Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
2 કાળવૃત્તાંતનું 19-23

19 યહૂદાનો રાજા યહોશાફાટ શાંતિથી યરૂશાલેમમાં પોતાના ઘરમાં પાછો ફર્યો. ત્યારે પ્રબોધક હનાનીનો પુત્ર યેહૂ તેને મળવા ગયો અને બોલ્યો, “તમે દુષ્ટોને મદદ કરી છે અને યહોવાના દુશ્મનો સાથે મૈત્રી બાંધી છે, તેથી યહોવા તમારા ઉપર રોષે ભરાયા છે; જો કે તેં કેટલાંક સારાં કામો પણ કર્યા છે; તમે દેશમાંથી પૂજા-સ્તંભોનો નાશ કર્યો છે અને દેવની ઉપાસના કરવાનું મનથી ચાલુ રાખ્યું છે.”

યહોશાફાટ ન્યાયાધીશોને નીમ્યા

તેથી યહોશાફાટ ફરીથી ઇસ્રાએલ ગયો નહિ, પણ યરૂશાલેમમાં રહ્યો. પછીથી તેણે બેરશેબાથી માંડીને એફ્રાઇમના પહાડી પ્રદેશ સુધી મુસાફરી કરી અને તેઓના પિતૃઓનાં દેવનું ભજન કરવા ઉત્તેજન આપ્યું. તેણે દેશમાં, એટલે યહૂદાના સર્વ કિલ્લેબંદી નગરોમાંના પ્રત્યેક નગરમાં, ન્યાયાધીશો નીમ્યા. અને તેમને કહ્યું, “પૂર્ણ વિચાર કરીને તમારી ફરજ બજાવજો, કારણ, તમે માણસને નામે નહિ પણ યહોવાને નામે ન્યાય કરો છો. તમે જ્યારે ચૂકાદો આપો છો ત્યારે યહોવા તમારી સાથે હોય છે. માટે યહોવાથી ડરીને ચાલજો, જે કંઇ કરો તે સાવચેતીપૂર્વક કરજો, કારણ, યહોવા આપણો દેવ અન્યાય, પક્ષપાત અને લાંચ સહન કરતા નથી.”

ઉપરાંત યહોશાફાટે યરૂશાલેમમાં પણ અદાલતો સ્થાપી અને લેવીઓ, યાજકો, કુટુંબોના આગેવાનોને ન્યાયાધીશ તરીકે નિમણૂંક કર્યા. અને તેમને આ પ્રમાણે આદેશ આપ્યો, “તમારે યહોવાને માથે રાખીને વફાદારીથી અને પ્રામણિકપણે ફરજ બજાવવી. 10 બીજાં શહેરોમાં રહેતા બંધુઓમાંથી જે કોઇ ફરિયાદ, ઝઘડો આવે, પછી તે ખૂનમરકીને લગતો હોય કે નિયમો અને આજ્ઞાઓના ઉલ્લંધનનો હોય; તમારે લોકોને ચેતવણી આપવી કે, ખોટું કામ ન કરે અને તેઓને ન્યાયી નિર્ણય લેવા માટે સહાય કરવી; નહિ તો રખેને દેવનો કોપ તમારા ઉપર અને તેઓ પર ઉતરે. જો તમે આ પ્રમાણે વર્તશો તો તમારી જવાબદારી યોગ્ય રીતે પૂરી કરી શકશો અને તમે ગુનેગાર ઠરશો નહિ.

11 “બધી ધામિર્ક બાબતોમાં મુખ્ય યાજક અમાર્યા તમારા પ્રમુખ રહેશે અને રાજ્યને લગતી તમામ બાબતોમાં યહૂદાના વંશના વડા ઇશ્માએલના પુત્ર ઝબાદ્યા તમારા પ્રમુખ રહેશે. લેવીઓ તમારા ચિટનીસ તરીકે કામ કરશે, હિંમતપૂર્વક કામ લેજો; સત્ય અને પ્રામાણિકતાને વળગી રહો, નિર્દોષનું રક્ષણ કરવામાં દેવ તમારા પક્ષે રહેશે.”

