Chronological
હોશિયા દ્વારા યહોવા દેવનો સંદેશ
1 યહૂદાના રાજાઓ ઉઝિઝયા, યોથામ, આહાઝ તથા હિઝિક્યા અને ઇસ્રાએલના રાજા યોઆશના પુત્ર યરોબઆમના અમલ દરમ્યાન બસેરીના પુત્ર હોશિયાને સંભળાયેલી યહોવાની વાણી.
2 યહોવાનો હોશિયાને આ પહેલો સંદેશો હતો. તેણે કહ્યું “જા અને તે વારાંગનાને પરણ; જેને તેની વારાંગનાવૃતિથી સંતાન થયા તેને પોતાનાં કરી લે; કેમ કે, દેશ યહોવાનો ત્યાગ કરીને વારાંગના જેવું વર્તન કર્યું છે, તેઓ યહોવામાં અશ્રદ્ધાળુ થયા છે.”
યિઝએલનો જન્મ
3 તેથી હોશિયાએ ત્યાં જઇને દિબ્લાઇમની પુત્રી ગોમેર સાથે વિવાહ કર્યા અને ગોમેરને તેનાથી ગર્ભ રહ્યો અને એક પુત્ર અવતર્યો. 4 યહોવાએ તેને કહ્યું, “તેનું નામ ‘યિઝએલ’ પાડ, કારણકે થોડા જ સમયમાં હું યેહૂના કુટુંબના માણસો પર બદલો લઇશ અને તેના વંશજોને યિઝએલ ખીણમાં તેણે જે રકતપાત કર્યો હતો તેના માટે સજા કરીશ. 5 હું ઇસ્રાએલ રાજ્યનો અંત લાવીશ.”
લો-રૂહામાહાનો જન્મ
6 ગોમેરને ફરીથી ગર્ભ રહ્યો, ને આ વખતે પુત્રી અવતરી, યહોવાએ તેને કહ્યું, “તું તેણીનું નામ લો-રૂહામાહ પાડ; કારણકે હવે પછી હું કદી ઇસ્રાએલના લોકો પર તેમના પાપોને ક્ષમા કરીને દયા દેખાડવાનો નથી. 7 પરંતુ હું યહૂદાના લોકો પર કૃપા કરીશ અને તેમનું રક્ષણ કરીશ. ધનુષ, તરવાર, યુદ્ધ, કે, ઘોડેસવારોથી તેમનો ઉધ્ધાર કરીશ નહિ પરંતુ તેમના દેવ યહોવા તરીકે હું જાતે તેમનો ઉદ્ધાર કરીશ.”
લો-આમ્મીનો જન્મ
8 લો-રૂહામાહને ધાવણ છોડાવ્યા પછી ગોમેરને ફરી ગર્ભ રહ્યો અને તેને એક પુત્ર અવતર્યો. 9 ત્યારે યહોવાએ કહ્યું, “તેનું નામ લો-આમ્મી પાડ; કારણ કે તમે ઇસ્રાએલના લોકો મારા લોકો નથી, ને હું તમારો દેવ નથી.”
યહોવા દેવના વચન: ઇસ્રાએલીઓ અસંખ્ય થશે
10 “છતાંય ઇસ્રાએલ પુત્રોની સંખ્યા સમુદ્રની રેતી જેટલી થશે, જે ન તો માપી શકાય કે, ન તો ગણી શકાય. તેમને એમ કહેવામાં આવ્યું હતું કે, ‘તમે દેવની પ્રજા નથી,’ તેને બદલે ‘તમે જીવતા જાગતા દેવના દીકરાઓ છો.’ એમ તેમને કહેવામાં આવશે.
11 “ત્યારબાદ યહૂદાના લોકો અને ઇસ્રાએલના લોકો ફરી ભેગા થશે અને તેઓ પોતાના માટે એક આગેવાન નીમીને જમીન મેળવી લેવા આગળ વધશે. કારણકે યિઝએલનો દિવસ એક મહાન દિવસ હશે.”
2 “હે યિઝએલ! તારા ભાઇ બહેનનું પુન:નામકરણ કર. ભાઇનું નામ આમ્મી અને બહેનનું નામ રૂહામાહ રાખ, કારણકે હવે દેવ તેના પર દયા રાખશે.
