Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
યર્મિયા 4-6

યહોવા કહે છે,
“હે ઇસ્રાએલ, જો તારે પાછા આવવું હોય તો
    તું મારી પાસે જ પાછો આવ,
તારી ઘૃણાસ્પદ મૂર્તિઓ ફગાવી દે
    અને ફરીથી ખોટે માર્ગે જતો નહિ
અને જો તું સત્યથી,
    ન્યાયથી તથા નીતિથી,
    ‘યહોવા જીવે છે’ એવા સોગંદ ખાઇશ;
તો સર્વ પ્રજાઓ તેનામાં પોતાને આશીર્વાદિત કહેશે,
    તથા તેનામાં અભિમાન કરશે.”

યહૂદિયાના લોકોને અને યરૂશાલેમના વતનીઓને યહોવા આ પ્રમાણે કહે છે,

“તમારાં વણખેડેલા ખેતર ખેડી નાખો,
    તમારાં બીજ કાંટા ઝાંખરા
    વચ્ચે વાવશો નહિ;
યહોવાનું શરણું સ્વીકારો,
    તમારાં હૃદયનો મેલ ધોઇ નાખો,
રખેને તમારા દુષ્કૃત્યોને કારણે મારો રોષ અગ્નિની જેમ ભભૂકી ઊઠે
    અને ઠાર્યો ઠરે જ નહિ અને ભડભડતો જ રહે.”

ઉત્તર દિશામાં વિનાશ

“યરૂશાલેમમાં અને સર્વ યહૂદિયામાં પોકારીને કહો કે,

આખા દેશમાં ભય દર્શાવતું રણશિંગડું વગાડો.
    ‘તમારા જીવ બચાવવાને દોડો!
    કિલ્લેબંધ નગરોમાં નાસી જાઓ!’
સંકેત ધ્વજ ઊંચો કરો, સિયોનને ‘હમણાં જ ભાગી જાઓ.
    વિલંબ કરશો નહિ!’
કારણ કે હું યહોવા ઉત્તર તરફથી તમારા પર
    ભયંકર વિનાશ લાવું છું.”
“સિંહ” પોતાની ઝાડીમાંથી ચઢી આવ્યો છે;
    તે તો પ્રજાઓનો વિનાશક છે;
    તારા દેશને ઉજ્જડ કરવા માટે
તે પોતાના રહેઠાણમાંથી બહાર નીકળ્યો છે;
    તારાં નગરો એવાં ઉજ્જડ થશે કે,
    તેઓમાં કોઇ રહેવાસી જોવામાં આવશે નહિ,
માટે શોકનાં વસ્ત્રો ધારણ કરો, છાતી કૂટો અને વિલાપ કરો,
    કારણ, યહોવાનો ઉગ્ર ક્રોધ હજુ શાંત પડ્યો નથી.
યહોવાએ કહ્યું, “તે દિવસે રાજાઓ
    અને સરદારો ભયને લીધે કાંપશે,
યાજકોને તથા પ્રબોધકોને ભયને
    કારણે ભારે આઘાત લાગશે.”

10 ત્યારે હું બોલ્યો, “આહા, પ્રભુ યહોવા, તેં અમને અને યરૂશાલેમના સર્વ લોકોને પૂર્ણપણે છેતર્યા છે તેઁ તેઓને કહ્યું, ‘તમે શાંતિ પામશો.’ પણ તમાર માથા પર તો તરવાર લટકી રહી છે.”

11 “તે સમય આવી રહ્યો છે,
    જ્યારે યરૂશાલેમના લોકોને કહેવામાં આવશે કે,
અરણ્ય તરફથી તેઓના પર
    બાળી નાખે તેવા પવનો આવે છે.
તે તો ઉપણવાના કે સ્વચ્છ કરવાના
    ઉપયોગમાં આવે તેવો હશે નહિ.
12 મારી તરફથી ખૂબ શકિતશાળી પવન
    તમારી તરફ દોડયો આવશે.
હવે હું તમારી વિરુદ્ધ
    મારો ચુકાદો જણાવીશ.”
13 જુઓ, તોફાની પવનની જેમ લશ્કર
    અમારા પર ચઢી આવશે.
    તેના રથો વાવાઝોડાની જેમ ઘસતા આવે છે,
તેના ઘોડા ગરૂડ કરતાં પણ વેગીલા છે.
    ઓહ! ખરેખર અમે ખલાસ થઇ ગયા.

