Chronological
સૈૈન્ય ગણતરીનો દાઉદનો નિર્ણય.
24 યહોવા ફરી એક વાર ઇસ્રાએલીઓ ઉપર કોપાયમાંન થયા; અને તેણે દાઉદને ઇસ્રાએલીઓનો વિરોધી બનાવ્યો તેણે તેને કહ્યું, “જા ઇસ્રાએલની વસ્તી અને યહૂદાના લોકોની ગણતરી કર.”
2 તેથી દાઉદે યોઆબને અને તેના લશ્કરના સેનાપતિને કહ્યું, “જાઓ, અને દાનથી બેર-શેબા સુધી ઇસ્રાએલના કુળની વસ્તીની ગણતરી કરી આવ. માંરે જાણવું છે માંરા લોકોની સંખ્યા કેટલી છે.”
3 પણ યોઆબે કહ્યું, “આપના દેવ યહોવા આપને સો ગણા વધારે લોકો આપે. અને આપની આંખો આ થતી જૂઓ! પણ આપને લોકોની સંખ્યા ગણવાનો આ વિચાર શાથી આવ્યો?”
4 પરંતુ રાજાએ સખ્તાઇથી આગળ યોઆબ અને લશ્કરના અમલદારોને લોકોની ગણતરી કરવાનો હુકમ કર્યો તેથી તેઓ રાજાની પરવાનગી લઇ ઇસ્રાએલના લોકોની સંખ્યા ગણવા ગયા. 5 તેઓએ યર્દન નદી ઓળંગી અને યાઝેર પાસે ગાદની ખીણની વચમાં નગરની જમણી બાજુએ અરોએરમાં છાવણી નાખી.
6 પછી તેઓ ગિલયાદ ગયા અને છેક નીચે તાહતીમ હોદશી ગયા. ત્યાર પછી તેઓ ઉત્તર તરફ દાન યાઆન થઇને સિદોન ગોળ ફરીને આવ્યા. 7 પછી તેઓ સૂરના મજબૂત કિલ્લામાં તથા હિવ્વીઓનાં ને કનાનીઓનાં સઘળાં નગરોમાં આવ્યાં; અને યહૂદાના દક્ષિણ ભાગમાં બેર-શેબા ગયા. 8 આમ, તેઓ આખા દેશમાં ફર્યા અને નવ મહિના ને વીસ દિવસ પછી તેઓ પાછા યરૂશાલેમ આવ્યા.
9 યોઆબે રાજાને દેશના લોકોની કુલ સંખ્યા રજૂ કરી; હથિયાર ચલાવી શકે તેવા માંણસો ઇસ્રાએલમાં 8,00,000 માંણસો અને યહૂદામાં 5,00,000 માંણસો હતાં.
યહોવા એ દાઉદને સજા કરી
10 દાઉદનું અંત:કરણ વસ્તી ગણતરી કરાવ્યા પછી ડંખવા લાગ્યું. તેણે યહોવાને કહ્યું, “મેં જે કર્યું છે તે ખોટું છે. કૃપા કરીને માંરી આ મૂર્ખતાભરી દુષ્ટતા બદલ મને ક્ષમાં કરો.”
11 પણ બીજે દિવસે જ્યારે દાઉદ ઊઠયો ત્યારે દાઉદના પ્રબોધક ગાદને યહોવા તરફથી આ સંદેશો મળ્યો હતો કે, 12 “દાઉદને જઈને કહે કે, ‘યહોવા આ પ્રમાંણે કહેવડાવે છે; હું તારી આગળ ત્રણ વાત મૂકું છું. તું ગમે તે એક પસંદ કર એટલે હું તે પ્રમાંણે કરીશ.’”
13 તેથી પ્રબોધક ગાદે દાઉદ પાસે જઈને કહ્યું, “તારા દેશમાં ત્રણ વરસ દુષ્કાળ પડશે, અથવા તારે ત્રણ મહિના સુધી દુશ્મનોથી ભાગતા ફરવું પડશે, અથવા તારા દેશમાં ત્રણ દિવસે રોગચાળો ફાટી નીકળે, તને શું પસંદ છે? હવે વિચાર કરીને મને કહે કે મને મોકલનાર દેવને માંરે શો જવાબ આપવો?”
