Chronological
દેવ પોતાના માણસોને ભૂલ્યો નથી
11 તેથી હું પૂછું છું, “શું દેવે પોતાના માણસોને તરછોડી દીઘા?” ના! હું પોતે ઈસ્રાએલનો (યહૂદિ) છું. હું ઈબ્રાહિમના વંશનો અને બિન્યામીનના કુળનો છું. 2 ઈસ્રાએલના લોકો જનમ્યા તે પહેલાં દેવે તેમને પોતાના માણસો તરીકે પસંદ કર્યા. અને દેવે એ લોકોને તરછોડ્યા નથી. એલિયા પ્રબોધક વિષે ધર્મશાસ્ત્ર જે કહે છે તે તમે સારી રીતે જાણો છો. ઈસ્રાએલના લોકોની વિરુંદ્ધમાં દેવને પ્રાર્થના કરતા એલિયા વિષે શાસ્ત્રમાં ઉલ્લેખ છે. 3 એલિયા બોલ્યો, “હે પ્રભુ, આ લોકોએ તારા પ્રબોધકોને મારી નાખ્યા છે અને તારી વેદીઓનો વિનાશ કર્યો છે. પ્રબોધકોમાં એક માત્ર હું જ હજી જીવતો છું. અને હવે એ લોકો મને પણ મારી નાખવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.”(A) 4 પરંતુ દેવે એલિયાને શું જવાબ આપ્યો, તે જાણો છો? દેવે તેને કહ્યું, “જે 7,000 માણસો હજી પણ મારી ભક્તિ કરે છે તેઓને મેં મારા માટે રાખી મૂક્યા છે. આ 7,000 માણસો ‘બઆલ’ની આગળ ઘૂંટણે પડયા નથી.”
5 એવું જ અત્યારે પણ છે. થોડાક માણસો એવા છે કે જેઓ દેવ કૃપાથી પસંદ કરાયા છે. 6 અને જો દેવ-કૃપાને કારણે એમની પસંદગી થઈ હોય, અને તેઓ દેવના માણસો થયા હોય, તો તે તેઓનાં કર્મોને આધારે નહિ. પરંતુ તેમનાં કર્મોને આધારે તેઓ દેવના ખાસ માણસો થઈ શક્યા હોત તો, દેવ લોકોને કૃપાની જે બક્ષિસ આપે છે તે ખરેખર બક્ષિસ ન ગણાત.
7 તો એ આમ થયું છે: ઈસ્રાએલના લોકોએ દેવ-પ્રાપ્તિ માટે યોગ્યતા કેળવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તેઓ સફળ ન થયા. પરંતુ દેવે જે માણસો પસંદ કર્યા, તેઓ સુપાત્ર થયા. બીજા લોકો કઠણ થયા અને તેમણે દેવનો આદેશ સાંભળવાનો ઈન્કાર કરી દીઘો. 8 શાસ્ત્રોમાં લખ્યું છે તેમ:
“દેવે તેઓની પર ભર ઊંઘનો આત્મા રેડયો છે.” (B)
“દેવે તેઓની આંખો બંધ કરી દીધી જેથી તેઓ સત્ય જોઈ શકે નહિ,
અને દેવે તેઓના કાન પણ બંધ કરી દીધા જેથી કરીને તેઓ સત્ય સાંભળી શકે નહિ.
અત્યાર સુધી આ સ્થિતિ ચાલુ જ રહી છે.” (C)
9 અને દાઉદ કહે છે:
“મિજબાની ઉડાવતા લોકો ભલે ફસાઈ જાય, અને પકડાઈ જાય.
ભલે તેઓને પડવા દો અને શિક્ષા થવા દો.