યહોશાફાટે યુદ્ધનો સામનો કર્યો

20 કેટલાક સમય પછી એવું બન્યું કે, મોઆબીઓ અને આમ્મોનીઓએ કેટલાંક મેઉનીઓ સાથે મળીને યહૂદા પર આક્રમણ કર્યુ. યહોશાફાટને ખબર મોકલાવી કે, “તમારી તરફ એક લશ્કર મૃતસમુદ્રને સામે કિનારે આવેલા અદોમથી આગળ વધી રહ્યું છે,” અને તે લોકો હાસસોન તામાર એટલે કે એનગેદી સુધી આવી પહોંચ્યા છે. યહોશાફાટ ગભરાઇ ગયો અને તેણે યહોવાને પ્રાર્થના કરવાનો નિશ્ચય કર્યો. અને આખા યહૂદામાં ઉપવાસ જાહેર કર્યો. બધા યહૂદાવાસીઓ યહોવાની મદદ માંગવા ભેગા થયા. યરૂશાલેમમાં મળેલી યહૂદાના લોકોની સભામાં યહોશાફાટ યહોવાના મંદિરના નવા ચોક સામે ઊભો થયો. અને બોલ્યો,

“હે યહોવા, અમારા પિતૃઓના દેવ, તું સ્વર્ગાધીપતિ છે અને બધી પ્રજાઓના રાજ્યો ઉપર તારી જ આણ પ્રવતેર્ છે. તારું બળ અને સાર્મથ્ય એવું છે કે કોઇ તારી સામે થઇ શકે તેમ નથી. હે દેવ, તેં જ આ દેશના મૂળ વતનીઓને આ ભૂમિમાંથી હાંકી કાઢી, તારા મિત્ર ઇબ્રાહિમના વંશજોને, તારા પોતાના લોકો ઇસ્રાએલીઓને એ આપી હતી. તેઓ તેમાં વસ્યા અને તેમણે તારા નામ માટે એક મંદિર બાંધ્યું. અને કહ્યું કે, ‘આ મંદિરમાં તારો વાસ છે. એટલે જો અમારા પર કોઇ આફત આવે- યુદ્ધ આવે કે પૂર આવે, રોગચાળો આવે કે દુકાળ આવે તો અમે આ મંદિરમાં તારી સમક્ષ ઊભા રહીને, એ સંકટ સમયે તને યાદ કરીશું અને તું અમારી પ્રાર્થના સાંભળી અમને બચાવી લેશે.’

10 “અને હવે જો, આ આમ્મોનીઓ, મોઆબીઓ અને અદોમીઓ આવ્યા છે. અમે ઇસ્રાએલીઓ મિસરમાંથી આવતા હતા ત્યારે તમે અમને એ લોકોના દેશમાં દાખલ થવા દીધા નહોતા એટલે અમે એક તરફ વળી ગયા, અને એ લોકોનો નાશ ન કર્યો. 11 અને હવે જો, એ લોકોનો નાશ ન કર્યો, જો, તમે અમને જે તમારા વતનનો વારસો આપ્યો છે તેમાંથી અમને કાઢી મૂકવાને તેઓ આવ્યા છે, જો, તેઓ અમને કેવો બદલો આપે છે! 12 હે અમારા દેવ યહોવા, તું તેમને સજા નહિ કરે? કારણ, અમે અમારા ઉપર આક્રમણ કરતા એ મોટા સૈન્ય આગળ લાચાર છીએ, શું કરવું એની અમને સમજ પડતી નથી, અમે તો તારા ઉપર આધાર રાખીએ છીએ.”

13 યહૂદાના બધા લોકો, નાનામોટાં બાળકો અને સ્રીઓ સુદ્ધા યહોવા સમક્ષ ઊભાં હતા. 14 પછી એ સભાની વચ્ચે યહોવાનો આત્મા યાહઝીએલ ઉપર આવ્યો, યાહઝીએલ લેવી આસાફના વંશજ માત્તાન્યાના પુત્ર, યેઇએલના પુત્ર બનાયાના પુત્ર, ઝર્ખાયાનો પુત્ર હતો. 15 તેણે કહ્યું, “હે યહૂદાના બધા પ્રજાજનો, યરૂશાલેમના બધા વતનીઓ અને રાજા યહોશાફાટ ધ્યાનથી સાંભળો, યહોવા તમને કહે છે: ‘ડરશો નહિ; આ મોટા સૈન્યથી ગભરાઇ જશો નહિ, આ યુદ્ધ પણ દેવનું છે. 16 આવતીકાલે તમે જાઓ, અને તેમના પર હુમલો કરો. તેઓ “સીસના ઢોળાવ” થઇને આવે છે, યરૂએલના રણની સામે ખીણને છેડે તમારો તેમની સાથે ભેટો થશે. 17 તમારે લડવાની જરુર નહિ પડે. તમે મક્કમપણે ઊભા રહેજો અને જોયા કરજો કે યહોવા તમને શી રીતે બચાવી લે છે. હે યહૂદા અને યરૂશાલેમ, ગભરાશો નહિ. આવતીકાલે તેમનો સામનો કરવા બહાર જાઓ, યહોવા તમારે પક્ષે છે.’”

