Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગલાતીઓ 4-6

મારે તમને આ કહેવું છે: જ્યાં સુધી વારસદાર બાળક છે, ત્યાં સુધી તેનામાં અને ગુલામમાં કોઈ ફેર નથી. એનો કશો જ અર્થ નથી કે વારસદાર બધી જ વસ્તુનો માલિક છે. શા માટે! કારણ કે જ્યાં સુધી તે બાળક છે, તેણે જે લોકોને તેની સંભાળ રાખવા પસંદ કર્યા છે તેમની આજ્ઞાનું પાલન કરવું જ પડે છે. પરંતુ બાળક જ્યારે તેના પિતાએ નક્કી કરેલી ઉમરનો થાય છે ત્યારે તે મુક્ત બને છે. આપણે માટે પણ આવું જ છે. આપણે એક સમયે બાળકો જેવા હતા. આપણે આ દુનિયાના બિનઉપયોગી કાયદાઓના ગુલામ હતા. પરંતુ જ્યારે યોગ્ય સમય આવ્યો, દેવે તેના દીકરાનો મોકલ્યો. દેવના દીકરાને જન્મ એક સ્ત્રી થકી થયો. દેવનો દીકરો નિયમની આધિનતા પ્રમાણે જીવ્યો. દેવે આમ કર્યુ કે જેથી જે લોકો નિયમને આધિન હતા તેમની સ્વતંત્રતા ખરીદી શકે. દેવનો હેતુ આપણને તેના સંતાન બનાવવાનો હતો.

તમે દેવના સંતાન છો. તેથી દેવે આપણા હૃદયમાં પોતાના પુત્રનો આત્મા મોકલ્યો છે, જે “અબ્બા, બાપ” એમ કહીને હાક મારે છે. તેથી તમે હવે પહેલાની જેમ ગુલામ નથી. તમે દેવનું બાળક છો તેથી તેણે જે વચન આપ્યું છે તે તમને આપશે.

ગલાતીઆના ખ્રિસ્તીઓ પ્રત્યે પાઉલનો પ્રેમ

ભૂતકાળમાં તમે દેવને જાણતા ન હતા. તમે જે સાચા દેવો નથી તેના ગુલામ હતા. પરંતુ હવે તમે સાચા દેવને જાણો છો. ખરેખર, તે એ દેવ જે તમને જાણે છે. તો તમે શા માટે તે નિર્બળ અને બિનઉપયોગી ઉપદેશના નિયમો કે જેનું તમે ભૂતકાળમાં પાલન કરતાં હતા તેના તરફ ફરીથી ઇચ્છા રાખીને તેઓની ભણી બીજી વાર શા માટે ફરો છો? તમે ફરીથી શું તે વસ્તુના ગુલામ થવા ઈચ્છો છો? 10 હજુ પણ તમે વિશિષ્ટ દિવસો, મહિનાઓ, ઋતુઓ અને વરસો વિષેના નિયમના શિક્ષણને અનુસરો છો. 11 મને તમારા માટે ભય લાગે છે. મને ભય લાગે છે કે તમારા માટે મેં કરેલું કાર્ય નિરર્થક ગર્યુ છે.

12 ભાઈઓ અને બહેનો, હું તમારા જેવો જ હતો; તેથી તમે મારા જેવા મહેરબાની કરીને બનો. પહેલા તમે મારી સાથે ઘણા સારા હતા. 13 તમે યાદ કરો સો પ્રથમ હું તમારી પાસે કેમ આવ્યો હતો. કારણ કે હું માંદો હતો. તે સમયે મેં તમને સુવાર્તા પ્રગટ કરી. 14 મારી માંદગી તમારા ઉપર બોજારૂપ બની હતી. પરંતુ તમે મને ધિક્કાર્યો નહોતો. તમે મારાથી દૂર નાસી ગયા નહોતા. તમે મને દેવના દૂતની જેમ આવકાર્યો હતો. જાણે કે હૂં પોતે જ દેવનો દૂત હોઉ તે રીતે તમે મને અપનાવ્યો હતો. અને હું પોતે જ ઈસુ ખ્રિસ્ત હોઉં તેમ તમે મને સ્વીકાર્યો! 15 તે સમયે તમે પણા આનંદીત હતા. હવે તે ઉલ્લાસ ક્યાં ગયો? મને યાદ છે કે તમે મારી મદદ માટે શક્ય કંઈ પણ કરવા ઈચ્છતા હતા. જો તે શક્ય હોત તો તમે તમારા ચક્ષુઓ ખેંચી કાઢીને મને આપી દીધા હોત. 16 હવે જ્યારે હું તમને સત્ય કહું છું ત્યારે શું હું તમારો દુશ્મન છું?