10 તેઓ જોઈ શકે નહિ એવી તેઓની આંખો અંધકારમય થાઓ,
અને તેઓની પીઠ તું સદા વાંકી વાળ, અને પછી હંમેશને માટે ભલે તેઓ દુ:ખ ભોગવે.” (D)
11 તેથી હું પૂછી રહ્યો છું: યહૂદિઓની પડતીના કારણે શું તેઓ તેમનો વિનાશ લાવ્યા? ના! એમની ભૂલો જ બિનયહૂદિ લોકો માટે મુક્તિ લાવી. અને યહૂદિઓમાં ઈર્ષા ઉત્પન્ન થાય માટે આમ બન્યું. 12 જો કે યહૂદિઓની ભૂલ આખી દુનિયા માટે સમૃદ્ધ આશીર્વાદો લઈ આવી. અને યહૂદિઓએ જે ખોયું તે બાબતે બિનયહૂદિ લોકો માટે અઢળક આશિષ લાવી. દેવની ઈચ્છા પ્રમાણે યહૂદિઓ જ્યારે લોકો પ્રત્યેક દયાળુ બનશે ત્યારે આખી દુનિયા ખરેખર વધારે સમૃદ્ધ આશીર્વાદ પ્રાપ્ત કરશે.
13 હવે, જે લોકો યહૂદિ નથી તેમને હું સંબોધું છું. બિનયહૂદિઓનો પણ હું પ્રેરિત છું. તેથી જ્યાં સુધી મારે એ કાર્ય કરવાનું છે, ત્યાં સુધી હું મારાથી શક્ય હોય એવી સર્વોત્તમ રીતે કરીશ. 14 મને આશા છે કે હું મારા પોતાના લોકોને ઈર્ષાળુ બનાવી શકીશ. એ રીતે કદાચ એમાંના કેટલાએકને હું બચાવી શકીશ. 15 દેવ યહૂદિઓથી વિમુખ થઈ ગયો. જ્યારે એવું થયું ત્યારે દેવે દુનિયાના અન્ય લોકો સાથે મૈત્રી કરી. તેથી જ્યારે દેવ યહૂદિઓને સ્વીકાર કરશે. ત્યારે લોકોને ખરેખર મૃત્યુ પછીનું તે સાચું જીવન પ્રાપ્ત થશે. 16 જો રોટલીનો પ્રથમ ટૂકડો દેવને અર્પણ કરવામાં આવે છે, તો તે આખી રોટલી પવિત્ર બની જાય છે. જો વૃક્ષનાં મૂળિયાં પવિત્ર હોય તો વૃક્ષની ડાળીઓ પણ પવિત્ર હોય છે.
17 એ વાત એવી છે જાણે કે ઉછેરવામાં આવેલ જૈતૂન વૃક્ષની કેટલીક ડાળીઓ કાપી નાખવામાં આવી છે અને જંગલી જૈતૂન વૃક્ષની એક ડાળીની તેમાં કલમ કરવામાં આવી છે. તમે બિનયહૂદિઓ તે જંગલી ડાળી જેવા છો, અને તમે હવે પ્રથમ વૃક્ષની શક્તિ અને જીવનના સહભાગી થયા છે. 18 અસલ વૃક્ષની ડાળીઓ જે કાપી નાખવામાં આવી હતી, તે વિષે તમે ગર્વ કરશો નહિ. એનું ગર્વ કરવા માટે તમારી પાસે કોઈ યોગ્ય કારણ પણ નથી. શા માટે? કેમ કે તમે એ અસલ વૃક્ષનાં મૂળિયાંને જીવન આપતા નથી. તે મૂળિયાં તમને જીવન આપે છે, તમારા જીવનને આધાર આપે છે. 19 તમે કહેશો, “ડાળીઓ એટલા માટે તોડી નાખવામાં આવી હતી કે જેથી કરીને હું તે ઝાડમાં જોડાઈ શકું.” 20 એ સાચું છે. પરંતુ એ ડાળીઓ તોડી નાખવામાં આવી હતી કેમ કે અસલ વૃક્ષમાં તેઓને વિશ્વાસ ન હતો. અને તમે એ અસલ વૃક્ષના ભાગ બની જીવી રહ્યાં છો, કારણ કે તમે વિશ્વાસ ધરાવો છો. અભિમાન ન કરશો, પરંતુ દેવનો ડર રાખો. 21 જેમ દેવે એ વૃક્ષની કુદરતી ડાળીઓને રહેવા ન દીઘી, એ જ રીતે જો તમે વિશ્વાસ નહિ રાખો તો, દેવ તમને પણ રહેવા નહિ દે.