18 ત્યારબાદ રાજા યહોશાફાટે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને યહૂદા તથા યરૂશાલેમના સર્વ લોકોએ પણ દંડવત પ્રણામ કરીને યહોવાનું ભજન કર્યુ. 19 ત્યાર પછી કહાથ અને કોરાહના કુળસમૂહોના લેવીઓએ ઇસ્રાએલના દેવ યહોવાની ઊંચા સ્વરે સ્તુતિ કરવા લાગ્યા.

20 બીજે દિવસે તેઓ સવારમાં વહેલા ઊઠયા અને “તકોઆના વગડા” તરફ જવા નીકળી પડ્યા. તેઓ જતા હતા ત્યારે યહોશાફાટે ઊભા થઇને કહ્યું, “યહૂદા-વાસીઓ અને યરૂશાલેમના વતનીઓ, મને ધ્યાનથી સાંભળો: જો તમે તમારા દેવ યહોવા ઉપર વિશ્વાસ રાખશો, તો તમારે કોઇથી ડરવાનું રહેશે નહિ, જો તમે તેમના પ્રબોધકો ઉપર વિશ્વાસ રાખશો, તો તમારો વિજય થશે.”

21 પછી લોકોના આગેવાનો સાથે મંત્રણા કર્યા પછી, તેણે જેઓ યહોવાના માટે ગાય છે અને એની મહાન પવિત્રતાની સ્તુતિ કરે છે તેવાઓને સૌથી આગળ કર્યા અને તેઓ ગાવા લાગ્યા,

“યહોવાની સ્તુતિ કરો, કારણ,
    તેની કરૂણા શાશ્વત છે.”

22 જેવું તેઓએ ગાયન અને સ્તુતિ શરૂ કર્યુ, યહોવાએ આમ્મોનિઓ, મોઆબીઓ અને સેઇર પર્વતના લોકો દ્વારા અચાનક હુમલો કરાવીને તેમને પછાડયા અને તેમનો પરાજય કર્યો. 23 આમ્મોન અને મોઆબના સૈન્યોએ સેઇર પર્વતના સૈન્યની વિરૂદ્ધ લડીને તેનો સંપૂર્ણ નાશ કર્યો, તેમ કર્યા પછી તેઓ માંહેમાંહે યુદ્ધ કરીને એકબીજાનો સંહાર કરવા લાગ્યાં.

24 તેથી યહૂદાના માણસો જ્યારે અરણ્ય તરફ નજર કરી શકાય તેવી જગ્યાએ આવી પહોંચ્યા, ત્યારે તેમણે શત્રુઓના સૈન્ય તરફ ફરીને જોયું અને તેમણે ચારે બાજુ ભૂમિ ઉપર મૃતદેહો પડેલાં જોયા. એક પણ જીવતો નહોતો. 25 યહોશાફાટ રાજા અને તેના લોકો લૂંટ એકત્ર કરવા લાગ્યા. તેઓને નાણાં, પોશાક, અલંકારો અને રોજીંદા જીવનની વસ્તુસંગ્રહ કરી અને લઇ લીધી. આ લૂંટ એટલી બધી હતી કે તે બધી લઇ જવા માટે તેઓને ત્રણ દિવસ લાગ્યા. 26 ચોથે દિવસે તેઓ બરાખાહની ખીણમાં ભેગા થયા, અને ત્યાં તેમણે યહોવાની સ્તુતિ કરી તેથી તે જગ્યાનું નામ “બરાખાહ પાડવામાં” આવ્યું અને આજે પણ એ ખીણ એ જ નામે ઓળખાય છે.

27 યારબાદ યહૂદા અને યરૂશાલેમના બધા માણસો યહોશાફાટને મોખરે રાખી આનંદપૂર્વક પાછા નગરમાં ગયા, કારણ યહોવાએ તેમને શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કર્યાનો આનંદ માણવાનો અવસર આપ્યો હતો. 28 તેઓ સિતાર વીણા અને રણશિંગડાંના સરોદો સાથે યરૂશાલેમમાં પ્રવેશ કરીને યહોવાના મંદિરમાં દાખલ થયા.

