Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
અયૂબ 24-28

24 “સર્વસમર્થ દેવ, લોકોનું કયારે બૂરું થવાનું છે તે કેમ જાણે છે?
    પરંતુ તેના અનુયાયીઓ તે એવું કાંઇક ક્યારે કરવાના છે તેનું ભવિષ્ય ભાખી શકતા નથી.

“કારણકે દુષ્ટો પારકાની જમીન પચાવી પાડવાં સંપતિની આંકણી કરનારાઓને બદલી નાખે છે,
    તેઓ ઘેટાંબકરાં ચોરી જાય છે અને ચરાવે છે.
તેઓ અનાથોની માલિકીના ગધેડાઓને ચોરી જાય છે
    અને વિધવાની માલિકીના બળદોને જ્યાં સુધી તે તેનું દેવું તેઓને ચૂકવે નહિ ત્યાં સુધી લઇ લે છે.
તેઓ ઘર વગરના એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા ગરીબોનો પીછો કરે છે.
    અને બધા ગરીબ લોકોને આ દુષ્ટ લોકોથી છુપાવાની ફરજ પાડવામાં આવે છે.

“જંગલી ગધેડાની જેમ, ગરીબોએ કામ અને ખોરાકની શોધમાં ભટકવું પડે છે.
    તેઓ ખોરાકની શોધમાં બહાર જવા માટે વહેલી સવારે ઉઠે છે.
તેઓના સંતાનો માટે ખોરાક મેળવવા,
    તેઓ મોડી સાંજ સુધી કામ કરે છે.
ગરીબ લોકોએ ખેતરમાં સૂકું ઘાસ અને પરાળ કાપતા મોડી રાત સુધી કામ કરવું જોઇએ.
    તેઓએ દ્રાક્ષની વાડીમાં દ્રાક્ષ ભેગી કરીને ધનવાન લોકો માટે કામ કરવું જોઇએ.
તેઓ અન્ય લોકોના ખેતરોમાં કામ કરે છે
    અને દુષ્ટ લોકોનું વધ્યું ઘટયું ખાવાનું ખાય છે.
તેઓ આખી રાત વસ્રો વિના ઉઘાડા સૂઇ જાય છે.
    ઠંડીમાં ઓઢવા માટે એમની પાસે કાઇં હોતું નથી.
બાપ વગરના ગરીબ સંતાનો વેચાવા માટે માતાના ખોળામાંથી ઊપાડી લેવામાં આવે છે.
    ઉછીના લીધેલા નાણાંની જામીનગીરી તરીકે બાળકોને રાખવામાં આવે છે.
10 તેઓને વસ્ત્ર વિના ઉડા ફરવું પડે છે, તેઓ જથ્થાબંધ અનાજ
    દુષ્ટ લોકો માટે ઊંચકે છે છતાં પણ તેઓ ભૂખ્યાં રહે છે.
11 તેઓને જૈતૂનનું તેલ કાઢવાની અને દ્રાક્ષો પીલીને તેનો રસ કાઢવાની ફરજ પાડવામાં આવે છે.
    તેમ છતાં તેઓ તે તેલનો કે દ્રાક્ષાસવનો ઉપયોગ કરી શકતાં નથી, તેઓ તો તરસ્યા જ રહે છે.
12 નગરોમાં મરતાં લોકોના દુ:ખદાયક અવાજો તમે સાંભળી શકો છો.
    ઘાયલોના આત્મા બૂમ પાડે છે; તે છતાં દેવ તેઓનું સાંભળતા નથી.

13 “એવા લોકો પણ છે જે પ્રકાશ સામે બળવો કરે છે,
    તેઓ જાણતા નથી દેવની શું જરૂરિયાત છે?
    અને તેઓ દેવને જે રીતે જોઇએ છે તેમ રહેતા નથી.
14 અજવાળું થતાં ખૂની માણસ ગરીબો અને દરિદ્રી લોકોના ખૂન કરવાં નીકળી પડે છે
    અને રાત પડે તે ચોરી કરવાં ફર્યા કરે છે.
15 જે વ્યકિત વ્યભિચાર કરે છે, તે સાંજે પરોઢ થવાની રાહ જુએ છે.
    ‘તને લાગે છે તેને કોઇ જોઇ શકે તેમ નથી’ તે છતાં પણ તે તેનું મોઢું ઢાંકે છે.
16 રાત પડે ત્યારે ચોરો ઘરોમાં ખાતર પાડે છે;
    પણ દિવસમાં તેઓ પોતાના ઘરમાં પૂરાઇને રહે છે અને અજવાળાથી દૂર રહે છે.
17 અંધારી રાત એ તેઓની સવાર છે;
    અંધકારના ભય સાથે તેઓ ફકત મિત્રતાજ રાખે છે.

