Chronological
અયૂબની કસોટી
1 ઉસ નામના દેશમાં અયૂબ નામે એક માણસ રહેતો હતો. તે ભલો, પ્રામાણિક અને દેવથી ડરનાર અને દુષ્ટ વસ્તુ કરવાની મનાઇ કરતો હતો. 2 તેનો પરિવાર મોટો હતો. અયૂબને સાત પુત્રો અને ત્રણ પુત્રીઓ મળી કુલ દશ સંતાન હતા. 3 તેની પાસે મિલકતમાં 7,000 ઘેટાં, 3,000 ઊંટ, 500 જોડ બળદ, 500 ગધેડીઓં અને અનેક નોકર-ચાકર હતાં. સમગ્ર પૂર્વવિસ્તારમાં અયૂબના જેવો કોઇ ધનાઢય માણસ ન હતો.
4 અયૂબના સર્વ પુત્રોમાં રિવાજ હતો, દરેક પુત્ર પોતપોતાના જન્મદિનની ઉજવણીમાં પોતાનાં ભાઇબહેનોને નિમંત્રણ આપતા. તે સમયે સૌ સાથે મળીને ખાતાંપીતા અને આનંદપ્રમોદ કરતાં. અયૂબના પુત્રો વારા પ્રમાણે તેઓને ઘરે ઉજવણી રાખતા અને તેઓ તેઓની બહેનોને આમંત્રણ આપતા. 5 તેના સંતાનો એ ઉજવણી કર્યા પછી અયૂબ વહેલી સવારમા ઊઠતો અને દહનાર્પણ કરતો. તે વિચારતો, “મારા સંતાનોએ કદાચ ચિંતાહીન થઇને તેઓની ઉજવણી પર દેવ વિરૂદ્ધ કોઇ પાપ કર્યું હોય.” અયૂબ હંમેશા આ દહનાર્પણ કરતો જેથી તેના સંતાનોને તેઓના પાપોની માફી મળી જાય.
6 એક દિવસ દેવદૂતો યહોવાની આગળ ભેગા થયા હતા. તેઓની સાથે દુષ્ટ શેતાન પણ ઉપસ્થિત હતો. 7 યહોવાએ શેતાનને પૂછયું, “તું ક્યાં ગયો હતો?”
શેતાને યહોવાને જવાબ આપ્યો. “હું પૃથ્વી પર આમતેમ ભટકતો હતો.”
8 પછી યહોવાએ શેતાનને કહ્યું, “તો પછી તેં મારા સેવક અયૂબને જોયો હશે! તે ભલો, પ્રામાણિક, દેવથી ડરનાર, અનિષ્ટ વસ્તુનો ઇન્કાર કરનાર છે.”
9 શેતાને કહ્યું, “અયૂબ કારણ વિના દેવની ઉપાસના કરે છે? 10 તમારા રક્ષણથી તેનું જીવન, તેનું ઘર, તેની સંપતિ બધુંજ સુરક્ષિત છે. તે જે કઇ કરે છે તેમાં તમે તેને સફળ બનાવ્યો છે. હા, તમે તેને આશીર્વાદ આપ્યા છે. તે એટલો શ્રીમંત છે કે તેના ગાયના અને ઘેટાઁ બકરાઁના ઘણનાઘણ આખા દેશભરમાં છે. 11 એક વાર તેની સંપત્તિને સ્પર્શ કરો, પછી જુઓ, એ કેવો તમારી સામો થાય છે? તે તમને તમારી સામે જ શાપ આપે છે કે નહિ?”
12 યહોવાએ શેતાનને કહ્યું, “જો, તેની તમામ ચીજો હું તને સોપુઁ છુઁ; પણ તેને નુકસાન કરતો નહિ,”
એ પછી શેતાન યહોવાની હાજરી છોડી ચાલ્યો ગયો.
અયૂબનું બધું જતું રહ્યું
13 એક દિવસે તેના પુત્રો અને તેની પુત્રીઓ તેઓનો મોટા ભાઈના ઘરમાં ખાતાઁ હતાઁ અને દ્રાક્ષારસ પીતા હતા. તે સમયે, 14 એક સંદેશવાહક આવ્યો અને અયૂબને જણાવ્યુ, “તમારા બળદો ખેતર ખેડતા હતા અને પાસે ગધેડા ચરતાં હતા. 15 એટલામાં અચાનક શબાઇમ લોકોએ અમારા પર હુમલો કર્યો. અને તમારા બધા પશુઓને ઊપાડી ગયા અને બધા સેવકોને મારી નાંખ્યા, ફકત હું જ બચી ગયો છું તેથી હું તમને આ સમાચાર આપવા આવ્યો છું.”
