Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
પ્રેરિતોનાં કૃત્યો 20:1-3

પાઉલનું મકદોનિયા અને ગ્રીસમાં ગમન

20 જ્યારે મુશ્કેલીનો અંત આવ્યો ત્યારે પાઉલે શિષ્યોને તેની પાસે બોલાવ્યા, તેમને પ્રોત્સાહિત કર્યા. પછી તેઓને તેણે છેલ્લી સલામ પાઠવી અને મકદોનિયાનો પ્રવાસ શરૂ કર્યો. મકદોનિયાના માર્ગમાં જુદા જુદા સ્થળોએ તેણે ઈસુના શિષ્યોને દ્રઠ કરવા પાઉલ જ્યાં સુધી ગ્રીસ પહોંચ્યો નહિ ત્યાં સુધી સતત લોકોને પ્રોત્સાહિત કર્યા. પછી તે ગ્રીસ દેશમાં આવ્યો. ત્યાં તે ત્રણ માસ રહ્યો.

તે સિરિયા હોડી હંકારવાની તૈયારીમાં હતો. પરંતુ કેટલાક યહૂદિઓ તેની વિરૂદ્ધ યોજનાઓ કરતા હતા. તેથી પાઉલે મકદોનિયાના દ્ધારા સિરિયા પાછા જવાનો નિર્ણય કર્યો.

રોમનો 1-3

બધા લોકોને દેવની સુવાર્તા સંભળાવવા હું પસંદગી પામેલ છું.

દેવે મને એક પ્રેરિત થવા બોલાવ્યો છે. એવા ખ્રિસ્ત ઈસુના દાસ પાઉલ તરફથી કુશળતા હો.

તેના લોકોને આ સુવાર્તા આપવાનું વચન દેવે તેના પ્રબોધકો મારફતે આપ્યું હતું. પવિત્ર શાસ્ત્રમાં આ વચન લખેલું છે. 3-4 આ સુવાર્તા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિષે છે કે જે દેવનો દીકરો છે, જો કે એક વ્યક્તિ તરીકે તેનો જન્મ દાઉદના કુટુંબમાં થયો હતો. પવિત્ર આત્માના પ્રતાપે મૂએલામાંથી પાછા ઉઠવાના પરાક્રમથી તેને દેવનો દીકરો જાહેર કરવામાં આવ્યો હતો.

દેવે ખ્રિસ્ત દ્વારા, તેના પ્રેરિત બનવાનું આ ખાસ મહત્વનું કામ મને સોંપ્યું છે. બધા દેશોના લોકો દેવમાં વિશ્વાસ રાખીને તેની આજ્ઞા પાળે એવું માર્ગદર્શન આપવાનું કામ દેવે મને આપ્યું છે. ખ્રિસ્ત માટે આ કાર્ય હું કરી રહ્યો છું. હે રોમવાસીઓ, તમે પણ ઈસુ ખ્રિસ્તના થવા માટે તેડાયેલાં છો.

તમે તે લોકો છો જેઓને દેવ ચાહે છે અને પોતાના પવિત્ર લોકો થવા માટે તમને બોલાવ્યા છે. એવા તમ સર્વ લોકોને હું આ પત્ર લખું છું.

આપણા પિતા દેવથી અને પ્રભુ ઈસુ ખ્રિસ્તથી તમને કૃપા અને શાંતિ થાઓ.

આભારસ્તુતિની પ્રાર્થના

ઈસુ ખ્રિસ્ત દ્વારા હું દેવનો તમારા સર્વને માટે આભાર માનું છું. તમે રોમવાસીઓ પણ દેવમાં અસીમ વિશ્વાસ ધરાવો છો એવું કહેતા ઘણા લોકોને મેં સાંભળ્યા છે. તેથી દેવનો આભાર માનું છું. 9-10 જ્યારે જ્યારે હું પ્રાર્થના કરું છું ત્યારે ત્યારે તમને યાદ કરું છું. દેવ જાણે છે કે આ વાત સાચી છે. દેવના દીકરા વિષેની સુવાર્તા લોકોમાં ફેલાવીને મારા આત્મા સાથે દેવની સેવા કરું છું. તમો સર્વ રોમવાસીઓ વચ્ચે પ્રભુ મને આવવા દે એવી મારી પ્રાર્થના છે. દેવની ઈચ્છા હશે તો એમ થશે. 11 તમ સૌને મળવાનું મને ઘણું મન થાય છે. હું તમને કોઈ આત્મિક દાન આપીને વધારે સાર્મથ્યવાન બનાવવા ઈચ્છું છું. 12 હું એમ કહેવા માગું છું કે આપણને જેમાં વિશ્વાસ છે તેના વડે આપણે એકબીજાને મદદ કરી શકીએ છીએ. તમારો વિશ્વાસ મને મદદ કરશે, અને મારો વિશ્વાસ તમને.