14 હે યરૂશાલેમ,
    તારા અંતરમાંથી પાપને ધોઇ નાખે,
તો કદાચ તું બચી જાય,
    તું ક્યાં સુધી તારા અંતરમાં પાપી વિચારો સંઘર્યા કરીશ?
15 કારણકે દાનથી અને એફ્રાઇમના પર્વતો પરથી
    તમારા માટેના ચુકાદાની જાહેરાત થઇ ચૂકી છે.
16 “અન્ય લોકોને જાણ કરો,
    યરૂશાલેમમાં દાંડી પિટાવો.
યહૂદિયાના નગરો સામે યુદ્ધનાદો કરતા
    દૂરના દેશથી દુશ્મનો આવે છે.
17 જંગલી પ્રાણીની આસપાસ ભરવાડો ફરી વળે
    તે પ્રમાણે તેઓ યરૂશાલેમને ઘેરી લે છે;
કારણ કે તેના લોકોએ
    યહોવા વિરુદ્ધ બંડ પોકાર્યું છે.”
યહોવા આ વચનો કહે છે.

18 “હે યરૂશાલેમ તારાં પોતાનાં વર્તન અને કાર્યોને કારણે,
    તેં મારી વિરુદ્ધ બળવો કર્યો છે.
માટે આ બધું તારા પર વિત્યું છે.
    આ તારી સજા છે!
કેવી આકરી: તારા હૃદયને એ કેવું વીંધી નાખે છે!”

યર્મિયાનું રૂદન

19 અરે! ઓહ! માંરુ અંતર કેવું વલોવાય છે!
    મારી છાતી કેવી ધડકે છે!
હું શાંત રહી શકતો નથી,
    કારણ મેં રણશિંગડાનો ધ્વનિ સાંભળ્યો છે.
20 સંકટ પર સંકટ આવે છે,
    દેશ આખો ખેદાન મેદાન થઇ ગયો છે,
મારા તંબુઓ એકાએક ઢળી પડ્યા છે.
    તેના પડદાઓના લીરા ઊડે છે.
21 મારે ક્યાં સુધી રણધ્વજ જોવો
    અને રણશિંગડાનો નાદ સાંભળવો?

22 દેવ કહે છે, “જ્યાં સુધી મારા લોકો મૂર્ખતા ન છોડે ત્યાં સુધી,
    કારણ, મારા લોકો મૂરખ છે,
તેઓ મને ઓળખતા નથી; એ લોકો નાદાન બાળકો છે.
    એમને કશી સમજ નથી.
એ લોકો ભૂંડુ કરવામાં ઘણાં ચાલાક છે,
    પરંતુ સાચું આચરણ કરતાં એમને આવડતું નથી.”

વિનાશ આવી ગયું

23 મેં તેઓના દેશ પર ચારે દિશાઓમાં
    જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી ષ્ટિ કરી.
સર્વત્ર વિનાશ વેરાયેલો હતો.
    આકાશો પણ અંધકારમય હતા.
24 મેં પર્વતો તરફ જોયું,
    તો તે ધ્રૂજતા હતા.
    બધા ડુંગરો ડોલતા હતા.
25 મેં ષ્ટિ કરી, તો કોઇ મનુષ્ય દેખાયું નહોતું.
    આકાશનાં પંખીઓ સુદ્ધાં ઊડી ગયા હતા.
26 મેં જોયું, તો ખેતરો વેરાન થઇ ગયાં હતાં,
    બધાં નગરો ભોંયભેગા થઇ ગયા હતાં,
    કારણ, યહોવા રોષે ભરાયા હતા.

