Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
યશાયા 40-43

દિલાસાના શબ્દો

40 તમારા દેવની આ વાણી છે:
    “દિલાસો, હા, મારા લોકોને દિલાસો આપો.
યરૂશાલેમ, સાથે સૌમ્યતાથી વાત કરો,
    તેને જણાવો કે તેના દુ:ખના દહાડા પૂરા થયા છે,
    તેના પાપનું પ્રાયશ્ચિત પૂરું થયું છે,
તેણે યહોવાના હાથે તેના બધા દોષોની
    બમણી સજા મેળવી છે.”
કોઇનો સાદ સંભળાય છે:
“મરુભૂમિમાં યહોવાને માટે રસ્તો તૈયાર કરો;
    આપણા દેવને માટે રણમાં સીધો અને સપાટ રાજમાર્ગ બનાવો.
બધી ખીણોને પૂરી દો અને બધા પર્વતો
    અને ડુંગરોને સપાટ બનાવી દો.
ખરબચડી જમીનને સરખી બનાવી દો.
    અને ખાડા-ટેકરાને સપાટ મેદાન બનાવી દો.
પછી યહોવાનો મહિમા પ્રગટ થશે
    અને સમગ્ર માનવજાત તે જોવા પામશે.
આ યહોવાના મુખના વચન છે.”

એક અવાજ કહે છે, “સાદ પાડ.”
    હું પૂછું છું, “શો સાદ પાડું?”
જવાબ મળે છે, “સર્વ મનુષ્ય ઘાસ જ છે,
    ને તેમનું સર્વ સૌઁદર્ય ખેતરના ફૂલ જેવું છે:
દેવના શ્વાસથી ઘાસ ચીમળાઇ જાય છે
    અને ફૂલો કરમાઇ જાય છે;
    નાશવંત માનવી પણ તેના જેવો જ છે.
ઘાસના તણખલાં વચન સૂકાઇ જાય છે, ફૂલો કરમાઇ જાય છે,
    પણ આપણા દેવનું વચન સદાકાળ સુધી કાયમ રહે છે.”

તારણ: દેવના શુભ સમાચાર

હે સિયોનને માટે શુભ સમાચાર લાવનારા!
    તું પર્વતની ટોચે ચઢી જા, મોટા સાદે પોકાર કર!
હે યરૂશાલેમ માટે શુભ સમાચાર લાવનારા લોકો,
    તમારાં અવાજ ઊંચા કરો, ગભરાશો નહિ,
યહૂદીયાના નગરોને કહો,
    “આ તમારા દેવ છે!”
10 જુઓ, મારા માલિક યહોવા તેમના પૂરા સાર્મથ્ય સહિત પધારે છે,
    તે પોતાના મજબૂત હાથથી દરેકને પોતાના શરણે આવવા માટે દબાણ કરે છે.
તે તેની પ્રજાને વળતર તરીકે પોતાની સાથે લાવે છે,
    અને આ પ્રજા જે તેના કામનો બદલો છે, તેઓ તેની આગળ ચાલે છે.
11 તે ગોવાળની જેમ પોતાના ટોળાંનું પાલન કરે છે;
    તે પોતાના હાથમાં હલવાનોને ઊંચકી લેશે
    અને વિયાએલી ઘેટીઓને હળવે હળવે દોરી જશે.

દેવે દુનિયા બનાવી તે તેનો શાસનકર્તા છે

12 સમુદ્રના જળને ખોબામાં લઇને કોણે માપ્યાં છે
    અને આકાશને કોણે પોતાના વેંતથી માપ્યું છે?
સમગ્ર પૃથ્વીનું તથા પર્વતો
    અને ટેકરીઓનું વજન ત્રાજવાના પલ્લામાં કોણે તોળ્યુ છે?
13 યહોવાના આત્માનો તાગ કોણે મેળવ્યો છે?
    કોણે તેમને સલાહ આપી છે?
14 કોણ તેમને શીખવી શકે કે સલાહ આપી શકે?
    શું તેમને કોઇ વ્યકિત સલાહ આપે તે ઉચિત છે?
શું યોગ્ય છે અને શ્રેષ્ઠ શું છે
    તે જાણવા કોઇના સૂચનની શું તેમને જરૂર છે?
15 અરે, એમને મન પ્રજાઓ તો ડોલમાંથી ટપકતાં પાણીના ટીપા સમાન છે,
    ત્રાજવાને ચોંટેલી રજ બરાબર છે.
    ટાપુઓ ધૂળના કણ જેવા હલકા છે.
16 આખો લબાનોન પર્વત એના યજ્ઞ માટે
    પૂરતાં લાકડાં કે હોમવા માટે
    પુરતાં પશુઓ પૂરાં પાડી શકે એમ નથી.
17 તેમની આગળ બધી પ્રજાઓ કશી વિસાતમાં નથી,
    તેમને મન એ બધી નહિવત, શૂન્યવત છે.