29 અગાઉ બન્યુ હતું તે જ રીતે આજુબાજુના રાજ્યોએ સાંભળ્યું કે યહોવાએ પોતે જ ઇસ્રાએલના દુશ્મનો સાથે યુદ્ધ કર્યુ હતું, ત્યારે તેઓ દેવથી ભયભીત થઇ ગયા. 30 આમ, યહોશાફાટના રાજ્યમાં શાંતિ હતી, કારણકે દેવે તેને સર્વ બાજુએથી સર્વ પ્રકારની શાંતિ આપી હતી.

યહોશાફાટના રાજ્યકાળનો અંત

31 આમ, યહોશાફાટે યહૂદા ઉપર રાજ્ય કર્યુ. તે જ્યારે ગાદીએ આવ્યો ત્યારે તેની ઉમર 35 વર્ષની હતી. અને તેણે યરૂશાલેમમાં 25 વર્ષ રાજ કર્યુ. શિલ્હીની પુત્રી અઝુબાહ તેની મા થતી હતી. 32 તે પોતાના પિતા આસાને પગલે ચાલ્યો અને તેના માર્ગેથી ચલિત થયો નહિ. તેણે યહોવાની ષ્ટિએ યોગ્ય ગણાય એવું આચરણ કર્યુ. 33 પણ ટેકરી ઉપરના સ્થાનકો દૂર કરવામાં આવ્યા નહોતાં અને લોકોનાં હૃદય હજી પોતાના પિતૃઓનાં દેવ પ્રત્યે પૂરેપૂરાં વળ્યાં નહોતા.

34 યહોશાફાટના શાસનના બાકીના બનાવો શરૂઆતથી તે અંત સુધી હનાનીના પુત્ર યેહૂના વૃત્તાંતમાં નોંધાયેલા છે. આ બનાવોની નોંધ કરી અને તેની નકલ કરીને તેનો ઇસ્રાએલના રાજાઓના ઇતિહાસ નામક પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

35 તેના જીવનના અંતકાળમાં યહૂદાના રાજા યહોશાફાટે ઇસ્રાએલના રાજા અહાઝયા સાથે કરાર કર્યો. અહાઝયા ઘણો દુષ્ટ હતો. 36 તેની સાથે મળીને યહોશાફાટે એસ્યોન-ગેબેરમાં બનાવેલ વહાણને તાશીર્શ મોકલ્યા. 37 પણ મારેશ્શાહના વતની દોદાવાહૂના પુત્ર અલીએઝેરે યહોશાફાટની વિરૂદ્ધ ભવિષ્યવાણી ભાખી કે, “તેં અહાઝયા સાથે મૈત્રી કરી છે તેથી યહોવા તારા વહાણોને ભાંગી નાખશે.” તેથી એ વહાણો નાશ પામ્યાં અને તેઓે કદી તાશીર્શ પહોંચી શક્યાં નહિ.

21 યહોશાફાટ પિતૃલોકને પામ્યો અને તેને દાઉદના નગરમાં તેના પૂર્વજો સાથે દફનાવવામાં આવ્યો. તેનો પુત્ર યહોરામ તેની જગ્યાએ યહૂદાનો રાજા બન્યો. તેને છ ભાઇઓ હતા: અઝાર્યા, યહીએલ, ઝખાર્યા, અઝાર્યા, મીખાએલ અને શફાટયા. એ બધા યહૂદાના રાજા યહોશાફાટના પુત્રો હતા, અને તેણે એમને ઘણા ઉપહાર આપ્યા, સોનું, ચાંદી, કીંમતી વસ્તુઓ, અને યહૂદામાં કિલ્લેબંદીવાળા નગરો. પણ રાજગાદી તેણે યહોરામને આપી હતી. કારણકે તે સૌથી મોટો હતો.

યહૂદાના યહોરામનો દુષ્ટ અમલ

રાજા તરીકે સ્થિર થયા પછી યહોરામે તેના ભાઇઓને તથા ઇસ્રાએલના કેટલાક આગેવાનોને મારી નાખ્યા. બત્રીસ વર્ષની ઉંમરે તે રાજગાદીએ આવ્યો, અને યરૂશાલેમમાં તેણે આઠ વર્ષ રાજ કર્યુ. તે આહાબની પુત્રીને પરણ્યો હતો એટલે તેણે આહાબના કુટુંબની જેમ ઇસ્રાએલના રાજાઓને પગલે ચાલી યહોવાની ષ્ટિએ ખોટું ગણાય તેવું આચરણ કર્યુ. તેમ છતાં યહોવા દાઉદના વંશનો નાશ કરવા રાજી નહોતા, કારણ, તેણે દાઉદ સાથે કરાર કરીને તેને વચન આપ્યુ હતું કે, “હું તારા વંશનો દીવો સદાસર્વદા સળગતો રાખીશ.”

