Chronological
રોગ મુક્ત કોઢીઓનું શુદ્ધિકરણ
14 યહોવાએ મૂસાને કહ્યું, 2 “જે કોઈ કોઢમાંથી મુક્ત થયા છે તેઓની શુદ્ધિની વિધિ આ પ્રમાંણે છે. 3 યાજકે છાવણીની બહાર જઈને તેની તપાસ કરવી. યાજકને ખબર પડે કે કોઢનો રોગ મટી ગયો છે, 4 તો યાજકે જેની શુદ્ધિ કરવાની છે તે વ્યક્તિને અશુદ્ધ નહિ એવાં બે જીવતાં પક્ષીઓ, દેવદારનું થોડું લાકડું, કિરમજી રંગનું કાપડ અને ઝુફો લાવવાને આદેશ આપવો. 5 પછી યાજકે એક પક્ષીને વહેતાં પાણીની ઉપર રાખેલા માંટીના વાસણમાં વધેરવાની આજ્ઞા કરવી. 6 ત્યાર પછી તેણે બીજું પંખી. દેવદારનું લાકડું, કિરમજી કાપડ અને ઝુફો લઈને ઝરાના પાણી ઉપર વધેરેલા પંખીના લોહીમાં બોળવાં. 7 જે વ્યક્તિની કોઢમાંથી શુદ્ધિ કરવાની હોય તેના પર તેણે 7 વાર લોહી છાંટી તેને શુદ્ધ કરવો, અને પેલા જીવતા પંખીને તેણે ખુલ્લા ખેતરમાં છોડી મૂકવું.
8 “જે માંણસ સાજો થયો છે તેને પોતાના વસ્ત્રો ધોઈ નાખવા. પોતાના માંથે મૂંડન કરાવવું અને પાણીમાં સ્નાન કરવું, એટલે તે શુદ્ધ થયો ગણાય, અને છાવણીમાં રહેવા માંટે પાછો ફરે. પરંતુ સાત દિવસ પર્યંત તેણે પોતાના તંબુની બહાર રહેવું. 9 સાતમે દિવસે તેણે માંથાના, દાઢીના અને પોતાનાં ભમર તેમજ શરીર પરના બીજા બધા વાળ મૂંડાવી નાખવા. વસ્ત્રો ધોઈ નાખવાં અને પાણીમાં સ્નાન કરવું, પછી તે કોઢથી સંપૂર્ણ રીતે સાજે થયો એમ જાહેર થાય.
10 “આઠમે દિવસે તેણે એક વરસની ઉમરના બે ખોડખાંપણ વગરનાં નરઘેટાં, એક વરસની ખોડખાંપણ વગરની ઘેટી, 24 વાટકા મોયેલા લોટનો ખાદ્યાર્પણ અને પા કિલો તેલ લઈને મુલાકાતમંડપ પર જવું. 11 શુદ્ધિની વિધિ કરાવનાર યાજકે જેની શુદ્ધિ કરવાની છે તે વ્યક્તિને તેના અર્પણો સાથે મુલાકાતમંડપના પ્રવેશદ્વારે યહોવા સમક્ષ રજૂ કરવો. 12 ત્યાર પછી તેણે એક ઘેટો લઈને પા કિલો તેલ સાથે દોષાર્થાર્પણને આરત્યર્પણ તરીકે યહોવાને ધરાવવો. 13 ત્યાર પછી તેણે એ ઘેટાના બચ્ચાંને જે પવિત્ર સ્થળે પાપાર્થાર્પણને અને દહનાર્પણના હલવાનને વધેરવામાં આવે છે ત્યાં વધેરવો. પાપાર્થાર્પણની જેમ જ દોષાર્થાર્પણ યાજકને ખોરાક માંટે આપી દેવું. તે પરમપવિત્ર અર્પણ છે.
14 “પછી યાજકે આ દોષાર્થાર્પણનું લોહી લઈને જે વ્યક્તિ શુદ્ધ થયો છે તેના જમણા કાનની બૂટ પર, જમણા હાથના અંગૂઠા પર તથા જમણા પગના અંગૂઠા પર લગાવવું. 15 પછી યાજકે સાથે લાવેલા તેલમાંથી થોડું પોતાના ડાબા હાથના પંજા પર રેડવું. 16 પછી તેણે જમણા હાથની આંગળી તેમાં બોળવી અને યહોવાની સમક્ષ સાત વખત એ તેલનો છંટકાવ કરવો. 17 ત્યારબાદ હથેલીમાં રહેલા તેલમાંથી થોડું લઈને જેની શુદ્ધિ કરવાની હોય તે વ્યક્તિના જમણા કાનની બૂટે અને જમણા હાથ અને જમણા પગના અંગૂઠા પર જયાં પહેલાં દોષાર્થાર્પણનું લોહી લગાડયું હતું ત્યાં લગાડવું. 18 પછી યાજકના હાથમાંનું બાકીનું તેલ તેણે જે વ્યક્તિની શુદ્ધિ કરવી હોય તેના માંથા પર લગાડીને યહોવા સમક્ષ તેનીપ્રાયશ્ચિતવિધિ કરવી.