દેવ શું છે લોકો કલ્પના પણ નથી કરી શકતા

18 તો તમે દેવની તુલના શાની સાથે કરશો?
    તમે તેમનું વર્ણન કઇ રીતે કરી શકશો?
19 શું મૂર્તિની સાથે?
    મૂર્તિને તો કારીગર ઢાળે છે,
સોની સોનાના પતરાથી મઢે છે
    અને રૂપાના હાર ચઢાવે છે.
20 નિર્ધન માણસ તેના અર્પણ તરીકે
    લાકડું પસંદ કરે છે તે સડતું નથી,
પછી તે કુશળ કારીગર પાસે એવી મૂર્તિ બનાવડાવે છે
    જે પોતાની જગાએથી પડે નહિ કે હાલી પણ શકે નહીં.
21 શું તમે અજ્ઞાત છો?
    તમે સાંભળ્યું નથી?
    તમને અગાઉથી કહ્યું નહોતું?
    પૃથ્વીનો પાયો કોણે નાખ્યો એ તમને ખબર નથી?
22 તે તો સૃષ્ટિના નભોમંડળ પર બિરાજમાન એવા દેવ છે.
    એની નજરમાં તો પૃથ્વી પરના લોકો ક્ષુદ્ર કીડી જેવા છે!
તેમણે આકાશને ચંદરવાની જેમ ફેલાવ્યું છે,
    અને પોતાનું નિવાસસ્થાન બનાવ્યું છે.
23 તે જગતનો ન્યાય કરે છે, તે પૃથ્વીના અધિપતિઓને વિસાત વિનાના કરી દે છે
    અને જગતના રાજકર્તાઓને શૂન્યમાં મેળવી દે છે.
24 હજી હમણાંજ માંડ રોપાયા હોય.
    માંડ વવાયા હોય.
માંડ તેમણે ધરતીમાં મૂળ નાખ્યાં હોય,
    ત્યાં તો તેમના પર તેઓ ફૂંક મારે છે અને તેઓ કરમાઇ જાય છે;
    વાવાઝોડું આવી તેમને તરણાંની જેમ ઘસડી જાય છે.
25 વળી પવિત્ર યહોવા પૂછે છે, “તમે મારી સરખામણી કોની સાથે કરશો?
    મારી બરોબરી કોણ કરી શકે છે?”

26 આકાશ તરફ ષ્ટિ કરો અને વિચારો કે
    એ બધાં ગ્રહ નક્ષત્રોને કોણે સર્જ્યા છે?
જે તેમને લશ્કરની જેમ ગણી ગણીને લઇ આવે છે
    અને એ બધાંને નામ દઇને બોલાવે છે તેનું સાર્મથ્ય એટલું પ્રચંડ છે,
તેની શકિત એટલી પ્રબળ છે કે
    તેમાંનું કોઇ પણ હાજર થયા વગર રહેતું નથી.

27 તો પછી હે યાકૂબ તું શા માટે ફરિયાદ કરે છે,
    હે ઇસ્રાએલ! તું શા માટે કહે છે કે,
“મારા માર્ગની યહોવાને ખબર નથી,
    હું ન્યાય માગું છું તેના પર એ ધ્યાન આપતા નથી?”

28 શું તમે હજુ પણ સમજતાં નથી?
    હજુ પણ તમે એ જાણી શક્યા નથી કે
યહોવા તે સનાતન દેવ છે,
    તે આ વિશાળ વિશ્વના સર્જનહાર છે,
એ કદી થાકતા નથી કે હારતા નથી;
    તેના જ્ઞાનનો તાગ કોઇ પામી શકે તેમ નથી.
29 તે થાકેલા તથા નિર્ગત થયેલાંને પુષ્કળ જોર
    અને નિર્બળને બળ આપે છે.
30 તરુણો કદાચ થાકીને હારી જાય,
    ભરયુવાનીમાં આવેલા પણ લથડીને પટકાઇ પડે,
31 પરંતુ યહોવા પર વિશ્વાસ રાખનારાઓને નવું બળ મળી રહે છે.
    તેઓ ગરૂડના જેવી પાંખો ઉપર ઊડે છે;
તેઓ દોડે છે પણ થાકતા નથી, તેઓ આગળ ને આગળ ધપતા રહે છે,
    કદી હારતા નથી કે નથી નિર્ગત થતા.