એના અમલ દરમ્યાન અદોમના લોકોએ બળવો પોકાર્યો અને પોતાને યહૂદાથી સ્વતંત્ર જાહેર કર્યા પછીથી તેઓએ પોતાની પસંદગીથી પોતાના રાજા ચુટયાં. યહોરામે તેના લશ્કરી અધિકારીઓ અને રથો સાથે અદોમ તરફ કૂચ કરી, અદોમીઓએ તેઓને ચારે તરફથી ઘેરી લીધા પરંતુ યહોરામે તેમના ઉપર રાત્રે આક્રમણ કર્યુ અને પોતાના લશ્કર અને રથોની મદદથી તેઓને હરાવી દીધા. યહોરામ અને તેનું લશ્કર પાછું યહૂદા ભાગી ગયું. 10 પણ આજ સુધી યહૂદાની ઝૂંસરી પોતાના પરથી ફેંકી દેવામાં અદોમ સફળ રહ્યો હતો. પછી લિબ્નાહે પણ યહૂદા સામે બળવો કર્યો. કારણકે યહોરામ તેના પિતૃઓના દેવ યહોવાથી દૂર ભટકી ગયો હતો. 11 યહૂદાની ટેકરીઓ ઉપર સ્થાનકો બાંધ્યા હતા, યરૂશાલેમના વતનીઓ મૂર્તિપૂજા કર્યા કરતા હતા. અને આખા યહૂદાને ખોટે માર્ગે ચડાવ્યું હતું.

12 ત્યારબાદ એલિયા પ્રબોધકે તેના ઉપર પત્ર લખ્યો,

“તારા પિતૃ દાઉદના યહોવા દેવ કહે છે: ‘તારા પિતા યહોશાફાટ અને આસા રાજા જે સારા માર્ગો પર ચાલ્યાઁ, તે માર્ગો ઉપર તું ચાલ્યો નથી. 13 પરંતુ તું ઇસ્રાએલના રાજાઓને પગલે ચાલ્યો છે, અને આહાબના કુટુંબે ઇસ્રાએલના લોકોને મારાથી વિમુખ કરી દીધા હતા તેમ તેં યરૂશાલેમના અને યહૂદાના લોકોને મારાથી વિમુખ બનાવી દીધા છે અને તારા કરતાં સારા એવાં તારા ભાઇઓને તેં મારી નાખ્યા છે. 14 એટલે હું તારા પર, તારી પ્રજા પર, તારા વંશજો પર, તારી પત્નીઓ પર અને બધી મિલકત પર ભયંકર રોગ લાવીશ. 15 તને પોતાને આંતરડાનો ર્જીણ રોગ લાગુ પડશે અને આખરે એ રોગને કારણે તારાં આંતરડાં બહાર નીકળી પડશે.’”

16 પછી યહોવાએ કૂશીઓ વચ્ચે વસતા પલિસ્તીઓ અને આરબોને યહોરામ પર ચઢાઇ કરવા ઉશ્કેર્યા. 17 તેમણે યહૂદા પર હુમલો કર્યો અને દેશ પર આક્રમણ કર્યું અને રાજાના મહેલમાં જે કાઇં હાથ આવ્યું, તે બધું તેઓ લૂંટી ગયા, રાજાનાં પુત્રો અને પત્નીઓને પણ લઇ ગયા; એક માત્ર સૌથી નાનો પુત્ર યહોઆહાઝ બચી ગયો.