16 જ્યારે એક સંદેશવાહક આ કહેતો હતો, એટલામાં વળી બીજો સેવક આવ્યો અને કહ્યું, “આકાશમાંથી વીજળી પડી છે અને ગાયના ઘણો અને સેવકો બળીને રાખ થઇ ગયા છે. ફકત હું જ બચી ગયો છું. તેથી તમને હું આ દુ:ખદ સમાચાર કહેવા આવ્યો છું.”
17 તે બોલવાનું પૂરું કરે તે પહેલા, એક ત્રીજો સંદેશવાહક આવ્યો અને કહ્યું, “કાસ્દીઓએ સૈનિકોના ત્રણ ટોળા મોકલ્યા. તેઓએ અમારા પર હુમલો કર્યો અને ઊંટો લઇ લીધા. તેઓએ સેવકોને મારી નાખ્યા છે. તમને આ સમાચાર આપવા ફકત હું જ બચી ગયો છુ.”
18 જ્યારે તે આ કહેતો હતો, ત્યાં હજી એક આવ્યો અને કહ્યું, “તારા પુત્રો તથા તારી પુત્રીઓ તેમના મોટાભાઇના ઘરમાં ખાતાઁ હતાઁ અને દ્રાક્ષારસ પીતાઁ હતાઁ. 19 પછી રણમાઁથી અણધાર્યો જોરદાર પવન આવ્યો અને ઘરને ફૂંકી માર્યુ. ઘર તમારા પુત્રો અને પુત્રીઓ પર પડ્યું અને તેમને મારી નાખ્યા ફકત હું જ બચીગયો છુઁ. તેથી હું તમને આ સમાચાર આપવા આવ્યો છું.”
20 પછી અયૂબ ઊભો થયો. તેણે શોકમાં તેના કપડાં ફાડી નાખ્યાં, માથું મૂંડાવી નાંખ્યું અને જમીન પર પડીને દેવને ઉપાસના કરી. 21 કહ્યું કે,
“મારી માતાના ગર્ભસ્થાનમાંથી હું
નગ્ન આવ્યો હતો
અને મારા મૃત્યુ સમયે
પણ મારી પાસે કશું જ નહિ હોય.
યહોવાએ આપ્યું,
અને યહોવાએ લઇ લીધું છે;
યહોવાના નામને ધન્ય હો.”
22 આ બધું બની ગયું, પણ અયૂબે દુષ્ટતા કરી નહિ. દેવે ખોટું કર્યુ હતું એમ તેણે કહ્યું નહિ.
શેતાન દ્વારા ફરી અયૂબને દુ:ખ આપવું
2 ફરી એક વખત દેવદૂતો યહોવાની સમક્ષ હાજર થયા, ત્યારે તેઓની સાથે શેતાન પણ આવીને યહોવાની આગળ હાજર થયો. 2 યહોવાએ શેતાનને પૂછયું, “તું ક્યાં જઇ આવ્યો?”
શેતાને યહોવાને કહ્યું, “હું પૃથ્વી પર ચારે તરફ ભટકતો હતો.”
3 યહોવાએ શેતાનને પૂછ્યું કે, “શું તેઁ મારા સેવક અયૂબને ધ્યાનથી જોયો છે? પૃથ્વી પર તેના જેવો કોઇ નથી. તે ભલો, પ્રામાણિક, દેવથી ડરનાર, અનિષ્ટ કર્મો કરવાનો ઇન્કાર કરનાર છે. એને હેરાન કરવાને તેઁ મને પડકાર ફેક્યો અને તે પણ કોઇ કારણ વગર, અને તે છતાં પણ તે તેની પ્રામાણિકતાને દ્રઢતાથી વળગી રહ્યો છે.”
4 શેતાને યહોવાને જવાબ આપ્યો, “માણસ કોઇપણ ભોગે પોતાનું જીવન બચાવતો હોય છે. તે ચામડીને બદલે ચામડી પણ આપે છે. 5 તમે તેના શરીરને સ્પર્શ કરો અને માંદગી આપો. પછી જુઓ, તે તમારી સામો થશે અને તમારા પર શાપ વરસાવશે.”
6 પછી યહોવાએ શેતાનને કહ્યું કે, “જા, હું એને તારા હાથમાં સોંપુ છું. તારે એનું જે કરવું હોય તે કરજે; ફકત તેનો જીવ બચાવજે.”