27 કારણ કે યહોવાએ કહ્યું હતું કે,
“આખા દેશનો વિનાશ થઇ જશે,
    પણ હું તેનો સંપૂર્ણ નાશ નહિ કરું.
28 સમગ્ર પૃથ્વી ચિંતા કરશે અને આકાશ અંધકારમય બની જશે.
    કારણ, યહોવા બોલી ચૂક્યો છે
અને તેનો વિચાર તે બદલનાર નથી,
    તેણે નિર્ણય કર્યો છે અને તેમાંથી ડગનાર નથી.”

29 ઘોડેસવાર અને બાણાવળીનું નામ સાંભળતાં
    જ સમગ્ર દેશ નાસભાગ કરે છે.
    કેટલાક ઝાડીમાં ભરાઇ જાય છે,
કેટલાક ડુંગરો પર ચઢી જાય છે.
    એકેએક શહેર સૂનું થઇ જાય છે,
    કોઇ ત્યાં રહેતું નથી.

30 તેં શા માટે તારા સૌથી સુંદર વસ્ત્રો
    અને ઘરેણાં પહેર્યાં છે?
અને શા માટે આંખોમાં કાજળ લગાવીને
    આંખોને તેજસ્વી કરી છે?
તેનાથી તને લાભ થવાનો નથી.
    તારા પ્રેમીઓ, પ્રજાઓ તારો ધિક્કાર કરે છે
    અને તારો વિનાશ કરવાનું ઈરછે છે.
31 હું કોઇની પ્રસવવેદનાની ચીસ જેવી ચીસ સાંભળું છું.
    પ્રથમ બાળકને જન્મ આપતી વખતે પ્રસૂતિની વેદનાથી કષ્ટાતી સ્ત્રીના સાદ જેવો અવાજ મેં સાંભળ્યો છે.
    એ તો મારા લોકોનો અવાજ છે.
તેઓ હાંફી ગયા છે તેઓ પોતાના હાથને ખેંચી રહ્યા છે
    અને રડે છે, “અમે ડૂબી ગયા છીએ,
    અમારો સંહાર કરી રહ્યા છે, તેની સામે અમે બેભાન થઇ રહ્યા છીએ.”

યહૂદિયાના લોકોના પાપ

યહોવા કહે છે, “યરૂશાલેમની ગલીએ ગલી શોધી કાઢો, તમારી ચારેબાજુ જાતે જોઇ વળો, તેના ચોરા ચૌટા જોઇ વળો. ને જુઓ કે ન્યાયી તથા પ્રામાણિક એવો એક માણસ પણ તમને મળે છે! અને જો તમને એવો એક પણ માણસ મળે, તો હું યરૂશાલેમને માફ કરું. લોકો પ્રતિજ્ઞા લે છે અને મારામાં શ્રદ્ધા રાખે છે એમ કહે છે, પણ એ જૂઠું બોલે છે.”

હે યહોવા, તમે વિશ્વાસુપણું ચાહો છો.
    તમે તેઓને પ્રામાણિક બનાવવા પ્રયત્ન કર્યો.
તમે તેઓને શિક્ષા કરી
    પણ તેઓ સુધર્યા નહિ.
તમે તેઓને પાયમાલ કર્યા છતાં પોતાના
    પાપોથી પાછા ફરવા તેઓએ અસંમતિ દર્શાવી.
અને પશ્ચાતાપ નહિ કરવાનો તેઓએ નિરધાર કર્યો છે.
    તેઓ પાષાણથી પણ વધુ કઠણ છે.

