Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
માથ્થી 22

ભોજન માટે નિમંત્રણ આપેલ લોકો વિષે વાર્તા

(લૂ. 14:15-24)

22 ઈસુએ લોકોને સમજાવવા માટે બીજી દૃષ્ટાંત વાર્તાઓ કહીં: “આકાશનું રાજ્ય એક રાજા જેવું છે કે જેણે પોતાના દીકરાના લગ્ન પ્રસંગે ભોજન સમારંભ ગોઠવ્યો હોય. રાજાએ કેટલાક માણસોને ભોજન માટે નિમંત્રણ આપ્યું. ભોજન તૈયાર થયું એટલે રાજાએ જમવા માટે લોકોને બોલાવવા તેના નોકરોને મોકલ્યા પણ લોકોએ રાજાના સમારંભમાં આવવાની ના પાડી.

“પછી રાજાએ બીજા વધારે નોકરો મોકલ્યા, રાજાએ નોકરોને કહ્યું, ‘જે લોકોને નિમંત્રણ આપ્યું છે તેમને કહો કે ભોજન તૈયાર છે. મેં મારા સારામાં સારા બળદ અને વાછરડાંને મારીને ભોજન તૈયાર કર્યુ છે. બધુ જ તૈયાર છે માટે લગ્ન નિમિત્તેના ભોજનસમારંભમાં આવો.’

“નોકરો ગયા અને લોકોને ભોજન માટે આવવાનું કહ્યું, પણ લોકોએ નોકરોને સાંભળવાની ના પાડી દીઘી, તેઓ પોતાના બીજા કામે ચાલ્યા ગયા. એક પોતાના ખેતરમાં કામ કરવા ચાલ્યો ગયો. જ્યારે બીજો પોતાના ધંધા પર ચાલ્યો ગચો. થોડા બીજાઓએ નોકરોને પકડ્યા, તેમને માર્યા અને મારી નાંખ્યા. રાજા ખૂબ ગુસ્સે થયો અને રાજાએ તેનું લશ્કર મોકલ્યું. તેઓએ પેલા લોકોને મારી નાખ્યા. અને તેમના શહેરને બાળી નાખ્યું.

“પછી, રાજાએ તેના નોકરોને કહ્યું, ‘લગ્નો ભોજનસમારંભ તૈયાર છે, મેં જે લોકોને નિમંત્રણ આપ્યું છે તેઓ ભોજનસમારંભમાં આવવા માટે યોગ્ય ન હતા. તેથી હવે તમે શેરીઓના ખૂણેખૂણામાં જાઓ અને જે લોકોને જુઓ તે દરેકને લગ્ના ભોજનસમાંરભમાં આવવાનું કહો.’ 10 તેથી નોકરો શેરીઓમાં ગયા. તેઓને જે લોકો મળ્યા તે દરેક સારા નરસા માણસોને લગ્નના ભોજન સમારંભમાં બોલાવી લાવ્યા. આખો ભોજનખંડ માણસોથી ભરાઈ ગયો.

11 “પણ જ્યારે રાજા મહેમાનોને જોવા અંદર આવ્યો ત્યારે એક માણસ તેણે જોયો કે જેણે લગ્નને લાયક કપડા પહેર્યા નહોતાં. 12 રાજાએ તેને પૂછયું, ‘હે મિત્ર, લગ્ને લાયક વસ્ત્ર પહેર્યા વગર તું કેવી રીતે અહીંયાં આવ્યો?’ પણ પેલા માણસે કાંઈ ઉત્તર આપ્યો નહિ. 13 એટલે રાજાએ તેના નોકરોને કહ્યું, ‘આ માણસના હાથ અને પગ બાંધી દો અને તેને અંધારામાં ફેંકી દો જ્યાં લોકો રડશે અને દાંત પીસશે.’

14 “કેમકે આમંત્રિતો ઘણા છે પણ પસંદ કરાયેલા થોડા છે.”

