Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
2 રાજાઓનું 12-13

યોઆશ શાસન કરે છે

12 યેહૂના ઇસ્રાએલના રાજા તરીકેના શાસનના સાતમે વર્ષે યોઆશ રાજા બન્યો હતો, અને તેણે યરૂશાલેમમાં ચાળીસ વર્ષ રાજ કર્યુ હતું. તેની માનું નામ સિબ્યા હતું અને તે બેરશેબાની હતી. યહોયાદા યાજકના ઉપદેશાનુસાર તેણે જીવન પર્યત યહોવાની નજરમાં સાચાં ગણાય એવાં કાર્યો કર્યા હતાં. તેમ છતાં ઉચ્ચસ્થાનોનો નાશ કરવામાં આવ્યો નહોતાં, અને લોકોએ ત્યાં ધૂપ ચડાવવાનું અને દહનાર્પણો ચાલુ રાખ્યા હતા.

યહોઆશનો મંદિર જીણોર્દ્ધારનો હુકમ

યોઆશે યાજકોને કહ્યું હતું કે, “મંદિરમાં અર્પણ તરીકે આવેલી રકમ, માથાદીઠ ઉઘરાવેલી જકાત, તથા લોકોએ સ્વેચ્છાએ મંદિરમાં આપેલી રકમ યાજકોએ સ્વીકારવી જોઇએ. અને જયાં જયાં મંદિરમાં સમારકામ કરવાની જરૂર હોય ત્યાં ત્યાં સમારકામ કરાવે.”

પરંતુ યાજકોએ યોઆશ રાજાના ત્રેવીસમા વર્ષ સુધી મંદિરમાં જરૂરી કોઈ પણ પ્રકારનું સમારકામ કરાવ્યું નહોતું. તેથી રાજાએ બીજા યાજકોને બોલાવડાવ્યા, અને તેમને પૂછયું, “તમે મંદિરનું સમારકામ કેમ કરાવતા નથી? હવેથી તમારે તમારા ભંડારમાંથી કોઇ પૈસા લેવાના નથી, કારણ કે તે પૈસા તમને મંદિરના સમારકામ માટે આપવામાં આવ્યા હતાં.”

યાજકો લોકો પાસેથી કોઇ પૈસા ન લેવા તેમજ મંદિરનું સમારકામ બંધ કરાવવા માટે કબૂલ થયાં. પછી યહોયાદા યાજકે એક મોટી પેટી બનાવડાવી, તેના ઢાંકણામાં કાણું પડાવ્યું અને તેણે એ પેટીને મંદિરના પ્રવેશદ્વાર પાસે બલિદાનની વેદીની જમણી બાજુએ મૂકાવી. મંદિરના દરવાજે કામ કરતા યાજકો લોકો મંદિરમાં જે કોઈ પૈસા લાવતા તે બધાં તે પેટીમાં નાખતા.

10 તેમાં મૂકેલાં નાણાંથી પેટી જયારે ભરાઈ જતી ત્યારે રાજાનો નાણામંત્રી અને મુખ્ય યાજક એ નાણાં ગણીને થેલીઓમાં મૂકતાં હતાં. 11 પછી એ તોળેલાં-ગણેલાં નાણાં તેઓ સમારકામ પર દેખરેખ રાખનારાઓને આપતા હતા. તેઓ આ નાણાં સુથાર, કડિયા, 12 લાકડાના વેપારીઓ, પથ્થર અને ઇટના વેપારીઓ, અને જેઓએ યહોવાના મંદિરના બાંધકામ માટે સામગ્રી આપી હોય તેમને અને યહોવાના મંદિરના સમારકામ માટેની સામગ્રી લેવા માટે આપતા હતા.

