Chronological
યહૂદા પર શાસન કરતો અઝાર્યા
15 ઇસ્રાએલના રાજા યરોબઆમના રાજયના 27માઁ વર્ષે અમાસ્યાનો પુત્ર “અઝાર્યા” યહૂદાનો રાજા થયો. 2 તે ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 16 વર્ષની હતી. તેણે 52 વર્ષ યરૂશાલેમમાં રાજ કર્યું, તેની માતાનું નામ યખોલ્યા હતું, અને તેનું વતન યરૂશાલેમ હતું. 3 તેણે પોતાના પિતા અમાસ્યાની જેમ યહોવાની દૃષ્ટિએ યોગ્ય ગણાય તેવું આચરણ કર્યું. તે ભલો રાજા હતો. 4 મહત્વના ઉચ્ચસ્થાનોનો નાશ કર્યો નહિ, લોકોએ ત્યાં બલિદાનો આપવાનું અને ધૂપસળી પેટાવવાનું ચાલુ રાખ્યું હતું.
5 યહોવાએ તેને રકતપિત્તનો રોગી બનાવ્યો, અને મરતાં સુધી તે રોગથી પીડાતો રહ્યો. તેથી તેને બધા કાર્યોથી મુકત કરવામાં આવ્યો અને તે પોતાના ઘરમાં એકલો રહેતો હતો, તેનો પુત્ર યોથામે મહેલનો કબજો લઇને દેશના લોકો પર શાસન કર્યું.
6 હવે અઝાર્યાનાં શાસનના બીજા બનાવો, યહૂદાના રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે. 7 તે મૃત્યુ પામ્યો અને તેને દાઉદના નગરમાં દફનાવવામાં આવ્યો, તેના પછી તેનો પુત્ર યોથામ રાજા બન્યો.
ઝખાર્યાનું ઇસ્રાએલ પર ટૂંક્ક શાસન
8 યહૂદાના રાજા અઝાર્યાના રાજયના 38માં વર્ષે યરોબઆમનો પુત્ર ઝખાર્યા સમરૂનમાં ઇસ્રાએલનો રાજા થયો, અને તેણે 6 મહિના રાજ કર્યું. 9 તેણે તેના પિતૃઓની જેમ યહોવાની દ્રષ્ટિએ અયોગ્ય ગણાય એવું આચરણ કર્યુ, તેણે નબાટના પુત્ર યરોબઆમે ઇસ્રાએલીઓ પાસે જે પાપકર્મો કરાવ્યાં હતાં તે પાપકર્મો છોડયાં નહિ.
10 યાબેશના પુત્ર શાલ્લૂમે તેની વિરૂદ્ધ કાવતરું કર્યું. ઇબ્લામ ખાતે તેને મારી નાખ્યો અને તેના પછી તે પોતે ગાદીએ આવ્યો. 11 ઝખાર્યાના શાસનનાં બીજા બનાવો અને તેના વિજયો ઇસ્રાએલનાઁ રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે. 12 આમ, યહોવાએ યેહૂને જે કહ્યું હતું તે સાચું પડયું કે, “ચાર પેઢી સુધી તારા વંશજો ઇસ્રાએલની ગાદી પર બેસશે.” અને એમ જ થયું.
શાલ્લૂમનું ઇસ્રાએલ પર ટૂંક શાસન
13 ઇસ્રાએલના નવા રાજાનું નામ શાલ્લૂમ હતું, તેના પિતાનું નામ યાબેશ હતું. તેણે સમરૂનમાં એક માસ રાજ કર્યું. એ રાજા થયો ત્યારે યહૂદામાં ઉઝિઝયા રાજા છેલ્લા 39 વર્ષથી રાજ કરતો હતો.
14 ત્યારબાદ ગાદીના પુત્ર મનાહેમ તિર્સાહથી જઈને સમરૂનમાં પ્રવેશ કરી શાલ્લૂમને મારી નાખ્યો, અને તેના પછી પોતે ગાદીએ આવ્યો.
15 રાજા શાલ્લૂમ અને તેણે કરેલાં કૃત્યો, તેના વર્ણનો ઇસ્રાએલના રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે.
મનાહેમનું ઇસ્રાએલ પર રાજ
16 એ સમય દરમ્યાન મનાહેમ તિર્સાહથી આવ્યો અને તિફસાહને હરાવ્યો. તેણે નગરમાં તથા આજુબાજુના પ્રદેશોમાં વસતાં સૌ લોકોનો સંહાર કર્યો; કારણ કે એ લોકોએ તેના માટે નગરનાં દ્વાર ખોલ્યાં નહોતાં, તેણે નગરની સર્વ સગર્ભા સ્રીઓનાં પેટ ચીરી નાખ્યાં.