7 પછી યહોવા પાસેથી શેતાન ચાલ્યો ગયો, તેણે અયૂબને તેના પગના તળિયાથી તે તેના માથા સુધી દુ:ખદાયક ગૂંમડાથી ભરી દીધો. 8 તેથી અયૂબ ધૂળમાં બેઠો, અને તેની ખંજવાળ મટાડવા તેના ઘા ને ખજવાળવા તેણે માટીના એક તૂટેલા ટૂકડાનો ઊપયોગ કર્યો. 9 તેની પત્નીએ તેને કહ્યું, “તમે હજુ પણ દેવને વળગી રહ્યાં છો? તમે દેવ પર શાપ વરસાવો અને જીવનનો ત્યાગ કરો!”
10 પરંતુ અયૂબે ઉત્તર આપ્યો, “તું તો એક મૂર્ખ સ્ત્રીની જેમ બોલે છે, શું આપણે દેવના હાથથી માત્ર સુખ જ સ્વીકારવાનું, દુ:ખ નહિ?” આવા દુ:ખમાં પણ અયૂબે કદી દેવની વિરૂદ્ધ એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહિ.
અયૂબના મિત્રોનું આગમન અને આશ્વાસન
11 આ અયૂબ પર આવી પડેલી આફતોની વાત તેના ત્રણ મિત્રોના જાણવામાં આવી તેઓએ તેમના ઘર છોડ્યા એક બીજાને સાથે મળ્યા. તેઓ અયૂબ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા અને તેને આશ્વાસન આપવા જવા માટે સંમંત થયા. તે મિત્રોના નામ તેમાનથી અલીફાઝ, શૂહીથી બિલ્દાદ અને નાઅમાંથી સોફાર હતાં. 12 તેઓએ દૂરથી અયૂબને જોયો અને હવે તે ઓળખી ન શકાય તેવો થઇ ગયો હતો તેથી તેઓ મોટે અવાજે રડ્યા, શોકના માર્યા પોતાના વસ્ત્રો ફાડી નાંખ્યા અને તેઓનો શોક વ્યકત કરવા, તેઓ તેઓના માથા પર રેતી વરસાવવા લાગ્યાં. 13 તેઓ સાત દિવસ અને સાત રાત તેની સાથે જમીન પર બેસી રહ્યા. તેઓ એક શબ્દ પણ બોલ્યા નહિ. કારણકે તેઓએ જોયું કે અયૂબનું દુ:ખ ખૂબ વિશાળ હતું.
અયૂબનો આર્તનાદ અને અફસોસ
3 અયૂબ જન્મ્યો હતો તે દિવસને શાપ દે છે. 2 અયૂબે કહ્યું:
3 “મને એમ થાય છે કે હું જન્મ્યો તે દિવસ હંમેશ માટે અર્દ્રશ્ય થઇ જાય!
4 મને થાય છે તે દિવસ અંધકારમાં જ હોત,
અને હું ઇચ્છું છું દેવ તે દિવસ ભૂલી જાય!
મને થાય છે તેઓએ કહ્યું કે ‘તે એક છોકરો છેં,’
તે રાત આવી ન હોત! હું ઇચ્છું છું
તે દિવસે કોઇ રોશની ઝળકતી ન હોત.
5 હું ઇચ્છું છું તે દિવસ અંધકાર ભર્યો હોત એવો કાળો જેવું કાળું મૃત્યુ, હું ઇચ્છું છું,
તે દિવસે વાદળો સંતાઇ ગયા હોય, હું ઇચ્છું છું,
હું જન્મ્યો તે દિવસથી કાળાં વાદળો પ્રકાશને બિવડાવી ભગાડી મૂકે.
6 હું ઇચ્છું છું અંધકાર તે રાત્રિને પાસે રાખે,
પંચાગમાં તે સુખનો દિવસ કોઇ
મહિનામાં પણ તે ન ગણાય.
7 તે રાત્રિ કોઇ વસ્તુ ઉત્પન કરે નહિ,
તે રાત્રે આનંદની એકપણ બૂમ ન સંભળાય.
8 કેટલાક જાદૂગરો હંમેશા અજગરને જગાડવા ચતુર હોય છે.
તો તેઓને હું જન્મ્યો હતો તે દિવસને શાપ ઉપર શાપ આપવા દો.