13 આ નાણાં યાજકો યહોવાના મંદિર માટે વાપરતા હતાં પણ ચાંદીનાં પ્યાલા, કાતરો, વાસણો, રણશિંગડાં અથવા કોઇપણ જાતના સોના-ચાંદીના વાસણો આ પૈસામાંથી નહોતા લેતાં. 14 પણ તેઓ આ નાણાંમાંથી કારીગરોને મજૂરી ચૂકવતા અને સમારકામનું ખર્ચ કરતા. 15 જે દેખરેખ રાખનારા મુકાદૃમોને એ નાણાં કારીગરોને ચૂકવવા માટે આપવામાં આવતાં હતાં તેમની પાસે કશો હિસાબ માગવામાં આવતો નહોતો, કારણ કે તેઓ પ્રામાણિક અને વિશ્વાસુ હતા.

16 દોષાર્થાર્પણ તથા પાપાર્થાર્પણ માટે આપેલાં નાણાં યહોવાના મંદિરમાં લાવવામાં આવતાં નહિ; એ સીધાં યાજકોને તેમના પોતાના ઉપયોગ માટે આપવામાં આવતાં હતાં. આ નાણાં પેલી પેટીમાં મૂકવામાં આવતાં નહિ.

યરૂશાલેમને ઇસ્રાએલથી બચાવતો હઝાએલ

17 આ અરસામાં અરામનો રાજા હઝાએલ ગાથની સામે યુદ્ધે ચડયો અને તેને કબજે કરી યરૂશાલેમ પર હુમલો કરવાની તૈયારી કરવા લાગ્યો.

18 તેથી યહૂદિયાના રાજા યોઆશે તેના પિતૃઓએ, એટલે કે યહૂદિયાના રાજાઓ યહોશાફાટે, યહોરામે તથા અહાઝયાએ જે સર્વ પવિત્ર વસ્તુઓ અર્પણ કરી હતી તે તથા તેની પોતાની અર્પણ કરેલી વસ્તુઓ, તેમજ યહોવાના મંદિરના તથા રાજાના મહેલના ભંડારમાંથી જે સોનું મળી આવ્યું તે સર્વ લઈને અરામના રાજા હઝાએલ પર મોકલ્યાં; એટલે તે યરૂશાલેમથી જતો રહ્યો.

યહોઆશનું મૃત્યુ

19 યોઆશના બીજાં કાર્યો અને તેના શાસન દરમ્યાન બનેલા બનાવો યહૂદાના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખાયેલાઁ છે.

20 તેના પોતાના નોકરો તેની વિરૂદ્ધ થઇ ગયાં. અને સિલ્લાના માર્ગ પર આવેલા મિલ્લો મુકામે તેના પોતાના ઘરમાં તે માર્યો ગયો. 21 તેને ઇજા કરીને મારનાર લોકો શિમઆથનો પુત્ર યોઝાખાર અને શોમેરનો પુત્ર યહોઝાબાદ હતા.

તેમણે તેને દાઉદના નગરમાં તેના પિતૃઓ ભેગો દફનાવી દીધો અને તેના પુત્ર અમાસ્યાને તેની પછી રાજા બનાવવામાં આવ્યો.

યહોઆહાઝનું શાસન

13 જ્યારે યહૂદાના રાજા યોઆશ રાજયકાળના ત્રેવીસમા વર્ષમાં હતો ત્યાંરે યેહૂનો પુત્ર યહોઆહાઝ ઇસ્રાએલનો રાજા બન્યો. તેણે સમરૂનમાં સત્તર વર્ષ રાજ કર્યું.

તેણે યહોવાની દૃષ્ટિએ અયોગ્ય ગણાય એવું આચરણ કર્યુ અને નબાટના પુત્ર યરોબઆમે જે પાપકર્મો કર્યા હતા તે ચાલુ રાખ્યાં, તેણે તે છોડ્યા નહિ. તેથી યહોવા ઇસ્રાએલીઓ પર ગુસ્સે થયા. અને તેણે તેમને વર્ષો સુધી અરામના રાજા હઝાએલને અને તેના પુત્ર બેન-હદાદને ગુલામ તરીકે સોંપી દીધાં.

ઇસ્રાએલીઓ પર દયાળુ દેવ

પરંતુ યહોઆહાઝે યહોવાને પ્રસન્ન કરવા પ્રાર્થના કરી અને યહોવાએ તેની પ્રાર્થના સાંભળી, કારણ અરામના રાજાએ ઇસ્રાએલના લોકોને કેવો ત્રાસ આપ્યો હતો, તે તેણે જોયું હતું.