19 “ત્યાર પછી યાજકે પાપાર્થાર્પણ ધરાવવો અને જેની શુદ્ધિ કરવાની હોય, તે માંણસની પ્રાયશ્ચિતવિધિ કરવી અને ત્યાર પછી તે દહનાર્પણના પ્રાણીને માંરી નાખવું. 20 પછી યાજકે વેદીની અગ્નિ પર દહનાર્પણ તથા ખાદ્યાર્પણ બાળવા અને તે વ્યક્તિ માંટે પ્રાયશ્ચિત કરવું, અને ત્યારે તે વ્યક્તિ શુદ્ધ થઈ જશે.
21 “જો તે માંણસ ગરીબ હોય અને આ બધું ધરાવી શકે એમ ના હોય, તો તેણે માંત્ર એક જ ઘેટો દોષાર્થાર્પણ તરીકે લાવવો. યાજકે તેને તે વ્યક્તિના પ્રાયશ્ચિત માંટે આરતીમાં ધરાવવો અને તે તેને શુદ્ધ કરશે. તેણે ખાદ્યાર્પણ તરીકે ફકત તેલથી મોંયેલો 8 વાટકા લોટ અને પા કિલો તેલ લાવવું. 22 તથા બે હોલાં કે બે કબૂતરનાં બચ્ચાં, જે તે લાવી શકે તેમ હોય તે લાવવાં, એક પાપાર્થાર્પણ માંટે અને બીજું દહનાર્પણ માંટે.
23 “આઠમે દિવસે યાજક પાસે મુલાકાત મંડપના પ્રવેશદ્વાર આગળ તે યહોવાની સમક્ષ પોતાના શુદ્ધિકરણની વિધિને માંટે આ પક્ષીઓને સાથે લાવે. 24 યાજક ઘેટાનાં બચ્ચાંને દોષાર્થાર્પણ તરીકે લે અને તેલ પણ લે અને વેદી આગળ યહોવાની સમક્ષ આરત્યર્પણ કરે. 25 ત્યારબાદ દોષાર્થાર્પણ માંટેના ઘેટાનો વધ કરે અને તેનું થોડું લોહી લઈ તે વ્યક્તિના જમણા કાનની બૂટે અને તેના જમણા હાથના અને જમણા પગના અંગૂઠે લગાવે. 26 ત્યાર પછી યાજકે થોડું તેલ પોતાની ડાબી હથેલીમાં રેડવું. 27 અને પોતાના જમણા હાથની આંગળી વડે તેમાંનુ થોડું સાત વખત યહોવાની સમક્ષ છાંટવું. 28 તે પછી દોષાર્થાર્પણનું લોહી લગાડયું હતું તે જ જગ્યાએ યાજકે પેલા માંણસના જમણા કાનની બૂટ પર અને જમણા હાથના અંગૂઠા પર અને જમણા પગના અંગૂઠા પર તેલ લગાવવું. 29 અને હાથમાં બાકી રહેલું તેલ જે માંણસની શુદ્ધિ કરવાની હોય તેના માંથા પર રેડવું અને યહોવા સમક્ષ તેણે શુદ્ધિકરણ કરવો.
30-31 “પછી તે માંણસે એક હોલો કે કબૂતરનું બચ્ચું, જે તેને પરવડતું હોય, યાજકને પાપાર્થાર્પણ તરીકે અને બીજું દહનાર્પણ તરીકે ખાદ્યાર્પણની સાથે વેદી પર ચઢાવવું. અને યાજક યહોવાની સમક્ષ તે માંણસને માંટે પ્રાયશ્ચિત કરે અને તે શુદ્ધ બની જશે.”
32 કોઢમાંથી સાજા થયેલા જે માંણસનું શુદ્ધિ માંટે જરૂરી અર્પણો લાવવા અશક્ત હોય તેને માંટે આ નિયમ છે.