17 યહૂદાના રાજા અઝાર્યાએ 39 વર્ષો સુધી શાસન કર્યુ અને તે વર્ષે ગાદીનો પુત્ર મનાહેમ ઇસ્રાએલનો રાજા થયો. અને તેણે સમરૂનમાં 10 વર્ષ શાસન કર્યું. 18 તેણે યહોવાની દ્રષ્ટિએ અયોગ્ય ગણાય તેવું આચરણ કર્યું. તેણે નબાટના પુત્ર યરોબઆમે શરું કરેલા પાપકર્મો કરવાનાં ચાલુ રાખ્યાં. તેણે તે છોડ્યા નહિ.
19 તેના શાસન દરમ્યાન આશ્શૂરના રાજા પૂલે ઇસ્રાએલ પર આક્રમણ કર્યુ. ઇસ્રાએલમાં પોતાની સત્તા મજબૂત કરવામાં તેની મદદ મેળવવા માટે મનાહેમે તેને 34,000 કિલો[a] ચાંદી આપી. 20 આ પૈસા મેળવવા માટે મનાહેમે ધનવાન લોકો પર કર નાખ્યો, દરેક પાસેથી 50 શેકેલ ચાંદી તેથી આશ્શૂરનો રાજા દેશમાં ન રહેતાં પાછો ચાલ્યો ગયો.
21 મનાહેમના શાસનના બીજાં બનાવો અને તેણે કરેલા કાર્યો ઇસ્રાએલના રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે. 22 આમ, મનાહેમ મૃત્યુ પામ્યો અને તેને દફનાવવામાં આવ્યો. તેના પછી, તેનો પુત્ર પકાહ્યા સિંહાસન પર બેઠો.
પકાહ્યાનું ઇસ્રાએલ પર રાજ
23 યહૂદાના રાજા અઝાર્યાના રાજયના 50મે વર્ષે મનાહેમનો પુત્ર પકાહ્યા સમરૂનમાં ઇસ્રાએલનો રાજા થયો અને તેણે 2 વર્ષ રાજ કર્યુ. 24 તેણે યહોવાની દૃષ્ટિએ અયોગ્ય ગણાય તેવું આચરણ કર્યુ હતું. તેણે નબાટના પુત્ર યરોબઆમે જે પાપકર્મો શરુ કર્યા હતાં તે કરવાનું ચાલુ રાખ્યું, તેણે તે વસ્તુઓ છોડી નહિ.
25 રમાલ્યાનો પુત્ર પેકાહ તેનો સેનાપતિ હતો, તેણે તેની સામે બળવો કર્યો અને કાવતરું કર્યું; જેમાં તેણે સમરૂનનાં રાજમહેલના કિલ્લામાં 50 માણસોને મારી નાંખ્યા. તેણે અને ગિલયાદના 50 માણસોએ પકાહ્યાને, આગોર્બ અને આયેર્હને પણ ત્યાં મારી નાખ્યા. પછી પોતે ગાદી પર બેઠો.
26 પકાહ્યાનાઁ શાસનના બીજ બનાવો ઇસ્રાએલના રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે.
પેકાહનું ઇસ્રાએલ પર રાજ
27 યહૂદાના રાજા અઝાર્યાના રાજયના 52 મેં વર્ષે પેકાહ સમરૂનમાં ઇસ્રાએલનો રાજા થયો, જે રમાલ્યાનો પુત્ર હતો. તેણે 20 વર્ષ રાજ કર્યું. 28 તેણે યહોવાની દૃષ્ટિએ અયોગ્ય ગણાય તેવું આચરણ કર્યું. નબાટના પુત્ર યરોબઆમે ઇસ્રાએલીઓ પાસે જે પાપકર્મો કરાવ્યાં હતાં તે કરવાનું તેણે ચાલું રાખ્યું. તેણે તે વસ્તુઓ છોડી નહિ.
29 ઇસ્રાએલના રાજા પેકાહના શાસન દરમ્યાન આશ્શૂરનો રાજા તિગ્લાથે-પિલેસેરથી ચઢી આવીને ઇયોન, આબેલ બેથ-માઅખાહ, યાનોઆહ, કેદેશ, હાસોર, ગિલયાદ તેમ જ ગાલીલ અને નફતાલીના બધા પ્રદેશને સર કરી લીધાં અને ત્યાંના લોકોને આશ્શૂરમાં બંદી બનાવીને લઇ ગયો.
30 યહૂદાના રાજા ઉઝિઝયાના પુત્ર યોથામના શાસનના વીસમે વર્ષે એલાહના પુત્ર હોશિયાએ રમાલ્યાના પુત્ર પેકાહ વિરૂદ્ધ કાવત્રું કરી, તેને મારી નાખ્યો અને પોતે રાજા બન્યો.