9 તે દિવસના પ્રભાતના તારા અંધકારમાં રહે,
તે રાત્રિ ભલે સવાર થવાની રાહ જોયા કરે
પરંતુ પ્રકાશ તે આ ઉગતા સૂર્યના પહેલા કિરણોને ન જુએ.
10 તે રાત્રિ મારા જન્મ કરાવ્યા વગર રહી નહિ
તેથી મને આ મુશ્કેલીઓ દેખાયા વગર રહી નહિ.
11 હું ગર્ભસ્થાનમાં જ મરી કેમ ન ગયો?
જન્મતાંજ કેમ પ્રાણ ન છોડ્યો?
12 મારી માતાએ શા માટે મને તેના ઘૂંટણો પર રાખ્યો?
માતાએ શા માટે મને ધવડાવ્યો?
13 જ્યારે હું જન્મ્યો ત્યારે જ મરી ગયો હોત
તો અત્યારે મને શાંતિ હોત મને થાય છે,
હું આરામમાં ઊંઘતો હોત.
14 જેઓ અગાઉ પૃથ્વી પર રાજાઓ અને વિદ્વાન માણસો સાથે રહેતા હતા
તે માણસોએ પોતાને માટે મકાનો બંધાવ્યા હતા તે અત્યારે નાશ પામી ગયા છે અને સમાપ્ત થઇ ગયા છે.
15 અને હું ધનવાન રાજકર્તાઓ જેમણે તેમના ઘરો અઢળક સોના અને ચાંદીથી ભરી દીધેલા છે
તેઓની સાથે શાંતિમય અને સુખદાયી થઇ ગયો હોત!
16 મરેલું જન્મે અને જમીનમાં દાટી દે તેમની પેઠે શા માટે
હું એ બાળક ન હતો?
મને થાય છે જેણે દિવસનો પ્રકાશ જોયો નથી
તે એક બાળક જેવો હું હોત!
17 અધમ માણસો જ્યારે કબર ભેગા થાય છે ત્યારે હેરાન કરવાનું બંધ કરે છે
અને જે લોકો થાકેલા છે તેઓને કબરમાં શાંતિ લાગે છે.
18 ગુલામોને પણ કબરમાં આરામ મળે છે
કારણકે તેઓને ચોકીદારો તેના પર બૂમો પાડતા તે સંભળાતું નથી.
19 બધાજ જાતના લોકો કબરમાં છે-મહત્વશીલ
અને મહત્વ વગરના લોકો ગુલામ તેના ધણીથી મુકત હોય છે.
20 “માણસ જે પીડા ભોગવી રહ્યો છે શા માટે જીવતા રહ્યાં કરવું છે.
એક દુ:ખી આત્માવાળા માણસને શા માટે જીવન અપાય છે?
21 તે માણસને મરવાની ઇચ્છા છે પણ મોત આવતું નથી.
તે દુ:ખદાયી માણસ છૂપાયેલા ખજાના કરતા મોતને વધારે શોધે છે.
22 તે લોકોને તેઓની કબર મળતા ખુશ થશે.
તેઓ તેઓની સમાધિ મેળવવાથી આનંદ પામશે.
23 પરંતુ દેવ તેઓની આસપાસ રક્ષા કરતી એક દિવાલ છે
અને તેઓનું ભવિષ્ય ગુપ્ત રાખે છે.
24 જ્યારે ખાવાનો સમય થાય છે ત્યારે હું માત્ર દુ:ખથી નિસાસો નાખું છું, આનંદનો નહિ
અને મારી ફરિયાદો બહાર પાણીની જેમ રેડાય છે.
25 મને ડર છે કે મને કાંઇ ભયંકર થવાનું છે
અને બરોબર તેમજ થયું.
26 હું શાંત રહીં શકતો નથી,
હું સ્વસ્થ થઇ શકતો નથી,
હું આરામ કરી શકતો નથી,
હું ખૂબજ ઉદ્ધિગ્ન થયો છું.
જેની મને વધારે બીક લાગતી હતી તેજ મને થયું.”
તેમાનના અલીફાઝનો સંવાદ
4 પછી તેમાનના અલીફાઝે જવાબ આપ્યો કે,
2 “શું, હું તને એકાદ બે શબ્દ કહું તો તું સહન કરી શકીશ?
અને હવે હું કહ્યાં વગર પણ કેવી રીતે રહી શકું?
3 જો, તેં ઘણા લોકોને સલાહ આપી છે,
અને તેં અનેક દુર્બળ હાથોને મજબૂત કર્યા છે.