14 દાઉદે ગાદને કહ્યું, “આ બાબતમાં નિર્ણય કરવો અતિ મુશ્કેલ છે. પરંતુ માંણસોના હાથમાં પડવું તેના કરતાં હું દેવના હાથમાં સોંપાવું પસંદ કરું છું કારણ કે તેઓ મહાદયાળુ છે.”
15 આથી યહોવાએ સમગ્ર ઇસ્રાએલમાં મરકીનો રોગ મોકલ્યો સવારથી તે ઠરાવેલા સમય સુધી; દાનથી બેર-શેબા સુધીમાં કુલ 70,000 માંણસો[a] મરણ પામ્યા. 16 ત્યારબાદ (દેવદૂત) સંદેશવાહકે યરૂશાલેમનો નાશ કરવા માંટે તે તરફ હાથ લંબાવ્યો, પણ યહોવાને જે ખરાબ બન્યું હતું તે માંટે દિલગીરી થઇ અને લોકોનો સંહાર કરતા દેવદૂતને કહ્યું, “બસ, બહું થયું તારો હાથ પાછો ખેંચી લે.” એ વખતે (દેવદૂત) સંદેશવાહક યબૂસી અરાવ્નાહના ખળા પાસે હતો.
દાઉદે અરાવ્નાહની ખળી ખરીદી
17 દાઉદે દૂતને લોકોનો સંહાર કરતા જોયો એટલે તેણે યહોવાને કહ્યું, “દોષ માંરો છે, પાપ મેં કર્યું છે, પણ આ ગરીબ લોકો, એમણે શું કર્યુ છે? સજા કરવી હોય તો મને અને માંરા કુટુંબને કરો.”
18 તે વખતે દિવસે ગાદે દાઉદની પાસે આવીને કહ્યું, “તું અરાવ્નાહની ખળીમાં જા અને યહોવાને માંટે તે જગ્યાએ એક વેદી બંધાવ.” 19 તેથી યહોવાની આજ્ઞાથી ગાદે આમ કહ્યું અને દાઉદ અરાવ્નાહહ ગયો. 20 અરાવ્નાહએ સામે જોયું તો તેણે રાજાને અને તેના અમલદારોને પોતાના તરફ આવતા જોયા, એટલે તે સામો આવ્યો અને ભૂમિ ઉપર લાંબો થઈને રાજાના પગમાં પડયો. 21 તેણે પૂછયું, “તમે માંરા રાજા, તમે તમાંરા સેવકને ત્યાં કેમ પધાર્યા છો?”
દાઉદે ઉત્તર આપ્યો, “હું તારી આ જમીન ખરીદવા માંટે આવ્યો છું. અહીં હું યહોવાને માંટે યજ્ઞની વેદી બનાવીશ, જેથી લોકોમાં ફેલાયેલો મરકીનો રોગચાળાનો અંત આવે.”
22 અરાવ્નાહે કહ્યું, “આપ તે લઈ લો, અને આપને યોગ્ય લાગે તે રીતે તેનો ઉપયોગ કરો. ને અર્પણ કરો. દહનાર્પણ માંટે આ બળદો તૈયાર છે અને વેદી પર અગ્નિ માંટે ખળીના ઓજારો તથા બળદ માંટેની લાકડાની ઝૂંસરીનો પણ તમે ઉપયોગ કરી શકો છો.” 23 અરાવ્નાહએ એ બધું રાજાને આપી દીધું અને કહ્યું, “આપના દેવ યહોવા આપના ઉપર પ્રસન્ન થાઓ!”
24 પણ રાજાએ કહ્યું, “ના, માંરે તને એના પૈસા આપવા જોઈએ. માંરા દેવ યહોવાને હું મફતનું દહનાર્પણ નહિ ધરાવું.”
આથી દાઉદે પચાસ ચાંદીના શેકેલ આપીને ખળી અને બળદ ખરીદી લીધાં. 25 અને ત્યાં દાઉદે દેવ માંટે યજ્ઞવેદી બાંધી અને તેના પર દહનાર્પણ અને શાંત્યર્પણ અર્પણ કર્યા ત્યારે યહોવાએ દેશ માંટેની તેની પ્રાર્થના સાંભળી, અને તેણે યજ્ઞમાં અર્પણ કર્યા પછી ઇસ્રાએલનાં લોકોની માંદગી ચાલી ગઇ અને બધું સારું થયું.