પછી મેં કહ્યું,
    “તેઓ જ ગરીબ લોકો છે, તેઓને કંઇ ભાન નથી.
હા, તેઓને યહોવાના માર્ગો ખબર નથી
    અને તેમના દેવના કાયદાથી અજાણ છે.
હું વડીલો પાસે તેમની સાથે
    વાત કરવા જઇશ,
કારણ કે તેઓ યહોવા તરફનો માર્ગ જાણે છે
    અને જેઓ દેવના કાયદા જાણે છે,
પણ તે લોકોએ દેવની ઝૂંસરી ભાંગી નાખી છે
    અને જોતરો તોડી નાખ્યાં છે.”
આથી જંગલમાંથી સિંહ આવી તેમને ભોંયભેગા કરી દેશે.
    વગડામાંથી વરૂ આવી તેઓને ફાડી ખાશે.
તેમનાં શહેરો ફરતે ચિત્તો આંટા માર્યા કરશે;
    નગરની બહાર જનારા દરેકને તે ફાડી ખાશે,
કારણ કે તેઓનાં પાપ અતિઘણાં અને મારી વિરુદ્ધ તેઓનું બંડ અતિ ભારે છે.
    અસંખ્ય વાર તેઓ દેવથી વિમુખ થયાં છે.

દેવે કહ્યું, “હું તેમને કંઇ રીતે માફી આપું?
    તમારા બાળકોએ મને છોડી દીધો છે
    અને મૂર્તિઓના નામે વચન આપ્યા છે.
મેં તેમને તેમના પેટ ભરાય ત્યાં સુધી ખવડાવ્યું,
    પણ તેઓ વ્યભિચારી નીકળ્યાં.
    અને વેશ્યાઓનાં ઘરોમાં ભટકવા લાગ્યા.
તેઓ સારો ખોરાક ખવડાવીને મસ્ત બનાવેલા ઘોડા જેવા છે;
    દરેક પોતાની પડોશીની સ્ત્રી તરફ કુષ્ટિ કરે છે.
આ માટે મારે એમને સજા ન કરવી?”
    શું હું આવી પ્રજાઓ પર મારું વૈર ન વાળું?

10 “તેમની દ્રાક્ષાવાડીઓમાં પ્રવેશ કરો અને તેઓનો વિનાશ કરો,
    પણ તેમનો સંપૂર્ણ વિનાશ ન કરો.
    તેની લીલી ડાળીઓ કાપી નાખો, કારણ કે એ મારી નથી.
11 કારણ કે ઇસ્રાએલનાં વંશ અને યહૂદાના વંશ બન્ને
    મને સંપૂર્ણપણે બેવફા નીવડ્યા છે.”
    આ યહોવાના વચન છે.

12 તેઓએ એમ કહીને અસત્ય ઉચ્ચાર્યુ છે,
    “‘યહોવા અમને મુશ્કેલીમાં મૂકશે નહિ!
અમારા પર સંકટ આવી પડશે નહિ,
    અમે દુકાળ કે યુદ્ધ જોઇશું નહિ!’
13 જૂઠા પ્રબોધકો વાતોડિયા છે અને હવાભરેલા થેલા જેવા છે.
    તેઓને કોઇ સંદેશો મળ્યો નથી.
તેઓ જે આપત્તિ વિષે કહે છે
    તે યહૂદિયા અને ઇસ્રાએલના લોકો પર નહિ આવે
    પરંતુ તેમના પોતાના પર ચોક્કસ આવશે!”