22 આમ, તમે જોઈ શકો છો કે દેવ દયાળુ છે, પરંતુ તે ઘણી સખતાઈ પણ રાખી શકે છે. જે લોકો દેવને અનુસરવાનું બંધ કરે છે તેઓને દેવ શિક્ષા કરે છે. પરંતુ જો તમે દેવની દયા હેઠળ જીવન જીવતા હશો તો તે હંમેશા તમારા પ્રત્યે કૃપાળુ રહેશે. જો તમે દેવની દયાને અનુસરવાનું ચાલુ નહિ રાખો તો વૃક્ષમાંથી ડાળીની જેમ કપાઈ જશો. 23 અને જો યહૂદિઓ ફરીથી દેવમાં માનતા થશે તો, દેવ એમને ફરી પાછા અપનાવી લેશે. તેઓ જ્યાં હતા ત્યાં મૂળ સ્થાને તેમને પુન:સ્થાપિત કરવા દેવ સમર્થ છે. 24 કોઈ જંગલી ડાળી એક સારા વૃક્ષનું અંગ બને એ કાંઈ કુદરતી ઘટના નથી. તમે બિનયહૂદિઓ તો કોઈ જંગલી જૈતૂન વૃક્ષની તૂટેલી ડાળી જેવા છો. અને એક સારા જૈતૂન વૃક્ષ સાથે તમને જોડવામાં આવ્યા હતા. પરંતુ પેલા યહૂદિઓ તો સારા વૃક્ષની ફૂટેલી ડાળી જેવા છે. તેથી, તેમના પોતાના અસલ વૃક્ષ સાથે તેમને ફરીથી જોડી શકાય છે.
25 ભાઈઓ તથા બહેનો, આ રહસ્યમય સત્ય હું તમને સમજાવવા માગું છું. હું ઈચ્છું છું કે આ સત્ય તમને સમજવા માટે સહાયરૂપ થશે કે તમે સર્વજ્ઞ નથી. તે સત્ય આ છે: ઈસ્રાએલના એક ભાગને હઠીલો બનાવવામાં આવ્યો છે. પરંતુ પુરતા પ્રમાણમાં બિનયહૂદિઓ જ્યારે દેવના શરણે આવશે ત્યારે એ સ્થિતિ પણ બદલાશે. 26 અને એ રીતે આખા ઈસ્રાએલને બચાવશે. શાસ્ત્રોમાં લખેલું છે:
“સિયોનમાંથી ઉદ્ધાર કરનાર આવશે;
તે યાકૂબના કુટુંબના અધર્મને તથા સર્વ અનિષ્ટોને દૂર કરશે.
27 અને જ્યારે હું તેઓનાં પાપ દૂર કરીશ,
ત્યારે તેઓની સાથેનો મારો કરાર પૂર્ણ થશે.” (E)
28 યહૂદિઓ સુવાર્તા સ્વીકારવાનો ઈન્કાર કરે છે, તેથી તેઓ દેવના શત્રું છે. તમે બિનયહૂદિઓને મદદ કરવા આમ કર્યુ છે. પરંતુ એ ભૂલશે નહિ કે યહૂદિઓ હજૂ પણ દેવની ખાસ પસંદગી પામેલા લોકો છે. તેથી દેવ તેઓને ખૂબજ ચાહે છે. દેવે તેમના બાપદાદાઓને વચનો આપ્યાં હતાં, તેથી દેવ તેમને ચાહે છે. 29 દેવ જ્યારે જે લોકોને પાસે બોલાવીને એમને કઈક આપે છે, તે પછી દેવ લોકોને આપેલું પોતાનું વચન કદી પણ પાછું ખેંચી લેતો નથી. 30 એક સમય એવો હતો કે જ્યારે તમે દેવના આદેશનો અનાદર કરતા હતા. પરંતુ હમણા તમે દયાપાત્ર બન્યા, કેમ કે પેલા યહૂદિ લોકોએ દેવ-આજ્ઞાનો અનાદર કર્યો છે. 31 અને હવે યહૂદિઓ આજ્ઞાપાલનનો અનાદર કરે છે, કેમ કે દેવે તમને ક્ષમા આપી છે. પરંતુ આમ એટલા માટે બન્યું, જેથી તેઓની ઉપર દેવ દયા કરે. 32 દેવ-આજ્ઞાનો અનાદર બધા લોકોએ કર્યો જ છે. આજ્ઞાનું ઉલ્લંઘન કરનારા બધા લોકોને દેવે એક સાથે એક જગ્યાએ એકત્રિત કરી રાખ્યા છે, જેથી કરીને તે તેઓ પર દયા વરસાવી શકે.