18 “દુષ્ટ માણસને પૂરનાં પાણી તાણી જાય છે.
    એની જમીનને દેવનો શાપ લાગે છે.
    તેથી તેઓ દ્રાક્ષનીવાડીમાંથી દ્રાક્ષો એકઠી કરશે નહિ.
19 અનાવૃષ્ટિ તથા ગરમીમાં બરફ ઓગળી જાય છે
    તેમ મૃત્યુ પાપીઓનો નાશ કરે છે.
20 તેની માતા તેને ભૂલી જશે.
    કીડો મગ્નથી તેનું ભક્ષણ કરી જશે,
તેને કોઇ સંભારશે નહિ,
    દુરાચારી માણસ કોહવાયેલાં વૃક્ષની જેમ તૂટી પડે છે.
21 સ્રીઓ કે જેને સંતાન થઇ શકે નહિ, દુષ્ટ લોકો તેઓને દુ:ખ પહોચાડે છે.
    તેઓ લાચાર વિધવાઓને સહાય કરતા નથી.
22 દુષ્ટ લોકો તેઓનું બળ શકિતશાળી માણસોના નાશ કરવામાં વાપરે છે.
    દુષ્ટ લોકો કદાચ સત્તા મેળવે પણ તેઓ પોતાના જીવનનો કોઇ વિશ્વાસ કરી શકતા નથી.
23 હા, દેવ તેઓને સુરક્ષાની ભાવનામાં આરામથી રહેવા દે છે.
    પરંતુ તેઓના માર્ગો ઉપર દેવની નજર છે.
24 ઘડીક માટે દુષ્ટ માણસ ઊંચો આવે છે પણ પછી તે મળતો નથી.
    બીજા દરેકની જેમજ તે ધાન્યની જેમ કપાઇ જશે.

25 “કોણ કહી શકશે આ સાચું નથી?
    કોણ પૂરવાર કરી શકશે
    કે મારા શબ્દો ખોટા છે?”

બિલ્દાદ શૂહીનો ઉત્તર

25 પછી બિલ્દાદ શૂહીએ ફરીથી ઉત્તર આપ્યો અને કહ્યું,

“દેવ કર્તા-હર્તા છે.
    તે લોકોને તેનાથી ડરે એવા.
    અને તેને માન આપે તેવા બનાવે છે, તે ઉપર તેના રાજ્યમાં શાંતિ જાળવે છે.
તેની સેનાની સંખ્યા કોણ ગણી શકે તેમ છે?
    તેના તારાઓ કોઇ ગણી શકે તેમ નથી.[a]
    દેવનો સૂર્ય દરેક પર સરખો, પ્રકાશ આપે છે.
દેવની સમક્ષ ઊભો રહી શકે તેવો શુદ્ધ
    અને ન્યાયી માણસ કોણ છે?
દેવની નજરમાં ચંદ્ર અને તારાઓ પણ નિર્મળ નથી.
    અને પ્રકાશિત નથી.
મનુષ્ય એવો પવિત્ર નથી.
    મનુષ્ય જંતુ જેવા છે, મૂલ્યહીન જીવડાં જેવા છે.”

અયૂબનો જવાબ

26 પછી અયૂબે ઉત્તર આપ્યો અને કહ્યું કે:

“હા, તમે ખૂબ પ્રોત્સાહન આપનારા છો અને તમે મારા દુર્બળ હાથને મજબૂત બનાવ્યા છે.
    બિલ્દાદ, સોફાર અને અલીફાઝ, તમે આ થાકેલા, પજવાયેલા માણસને ખુબ મદદ કર્તા રહ્યાં છો!
હા, તમે શાણપણ વગરના આ માણસને અદભૂત શિખામણ આપી!
    તમે ખરેખર દેખાડ્યું, તમે કેવા જ્ઞાની છો!
તમે કોની મદદથી બોલો છો?
    તમને કોના આત્માએ પ્રેરણા આપી છે?”