18 આ બધું બની ગયા પછી યહોવાએ તેને આંતરડાના અસાધ્ય રોગનો ભોગ બનાવ્યો. 19 બે વર્ષ સુધી તે બહુ જ પીડાયો, તેનાં આંતરડા બહાર નીકળી પડ્યાં અને ભારે વેદના સહીને તે મૃત્યુ પામ્યો. તેની પ્રજાએ તેના પિતાના માનમાં જે અગ્નિ પ્રગટાવી હતી તેવી એના માનમાં પ્રગટાવી નહિ. 20 તે ગાદીએ આવ્યો ત્યારે તે બત્રીસ વર્ષનો હતો અને તેણે યરૂશાલેમમાં આઠ વર્ષ રાજ કર્યુ. તે મૃત્યુ પામ્યો ત્યારે કોઇએ તેને માટે શોક કર્યો નહિ. તેને યરૂશાલેમમાં દફનાવવામાં આવ્યો, પણ રાજાઓનાં ખાસ કબ્રસ્તાનમાં નહિ.

યહૂદાના અહાઝયાનું શાસન

22 ત્યારબાદ યરૂશાલેમનાં લોકોએ તેના સૌથી નાના પુત્ર અહાઝયાને તેના પછી રાજા બનાવ્યો, કારણ, આરબો સાથે જે ધાડપાડુઓએ છાવણી ઉપર હુમલો કર્યો હતો, તેમણે એના બીજા બધા મોટા પુત્રોને મારી નાખ્યા હતા. તેથી યહોરામનો પુત્ર અહાઝયા યહૂદાનો રાજા થયો. તે ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 42 વર્ષની હતી અને તેણે યરૂશાલેમમાં એક વર્ષ રાજ્ય કર્યુ. તેણે એ જ કામ કર્યા જે આહાબના કુટુંબીઓએ કર્યા હતા. કારણકે તેની માતા તેને દુષ્ટ સલાહ આપતી હતી. તેથી તે પણ આહાબના કુટુંબને પગલે ચાલ્યો, અને આહાબના કુટુંબની જેમ તેણે યહોવાની ષ્ટિએ અયોગ્ય ગણાય તેવું આચરણ કર્યુ, કારણકે આહાબના કુટુંબીઓ જ એના પિતાના અવસાન પછી એને સલાહ આપતા હતા જેને પરિણામે તે પાયમાલ થયો. તેઓની ભૂંડી સલાહ માનીને અહાઝયાએ ઇસ્રાએલના રાજા, યહોરામ સાથે મિત્રતા બાંધી, યહોરામ આહાબનો પુત્ર હતો. અરામના રાજા હઝાએલ સામે તેણે યુદ્ધ જાહેર કર્યુ હતું. અહાઝયા પણ પોતાનું સૈન્ય લઇને આ યુદ્ધમાં સામેલ થવા રામોથ-ગિલયાદ ગયો. યહોરામ આ યુદ્ધમાં ઘાયલ થયો. અને તે રામોથ આગળ અરામના રાજા હઝાએલ સાથે લડતાં પડેલાં ઘામાંથી સાજો થવા માટે પાછો ઇસ્રાએલ ચાલ્યો ગયો, એ ઘવાયેલો હતો તેથી અહાઝયા તેની ખબર કાઢવા યિઝ્એલ ગયો.

યહોરામને મળવા જવા યહોવાએ અહાઝયાએ પ્રેર્યો હતો, જેથી તેનો વિનાશ થાય. એ મુલાકાત દરમ્યાન તે યહોરામની સાથે જઇને નિમ્શીના પુત્ર યેહૂને પડકાર્યો, યેહૂને આહાબના કુટુંબનો નાશ કરવા માટે યહોવાએ નિમિર્ત કર્યો હતો. યેહૂ એ કામમાં રોકાયેલો હતો તેવામાં તેને યહૂદાના અમલદારોનો અને અહાઝયાની સેવામાં રહેતાં તેનાં કુટુંબીઓનો ભેટો થઇ ગયો, અને તેણે તેમને મારી નાખ્યાં અને પછી તે અહાઝયાની શોધમાં ગયો. અહાઝયા સમરૂનમાં સંતાઇ ગયો હતો. ત્યાંથી તેને પકડીને યેહૂ પાસે લઇ આવ્યા અને તેને ત્યાં મારી નાખ્યો, તેમણે તેને દફનાવ્યો ખરો, કારણકે, તેમણે કહ્યું કે, “એ યહોવાના સાચા ભકત યહોશાફાટનો વંશજ છે.” પછી અહાઝયાનુ કુટુંબ કોઇ રાજ કરવા જેટલું બળવાન રહ્યું નહિ.

