Chronological
દેવનું પુત્ર દ્ધારા બોલવું
1 ભૂતકાળમાં દેવ આપણા પૂર્વજો સાથે પ્રબોધકો દ્ધારા અનેકવાર અનેક પ્રકારે બોલ્યો હતો. 2 અને હવે આ છેલ્લા દિવસોમાં દેવ જે કઈ બોલ્યો તે તેના પુત્ર દ્ધારા આપણી સાથે બોલ્યો છે. દેવે આખી દુનિયા તેના પુત્ર દ્ધારા બનાવી અને તેમાંનું બધું જ દેવે પોતાના પુત્ર દ્ધારા ઉત્પન્ન કર્યું છે. અને પુત્રને સર્વસ્વમાં વારસ, અને માલિક ઠરાવ્યો છે. 3 તે તેના ગૌરવનું તેજ તથા દેવની પ્રકૃતિના આબેહૂબ પ્રતિમા છે. તે પ્રત્યેક વસ્તુઓને પોતાના પરાક્રમી શબ્દો સાથે નિભાવી રાખે છે. પુત્રએ લોકોના પાપોનું શુદ્ધિકરણ કર્યું પછી તે મહાન દેવની જમણી બાજુએ આકાશમાં ઉચ્ચસ્થાને બિરાજમાન છે. 4 તેને દૂતો કરતાં જેટલે દરજજે તે વધારે ચઢિયાતું નામ વારસામાં દેવ દ્ધારા મળ્યું છે, તેટલે દરજજે તે દૂતો કરતાં ચઢિયાતો બન્યો છે.
5 દેવે કદી કોઈ દૂતોને કહ્યું નથી કે:
“તું મારો પુત્ર છે;
અને આજથી હું તારો પિતા બનું છું.” (A)
દેવે કોઈ દૂતને એવું કદી કહ્યું નથી કે,
“હું તેનો પિતા હોઇશ,
અને તે મારો પુત્ર હશે.” (B)
6 જ્યારે પ્રથમજનિત[a] ને જગતમાં દેવ રજૂ કરે છે, તે કહે છે,
“દેવના બધાજ દૂતો દેવના પુત્રનું ભજન કરો.” (C)
7 વળી દૂતો સંબંધી દેવ કહે છે કે:
8 પણ દેવ તેના પુત્ર વિષે કહે છે કે:
“ઓ દેવ, તારું રાજ્યાસન, સનાતન સદાય રહેશે.
તું જગત પર ન્યાયી રાજ્યશાસન કરશે.
9 તું સત્યને ચાહે છે, અને ખોટાનો દ્ધેષ કરે છે.
તેથી, દેવે, તારા દેવે તને મહા મોટો આનંદ આપ્યો છે.
અને બીજા કોઈ સાથીઓ કરતાં તને વધારે મહત્વનું સ્થાન આપ્યું છે.” (E)
10 દેવ એમ પણ કહે છે કે,
“હે પ્રભુ, શરૂઆતમાં તેં પૃથ્વીનું સર્જન કર્યુ.
અને આકાશ તારા હાથની કૃતિ છે.
11 આ બધીજ વસ્તુઓ નષ્ટ થઈ જશે, બધીજ વસ્તુઓ ફાટેલા જૂનાં વસ્ત્રો જેવી ર્જીણ થઈ જશે.
પણ તું કાયમ રહે છે.
12 તું તેઓને એક વસ્ત્રની જેમ વાળી લેશે.
અને તેઓ વસ્ત્રની જેમ બદલાઇ પણ જશે.
પરંતુ તું બદલાશે નહિ,
તું સદાકાળ એવોને એવો જ રહેશે.” (F)
13 દેવે પોતાના દૂતને આ કદી નથી કહ્યું કે:
“જ્યાં સુધી હું તારા દુશ્મનોને તારા પગ તળે કચડી ના નાખું
ત્યાં સુધી તું મારી જમણી બાજુ બિરાજમાન થા.” (G)
14 બધા જ દૂતો તો દેવની સેવા કરનાર આત્માઓ છે અને તારણ પામનાર મનુષ્યોની સેવા કરવા માટે તેઓને મોકલવામાં આવે છે.