14 એથી સૈન્યોનો દેવ યહોવા તેમના પ્રબોધકોને કહે છે:
    “તમારી આ પ્રકારની વાતોને કારણે હું તમારા શબ્દોને
અને ભવિષ્યવાણીને પ્રચંડ અગ્નિમાં ફેરવી નાખીશ
    અને બળતણના લાકડાની જેમ
    આ લોકોને હું ભસ્મ કરીશ.”
15 યહોવા કહે છે,
    “હે ઇસ્રાએલના લોકો,
હું તમારી સામે દૂરથી
    એક પ્રજાને લઇ આવું છું.
એ પ્રાચીન અને બળવાન પ્રજા છે,
    અને તેની ભાષા તમે જાણતા નથી.
16 તેઓ બધા પ્રચંડ યોદ્ધાઓ છે,
    તેમનાં ભાથામાં જીવલેણ બાણ ભર્યા છે.
17 તેઓ તમારી ફસલ અને તમારો ખોરાક ખાઇ જશે.
    તેઓ તમારાં પુત્ર-પુત્રીને ભરખી જશે,
    તેઓ તમારાં ઘેટાં-બકરાંને અને ઢોરઢાંખરને ખાઇ જશે;
તેઓ તમારી દ્રાક્ષાવાડીઓને
    અને ફળઝાડોને ખાઇ જશે;
અને તમે જેના પર આધાર રાખો છો,
    તે તમારા કિલ્લેબંધ નગરોને તેઓ તોડી પાડશે.”

18 તેમ છતાં એ દિવસોમાં પણ-આ હું યહોવા બોલું છું-
“હું તમારો સંપૂર્ણ નાશ નહિ કરું.
19 અને યર્મિયા જ્યારે તમારા લોકો પૂછે,
    ‘શા માટે યહોવા આ શિક્ષા અમારા પર લાવ્યા છે?’
ત્યારે તમે કહેજો,
‘તમારા વતનમાં રહીને તમે યહોવાનો નકાર કર્યો
    અને અન્ય દેવોની પાછળ ભટકી ગયા.
હવે તમે વિદેશીઓના દેશમાં તેઓની ગુલામગીરી કરશો.’”

20 યહોવા કહે છે, “યાકૂબના વંશજોને આની જાણ કરો,
    યહૂદિયાના લોકોમાં આની ઘોષણા કરો:
21 ધ્યાન દઇને સાંભળો,
    ‘હે મૂરખ અને અક્કલ વગરના લોકો!
તમે છતી આંખે જોતા નથી,
    છતે કાને સાંભળતા નથી;
તમને મારો ભય નથી?’”
22 આ હું યહોવા બોલું છું
    “શું તમે મને જોઇને થથરી નહિ જાઓ?
મેં સાગરને રેતીની પાળ બાંધી છે;
    એ પાળ કાયમી છે;
સાગર એને ઓળંગી શકે નહિ,
    સાગર ગમે તેટલો તોફાને ચડે પણ કઇં કરી શકે નહિ.
એનાં મોજાં ગમે તેટલી ગર્જના કરે
    પણ એને ઓળંગી નહિ શકે.
23 પરંતુ આ લોકો તો હઠીલા
    અને બળવાખોરો છો.
    તેઓ મારાથી દૂર ભટકી ગયા છે.
24 પ્રતિવર્ષ હું તમને પ્રથમ તથા છેલ્લો વરસાદ આપું છું
    અને વાવણીનો સમય આપું છું,
છતાં તમે તમારી જાતને ક્યારેય કહેતા નથી.
    ચાલો, આપણા યહોવા દેવને માન આપીએ.
25 તમારા પોતાના દુષ્કર્મોથી વરસાદ તમારાથી વિમુખ થઇ ગયો.
    અને તમારાં પોતાના પાપે તમને કુદરતના આશીર્વાદથી વંચિત રાખ્યા છે.
26 મારા લોકોમાં દુષ્ટ માણસો છે,
    અને પારધીઓ જેમ ગુપ્ત રહીને
શિકાર કરવાનો લાગ શોધે છે,
    તેમ તેઓ મનુષ્યને પકડવા માટે ફાંદો માંડે છે.
27 જેમ પાંજરું પક્ષીઓથી ભરાયેલું હોય છે,
    તેઓનાં ઘરો વિશ્વાસઘાતથી ભરેલાં છે.
પરિણામે તેઓ મહાન અને શ્રીમંત થઇ ગયા.
28     તેઓ હૃષ્ટપુષ્ટ અને તેજસ્વી થયા છે.
તેઓનાં દુષ્ટ કાર્યોની કોઇ સીમા નથી.
    તેઓ અનાથોની બાબતે ન્યાય કરતા નથી,
    તેમને સમૃદ્ધ થવાની કોઇ તક આપતા નથી,
    અને તેઓ નિર્ધનોના હકોનું રક્ષણ કરતાં નથી.
29 આ બધાં માટે મારે તેમને સજા ન કરવી?
    એવી પ્રજાને મારે બદલો ન આપવો?”
આ હું યહોવા બોલું છું.