“પૃથ્વી તળે તથા પાણીમાં
    તે મરેલાઓના આત્મા ભયથી ધૂજે છે.
દેવની સમક્ષ શેઓલ ઉઘાડું છે,
    અને વિનાશને કોઇ ઢાંકણ નથી.
દેવ ઉત્તરને ખાલી આકાશમાં ફેલાવે છે
    અને પૃથ્વીને શૂન્યાવકાશ પર લટકાવી છે.
એમણે ગાઢ વાદળામાં પાણી ભર્યું છે
    અને છતાં પાણીના ભારથી વાદળ ફૂંટતા નથી.
દેવ આખા રાજ્યાસનને ઢાંકી દે છે.
    તે તેના પર વાદળાંઓ પાથરી અને સંતાડી દે છે.
10 દેવે સમુદ્ર પર જે જગ્યાએ પ્રકાશ અને અંધકાર મળે છે,
    ગોળાકાર જેવી ક્ષિતિજ અંકિત કરી.
11 જ્યારે દેવ તેઓને ડરાવે છે,
    આકાશના આધારસ્તંભો હાલવા લાગે છે.
12 દેવની શકિત સમુદ્રને શાંત કરે છે.
    પોતાના ડહાપણથી તેણે રહાબનો[b] નાશ કર્યો છે.
13 એમના શ્વાસથી આકાશ સ્વચ્છ રહે છે,
    એમણે એમના બળથી ભાગી જતાં સાપને હણ્યો છે.
14 આ તો માત્ર થોડીકજ અદભૂત ચીજો દેવ કરે છે.
    આપણે તો માત્ર દેવનો મંદ ગણગણાટ જ સાંભળીએ છીએ.
કોઇ ખરેખર જાણી શકતું નથી કે
    દેવ કેવા મહાન અને શકિતશાળી છે.”

27 અયૂબે તેનું ષ્ટાંત કહેવાનું ચાલુ રાખ્યું.

“દેવે મારો ન્યાયનો હક છીનવી લીધો છે,
    સર્વસમર્થ દેવે મારા જીવનને દુ:ખી બનાવી દીધું છે,
તેમના નામના સમ ખાઇને કહું છું;
    જ્યાં સુધી હું જીવું છું
    અને દેવનો શ્વાસ મારાઁ નસકોરાઁમાં છે,
જૂઠી બાબત મારા હોઠ પર નહિ આવે,
    મારી જીભ અસત્ય નહિ ઉચ્ચારે.
તમે લોકો સાચા છો તે હું કદી જ સ્વીકારીશ નહિ;
    હું મૃત્યુ પામું ત્યાં સુધી મારી નિર્દોષતા જાહેર કર્યા કરીશ.
હું મારી નિર્દોષતાને વળગી રહીશ;
    હું તેને કદી છોડીશ નહિ હું જીવું ત્યાં સુધી મારો અંતરઆત્મા મને કદી દુ:ખ પહોચાડશે નહિ.
લોકો મારી વિરુદ્ધ થઇ ગયા છે.
    હું ઇચ્છુ છું મારા દુશ્મનોને સજા થાય જેવી રીતે દુષ્ટ માણસોને સજા થવી જોઇએ.
જો માણસ દેવની કાળજી કરતો નથી તો તે મરી જાય ત્યારે તેની પાસે કોઇ આશા રહેતી નથી.
    દેવ જ્યારે તેનું જીવન લઇ લે છે, તે વ્યકિત ને કોઇ આશા રહેતી નથી.
તે દુષ્ટ વ્યકિત દુ:ખમાં આવી પડશે અને દેવને મદદ માટે પોકારશે.
    પરંતુ દેવ તેને સાંભળશે નહિ.
10 તે વ્યકિતએ સર્વ પ્રસંગે દેવની પ્રાર્થના કરવી જોઇતી હતી.
    તે સર્વશકિતમાનથી આનંદ માનશે.