યહોવાએ ઇસ્રાએલને એક છોડાવનાર આપ્યો અને તેણે ઇસ્રાએલીઓને અરામના પંજામાંથી મુકત કર્યા અને તેઓ ફરી પોતાનાં ઘરમાં પહેલાંની જેમ સુખશાંતિમાં રહેવા લાગ્યા.

છતાં યરોબઆમે તેમની પાસે જે પાપકર્મો કરાવ્યાં હતાં તે તેમણે છોડયાં નહિ. સમરૂનમાં અશેરા દેવીની એક પ્રતિમા પણ હતી.

યહોઆહાઝ પાસે કોઇ સૈન્ય નહોતું સિવાય કે 50 ઘોડેસવાર, 10 રથ અને 10,000 સૈનિકો કારણ કે અરામના રાજાએ તેના બાકીના સૈન્યનો નાશ કરી નાખ્યો હતો.

યહોઆહાઝના શાસનના બીજાં બનાવો અને તેણે કરેલાં કાર્યો ઇસ્રાએલના રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે. પછી યહોઆહાઝ મરી ગયો અને તેને સમરૂનમાં દફનાવવામાં આવ્યો, પછી તેનો પુત્ર યોઆશ ગાદી પર બેઠો.

યોઆશનું ઇસ્રાએલ પર શાસન

10 જ્યારે યહૂદાના રાજા યોઆશના શાસનના સાડત્રીસ વર્ષમાં હતો, ત્યારે યહોઆહાઝનો પુત્ર યોઆશ સમરૂનમાં ઇસ્રાએલનો રાજા થયો અને તેણે સોળ વર્ષ રાજ કર્યું, 11 તેણે યહોવાની ષ્ટિએ અયોગ્ય ગણાય તેવું આચરણ કર્યું અને નબાટના પુત્ર યરોબઆમે જે પાપ કર્મો કર્યા હતાં તે કરવાનું તેણે ચાલું રાખ્યું, તેણે તે વસ્તુઓ છોડી નહિ. 12 રાજાનું શાસન, તેમાં બનેલા અને તેણે કરેલાં મહાન કાર્યો તેણે યહૂદાના અમાસ્યા સામે લડેલી લડાઇ સહિત, બધું ઇસ્રાએલના રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલું છે. 13 અને, યોઆશ મરી ગયો અને તેને સમરૂનમાં ઇસ્રાએલના બધા રાજાઓ ભેગો દફનાવવામાં આવ્યો પછી, તેની જગ્યાએ, યરોબઆમ રાજા બન્યો.

એલિશાની મુલાકાતે યહોઆશ

14 જયારે એલિશા ભયંકર માંદગીમાં પથારીવશ થઈ ગયો ત્યારે ઇસ્રાએલનો રાજા યોઆશ તેની પાસે જઈને રડવા લાગ્યો અને બોલ્યો, “હે મારા પિતા! મારા પિતા! તમે તો ઇસ્રાએલના રથ અને ઘોડેસવાર છો!”

15 એલિશાએ કહ્યું, “ધનુષબાણ લઈ આવ.”

અને તેણે ધનુષબાણ મંગાવ્યાં. 16 પછી એલિશાએ રાજાને કહ્યું, “ધનુષ્ય પર બાણ ચડાવ.” અને તેણે ચડાવ્યું, એલિશાએ પોતાના હાથ તેના હાથ પર મૂકયા અને કહ્યું, 17 “પૂર્વ તરફની બારી ઉઘાડી નાખ.” અને યોઆશે તેમ કર્યુ, પછી એલિશાએ કહ્યું, “બાણ છોડ.” અને તેણે છોડયું,

એટલે એલિશા બોલ્યો, “એ અરામ પરના યહોવાના વિજયનું બાણ હતું. તું અરામને એફક પાસે પૂરેપૂરી હાર આપીશ!”