13 ભાઈઓ અને બહેનો, તમારા આધ્યાત્મિક વિકાસમાં મદદરૂપ થવા માટે તમારી પાસે આવવા અનેકવાર મેં તૈયારીઓ કરી હતી. પરંતુ મને આવવા દીધો નથી, એની નોંધ લેવા વિનંતી. જેમ બીજા બિન-યહૂદિ લોકોને મેં જે રીતે મદદ કરી છે. તે રીતે તમને પણ મદદ કરવાની મારી ઈચ્છા છે.

14 ગ્રીક લોકો તથા બિન-ગ્રીક લોકો, શાણા તેમ જ મૂર્ખ લોકો કે જે સૌની સેવા મારે કરવી જોઈએ. 15 તેથી જ રોમના લોકોને દેવની આ સુવાર્તા પહોંચાડવા હું અત્યંત આતુર છું.

16 આ સુવાર્તા માટે હું ગર્વ અનુભવું છું. આ સુવાર્તા એવા સાર્મથ્યની છે, જેનો ઉપયોગ દેવ એવા લોકોને બચાવવા માટે કરે છે જેઓ વિશ્વાસ રાખે છે. સૌ પ્રથમ યહૂદિઓને પછી બિન-યહૂદિઓને. 17 દેવ લોકોને પોતાની સાથે કેવી રીતે ન્યાયી બનાવે છે તે દર્શાવવાનો આ સુવાર્તાનો હેતુ છે. આની શરૂઆત વિશ્વાસથી થાય છે અને તેનો અંત પણ વિશ્વાસથી જ થાય છે. શાસ્ત્રમાં કહ્યું છે તેમ, “દેવમાં વિશ્વાસ રાખીને જે વ્યક્તિ ન્યાયી થશે તે અનંતકાળ સુધી જીવશે.”(A)

સઘળા પાપી છે

18 સત્ય જાણ્યાં છતાં પણ લોકો અનિષ્ટ જીવન જીવે છે. તેથી આવા લોકો કે જે સત્ય ધર્મનો ત્યાગ કરીને અનિષ્ટ અને ખોટા કર્મો કરતા હોય તેમના પર સ્વર્ગમાંથી દેવનો કોપ ઉતરે છે. 19 દેવ પોતાનો કોપ વ્યક્ત કરે છે, કારણ કે તેના વિષે જે કંઈ જાણી શકાય તે બધુંજ તેઓ જાણે છે. કેમ કે દેવે જ તે તેમની આગળ પ્રગટ કર્યુ છે.

20 દેવની બાબતમાં કેટલીક વસ્તુઓ એવી છે જે જોઈ ન શકાય તેવી છે. જેમ કે દેવનું સનાતન પરાક્રમ અને એવા અન્ય બધા જ ગુણો કે જે તેને દેવ બનાવે છે. પરંતુ આ જગતનો પ્રારંભ થયો ત્યારથી એ બધી બાબતો ઘણી સરળતાથી લોકો સમજી શકે એમ છે. દેવે જે વસ્તુઓનું સર્જન કર્યું છે, એનું દર્શન કરીને દેવ વિષેની આ બાબતો લોકો સરળતાથી સમજી શકે છે. તેથી લોકો જે ખરાબ કાર્યો કરી રહ્યાં છે તેના પાપામાંથી છટકવા કોઈ પણ બહાનું ચાલશે નહિ.