30 યહોવા કહે છે, “દેશમાં ભયંકર આઘાતજનક
    વાતો બની રહી છે:
31 પ્રબોધકો જૂઠી વાણી ઉચ્ચારે છે,
    યાજકો મનમાની સત્તા ચલાવે છે;
અને મારા લોકોને એ ગમે છે;
    પણ અંત આવશે ત્યારે તેઓ શું કરશે?

યરૂશાલેમ પર આક્રમણનો ભય

“હે બિન્યામીનના લોકો, જીવ બચાવવા ભાગો,
    યરૂશાલેમમાંથી નીકળી જાઓ,
તકોઆમાં રણશિંગડું વગાડો
    અને બેથ-હાક્કેરેમ પર ચેતવણીનો દીવો પેટાવો,
સર્વને ચેતવણી આપો કે ઉત્તર તરફથી
    સાર્મથ્યવાન લશ્કર મહાવિનાશ કરવા આવી રહ્યું છે.
તુ ખૂબ સુંદર અને અડકવામાં નાજુક છે,
    પણ સિયોનની દીકરી, હું તારો નાશ કરવાનો છું.
ઘેટાંપાળકો પોતાનાં ટોળા લઇને ત્યાં આવે છે.
    એની ફરતે તંબુઓ નાંખે છે,
દરેક જણ પોતાને ગમે
    તે જગ્યાએ ચરશે.”

તેઓ કહે છે: “તેની સામે યુદ્ધે ચડવા માટે તૈયાર થાઓ;
    ચાલો, આપણે ભરબપોરે તેના પર હુમલો કરીએ.
હાય રે! દિવસ તો ઢળી ગયો,
    સંધ્યાની છાયા લંબાતી જાય છે!
તો ચાલો, આપણે તેના પર રાતે હુમલો કરીને
    તેના મહેલોનો નાશ કરીએ.”

આમ સૈન્યોના દેવ યહોવાએ આ પ્રમાણે કહ્યું છે,
    “તેણીના વૃક્ષો કાપી નાખો
    અને યરૂશાલેમ પર આક્રમણ કરવા મોરચાઓ ઊભા કરો.
આ નગર તો દંડને પાત્ર છે
    કારણ કે એમાં જુલમ સિવાય બીજું કશું નથી.
જેમ ઝરો પાણીથી ઊભરાય છે
    તેમ એ દુષ્ટતાથી ઊભરાય છે.
નગરમાં મારઝૂડ અને લૂંટફાટ સિવાય કશું જ સંભળાતું નથી,
    માંદગી અને ધા સિવાય કશું જોવા મળતું નથી.
માટે યરૂશાલેમ, આ ચેતવણી પર
    તું ધ્યાન આપ.
નહિ તો ધૃણાથી હું તારો ત્યાગ કરીશ.
    તને વસ્તી વગરનું વેરાન બનાવી દઇશ.”