17 તમને સમજાવવા તે લોકો ઘણો પરિશ્રમ કરે છે. પણ એ તમારા પોતાના ભલા માટે નથી. અમારી વિરુંદ્ધ જવા તે લોકો તમને સમજાવે છે. તેઓ માત્ર તેમને જ અને બીજા કોઈને નહિ અનુસરો તેવું ઈચ્છે છે. 18 લોકો તમારામાં રસ દાખવે તે સારું છે, જો તેમનો હેતુ શુદ્ધ હોય તો. આ હમેશા સાચું છે. આ હું તમારી સાથ હોઉં કે તમારાથી દૂર હોઉં, સાચું છે. 19 મારા નાનાં બાળકો, ફરીથી મને તમારા માટે પીડા થાય છે જે રીતે માતાને બાળકને જન્મ આપતી વખતે થાય તે રીતે. મને આવી લાગણી થશે જ્યાં સુધી તમે ખ્રિસ્ત જેવાં નહિ બનો. 20 મારી ઈચ્છા છે કે અત્યારે હું તમારી સાથે હોઉં તે યોગ્ય છે. તો કદાચ હું તમારી સાથે હોઉ, અને મારી બોલવાની ઢબ બદલી શકું. અત્યારે મને ખબર નથી મારે તમારું શું કરવું.

હાગાર અને સારાનું દૃષ્ટાંત

21 તમારામાંના ઘણા હજુ પણ મૂસાના નિયમ નીચે રહેવા માંગે છે. મને કહો, તમને ખબર છે કે નિયમ શું કહે છે? 22 પવિત્રશાસ્ત્ર કહે છે કે ઈબ્રાહિમને બે પુત્રો હતા. એક પુત્રની મા ગુલામ સ્ત્રી હતી. બીજા પુત્રની મા મુક્ત સ્ત્રી હતી. 23 ગુલામ સ્ત્રીથી ઈબ્રાહિમનો પુત્ર માનવ જન્મે તેવી કુદરતી રીતે જન્મેલો હતો. પરંતુ મુક્ત સ્ત્રીથી જન્મેલો પુત્ર દેવે ઈબ્રાહિમને વચન આપેલું તેના થકી જન્મેલો.

24 આ સાચી વાર્તા આપણે માટે એક ચિત્ર ઊભું કરે છે. બે સ્ત્રી, દેવ અને માણસ વચ્ચેના બે કરાર જેવી છે. એક કરાર જે દેવે સિનાઈ પર્વત[a] પર સર્જયો. જે લોકો આ કરાર નીચે છે તેઓ ગુલામ જેવા છે. મા કે જેનું નામ હાગાર હતું તે આ કરાર જેવી છે. 25 તેથી હાગાર તે અરબસ્તાનમાંના સિનાઈ પર્વત જેવી છે. તે યહૂદિઓની દુન્યવી નગરી યરૂશાલેમનું ચિત્ર છે. આ નગરી ગુલામ છે અને તેના બધા લોકો નિયમના ગુલામ છે. 26 પરંતુ સ્વર્ગીય યરૂશાલેમ જે ઉપર છે તે મુક્ત સ્ત્રી જેવું છે. આ આપણી માતા છે. 27 પવિત્ર શાસ્ત્રમાં લખ્યું છે:

“સ્ત્રી કે જે બાળકોને જન્મ નથી આપી શક્તી, તે તું આનંદ કર.
    તેં કદી જન્મ આપ્યો નથી.
આનંદથી પોકાર અને હર્ષનાદ કર!
    પ્રસુતિની પીડાનો તેં કદી અનુભવ કર્યો નથી.
સ્ત્રી જે એકલી મુકાયેલી છે તેને વધુ બાળકો
    હશે જે સ્ત્રીને પતિ છે તેના કરતાં પણ વધારે.” (A)