21 આમ, દેવ વિષે સઘળું જાણ્યા પછી પણ તેઓએ દેવને મહિમા આપ્યો નહિ અને તેનો આભાર માન્યો નહિ. લોકોના વિચારોનું અધ:પતન થયું. તેમના મૂર્ખ મનમાં પાપરુંપી અંધકાર છવાઈ ગયો. 22 લોકોએ જ્ઞાની હોવાનો દાવો કર્યો. પરંતુ તેઓ તેમની જાતે મૂર્ખ બન્યા. 23 અવિનાશી દેવના મહિમાને બદલે, પૃથ્વી પરના માનવો જેવી મૂર્તિઓ બનાવીને લોકો તેની ભક્તિ કરવા લાગ્યા. પશુ, પક્ષી અને નાગો જેવી વસ્તુઓ દ્વારા લોકો દેવના મહિમાનો વેપાર કરવા લાગ્યા.

24 માત્ર અનિષ્ટ કાર્યો કરવાની ઈચ્છાને કારણે લોકોનું જીવન આમ પાપમય બની ગયું. તેથી દેવે તેઓને ત્યાગ કર્યો અને તેઓને મન ફાવે તેમ પાપના માર્ગે ચાલવા દીધા. લોકોએ નૈતિક અપવિત્રતાના કાર્યોમાં રોકાઈને પાપ કર્યા અને તેઓના શરીરનું અપમાન કર્યુ. 25 દેવ વિષેના સત્યનો અનાદર કરીને એ લોકોએ અસત્યનો વેપાર ચલાવ્યો. જેણે દરેક વસ્તુઓનું સર્જન કર્યુ તે દેવની સેવા-ભક્તિ કરવાને બદલે એ લોકો દેવ સર્જીત ભૌતિક વસ્તુઓની ભક્તિ તથા ઉપાસના કરવા લાગ્યા ખરેખર તો લોકોએ ઉત્પન્નકર્તાની સર્વકાળ સ્તુતિ કરવી. આમીન.

26 લોકોએ એવાં પાપી કાર્યો કર્યા તેથી, દેવે તેમને તરછોડી દીધા અને તેઓની ઈચ્છા મુજબ તેઓને શરમજનક મનોવિકારમાં રાખ્યા. પુરુંષો સાથે સ્વાભાવિક રીતે લગ્ન સબંધ માણવાનું સ્ત્રીઓએ બંધ કર્યુ. તેને બદલે અન્ય સ્ત્રીઓ સાથે સ્ત્રીઓ અસ્વાભાવિક વ્યવહાર કરવા લાગી. 27 એ જ પ્રમાણે, સ્ત્રીઓ સાથે સ્વાભાવિક લગ્ન સંબંધ ભોગવવાને બદલે પુરુંષો પણ એકબીજા સાથેની સજાતીય ઈચ્છાથી બળવા લાગ્યા. આમ પુરુંષો એકબીજા સાથે શરમજનક વ્યવહાર કરવા લાગ્યા. તેથી આવા અયોગ્ય વ્યવહારને કારણે તેઓને પોતાની ભૂલનું યોગ્ય ફળ પોતાને શરીરે ભોગવવું પડ્યું.

28 દેવ વિશે સાચું જ્ઞાન મેળવવું એ જ મહત્વની બાબત છે એમ લોકો સમજી શક્યા નહિ. તેથી દેવે આવા લોકોનો ત્યાગ કર્યો અને તેઓને નક્કામા અને અવિચારી માર્ગે જવા દીઘા. જે ન કરવું જોઈએ એવું લોકો કરતા આવ્યા છે. 29 સ્વાર્થ, ધિક્કાર, અનિષ્ટ એમ દરેક પ્રકારનાં પાપ વડે એ લોકોનું જીવન ભરપૂર જણાય છે. એકબીજા માટે ખરાબમાં ખરાબ વિચારો ધરાવતા આ લોકોમાં ઈર્ષ્યા, ખૂન, ઝઘડા, જૂઠ્ઠાણું (છેતરપીંડી) વગેરે અનેક અનિષ્ટ પાપોએ પ્રવેશ કર્યો છે. 30 તેઓ એકબીજા વિષે નિંદા કર્યો કરે છે. તેઓ આ રીતે દેવને પણ ધિક્કારે છે. તેઓ ઉદ્ધત અને મિથ્યાભિમાની છે અને પોતાના વિષે બડાશો માર્યા કરે છે. અનિષ્ટ કરવાના નવા નવા માર્ગો તેઓ શોધી કાઢે છે. તેઓ પોતાના મા-બાપની આજ્ઞા પણ પાળતા નથી. 31 તેઓ મૂર્ખ છે, તેમનાં વચન પાળતા નથી, અને તેઓ બીજા લોકો પ્રત્યે દયા, મમતા, ભલાઈ દર્શાવતા નથી. 32 તેઓ સારી રીતે જાણે છે કે જે આવું કરે છે તે દેવના નિયમ મુજબ મૃત્યુને લાયક છે. તેમ છતાં પોતાની જાતે તેઓ આવા કાર્યો કરવાનું ચાલુ જ રાખે છે. એટલું જ નહિ પણ તેઓ જેમને આ રીતે વર્તતા જુએ છે તેઓને પણ ઉત્તેજન આપે છે.