આપણું તારણ નિયમ કરતાં મહાન છે
2 આથી આપણને જે કઈ સત્ય શીખવવામાં આવ્યું છે તેના તરફ ખૂબજ કાળજીપૂર્વક ધ્યાન આપવું જોઈએ જેથી આપણે સત્યના માર્ગથી દૂર ફંટાઇ ન જઇએ. 2 દેવે દૂતો દ્ધારા જે શિક્ષણ આપ્યું તે સત્ય કરી બતાવ્યું હતું. અને દરેક વખતે જ્યારે યહૂદિ લોકો આ શિક્ષણની વિરૂદ્ધમા કંઈક કરતા તો તેમને આજ્ઞાભંગ માટે શિક્ષા કરવામાં આવતી હતી. 3 જે તારણ આપણને આપવામાં આવેલું છે તે અતિ મહાન છે તેથી ખાતરી પૂર્વકની વાત છે કે જો આપણે પણ તારણની ઉપેક્ષા કરીશું તો આપણને પણ શિક્ષા થશે. પ્રભુએ પોતે લોકોને પ્રથમ તારણની વાત કરી. અને જેમણે તેનું સાંભળ્યું તેમણે એ સાક્ષી પૂરી કે આ તારણ તે સાચું તારણ છે. 4 દેવે પોતે પણ આ સત્યતાને, ચિહ્રનો, અદભૂત કૃત્યો, જુદા જુદા ચમત્કારો અને ભેટો વડે પ્રમાણિત કરી છે, અને તેની ઈચ્છા પ્રમાણે પવિત્ર આત્મા તરફથી દાન મેળવીને સાક્ષી આપતો રહ્યો છે.
તેઓને તારવા ખ્રિસ્તે માનવદેહ ધારણ કર્યો
5 નવી દુનિયા જે આવી રહી હતી તેના ઉપર શાસન કરવા દેવે દૂતોને પસંદ કર્યા નહિ. આપણે જે ભવિષ્યની દુનિયાની વાત કરીએ છીએ તે આ દુનિયા છે. 6 તેમાં કોઈક જગાએ શાસ્ત્રોમાં લખ્યું છે કે,
“હે દેવ તું માણસોની શા માટે દરકાર કરે છે?
મનુષ્ય પુત્રની પણ શા માટે દરકાર કરે છે?
શું તે એટલો બધો અગત્યનો છે?
7 થોડા સમય માટે તેં તેને દૂતો કરતાં ઊતરતો ગણ્યો છે.
તેં તેને ગૌરવ તથા માનનો મુગટ આપ્યો છે. અને તારા હાથનાં કામ પર તેને અધિકાર આપ્યો છે.
8 સમગ્ર સૃષ્ટિ તેં તેના પગ તળે મૂકી છે.” (H)
તેં તેના પગ તળે સઘળું મૂક્યું છે. તો સઘળું તેને સ્વાધીન કરવાથી તેને સ્વાધીન ન કર્યું હોય તેવું તેણે કશુંય રહેવા દીધું નથી. પણ સઘળું તેને સ્વાધીન કર્યું, એમ હજુ સુધી આપણી દષ્ટિએ દેખાતું નથી. 9 થોડા સમય માટે ઈસુને દૂતો કરતાં ઊતરતો બનાવ્યો હતો, પણ હવે આપણે તેને મહિમા અને માનનો મુગટ પહેરેલો જોઈએ છીએ કારણ કે તેણે મરણનું દુ:ખ સહન કર્યું અને દેવની દયાથી મરણનો અનુભવ સમગ્ર માનવજાત માટે કર્યો હતો.
10 દેવે સર્વસ્વ બનાવ્યું છે. અને તે પોતાના મહિમાને અર્થે બનાવ્યું છે. આ મહિમામાં ઘણા લોકો ભાગ લે તેવું દેવ ઇચ્છતો હતો. તેથી દેવને એક (ઈસુ) પરિપૂર્ણ તારનાર બનાવવો પડ્યો જે ઘણા લોકોને તેમના તારણ તરફ દોરી જાય છે. અને તે ઘણાને તે મુક્તિમાર્ગે દોરી ગયો. દેવે તે કર્યું.