સૈન્યોના દેવ યહોવાએ મને કહ્યું,
“તમારા પર એક પછી એક આફત આવી પડશે
    અને ઇસ્રાએલમાં જે થોડાં બાકી રહેલા હશે તેઓને શોધીને લઇ જવામાં આવશે.
દ્રાક્ષા તોડનાર વેલા પર ચૂંટાયા વગર રહી ગયેલી દ્રાક્ષાઓને એકત્ર કરવા ફરીથી વેલાને તપાસી જુએ છે,
    તેમ બચાવી લીધેલા મારા થોડા લોકોને તું જરૂર જોતો હોઇશ.”
10 મેં જવાબ આપ્યો, “મારે કોને કહેવું?
    કોને ચેતવવા?
    કોણ સાંભળશે?
તેમના કાન તમારા વિષે કંઇ
    સાંભળવા માંગતા નથી.
હા, તેઓ યહોવાના વચનને નિંદાસ્પદ ગણે છે,
    તેઓને તે ગમતા નથી.
11 પણ, યહોવા, હું તારા રોષથી ભર્યોભર્યો છું,
    હું એને અંદર સમાવી શકતો નથી.”
ત્યારે યહોવાએ કહ્યું, “તો એને મહોલ્લામાં
    રમતાં નાનાં બાળકો પર અને ટોળે વળતા તરુંણો પર
ઠાલવ, પતિ, પત્ની, અને ઘરડાઓ સુદ્ધાં
    બધા જ એનો ભોગ બનશે.
12 તેઓના શત્રુઓ તેઓનાં ઘરોમાં વાસો કરશે
    અને તેઓનાં ખેતરો તથા પત્નીઓ લઇ લેશે.
કારણ કે હું આ દેશના લોકોને શિક્ષા કરીશ.”
    આ યહોવાના વચન છે.

13 “કારણ કે તેઓ બધા સામાન્ય માણસથી માંડીને છેક ઉચ્ચ અધિકારી
    સુધી સર્વ તેમના લોભ દ્વારા ખોટા લાભો મેળવે છે,
    અને તેમના પ્રબોધકો અને યાજકો પણ તેવી જ છેતરામણી રીતે વતેર્ છે!
14 તેઓ મારા લોકોના ઘાને સામાન્ય
    ઉઝરડા હોય એમ ઉપચાર કરે છે,
તેઓ કહે છે કે, ‘બરાબર છે, બધું બરાબર છે.’
    પણ લગારે બરાબર નથી.
15 પોતાનાં અધમ કૃત્યોની તેમને લાજ શરમ આવે છે ખરી? લાજશરમ?
    એમને વળી લાજશરમ કેવી?
તેઓ ભોંઠપણને ધોળીને પી ગયા છે.
    તેથી બીજાની જેમ તેમનું પણ પતન થશે,
હું જ્યારે તેમને સજા કરીશ ત્યારે તેઓ ઠોકર ખાઇને ભોંયભેગા થઇ જશે.”
    આ યહોવાના વચન છે.

16 હજુ પણ યહોવા તમને સમજાવે છે:
“જુઓ, ભૂતકાળના વર્ષોમાં
    તમે દેવના માર્ગોમાં ચાલતા હતા.
તો જે ઉત્તમ માર્ગ છે તેની શોધ કરીને તે માર્ગે ચાલો.
    ત્યાં તમારા આત્માને શાંતિ મળશે.
પણ તમે પ્રત્યુત્તર આપો છો,
    ‘ના, અમારે એવા રસ્તા પર ચાલવું નથી!’
17 તમને ચેતવણી આપવા મેં તમારા પર ચોકીદારો નીમ્યા.
    ‘રણશિંગડાનો અવાજ સાંભળજો, વિપત્તિ આવતી હશે, ત્યારે તે તમને ચેતવી દેશે.’
    પરંતુ તમે કહ્યું, ‘ના, અમે તે તરફ ધ્યાન આપીશું નહિ.’”
18 આથી યહોવાએ કહ્યું, “હે પ્રજાઓ, તમે સાંભળો,
    અને જાણી લો કે મારા લોકોના શા હાલ થવાના છે.
19 હે પૃથ્વીના લોકો, સાંભળો, અને નોંધી રાખો,
    કે તે લોકો પર હું આફત ઉતારનાર છું.
    એ એમના કાવાદાવાનું ફળ છે.
તેમણે મારા શબ્દો કાને ધર્યા નથી;
    અને તેમણે મારા નિયમશાસ્ત્ર નો અસ્વીકાર કર્યો છે.”