તમે યહૂદિઓ પણ પાપી છો

જો તમે એમ માનતા હો કે તમે બીજા લોકોનો ન્યાય કરી શકો છો, તે એ તમારી ભૂલ છે. તમે પોતે પણ પાપથી અપરાધી થયેલા છો. તમે બીજા લોકોનો ન્યાય કરવાનો પ્રયત્ન કરો છો. પરંતુ તેઓની માફક તમે પણ ખરાબ કર્મો કરવામાં રચ્યાપચ્યા રહો છો. બીજા લોકોને અપરાધી સિદ્ધ કરવાની પ્રવૃતિ કરીને ખરેખર તો તમે પોતે અપરાધી ઠરો છો. જે લોકો ખરાબ કર્મો કરે છે, તેમનો ન્યાય કરનાર તો દેવ છે અને આપણે જાણીએ છીએ તેમ દેવનો ન્યાય સાચો હોય છે. જે લોકો ખોટાં કર્મો કરે છે તેમનો ન્યાય તમે કરો છો પરંતુ એવાં અનિષ્ટ કાર્યો તમે પોતે પણ કરો જ છો. તેથી આ વાત બરાબર ખાતરીપૂર્વક સમજી લેશો કે દેવ તમારો પણ ન્યાય કરશે. તમે એમાંથી છટકી શકવાના નથી. દેવ તો હંમેશા તમારા પર ભલાઈ કરતો રહ્યો છે અને તમારા જીવનમાં પરિવર્તન આવે એની ધીરજપૂર્વક રાહ જોઈ રહ્યો છે. પરંતુ દેવની આ ભલાઈની તમને તો કઈ પડી જ નથી. પસ્તાવો થાય એ માટે દેવની કૃપા હંમેશા તમારા પર વરસતી હોય છે. એ તમે કદાચ સમજતા જ નથી.

પરંતુ તમે લોકો કઠણ અને હઠાગ્રહી છો. જીવનમાં પરિવર્તન પામવાની વાતને તમે ઘસીને ના પાડી દો છો. આ રીતે, દેવ તમને જે શિક્ષા ફરમાવશે એમાં તમે વધુ ઉમેરો કરતા જાઓ છો. ન્યાયના દિવસે દેવ જ્યારે પોતાનો કોપ પ્રગટ કરશે ત્યારે તમને યોગ્ય શિક્ષા (દંડ) મળશે; અને તે દિવસે દેવના સાચા ન્યાયનો લોકોને અનુભવ થશે. દરેક વ્યક્તિને તેનાં કાર્યો અનુસાર દેવ તેને યોગ્ય રીતે શિક્ષા કરશે. કેટલાક લોકો તો જાણે કે દેવના મહિમા માટે જ જીવતા હોય છે. તેઓ પોતાની સારી પ્રતિષ્ઠાનું જતન કરતાં અવિનાશી જીવન જીવી જાય છે. હંમેશા તેઓ સતત સારાં કામો કરવા સારું પોતાનું જીવન જીવતા હોય છે. દેવ એવા લોકોને અનંતજીવન આપશે. પરંતુ બીજા કેટલાએક લોકો સ્વાર્થી હોય છે અને સત્યનો માર્ગ સ્વીકારવાનો ઈન્કાર કરી દે છે. અનિષ્ટને અનુસરનારા લોકોને દેવનો કોપ અને શિક્ષા વહોરવી પડશે. સૌ પ્રથમ યહૂદિઓને અને પછી બિન-યહૂદિઓને એમ જે કોઈ વ્યક્તિ ખરાબ કામો કરશે તેને દેવ દુ:ખો અને યાતનાઓ આપશે. 10 પરંતુ સારાં કામો કરનાર દરેક વ્યક્તિને દેવ મહિમા, માન અને શાંતિ આપશે-ભલે પછી તે યહૂદિ હોય કે બિન-યહૂદિ. 11 કોઈ પણ જાતના ભેદભાવ વગર એક સમાન ધોરણે દેવ સર્વનો ન્યાય કરે છે.