2 “તમારી માને આજીજી કરો, તેને સમજાવો: કારણકે તે મારી પત્ની નથી, ને હું તેનો ધણી નથી; તેને સમજાવો કે, તે તેનો વારાંગના તરીકેનો વ્યભિચાર બંધ કરે. 3 જો તે તેમ કરતાં નહિ અટકે તો હું તેને તેના જન્મ સમયે હતી તેવી નગ્ન કરી દઇશ અને તેને વેરાન સ્થળે મોકલી આપીશ. હું તેને મરુભૂમિ સમી સૂકીભઠ બનાવી દઇશ અને તેને પાણી વિના તરસે મરવા દઇશ. 4 જ્યાં સુધી તેના સંતાનોનો સબંધ છે, મને તેમનાં પર સહાનુભૂતિ નથી; કારણકે તેઓ મારા સંતાનો નથી. તેઓ એક વારાંગનાના સંતાનો છે. 5 તેણીને તેનો ગર્ભધારણ પોતાના શરમજનક કાર્યોથી થયો છે અને તેણીએ કહ્યું, ‘હું મારા પ્રેમીઓની પાસે જઇશ, કારણ, તેઓ મને મજાનું ખાવાનું, પીવાનું, કપડાં, તેલ અને અત્તર આપે છે.’
6 “એથી જો, હું એના માર્ગમાં કાંટાની વાડ ઊભી કરીશ અને તેની આડે ભીત ચણીશ, જેથી તેણી જે કઇ કરવા માંગે છે, તે નહિ કરી શકે. 7 તે પોતાના પ્રેમીઓની પાછળ જશે, પણ તે તેઓને પકડી શકશે નહિ; તે તેઓને શોધશે છતાં તેઓ તેને મળશે નહિ; ત્યારે તે કહેશે કે, હું મારા પતિને ઘેર પાછી ફરીશ, કારણકે અત્યારે મારી જે સ્થિતિ છે તેના કરતાં તેની સાથે મારી સ્થિતિ વધારે સારી હતી.
8 “એ સમજતી નહોતી કે, એને અનાજ, દ્રાક્ષારસ અને તેલ આપનાર હું હતો, અને એણે બઆલ દેવ પાછળ ખચીર્ નાખ્યું તે મબલખ સોનું-ચાંદી આપનાર પણ હું હતો. તેથી હવે હું અનાજ કે, દ્રાક્ષ પાકવા દઇશ નહિ, અને એનું ઉઘાડું શરીર ઢાંકવા મેં જે પહેરવા-ઓઢવાનું આપ્યું હતું, તે પણ પાછું લઇ લઇશ. 9-10 તેથી તેના પ્રેમીઓ આગળ તેની શરમ ઉઘાડી પાડીશ. મારા હાથમાંથી તેને કોઇ બચાવી શકશે નહિ. 11 હું તેનાઁ તમામ આનંદોત્સવ, તેના ચંદ્રદર્શનના દિવસો, તેના સાબ્બાથો તથા તેનાં મુકરર પવોર્, તે સર્વનો હું અંત આણીશ. 12 જે દ્રાક્ષની વાડીઓ અને અંજીરના વૃક્ષો વિષે તે એમ કહે છે કે, ‘એ તો મારા પ્રેમીઓએ મને આપેલી ભેટ છે.’ હું તેને ઉજ્જડ બનાવી દઇશ, અને હું તેઓને જંગલમાં ફેરવી નાખીશ અને જંગલી પ્રાણીઓ તેને ખાઇ જશે.
13 “મને ભૂલીને તે બઆલની મૂર્તિ આગળ ધૂપ બાળતી હતી. અને આભૂષણોનો શણગાર કરીને પ્રેમીઓની પાછળ ફરતી હતી. તે માટે હું તેને સજા કરીશ.” આ યહોવાના વચન છે.
14 “તેથી હવે, હું તેણીને વેરાન પ્રદેશ તરફ મોહિત કરીશ અને તેની સાથે માયાળુપણે વાત કરીશ. 15 તેની દ્રાક્ષવાડીઓ હું તેને પાછી આપીશ, તથા આશાના દ્વાર તરીકે આખોરની ખીણ પણ આપીશ; યુવાનીમાં મેં તેને મિસરના બંદીવાસમાંથી મુકત કરી ત્યારે તે આનંદના ગીતો ગાતી હતી તેમ ફરીથી તે મને ઉત્તર આપશે.” 16 યહોવા કહે છે.
“તે દિવસે તે મને ‘મારા માલિક’ કહેવાને બદલે ‘મારા પતિ’ એમ કહીને સંબોધન કરશે ને પછીથી બઆલ કહીને નહિ બોલાવે. 17 હે ઇસ્રાએલ, હું તને તારી મૂર્તિઓ ભૂલાવી દઇશ, તેઓનાં નામ પણ તું ઉચ્ચારશે નહિ.
