ટતાથી પાછા ફરે છે અને યોગ્ય માર્ગે વળે છે.
10 પણ દુષ્ટ લોકો પ્રત્યે કૃપા દર્શાવાય,
    તો પણ તેઓ નીત્તિમત્તા શીખતા નથી;
સદાચારી લોકોથી ભરેલી આ ભૂમિમાં પણ તેઓ અધર્મ આચરે છે,
    અને તમારા ગૌરવનો સહેજ પણ આદર કરતા નથી.
11 હે યહોવા, તમે તમારો હાથ ઉગામ્યો છે,
    તો પણ તમારા દુશ્મનો તે જોતા નથી,
તમારા લોકો માટેનો તમારો પ્રેમ કેવો ઉગ્ર છે
    તેનું ભાન થતાં તેઓ લજવાય!
    તમારા શત્રુઓ માટે રાખી મૂકેલા અગ્નિથી તેઓને ભસ્મ કરો.
12 હે યહોવા, તમે અમને મહેરબાની કરીને સુખ-શાંતિ આપો,
    અમારા ખોટા કાર્યો બદલ તમે અમને અત્યાર પહેલા સજા આપી દીધી છે.

દેવ પોતાના લોકોને નવું જીવન આપશે

13 હે અમારા દેવ યહોવા,
    તમારા સિવાયના બીજા હાકેમોએ
અમારા ઉપર હકૂમત ચલાવી છે
    પણ અમે તો માત્ર તને જ સ્વીકારીએ છીએ.
14 પહેલાં જેઓએ અમારી ઉપર શાસન કર્યું હતું,
    તેઓ મૃત્યુ પામ્યાં અને ચાલ્યા ગયા છે;
તેઓ હવે ફરીથી કદી જ પાછા આવી શકે તેમ નથી.
    તેમ તેઓની વિરુદ્ધ થયા અને તેઓનો નાશ કર્યો અને તેઓનું નામનિશાન પણ રહ્યું નથી.
15 યહોવાની સ્તુતિ થાઓ!
    હે યહોવા, તમે અમારી પ્રજાની વૃદ્ધિ કરી છે,
    અમારા દેશના બધા જ સીમાડા વિસ્તાર્યા છે.
16 હે યહોવા, તેઓના દુ:ખમાં
    તેઓએ તમારી શોધ કરી,
જ્યારે તમે તેઓને શિક્ષા કરી
    ત્યારે તેઓએ તમને પ્રાર્થના કરી.
17 હે યહોવા, કોઇ ગર્ભવતી સ્ત્રીનો પ્રસવકાળ આવ્યો હોય,
    ત્યારે પ્રસુતિની વેદનામાં ચીસો પાડે છે;
    તેવી પીડા તમારી સંમુખ અમને થતી હતી.
18 અમે પણ સ્ત્રીની પ્રસવવેદના જેવી વેદનાથી પીડાયા
    પણ પરિણામ કાઇં આવ્યું નહિ.
અમારા સર્વ પ્રયત્નો છતાં,
    અમે જગતના લોકોને જીંદગી આપી નહોતી.
19 છતાં પણ અમારી પાસે આ ખાતરી છે:
“જેઓ દેવના છે;
    તેઓ ફરીથી સજીવન થશે.
તેઓનાં શરીરો ઊઠશે.
    હે ધૂળમાં રહેનારાઓ,
તમે જાગૃત થાઓ,
    ને મોટેથી હર્ષનાદ કરો;
કારણ કે તમારું ઝાકળ પ્રકાશનું ઝાકળ છે,
    તે જેમ વનસ્પતિને સજીવન કરે છે
તેમ યહોવા મૃત્યુલોકમાં
    સૂતેલાઓને સજીવન કરશે.”

ન્યાય પુરસ્કાર અને સજા

20 આવો, મારા લોકો, તમારા ઘરમાં પ્રવેશ કરો
    અને બારણાં વાસી દો.
તમારા શત્રુઓ વિરુદ્ધ યહોવાનો રોષ ઉતરે
    ત્યાં સુધી થોડો સમય સંતાઇ રહો.
21 જુઓ, પૃથ્વી પરના સર્વ લોકોને
    તેમના પાપની સજા કરવા યહોવા આકાશમાંથી આવી રહ્યા છે,
પૃથ્વી પોતાના ઉપર રેડાયેલું લોહી ઉઘાડું કરશે,
    તે પોતાના ઉપર માર્યા ગયેલાઓને ઢાંકી નહિ રાખે.