12 જે લોકો પાસે મૂસાનું નિયમશાસ્ત્ર[a] છે અને એવા લોકો કે જેઓએ નિયમશાસ્ત્ર સાંભળ્યું નથી. તેઓ બધા જ જ્યારે પાપ કરે છે ત્યારે એક સમાન કક્ષાએ આવી જાય છે. જે લોકો પાસે નિયમશાસ્ત્ર નથી અને જે પાપીઓ છે તેઓ નાશ પામશે. અને જે લોકો પાસે નિયમશાસ્ત્ર છે અને તેઓ પાપી છે તેઓનો ન્યાય નિયમથી થશે. 13 આ નિયમશાસ્ત્ર માત્ર સાંભળી લેવાથી દેવની નજરે ન્યાયી થવાશે નહિ. એ નિયમશાસ્ત્ર પ્રમાણે જે લોકો આજ્ઞા પાળે છે તે દેવની સાથે નિયમ મુજબ ન્યાયી ઠરશે.

14 બિનયહૂદિ લોકો પાસે નિયમશાસ્ત્ર હોતુ નથી, નિયમશાસ્ત્ર જાણ્યા વગર પણ પોતાની સ્વતંત્ર બુદ્ધિ વડે નિયમ મુજબ તેઓ વર્તે છે. જો કે તેઓને નિયમ મળ્યો નથી છતાં તેઓ તેમની જાત માટે નિયમરૂપ છે. 15 તેઓ તેમના હૃદયમાં તે બતાવે છે. નિયમની અપેક્ષા મુજબ સાચું શું છે અને ખોટું શું છે તે તેઓના કામ દેખાડી આપે છે. જ્યારે તેઓ ખોટું કરે છે ત્યારે તેમના વિચારો તેમને કહે છે કે તેઓએ ખોટું કર્યુ છે, અને તેઓ ગુનેગારની લાગણી અનુભવે છે. કેટલીક વાર તર્ક બુદ્ધિથી એમને લાગે કે એમણે જે કઈ કર્યુ છે તે યોગ્ય છે ત્યારે તેઓ અપરાધ ભાવનાથી પીડાતા નથી.

16 જે દિવસે દેવ ન્યાય ચૂકવશે ત્યારે લોકોના હૃદયમાં છુપાયેલી ગુપ્ત વાતો બહાર આવશે. હું જે સુવાર્તાનો ઉપદેશ આપું છું તે કહે છે. દેવ, ખ્રિસ્ત ઈસુ દ્વારા લોકોનો ન્યાય કરશે.