દેવની સ્તુતિ
33 હા, દેવની સમૃદ્ધિ અત્યંત મહાન છે! દેવની કૃપા અને ક્ષમા અપરંપાર છે! દેવનું જ્ઞાન અને વિવેક-બૂદ્ધિ અનંત છે! દેવના નિર્ણયોને કોઈ પણ વ્યક્તિ સમજી શકશે નહિ. દેવના માર્ગો કોઈ પણ વ્યક્તિ સમજી શકશે નહિ. 34 શાસ્ત્ર કહે છે તેમ,
“પ્રભુનું મન કોણે જાણ્યું છે?
તેનો મંત્રી કોણ થયો છે?” (F)
35 “દેવને કોઈએ કઈ પણ ક્યારે આપ્યું છે?
દેવ કોઈ પણ વ્યક્તિનો ઋણી નથી. જેથી કોઈને પાછું ભરી આપવામાં આવે?” (G)
36 હા, બધી વસ્તુઓના સર્જક દેવ છે. અને દરેક વસ્તુ દેવ દ્વારા અને દેવ માટે જ ટકી રહે છે. દેવનો સર્વકાળ મહિમા થાઓ! આમીન.
તમારું જીવન દેવને સમર્પિત કરો
12 હે ભાઈઓ તથા બહેનો, હું તમને વિનંતી કરું છું કે હવે તમે કઈક કરો. દેવે આપણા પ્રત્યે પુષ્કળ દયા દર્શાવી છે. તેથી દેવની દયાની ખાતર તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે એવું અર્પણ કરો. તમારું અર્પણ માત્ર પ્રભુ અર્થે જ થાય, અને તેથી દેવ પ્રસન્ન થશે. તમારું અર્પણ દેવની સેવાનો આધ્યાત્મિક માર્ગ છે. 2 આ દુનિયાના લોકો જેવા થવા માટે તમે તમારા જીવનનું પરિવર્તન કરશો નહિ. પરંતુ નવી વિચાર-શૈલી અપનાવીને તમે તમારા જીવનમાં પૂર્ણ રીતે આંતરિક પરિવર્તન પામો, તો જ દેવ તમારા માટે શું ઈચ્છે છે તે તમે નક્કી કરી શકશો અને તે સ્વીકારી શકશો. તમે જાણી શકશો કે કઈ વસ્તુઓ સારી છે અને દેવને પ્રિય છે, અને કઈ વસ્તુઓ સંપૂર્ણ છે.
3 દેવે મને એક વિશિષ્ટ કૃપાદાન આપ્યું છે. તેથી જ તો તમારામાંની દરેક વ્યક્તિને મારે કઈક કહેવાનું છે. તમે એવું ન માની લો કે તમે ખરેખર જેવા છો તેના કરતાં તમે વધારે સારા છો. તમે ખરેખર જેવા છો તેવા તમારી જાતને ઓળખો. દેવે તમને કઈ જાતનો વિશ્વાસ આપ્યો છે, એના આધારે નક્કી કરો કે તમે કોણ છો! 4 આપણામાંના દરેક માનવને એક શરીર છે, અને એ શરીરને ઘણાં અવયવો છે. આ બધાં અવયવો એક જ પ્રકારનું કાર્ય કરતાં નથી. 5 આપણી સાથે એમ જ છે, જો કે આપણે લોકો ઘણા છીએ. પરંતુ આપણે ઘણા હોવા છત્તાં ખ્રિસ્તમાં એક શરીર છીએ. અને અરસપરસ એકબીજાનાં અવયવો છીએ.