ઈસુને પકડવાની કેટલાંક યહૂદિ આગેવાનોની ચાલ

(માર્ક 12:13-17; લૂ. 20:20-26)

15 પછી ફરોશીઓ ઈસુ જ્યાં ઉપદેશ આપતો હતો તે જગ્યા છોડી ચાલ્યા ગયા અને એક સભા બોલાવીને ઈસુને પ્રશ્નો દ્વારા ફસાવવાનું નક્કી કર્યુ. 16 તેથી ફરીશીઓએ કેટલાક માણસોને અને હેરોદીઓને ઈસુની પાસે મોકલ્યા. તેમણે ઈસુને પૂછયું, “ઉપદેશક, અમે જાણીએ છીએ કે, તું પ્રમાણિક છે અને કોઈની શેહશરમમાં આવ્યા વિના તું દેવના માર્ગ વિષે સાચું શિક્ષણ આપે છે. તારી પાસે બધાજ લોકો સરખા છે. 17 તો તું અમને કહે કે, કૈસરને કર આપવો તે શું ઉચિત છે? હા કે ના?”

18 ઈસુ એમનો ખરાબ વિચાર સમજી ગયા અને કહ્યું, “ઢોંગીઓ! તમે મને શા માટે ફસાવવા માંગો છો? 19 તમે જે સિક્કા દ્વારા કર ચૂકવો છો તે લાવીને મને બતાવો.” તેઓએ એક દીનાર લાવીને ઈસુને બતાવ્યો. 20 પછી ઈસુએ તેમને પૂછયું, “આ સિક્કા પર કોનું ચિત્ર છે? અને તેના ઉપર કોનું નામ લખેલું છે?”

21 પછી લોકોએ કહ્યું, “આના ઉપર કૈસરનું નામ છે અને તેનું જ ચિત્ર છે.”

એટલે ઈસુએ તેઓને કહ્યુ, “જે કૈસરનાં છે તે કૈસરને આપી દો અને જે દેવનું છે તે દેવને આપી દો.”

22 ઈસુની વાત સાંભળી બધા અચરત પામ્યા, અને ઈસુને છોડી ત્યાંથી ચાલ્યા ગયા.

ઈસુને પકડવાની કેટલાંક સદૂકીઓની ચાલ

(માર્ક 12:18-27; લૂ. 20:27-40)

23 એ જ દિવસે થોડાક સદૂકીઓ ઈસુ પાસે આવ્યા (લોકો મરણમાંથી ઊભા થશે તે સદૂકીઓ માનતા નહોતા) અને સદૂકીઓએ ઈસુને પૂછયું. 24 “ઉપદેશક, મૂસાએ કહ્યું છે કે, જો કોઈ માણસ નિ:સંતાન મરણ પામે તો તેના ભાઈએ તેની પત્ની સાથે પરણવું જોઈએ. જેથી તેઓ બાળકો મેળવી પોતાના ભાઈ માટે વંશ ઉપજાવે. 25 એક કુટુંબમાં સાત ભાઈઓ હતા. તેમાંના મોટા ભાઈએ લગ્ન કર્યુ અને નિ:સંતાન મરણ પામ્યો, તેથી પોતાની સ્ત્રીને બીજા ભાઈ પાસે તેડી ગયો. 26 આ બીજો ભાઈ પણ નિ:સંતાન મરણ પામ્યો. પછી પેલી સ્ત્રી ત્રીજા ભાઈની સાથે પરણી એમ સાતે ભાઈઓના સંબંધમાં આવું બન્યું. 27 સૌથી છેલ્લે તે સ્ત્રી પણ મરણ પામી. 28 આ સાતે માણસો તે સ્ત્રીને પરણ્યા, તો પછી હવે મૂએલાઓનાં પુનરુંત્થાનમાં, પેલા સાતમાંથી તે કોની પત્ની થશે?”

