Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
નીતિવચનો 4-6

જ્ઞાનની ફળશ્રુતિ

દીકરાઓ, પિતાનો ઉપદેશ ધ્યાનથી સાંભળો, અને સમજણ મેળવવા માટે ધ્યાન આપો. હું તમને ઉત્તમ બોધ આપુ છું. મારા શિક્ષણનો ત્યાગ કરશો નહિ.

જ્યારે હું મારા પિતાના ઘરનો સભ્ય હતો, જ્યારે હું મારી માતાની દ્રષ્ટિએ એકનો એક યુવાન દીકરો હતો. ત્યારે મારા પિતાએ મને શિક્ષણ આપીને કહ્યું હતુ કે, “તારા હૃદયમાં મારા શબ્દો સંઘરી રાખજે, અને મારા આજ્ઞાઓને રાખજે અને તું જીવીશ. જ્ઞાન પ્રાપ્ત કર, બુદ્ધિ સંપાદન કર; મારું કહ્યું યાદ રાખજે, એમાંથી જરાય ચળીશ નહિ. જ્ઞાનનો ત્યાગ ન કરીશ, તે તારું રક્ષણ કરશે, તેના પર પ્રેમ રાખજે, તે તારી સંભાળ રાખશે.

“જ્ઞાન પ્રાપ્ત કરવાનું પહેલું પગથિયું છે: જ્ઞાન મેળવો! તારા સર્વસ્વને ભોગે પણ જ્ઞાન પ્રાપ્ત કરજે. તું એમનું સન્માન કરીશ તો એ તને ઊંચે ચઢાવશે; તું જો તેને ભેટીશ, તો તે તને પ્રતિષ્ઠિત કરશે. તે તને હારનો શણગાર અને સુશોભિત મુગટ પહેરાવશે.”

10 હે મારા પુત્ર, મને ધ્યાનથી સાંભળ અને મારા શબ્દોનો સ્વીકાર કર તો તારું આયુષ્ય વધશે. 11 હું તને જ્ઞાનનો માર્ગ બતાવીશ અને તને પ્રામાણિકતાને માર્ગે દોરીશ. 12 જેથી ચાલતી વખતે તને કોઇ બાધા પડે નહિ અને દોડતી વખતે ઠોકર વાગે નહિ, એનું જીવની જેમ સંભાળ રાખજે. 13 આ શિક્ષાને તું મજબૂતીથી વળગી રહેજે, તેને છોડતો નહિ, તેની કાળજી રાખજે કારણકે તે જ તારું જીવન છે.

14 દુષ્ટ માણસોના માર્ગે જઇશ નહિ, ખરાબ માણસોને રસ્તે પગ મૂકીશ નહિ. 15 તે રસ્તાથી દૂર રહેજે, તેની પાસે જઇશ નહિ. તેમાંથી છૂટો પડીને નીકળી જજે. 16 એ દુષ્ટ લોકોને કોઇનું નુકશાન કર્યા વિના ઊંઘ આવતી નથી. અને કોઇને ફસાવ્યા ન હોય તો તેમની ઊંઘ ઊડી જાય છે. 17 કારણ કે તેઓ પાપનો રોટલો ખાય છે અને હિંસાનો દ્રાક્ષારસ પીએ છે.

18 પણ સદાચારીઓનો માર્ગ પરોઢિયાના પ્રકાશ જેવો છે, જે દિવસ ચઢતાં સુધીમાં વધું ઉજ્જવળ અને ઉજ્જવળ પ્રકાશિત થતો જાય છે. 19 જ્યારે દુષ્ટોનો માર્ગ અંધકારમય છે, જેમાં પોતે શા માટે ઠોકર ખાધી છે તે પણ તેઓ જાણી શકતા નથી.

20 દીકરા, મારા વચનો ઉપર ધ્યાન આપ, અને મારા ઉપદેશને કાને ધર. 21 તારી આંખ આગળથી તેને દૂર થવા દઇશ નહિ, તેને તારા હૈયામાં સંઘરી રાખજે. 22 જે કોઇ તેને મેળવે તેના માટે તે જીવન છે. અને તેમને પૂર્ણ સ્વાસ્થ્ય આપે છે. 23 કોઇપણ બીજી વસ્તુ કરતાં સૌથી વધારે તારાં હૃદયની કાળજી રાખજે. કારણ એમાંથી જ જીવનમાં ઝરણાં વહે છે.

24 જૂઠ્ઠું બોલીશ નહિ અને ષ્ટવાણી બોલીશ નહિ. 25 તારી આંખો સામી નજરે જુએ. અને તારી સીધી નજર સામેના રસ્તા ઉપર રાખજે. 26 તારા ચરણોના માર્ગની યોજના કરજે. અને તારો સમગ્ર માર્ગ સુરક્ષિત હશે. 27 જમણે કે ડાબે વળ્યા વિના સીધા માર્ગે ચાલ્યો જજે. દુષ્ટ પાપને માર્ગે પગ મૂકીશ નહિ.