11 “ઇશ્વરની સત્તા વિષે હું તમને શીખવીશ.
    સર્વસમર્થ દેવની યોજનાઓ હું છુપાવીશ નહિ.
12 તમે તમારી પોતાની આંખોથી દેવની શકિત જોઇ છે ને?
    છતાં મારી સાથે તમે શામાટે વ્યર્થ વાતો કરો છો?

13 “દેવ પાસેથી દુષ્ટ માણસનો ભાગ,
    તથા સર્વસમર્થ દેવ પાસેથી દુષ્ટોને મળતો વારસો આ છે
14 જો તેમનાં સંતાનોની વૃદ્ધિ થાય, તો તે તરવારથી હત્યા થવા માટે છે.
    અને તેના વંશજો ભૂખમરાને કારણે મૃત્યુ પામશે.
15 તેમાંથી જેઓ બચી જશે તેઓ રોગ અને મૃત્યુના ભોગ બનશે.
    અને તેની વિધવા શોક કરશે નહિ.
16 જો દુષ્ટ લોકો ધૂળની જેમ પુષ્કળ સંપત્તિ એકઠી કરે,
    તો પણ ઢગલાબંધ કપડાં ઢગલાબંધ માટીની જેમ ધરાવે છે.
17 પરંતુ અંતમાં તેઓને બદલે ભલા લોકો તેમના વસ્ત્રો પહેરશે,
    અને નિર્દોષ લોકો તેની ચાંદી તેઓમાં વહેંચી લેશે.
18 તેણે બાંધેલા ઘર કરોળિયાના જાળાં જેવા
    અને ચોકીદારના છાપરા જેવા છે.
19 દ્રવ્યવાન જ્યારે સૂવા જાય છે ત્યારે એ કદાચ ધનવાન હોય,
    પણ જ્યારે તે આંખ ખોલે છે ત્યારે બાકી કાંઇ હોતું નથી.
20 તે ગભરાયેલો હશે.
    તે એક જળપ્રલય જેવું લાગશે,
    જાણેકે એક વંટોળિયો આવ્યો હતો અને બધું ઉપાડી ને લઇ ગયો.
21 પૂર્વનો વાયુ તેને ઉડાવીને લઇ જાય છે, એટલે તે લોપ થાય છે;
    વંટોળિયો તેને તેની જગાએથી બહાર ખેચી જાય છે.
22 દુષ્ટ વ્યકિત કદાચ વંટોળિયાના જોરથી બચવાનો પ્રયત્ન કરે
    પણ તોફાન તેના પર દયા વગર તૂટી પડશે.
23 માણસો તેની સામે તાળી પાડશે કારણકે તે દુષ્ટ વ્યકિત ભાગી ગયો છે.
    જેવો તે તેના ઘરમાંથી ભાગે છે તેઓ તેના તરફ સીટી વગાડશે.

જ્ઞાનનાં ગુણગાન

28 “ત્યાં ચાંદીની ખાણો છે.
    ત્યાં સોનું ગાળી તેને શુદ્ધ બનાવવા માટે એક જગા છે.
લોઢું જમીનમાંથી ખોદી કાઢવામાં આવે છે,
    અને પિત્તળ ખડકમાંથી ગાળવામાં આવે છે.
માણસ અંધકારને ભેદે છે, કાળમીંઢ ખડકોને ખોદી કાઢે છે,
    ખાણમાં ઊંડાઁમાં ઊંડે ઊતરીને કઇંક શોધી કાઢે છે.
ખનીજ ધાતુની શિરાના ચિહન દ્વારા કામદારો જમીનની અંદર નીચે ઊંડાણમા ખોદે છે.
    તેઓ, લોકો રહે છે તેનાથી દૂર એવી જગ્યાએ જયાં કોઇ કદી ગયું નથી ત્યાં રહે છે.
    તેઓ જમીનમાં નીચે ઊંડા ઊતરે છે.
ધરતીની ઉપર અનાજ ઊગે છે
    પણ નીચે તો બધું અલગ જ છે
    જાણે અગ્નિથી ઓગળી ગયું હોય એમ થાય છે.
તેના ખડકોમાંથી નીલમણિઓ મળે છે,
    અને તેમાંથી સોનાના ગઠ્ઠા નીકળે છે.
શિકારી બાજ પક્ષીની આંખે પણ તે જમીનની નીચેનો રસ્તો દેખાતો નથી.
    શિકારી પક્ષી પણ તે રસ્તો જાણતા નથી.
વિકરાળ પશુ પણ ત્યાં પહોંચ્યુ નથી.
    મદોન્મત સિંહના પગ પણ ત્યાં પડ્યા નથી.
પરંતુ લોકો જાણે છે, કેવી રીતે અચલ ખડકોને કોતરી કાઢવા
    અને પર્વતોના મૂળિયાઓને કેવી રીતે ઊખાડી નાખવા.
10 તેઓ ખડકોમાં ભોંયરાઓ ખોદી
    અને બધા ખડકોના ખજાનાઓ જુએ છે.
11 તેઓ નદીઓના મૂળ શોધી કાઢે છે
    અને છૂપાયેલી વસ્તુઓને પ્રકાશમાં લાવે છે.