ઇસ્રાએલને દેવની સહાય

41 યહોવા પૂછે છે,
“સમુદ્રની પેલે પારના દેશો,
    મારી આગળ મૌન જાળવો, સાંભળો,
તમારી સબળ દલીલો રજૂ કરો, સજ્જ થાઓ,
    મારી પાસે આવો અને બોલો,
    અદાલત તમારા પ્રશ્ર્ન માટે તૈયાર છે.
પૂર્વમાંથી આ વ્યકિતને કોણે ઊભી કરી છે,
    જેને પગલે પગલે વિજય મળે છે?
તેને ઊભો કરનાર બીજો કોઇ નહિ પણ યહોવા પોતે જ છે.
    એમની તરવારથી તેઓ રજકણની જેમ વેરાઇ જાય છે.
    અને એનાં ધનુષ્યથી તેઓ તરણાંની જેમ ઊડી જાય છે.
તે તેઓને પીછો પકડે છે;
    અને રોકાયા વગર આગળ વધે છે
    એના પગ ધરતીને તો અડતા સુદ્ધાં નથી.
આરંભથી આ બધું કરાવનાર કોણ છે?
    અનાદિકાળથી માનવજાતના સર્વ વ્યવહારને માર્ગદર્શન આપીને
    આ સર્વ પરાક્રમી કાર્યો કરનાર કોણ છે?
એ હું યહોવા છું,
    હું પહેલો હતો
    અને છેલ્લો પણ હું જ છું.
સમુદ્રની પેલે પાર દૂર દેશાવરના લોકો
    મારા કાર્યો જોઇને ભયભીત થઇ ગયા,
પૃથ્વી એક છેડાથી બીજા છેડા સુધી ધૂજી ઊઠી.
    બધા ભેગા થઇને આવ્યા.

“દરેક જણે પોતાના પડોશીને મદદ કરી અને પોતાના ભાઇઓને ઉત્તેજન આપ્યું. સુથાર સોનીને ઉત્તેજન આપે છે, હથોડીથી મૂર્તિને લીસી બનાવનાર એરણ પર ઘણ મારનારને ઉત્તેજન આપે છે, તેઓએ કહ્યું, ‘સાંધો મજબૂત થયો છે.’ તે ખીલા સાથે મૂર્તિને એવી જડે છે કે પડી ન જાય.”

યહોવા જ આપણને બચાવી શકે છે

“પણ ઇસ્રાએલ, તું તો મારો સેવક છે,
    યાકૂબ, મેં તને પસંદ કર્યો છે,
    તું મારા મિત્ર ઇબ્રાહિમના કુળનો છે.
મેં તને ધરતીને છેડેથી ઉપાડી લીધો છે,
    અને દૂર દૂરના ખૂણેથી
તને બોલાવ્યો છે.
    મેં તને મારો સેવક કહ્યો છે,
‘મેં તને પસંદ કર્યો છે,’
    તારો ત્યાગ કર્યો નથી.
10 તું ગભરાઇશ નહિ, કારણ કે હું તારી સાથે જ છું.
    તું નાહિંમત થઇશ નહિ, હું તારો દેવ છું,
હું તને બળ આપીશ, તને મદદ કરીશ;
    હું મારા વિજયવંત જમણા બાહુ વડે તને ટેકો આપીશ.
11 હવે તમારા પર ગુસ્સે થનારાં સર્વ સૈન્યો વિમાસણમાં પડ્યા છે
    અને વિખેરાઇ ગયા છે.
    જે કોઇ તમારો વિરોધ કરશે તે મૃત્યુ પામશે.
12 તમારી સાથે યુદ્ધે ચડનારા સૌ કોઇ નાશ પામશે,
    અને શૂન્યમાં મળી જશે.
તેઓની શોધ કરશો તો પણ તેઓ તમને જડશે નહિ;
    કોઇનું નામનિશાન નહિ રહે.
13 હું તારો દેવ યહોવા તારો જમણો હાથ પકડું છું અને કહું છું,
    ડરીશ નહિ, હું તારી મદદમાં છું.
14 હે ઇસ્રાએલ, તું જેમ નબળો થઇ ગયો છે,
    છતાં તું ગભરાઇશ નહિ,
    કારણ કે હું તને મદદ કરીશ.”