29 ઈસુએ કહ્યું, “ધર્મલેખો અને દેવનાં પરાક્રમ વિષેના તમારા અજ્ઞાનને કારણે એ તમે સમજી શકતા નથી. 30 તેઓ જ્યારે મરણમાંથી પુનરુંત્થાન પામશે, ત્યારે તે બધા આકાશમાંના દૂતો જેવા હશે અને લગ્રની વાત જ નહિ હોય. 31 શું પુનરુંત્થાનના સંબંધમાં દેવે તમને જે કહ્યું છે તે તમે વાંચ્યું છે? 32 દેવે કહ્યું, ‘હું ઈબ્રાહિમનો તથા ઈસહાકનો તથા યાકૂબનો દેવ છું.’(A) પણ તે મૂએલાઓનો દેવ નથી. પરંતુ જીવતા લોકોનો દેવ છે.”

33 ઈસુનો ઉત્તર સાંભળીને તે લોકો તેના ઉપદેશથી અચરત પામ્યા હતા.

સહુથી મોટી આજ્ઞા કઈ છે?

(માર્ક 12:28-34; લૂ. 10:25-28)

34 ફરોશીઓએ જાણ્યું કે ઈસુએ પોતાના ઉત્તરથી સદૂકીઓને બોલતા બંધ કરી દીઘા તેથી તેઓ એકત્ર થયા. 35 એક ફરોશી જે શાસ્ત્રી હતો. તેણે ઈસુને ફસાવવા એક પ્રશ્ર્ન પૂછયો. 36 “ઓ ઉપદેશક, નિયમશાસ્ત્રમાં સહુથી મોટી આજ્ઞા કઈ છે?”

37 ઈસુએ ઉત્તર આપ્યો, “‘પ્રભુ તારા દેવ પર, તું તારા પૂરા હૃદયથી, ને તારા પૂરા જીવથી અને તારા પૂરા મનથી પ્રીતી કર.’(B) 38 આ પહેલી અને સૌથી મોટી આજ્ઞા છે. 39 બીજી મોટી આજ્ઞા પણ એવી જ છે. ‘તું જેવો પ્રેમ તારા પર કરે છે તેવો જ પ્રેમ તારા પડોશી પર કર.’(C) 40 આખા નિયમશાસ્ત્ર અને પ્રબોધકોના લખાણોનો પાયો આ બે આજ્ઞાઓમાં સમાયેલો છે. આ બે આજ્ઞાઓને પાળશો તો તમે બીજી સર્વ આજ્ઞાઓ પાળશો.”

ઈસુનો ફરોશીઓને પ્રશ્ર

(માર્ક 12:35-37; લૂ. 20:41-44)

41 જ્યારે બધા ફરોશીઓ ભેગા થયા હતા ત્યારે, ઈસુએ તેઓને પ્રશ્ન પૂછયો. 42 ઈસુએ કહ્યું, “મસીહ વિષે તમે શું માનો છો? તે કોનો દીકરો છે?”

તેઓએ ઉત્તર આપ્યો, “તે દાઉદનો દીકરો છે.”

43 ઈસુએ તેઓને ફરીથી પ્રશ્ન કર્યો, “તો પછી પવિત્ર આત્માની પ્રેરણાથી દાઉદ તેને ‘પ્રભુ’ કેમ કહે છે.

44 ‘પ્રભુએ (દેવે) મારા પ્રભુને (ખ્રિસ્ત) કહ્યું કે:
જ્યાં સુધી તારા શત્રુંઓ તારા નિયંત્રણ હેઠળ છે;
    ત્યાં સુધી તું મારી જમણી બાજુ બેસ.’(D)

45 દાઉદે તેને ખ્રિસ્ત પ્રભુ કહ્યો તો એ તેનો દીકરો કેવી રીતે હોઈ શકે?”

46 ઉત્તરમાં કોઈ કશું જ બોલી શક્યા નહિ. તે સમય પછી તેઓએ બીજા પ્રશ્નો પૂછવાની કોઈએ હિંમત કરી નહિ.