28-29 ઈબ્રાહિમનો એક પુત્ર કુદરતી રીતે જન્મ્યો હતો. ઈબ્રાહિમનો બીજો પુત્ર (ઈસહાક) આત્માની શક્તિથી જન્મ્યો હતો. તે જન્મ્યો હતો દેવના વચનને કારણે. મારા ભાઈઓ અને બહેનો, તમે પણ તે વખતે જેમ ઈસહાક હતો તેમ વચન થકી જન્મેલા બાળકો છો. જે કુદરતી રીતે જન્મેલો તે પુત્રએ બીજા પુત્ર સાથે ર્દુવ્યવહાર કર્યો. આજે પણ તેવું જ છે. 30 પરતું પવિત્રશાસ્ત્ર શું કહે છે? “ગુલામ સ્ત્રી અને તેના પુત્રને કાઢી મૂક! મુક્ત સ્ત્રીનો પુત્ર તેના પિતા પાસે છે તે બધું જ મેળવશે. પરંતુ ગુલામ સ્ત્રીના પુત્રને કશું જ મળશે નહિ.”(B) 31 તો મારા ભાઈઓ અને બહેનો, આપણે ગુલામ સ્ત્રીના સંતાન નથી. આપણે મુક્ત સ્ત્રીના સંતાન છીએ.

તમારી સ્વતંત્રતા જાળવી રાખો

સ્વતંત્રતામાં જીવવા ખ્રિસ્તે આપણને મુક્ત બનાવ્યા. તેથી દઢ રહો, બદલાશો નહિ અને નિયમની ગુલામી તરફ પાછા ન વળશો. સાંભળો! હું પાઉલ છું. હું તમને કહું છું કે સુન્નત કરાવીને તમે નિયમ તરફ પાછા ફરશો, તો પણ તમને ખ્રિસ્તનું કોઈ મહત્વ નથી. ફરીથી હું દરેક માણસને ચેતવું છું: જો તમે સુન્નતને આવકારી, તો તમારે બધા જ નિયમો અનુસરવા જોઈએ. નિયમશાસ્ત્ર થકી જો તમે દેવ સાથે ન્યાયી થવાનો પ્રયત્ન કરશો, તો ખ્રિસ્ત સાથેના તમારા જીવનનો અંત આવશે તમે દેવની કૃપાથી વિમુખ થયા છો. પરતું અમે આશા રાખીએ છીએ. દેવની સાથે ન્યાયી બનીશું. અને અમે આ માટે આત્મા દ્વારા આશાની રાહ જોઈએ છે. જ્યારે વ્યક્તિ ઈસુ ખ્રિસ્તમય બને છે, ત્યારે તેની સુન્નત થઈ છે કે નહિ તે મહત્વનું નથી. મહત્વનો તે વિશ્વાસ છે, એ પ્રકારનો વિશ્વાસ કે જે તેની જાતે પ્રેમ દ્વારા વ્યક્ત થાય છે.

તમે સારી રીતે દોડી રહ્યા હતા. તમે સત્યથી આજ્ઞાંકિત હતા. તમને કોણે હવે વધુ લાંબા સમય માટે સત્યનો માર્ગ નહિ અનુસરવા સમજાવ્યા? એ એક (દેવ) જેણે તમને પસંદ કર્યા છે તેના તરફથી તો તે સમજાવટ નથી જ આવી. સાવધ રહેજો! “માત્ર થોડું ખમીર આખા લોદાને ફુલાવે છે.” 10 મને પ્રભુમાં વિશ્વાસ છે કે તમે તે જુદા વિચારોમાં માનશો નહિ. તે વિચારોથી કેટલાક લોકો તમને મુંઝવણમાં મૂકે છે. તે વ્યક્તિ જે કોઈ હશે તેને શિક્ષા થશે.

11 મારા ભાઈઓ અને બહેનો, લોકોએ સુન્નત કરાવવી જ જોઈએ તેવો ઉપદેશ હું આપતો નથી. જો હું સુન્નતનો ઉપદેશ આપતો હોઉં તો મને શા માટે સતાવાય છે? જો હજુ પણ હું એવો ઉપદેશ આપતો હોઉં કે લોકોએ સુન્નત કરાવવી જ જોઈએ, તો વધસ્તંભ માટેના મારા ઉપદેશ માટે કોઈ સમસ્યા નથી. 12 હું ઈચ્છું છું કે જે લોકો તમારી કનડગત કરે છે તેઓ સુન્નતની સાથે ખમીરનો પણ સમાવેશ કરશે.