11 જે એક (ઈસુ) લોકોને પવિત્ર બનાવે છે અને જે લોકો પવિત્ર બનાવાયા છે તે એક જ પરિવારના છે. એટલે તે (ઈસુ) તેઓને પોતાના ભાઈઓ અને બહેનો કહેતાં જરાપણ શરમ અનુભવતો નથી. 12 ઈસુ કહે છે,
“હે દેવ, હું મારા ભાઈઓ અને બહેનોને તારા વિષે કહીશ.
તારા સર્વ લોકો આગળ હું તારાં સ્તોત્રો ગાઇશ.” (I)
13 તે એમ પણ કહે છે,
“હું દેવ પર ભરોસો રાખીશ” (J)
અને તે કહે છે,
“દેવે મને આપેલા બાળકો અને હું અહીંયા છીએ.” (K)
14 તે માણસો માંસ અને લોહીનાં બનેલા માનવ દેહ ધરાવે છે. તેથી ઈસુએ પણ માનવદેહમાં જન્મ લીધો, તેથી કરીને તે મરણ સહન કરીને, દુ:ખો સહીને તે શેતાનનો નાશ કરી શકે. 15 ઈસુ લોકો જેવો થયો અને મરણ પામ્યો અને જીવનપર્યત મરણના ભયને લીધે દાસ જેવી દશામાં જીવતા મનુષ્યોને છુટકારો અપાવી શકે. 16 એ સ્પષ્ટ છે કે ઈસુ દૂતોને નહિ, પરંતુ મનુષ્યો જે ઇબ્રાહિમનાં[c] સંતાનો છે તેમને મદદ કરે છે. 17 આ કારણે ઈસુ ખ્રિસ્ત પોતાના ભાઈઓ અને બહેનોમાં બધા બાબતોમાં સમાન બને એ જરુંરી હતું, એ માટે તે આપણા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે એવો દયાળુ અને આપણા લોકોના પાપનું પ્રાયશ્ચિત કરીને દેવ સમક્ષ સજા ભોગવે એવો વિશ્વાસુ પ્રમુખ યાજક થાય. 18 ઈસુ જે લોકો પરીક્ષણમાંથી પસાર થઈ રહ્યા છે, તેઓને મદદ કરવા શક્તિમાન છે કારણ કે તે પોતે જાતે યાતનાઓમાંથી પસાર થયો હતો અને તેનું પરીક્ષણ થયું હતું.
ઈસુ મૂસા કરતાં મહાન
3 તેથી તમારે બધાએ ઈસુ વિષે વિચાર કરવો જોઈએ. દેવે ઈસુને આપણી પાસે મોકલ્યો અને તે આપણા વિશ્વાસનો પ્રમુખ યાજક છે. હું તમને આ કહું છું, મારા પવિત્ર ભાઈઓ અને બહેનો, તમને સર્વને દેવે તેડ્યા છે. 2 દેવે ઈસુને આપણી પાસે મોકલ્યો છે અને તેને આપણો મુખ્ય યાજક બનાવ્યો છે. મૂસાની જેમ ઈસુ પણ દેવને વફાદાર હતો. દેવના ઘરમાં દેવ તેની પાસે જે કરાવવા ઈચ્છતો હતો તે બધું તેણે કર્યું. 3 જ્યારે મનુષ્ય મકાન બાંધે છે, ત્યારે લોકો મકાન બાંધનારને ખુબ માન આપે છે. તેમ ઈસુ મૂસા કરતાં માન આપવાને વધુ યોગ્ય ઠર્યો. 4 દરેક મકાન કોઈ એક મનુષ્ય બાંધે છે, પરંતુ દેવે તો આખી દુનિયાનું સર્જન કર્યું છે. 5 મૂસા સેવકની જેમ ખૂબજ વફાદાર હતો. દેવ જે ભવિષ્યમાં કહેવાનો છે તે (મૂસાએ) તેણે કહ્યું. 6 પણ ખ્રિસ્ત તો પુત્ર તરીકે દેવના ઘર પર વિશ્વાસુ હતો. આપણે વિશ્વાસીઓ દેવનું ઘર (કુટુંબ) છીએ. જો આપણે અંત સુધી હિંમત તથા આશાનું અભિમાન ચાલુ રાખીએ, તો આપણે દેવનું ઘર છીએ.