ઘરમાં કોઢના રોગ માંટેના નિયમો
33 પછી યહોવાએ મૂસા અને હારુનને કહ્યું, 34 “મેં તમને આપેલા કનાન દેશમાં જયારે તમે આવી પહોંચો અને હું ત્યાં કોઈ ઘરમાં કોઢનો રોગ મૂકું; 35 તો ઘરનો માંલિક યાજક પાસે આવીને માંહિતી આપે, ‘માંરા ઘરમાં કોઢ હોય એવું મને લાગે છે!’
36 “યાજકે તપાસ કરવા જતાં પહેલાં ઘર ખાલી કરવા જણાવવું. નહિ તો ઘરમાંનું બધું જ અશુદ્ધ ગણાશે. 37 ત્યાર પછી યાજકે તપાસ કરવા ઘરની અંદર જવું. તપાસ કરતાં જો તેને ખબર પડે કે ભીંત પરના લીલાશ કે રતાશ પડતાં કાણા ભીંતમાં ઊડા ઊતરતાં જાય છે. 38 તો તેણે ઘરમાંથી બહાર નીકળી સાત દિવસ માંટે ઘરને બંધ કરી દેવું.
39 “સાતમે દિવસે યાજકે પાછા આવીને ફરી તપાસ કરવી, જો તે કાણાઓ ભીંતમાં વધારે પ્રસર્યા હોય, 40 તો યાજકે ભીંતનામ ફૂગવાળા ભાગને કાઢી નાખીને તેને શહરેની બહાર કોઈ અશુદ્ધ જગ્યાએ ફેંકી દેવા માંલિકને આદેશ કરવો. 41 ત્યારબાદ ઘરની અંદરની ભીંતોને ખોતરી નાખવાની આજ્ઞા તેણે આપવી અને ખોતરી કાઢેલું બધું જ શહેરની બહાર કોઈ અશુદ્ધ જગ્યાએ ઠાલવી આવવા જણાવવું. 42 જે જગ્યા ખાલી પડી હોય ત્યાં બીજા પથ્થરો લાવીને ગોઠવવા અને ચૂનાનો કોલ પણ નવો જ વાપરવો તથા ઘરને નવેસરથી પ્લાસ્ટર કરાવવું.
43 “જો પથ્થરો કાઢી નાંખ્યા પછી અને ઘરને નવેસરથી પ્લાસ્ટર કર્યા પછી જો ફરીથી ફૂગ દેખાય, 44 તો યાજકે ફરીથી આવીને ઘરની તપાસ કરવી. અને તેને ખબર પડે કે ફૂગ પ્રસર્યુ છે તો તે જલદી પ્રસરે તેવો ચેપ છે અને તે ઘર અશુદ્ધ છે. 45 પછી તે ઘરને તોડી પાડવાની આજ્ઞા આપવી. અને એ ઘરના પથ્થરો, લાકડાં અને ગારો બધું શહરેની બહાર કોઈ અશુદ્ધ જગ્યાએ લઈ જવું. 46 એ ઘર બંધ રહ્યું હોય તે દરમ્યાન કોઈ ઘરમાં પ્રવેશે તો તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. 47 જો કોઈ વ્યક્તિ તેમાં સૂઈ જાય અથવા જમે તો તેણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં. 48 પરંતુ યાજક ઘરમાં જઈને તપાસે ત્યારે તેને ખબર પડે કે નવેસરથી પ્લાસ્ટર કર્યા પછી ફૂગ ફેલાયેલો નથી, તો તે ઘરને તે શુદ્ધ જાહેર કરે કે ફૂગનો ચેપ હવે ઘરમાં નથી.
49 “મકાનની શુદ્ધિ માંટે તેણે બે નાનાં પંખીઓ, દેવદારનું લાકડું, લાલ રંગના કાપડનો ટુકડો અને ઝુફો લેવાં. 50 એક પંખીને તેણે ઝરાના વહેતાં પાણી ઉપર માંટીના ઉપર વધેરવું. 51 ત્યાર પછી દેવદારનું લાકડું, ઝુફો અને કિરમજી રંગનું કાપડ લઈ જીવતા પંખી સાથે વધેરેલા પંખીના લોહીમાં અને ઝરાના વહેતાં પાણીમાં બોળવાં અને સાત વખત ઘર ઉપર છંટકાવ કરવો. 52 આ પ્રમાંણે તેણે પંખીનું લોહી, ઝરાનું પાણી, જીવતું પંખી, દેવદારનું લાકડું, ઝુફો અને કિરમજી કાપડ, એનાથી ઘરની શુદ્ધિ કરવી. 53 ત્યારબાદ યાજકે શહેરની બહાર ખુલ્લા મેદાનમાં બીજા પક્ષીને છૂટ્ટુ કરી ઉડી જવા દેવું. આ રીતે યાજક ઘરને શુદ્ધ કરશે અને ઘર સાફ થશે.”