હું તમારો યહોવા, તમારો તારક છું;
    હું ઇસ્રાએલનો પવિત્ર દેવ છું.
15 “જો હું તને દાણાંના ફોતરાં છૂટાં પાડવાનાં
    તીક્ષ્ણ દાંતાવાળા નવા સાધનમાં ફેરવી નાખીશ,
    તું પર્વતોને અને ટેકરીઓને રોળીને ભૂકો કરી નાખશે.
16 તું તેઓને ઊપણશે; વાયુ તેઓ સર્વને ઉડાડી મૂકશે
    અને વાવાઝોડું તેઓને વિખેરી નાખશે.
પરંતુ તું યહોવાના આનંદથી ભરપૂર થશે;
    ઇસ્રાએલના પવિત્ર દેવનાં પ્રતાપે તું આનંદ અને ગૌરવ અનુભવીશ.

17 “દુ:ખી અને દરિદ્રીઓ પાણી શોધશે,
    પણ મળશે નહિ,
    તેઓની જીભો તરસથી સુકાઇ જશે.
ત્યારે તેઓ મને પોકાર કરશે અને હું તેમનો પોકાર સાંભળીશ;
    હું ઇસ્રાએલનો દેવ, તેમનો ત્યાગ નહિ કરું.
18 હું તેઓને માટે ઉજ્જડ ડુંગરોમાં નદીઓ વહેવડાવીશ
    અને ખીણોની વચ્ચે ઝરણાં આપીશ!
અરણ્યમાં પાણીના સરોવરો થશે
    અને સૂકી ધરતીમાં ઝરા વહેવા માંડશે.
19 હું અરણ્યમાં દેવદાર ઉગાડીશ; બાવળ, મેંદી અને જૈતૂન ઉગાડીશ.
    વળી હું રણ પ્રદેશમાં ભદ્રાક્ષો, સરળ અને સરુના ઝાડ ભેગાં ઉગાડીશ.
20 પ્રત્યેક વ્યકિત આ ચમત્કાર જોશે
    અને કબૂલ કરશે કે,
ઇસ્રાએલના પવિત્ર દેવે
    એને ઉત્પન્નકર્યુ છે.”

યહોવાની ખોટા દેવોને ચેતવણી

21 યહોવા, યાકૂબના મહાન રાજા કહે છે, “તમારા કિસ્સાની રજૂઆત કરો! તમારો ઉત્તમ બચાવ રજૂ કરો! 22 તમારી મૂર્તિઓ બહાર લઇ આવો અને તેમને કહેવા દો કે ભવિષ્યમાં શું બનવાનું છે, ભૂતકાળના બનાવોનો અર્થ સમજાવો, જેથી અમે તેનો વિચાર કરી શકીએ. 23 હા, જો તમે દેવ હો તો આવનાર દિવસોમાં શું બનવાનું છે તે કહો! અથવા કંઇક એવું કરીને અમારા પર પ્રભાવ પાડો જે ઉપયોગી હોય અથવા નુકશાનકારક હોય.

24 “પણ ના, તમારી કશી વિસાત જ નથી! તમે શું ધૂળ કરવાના હતાં! જે તમને પૂજે છે તે પણ તમારા જેવો જ કેવળ ધિક્કારપાત્ર છે!”

ફકત યહોવા જ દેવ છે

25 “હું એક જણને ઉત્તરમાંથી બોલાવી લાવ્યો
    અને તે આવ્યો;
    પૂર્વમાંથી તે મારા નામે બોલાવે છે,
અને કોઇ કુંભાર માટીનો ઢગલો ખૂંદતો હોય એમ
    તે રાજકર્તાઓને ખૂંદતો આવશે.”

26 “મારા સિવાય તમને કોણે કહ્યું હતું કે આ પ્રમાણે થશે?
    બીજા કોણે અગાઉથી કહ્યું હતું કે આમ થવાનું છે
જેથી આપણે એમ કહી શકીએ કે તેઓ સાચા હતાં?
    કોઇએ તેમ કહ્યું નહોતું!
    તેઓએ તો આના વિષે સાંભળ્યું પણ નહોતું!
27 મેં યહોવાએ જ સિયોનને શુભસમાચાર મોકલ્યા હતા કે,
    ‘જુઓ! જુઓ! હું યરૂશાલેમને વધામણી કહેનાર મોકલી આપીશ.’”