માર્ક 12

દેવ તેના પુત્રને મોકલે છે

(માથ. 21:33-46; લૂ. 20:9-19)

12 ઈસુ લોકોને ઉપદેશ આપવા માટે વાર્તાઓનો ઉપયોગ કરતો. “એક માણસે એક ખેતરમાં દ્રાક્ષાવાડી રોપી અને તે માણસે ખેતરની આજુબાજુ દિવાલ બનાવી. અને એક ખાડો ખોદી દ્રાક્ષાકુંડ બનાવ્યો. પછી તે માણસે બુરજ બાંધ્યો. તે માણસે કેટલાક ખેડૂતોને ખેતર ઇજારે આપ્યું. પછી તે માણસ પ્રવાસ માટે વિદાય થયો.

“થોડા વખત પછી, દ્રાક્ષ ચૂંટવાનો સમય આવ્યો. તેથી તે માણસે તેનો દ્રાક્ષનો ભાગ લેવા માટે એક નોકરને ખેડૂત પાસે મોકલ્યો. પરંતુ તે ખેડૂતોએ નોકરને ખાલી હાથે કાઢી મૂક્યો. પછી તે માણસે બીજા એક નોકરને ખેડૂતો પાસે મોકલ્યો. તે ખેડૂતોએ તેનું માંથુ ફોડી નાખ્યું. તેઓએ તેને માટે કોઈ માન બતાવ્યું નહિ. તેથી તે માણસે બીજા એક નોકરને મોકલ્યો. તે ખેડૂતોએ આ નોકરને મારી નાખ્યો. તે માણસે ઘણા બીજા નોકરોને ખેડૂત પાસે મોકલ્યો. તે ખેડૂતોએ કેટલાક ખેડૂતોને માર્યા અને બીજાઓને મારી નાખ્યા.

“તે માણસ પાસે ખેડૂતોની પાસે મોકલવા એક વ્યક્તિ જ રહી. આ વ્યક્તિ તે માણસનો પુત્ર હતો. તે માણસ તેના દીકરાને ચાહતો હતો. પરંતુ તે માણસે પુત્રને ખેડૂતો પાસે મોકલવાનો નિર્ણય કર્યો. પુત્ર એ છેલ્લી વ્યક્તિ હતી જેને તે મોકલી શકે તે માણસે કહ્યું, ‘તે ખેડૂતો મારા પુત્રને માન આપશે.’

“પણ ખેડૂતોએ એકબીજાને કહ્યું, ‘આ ધણીનો પુત્ર છે. જો આપણે તેને મારી નાખીશું. તો પછી તેનું ખેતર આપણું થશે.’ તેથી તે ખેડૂતોએ તે પુત્રને મારી નાખ્યો. અને તેને ખેતરની બહાર ફેંકી દીધો.

“તેથી જે ખેતરનો ધણી હતો તે શું કરશે? તે ખેતરમાં જશે અને પેલા ખેડૂતોને મારી નાખશે. પછીતે બીજા ખેડૂતોને તે ખેતર આપશે. 10 ખરેખર તમે આ શાસ્ત્ર વાંચ્યો છે:

‘જે પથ્થરનો બાંધકામ કરનારાઓએ અસ્વીકાર કર્યો. તે ખૂણાના માથાળાનો (પથ્થર) થયો.
11 પ્રભુ આ બધુ કર્યુ છે, અને તે આપણા માટે અદભુત છે.’(A)

12 આ યહૂદિ આગેવાનોએ આ વાર્તા સાંભળી જે ઈસુએ કહી. તેઓએ જાણ્યું કે આ વાર્તા તેઓના વિષે હતી. તેથી તેઓ ઈસુને પકડવાની યુક્તિ શોધવા ઈચ્છતા હતા. પરંતુ તેઓ લોકોથી બીતા હતા. તેથી તે યહૂદિ આગેવાનો ઈસુને છોડીને ચાલ્યા ગયા.