12 “પરંતુ તમને જ્ઞાન ક્યાંથી મળે?
    સમજશકિત ક્યાં મળી શકે?
13 આપણે જાણતા નથી કે જ્ઞાન કેટલું કિંમતી છે.
    પૃથ્વીપરના લોકો ધરતીમાં ખોદીને જ્ઞાન મેળવી શકતા નથી.
14 ઊંડાણ કહે છે, ‘એ અમારી પાસે પણ નથી.’
    મહાસાગરો કહે છે, ‘એ અમારી પાસે નથી.’
15 તે સોનાથી ખરીદી શકાય નહિ.
    આખી દુનિયામાં અનુભૂત જ્ઞાન ખરીદવા માટે ચાંદી પર્યાપ્ત નથી.
16 ઓફીરના સોનાને ધોરણે કે મૂલ્યવાન ગોમેદ
    કે નીલમને ધોરણે તેની કિંમત થાય નહિ.
17 સોના કે હીરા સાથે તેની તુલના થઇ શકે તેમ નથી.
    કે સોનાના પાત્રથી પણ તે ખરીદી શકાય તેમ નથી.
18 એની આગળ પરવાળાં કે રત્નની કોઇ તુલના થાય તેમ નથી.
    જ જ્ઞાનની કિંમત તો માણેકથી પણ વધુ ઊંચી છે.
19 કૂશ દેશના પોખરાજ પણ અનુભૂત જ્ઞાન જેટલા કિંમતી નથી.
    શુદ્ધ સુવર્ણથી પણ તમે અનુભૂત જ્ઞાન ખરીદી શકો નહિ.

20 “તો અનુભૂત જ્ઞાન ક્યાંથી આવે છે?
    આપણને સમજશકિત ક્યાંથી મળી શકે?
21 અનુભૂત જ્ઞાન પૃથ્વી પરની દરેક સજીવ વસ્તુથી છૂપાયેલું છે.
    આકાશના પક્ષી પણ અનુભૂત જ્ઞાનને જોઇ શકતા નથી.
22 વિનાશ તથા મૃત્યુ કહે છે કે,
    ‘અમે અમારા કાનોએ
    તેની અફવા સાંભળી છે.’
23 દેવ જ તે તરફનો માર્ગ જાણે છે,
    એને એના રહેઠાણની ખબર છે.
24 કારણકે એને ધરતીના છેડાની જાણ છે,
    આકાશની નીચે જે કઇં છે તે બધું એ જોઇ શકે છે.
25 જ્યારે દેવ પવનનું વજન કરે છે
    અને તે પાણીને માપથી નાખે છે.
26 જ્યારે તેમણે વરસાદ માટે નિયમ ઠરાવ્યો
    અને મેઘર્ગજીત વાવાઝોડાનો માર્ગ નક્કી કર્યો,
27 તે વખતે દેવે અનુભૂત જ્ઞાન જોયું હતું. અને તે વિશે ધ્યાનપૂર્વક વિચાર્યુ.
    દેવે જોયું હતું અનુભૂત જ્ઞાનની કેટલી મહત્તા હતી અને તે મંજૂર કર્યું.
28 તેણે માણસને કહ્યું,
    ‘યહોવાનો ડર અને તેમનો આદરભાવ કરવો એ જ અનુભૂત જ્ઞાન છે.
    દુષ્ટતાથી દૂર રહેવું તે જ સમજશકિત છે.’”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International