અમંગળ વસ્તીગણતરી
21 પછી શેતાન ઇસ્રાએલીઓ સામે લડવા તૈયાર થયો. તેણે દાઉદને વસ્તી ગણતરી કરવા ભડકાવ્યો. 2 આથી દાઉદે યોઆબને અને લશ્કરી વડા અધિકારીઓને કહ્યું, “જાઓ અને બેર-શેબાથી દાન સુધી સમગ્ર ઇસ્રાએલની વસ્તી ગણતરી કરો. અને પછી આવીને જણાવો કે, મારી પ્રજાની વસ્તી કેટલી છે.”
3 પરંતુ યોઆબે વાંધો લેતા જણાવ્યું, “યહોવા પ્રજાની વસ્તીને બમણી કરે તોયે, એ બધા આપ નામદારના સેવકો જ નથી? આપ શા માટે ઇસ્રાએલને દોષી ઠરાવવા ચાહો છો? અને તમે ઇસ્રાએલને અપરાધી શા માટે ઠેરવો છો?”
4 પરંતુ રાજાની આજ્ઞા આગળ યોઆબનું કાંઇ ચાલ્યુ નહિ. સમગ્ર ઇસ્રાએલ દેશમાં ફરીને તે યરૂશાલેમ પાછો ફર્યો. 5 યોઓબે વસતી ગણતરીના આંકડા દાઉદને આપ્યા; લશ્કરમાં જોડાઇ શકે, ને શસ્ત્ર ચલાવી શકે તેવા પુખ્ત માણસો ઇસ્રાએલમાં 11,00,000 અને યહૂદિયામાં તે 4,70,000 હતા. 6 યોઆબને રાજાની આજ્ઞા એટલી અણગમતી લાગી હતી કે તેણે લેવીની અને બિન્યામીનની ગણતરી જ કરી ન હતી. 7 આ બધી કાર્યવાહીથી દેવ નારાજ થયા અને તેથી તેણે ઇસ્રાયેલને શિક્ષા કરી.
ઇસ્રાએલને સજા કરતા દેવ
8 એટલે દાઉદે દેવને કહ્યું, “આમ કરવામાં મેં ઘોર પાપ કર્યું છે, પણ હવે આ સેવકનો દોષ કૃપા કરીને માફ કરો. આ કામ માટે મેં ઘોર અપરાધ કર્યો છે.”
9 તેથી યહોવાએ દાઉદના પ્રબોધક ગાદને કહ્યું, 10 “જા, અને દાઉદને કહે, ‘યહોવા આ મુજબ જણાવે છે: હું તારી સમક્ષ ત્રણ વસ્તુ રજૂ કરું છું. તું ગમે તે એક પસંદ કર, અને જે તું પસંદ કરે તે પ્રમાણે હું કરીશ.’”
11 ગાદ દાઉદ પાસે ગયો અને યહોવાએ જે કહ્યું, “તે જણાવ્યું. અને પૂછયું, ‘તું શું પસંદ કરે છે? 12 ત્રણ વરસનો દુકાળ પડે. અથવા ત્રણ મહિના સુધી દુશ્મનો તરવાર લઇને તારો પીછો પકડી તને હેરાન કરે, અથવા ત્રણ દિવસ સુધી યહોવાની તરવાર કામે લાગે, સમગ્ર દેશમાં રોગચાળો ફાટી નીકળે અને યહોવાનો દૂત આખા ઇસ્રાએલમાં વિનાશ કરતો ફરે.’ હવે તું વિચાર કરીને કહે, કે મને મોકલનાર માટે શો જવાબ આપવો.”
13 એટલે દાઉદે ગાદને કહ્યું, “હું ભારે મુશ્કેલીમાં આવી પડ્યો છું, પણ હું માણસોના હાથમાં પડવા કરતાં હું યહોવાના હાથમાં પડું એ વધારે સારું છે, કારણ, તે અનંત કૃપાળુ છે.”
14 આથી યહોવાએ ઇસ્રાએલમાં રોગચાળો મોકલ્યો અને 70,000 ઇસ્રાએલીઓ મૃત્યુ પામ્યા. 15 પછી દેવે યરૂશાલેમનો નાશ કરવા એક દેવદૂતને મોકલ્યો, પણ તે નાશ કરવાની અણી પર હતો ત્યારે યહોવાને દયા આવી અને તેણે કહ્યું, “બસ કર, બહુ થયું, હવે તારો હાથ પાછો ખેંચી લે.” એ વખતે યહોવાનો દૂત યબૂસીની ઓર્નાનની ખળી પાસે ઉભો હતો.