18 “હવે બીજા બાણ ઉપાડી લે.” એલિશાએ કહ્યું, રાજાએ બાણ ઉપાડી લીધાં એટલે એલિશાએ કહ્યું, “જમીન પર પછાડ.”

રાજાએ ત્રણ વાર પછાડયાં અને પછી તે અટકી ગયો. 19 તેથી દેવના માણસ એલિશા તેના પર ગુસ્સે થયા અને રાજાને કહ્યું, “તારે જમીનમાં પાંચ કે છ બાણ મારવા જોઈતા હતાં. જો એમ કર્યું હોત તો અરામીઓનો સંપૂર્ણ નાશ થઈ જાય ત્યાં સુધી તેં તેઓને પરાજય આપ્યો હોત, હવે તું અરામને ફકત ત્રણ જ વાર હરાવી શકીશ.”

એલિશાની સમાધિ પાસે અદ્ભૂત

20 ત્યારબાદ એલિશાનું મૃત્યુ થયું અને તેને દફનાવવામાં આવ્યો.

વરસોવરસ મોઆબી દરોડાખોરોની ટોળીઓ દેશ પર આક્રમણ કરતી હતી. 21 એક વખત થોડાં લોકો (ઇસ્રાએલીઓ) એક માણસને દફનાવતા હતા. જેવા ઇસ્રાએલીઓએ મોઆબી સૈનિકોને જોયા, લોકો મૃતદેહને એલિશાની કબરની અંદર ફેંકી દઈને ભાગી ગયા. જેવો મૃતદેહ એલિશાનાં હાડકાંને અડ્યો કે મૃત માણસ જીવતો થઈ ગયો અને ઊઠીને ઊભો થઈ ગયો.

ઇસ્રાએલી શહેરો ફરી જીતતો યહોઆશ

22 યહોઆહાઝના સમગ્ર રાજયશાસન દરમ્યાન અરામના રાજા હઝાએલે ઇસ્રાએલીઓ પર ત્રાસ ગુજાર્યો હતો. 23 પણ યહોવાએ કૃપા કરીને તેમની દયા ખાધી. ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ સાથે કરેલા કરારને કારણે તેની તેમના પ્રત્યે કૃપાદૃષ્ટિ હતી અને તેમનો નાશ કરવાની તેની ઇચ્છા નહોતી, તેમ અત્યાર સુધી તેણે તેમને પોતાની નજરથી દૂર પણ કર્યા નથી.

24 અરામનો રાજા હઝાએલ મૃત્યુ પામ્યો અને તેનો પુત્ર બેનહદાદ તેની ગાદીએ આવ્યો. 25 ત્યાર પછી યોઆશે તેમને ત્રણ વખત પરાજય આપ્યો, અને જે શહેરો હઝાએલના પિતા બેનહદાદે તેના પિતા યહોઆહાઝ પાસેથી લઇ લીધાં હતાં તે પાછાં કબજે કર્યાં.

2 કાળવૃત્તાંતનું 24

રાજા યોઆશ દ્વારા મંદિરનું પુન:નિર્માણ

24 યોઆશ ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર સાત વર્ષની હતી. અને તેણે યરૂશાલેમમાં ચાળીસ વર્ષ રાજ કર્યુ. તેની માતાનું નામ સિબ્યા હતું. તે બેરશેબાની હતી. યહોયાદા યાજકના જીવનકાળ દરમિયાન યોઆશે યહોવાને પ્રસન્ન કરવા પૂરાં ઉમંગ-ઉત્સાહથી કામ કર્યુ. યહોયાદાએ બે સ્ત્રીઓ સાથે તેનાં લગ્ન કરાવ્યાં અને તેના પુત્રો અને પુત્રીઓ થયા.

યોઆશે યહોવાના મંદિરનો જીણોર્દ્ધાર કરવાનું નક્કી કર્યુ. આથી તેણે યાજકોને અને લેવીઓને એકઠા કરીને કહ્યું, “યહૂદાના ગામેગામ જઇને બધા ઇસ્રાએલીઓ પાસેથી તમારા દેવ યહોવાના મંદિરની મરામત માટે વાર્ષિક પૈસા ઉઘરાવો. જાઓ, જલદી કરો.”