54 બધી જ જાતના કોઢ માંટે સોજા-ચાંદાં-ગૂમડાં માંટે, કપડાંને તેમજ ઘરમાં લાગેલા કોઢના રોગ માંટે આ નિયમો છે: 55 વસ્ત્રોમાં કે ઘરમાં, 56 કોઈની ચામડીના સોજામાં કે દાઝવાથી થયેલા ઘામાં કે ચાંદામાં; 57 આ રીતે તમે જાણી શકશો કે સાચે જ તે કોઢ છે કે નહિ, તે માંટે જ આ નિયમો આપવામાં આવેલ છે, કોઢની બાબતમાં કોઈ અશુદ્ધ કયારે કહેવાય, ને શુદ્ધ કયારે કહેવાય, તેની સમજ માંટે આ નિયમો છે.
શરીર સ્રાવની શુદ્ધિ માંટેના નિયમો
15 યહોવાએ મૂસા તથા હારુનને કહ્યું, 2 “ઇસ્રાએલના લોકોને આ કહો; જયારે કોઈ માંણસને તેના શરીરમાંથી સ્રાવ[a] થતો હોય ત્યારે તે માંણસ અશુદ્ધ ગણાય. 3 સ્રાવ ચાલુ હોય ત્યારે અને તેમાંથી સાજા થાય પછી પણ થોડા સમય માંટે તે અશુદ્ધ ગણાય.
4 “સ્રાવવાળો માંણસ જે પથારીમાં સૂએ કે બેસે તે પણ અશુદ્ધ ગણાય. 5 તેથી જે કોઈ વ્યક્તિ તે માંણસની પથારીને સ્પર્શ કરે તેણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં, પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ રહેશે. 6 વળી અશુદ્ધ વ્યક્તિ જે જગ્યા પર બેઠી હતી તે જગ્યા પર કોઈ બેસે, તો તે પણ સાંજ સુધી અશુદ્ધ ગણાય. તેણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં અને સ્નાન કરવું. 7 સ્રાવવાળા પુરુષને જે કોઈ સ્પર્શ કરે તો તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં, પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ રહેશે. 8 જો સ્રાવવાળો માંણસ કોઈના પર થૂંકે તો તે માંણસે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં, પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ રહેશે, 9 સ્રાવવાળો માંણસ જે જીન પર બેસીને સવારી કરે તે પણ અશુદ્ધ ગણાય. 10 સ્રાવવાળો માંણસ જયાં બેઠો હોય તે વસ્તુને જો કોઈ સ્પર્શ કરે તો સાંજ સુધી તે અશુદ્ધ ગણાય, અને જે કોઈ તે વસ્તુને ઉપાડે તેણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય. 11 સ્રાવવાળો માંણસ પોતાના હાથ ધોયા વિના જો કોઈ વ્યક્તિને અડે તો તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવા, પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.
12 “અશુદ્ધ વ્યક્તિ માંટીના વાસણને સ્પર્શ કરે તો તે વાસણને ફોડી નાખવું, અને લાકડાનું વાસણ હોય તો પાણીથી વીછળી નાખવું જોઈએ.
13 “જ્યારે તે વ્યક્તિનો સ્રાવ થોભી જાય ત્યારે તેણે શુદ્ધિકરણની વિધિ માંટે સાત દિવસની હાર જોવી. અને પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં, અને ઝરણાનાં પાણીમાં સ્નાન કરવું, ત્યાર પછી તે શુદ્ધ ગણાશે. 14 તે વ્યક્તિએ આઠમે દિવસે તેણે બે હોલા અથવા કબૂતરનાં બે બચ્ચાં લાવીને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર યહોવા સમક્ષ આવીને યાજકને આપવા. 15 યાજકોમાંના એકને પાપાર્થાર્પણ તરીકે અને બીજાને દહનાર્પણ તરીકે યહોવાને ધરાવીને સ્રાવવાળા માંણસની શુદ્ધિ માંટે યહોવા સમક્ષ પ્રાયશ્ચિત કરે.