વ્યભિચાર સામે ચેતવણી

મારા દીકરા, મારા ડહાપણને સાંભળજે અને મારા શાણા શિક્ષણ પર ધ્યાન આપજે. જેથી કરીને તારી વિવેકબુદ્ધિ જળવાઇ રહે, અને તારી વાણીમાં જ્ઞાન આવે. કારણ કે અજાણી સ્ત્રીના હોઠોમાંથી મધ ટપકે છે. અને તેની વાણી તેલ કરતા સુંવાળી હોય છે. પણ તેનો અંત વિષ જેવો કડવો અને બેધારી તરવાર જેવો તીક્ષ્ણ હોય છે. તેણીના પગ મૃત્યુ સુધી પહોંચે છે અને તેણીનાં પગલાં શેઓલમાં પહોંચે છે. તેણી સાચા રસ્તે જવાની મનાઇ કરે છે અને તેણીને ખબર નથી કે પોતાના માર્ગેથી તેણી રખડી પડશે.

તેથી મારા પુત્રો, મારી વાત સાંભળો, અને હું જે કહું છું તેનાથી દૂર થઇશ નહિ. પરસ્ત્રીથીં દૂર રહેજે અને તેના ઘરના બારણાં પાસે જતો નહિ. રખેને તું તારી સંપતિ ખોઇ બેસે અને તારું જીવન નિર્દય ઘાતકી માણસોના હાથમાં જાય. 10 રખેને તારી શકિત પારકાને મળે અને તારી મહેનતના ફળ બીજાના કુટુંબને મળે. 11 તું અંત સમયે આક્રંદ કરીશ જ્યારે તારું હાડમાંસ અને શ રીરનો વિનાશ થઇ જશે. 12 અને તું કહીશ કે, “મેં કેમ શિક્ષણને ધિક્કાર્યું અને મારા અંત:કરણના ઠપકાને તુચ્છ ગણ્યો! 13 શા માટે મેં મારા ગુરૂજનોનું કહ્યું માન્યું નહિ, અને મને શિક્ષણ આપનારાઓ પ્રત્યે ધ્યાન નહોતું રાખ્યું! 14 હું તો લોકોની દરેક અનિષ્ટ વસ્તુઓમાં સંકળાયેલો હતો.”

15 તારા પોતાના ટાંકામાંથી અને તારા પોતાના કૂવાના ઝરણામાંથી જ પાણી પીજે. 16 તારા પાણીના ઝરાને શરીઓમાં ઉભરાવા દઇશ નહિ. 17 એ પાણી ફકત તારા એકલા માટે જ હો, તારી સાથેના બીજાઓ માટે નહિં. 18 ભલે એ તારા ઝરણાઓને ઘણી સંતતિ મેળવવાના આશીર્વાદ મળે. તારી પોતાની યુવાન પત્ની સાથે તું આનંદ માન. 19 જે હરણી જેવી સુંદર અને પર્વતીય મૃગલી જેવી જાજરમાન નારી છે તેના સ્તનોથી તું સદા સંતોષ પામ અને તેના પ્રેમમાં જ તું નિરંતર મગ્ન રહે. 20 મારા પુત્ર, શા માટે તારે પરસ્ત્રી પર મોહિત થવું જોઇએ? શા માટે તારે પરસ્ત્રીના શરીરને આલિંગન આપવું જોઇએ?

21 કારણ કે, માણસના પ્રત્યેક વર્તન-વ્યવહાર ઉપર યહોવાની નજર હોય છે. અને તે જે કાઇં કરે છે તેના ઉપર તે ધ્યાન રાખે છે. 22 દુરાચારી તે તેમના પાપોમાં સપડાય છે અને તેમના પાપો તેમને દોરડાની જેમ જકડી રાખે છે. 23 કારણકે, સંયમના અભાવે તે મરી જશે અને તેની મૂર્ખતા ને કારણે તે છકી જશે.

પ્રકીર્ણ વચનો

મારા દીકરા, જો તું તારા પડોશીનો જામીન થયો હોય, જો તેં કોઇને બદલે પારકાને માટે કોલ આપ્યો હોય, તો તું તારા શબ્દોથી બંધાઇ ચૂક્યો હોય, જો તું વચનોને લીધે સપડાયો હોય, તો તારા પડોશીના હાથમાં સપડાયો છે. મારા પુત્ર, તું આટલું કરીને છૂટો થઇ જજે; તું એકદમ જા. તારા પડોશીની આગળ નમી જઇને કાલાવાલા કર. સૌથી પહેલા સૂઇશ નહિ. અને તારી પાંપણોને ઢળવા દઇશ નહિ. હરણું જેમ શિકારીના હાથમાંથી ભાગી જાય અથવા પંખી જેમ પારધી પાસેથી છૂટી જાય, તેમ તું તારી જાતને છોડાવી લેજે.

આળસુના બનો

ઓ આળસુ, કીડી પાસે જા; તે કેમ જીવે છે તે જોઇને હોશિયાર થા. તેના પર કોઇ મુકાદમ નથી, કોઇ આજ્ઞા કરનાર નથી, કે કોઇ ધણી નથી. છતાં તે પાક વખતે પોતાનાં અનાજનો સંગ્રહ કરે છે અને કાપણીની મોસમમાં પોતાનો ખોરાક ભરી રાખે છે.