પણ લેવીઓએ કામમાં વિલંબ કર્યો. આથી રાજાએ મુખ્ય યાજક યહોયાદાને બોલાવ્યો અને કહ્યું, “તમે શા માટે યહોવાના સેવક મૂસાએ સાક્ષ્યમડંપ માટે ઇસ્રાએલના લોકો ઉપર નાખેલાં કર અને યહૂદા અને યરૂશાલેમમાં રહેતા લેવીઓ પાસેથી કર ઉઘરાવ્યો નથી?”

દુષ્ટ અથાલ્યાના અનુયાયીઓએ યહોવાના મંદિરને લૂંટી લીધું હતું. દેવના ભજનને માટે સમર્પિત કરેલા પાત્રો મંદિરમાંથી લઇ જઇને પૂજા માટે તેઓએ બઆલના મંદિરમાં મૂક્યાં હતા.

રાજાએ એક પેટી બનાવડાવીને યહોવાના મંદિરના દરવાજા બહાર મૂકાવી. અને આખા યહૂદામાં અને યરૂશાલેમમાં લેવીઓએ એવો ઢંઢેરો પિટાવ્યો કે, યહોવાના સેવક મૂસાએ રણમાં ઇસ્રાએલીઓ પર જે કર નાખ્યો હતો તે લોકોએ લાવવો જોઇએ. 10 બધા આગેવાનો અને બધા લોકો ઉત્સાહપૂર્વક પૈસા લઇ આવીને એ પેટીમાં નાખવા લાગ્યાં. 11 પેટી ભરાઇ જતી ત્યારે એ પેટી રાજાના અમલદાર આગળ લઇને આવતા, અને જ્યારે તેમને ખાતરી થતી કે, પેટી બરાબર ભરાઇ ગઇ છે, ત્યારે રાજાનો મંત્રી અને મુખ્ય યાજકનો અમલદાર આવીને તે ખાલી કરતાં અને ત્યારબાદ તેને પાછી તેની જગ્યાએ લઇ જતા. રોજ આ પ્રમાણે કરવામાં આવતું અને મોટી રકમ ભેગી થતી. 12 રાજા અને યહોયાદા એ રકમ દેવના મંદિરનાં કામ ઉપર દેખરેખ રાખનારા અધિકારીને સોંપી દેતા, તેમણે કડિયાઓ અને સુથારોને મંદિરના જીણોર્દ્ધાર માટે રોક્યા. લોખંડનું અને પિત્તળનું કામ કરનાર કારીગરોને પણ મરામત કરવા માટે રોક્યા.

13 કારીગરો કામે લાગી ગયા અને તેમણે યહોવાના મંદિરના જીણોર્દ્ધારનું કામ પૂરું કર્યુ; તેમણે દેવના મંદિરને પહેલાનાં જેવું મજબૂત બનાવી દીધું. 14 બધું જ કામ પૂરું થતાં તેઓ વધેલાં નાણાં રાજાની અને યહોવાની આગળ લઇ આવ્યા, અને તેમાંથી મંદિરમાં પૂજા માટે વાપરવાના વાસણો અને બીજાં સોનાચાંદીના વાસણો મંદિર માટે બનાવડાવવામાં આવ્યાં. યહોયાદા જીવ્યો ત્યાં સુધી મંદિરમાં હંમેશા દહનાર્પણ અપાતાં રહ્યાં.

15 યહોયાદા ઘરડો થયો અને એકસોને ત્રીસ વર્ષની ઉંમરે અવસાન પામ્યો. 16 અને તેને રાજાઓ ભેગો દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો. કારણ, તેણે ઇસ્રાએલમાં દેવની અને તેના મંદિરની સારી સેવા બજાવી હતી.