6 આપણ સૌને જુદાં જુદાં કૃપાદાનો મળેલ છે. આપણા પર થએલ દેવની કૃપાને કારણે પ્રત્યેક કૃપાદાન આપણને પ્રાપ્ત થયેલ છે. જો કોઈ વ્યક્તિને પ્રબોધ કરવાનું કૃપાદાન મળ્યું હોય તો એ વ્યક્તિએ પૂરા વિશ્વાસથી પ્રબોધ કરવો જોઈએ. 7 જો કોઈ વ્યક્તિને સેવા કરવાનું કૃપાદાન હોય, તો તેણે માનવોની સેવા કરવી જોઈએ. કોઈ વ્યક્તિને શિક્ષણ આપવાનું કૃપાદાન હોય. તો તેણે લોકોને શિક્ષણ આપવામાં મંડયા રહેવું. 8 જો કોઈ વ્યક્તિને એવું કૃપાદાન મળ્યું હોય કે તે બીજા લોકોને આશ્વાસન આપી શકે, તો તેણે દુ:ખી લોકોને આશ્વાસન આપવું જોઈએ. અન્ય લોકોને મદદરૂપ થવા કોઈ વ્યક્તિને દાન આપવાની ક્ષમતા પ્રાપ્ત થઈ હોય, તો તેણે ઉદારતાથી દાન કરવું જોઈએ. કોઈ વ્યક્તિમાં અધિકારી થવાની આવડત હોય, તો તેણે સારો અધિકાર ચલાવવા સખત શ્રમ કરવો જોઈએ. જો કોઈ વ્યક્તિમાં અન્ય લોકો પ્રત્યે દયા દર્શાવવાનું કૃપાદાન મળ્યું હોય તો તેણે ઉમંગથી એ કાર્ય ઉપાડી લેવું જોઈએ.
9 તમારો પ્રેમ સાચો હોવો જોઈએ. ભુંડું છે તેને ધિક્કારો. માત્ર સારાં જ કર્મો કરો. 10 જે રીતે ભાઈઓ-બહેનો વચ્ચે પ્રેમ હોય છે એ રીતે તમે એક બીજાને પ્રેમ કરો, જેથી તમને એ આત્મીયતાનો અનુભવ થાય. તમે માન-સન્માનની જે અપેક્ષા રાખો છો, તેના કરતાં વધારે માન-સન્માન તમારા ભાઈ-બહેનોને આપવું જોઈએ. 11 દેવનું કાર્ય કરવાની જરૂર હોય ત્યારે તમે આળસુ ન થાઓ. અને જ્યારે દેવની સેવા કરો ત્યારે પૂર્ણ આધ્યાત્મિક ઉત્સાહ સાથે કરો. 12 ઉજજવળ ભવિષ્યની આશા છે તેથી આનંદમાં રહો. જ્યારે મુશ્કેલીઓ આવે ત્યારે ધીરજ રાખો. અને હંમેશા દેવની પ્રાર્થના કરો. 13 દેવના લોકો જેમને મદદની જરૂર છે, તેમના સંતોષ માટે તેમના સહભાગી બનો. એવા લોકોની મહેમાનગતી કરો.
14 જે લોકો તમારું ખરાબ કરતા હોય, તેમના વિષે ફક્ત સારું જ બોલો. એમને શાપ ન આપો, પરંતુ એમને આશીર્વાદ જ આપો. 15 બીજાના આનંદમાં આનંદી થાઓ, અને બીજાના દુ:ખમાં તમે એમના સહભાગી બનો. 16 એક બીજા સાથે હળીમળીને રહો અને શાંતિથી જીવો, અભિમાની બનશો નહિ. બીજા લોકોને મન જે માણસો અગત્યના ન હોય, તેવાની મિત્રતા કરવા તૈયાર રહો. મિથ્યાભિમાની ન બનો.