આપણે દેવને અનુસરવાનું ચાલુ રાખવું જોઈએ
7 એ માટે જેમ પવિત્ર આત્મા કહે છે તેમ:
“જો તમે આજે દેવની વાણી સાંભળો તો,
8 ઈસ્રાએલ પ્રજાએ અરણ્યમાં કર્યું તેમ તમે તમારા હ્રદયો કઠોર કરશો નહિ,
અરણ્યમાં પ્રવાસ કરતી વખતે કસોટીના સમયમાં તેઓએ દેવ વિરૂદ્ધ બળવો કર્યો.
9 મેં જે કઈ કર્યું તે તમારા લોકોએ વરસ સુધી અરણ્યમાં જોયું. છતાં તેઓએ મારી ધીરજની કસોટી કરી.
10 તેથી હું તે લોકો પર રોષે ભરાયો.
અને મેં કહ્યું, ‘તેઓ તેમના હ્રદયમાં જે વિચારે છે તે હંમેશા ખોટું જ છે.
તેઓને મારા માર્ગોની કદી પણ સમજણ પડી નથી.’
11 તેથી ગુસ્સે થઈ મેં પ્રતિજ્ઞા કરી:
‘તેઓ મારા વિસામામાં કદી પ્રવેશ કરી શકશે નહિ.’” (L)
12 માટે હે ભાઈઓ અને બહેનો, તમે સાવધ રહો. રખેને તમારામાંના કોઈનું હ્રદય અવિશ્વાસના કારણથી ભૂંડું થાય, અને તેમ તે જીવતા દેવથી દૂર જાય. 13 પણ જ્યાં સુધી “આજ” કહેવાય છે, ત્યાં સુધી તમે દિનપ્રતિદિન એકબીજાને ઉત્તેજન આપો કે પાપના કપટથી તમારામાંનો કોઈ કઠણ હ્રદયનો ન થાય અને દેવ વિરૂદ્ધનો બને નહિ. 14 કેમ કે પ્રથમ જે વિશ્વાસ કર્યો હતો તેમાં ટકી રહીને જો આપણે અંત સુધી વિશ્વાસ રાખીશું તો ખ્રિસ્તની સાથે સર્વસ્વના ભાગીદાર બનીશું. 15 શાસ્ત્રમાં કહેલું છે કે:
“જો આજે તમે દેવની વાણી સાંભળો,
તો અરણ્યમાં જેમ ઇસ્ત્રાએલ પ્રજાએ જે રીતે દેવ વિરૂદ્ધ બળવો કર્યો, તેમ તમે તમારા હ્રદય દેવ વિરૂદ્ધ કઠોર કરશો નહિ.” (M)
16 દેવની વાણી સાંભળ્યા છતાં જેમણે તેની વિરૂદ્ધ બંડ પોકાર્યું. એ કયા લોકો હતા? મૂસાની આગેવાની હેઠળ ઇજીપ્તમાંથી નીકળી આવનાર તે લોકો હતા. 17 અને 40 વરસ સુધી દેવ કોના ઉપર ક્રોધાયમાન થયો? એ જ ઈસ્રાએલી લોકો કે જેઓ પોતાના પાપને કારણે અરણ્યમાં જ મરણ પામ્યા. 18 દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર એ લોકો વિષે દેવે પ્રતિજ્ઞા કરી કહ્યું કે, એ લોકો વિશ્રામમાં પ્રવેશ મેળવી શકશે નહિ. 19 અને આપણે જોઈએ છીએ કે એ લોકો પ્રવેશ કરી શક્યા નહિ. અને દેવનો વિશ્રામ મેળવવા તેઓ શક્તિમાન નહોતા. શા માટે? કારણ કે તેઓએ દેવ પર વિશ્વાસ કર્યો નહિ.