યહૂદિઓ અને નિયમશાસ્ત્ર

17 પાઉલ યહૂદિઓને કહે છે: તમારા વિષે શું કહેવું, શું માનવું? તમે તો યહૂદિ હોવાનો દાવો કરો છો. નિયમના આધારે તમે દેવની નજીક હોવાનું અભિમાન ધરાવો છો. 18 દેવ તમારી પાસે કેવી અપેક્ષા રાખે છે તે તમે સારી રીતે જાણો છો. જે બાબતો અગત્યની છે તે પણ તમે જાણો જ છો કારણ કે નિયમશાસ્ત્રમાં તમે તેવું શીખ્યા છો. 19 તમે માનો છો કે જે લોકો સાચો માર્ગ જાણતા નથી, તેઓના માર્ગદર્શક તમે છો. જે લોકો અંધકારમાં છે તેમના માટે પ્રકાશરૂપ તમે છો. 20 તમે એમ ધારો છો કે મૂર્ખ માણસોને સાચો માર્ગ તમે બતાવી શકશો જે લોકોને હજી પણ શીખવાની જરૂર છે તેમના શિક્ષક તમે છો એમ તમે માનો છો. નિયમ શીખવાથી તમે વિચારો છો કે તમે બધું જ જાણો છો અને સર્વ સત્ય તમારી પાસે જ છે. 21 તમે બીજા લોકોને ઉપદેશ આપો છો, તો પછી તમારી જાતને ઉપદેશ કેમ આપતા નથી? તમે લોકોને કહો છો કે ચોરી ન કરવી, પરંતુ તમે પોતે જ ચોરી કરો છો. 22 તમો લોકોને કહો છો કે વ્યભિચારનું પાપ ન જ કરવું જોઈએ, પરંતુ તમે પોતે એ પાપના અપરાધી છો. તમે મૂર્તિ-પૂજાને ધિક્કારો છો, પરંતુ મંદિરોને લૂટો છો. 23 દેવના નિયમશાસ્ત્રનું જ્ઞાન હોવાની તમે બડાશો મારો છો પરંતુ નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરીને તમે દેવને શરમાવો છો. 24 શાસ્ત્રોમાં લખેલું છે કે: “તમારા કારણે બિનયયહૂદિઓમાં દેવના નામની નિંદા થાય છે.”

25 જો તમે નિયમનું પાલન કરતા હોય તો જ સુન્નત કરાવી સાર્થક ગણાય. પરંતુ જો તમે નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરતા હશો તો તમે સુન્નત કરાવી જ નથી એમ ગણાશે. 26 બિનયહૂદિયો સુન્નત કરાવતા નથી. છતાં નિયમો જે માંગે છે, તે પ્રમાણે કરતા હોય તો તેમણે સુન્નત કરાવી છે એમ મનાશે. 27 યહૂદિ લોકો પાસે તો દેવનું લેખિત નિયમશાસ્ત્ર છે અને તમે તો સુન્નત કરાવી છે. છતાં પણ તમે નિયમનો ભંગ કરતા જ રહો છો. તેથી એવા લોકો કે જેમણે શારીરિક દૃષ્ટિએ સુન્નત કરાવી નથી. છતાં દેવ-આજ્ઞાનું પાલન કરે છે, તેઓનું જીવન એ બતાવે છે તમે લોકો અપરાધી છો.

28 સાચા યહૂદિ હોવું એ માત્ર સાદી સરળ બાહ્ય નિશાનીઓની બાબત નથી. અને સાચી સુન્નત તો શારીરિક નિશાની કરતાં વધારે છે. 29 જે વ્યક્તિ પોતાના અંત:કરણમાં યહૂદિ હશે તે જ સાચો યહૂદિ ગણાશે. સાચી સુન્નત તો પવિત્ર આત્માથી કરાવાની હોય છે, લેખિત નિયમ વડે થતી સુન્નત સાચી નથી. અને જ્યારે આત્મા દ્વારા કોઈ વ્યક્તિના હૃદયની સુન્નત થાય છે, ત્યારે લોકો તેની પ્રશંસા કરતા નથી પરંતુ દેવ તરફથી તેમના પ્રશંસા કરતા નથી પરંતુ દેવ તરફથી તેમની પ્રશંસા પ્રાપ્ત થાય છે.

તો શું યહૂદિયો પાસે એવું કઈ વિશિષ્ટ છે કે જે અન્ય લોકો પાસે નથી? સુન્નત શું કોઈ વિશિષ્ટ લાભ આપે છે? હા, યહૂદિઓને અનેક વિશિષ્ટ લાભો છે. સૌથી અગત્યની વાત એ છે કે બીજા લોકોને બદલે દેવે યહૂદિઓમાં વિશ્વાસ મૂક્યો અને તેઓને ઉપદેશ આપ્યો. જો કે એ સાચું છે કે કેટલાએક યહૂદિઓ દેવને વિશ્વાસુ ન રહ્યા. પરંતુ શું એ કારણે દેવે જે વચન આપ્યા છે તે એ પૂર્ણ નહિ કરે? ના! જગતના બધા જ લોકો ભલે જૂઠા સાબિત થાય. તો પણ દેવ તો સાચો જ ઠરે. શાસ્ત્રોમાં કહ્યું છે તેમ:

“તારા વચનો સત્ય સાબિત થશે,
    અને તારા ન્યાયમાં તું હંમેશા વિજયવંત થઈશ.” (B)

જ્યારે આપણે ખોટું કરીએ છીએ ત્યારે, તે સ્પષ્ટતાથી દર્શાવે છે કે દેવ સાચો છે. જો આ બાબત હોય તો પછી આપણે કહી શકીએ કે આપણને શિક્ષા કરવી તે દેવ માટે અયોગ્ય છે? (હું માણસોની રૂઢિ પ્રમાણે બોલું છું.) ના! જો દેવ આપણને શિક્ષા ન કરે તો, પછી તે દુનિયાનો ન્યાય કરી શકશે નહિ.

કોઈ વ્યક્તિ આવી દલીલ કરી શકે? “જો હું જૂઠ્ઠુ બોલું, તો તેનાથી દેવની કીર્તિ વધશે, કેમકે મારું અસત્ય દેવના સત્યને પ્રગટ કરશે. તો પછી શા માટે મને પાપી ઠેરવો છો?” કેટલાએક લોકો એવો દાવો કરે છે કે આમ કહેવું એ એમ કહેવા બરાબર છે કે, “આપણે અનિષ્ટ કરવું જોઈએ જેથી સારું થાય.” આગમન થાય તે રીતે ખોટા દાવાઓ કરીને લોકો અમારા પર આરોપ મૂકે છે, કે અમે એ રીતે ઉપદેશ આપીએ છીએ કે જે લોકો ખોટા દાવા કરે છે તે ખોટા છે ને દેવે તેમને શિક્ષા કરવી જોઈએ.

સઘળાએ પાપ કર્યુ છે

તો શું આપણે યહૂદિઓ બીજા લોકો કરતાં વધારે સારા છીએ? ના! અમે તો માત્ર હમણા જ આક્ષેપ કર્યો કે બધા જ લોકો યહૂદિઓ-બિનયહૂદિયો સૌ પાપની સત્તા હેઠળ છે. 10 શાસ્ત્રોમાં કહ્યું છે તેમ:

“પાપ કર્યુ ના હોય એવી કોઈ વ્યક્તિ નથી, એક પણ નથી! શાસ્ત્રમાં લખ્યાં પ્રમાણે કોઈ ન્યાયી નથી.
11     એવું કોઈ નથી જે સમજે. એવું કોઈ નથી જે ખરેખર દેવ સાથે રહેવા ઈચ્છતું હોય.
12 સૌ લોકો દેવથી દૂર ભટકી ગયા છે,
    અને એ બધાએ પોતાની યોગ્યતા ગુમાવી છે.
કોઈ પણ વ્યક્તિ સત્કર્મ આચરતી જણાતી નથી. એક પણ નહિ!” (C)

13 “લોકોનું મોં ખુલ્લી કબરો જેવું છે;
    તેઓની જીભો જૂઠ્ઠું બોલી રહી છે.” (D)

“ઝેર ઓકતા સર્પોની જેમ તેઓ કડવી વાણી બોલતા ફરે છે;” (E)

14 “તેઓનું મોં કડવાશ અને શ્રાપથી ભરેલું છે.” (F)

15 “બીજા લોકોને ઈજા કરવા અને મારી નાખવા લોકો હંમેશા તત્પર હોય છે;
16     તેઓ જ્યાં જ્યાં જાય છે ત્યાં વિનાશ નોતરે છે અને દુ:ખો ફેલાવે છે.
17 લોકોને શાંતિનો માર્ગ સૂઝતો જ નથી.” (G)

18 “તેઓને દેવ પ્રત્યે આદર કે ડર નથી.” (H)

19 જાણીએ છીએ કે નિયમશાસ્ત્ર જે કહે છે તે બાબતો એવા માણસોને સંબોધીને કહેવામાં આવી છે કે જેઓ નિયમ હેઠળ છે. આ બાબત તેમને કોઈ પણ બહાના કાઢતા અટકાવે છે. તેથી આખું વિશ્વ દેવના ચુકાદા સામે ઉઘાડું પડી જશે. 20 શા માટે? કારણ કે નિયમશાસ્ત્ર જે ઈચ્છે છે તેના પાલન વડે કોઈ પણ વ્યક્તિ દેવ આગળ ન્યાયી ઠરી શકે નહિ કારણ નિયમશાસ્ત્ર આપણને માત્ર આપણા પાપોથી સભાન કરે છે.