17 જો કોઈ તમને નુક્સાન કરે તો તેને નુક્સાન પહોંચાડીને વેર વાળવાની વૃત્તિ ન રાખો. બધા લોકો જેને સારા કાર્યો તરીકે સ્વીકારે છે, એવા કાર્યો જ તમે કરો. 18 સૌ લોકો સાથે શાંતિથી જીવવા માટે તમારા તરફથી બને તેટલો સારામાં સારો પ્રયત્ન કરો. 19 હે મારા મિત્રો, જ્યારે લોકો તમને નુકસાન કરે ત્યારે એમને શિક્ષા કરવાનો પ્રયત્ન ન કરો. દેવના પોતાના કોપથી એમને શિક્ષા કરે ત્યાં સુધી રાહ જુઓ. શાસ્ત્રમાં લખેલું છે: “પાપીઓને શિક્ષા કરનાર હું જ એક માત્ર છું; હું તેમનો બદલો લઈશ,”(H) એમ પ્રભુ કહે છે. 20 પરંતુ તમારે આમ કરવું જોઈએ:
“જો તારો દુશ્મન ભૂખ્યો હોય
તો એને ખવડાવ.
જો તારો દુશ્મન તરસ્યો હોય
તો તેને પાણી પા;
આ રીતે તું એ માણસને શરમિંદો બનાવી શકીશ.” (I)
21 ભૂંડાથી તું હારી ન જા, પણ સારાં કર્મો કરીને તારે ભૂંડાનો પરાજય કરવો.
રાજ્ય પ્રત્યેની ફરજો
13 દરેક માણસે મુખ્ય અધિકારીઓના હુકમનું પાલન કરવું જ જોઈએ. જે અધિકારી છે તેઓને દેવ દ્વારા એ સત્તા આપવામાં આવી છે. અને અત્યારે જે લોકો શાસન કરી રહ્યા છે, તેમને પણ દેવ દ્વારા એ સત્તા આપવામાં આવી છે. 2 તેથી જે વ્યક્તિ સરકારની વિરુંદ્ધમાં હોય તે ખરેખર તો દેવના આદેશની વિરુંદ્ધમાં છે. સરકારની વિરુંદ્ધ જતા લોકો પોતે શિક્ષા વહોરી લે છે. 3 જે લોકો સારાં કાર્યો કરતા હોય તેમણે સરકારી અધિકારીઓથી ડરવાની જરૂર નથી. પરંતુ જે લોકો ખોટાં કામો કરતા હોય તેમને તો અધિકારીઓનો ડર લાગવો જ જોઈએ. શું તમારે શાસકોના ડરમાંથી મુક્ત થવું છે? તો તમારે સારાં કામો કરવાં જોઈએ. જો તમે સારાં કાર્યો કરશો તો સરકારી અધિકારીઓ તમારાં વખાણ કરશે.
4 શાસક તો દેવનો સેવક છે. જે તમને મદદ કરે છે. પરંતુ જો તમે કઈક ખોટું કરશો તો તમારે ડરવું પડશે. શાસક પાસે શિક્ષા કરવાની સત્તા હોય છે, અને તે એ સત્તાનો ઉપયોગ કરશે. ખોટાં કામો કરનાર લોકોને સજા કરતો અધિકારી દેવનો સેવક છે. 5 તેથી તમારે સરકારના નિયમોનું પાલન કરવું જ જોઈએ. તમારે સરકારી કાયદાઓનું પાલન કરવું જોઈએ કારણ કે જો તમે પાલન ન કરો તો તમને શિક્ષા થાય. તમારે એટલા માટે પણ કાયદાનું પાલન કરવું જોઈએ કેમ કે, એમ કરવું જ યોગ્ય છે એ તમે જાણો છો.