28 પણ જ્યારે તમારી મૂર્તિઓ વચ્ચે જોયું,
    ત્યાં કોઇ સલાહકાર નથી,
    કોઇપણ નહિ જે હું જ્યારે સવાલ પૂછું ત્યારે જવાબ આપી શકે.
મેં પ્રશ્ર્ન કર્યો ત્યારે તેમના એક
    પણ દેવે પ્રત્યુત્તર આપ્યો નહિ.
29 તેઓ સર્વ સાચે જ વ્યર્થ છે; જુઓ, એ દેવો કેવા નકામા છે!
    એમનાં કામોમાં કોઇ ભલીવાર નથી;
    તેમની મૂર્તિઓ તો ખાલી હવા છે.

યહોવાનો સેવક

42 યહોવા કહે છે, “જુઓ, આ મારો સેવક છે,
    જેનો મેં હાથ જાલ્યો છે,
એ મારો પસંદ કરેલો છે,
    જેના પર હું પ્રસન્ન છું,
એનામાં મેં મારા આત્માનો સંચાર કર્યો છે,
    અને તે જગતના સર્વ લોકોમાં ન્યાયની આણ વર્તાવશે.
તે પોતાનો સાદ ઊંચો કરશે નહિ,
    અને શેરીઓમાં ચોરેચૌટે ઝઘડા કરી
    બૂમરાણ મચાવશે નહિ.
તે ઊઝરડાયેલા બરુને ભાંગી નાખે નહિ
    કે મંદ પડેલી વાટને હોલાવી નાખે નહિ,
    તે નિષ્ઠાપૂર્વક ન્યાયની આણ વર્તાવશે.
તે નબળો નહિ પડે કે હારશે નહિ,
    જ્યાં સુધી સમગ્ર પૃથ્વી ઉપર ન્યાયીપણું સ્થપાશે નહિ
    અને જ્યાં સુધી કિનારાના દેશો તેના કાયદાની પ્રતિક્ષા કરશે.”

યહોવા સૃષ્ટિનો શાસનકર્તા અને સર્જનહાર છે

જે યહોવા દેવે આકાશોને ઉત્પન્ન કરીને ફેલાવ્યા છે, પૃથ્વી તથા તેમાંની વનસ્પતિથી ધરતીને વિસ્તારી છે અને એના ઉપર હરતાંફરતાં સર્વમાં શ્વાસ અને પ્રાણ પૂર્યા છે તે દેવ યહોવાની આ વાણી છે.

“હું યહોવા છું, તારો હાથ હું પકડી રાખીશ,
    હું તારું રક્ષણ કરીશ અને મદદ કરીશ,
કારણ કે મારા લોકોની સાથે કરેલા મારા કરારને અંગત સમર્થન આપવા મેં તને તેઓ પાસે મોકલ્યો છે.
    લોકોને મારી તરફ દોરી લાવનાર પ્રકાશ પણ તું જ થશે.
તારે અંધજનોની આંખો ઉઘાડવાની છે.
    અને અંધકારમાં સબડતાં કેદીઓને
    કારાગારમાંથી બહાર કાઢવાના છે.

“હું યહોવા છું,
    એ જ મારું નામ છે,
હું મારો મહિમા બીજા જૂઠા
    દેવોને નહિ લેવા દઉં,
તેમ મારી સ્તુતિ હું કંડારેલી
    મૂર્તિઓને નહિ લેવા દઉં.
મેં આપેલી દરેક ભવિષ્યવાણી સત્ય પૂરવાર થઇ છે
    અને હું ફરીથી નવી ઘટનાઓની ભવિષ્યવાણી ભાખું છું.
તે ઘટનાઓ ભવિષ્યમાં બને તે પહેલાં
    હું તે તમને જણાવું છું.”