31 પેકાહનાઁ શાસનનાં બાકીનાઁ બનાવો અને બીજાં કાર્યો ઇસ્રાએલના રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે.
યહૂદા પર રાજ કરતો યોથામ
32 ઇસ્રાએલના રાજા રમાલ્યાના પુત્ર પેકાહના શાસનના બીજા વર્ષ દરમ્યાન ઉઝિઝયાનો પુત્ર યોથામ યહૂદાનો રાજા થયો. 33 તે જ્યારે ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 25 વર્ષની હતી. તેણે યરૂશાલેમ પર 16 વર્ષ શાસન કર્યું. સાદોકની પુત્રી યરૂશા, તેની માતા હતી. 34 તેણે પોતાના પિતા ઉઝિઝયાની જેમ યહોવાની દ્રષ્ટિએ યોગ્ય ગણાય તેવું આચરણ કર્યું. 35 પરંતુ અગત્યની જગ્યાના થાનકોને હજી દૂર કરવામાં આવ્યાં નહોતાં, અને લોકો હજી ત્યાં બલિદાનો અર્પણ કરતાં હતાં અને ધૂપ બાળતા હતાં. (તે એ વ્યકિત હતો જેણે યહોવાના મંદિરનો ઉપરનો દરવાજો બંધાવ્યો હતો.) 36 યોથામનાઁ શાસન દરમ્યાન બનેલા બાકીનાઁ બનાવો, યહૂદાના રાજાઓના ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે.
37 એ સમય દરમ્યાન યહોવાએ અરામના રાજા રસીનને અને રમાલ્યાના પુત્ર પેકાહને યહૂદા પર ચડાઈ કરવા મોકલવા માંડયા.
38 પછી યોથામ મૃત્યુ પામ્યો, અને દાઉદના નગરમાં તેને દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર આહાઝ રાજા બન્યો.
રાજા ઉઝિઝયાનું શાસન
26 યહૂદાના બધા લોકોએ 16 વર્ષની ઉંમરના થયેલા ઉઝિઝયાને પસંદ કર્યો અને તેને તેના પિતા અમાસ્યા પછી રાજા બનાવ્યો. 2 અમાસ્યાના અવસાન પછી ઉઝિઝયાએ એલોથ યહૂદા માટે પાછું મેળવ્યું અને તેને ફરી બંધાવ્યું.
3 યરૂશાલેમમાં તેણે 52 વર્ષ રાજ કર્યુ; તેની માતા યખિલ્યા યરૂશાલેમની વતની હતી. 4 તે પોતાના પિતા અમાસ્યાને માર્ગે ચાલ્યો, અને યહોવાની ષ્ટિમાં તે સારો રાજા હતો. 5 ઝખાર્યાની હયાતીમાં ઉઝિઝયા દેવને પ્રસન્ન કરવા હંમેશા આતુર હતો. ઝખાર્યાએ લોકોને દેવની સેવા કરવાનો સાચો રસ્તો બતાવ્યો હતો. જ્યારે રાજા દેવના માર્ગે ચાલ્યો; ત્યારે દેવે તેને સફળતા આપી.
6 તેણે પલિસ્તીઓ ઉપર ચઢાઇ કરી ગાથ, યાબ્નેહ અને આશ્દોદની દીવાલો તોડી પાડી અને તેણે આશ્દોદની નજીક અને પલિસ્તીઓના બાકીના પ્રદેશમાં શહેરો બંધાવ્યાં. 7 દેવે તેને પલિસ્તીઓ, ગૂર-બઆલમાં વસતા આરબો અને મેઉનીઓની વિરુદ્ધ મદદ કરી. 8 આમ્મોનીઓ ઉઝિઝયાને ખંડણી ભરવા લાગ્યા. તેની કીર્તિ ઠેઠ મિસરની સરહદ લગી ફેલાઇ, કારણ, તે ખૂબ બળવાન બની ગયો હતો.
9 એ ઉપરાંત તેણે યરૂશાલેમમાં “ખૂણાના દરવાજા,” ખીણના દરવાજા અને કિલ્લા દરવાજા પાસે અને દીવાલનાં વળાંક પાસે બુરજો બંધાવ્યા. 10 તેણે રણમાં પણ બુરજો બંધાવ્યા અને અનેક કૂવાઓ ખોદાવ્યા, કારણ, તેની પાસે નીચાણના પ્રદેશમાં તેમજ ઉચ્ચ પ્રદેશમાં ઘણાં ઢોરો હતાં. તેને ખેતીવાડીનો શોખ હતો, એટલે એણે દ્રાક્ષવાડીઓ ઉગાડનાર અને ફળદ્રૂપ ભૂમિમાં અને પર્વતીય પ્રદેશોમાં કામ કરનાર ખેડૂતો રાખ્યા હતા.