4 દેવે તૈયાર કરેલ વિશ્રાંતિનું વચન હજી મોજૂદ રહ્યું છતાં આપણામાંથી કોઈક ત્યાં પ્રવેશ મેળવવા નિષ્ફળ ન જાય માટે આપણે સાવચેત રહેવું જોઈએ. 2 કેમ કે દેવ આપણું તારણ કરવા ઇચ્છે છે, એ સુવાર્તા જેમ આપણને આપવામાં આવી છે, તેમ તે સમયના ઈસ્રાએલના લોકોને પણ આપવામાં આવી હતી તેમ છતાં તે સુવાર્તા તેમને કોઈ પણ રીતે લાભકર્તા નીવડી નહિ કારણ કે તેઓએ તે સુવાર્તા સાંભળ્યા છતાં વિશ્વાસથી તેનો સ્વીકાર કર્યો નહિ. 3 અમે જેઓએ તેનો સ્વીકાર કર્યો તે દેવના વિશ્રામમાં પ્રવેશ પામ્યા. દેવે જેમ કહ્યું છે,
“મેં મારા ક્રોધમાં સમ ખાધા કે:
‘તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ પામશે નહિ.’” (N)
દેવે આ કહ્યું. પણ સંસારની ઉત્પત્તિ કર્યા બાદ દેવનું કામ પૂરું થઈ ગયું હતું. 4 શાસ્ત્રમાં કોઈક જગ્યાએ અઠવાડિયાના સાતમા દિવસ વિશે લખ્યું છે: “તેથી સાતમા(O) દિવસે દેવે બધા જ કામ છોડી આરામ કર્યો.” 5 ઉપર જણાવેલ સંબંધમાં પણ તેણે કહ્યું છે, “તેઓ કદી પણ મારા વિશ્રામમાં પ્રવેશ પામશે નહિ.”
6 તે હજુ પણ સત્ય છે કે કેટલાએક દેવના વિશ્રામમાં પ્રવેશ પામશે. અને તેઓ કે જેઓને સુવાર્તા સાંભળવાની પ્રથમ તક મળી. પરંતુ તેઓએ આજ્ઞાનો ભંગ કર્યો, તેથી તેઓ પ્રવેશ કરી શક્યા નહિ. 7 પરંતુ દેવે આ માટે બીજો દિવસ નક્કિ કર્યો. અને તે “આજનો દિવસ” કહેવાય છે. દેવે આ દિવસની આગાહી ઘણા વર્ષો બાદ દાઉદ રાજા મારફતે કરી હતી. તેવું પવિત્રશાસ્ત્રમાં બતાવ્યું છે જેનો અમે હમણાં ઉલ્લેખ કર્યો:
“આજે જો તમે દેવની વાણી સાંભળો,
તો જેમ ભૂતકાળમાં કર્યુ તેમ તમારું હ્રદય તેની વિરૂદ્ધ કઠણ કરશો નહિ.” (P)
8 આપણે જાણીએ છીએ કે યહોશુઆ લોકોને વિસામા તરફ દોરી ગયો હોત તો દેવે બીજા એક દિવસની વાત કરી ન હોત. 9 આ બતાવે છે કે જે દેવના લોકો માટેના વિશ્રામનો સાતમો દિવસ હજુય બાકી રહે છે. 10 દેવે પોતાનાં કામો કર્યા પછી વિશ્રાંતિ પ્રાપ્ત કરી. તે પ્રમાણે જો કોઈ દેવના વિશ્રામમાં પ્રવેશ મેળવે છે તે એનાં પોતાનાં કામો દ્ધારા વિશ્રામ મેળવી શકે છે. 11 તેથી આવો આપણે પણ એ વિશ્રામમાં પ્રવેશ મેળવવા પ્રયત્ન કરીએ. આપણે સખત પ્રયત્ન કરવો જોઈએ. જેથી જે લોકો આજ્ઞા ભંગ કરી વિશ્રામમાં સ્થાન મેળવવા નિષ્ફળ ગયા તેમ આપણા માટે ન થાય, તેની કાળજી રાખીએ.
12 કેમ કે દેવનો શબ્દ જીવંત છે અને ક્રિયાશીલ છે. બેધારી તરવાર કરતાં પણ તે વધુ તીક્ષ્ણ છે. તે જીવ અને આત્માને જુદા પાડે છે. સાંધા અને મજ્જાના બે ભાગ કરે છે. અને આપણાં હ્રદયના ઊંડા વિચારોનો ન્યાય કરે છે અને હ્રદયના વિચારો અને ભાવનાઓને પારખનાર છે. 13 આ દુનિયામાં દેવથી કશું જ છુપાવી શકાતું નથી. તે સઘળું સ્પષ્ટ જોઈ શકે છે. તેની સમક્ષ બધુંજ ઉઘાડું છે. અને તેથી આપણે આપણાં બધા જ કૃત્યોનો હિસાબ તેની સમક્ષ આપવો પડશે.