13 મારા ભાઈઓ અને બહેનો, દેવ તમને મુક્ત થવા બોલાવે છે. પરંતુ તમારી સ્વતંત્રતાના બહાના હેઠળ એવી વસ્તુ ના કરશો જે તમારા પાપી સ્વભાવને પ્રફૂલ્લિત કરે. પરંતુ પ્રેમથી એકબીજાની સેવા કરો. 14 સમગ્ર નિયમ આ એક જ આજ્ઞામાં સમાવેશ થયો છે: “તું જેમ પોતા પર પ્રેમ રાખે છે તેમ તારા પડોશી પર પ્રેમ રાખ.”(C) 15 તમે એક બીજાને નુકસાન પહોંચાડવાનું અને એકબીજાને તોડી પાડવાનું ચાલુ રાખો છો; સાવધ રહો! તમે એકબીજાનો સંપૂર્ણ નાશ કરશો.

આત્મા અને માનવી સ્વભાવ

16 તો હું તમને કહું છું: આત્માને અનુસરીને જીવો. તો તમારો પાપી દેહ ઈચ્છે છે તેવા પાપી કામો તમે નહિ કરો. 17 આપણો દેહ આત્માની વિરુદ્ધ ઈચ્છા કરે છે. અને આત્મા જે આપણા પાપી દેહની વિરુંદ્ધ છે તે ઈચ્છે છે. આ બે ભિન્ન વસ્તુઓ એકબીજાની વિરુંદ્ધ છે. તેથી તમે જે ખરેખર ઈચ્છો છો, તે વસ્તુ તમે કરતા નથી. 18 પરંતુ જો તમે આત્માથી દોરાશો, તો તમે નિયમને આધિન નથી.

19 આપણા દેહનાં કામ તો ખુલ્લા છે એટલે: વ્યભિચાર, અપવિત્રતા, વિશ્વાસઘાત, 20 જુઠા દેવની પૂજા, મેલીવિદ્યા, વૈરભાવ, મુશ્કેલીઓ ઊભી કરવી, ઈર્ષા, અતિક્રોધ, સ્વાર્થપણું, લોકોને એકબીજાની વિરુંદ્ધ ઉશ્કેરવા, પક્ષાપક્ષી, 21 અદેખાઈ, છાકટાઈ, વિલાસ અને આ પ્રકારના એવા કામ, જેમ મે તમને પહેલા જે રીતે ચેતવ્યા હતા, તેમ અત્યારે ચેતવું છું. જે લોકો આવા કામો કરે છે, તેઓનું દેવના રાજ્યમાં સ્થાન નથી. 22 પરંતુ પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, 23 નમ્રતા, તથા સંયમ છે એવાંની વિરુંદ્ધ કોઈ નિયમ નથી જે કહી શકે કે આ વસ્તુઓ ખોટી છે. 24 જે લોકો ખ્રિસ્તના છે તેઓએ દેહને તેના વિષયો તથા ઈચ્છાઓ સુદ્ધાં બધસ્તંભે જડ્યો છે. તેઓએ તેઓની જૂની સ્વાર્થી લાગણીઓનો ત્યાગ કર્યો છે અને દુષ્ટ કામો જે તેઓ કરવા ઈચ્છતા હતા તેનો પણ ત્યાગ કર્યો છે. 25 આપણને આપણું નવજીવન આત્માથી પ્રાપ્ત થાય છે. તેથી આપણે આત્માને અનુસરવો જોઈએ. 26 આપણે ઘમંડી થઈને એકબીજાને ખીજવવા જોઈએ નહિ. આપણે એકબીજા માટે મુશ્કેલી ઊભી ન કરવી જોઈએ. અને આપણે એકબીજાની ઈર્ષા ન કરવી જોઈએ.

એકબીજાને મદદરૂપ બનો

ભાઈઓ અને બહેનો, તમારા સમૂહમાંની કોઈ એક વ્યક્તિ કંઈક અપરાધ કરે તો તમે લોકો આધ્યાત્મિક હોવાને નાતે જે વ્યક્તિ અપરાધ કરે છે તેની પાસે જાઓ. તેને ફરીથી સન્નિષ્ટ બનાવવામાં મદદરૂપ બનવું જોઈએ. તમારે આ વિનમ્રતાથી કરવું જોઈએ. પરંતુ સાવધ રહેજો! તમે પોતે પણ પાપ કરવા પરીક્ષણમાં પડો. તમારી મુશ્કેલીઓમાં એકબીજાને મદદરૂપ થાઓ. જ્યારે તમે આમ કરો ત્યારે વાસ્તવમાં ખ્રિસ્તના નિયમને અનુસરો છો. જ્યારે એક વ્યક્તિ વિચારે કે તે પોતે મહત્તમ છે પરંતુ તે ખરેખર ન હોય, ત્યારે તે વ્યક્તિ પોતાને જ મૂર્ખ બનાવે છે. કોઈ પણ વ્યક્તિએ પોતાની જાતને બીજા લોકો સાથે સરખામણી ના કરવી જોઈએ. દરેક વ્યક્તિએ પોતાના કૃત્યની પોતે તપાસ કરવી જોઈએ. ત્યાર પછી જ પોતે જે કઈ કર્યુ છે તે વિષે તે ગર્વ લઈ શકે. દરેક વ્યક્તિએ પોતાની જવાજદારીનો સ્વીકાર કરવો જોઈએ.