16 “જો કોઈ પુરુષને વીર્યસ્રાવ થાય, તે તેણે આખા શરીર પર પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય. 17 જે કોઈ વસ્ત્રો કે ચામડા પર વીર્ય પડયું હોય તે ધોઈ નાખવું. સાંજ સુધી તે અશુદ્ધ ગણાય. 18 જે કોઈ સ્ત્રી પુરુષે જાતીય સંબંધ કર્યો હોય અને પુરુષને વીર્ય સ્રાવ થયો હોય, તો તેમણે બંનેએ પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તેઓ અશુદ્ધ ગણાય.
19 “સ્ત્રી માંસિક ઋતુમાં હોય તો તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય અને તે દિવસો દરમ્યાન જે કોઈ તેને સ્પર્શ કરે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. 20 તે અશુદ્ધ હોય ત્યારે એ જેના પર સૂતી હોય કે બેઠી હોય તે અશુદ્ધ ગણાય. 21 જે કોઈ વ્યકિત તેની પથારીને સ્પર્શ કરે તેણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં. 22 એ સ્ત્રી જેના પર બેઠી હોય એવી કોઈ પણ વસ્તુને જો કોઈ સ્પર્શ કરે તો તેણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં, પાણીથી સ્નાન કરવું, સાંજ સુધી તે અશુદ્ધ ગણાય. 23 તે સ્ત્રી જેના પર બેઠી હોય તે પથારી અથવા આસન પરની કોઈ વસ્તુને જો કોઈ સ્પર્શે તો પોતાનાં વસ્ત્રો ધોઈ નાખે અને સ્નાન કરે. સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.
24 “આ સમય દરમ્યાન જો કોઈ પુરુષ તેની સાથે જાતીય સંબંધ કરે, તો તેના ઋતુકાળની અશુદ્ધિ તેને પણ લાગે અને તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય, તે જે પથારીમાં સૂએ તે પણ અશુદ્ધ ગણાય.
25 “જો કોઈ સ્ત્રીને ઋતુકાળ સિવાય ઘણા દિવસો સુધી રક્તસ્રાવ થાય અથવા તેના ઋતુકાળ ઉપરાંત લાંબા સમય સુધી તેનો અટકાવ ચાલુ રહે, તો જયાં સુધી અટકાવ આવે ત્યાં સુધી તે ઋતુકાળની જેમ અશુદ્ધ ગણાય. 26 એ સમય દરમ્યાન પણ તે જે પથારીમાં સૂએ તે તેના ઋતુકાળના સામાંન્ય દિવસોની જેમ અશુદ્ધ ગણાય. અને તે જયાં બેસે તે જગ્યા પણ અશુદ્ધ ગણાય. 27 જે કોઈ તે પથારી કે આસનને અડે તે અશુદ્ધ ગણાય. તેણે પોતાનાં કપડાં ધોઈ નાખવાં, પાણીથી સ્નાન કરવું અને સાજ સુધી અશુદ્ધ ગણાય. 28 સ્રાવ બંધ થયા પછી સાત દિવસ પછી તે શુદ્ધ ગણાય. 29 આઠમે દિવસે તેણે બે હોલાં અથવા કબૂતરનાં બચ્ચાં લાવીને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે યાજકને આપવાં. 30 યાજકે તેમાંના એકને પાપાર્થાર્પણ માંટે અને બીજાને દહનાર્પણ તરીકે યહોવાને ધરાવવા અને તેણીના લોહીના સ્રાવની શુદ્ધિ માંટે પ્રાયશ્ચિત કરે.
31 “આ રીતે ઇસ્રાએલના લોકોને અશુદ્ધિની બાબતમાં ચેતવવા. તમે તેઓને ચેતવશો નહિ, તો તેઓ માંરો પવિત્રમંડપ અશુદ્ધ કરશે, અને તેઓને મરવું પડશે.”
32 જે કોઈ પુરુષને સ્રાવ હોય તો તે અશુદ્ધ છે. સ્રાવ અથવા વીર્યપાત તે પુરુષને અશુદ્ધ કરે છે. 33 ઋતુસ્રાવમાં સ્ત્રી અશુદ્ધ હોય છે તેથી ઋતુમતી સ્ત્રી સાથે જાતીય સંબંધ કરનાર પુરુષ પણ અશુદ્ધ છે. શરીરના સ્રાવથી પીડાતા લોકો માંટેના નિયમો ઉપર પ્રમાંણે છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International