યહૂદિ આગેવાનોનો ઈસુને ફસાવવાનો પ્રયત્ન

(માથ. 22:15-22; લૂ. 20:20-26)

13 પાછળથી, યહૂદિ આગેવાનોએ કેટલાક ફરોશીઓને અને હેરોદીઓના નામે જાણીતા સમુહમાંથી કેટલાક માણસોએ ઈસુ પાસે મોકલ્યા. તેઓ ઈસુને કઈક ખોટું કહેતા પકડવા ઈચ્છતા હતા. 14 ફરોશીઓ અને હેરોદીઓ ઈસુ પાસે ગયા અને કહ્યું, “ઉપદેશક, અમે જાણીએ છીએ કે તું એક પ્રમાણિક માણસ છે. તું તારા વિષે બીજા લોકો જે વિચારે છે તેની જરા પણ દરકાર કરીશ નહિ. બધા માણસો તારી પાસે સરખા છે. અને તું દેવના માર્ગ વિષે સાચો ઉપદેશ આપે છે. તો અમને કહે: કૈસરને કર આપવો ઉચિત છે? હા કે ના? આપણે કર આપવો જોઈએ કે આપણે કર ન આપવો જોઈએ?”

15 પણ ઈસુએ જાણ્યું કે આ માણસો ખરેખર તેને પરીક્ષણનો પ્રયત્ન કરતા હતા. ઈસુએ કહ્યું, “તમે શા માટે મને કઈક ખોટું કહેતા પકડવાનો પ્રયત્ન કરો છો? મને એક ચાંદીનો સિક્કો લાવી આપો. મને તે જોવા દો.” 16 તેઓએ ઈસુને એક સિક્કો આપ્યો અને ઈસુએ પૂછયું, “સિક્કા પર કોનું ચિત્ર છે? અને તેના પર કોનું નામ લખેલું છે?” તેઓએ જવાબ આપ્યો, “તે કૈસરનું ચિત્ર છે અને કૈસરનું નામ છે.”

17 પછી ઈસુએ તેઓને કહ્યું, “કૈસરની જે વસ્તુઓ છે તે કૈસરને આપો. અને દેવની જે વસ્તુઓ છે તે દેવને આપો.” ઈસુએ જે કહ્યું તેથી તે માણસો નવાઇ પામ્યા.

કેટલાક સદૂકીઓનો ઈસુને ફસાવવાનો પ્રયત્ન

(માથ. 22:23-33; લૂ. 20:27-40)

18 પછી કેટલાક સદૂકીઓ ઈસુ પાસે આવ્યા. (સદૂકીઓ માને છે કે કોઈ વ્યક્તિ મૂએલામાંથી ઊઠી શકે નહિ.) સદૂકીઓએ ઈસુને એક પ્રશ્ન પૂછયો. 19 તેઓએ કહ્યું, “ઉપદેશક, મૂસાએ લખ્યું છે કે જો કોઈ પરિણિત માણસ મૃત્યુ પામે અને તેને બાળકો ન હોય, તો પછી તેના ભાઈએ તે સ્ત્રીને પરણવું જોઈએ. પછી તેઓને તેના મૃત ભાઈ માટે બાળકો થશે. 20 ત્યાં સાત ભાઈઓ હતા. પહેલો ભાઈ પરણ્યો પણ મરી ગયો. તેને બાળકો ન હતા. 21 તેથી બીજો ભાઈ તે સ્ત્રીને પરણ્યો. પણ તે પણ મૃત્ય પામ્યો અને તેને બાળકો ન હતા. એ જ બાબત ત્રીજા ભાઈ સાથે બની. 22 બધા સાત ભાઈઓ તે સ્ત્રીને પરણ્યા અને મૃત્યુ પામ્યા. ભાઈઓમાંના કોઈનાથી તે સ્ત્રીને બાળકો ન થયા અને છેલ્લે તે સ્ત્રી પણ મરી ગઈ. 23 પણ બધા સાત ભાઈઓ તેને પરણ્યા હતા તેથી મૃત્યુ પછી જ્યારે પુનરુંત્થાનનો સમય થશે ત્યારે, આ સ્ત્રી કોની પત્ની થશે?”