જીવન ખેતરમાં કરેલી રોપણી જેવું છે

જે વ્યક્તિ દેવનો ઉપદેશ શીખી રહી છે તેણે પોતાની પાસે જે કઈ સારા વાનાં છે તેમાંથી તેના શીખબનારને હિસ્સો આપવો જોઈએ.

ભૂલો મા; દેવની મશ્કરી કરાય નહિ. વ્યક્તિ જે વાવે છે તે જ તે લણે છે. જો કોઈ વ્યક્તિ પોતાની પાપી જાતને સંતોષવાના હેતુથી રોપણી કરશે, તો તેની તે પાપમય જાત તેનું મૃત્યુ લાવશે. પરંતુ આત્માને પ્રસન્ન કરવા જો કોઈ વ્યક્તિ રોપણી કરશે, તો તે વ્યક્તિ આત્માથી અનંતજીવન પ્રાપ્ત કરશે. સત્કર્મ કરતાં આપણે થાકવું નહિ. યોગ્ય સમયે આપણાને અનંતજીવન દ્વારા પુરષ્કૃત કરવામાં આવશે. કારણ કે કાયર ન થઈએ, તો યોગ્ય સમયે લણીશું. આપણે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. 10 જ્યારે અન્યના લાભાર્થે કાંઈક કરવાની આપણને તક હોય, ત્યારે તેમ કરવું જોઈએ. પરંતુ વિશ્વાસીઓના પરિવાર માટે આપણે વધારે ખાસ ધ્યાન આપવું જોઈએ.

પાઉલના પત્રની પૂર્ણહૂતિ

11 હું પોતે આ લખી રહ્યો છું. મેં જે ઘણા મોટા શબ્દોનો ઉપયોગ કર્યો છે તેના પ્રત્યે ધ્યાન આપો. 12 કેટલાએક લોકો તમને સુન્નત માટે દબાણ કરે છે. તેઓ આમ કરે છે કે જેથી અન્ય લોકો તેઓને અપનાવે તે માણસોને ભય છે કે જો તેઓ માત્ર ખ્રિસ્તના વધસ્તંભને જ અનુસરશે તો તેઓ ઉપર જૂલમ ગુજારવામાં આવશે. 13 પરંતુ ખરેખર તો જેઓની સુન્નત કરાવે છે તે પોતે જાતે જ નિયમને અનુસરતા નથી. પરંતુ તમે સુન્નત કરાવો તેવો આગ્રહ તેઓ રાખે છે. જેથી પછી તેઓ તમને જે કરવાની ફરજ તેઓ પાડી શક્યા તે વિષે તેઓ બડાઈ મારી શકે.

14 હું આશા રાખું છું કે આવી બાબત માટે હું પોતે કદી બડાઈખોર ના બનું. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વધસ્તંભ તે એક જ મારે માટે અભિમાનનું કારણ છે. ઈસુના વધસ્તંભ ઉપરના મૃત્યુના પરિણામે મારે માટે આ દુનિયા મરી ચૂકી છે; અને દુનિયા માટે હું મરી ચૂક્યો છું. 15 એક વ્યક્તિએ સુન્નત કરાવી છે કે નથી કરાવી તે બિલકુલ મહત્વનું નથી. દેવે સર્જયા છે તેવા નૂતન લોકો થવું તે મહત્વનું છે. 16 જેઓ આ નિયમનું પાલન કરે છે. તે સર્વને શાંતિ અને કૃપા હો. અને દેવના સર્વ લોકોને પણ.

17 તેથી હવે વધુ તસ્દી ન પહોંચાડશો. મારા શરીર ઉપર ઘણા ઘાનાં ચિહનો છે. અને આ ધાના ચિહનો બતાવે છે કે હું ઈસુ ખ્રિસ્તનો છું.

18 મારા ભાઈઓ અને બહેનો, હું પ્રાર્થના કરું છું કે આપણા પ્રભુ ખ્રિસ્તની કૃપા તમારા આત્માની સાથે હો. આમીન.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International