16 દાઉદે પર નજર કરીને જોયું તો યહોવાનો દૂત આકાશ અને પૃથ્વી વચ્ચે ઉઘાડી ખેંચેલી તરવાર લઇને યરૂશાલેમ તરફ પોતાના હાથ લંબાવી ઊભો હતો. કંતાન પહેરેલા દાઉદ અને વડીલોએ ભૂમિ પર લાંબા થઇને પ્રણામ કર્યા. 17 અને દાઉદે દેવને પ્રાર્થના કરી, “વસતી ગણતરીનો હુકમ આપીને મેં પાપ કર્યુ છે. આ ઘેટાઁઓએ શું કર્યું છે? હે યહોવા મારા દેવ, મારો અને મારા કુટુંબનો નાશ કરો, પણ તમારા લોકોનો નાશ ન કરો.”
18 ત્યારબાદ યહોવાના દૂતે ગાદને કહ્યું કે, “તું દાઉદને જઇને કહે કે, યબૂસી ઓર્નાનના ખળામાં યહોવાને પધ્રૂજવા એક વેદી બાંધે.” 19 યહોવાને નામે ગાદે જે કહ્યું હતું તે મુજબ દાઉદ ચાલી નીકળ્યો.
20 ઓર્નાને પાછું વળીને જોતાં દેવદૂતને જોયો. તેના પુત્રો નાસી ગયા અને છુપાઇ ગયા, પણ ઓર્નાન ઘઉં ઝૂડતો રહ્યો. 21 જ્યારે ઓર્નાને દાઉદને આવતો જોયો, ત્યારે તે ખળીમાંથી બહાર આવ્યો અને તેણે દાઉદને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.
22 દાઉદે તેને કહ્યું, “તું મને તારી ખળીની જગ્યા આપ જેથી હું યહોવાને માટે યજ્ઞવેદી બાંધુ. તો જ લોકોમાં ફેલાયેલો રોગચાળો બંધ થશે. હું તને એની પૂરેપૂરી કિંમત ચૂકવીશ.”
23 ઓર્નાને કહ્યું, “લઇ લો, અને આપ મુરબ્બીને જેમ ઠીક લાગે તેમ તેનું કરો. આ બળદોનું પણ દહનાર્પણ કરજો, આ ઝૂડવાના પાટિયા ઇંધણ તરીકે વાપરજો અને આ ઘઉંને ખાદ્યાર્પણ તરીકે ચઢાવજો. હું બધું જ આપને સોંપી દઉં છું.”
24 પણ રાજા દાઉદે ઓર્નાનને કહ્યું, “ના પૂરી કિંમતે હું તે ખરીદીશ. યહોવાને અર્પણ કરવા માટે તારું જે છે તે હું મફત લઇ શકું નહિ. જેની કિંમત મેં ચૂકવી નથી તેનું અર્પણ હું તેમને નહિ ચઢાવું.”
25 પછી દાઉદે ઓર્નાનને એ જમીનના માટે 15 પૌન્ડ સોનું આપ્યું. 26 અને ત્યાં યહોવાને માટે તેણે વેદી બાંધી અને તેના પર તેણે દહનાર્પણ કર્યુ. તેણે તેની પર શાઁત્યર્પણ કર્યુ અને યહોવાનું આવાહન કર્યું. વેદી પર અગ્નિ ઉતારીને યહોવાએ તેને જવાબ આપ્યો. 27 યહોવાએ દૂતને તરવાર મ્યાન કરવા કહ્યું અને દૂતે તે પ્રમાણે કર્યું.
28 જ્યારે દાઉદે જોયું કે ઓર્નાનના ખળીમાં યહોવાએ તેની પ્રાર્થનાનો જવાબ આપ્યો છે, ત્યારે તેણે ત્યાં યજ્ઞ અર્પ્યા. 29 એ વખતે મૂસાએ વગડામાં બનાવેલો યહોવાનો પવિત્ર મંડપ અને દહનાર્પણની વેદી હજી ગિબયોનના ઉચ્ચસ્થાન પર હતા. 30 પરંતુ યહોવાના દૂતની તરવારનો દાઉદને એટલો બધો ડર લાગતો હતો કે યહોવાને દર્શને પણ જઇ શકતો નહોતો.