27 તે દિવસે યહોવા પોતાની ભયાવહ
અને સખત મોટી મજબૂત તરવાર વડે વેગવાન
    ગૂંછળિયા સાપ લિવયાથાનને
    એટલે સમુદ્રના અજગરને શિક્ષા કરશે.

તે દિવસે યહોવા પોતાની સુંદર રળિયામણી દ્રાક્ષવાટીકા વિષે ગાઓ:
“હું યહોવા મારી દ્રાક્ષાવાડીની ચોકી કરું છું,
    હું વારંવાર એને પાણી પાઉં છું.
રખેને કોઇ એને ઇજા પહોંચાડે માટે રાતદિવસ
    હું એની ચોકી કરું છું.
હું હવે દ્રાક્ષાવાડી પ્રત્યે ક્રોધિત નથી,
પણ હવે અહીં જો કાંટા અને ઝાંખરા ઊગે તો
    હું તેનો સામનો કરી તેને બાળીને ભસ્મ કરી નાખીશ.
પરંતુ જો મારી દ્રાક્ષવાડીને મારું સંરક્ષણ જોઇતું હોય તો
    તેને મારી સાથે સમાધાન કરવા દો,
    હા, તેને મારી સાથે સમાધાન કરવા દો.
પછી એવો સમય આવશે જ્યારે ઇસ્રાએલી યાકૂબના વંશજના લોકો દ્રાક્ષનાવેલાની જેમ પોતાનાં મૂળ નાખશે;
    તે જમીનમાં તેના દ્રાક્ષ વેલાની જેમ ફૂલશે-ફાલશે,
    અને સમગ્ર પૃથ્વીને ફળોથી ભરી દેશે.”

ઇસ્રાએલના શત્રુઓને યહોવાએ જેવો માર માર્યો છે. તેવો એને નથી માર્યો, શત્રુઓની જેવી હત્યા કરી છે તેવી એની નથી કરી.

યહોવાએ પોતાના લોકોને દેશવટે મોકલીને સજા કરી હતી, ઊગમણા પવન જેવી સખત ઝાપટ મારીને તેમને હઠાવી દીધા હતા.

પરંતુ જ્યારે ઇસ્રાએલીઓ બીજા દેવોની વેદીઓના બધા પથ્થરોને ચૂનાની માફક પીસી નાખ્યા અને એક પણ ધૂપની વેદીને અને અશેરાહ દેવીની મૂર્તિઓના એક પણ સ્તંભને પણ રહેવા દીધો નહિ આથી, તેમનાં પાપોનું પ્રાયશ્ચિત થશે અને તેમનાં પાપો દૂર થશે.

10 તેનાં કોટવાળાં નગરો ઉજ્જડ અને ખાલી પડી રહેશે. તેના ઘરોનો ત્યાગ કરીને વેરાન બનાવી દેવામાં આવશે. તેની શેરીઓમાં ઘાસ ઊગી નીકળશે, ત્યાં વાછરડાં ચરશે, ત્યાં બેસશે, ને ડાળખાં-પાંદડાં ખાશે. 11 તેના વૃક્ષોની ડાળીઓ જ્યારે સૂકાશે ત્યારે તેઓને ભાંગી નાખવામાં આવશે; અને સ્ત્રીઓ આવીને તેમને બળતણ તરીકે વાપરશે; કારણ, એ પ્રજા સમજણ વગરની છે.

અને તેથી એનો સર્જનહાર દેવ, તેના પર દયા નહિ લાવે, તેના પર કૃપા નહિ કરે.

12 તે દિવસે યહોવા ફ્રાંત નદીથી તે મિસરની સરહદ સુધી ખળીમાંના અનાજને ઝૂડવાનું શરૂ કરશે. અને તમને ઇસ્રાએલના લોકોને એકે એકને ભેગા કરશે.

13 તે દિવસે મોટું રણશિંગડું ફૂંકવામાં આવશે; અને જેઓ આશ્શૂર દેશમાં ખોવાઇ ગયા હતા અથવા તો મિસર જવા માટે ફરજ પડી હતી તેઓને યરૂશાલેમમાં યહોવાના પવિત્ર પર્વત પર તેમની ઉપાસના કરવાને પાછા એકત્ર કરવામાં આવશે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International