રાણી અથાલ્યા

10 જ્યારે અથાલ્યાએ પોતાના પુત્ર અહાઝયાના મૃત્યુના સમાચાર સાંભળ્યા, ત્યારે તેણીએ યહૂદાના સમગ્ર રાજકુટુંબનો નાશ કર્યો. 11 ત્યારે રાજકુંવરી યહોશાબ સાથે અહાઝયાના પુત્ર યોઆશને અને તેની આયાને લઇ જઇ શયનખંડમાં પૂરી દીધા. યહોશાબ સાથે રાજા યોરામની પુત્રી અને યાજક યહોયાદાની પત્ની હતી. તેણી અહાઝયાની બહેન પણ થતી હતી. અથાલ્યા યોઆશને મારી ન શકી કારણકે યહોશાબ સાથે તેને સંતાડી દીધો હતો. 12 તે છ વરસ સુધી યાજકોની સાથે યહોવાના મંદિરમાં છુપાઇ રહ્યો. તે સમય દરમિયાન અથાલ્યા દેશ ઉપર રાજ્ય કરતી હતી.

યાજક યહોયાદા અને રાજા યોઆશ

23 અથાલ્યા રાણીના શાસનકાળના સાતમા વર્ષે યહોયાદાએ હિંમતવાન બનીને યહોરામના પુત્ર અઝાર્યાને, યહોહાનાન પુત્ર ઇશ્માએલને, ઓબેદનો પુત્ર અઝાર્યાને, અદાયાના પુત્ર માઅસેયાને, તથા ઝિખ્રીના પુત્ર અલીશાફાટને, અને બીજાઓને બોલાવડાવી તેમની સાથે કોલકરાર કર્યા. તેઓએ સમગ્ર યહૂદામાં ફરીને યહૂદાના બધાં નગરોમાં લેવીઓને તેમજ ઇસ્રાએલી કુટુંબોના વડીલ આગેવાનોને યરૂશાલેમમાં એકઠા કર્યા. અને એ સમગ્ર સમૂહે દેવનાં મંદિરમાં રાજા સાથે કરાર કર્યો.

યહોયાદાએ તેમને કહ્યું, “રાજાનો કુંવર શાસન કરશે. દાઉદના વંશજો જ રાજા થશે, એવું યહોવાએ વચન આપ્યું હતું તે મુજબ જ થશે. તમારે બધાએ આ પ્રમાણે કરવાનું છે: તમારી ત્રણ ટૂકડી છે. તેમાંથી યાજકો અને લેવીઓની જેજે ટૂકડીઓ વિશ્રામવારે ફરજ પર રહેવાનું છે, તેણે દરવાજાની ચોકી કરવી; બીજી ટૂકડીએ રાજમહેલની ચોકી કરવી, અને ત્રીજી ટૂકડીએ પાયાના દરવાજાની ચોકી કરવી અને બધા લોકોએ યહોવાના મંદિરના પ્રાંગણમાં રહેવું. પરંતુ યાજકો તથા જે લેવીઓ સેવા કરતા હોય તેઓના સિવાયના કોઇએ યહોવાના મંદિરમાં પ્રવેશ કરવો નહિ; ફકત તેમણે જ અંદર જવું, કારણકે તેઓ પવિત્ર છે; પરંતુ સર્વ લોકોએ યહોવાના નિયમોનો અમલ કરવો. લેવીઓએ પોતાની તરવાર હાથમાં રાખીને રાજાની આસપાસ ગોઠવાઇ તેનું રક્ષણ કરવું. જે કોઇ મંદિરમાં પ્રવેશવાનો પ્રયત્ન કરે તેને મારી નાખવો. રાજા જ્યાં જાય ત્યાં તેમણે તેની સાથે રહેવું.”

મુખ્ય યાજક યહોયાદાની આજ્ઞાનું લેવીઓએ તથા સર્વ યહૂદાવાસીઓએ અક્ષરશ: પાલન કર્યુ. યાજક યહોયાદાએ સમૂહમાંથી કોઇને પણ છોડ્યા નહિ. તેથી દરેક આગેવાન તેના માણસો સાથે આવ્યાં, તે બન્ને પ્રકારના માણસો જેઓ વિશ્રામવારને દિવસે અંદર આવ્યા, અને જેઓ વિશ્રામવારને દિવસે બહાર ગયા. પછી યાજક યહોયાદાએ રથાધિપતિઓને રાજા દાઉદે યહોવાના મંદિરમાં આપેલાં ભાલા અને નાની-મોટી ઢાલો વહેંચી આપ્યાં; 10 અને એ લોકોના હાથમાં હથિયાર સાથે મંદિરની જમણી બાજુ અને ડાબી બાજુ સુધી વેદી અને મંદિરને ઘેરીને રાજાનું રક્ષણ કરવા ગોઠવી દીધા. 11 ત્યારબાદ યહોયાદા રાજકુંવરને લઇ આવ્યો અને તેના માથા ઉપર રાજમુગટ પહેરાવ્યો. પછી તેણે તેના હાથમાં નિયમશાસ્ત્રના ગ્રંથની નકલ આપી તેને રાજા જાહેર કર્યો. ત્યારબાદ, યહોયાદા અને તેના પુત્રો દ્વારા તેનો રાજ્યાભિષેક કરાયા બાદ તેઓએ રાજા ઘણું જીવો ના પોકારો કર્યા.