22 પછી દાઉદે કહ્યું, “આ યહોવાનું મંદિર છે અને આ ઇસ્રાએલ માટેની દહાનાર્પણની વેદી છે.”
મંદિરના બાંધકામની તૈયારી
2 દાઉદે ઇસ્રાએલ રહેતા બધા વિદેશીઓને ભેગા કરવાનો હુકમ આપ્યો. અને તેમને દેવનું મંદિર બાંધવા માટે પથ્થરો ઘડવા સલાટ તરીકે કામે લગાડી દીધા. 3 તેણે બારણાં માટે ખીલા અને મિજાગરા બનાવવા પુષ્કળ લોઢું ભેગું કર્યુ અને જોખ્યું જોખાય નહિ એટલું કાંસુ, 4 અને પાર વગરનું દેવદારનું લાકડું પણ ભેગું કર્યું. સિદોન અને તૂરના લોકો દાઉદ માટે પુષ્કળ દેવદારનુ લાકડું લઇ આવ્યા હતા.
5 દાઉદે જણાવ્યું, “મારો પુત્ર સુલેમાન યુવાન અને બિનઅનુભવી છે. યહોવા માટે જે મંદિર બાંધવાનું છે તે ખૂબ ભવ્ય અને દેશવિદેશમાં વિખ્યાત થવું જોઇએ. એટલે તેના માટે બધો જ સામાન મારે જ ભેગો કરવો જોઇએ.” આથી તેણે પોતાના મૃત્યુ પહેલા બાંધકામની સર્વ સામગ્રી એકઠી કરી તૈયાર કરી નાખી.
6 પછી તેણે પોતાના પુત્ર સુલેમાનને બોલાવી, ઇસ્રાયેલના દેવ યહોવા માટે એક મંદિર બાંધવાની આજ્ઞા કરી. 7 તેણે કહ્યું, “પુત્ર મેં યહોવા દેવને માટે મંદિર બાંધવાનો નિશ્ચય કર્યો હતો. 8 પણ યહોવાએ મને કહ્યું, ‘તે મારા દેખતાં પુષ્કળ ખૂનરેજી કરી છે અને મોટાં યુદ્ધો કર્યા છે, એટલે તારે મારા માટે મંદિર બાંધવાનું નથી; 9 પણ તને એક પુત્ર થશે; તે શાંતિપૂર્વક રાજ્ય કરશે, કારણકે આસપાસના શત્રુ દેશો તરફથી હું તેને સુરક્ષિત બનાવીશ. તેને સુલેમાન નામ અપાશે અને તેના રાજ્યકાળ દરમ્યાન ઇસ્રાએલ શાંતિ અનુભવશે. 10 તે મારે માટે મંદિર બાંધશે. તે મારો પુત્ર થશે અને હું તેનો પિતા થઇશ, અને હું ઇસ્રાએલમાં તેનું શાસન કાયમ કરીશ.’
11 “હવે, પુત્ર સુલેમાન, ભલે તમારા દેવ યહોવા તને સહાય કરે અને તેણે કહ્યા પ્રમાણે એમનું મંદિર બાંધવામા તને સફળતા મળે તે માટે આશીર્વાદ આપે. 12 તારા દેવ યહોવા તને શાણપણ અને વિવેકબુદ્ધિ આપે જેથી તે તને ઇસ્રાયેલમાં રાજ્યસત્તા આપે ત્યારે તું એના નિયમ મુજબ રાજ્ય ચલાવે. 13 યહોવાએ ઇસ્રાયેલને માટે મૂસાને જે નિયમો અને કાનૂનો જણાવેલાં છે તેનું તું કાળજીપૂર્વક પાલન કરશે તો જ તું સફળ થશે. બળવાન થજે, મક્કમ રહેજે. હિંમત હારીશ નહિ કે ગભરાઇશ નહિ.