દેવની સ્તુતિ

10 યહોવા સમક્ષ નવું ગીત ગાઓ:
    સમગ્ર પૃથ્વી તેના સ્તુતિગાનથી ગાજી ઊઠો!
હે સાગરખેડુઓ અને સાગરના સૌ જીવો,
    હે દરિયા કિનારાના પ્રદેશના રહેવાસીઓ,
    તેની સ્તુતિ ગાઓ!
11 અરણ્યના નગરો, હે કેદારવંશી રણવાસીઓ
    અને સેલાના રહેવાસીઓ,
આનંદથી પોકારી ઊઠો!
    પર્વતો પરથી હર્ષનાદ કરો!
12 પશ્ચિમના દરિયાકાંઠે રહેનારા લોકો, તમે યહોવાનો મહિમા કરો.
    સૌ તેમના પરાક્રમી સાર્મથ્યનાં ગીત ગાઓ.
13 યહોવા શૂરવીરની જેમ યુદ્ધને ઝનૂને ચડીને ધસી જાય છે;
    તે ગર્જના કરે છે,
યુદ્ધનાદ જગાવે છે
    અને પોતાના દુશ્મનોને પોતાનું પરાક્રમ બતાવશે.

દેવ સહનશીલતા રાખે છે

14 યહોવા કહે છે, “લાંબા વખત સુધી હું શાંત રહ્યો છું,
    મેં મૌન જાળવ્યું છે અને હું ગમ ખાઇ ગયો છું,
હવે હું પ્રસવ વેદનાથી પીડાતી સ્રીની જેમ બૂમો પાડી ઊઠીશ;
    હું ઊંડા શ્વાસ લઇશ.
15 હું પર્વતો અને ડુંગરોને ભોંયભેગા કરી નાખીશ,
    તેમની બધી લીલોતરીને ચિમળાવી દઇશ;
હું નદીઓનાં ભાઠાં બનાવી દઇશ
    અને તળાવોને સૂકવી નાખીશ.
16 પછી હું આંધળાઓને દોરીશ,
    એવા રસ્તે ચલાવીશ જેની તમને ખબર નથી.
તેમની આગળ હું અંધકારને પ્રકાશમાં ફેરવી નાખીશ.
    અને ખરબચડા રસ્તાને સીધા બનાવી દઇશ.
આ બધું હું કરીશ.
    અને કશું બાકી નહિ રાખું.
17 પરંતુ જેઓ મૂર્તિઓમાં વિશ્વાસ રાખે છે
    અને તેઓને દેવ તરીકે માને છે,
તેઓ મોટી નિરાશામાં આવી પડશે.
    તેઓને હાંકી કાઢવામાં આવશે.”

ઇસ્રાએલે દેવનું ના સાંભળ્યું

18 યહોવા કહે છે, “હે બહેરા માણસો,
    સાંભળો! હે આંધળા માણસો, જુઓ!
19 મારા સેવક જેવું આંધળું કોણ છે?
    મારા સંદેશવાહક જેવું બહેરું કોણ છે?
મારા નક્કી કરેલા
    એક યહોવાના સેવક જેવું આંધળું કોણ છે?
20 તે જુએ છે ઘણું પણ,
    કંઇ યાદ રાખતો નથી;
તેના કાન ખુલ્લા છે,
    પણ તે કંઇ સાંભળતો નથી.”
21 યહોવાએ પોતાના નિયમ શાસ્ત્રને મહાન અને સાચે જ મહિમાવંત બનાવ્યા છે.
    પોતે ન્યાયી છે તે આખા જગતને દર્શાવવા તેમણે તેનું આયોજન કર્યુ છે.
22 તેમ છતાં એ પ્રજા
    એવી નીકળી કે લૂંટાઇ ગઇ,
એનું બધું હરાઇ ગયું;
    એ બધા ફસાઇ ગયા છે
અને કારાગારમાં પૂરાયા છે,
    તેમને છોડાવનાર કોઇ નથી,
તેઓ લૂંટાઇ ગયા છે
    “છતાં પાછું આપો” કહેનાર પણ કોઇ નથી.

23 તમારામાંથી કોઇ મારી વાત ધ્યાનથી સાંભળે એમ છે? કોણે ઇસ્રાએલીઓને લૂંટારાઓને સોંપી દીધા! શું એ યહોવા નહોતા? તેમણે યહોવાનો ગુનો કર્યો હતો, તેઓ તેમના માર્ગે જવા માગતા નહોતા, તેના નિયમોનું પાલન કરવાની ના પાડતા હતા. 24 કોણે યાકૂબને લૂંટારાઓને સુપ્રત કર્યો છે, તથા ઇસ્રાએલને લૂંટનારાઓને સ્વાધીન કર્યો છે? જે યહોવાની વિરુદ્ધ આપણે પાપ કર્યુ છે તેમણે શું એમ કર્યુ નથી? તે લોકો તેમના માર્ગે ચાલવા રાજી નહોતા. તેથી તેમણે તેમના નિયમશાસ્ત્રને પણ ધ્યાનમાં લીધા નહિ, 25 માટે તેમણે એમના ઉપર પોતાનો ક્રોધાગ્નિ વરસાવ્યો અને યુદ્ધની આફત ઉતારી, તેઓ અગ્નિની જવાળાઓથી ઘેરાઇ ગયા હતા છતાં સમજ્યા નહિ, દાઝયા હતા છતાં ચેત્યા નહીઁ અને બળી મર્યા.