11 ઉઝિઝયા પાસે યુદ્ધ માટે સજ્જ તાલીમ પામેલી સેના હતી, અને મહામંત્રી યેઇએલ અને અધિકારી માઅસેયાએ રાજાના એક સેનાપતિ હનાન્યાના હાથ નીચે તૈયાર કરેલી યાદી પ્રમાણે તેની ટૂકડીઓ પાડવામાં આવી હતી. 12 સેનાનાયકોની કુલ સંખ્યા 2,600 હતી. 13 તેમના નેતૃત્વ હેઠળ 3,07,500 સૈનિકોનું તાલિમબદ્ધ સૈન્ય હતું અને તે દુશ્મનો સામે રાજાનું રક્ષણ કરતું હતું. 14 ઉઝિઝયાએ આખા સૈન્ય ને ઢાલો, ભાલાઓ, ટોપાઓ, બખ્તરો, ધનુષ્ય અને ગોફણો માટે પથ્થરો આપ્યાં હતા. 15 કુશળ શોધકોએ શોધેલાં યુદ્ધના નવાં યંત્રોનું ઉઝિઝયાએ યરૂશાલેમમાં ઉત્પાદન કર્યુ. આ યંત્રો બુરજો પરથી અને દીવાલોને ખૂણેથી બાણો અને મોટા કદનાં પથ્થરો ફેંકવા માટે ઉપયોગી હતા. તેની કીર્તિ ઘણે દૂર સુધી ફેલાઇ ગઇ. તેને ઘણી બધી મદદ મળી અને તે એક સાર્મથ્યવાન રાજા બની ગયો.
16 પણ જેમ જેમ તેનું બળ વધતું ગયું, તેમ તેમ તે અભિમાની બનતો ગયો અને તેમાંથી તેનો વિનાશ થયો. તેણે ધૂપની વેદી ઉપર ધૂપ ચઢાવવા માટે યહોવાના મંદિરમાં પ્રવેશ કરીને યહોવાનો ગુનો કર્યો. 17 યાજક અઝાર્યાએ યહોવાના 80 બહાદુર યાજકો સાથે રાજા ઉઝિઝયાની પાછળ પાછળ જઇ તેને રોકીને કહ્યું, 18 “ઉઝિઝયા, યહોવાને ધૂપ ચઢાવવાનો તમને અધિકાર નથી. તે અધિકાર તો એ સેવા માટે પવિત્ર બનાવવામાં આવેલ હારુનના વંશજોને જ છે. પવિત્ર સ્થાનમાંથી બહાર નીકળો. તમે યહોવાનો ગુનો કર્યો છે. હવે યહોવા દેવ તરફથી તમને સન્માન મળશે નહિ.”
19 એટલે ઉઝિઝયાને ક્રોધ ચઢયો; તેના હાથમાં ધૂપ કરવા માટે ધૂપદાન હતું; યાજકો પર તે કોપાયમાન થયો હતો, એટલામાં ધૂપવેદીની પાસે યહોવાના મંદિરમાં યાજકોના દેખતાં તેના કપાળમાં કોઢ ફૂટી નીકળ્યો. 20 મુખ્ય યાજક અઝાર્યા અને બીજા યાજકોએ તેના તરફ જોયું તો તેના કપાળ પર કોઢ જણાયો, અને તેને એકદમ મંદિરની બહાર હડસેલી મૂક્યો. યહોવાએ તેને સજા કરી હતી. તેથી તે પોતે પણ બહાર જવા માટે આતુર હતો. 21 પોતાના મૃત્યુ સુધી ઉઝિઝયા કોઢી જ રહ્યો અને એકાંતવાસમાં જીવ્યો. તે મંદિરથી અને પોતાના લોકોથી અલગ કરાયેલો હતો. તેના પુત્ર યોથામે રાજાનો વહીવટ સંભાળી લીધો અને દેશના લોકોનો ન્યાય કરવાનું કામ કર્યુ.
22 ઉઝિઝયાના રાજ્યના બીજા બનાવો પરથી પહેલેથી છેલ્લે સુધી પ્રબોધક યશાયા-આમોસના પુત્રએ નોંધેલું છે. 23 ઉઝિઝયા પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો; અને તે કોઢિયો છે એમ કહીને તેઓએ તેને રાજાઓના કબ્રસ્તાન પાસેના ખેતરમાં તેના પિતૃઓની સાથે ન દફનાવતાં પાસેના ખેતરમાં તેને દફનાવ્યો; પછી તેનો પુત્ર યોથામ નવો રાજા બન્યો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International