4 તારા શબ્દોએ પડતાને ઊભા કર્યા છે,
અને જેં લોકો પોતાની જાતે પગભર નથી તેમને તેં પ્રબળ કર્યા છે.
5 પરંતુ હવે જ્યારે મુશ્કેલીઓ તારે માથે આવી પડી છે,
ત્યારે તું ઉત્સાહ ભંગ થઇ ગયો છે,
જ્યારે તારો વારો આવ્યો છે
ત્યારે તું ગભરાઇ જાય છે.
6 દેવ પ્રત્યે તને ખરેખર વિશ્વાસ છે?
તારી વિશ્વસનીયતાને કારણે તું આશા રાખે છે?
7 વિચારી જો, નિર્દોષ લોકો કદી નાશ પામ્યા છે?
કદી એક સારી વ્યકિતનો નાશ થયો છે?
8 મને એવો અનુભવ છે કે, જેઓ પાપ અને અડચણો વાવે છે,
તેઓ તેવું જ તે લણે છે.
9 દેવની એક ફૂંકથી જ તેઓ ઊડી જાય છે,
તેમના એક કોપના ફૂંફાડા માત્રથી જ તેઓ ફેંકાઇ જાય છે.
10 દુષ્ટો બરાડા પાડે છે અને સિંહની જેમ ઘુરકે છે.
પરંતુ દેવ દુષ્ટોને મૂંગા કરી દે છે, અને તેઓના દાંત તોડી નાખે છે.
11 હા, તે દુષ્ટ લોકો, શિકાર શોધી ન શકે તેવા સિંહ જેવા છે.
તેઓ મરી જાય છે અને તેઓના બચ્ચાં રખડી પડે છે.
12 “હમણા એક ગુપ્ત વાત મારી પાસે આવી,
અને તેના ભણકારા મારા કાને પડ્યા.
13 જ્યારે માણસને રાત્રે નિદ્રા ઘેરી વળે છે
ત્યારે રાતનાં સંદર્શનો પરથી આવતા વિચારોમાં.
14 હું ભયથી જી ગયો
અને મારાઁ સર્વ હાડ થથરી ઊઠયાં.
15 ત્યારે એક આત્મા મારા મોંને સ્પશીર્ને પસાર થઇ ગયો
અને મારા શરીરનાં રૂઆં ઉભા થઇ ગયાં.
16 તે સ્થિર ઊભો રહ્યો,
પણ હું તેનું સ્વરૂપ ઓળખી શક્યો નહિ.
એક આકૃતિ મારી સમક્ષ આવીને ઊભી રહી,
અને ત્યાં શાંતિ હતી.
પછી મેં એક ખૂબજ શાંત અવાજ સાંભળ્યો.
17 ‘શું માણસ દેવ કરતાં વધારે ન્યાયી હોઇ શકે?
શું તે તેના સર્જનહાર કરતાં વધારે પવિત્ર હોઇ શકે?
18 જુઓ, તેને તેના સ્વર્ગના સેવકોમાં વિશ્વાસ નથી;
એ તો એના દેવદૂતોનો પણ વાંક કાઢે છે.
19 તો વસ્તુત: લોકો વધારે ખરાબ છે!
લોકો પાસે માટીના ઘરો જેવા શરીર છે.
તેમના પાયા ગંદવાડમાં હોય છે.
તેઓને કચરીને મારવું તે પતંગિયા મારવા કરતાં પણ સહેલું છે.
20 તેઓ સવારમાં જીવતા હોય છે પણ સાંજ પડતા તો મૃત્યુ પામે છે.
તેઓ સદાને માટે ચાલ્યા જાય છે, કોઇ તેઓની ચિંતા કરતું નથી.
21 જો તેઓના તંબૂના દોરડાં ઉપર તાણ્યાં હોય
તો આ લોકો ડહાપણ રહિત મરી જાય છે.’”
5 “હાંક મારી જો હવે; તને જવાબ આપનાર કોઇ છે ખરું?
તું હવે ક્યા દેવદૂતને શરણે જશે?
2 ક્રોધ મૂર્ખ માણસને મારી નાખે છે,
ઇર્ષ્યા મૂર્ખનો નાશ કરે છે.
3 મેં મૂર્ખ માણસને જડ નાખતાઁ જોયો છે,
પણ પછી અચાનક આફત આવી પડે છે.
4 તેનાં સંતાનોને મદદ કરવાવાળું કોઇ નથી, તેઓ ન્યાયાલયમાં ભાગી પડ્યાં છે.