17 યહોયાદાના મૃત્યુ પછી યહૂદાના આગેવાનો રાજાને સલામ ભરવા આવવા લાગ્યા અને રાજા હવે તેમની સલાહ લેતો થયો, તેઓએ તેને ખોટી સલાહ આપી. 18 તે આગેવાનોએ તેમના વંશજોના દેવ યહોવાનું મંદિર છોડી દીધું અને અશેરાદેવીની, ને બીજાં દેવદેવીઓની મૂર્તિઓની પૂજા કરવા લાગ્યા. તેમના આ દોષને કારણે યહૂદા અને યરૂશાલેમ ઉપર યહોવાનો રોષ ઊતર્યો. 19 યહોવાએ તેમને પોતાના તરફ પાછા લાવવા માટે તેમની વચ્ચે પ્રબોધકો મોકલ્યા. પરંતુ તેમનો સંદેશો તેમણે સાંભળ્યો નહિ.

20 પછી યહોયાદાના પુત્ર ઝખાર્યા પર દેવનો આત્મા આવ્યો. અને તેણે લોકોની સમક્ષ ઊભા થઇને કહ્યું, “‘શા માટે તમે યહોવાની આજ્ઞાઓનું ઉલ્લંઘન કરીને આફત વહોરો છો? તમે યહોવાને છોડી દીધા છે એટલે તેણે તમને છોડી દીધા છે.’”

21 પરંતુ તેઓ બધા તેની વિરૂદ્ધ એક થઇ ગયા અને રાજાના હુકમથી તેમણે તેને મંદિરના પ્રાંગણમાં તેના પર પથ્થર ફેકીને મારી નાખ્યો. 22 ઝર્ખાયાના પિતા યહોયાદાએ પોતાના પ્રત્યે બતાવેલી વફાદારીને ભૂલી જઇને રાજા યોઆશે તેના પુત્રને મારી નાખ્યો. મરતાં મરતાં ઝર્ખાયા કહેતો ગયો કે, “યહોવા આ જુઓ અને એનો બદલો લો!”

23 એક વર્ષ પૂરું થતાં અરામીઓની સેનાએ યોઆશ ઉપર ચઢાઇ કરી. તેમણે યહૂદા અને યરૂશાલેમ ઉપર હુમલો કર્યો અને લોકોના બધા આગેવાનોને મારી નાખ્યા અને લૂંટનો માલ રાજાને દમસ્ક મોકલી આપ્યો. 24 અરામીઓએ હુમલો કર્યો ત્યારે તેમનું લશ્કર કઇં મોટું નહોતું; તેમ છતાં યહોવાએ યહૂદાની ભારે મોટી સૈના ઉપર તેમને વિજય અપાવ્યો. કારણ, એ યહૂદાના લોકોએ પોતાના પિતૃઓના દેવ યહોવાનો ત્યાગ કર્યો હતો, આમ અરામીઓએ યોઆશને ઘટતી સજા કરી. 25 અરામીઓ યોઆશને સખત ઘવાયેલી હાલતમાં મૂકી ગયા અને ત્યાર પછી તેના પોતાના અમલદારોએ યાજક યહોયાદાના પુત્રના મૃત્યુનું વેર લેવા તેની સામે ગુપ્તયોજના ઘડી તેને પથારીમાં જ મારી નાખ્યો. આમ તે મરણ પામ્યો અને તેને દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો. જો કે રાજાઓના કબ્રસ્તાનમાં તો નહિ જ.

26 જે સેવકોએ તેની સામે કાવત્રું કરીને તેને મારી નાખ્યો હતો તેઓ આ બધાં હતાં; ઝાબાદ અને યહોઝાબાદ. આમ્મોની શિમઆથ તે ઝાબાદની માતા હતી અને યહોઝાબાદની માતા તે મોઆબેણ શિમ્રીથ હતી. 27 યોઆશનાં છોકરાની વિગતો, તેની સામે પ્રબોધકોએ ઉચ્ચારેલી અનેક ચેતવણીઓ, તેમજ તેણે કરાવેલી મંદિરની મરારત વગેરે વિષે રાજાઓના વૃત્તાંતના ગ્રંથમાં લખ્યું છે. તેના પછી તેનો પુત્ર અમાસ્યા ગાદીએ આવ્યો.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International