14 “મેં પુષ્કળ મહેનત કરીને યહોવાના મંદિર માટે 3,750 ટન સોનું, 37,500 ટન ચાંદી, અને જોખ્યું જોખાય નહિ તેટલું કાંસુ અને લોઢું એકઠાં કર્યા છે. લાકડાં અને પથ્થર પણ મેં ભેગા કર્યા છે, પણ તારે થોડા વધારે એકઠાં કરવા પડશે. 15 તારી પાસે પુષ્કળ કારીગરો છે, સલાટો, કડીયાઓ, સુથારો 16 અને સોનાચાંદીના અને કાંસાના તથા લોઢાના બધી જાતના કામમાં અસંખ્ય કારીગરો પણ છે. માટે હવે કામ શરૂ કરી દે અને યહોવા તને સહાય કરો.”
17 પછી દાઉદે ઇસ્રાએલના સર્વ આગેવાનોને આજ્ઞા કરી કે તેઓ તેના પુત્રને આ કાર્યમાં મદદ કરે. 18 વળી તેણે કહ્યું, “યહોવા તમારા દેવ તમારી સાથે છે. આસપાસની પ્રજાઓ સાથે તેમણે તમને શાંતિ આપી છે, કારણકે યહોવાના નામમાં અને તેમના લોકોને માટે મેં તેઓ પર જીત મેળવી છે. 19 આથી હવે પૂરા હૃદયથી યહોવા, તમારા દેવના હૂકમોને પાળો. ઊભા થાવ અને યહોવા આપણા દેવ માટે પવિત્રસ્થાન બનાવો. ટૂંક સમયમાં તમે યહોવાના કરારકોશને અને દેવના પવિત્ર વાસણોને મંદિરમાં લાવશો જે યહોવાને નામે સમર્પિત કરવામાં આવશે.”
મંદિરની પ્રતિષ્ઠા માટેનાં ગીતોમાંનુ. દાઉદનું ગીત.
1 હે યહોવા, હું તમારી સ્તુતિ કરીશ,
કારણ તમે મને મુશ્કેલીઓમાંથી બહાર કાઢયો છે.
તમે મારા શત્રુઓને વિજયનો આનંદ લેવા દીધો નથી.
2 હે યહોવા, મારા દેવ, મેં તમને અરજ કરી,
અને તમે મને સાજો કર્યો છે.
3 હે યહોવા, તમે મને શેઓલમાંથી પાછો કાઢી જીવતો રાખ્યો છે,
તમે મને કબરમાં પડવા દીધો નથી.
4 હે દેવના વિશ્વાસુ અનુયાયીઓ, તમે સૌ તેમની સ્તુતિ ગાઓ.
અને તેમના પવિત્ર નામની આભાર સ્તુતિ ગાઓ.
5 તેમનો કોપ તો કેવળ ક્ષણિક છે,
પણ તેમની કૃપા “જીવન” ભર માટે છે.
રૂદન ભલે આખી રાત રહે,
પણ સવારમાં હર્ષાનંદ થાય છે.
6 હું જ્યારે નિર્ભય અને સુરક્ષિત હતો, ત્યારે મેં કહ્યું હતું, “હું ડગીશ નહિ.”
હું સમજતો હતો કે આ સ્થિતિ સદાય રહેશે.
7 હે યહોવા, તમે મારા પર કૃપા કરી
મને પર્વતની જેમ સ્થિર બનાવ્યો છે,
પણ પછી મારાથી મુખ આડુ ફેરવીને
તમે મને ભયભીત કર્યો છે.
8 હે યહોવા, મેં તમને પોકાર કર્યો
અને મેં તમને વિનંતી કરી.
9 “હે યહોવા, હું મરી જઇશ તો
તમારું શું સારું થશે?
મારી કબરની ધૂળ
તમારી સ્તુતિ કરી શકશે?
શું તે તમારી વિશ્વસનીયતા વિષે કહી શકશે?
10 હે યહોવા, મારા પર દયા કરો,
મારી અરજીને સંભળો મને સહાય કરો.”
11 પછી તમે મારા દુ:ખનું સુખ કર્યુ, અને રૂદનને બદલે નૃત્યુ આપ્યું;
મારા શોકના વસ્ત્રો ઉતારી લીધા
અને મને ઉત્સાહથી ઢાંકી દીધો.
12 કબરમાં શાંત પડી રહેવાને બદલે, હું આનંદપૂર્વક યહોવાની સ્તુતિ કરીશ;
હે યહોવા, મારા દેવ, હું સદાય તમારી આભારસ્તુતિ કરીશ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International