યહોવાનું અભયદાન

43 પણ હવે, હે યાકૂબ તારો સર્જનહાર અને ઇસ્રાએલના ઘડવૈયા યહોવા તને કહે છે, “ડરીશ નહિ, હું તારો ઉદ્ધાર કરીશ, મેં તને તારું નામ દઇને બોલાવ્યો છે અને તું મારો પોતાનો છે. જ્યારે તું અગાધ જળમાં થઇને પસાર થતો હશે, ત્યારે હું તારી સાથે રહીશ, તું નદીમાં થઇને જતો હશે, ત્યારે તેના વહેણ તને તાણી નહિ લઇ જાય, અગ્નિમાં થઇને તું ચાલશે તો તું દાઝી નહિ જાય; જવાળાઓ તને બાળશે નહિ. કારણ કે હું યહોવા તારો દેવ છું, હું ઇસ્રાએલનો પવિત્ર યહોવા છું, હું ઇસ્રાએલનો પવિત્ર યહોવા તારો ઉદ્ધારક છું, તારી મુકિતના બદલામાં મેં મિસર આપ્યો છે, તારે બદલે કૂશ તથા સબા આપ્યાં છે. મેં તારે માટે થઇને બીજા બધાં લોકોને વિનિયોગ કર્યો છે, કારણ કે મારી ષ્ટિમાં તું મૂલ્યવાન અને સન્માનપાત્ર છે, મેં તારા પર પ્રીતિ કરી છે.

“તું ડરીશ નહિ, હું તારી સાથે છું. હું તારા લોકોને પૂર્વમાંથી અને પશ્ચિમમાંથી લઇ આવી ઘરભેગા કરીશ. હું ઉત્તરને કહીશ, તેમને જવા દે અને દક્ષિણને કહીશ, તેમને રોકતો નહિ. મારા પુત્ર-પુત્રીઓને દૂર દૂરથી ઠેઠ ધરતીને છેડેથી પાછા લાવો. એ બધાં મારે નામે ઓળખાય છે, એમને બધાંને મેં મારો મહિમા ગાવા માટે સર્જ્યા છે, ઘડ્યા છે, નિર્માણ કર્યા છે.”

યહોવા કહે છે, “આ પ્રજા, જે આંખો હોવા છતાં દેખતી નથી, કાનો હોવા છતાં સાંભળતી નથી, તેને સામે લાવો. બધી પ્રજાઓ ભેગી થઇ જાઓ. તેમના દેવોમાંથી આ બધું પહેલેથી કહ્યું હતું, અથવા જે ઘટનાઓ બની ચૂકી છે તેની આગાહી કરી હતી! તેઓ પોતાનો દાવો પૂરવાર કરવા સાક્ષીઓ રજૂ કરે છે, જેઓ એમની વાત સાંભળીને કહે કે, આ સત્ય છે.”

10 યહોવા કહે છે, “તું મારો સાક્ષી છે, તું મારો સેવક છે, હું જેને મેં પસંદ કર્યો છે, જેથી તું જાણી શકે અને મારા પર વિશ્વાસ મૂકી શકે અને સમજી શકે કે ફકત હું જ દેવ છું. 11 હું, હું જ યહોવા છું; અને મારા સિવાય કોઇ તમારો ઉદ્ધાર કરી શકે તેમ નથી; 12 આગાહી કરનાર હું જ છું, ઉદ્ધારક હું જ છું, નહિ કે તમારામાંનો કોઇ વિધર્મી દેવ, તમે મારા સાક્ષી છો અને હું જ દેવ છું” યહોવા કહે છે, 13 “હું જ દેવ છું, છેક સૃષ્ટિના સર્જન પહેલાના કાળથી હું જ દેવ છું. મારા હાથમાંથી કોઇ છોડાવી શકે તેમ નથી; હું જે કાઇઁ કરું છું તેને કોઇ રોકી શકતું નથી.”