ઈસુ આપણને દેવની સમક્ષ જવામાં મદદ કરે છે
14 દેવનો પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણો પ્રમુખ યાજક છે. જે આપણને મદદ કરવા અર્થે તે આકાશમાં ગયેલો છે. તેમનો વિશ્વાસ કરવામાં આપણે જે વિશ્વાસનો પૂરેપૂરો સ્વીકાર કરીએ છીએ તેને દઢ પણે ચાલુ રાખવો જોઈએ. આપણે કદી પાછા ન પડીએ. 15 ઈસુ, પ્રમુખ યાજક આપણી નિર્બળતાઓ સંપૂર્ણ રીતે સમજે છે, કારણ કે તે પૃથ્વી પર જીવ્યો છે, અને આપણા પર આવે છે તેવા સર્વ પરીક્ષણોમાંથી પસાર થયો છે, તેણે કદી પાપ કર્યુ નથી. 16 તેથી હિંમતપૂર્વક આપણે દેવના કૃપાસન સુધી પહોંચીએ જ્યાં કૃપા પ્રાપ્ત થઈ શકે તેમ છે. ત્યાં આપણને દયા અને કૃપાની જ્યારે જરુંર હોય છે ત્યારે મદદમાં મળે છે.
5 પ્રત્યેક પ્રમુખ યાજકની પસંદગી મનુષ્યમાંથી થાય છે. યહૂદી પ્રમુખ એક સાધારણ માણસ છે જે દેવ સંબંધીની બાબતોમાં લોકો વતી દેવ સમક્ષ આવવા લોકોનું પ્રતિનિધિત્વ કરવા માટે નિયુક્ત થાય છે. તેથી લોકોએ અર્પણ કેરેલ ભેટો દેવ સમક્ષ ધરે છે અને તેઓના પાપને માટે તે દેવને બલિદાનો અર્પણ કરે છે. 2 પ્રમુખ યાજકમાં પણ લોકો જેવી જ નિર્બળતાઓ છે. તેથી બીજાની નિર્બળતાઓ સમજે છે અને અણસમજુ અને ભૂલ કરનાર લોકો સાથે તે માયાળુપણે વર્તે છે. 3 તેથી પ્રમુખ યાજકને પોતાની નિર્બળતાઓ છે. તેથી તે લોકોનાં પાપો માટે તથા પોતાનાં પાપો માટે બલિદાન અર્પણ કરે છે.
4 કોઈ પણ મનુષ્ય પોતાની ઈચ્છાથી પ્રમુખ યાજક બનવાનું માન પોતાની જાતે મેળવી શકતો નથી. જેમ દેવે હારુંનની પસંદગી કરી તેમ દરેક પ્રમુખ યાજકની પસંદગી દેવથી જ થાય છે. 5 ઈસુ ખ્રિસ્તે પણ પોતાની જાત માટે પ્રમુખ યાજક થવાની અને મહિમા પ્રાપ્ત કરવા માટે પસંદગી કરી નહોતી. પરંતુ દેવે તેને પસંદ કર્યો. દેવે ખ્રિસ્તને કહ્યું,
“તું મારો પુત્ર છે;
આજે હું તારો પિતા બન્યો છું.” (Q)
6 અને શાસ્ત્રમાં દેવે એક જગ્યાએ એમ પણ કહ્યું હતું કે,
7 ખ્રિસ્ત જ્યારે પૃથ્વી પર હતો ત્યારે તેણે દેવને તેની મદદ માટે મોટે ઘાટે પ્રાર્થના કરી, અને આંસુ સહિત મરણમાંથી તેને છોડાવનાર દેવની પ્રાર્થના કરી. તે દરેક સમયે દેવની ઈચ્છા પ્રમાણે જ કરતો તેથી દેવે તેની પ્રાર્થના સાંભળી. 8 ઈસુ દેવનો પુત્ર હતો. છતાં દુ:ખ સહનના અનુભવથી આજ્ઞાનું પાલન કરવાનું શીખ્યો. 9 આ રીતે પરિપૂર્ણ થઈને, તે પોતાની આજ્ઞા પાળનારા સર્વને સારું અનંત તારણનું કારણ થયો. 10 અને દેવે ઈસુને મલ્ખીસદેકના ધારા પ્રમાણે પ્રમુખયાજકનું નામ આપ્યું.