કઈ રીતે દેવ લોકોને ઉદ્ધાર યોગ્ય બનાવે છે

21 નિયમશાસ્ત્ર વિના લોકોને સાચા બનાવવા માટે હવે દેવ પાસે એક નવો માર્ગ છે. અને એ નવો માર્ગ દેવે આપણને બતાવ્યો છે. જૂના કરારે અને પ્રબોધકોએ આપણને આ નવા માર્ગ વિષે અગાઉ કહેલું જ છે. 22 ઈસુ ખ્રિસ્તમાં જે લોકો વિશ્વાસ રાખશે તેમના ઉદ્ધાર માટે દેવ તેમને ન્યાયી બનાવશે. જે લોકો ખ્રિસ્તમાં વિશ્વાસુ છે, એવા સૌ લોકોનો ઉદ્ધાર દેવ કરશે. 23 સઘળાએ પાપ કર્યુ છે તેથી દેવના મહિમા વિષે સઘળા અધૂરા છે. 24 દેવની કૃપાથી લોકોને દેવ સાથે ન્યાયી બનાવાય છે. અને તે વિનામૂલ્ય ભેટ છે. ઈસુ ખ્રિસ્ત જે આપણને પાપમાંથી મુક્ત કરે છે તેના દ્વારા આ પરિપૂર્ણ થાય છે. 25 દેવે ઈસુને એવા માર્ગ તરીકે આપ્યો જેનાથી વિશ્વાસ દ્વારા લોકોના પાપોને માફી મળી છે. દેવ ઈસુના રક્ત દ્વારા માફ કરે છે. આના દ્વારા દેવે દર્શાવ્યું કે તે ન્યાયી હતો. જ્યારે ભૂતકાળમાં થયેલા લોકોનાં પાપોને તેની સહનશીલતાને લીધે તેણે દરગુજર કર્યા. 26 અને હવે આપણી વચ્ચે ઈસુને મોકલીને દેવ એ બતાવવા માગે છે કે દેવ જે કરે છે તે સત્ય છે. દેવે આમ કર્યુ જેથી તે ન્યાયોચિત ન્યાય આપતી વખતે ઈસુમાં જેને વિશ્વાસ છે તેને તે જ સમયે ન્યાયી ઠરાવશે.

27 તો પછી પોતાના માટે વડાઈ કરવાનું ક્યાં રહ્યું? તેનું સ્થાન નથી. નિયમશાસ્ત્ર જે કામની અપેક્ષા રાખે છે તેને અનુસરવાથી નહિ પણ વિશ્વાસના માર્ગે કે જેમાં વડાઈનો સમાવેશ થયેલ નથી. 28 તો એવું કેમ હશે? કારણ કે આપણે માનીએ છીએ કે નિયમ મુજબ મનુષ્યો જે કઈ કરે છે તેને લીધે નહિ, પરંતુ દેવમાં વિશ્વાસ દ્વારા જ દેવ આપણને ઉદ્ધારને યોગ્ય બનાવે છે. લોકો નિયમશાસ્ત્રની કરણીઓથી નહિ પણ વિશ્વાસથી ન્યાયી ઠરે છે. 29 માત્ર યહૂદિઓનો જ દેવ નથી, બિન-યહૂદિઓનો પણ તે દેવ છે. 30 દેવ માત્ર એક જ છે અને તે યહૂદિઓને તેમજ બિનયહૂદિઓને એમના વિશ્વાસના આધારે ન્યાયી ઠરાવશે. 31 તેથી આપણે વિશ્વાસના માર્ગને અનુસરવાથી, નિયમશાસ્ત્રથી દૂર રહીને કાર્ય કરતા નથી. ના! તેને બદલે અમે તો નિયમશાસ્ત્રને તેનું યોગ્ય સ્થાન આપીએ છીએ.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International