24 ઈસુએ ઉત્તર આપ્યો, “તમે આ ભૂલ શા માટે કરી? શાસ્ત્ર શું કહે છે તે તમે નથી જાણતા કારણ કે તમે દેવના સાર્મથ્ય વિષે નથી જાણતા. 25 જ્યારે લોકો મૂએલામાંથી ઊઠશે ત્યારે ત્યાં એકબીજા સાથે લગ્ન કરશે નહિ. તેઓ આકાશમાંના દૂતો જેવા હશે. 26 ખરેખર મૃત્યુ પામેલા લોકો પાછા ઊઠે છે તે વિષે દેવે શું કહ્યું છે તે તમે વાચ્યું છે. જ્યાં મૂસાએ પુસ્તકમાં સળગતી ઝાડી વિષે લખ્યું છે. તે કહે છે કે દેવે મૂસાને આ કહ્યું છે, ‘હું ઇબ્રાહિમનો, ઇસહાકનો અને યાકૂબનો દેવ છું.’ 27 જો દેવે કહ્યું તે તેઓનો દેવ છે, તો પછી તે માણસો ખરેખર મરેલા નથી. તે ફક્ત જીવતા લોકોનો દેવ છે, તમે સદૂકીઓ ખોટા છો!”

કંઈ આજ્ઞા સૌથી મહત્વની?

(માથ. 22:34-40; લૂ. 10:25-28)

28 શાસ્ત્રીઓમાંનો એક ઈસુ પાસે આવ્યો. તેણે ઈસુને સદૂકીઓ અને ફરોશીઓ સાથે દલીલો કરતા સાંભળ્યો. તેણે જોયું કે ઈસુએ તેમના પ્રશ્નોના સારા ઉત્તર આપ્યા. તેથી તેણે ઈસુને પૂછયું, “કંઈ આજ્ઞઓ સૌથી મહત્વની છે?”

29 ઈસુએ ઉત્તર આપ્યો, “સૌથી વધારે મહત્વની આજ્ઞાઆ છે: ‘ઈસ્ત્રાએલના લોકો, ધ્યાનથી સાંભળો! પ્રભુ આપણો દેવ છે તે ફક્ત પ્રભુ છે. 30 તારે પ્રભુ તારા દેવને પ્રેમ કરવો જોઈએ. તારે તેને તારા પૂરા હ્રદયથી, ને તારા પૂરા જીવથી, ને તારા પૂરા મનથી, ને તારા પૂરા સામર્થ્યથી પ્રેમ કરવો જોઈએ.’ 31 બીજી સૌથી મહત્વની આજ્ઞા આ છે: ‘તું તારી જાતને પ્રેમ કરે છે તે જ રીતે તારે તારા પડોશી પર પ્રેમ કરવો જોઈએ.’ આ બે આજ્ઞાઓ સૌથી અગત્યની છે.”

32 તે માણસે ઉત્તર આપ્યો. “તે એક સારો ઉત્તર હતો. ઉપદેશક, જ્યારે તેં આ બાબતો કહી તું સાચો હતો. દેવ જ ફક્ત પ્રભુ છે, અને બીજો કોઈ દેવ નથી. 33 અને વ્યક્તિએ દેવને પૂરા હૃદયથી, પૂરા મનથી, પૂરા સામર્થ્યથી પ્રીતિ કરવી જોઈએ. અને વ્યક્તિ તેની જાતને પ્રેમ કરે છે તે જ રીતે પડોશીને પ્રેમ કરવો જોઈએ. આ આજ્ઞાઓ, દેવને અર્પિત બઘા જ પ્રાણીઆ અને બલિદાનોથી વધારે મહત્વની છે.”