પતનની વિરુંદ્ધ ચેતવણી
11 આ વિષે અમારે તમને ઘણુંજ કહેવાનું છે. પરંતુ તે સમજાવવું ઘણું અઘરું છે કારણ કે તમે સમજવાની કોઈ જ ઈચ્છા દર્શાવી નથી. 12 જો કે આ સમયે તો તમારે ઉપદેશક થવું જોઈતું હતું. પરંતુ આ સમયે એવું દેખાય છે કે બીજા લોકો તમને ફરીથી દેવના વચનનાં મૂળતત્વો શીખવે. તમારે ભારે ખોરાક નહિ પરંતુ દૂધની જરુંરીયાત છે એવા તમે થયા છો. 13 જે વ્યક્તિ હજી દૂધ પર જીવે છે તે ન્યાયીપણા સંબધી તે બિનઅનુભવી છે, કેમ કે તે બાળક જ છે. 14 પણ જેઓ પુખ્ત ઉંમરના છે. એટલે જેઓની ઈન્દ્રિયો ખરું ખોટું પારખવામાં કેળવાયેલી છે, તેઓને સાંરું ભારે ખોરાક છે. તેથી આત્મિક જીવનમાં વૃદ્ધિ પામ્યા સિવાય તમે ભારે ખોરાક એટલે કે જ્ઞાન પચાવી શકશો નહિ.
6 1-2 હવે આપણે ખ્રિસ્તના સિદ્ધાંતના પ્રાથમિક શિક્ષણની ચર્ચા બંધ કરવી જ જોઈએ. જ્યાંથી શરુંઆત કરી, ત્યા આપણે પાછા ન ફરીએ જેમ કે મૃત્યુ તરફ લઈ જતાં સારાં કર્મોથી દેવમાં વિશ્વાસ મૂકો. વળી બાપ્તિસ્મા[e] વિષે તે વખતે આપણને શીખવવામાં આવ્યું હતું. અને લોકો ઉપર હાથ મૂકવાથી અને મૃત્યુ પછી ફરી સજીવન થવું અને અનંતકાળના ન્યાયકરણ વિષે આપણને શીખવવામાં આવ્યું હતું, પણ આપણને વધુ ઉચ્ચ કક્ષાના શિક્ષણની જરુંર છે. 3 અને જો દેવની ઈચ્છા હશે તો અમે એ પણ કરીશું.
4-6 જે લોકો એક વખત સત્ય જાણવા આવ્યા, જેમને સ્વર્ગીય દાનોનો અનુભવ થયો, પવિત્ર આત્માના દાનની ભાગીદારી અને દેવના સંદેશના સૌંદર્યનો અનુભવ કરાવ્યો. અને દેવની નવી દુનિયાની મહાન સત્તાને જોઈ. પછી આ બધું હોવા છતાં તેઓનું પતન થયું. તેમના જીવનનું તેમના માટે પરિવર્તન ફરીથી કરવું અશક્ય છે, શા માટે? કારણ કે આ લોકો ખરેખર દેવના પુત્રને ફરીથી વધસ્તંભે જડાવે છે. લોકો સમક્ષ તેનું અપમાન કરે છે.
7 આ લોકો તે ભૂમિ જેવા છે જે તેના પર વારંવાર પડતા વરસાદનું તે શોષણ કરે છે. જેઓ તેને ખેડે છે અને તેની કાળજી રાખે છે તેઓ ઉપયોગી પાકની પ્રાપ્તિ માટે આશા રાખે છે. જો તે ભૂમિ આવો પાક પેદા કરશે તો દેવનો આશીર્વાદ તેના પર ઉતરશે. 8 પણ જો એ જમીન કાંટા અને ઝાંખરા ઉગાડ્યા કરે તો છેવટે બિનઉપયોગી અને શ્રાપિત થઈ બળી જશે.