ઓ આળસુ. તું ક્યાં સુધી પડ્યો રહીશ? તું ક્યારે ઊંઘમાંથી ઊઠીશ? 10 તું કહે છે કે “હજી થોડીક નિદ્રા, થોડીક ઊંઘ, ટૂંટિયાં વાળીને થોડોક આરામ લેવા દો.” 11 તો તું જાણજે કે ચોરની જેમ અને હથિયારબંધ ધાડપાડુની જેમ ગરીબી તારા પર ત્રાટકશે.

દુષ્ટ માણસ

12 નકામો અને દુષ્ટ માણસ ગેરમાર્ગે દોરનારી વાતો કરશે. 13 તે પોતાની આંખોથી મીંચકારા મારી, પગથી ધૂળમાં નિશાનીઓ કરશે અને આંગળીથી ઇશારો કરશે. 14 તેના મનમાં કપટ છે, તે વિધ્વંસી અનિષ્ટો ઘડે છે અને હંમેશા તકરારો મોકલે છે. 15 આથી અચાનક તેના પર વિપત્તિના વાદળ ઘેરાય છે. અને તે એકાએક ભાંગીને ભૂક્કા થઇ જાય છે, તે ફરી બેઠો થઇ શકતો નથી.

એ સાત વાતો જેને યહોવા ઘૃણા કરે છે

16 યહોવા સખત અણગમતી સાત વસ્તુઓમાંથી છ વસ્તુને ધિક્કારે છે.
17     તુમાખીભરી આંખો, જૂઠાબોલાની જીભ,
    નિર્દોષના લોહીથી ખરડાયેલા હાથ,
18     દુષ્ટ કાવતરાં રચનાર હૃદય,
    નુકશાન કરવા દોડી જતા પગ,
19     શ્વાસેશ્વાસે જૂઠું બોલનાર જૂઠો સાક્ષી.
    અને રનેહી સંબંધીઓમાં કુસંપનું બીજ વાવનાર માણસ.

20 મારા દીકરા, તારા પિતાની આજ્ઞાઓને માનજે. અને તારી માતાની શિખામણો ભૂલીશ નહિ. 21 એને સદા તારા હૃદયમાં બાંધી રાખજે અને તારા કંઠની આજુબાજુ લટકાવી દેજે. 22 તું જ્યારે જ્યારે ચાલતો હોઇશ ત્યારે એ તને માર્ગ બતાવશે, તું ઊંઘતો હશે ત્યારે એ તારી ચોકી કરશે. અને તું જાગતો હશે ત્યારે એ તારી સાથે વાતચીત કરશે.

23 આજ્ઞા એ દીપક છે, અને નિયમ પ્રકાશ છે; અને ઠપકો તથા ચેતવણી એ જીવનના માર્ગદર્શક છે. 24 એ તારું ભૂંડી સ્ત્રીથી રક્ષણ કરશે અને, અપવિત્ર સ્ત્રીની લોભામણી વાણીથી ઉગારી લેશે. 25 તેના રૂપ સૌંદર્યની કામના કરતો નહિ અને તેના આંખનાં પોપચાંથી સપડાઇશ નહિ. 26 કારણ કે વારાંગનાને તો પુરુષે રોટલાનો ટૂકડો આપવો જ પડે છે જ્યારે પરણેલી સ્ત્રીની વાસનાભૂખતો પુરુષના જીવનને લઇને સંતોષાય છે. 27 જો કોઇ માણસ અંગારા હૈયે ચાંપે તો તેનું પહેરણ સળગ્યા વગર રહે? 28 જો કોઇ માણસ અંગારા પર ચાલે તો શું તેના પગ દાઝયા વગર રહે? 29 એટલે કોઇ તેના પાડોશીની પત્ની પાસે જાય છે, અને તેને સ્પર્શ કરે છે તેને સજા થયા વિના રહેતી નથી.

30 જો કોઇ માણસ ભૂખ સંતોષવા ચોરી કરે તો લોકો તેના માટે માન નથી ગુમાવી બેસતા. 31 પણ જો તે પકડાય છે તો તેણે તેનું સાતગણું આપવું પડે છે. એનો અર્થ એવો થાય કે પોતાના ઘરની સઘળી સંપત્તિ સોંપી દેવી પડે તો પણ. 32 જે પરસ્ત્રી સાથે વ્યભિચાર કરે છે તે અક્કલ વગરનો છે, તે પોતાની જાતે પોતાનું જીવન બરબાદ કરે છે. 33 તેના નસીબમાં તેને માર તથા અપમાન જ મળશે અને તેનું કલંક કદી ભૂંસાશે નહિ. 34 કારણ કે ઇર્ષ્યાથી ધણીનો રોષ ભભૂકી ઊઠશે અને તે વૈર વાળતી વખતે જરાય કાચું રાખશે નહિ. 35 તે કોઇ પગાર સ્વીકારશે નહિ અને કોઇપણ પ્રકારની ભેટો તેને શાંત પાડી શકશે નહિ.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International