6 અને તેથી જ તમે કરવેરા પણ ચૂકવો છો. જે સત્તાધારી છે તે દેવ માટે કાર્ય કરે છે અને શાસન કાર્યમાં પોતાનો બધો સમય આપે છે. 7 જે લોકોનું ઋણ તમારા માથે હોય તે તેમને ચૂકવો. કોઈ પણ જાતના કરવેરા કે કોઈ પણ જાતનું દેવું તમારા પર હોય તો તે ભરપાઈ કરી દો. જે લોકોને માન આપવા જેવું હોય તેમને માન આપો. અને જેમનું સન્માન કરવા જેવું હોય તેમનું સન્માન કરો.
અન્ય લોકોને પ્રેમ કરવો એ જ માત્ર નિયમ છે
8 કોઈનું કોઈ પણ પ્રકારનું દેવું રાખશો નહિ. પરંતુ હંમેશા એક બીજાના પ્રેમના ઋણી રહો. જે વ્યક્તિ બીજા લોકોને પ્રેમ કરે છે તેણે ખરેખર નિયમની બધી જ જરૂરિયાતો પરિપૂર્ણ કરી છે એમ ગણાશે. 9 હું આમ શા માટે કહું છું? કારણ કે નિમયશાસ્ત્ર કહે છે, “તારે વ્યભિચારનું પાપ ન કરવું જોઈએ, ખૂન ન કરવું, કશાયની ચોરી ન કરાય, બીજા લોકોની વસ્તુઓ મેળવી લેવાની ઈચ્છા ન કરાય.”(J) આ અને બીજી બધી આજ્ઞાઓ કે આદેશો ખરેખર તો એક જ નિયમમાં સમાઈ જાય છે: “જે રીતે તમે તમારી જાતને પ્રેમ કરો છો, એ જ રીતે પોતાના પડોશી પર પણ પ્રેમ કરો.”(K) 10 પ્રેમ બીજા લોકોને ઈજા કે દુ:ખ પહોંચાડી શકતો નથી. તેથી, નિયમના બધા જ આદેશોનું પાલન કરવું કે તેને પ્રેમ કરવો એ બધું એક જ છે.
11 આ બધી વાત હું તમને એટલા માટે કહું છું કે, તમે જાણો છો તેમ, આપણે સૌ મહત્વપૂર્ણ સમયમાં જીવી રહ્યાં છીએ. હા, તમારી નિંદ્રામાંથી જાગૃત થવાનો હવે સમય આવ્યો છે. પછી જ્યારે આપણે વિશ્વાસીઓ બન્યા તેના કરતાં હવે તારણનો સમય આપણી વધુ નજીક છે. 12 “રાત”[a] લગભગ સમાપ્ત થઈ ચૂકી છે. “દિવસ”[b] ઊગી રહ્યો છે. તેથી આપણે અંધકારનાં કામો કરવાનું હવે બંધ કરવું જોઈએ. સત્કર્મોના કાર્યો માટે આપણે પ્રકાશના શાસ્ત્રોથી સજજ થવું જોઈએ. 13 પ્રકાશમાન દિવસમાં રહેતા લોકોની જેમ આપણે વર્તવું જોઈએ. મોંજ મસ્તીથી છલકાતી ખર્ચાળ મિજબાનીઓ આપણે ઉડાવવી ન જોઈએ. મદ્યપાન કરીને આપણે નશો ન કરવો જોઈએ. આપણે આપણાં અવયવો વડે જાતીય વાસનાનું પાપ કે બીજાં કોઈ પણ પાપ ન કરવાં જોઈએ. આપણે (બિનજરુંરી) દલીલો કરીને મુશ્કેલીઓ ઊભી કરવી ન જોઈએ, અથવા ઈર્ષાળુ ન બનવું જોઈએ. 14 પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લો. તમારામાં રહેલો પાપનો અંશ તમને જે ખરાબ ઈચ્છાઓ કરાવે છે, તેને સંતોષવાના વિચારો ન કરો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International