20 યહોવા કહે છે, “હવે મારી સમક્ષ શેબાથી દૂરદેશાવરથી મંગાવેલ ધૂપ-લોબાન બાળવાથી કાઇં વળવાનું નથી.
    તમારી કિંમતી સુગંધીઓ સાચવી રાખો!
હું તમારા અર્પણો સ્વીકારી શકતો નથી.
    તેમાં મને પ્રસન્ન કરતી સુગંધ નથી.”

21 યહોવા કહે છે,
“તેથી હું મારા એ લોકોને ઠોકર ખવડાવીશ
    અને તેઓ ભૂમિ પર પછડાશે;
પિતા અને પુત્ર,
    પડોશી અને મિત્ર બધા જ નાશ પામશે.”

22 યહોવા કહે છે,
“ઉત્તરમાંથી એક પ્રજા આવી રહી છે,
    પૃથ્વીને દૂરને છેડે એક બળવાન પ્રજા યુદ્ધની તૈયારી કરી રહી છે.
23 તેઓ ક્રૂર અને નિર્દય છે,
    શસ્ત્રસજ્જ થઇ ઘોડેસવારી કરતા આવે છે,
તેઓની કૂચનો અવાજ
    ઘૂઘવતા સમુદ્ર જેવો છે.
હે સિયોનની દીકરી,
    તેઓ તારી વિરુદ્ધ લડાઇ કરવા તૈયાર છે.”
24 લોકો કહે છે, “અમે સમાચાર સાંભળ્યા છે,
    અમારા ગાત્રો ગળી ગયા છે.
અમને વેદના જાગી છે,
    જાણે પ્રસૂતિની વેદના.
25 બહાર ખેતરોમાં જશો નહિ,
    રસ્તાઓ પર મુસાફરી કરશો નહિ
કારણ કે સર્વત્ર શત્રુ છે અને સંહાર કરવાને તત્પર છે.
    ચારે તરફ ભય છે.
26 હે મારા પ્રિય લોકો શોકનાં વસ્ત્રો ધારણ કરો,
    રાખમાં બેસો,
અને એકના એક પુત્રને માટે હોય
    તેમ ભગ્નહૃદયે ચિંતા કર.
કારણ કે વિનાશ કરનાર સૈન્યો
    એકાએક આપણા પર ચઢી આવશે.

27 “યર્મિયા, મેં તને ધાતુઓનો પારખનાર કર્યો છે,
    મારા લોકોની પરીક્ષા કર,
    અને તેઓનું મૂલ્ય નક્કી કર.
તેઓ શું કહે છે તે તું સાંભળ.
    અને તેઓ શું કરે છે તે તું જો.
28 એ બધા અધમ બંડખોરો
    અને યહોવાની વિરુદ્ધ દુષ્ટતા ભરેલી વાતો કરનારા નથી?
    તેઓ પિત્તળ જેવા કઠોર અને લોખંડ જેવા ક્રૂર છે.
29 ધમણ ચાલે છે, વેગથી હવા ફૂંકે છે.
    અને શુદ્ધ કરનારો અગ્નિ વધુ પ્રબળ બની અતિશય ગરમી આપતો જાય છે.
આવો અગ્નિ પણ તેઓને શુદ્ધ કરી શકતો નથી.
    કારણ કે તેઓમાંથી કોઇ જ પ્રકારની શુદ્ધતા બહાર આવી શકે તેમ નથી.
તો પછી શુદ્ધિકરણની પ્રક્રિયા શા માટે ચાલુ રાખવી?
    તે બધુંજ કચરો છે.
    અગ્નિ ગમે તેટલો પ્રબળ બને પણ તેઓ તો પોતાના દુષ્ટ માર્ગોમાં ચાલુ જ રહે છે.
30 તેઓ નકારેલી ચાંદી એમ કહેવાય છે.
    કારણ કે યહોવાએ તેમનો નકાર કર્યો છે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International