9 પ્રિય મિત્રો, ભલે હું આમ કહું છું. પરંતુ તમારી બાબતમાં તમારી પાસે સારી અપેક્ષા રાખું છું. અને અમને ખાતરી છે કે તમે એવું કૃત્ય કરશો કે જે તારણનો એક ભાગ હશે. 10 પ્રભુ ન્યાયી છે. કારણ કે દેવના લોકો માટે તમે જે કંઈ કાર્યો કર્યા છે, તે દેવ ભૂલી શકે નહિ. તમે સંતો પર દર્શાવેલ પ્રેમ અને હાલ જેમની સેવા કરો છો તે બધું દેવ ભૂલી શકે નહિ. 11 અમે ઈચ્છા રાખીએ છીએ કે તમે દરેક જણ છેવટ સુધી આ પ્રમાણે ઉત્સાહ બતાવવાનું ચાલુ રાખશો જ્યાં સુધી આશા પૂર્ણ થાય. તમે જે કઈ ઇચ્છો છો તે મેળવી શકો. 12 અમે એ નથી ઈચ્છતા કે તમે આળસુ બનો. અમે ઈચ્છીએ છીએ કે જે લોકો દેવે આપેલ વચન મુજબનાં વાનાં મેળવે છે તેમના જેવા તમે બનો. તે લોકો દેવનાં વચનો પ્રાપ્ત કરે છે કારણ કે તેઓમાં વિશ્વાસ અને ધીરજ છે.
13 દેવે ઈબ્રાહિમને વચન આપ્યું, ત્યારે પોતાના (દેવના) કરતાં કોઈ મહાન નહિ હોવાને લીધે તેણે પોતાનાં જ નામે શપથ લીધા. 14 દેવે કહ્યું. “હું તને નક્કી ઘણાજ આશીર્વાદો અને ઘણા જ સંતાનો આપીશ.”(S) 15 એ વચન પરિપૂર્ણ થાય, ત્યાં સુધી ઈબ્રાબિમે ઘણી જ ધીરજ રાખી. અને દેવે જે વચન આપ્યું હતું, તે ઈબ્રાહિમે મેળવ્યું.
16 માણસ પોતાના કરતાં મહાન વ્યક્તિના નામે શપથ લે છે. અને શપથથી સઘળી તકરારોનો અંત આવે છે. 17 દેવને એ ખાતરી કરાવવી હતી કે તેણે આપેલ વચન સત્ય હતું. તેને એ સાબિત કરવું હતું કે તેણે જેને જે વચન આપ્યાં છે તે તેઓ પ્રાપ્ત કરશે કારણ તેનો નિર્ણય બદલી શકાય તેમ નથી. તેથી વચનના પાલન સંબધી સંપૂર્ણ ખાતરી માટે દેવ પોતે પણ શપથથી બંધાયો છે. 18 પેલી બે વસ્તુ કદી બદલાતી નથી. એક તો દેવ કઈક કહે છે ત્યારે તે કદી અસત્ય હોતું નથી અને જ્યારે તે સમ લે છે ત્યારે તે જૂઠા હોઈ શકે નહિ.
આ બે બાબતો આપણને દિલાસો આપે છે કે આશાને વળગી રહેવા દેવ પાસે આશ્રય માટે આવનારને સલામતી આશ્રય અને સામથ્યૅ મળે છે. 19 આ આશા આપણા આત્માઓના એક મજબૂત અને વિશ્વાસ યોગ્ય લંગર સમાન છે. વળી તે આપણને સૌથી પવિત્ર સ્થાનના પડદા પાછળ રહેલાં સ્વર્ગીય મંદિરમાં દેવ સાથે બાંધે છે. 20 ઈસુ ખ્રિસ્તે સ્વર્ગીય સ્થાનમાં આપણી અગાઉ પ્રવેશ કર્યો છે. અને આપણા માટે રસ્તો ખુલ્લો કર્યો છે અને મલ્ખીસદેકના ધારા પ્રમાણે તે હંમેશને માટે આપણો પ્રમુખયાજક થયો છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International