18 “તે દિવસે હું તમારી અને હિંસક પ્રાણીઓ, પક્ષીઓ તથા સર્પોની વચ્ચે કરાર કરીશ કે, તમારે હવે એકબીજાથી ગભરાવું નહિ, હું સર્વ શસ્રોનો નાશ કરીશ, સર્વ લડાઇઓનો અંત આવશે, ત્યારે તમે શાંતિ અને સુરક્ષા અનુભવશો અને નિર્ભય રીતે સૂઇ શકશો. 19 વળી હું યહોવા તને મારી સાથે પવિત્રતા, ન્યાયીપણું, પ્રેમ તથા દયાની સાંકળથી સદાકાળને માટે બાંધીશ, હા, લગ્નબંધનથી બાંધીશ. 20 વિશ્વાસુપણા તથા પ્રેમથી હું તારી સાથે સગાઇ કરીશ. અને તું તારા યહોવાને ઓળખશે. 21 યહોવા કહે છે કે, તે દિવસે હું જવાબ આપીશ,
“હું આકાશોને જવાબ આપીશ,
ને તેઓ પૃથ્વીને જવાબ આપશે;
22 પછી પૃથ્વી અનાજને, દ્રાક્ષારસને અને જૈતતેલને જવાબ આપશે;
અને તેઓ યિઝએલને જબાબ આપશે.
23 હું તેણીને જમીનમાં મારા માટે રોપીશ.
મેં જેઓને ‘મારા અપ્રિય’ કહ્યાં હતાં તેમને મારો પ્રેમ બતાવીશ,
હું તે લોકો જે ‘મારા લોક નથી’ તરીકે ઓળખાય છે
તેમને ‘તમે મારા લોકો’ છો તેમ કહીશ, અને તેઓ કહેશે, ‘તમે અમારા દેવ છો.’”
હોશિયા ગોમેરને દહેજ આપીને છોડાવી
3 પછી યહોવાએ મને કહ્યું, તારી પત્નીને પ્રેમી હોવા છતાં અને તેણી વારાંગના હોવા છતાં તેણીની પાસે જા અને તેણીને પ્રેમ કરવાનુ ચાલુ રાખ. ઇસ્રાએલના લોકો બીજા દેવો તરફ વળીને સુકા મેવાની વાનગીના અર્પણનો આનંદ લે છે, છતાં યહોવા તેમને પ્રેમ કરે છે એવી રીતે તું એને પ્રેમ કર.
2 તેથી મેં પંદર તોલા ચાંદી અને સાત મણ જવ આપીને તેને ખરીદી, 3 અને મેં તેને કહ્યું, “લાંબા સમય સુધી તું મારી સાથે રહેજે; તું વ્યભિચાર કરીશ નહિ, ને બીજા કોઇ પુરુષની સ્ત્રી થઇશ નહિ; હું પણ તારી સાથે એ જ રીતે વર્તીશ.”
4 એ જ રીતે ઇસ્રાએલી પ્રજા, લાંબા સમય સુધી રાજા કે, આગેવાન વગર, યજ્ઞ વગર, મૂર્તિ કે, શુકન જાણવાની પૂતળી વગર રહેશે. 5 ત્યારબાદ તેઓ પોતાના યહોવા દેવની પાસે, પોતાના રાજા દાઉદની શોધ કરશે; અને આમ પાછળના દિવસોમાં ઇસ્રાએલી પ્રજા યહોવા દેવનો ભય રાખીને, ધ્રૂજતા ધ્રૂજતા યહોવા પાસે આવશે, અને તેમના આશીર્વાદો પામશે, ને તેમની ઉદારતાનો આશ્રય લેશે.