12 જ્યારે અથાલ્યા રાણીએ, લોકોની ભાગદોડનો અવાજ અને રાજાની સ્તુતિના પોકારો સાંભળ્યા ત્યારે શું બની રહ્યું છે તે જોવા માટે તે મંદિરમાં દોડી આવી. 13 ત્યાં તેણે રાજાને પ્રવેશદ્વાર આગળ મંચ ઉપર ઊભેલો જોયો. તેની પાસે લશ્કરી અધિકારીઓ અને રણશિંગડાં વગાડનારાઓ ઊભા હતા. દેશનાં દરેક ભાગોમાંથી આવેલા લોકો આનંદ કરીને રણશિંગડાં વગાડતા હતા. ગાયકો વાજિંત્રો સાથે ગીતો ગાઇને દેવની સ્તુતિ કરતાં હતાં. અથાલ્યાએ પોતાનાં વસ્ત્રો ફાડ્યાં અને તેણે મોટે સાદે બૂમ પાડી, “રાજદ્રોહ, રાજદ્રોહ!”

14 યાજક યહોયાદાએ સેનાનાયકોને હુકમ કર્યો, “એને મંદિરની બહાર લશ્કરની વચ્ચે લઇ જાઓ અને જે કોઇ એની સાથે આવે તેની હત્યા કરો.” પછી યાજકે ચેતવણી આપતાં કહ્યું, “યહોવાના મંદિરમાં એનો વધ કરવાનો નથી.” 15 તેથી તેઓ તેને પકડીને રાજમહેલ સુધી લઇ ગયા અને ત્યાં “ઘોડા-દરવાજાના” પ્રવેશ દ્વાર પાસે તેનો વધ કર્યો.

16 તે પછી યહોયાદાએ ગંભીર કરાર કર્યો કે, તે પોતે રાજા અને લોકો યહોવાના જ બનીને રહેશે. 17 અને પછી બધા લોકોએ બઆલને મંદિરે જઇ તેને તોડી નાખ્યું; તેમણે તેની વેદીઓ અને મૂર્તિઓ ભાંગી નાખી અને યાજક મત્તાનને વેદીઓની સામે જ મારી નાખ્યો.

18 ત્યારબાદ મૂસાના નિયમશાસ્ત્રના જણાવ્યા પ્રમાણે યહોયાદાએ, યજ્ઞો અર્પણ કરવા માટે લેવીઓમાંથી યાજકોની નિમણૂંક કરી. દાઉદ રાજાના સમયમાં જે કુટુંબો સેવા આપતા હતા, તેઓને એ જ સેવાઓ સોંપી. તેઓ યહોવા માટે કામ કરતાં આનંદથી ગીતો ગાતા હતા. 19 પછી તેણે યહોવાના મંદિરના દરવાજાઓ આગળ દ્વારપાળો ગોઠવી દીધા જેથી કોઇ પણ રીતે અશુદ્ધ હોય એવો માણસ તેમાં દાખલ ન થાય.

20 ત્યારબાદ રક્ષકદળના નાયકોને, આગળપડતા પુરુષોને, અમલદારોને તથા દેશના બધા લોકોને સાથે લઇને રાજાને મંદિરની બહાર લઇ જવામાં આવ્યો અને પછી યહોવાનાં મંદિરના “ઉપલા દરવાજાથી” રાજમહેલમાં લઇ ગયાને તેને રાજસિંહાસન ઉપર બેસાડ્યો. 21 દેશનાં સર્વ લોકો ખૂબ આનંદ પામ્યા હતા અને નગરમાં સર્વત્ર શાંતિ વ્યાપી ગઇ હતી કારણકે રાણી અથાલ્યા મૃત્યુ પામી હતી.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International