14 યહોવા, તમારો તારક, ઇસ્રાએલનો પવિત્ર દેવ કહે છે: “તમારી માટે હું બાબિલ સામે લશ્કર મોકલીશ, તેના કારાવાસના સળિયાઓને હું ભોય પર ઢાળી દઇશ અને તેમનો વિજયનાદ આક્રંદમાં ફેરવાઇ જશે. 15 હું યહોવા છું, તમારો પરમપવિત્ર દેવ છું, ઇસ્રાએલનો સર્જનહાર અને તમારો રાજા છું.”

યહોવા ફરી પોતાના લોકોને બચાવશે

16 ભૂતકાળમાં યહોવાએ સમુદ્રમાં થઇને માર્ગ કર્યો હતો, ધસમસતા જળમાં રસ્તો કર્યો હતો; 17 “તે રથને અને ઘોડાને, અને સમગ્ર યોદ્ધાઓના સૈન્યને બહાર દોરી ગયો. બધાજ ઢળી પડ્યા, પાછા બેઠા થવા પામ્યા નહિ, તેઓ સૌ ઓલવાઇ ગયા, તેઓ વાટની જેમ ઓલવાઇ ગયા. 18 પરંતુ હવે તે સર્વ ભૂતકાળનું સ્મરણ કરવાની જરૂર નથી. પહેલાં મેં જે કર્યુ હતું તેનો વિચાર ન કરો. 19 કારણ કે હું એક નવું કામ કરવાનો છું. જુઓ, મેં તેમની શરૂઆત કરી દીધી છે! શું તમે જોઇ શકતા નથી? મારા લોકો માટે અરણ્યમાં હું માર્ગ તૈયાર કરીશ અને રાનમાં તેઓને માટે નદીઓ ઉત્પન્ન કરીશ! 20 જંગલી પ્રાણીઓ, વરુઓ અને શાહમૃગો સુદ્ધાં મને માન આપશે, કારણ, હું મરુભૂમિમાં પાણી પૂરું પાડીશ. સૂકા રણમાં નદીઓ વહેવડાવીશ, જેથી મારા પસંદ કરેલા લોકો પાણી પીવા પામે. 21 એ લોકોને મેં મારે માટે બનાવ્યા છે, તેથી તેઓ મારી સ્તુતિ જાહેર કરશે.”

22 યહોવા કહે છે, “હે ઇસ્રાએલીઓ, તમે મને વિનંતી કરતાં નથી, તમે તો મારાથી કંટાળી ગયા છો! 23 તમે મને દહનાર્પણ તરીકે ઘેટાંને અર્પણ કર્યા નથી; તમે યજ્ઞોથી મારો આદર કર્યો નથી. મેં કંઇ બહુ ભારરુંપ યજ્ઞો માગ્યા નહોતા કે તમને મારા માટે ધૂપ પેટાવવા માટે દબાણ કર્યું નહોતું. 24 તમે કઇં મારે માટે ધૂપસળી પાછળ પૈસા ર્ખચ્યા નથી કે મને બલિદાનોની ચરબીથી તૃપ્ત કર્યો, તમે તો કેવળ પાપ અર્પણ કર્યા છે, અને તમારા એ અન્યાયોથી હું થાકી ગયો છું.

25 “હા, હું એ જ છું, હું એકલો જ મારા પોતાના નામની માટે તમારાં સર્વ પાપ ભૂંસી નાખું છું અને ફરીથી કદી હું તેનું સ્મરણ કરતો નથી. 26 ઓ ઇસ્રાએલીઓ, આપણે સાથે ન્યાયાલયમાં જઇએ, મારા પરનો તમારો આરોપ રજૂ કરો, તમારી દલીલો રજૂ કરીને તમારી નિર્દોષતા સાબિત કરો. 27 તમારા આદી પુરુષે મારી વિરુદ્ધ પાપ કર્યુ હતું. તમારા પ્રબોધકો અને યાજકોએ મારી સામે બળવો કર્યો હતો, 28 આ કારણે જ મેં તમારા અભિષિકત સરદારોને ષ્ટ કર્યા છે, ને યાકૂબ શાપરૂપ તથા ઇસ્રાએલને નિંદાપાત્ર કર્યા છે, અને તેમને વિનાશને માર્ગે મોકલ્યા છે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International