34 ઈસુએ જોયું કે માણસે તેને ડહાપણથી ઉત્તર આપ્યો. તેથી ઈસુએ માણસને કહ્યું, “તું દેવના રાજ્યની નજીક છે.” અને તે પછી કોઈએ ઈસુને વધારે પ્રશ્નો પૂછવાની હિમ્મત ન કરી.

મસીહ-દાવિદનો પણ પ્રભુ

(માથ. 22:41-46; લૂ. 20:41-44)

35 ઈસુ મંદિરમાં ઉપદેશ આપતો હતો. ઈસુએ પૂછયું, “શા માટે શાસ્ત્રીઓ કહે છે કે ખ્રિસ્ત એ દાઉદનો દીકરો છે? 36 પવિત્ર આત્માની મદદથી, દાઉદ તેની જાતે કહે છે:

‘પ્રભુએ (દેવ) મારા પ્રભુને (ખ્રિસ્તને) કહ્યું:
મારી પાસે જમણી બાજુએ બેસ,
    અને હું તારા દુશ્મનોને તારા અંકુશમાં મૂકીશ.’(B)

37 દાઉદ તેની જાતે ખ્રિસ્તને ‘પ્રભુ’ કહે છે. તેથી ખ્રિસ્ત કેવી રીતે દાઉદનો દીકરો હોઇ શકે?” ઘણા લોકોએ ઈસુને સાંભળ્યો અને તેઓ ઘણા ખુશ થયા હતા.

ધાર્મિકતાના ઢોંગ

(માથ. 23:6-7; લૂ. 11:43; 20:45-47)

38 ઈસુએ ઉપદેશ આપવાનું ચાલુ રાખ્યું. ઈસુએ કહ્યું, “શાસ્ત્રીઓથી સાવધાન રહો. તેઓને કપડાં પહેરીને આજુબાજુ ફરવાનું જે મહત્વનું દેખાય, તે ગમે છે. અને લોકો બજારના સ્થળોએ તેમને માન આપે તે તેઓને ગમે છે. 39 તેઓને સભાસ્થાનોમાં સૌથી મહત્વની બેઠકો પ્રાપ્ત થાય, તે ગમે છે. અને મિજબાનીઓમાં પણ તેઓને સૌથી મહત્વની બેઠકો મળે તે ગમે છે. 40 તેઓ વિધવાઓનાં સાધન અને તેમના ઘરો પડાવી લે છે. પછી તેઓ તેમની જાતે સારા દેખાવાનો પ્રયત્નો લાંબી પ્રાર્થનાઓ કરીને કરે છે. દેવ તેઓને ઘણી બધી શિક્ષા કરશે.”

વિધવા આપવાનો અર્થ બતાવે છે

(લૂ. 21:1-4)

41 ઈસુ મંદિરમાં દાનપેટી નજીક બેઠો, જ્યાં લોકો તેઓની ભેટો મૂકતા. લોકો પેટીમાં પૈસા આપતા. 42 પછી એક ગરીબ વિધવા આવી અને તેણે બે ઘણા નાના તાંબાના સિક્કા આપ્યા. આ સિક્કાઓની કિંમત એક દમડી પણ ન હતી.

43 ઈસુએ તેના શિષ્યોને બોલાવ્યા. ઈસુએ કહ્યું, “હું તમને સાચું કહું છું. આ ગરીબ વિધવાએ ફક્ત બે નાના સિક્કા આપ્યા. પણ તેણે ખરેખર બધા ધનવાન માણસો કરતા વધારે આપ્યું છે. 44 આ લોકો પાસે પુષ્કળ છે. તેઓએ તો ફક્ત તેમને જેની જરુંર નથી તે જ આપ્યું. પણ તેણે તો તેના જીવન જીવવા માટે જરુંર હતું તે બધુજ નાણું આપ્યું.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International