ઇસ્રાએલ પર યહોવાનો કોપ
4 હે ઇસ્રાએલના લોકો, યહોવાને આ દેશના વતનીઓ સામે ફરીયાદ છે, એની વાણી સાંભળો, તમારા દેશમાં વિશ્વાસુપણું, માયામમતા અને દેવના જ્ઞાનનો અભાવ છે. 2 જ્યાં જુઓ ત્યાં લોકો ખોટા સમ ખાય છે, જૂઠું બોલે છે, ખૂન કરે છે, લૂંટ ચલાવે છે, તે વ્યભિચાર કરે છે. તેઓ કોઇ મર્યાદા પાળતા નથી અને ખૂન પર ખૂન કરતા જાય છે. સર્વત્ર હિંસા છે. 3 આથી દેશ શોકમાં ગરક થઇ ગયો છે. અને તમારી ભૂમિમાં ઊપજ થતી નથી. જે જીવંત છે તે બિમાર પડે છે અને મૃત્યુ પામે છે; જંગલના બધા પ્રાણીઓ, આકાશમાંના બધા પંખીઓ અને સમુદ્રમાંના માછલાં સુદ્ધાં મરતા જાય છે. 4 તો પણ કોઇએ દલીલ ન કરવી અથવા બીજા માણસ પર આરોપ ન કરવો. હે યાજકો, મારી દલીલ તમારી સામે છે. 5 દિવસે અને રાત્રે તમે ઠોકરો ખાઓ છો, યાજકો પણ તમારા ભેગા પ્રબોધકો પણ ઠોકર ખાય છે. હું તમારી માતૃભૂમિ ઇસ્રાએલનો નાશ કરીશ.
6 મારા લોકો જ્ઞાનને અભાવે નાશ પામતા જાય છે. તમે જ્ઞાનને ફગાવી દીધું છે તેથી હું પણ તમને મારા યાજક પદેથી ફગાવી દઇશ. તમે મારો નિયમ ભૂલી ગયા છો એટલે હું પણ તમારા વંશજોને ભૂલી જઇશ. 7 મારા લોકોની સંખ્યા જેમ જેમ વધતી જાય છે, તેઓ મારી વિરૂદ્ધ તેમના પાપો વધારતા જાય છે. હું તેમની શોભાને શરમમાં બદલી નાખીશ.
8 યાજકો મારા લોકોના પાપાર્થાર્પણો પર નિર્વાહ કરે છે. તેથી તેઓ ઇચ્છે છે કે, તેઓ વધારે અને વધારે પાપો કરે. 9 તેથી, જેવું લોકો સાથે બનશે તેવું; યાજકો સાથે બનશે. હું તેમને તેમના ખરાબ કૃત્યો માટે સજા આપીશ. 10 તેઓ ખાશે પણ ધરાશે નહિ, તેઓ વ્યભિચાર કરશે, પણ તેમનો વસ્તાર વધશે નહિ; કારણકે તેઓએ યહોવાની કાળજી કરવાનું મૂકી દીધું છે.
11 યહોવા કહે છે, “વ્યભિચાર, દ્રાક્ષારસ ને નવો દ્રાક્ષારસ મારા લોકોની બુદ્ધિ હરી લે છે. 12 વ્યભિચારના ભૂતે તેમને ગેરમાર્ગે દોરવ્યા છે. 13 તેઓ પર્વતોના શિખરો ઉપર મૂર્તિઓ સન્મુખ બલિદાન કરે છે; ડુંગરો ઉપર જઇને ઓકવૃક્ષો, પીપળાવૃક્ષો તથા એલાહવૃક્ષો તળે, ધૂપ બાળે છે; એને લીધે તમારી પુત્રીઓ વ્યભિચાર કરે છે, ને તમારી પુત્રવધૂઓ અનૈતિક કર્મ કરે છે.”
14 જ્યારે તમારી પુત્રીઓ જાતીય પાપો કરશે, અને તમારી પુત્રવધૂઓ અનૈતિક કર્મ કરશે ત્યારે હું તેઓને શિક્ષા કરીશ નહિ કારણ, પુરુષો પોતે જ વારાંગનાઓ સાથે નિષિદ્ધ વ્યવહાર રાખે છે અને વારાંગનાઓની સંગતમાં મંદિરમાં યજ્ઞો ચઢાવે છે. આ રીતે જે લોકોને સમજણ નથી તેઓ પોતાનો વિનાશ કરી રહ્યાં છે.
ઇસ્રાએલના શરમ જનક પાપ
15 હે ઇસ્રાએલ, તું એક વારાંગના વતેર્ તેમ યહૂદાને એ જ પાપ ન કરવા દેતી. ગિલ્ગાલ કે, બેથ-આવેન ન જતા અને યહોવાના નામે સમ ન લેશો. અને ત્યાં યહોવાના સમ ખાશો નહિ. 16 કારણકે ઇસ્રાએલે અડિયલ વાછરડીની જેમ હઠીલાઇ કરી છે, પછી લીલા બીડમાં હલવાનની જેમ યહોવા તેઓને ચારશે.