અને તેઓનો બચાવ કરે એવું કોઇ નથી.
5 તેઓનો ઊભો પાક ભૂખ્યા લોકો ખાઇ જાય છે,
થોરકાંટામાંથી પણ તેઓ લૂંટી જાય છે.
તેઓની સંપત્તિનો ઉપયોગ તેઓને બદલે બીજા કરે છે!
6 જટિલ સમસ્યાઓ ધરતીમાંથી નથી ઉગતી,
અને મુશ્કેલીઓ જમીનમાંથી નથી ફૂટતી.
7 પરંતુ જેમ અગ્નિ તણખો પેદા કરે છે
તેવીજ રીતે મનુષ્ય જટિલ સમસ્યાઓનો સામનો કરવા જ જન્મ્યો છે.
8 છતાં જો તમે મને પૂછો તો હું દેવ પાસે જઇશ
અને તેમની સામે મારો કિસ્સો રજુ કરીશ.
9 દેવ, ઘણી અશક્ય અને મહાન વસ્તુઓ કરે છે જે લોકો સમજી શકતા નથી.
તે અગણિત ચમત્કારો કરે છે.
10 તે પૃથ્વી પર વર્ષા વરસાવે છે
અને ખેતરોમાં જળ પહોંચાડે છે.
11 તે ગરીબ અને નમ્ર લોકોને ઉચ્ચ બનાવે છે;
તથા શોકાતુરોને ઊંચે ચઢાવી સુરક્ષા આપે છે અને શાંતિ આપે છે.
12 તે ચાલાક, દુષ્ટ લોકોની યોજનાઓ બગાડી નાખે છે
જેથી તેઓ સફળ ન થાય.
13 કપટી લોકો પણ પોતાના જ છળકપટમાં ફસાઇ જાય છે.
દેવ તેમના દુષ્ટકર્મોનો નાશ કરે છે.
14 ધોળે દહાડે તેઓ અંધારાને ભટકાય છે,
તેઓ અંધજનની જેમ ખરે બપોરે રાતની જેમ ફાંફા મારે છે.
15 દેવ ગરીબને મોતમાંથી બચાવે છે.
તે તેઓને મજબૂત લોકોના બળથી બચાવે છે.
16 તેથી ગરીબને આશા રહે છે
અને દુષ્ટોનું મોઢું ચૂપ કરી દેવામાં આવશે.
17 દેવ જેને સુધારે છે તે ભાગ્યશાળી છે,
માટે તું સર્વ સમર્થ દેવની શિક્ષાની અવજ્ઞા કરીશ નહિ.
18 કારણકે તે દુ:ખી કરે છે અને તે જ પાટો બાંધે છે;
ઘા કરે છે અને ઘા રુઝાવે પણ છે.
19 તેઓ તમને છ આફતોમાંથી બચાવશે,
સાતમીથી તમને દુ:ખ થશે નહિ.
20 તેઓ તમને દુકાળના સમયે મૃત્યુમાંથી
અને યુદ્ધના સમયે તરવારના ત્રાસમાંથી બચાવી લેશે.
21 નિંદાખોરોથી તું સુરક્ષિત રહીશ,
અને આફતની સામે પણ તું નિર્ભય રહીશ.
22 વિનાશ અને દુકાળને તું હસી કાઢીશ.
અને પૃથ્વી પરનાં હિંસક પશુઓથી તું ગભરાઇશ નહિ,
23 તારા ખેતરના પથ્થરો પણ તારી દલીલમાં ભાગ લેશે,
જંગલી જાનવરો પણ તારી સાથે સુલેહ કરશે.
24 તું બહાર હોઇશ ત્યારે પણ તારે તારા ઘરની કશી ચિંતા કરવાની રહેશે નહિ,
અને તું તારા પોતાના વાડાને તપાસી જોઇશ, તો બધું સુરક્ષિત હશે.
25 તને પુષ્કળ સંતાનો થશે
અને પૃથ્વી પરના ઘાસની જેમ તારા વંશજો પણ ઘણા થશે.
26 તું જેમ લણણીની ઋતું સુધી ઘંઉ ઊગે છે તેમ,
તું તારી બરોબર પાકી ઉંમરે તારી કબરમાં જઇશ.
27 “અમે આ વાતનો અભ્યાસ કર્યો અને અમે જાણીએ છીએ કે તેઓ સાચા છે.
તારા પોતાના ભલા માટે મારી આ સલાહને તું ધ્યાનમાં લે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International