17 એફ્રાઇમે મૂર્તિઓ સાથે સંબંધ જોડ્યો છે. તેથી તેનાથી દૂર રહેજે. 18 ઇસ્રાએલના પુરુષો દાક્ષારસ પીને વારાંગનાની જેમ વતેર્ છે. એફ્રાઇમના શાસનકર્તાઓને લાંચ પ્રિય છે અને માગે છે. તેઓ લોકો પર શરમ લાવશે. 19 પ્રચંડ પવન તેઓને દૂર તાણી જશે; મૂર્તિઓને તેઓના યજ્ઞો, તેમને શરમમાં લાવશે.
આગેવાનોએ ઇસ્રાએલ અને યહૂદાથી પાપ કરાવ્યા
5 હે યાજકો, તમે આ સાંભળો! હે ઇસ્રાએલીઓ, ધ્યાન આપો! હે રાજકુટુંબના સર્વ માણસો ધ્યાનથી સાંભળો!
તમને દોષિત ઠરાવવામાં આવ્યાં છે. કારણકે મિસ્પાહમાં તમે ફાંદારૂપ બન્યા હતાં, તાબોર પર્વત ઉપર જાળની જેમ પથરાયા હતાં. 2 બંડખોરોએ તેઓને ફસાવવા માટે શિટ્ટિમમાં ઊંડા ખાડાઓ ખોદ્યા છે, પરંતુ હું તમને સૌને શિક્ષા કરીશ. 3 હું જાણું છું એફ્રાઇમ શું કરી રહ્યું છે. ઇસ્રાએલના કૃત્યો મારાથી છુપા નથી. હા, હું જાણું છું કે, એફ્રાઇમ વારાંગનાની જેમ ર્વત્યુ. ઇસ્રાએલ અપવિત્ર બન્યું. 4 તેઓના દુષ્ટ કૃત્યો તેમને દેવ તરફ પાછા ફરતાં દૂર રાખે છે. કારણકે તેઓના હૃદયમાં વ્યભિચારી આત્મા દ્વારા પકડાયેલા છે, અને તેઓ યહોવાને નથી જાણતા. 5 ઇસ્રાએલનો ગર્વ તેની વિરૂદ્ધ સાક્ષી છે. ઇસ્રાએલ અને એફ્રાઇમ પોતાના પાપમાં ઠોકર ખાશે અને યહૂદા તેની સાથે પડશે.
6 અંતે તેઓ દેવની શોધ કરવા પોતાના ઘેટાં, બકરાં અને ઢોરઢાંખર સાથે આવશે અને તેઓનું બલિદાન દેવને અર્પશે. પરંતુ ત્યારે ઘણું જ મોડું થઇ ગયું હશે. તેઓ યહોવાને શોધી શકશે નહિ. દેવ તેઓથી વિમુખ થશે અને તેઓને એકલા મૂકી દેવામાં આવશે. 7 તેઓએ યહોવાને દગો દીધો હતો. કારણકે તેઓએ બીજા કોઇના સંતાનોને જન્મ આપ્યો છે. તેથી તે ચંદ્રદર્શનનો દિવસ તેમનો અને તેમની ભૂમિનો નાશ કરશે.
ઇસ્રાએલના વિનાશની ભવિષ્યવાણી
8 ચેતવણીનો ઘંટ વગાડો!
ગિબયાહમાં તથા રામામાં
અને બેથ-આવેન સુધી રણશિંગડું વગાડી ચેતવણી આપો;
બિન્યામીનનો પ્રદેશ ધ્રુજી ઊઠો!
9 હે ઇસ્રાએલ! સજાનો દિવસ આવી રહ્યો છે,
ઇસ્રાએલ તારાજ થઇ જશે.
ઇસ્રાએલના લોકો માટે હું જે જાહેર કરું છું
તે અચૂક થવાનું જ છે.
10 યહોવા કહે છે, “યહૂદાના આગેવાનો દુષ્ટ લોકોની જેમ ર્વત્યા;
જેમણે પાડોશીઓની જમીનની સરહદના પથ્થરો ખસેડ્યાં.
તેમના ઉપર હું મારો ક્રોધ પાણીના ધોધની જેમ વહેવડાવીશ.
11 એફ્રાઇમને સજા થશે અને કચરી નાખવામાં આવશે કારણ
તેણે મૂર્તિઓના યાજકોના આદેશ પાળ્યાં છે.
12 આથી હું ઇસ્રાએલ અને યહૂદાને ઊધઇ
અને કીડાની જેમ કોરી ખાઇશ.
13 જ્યારે ઇસ્રાએલને પોતાના રોગની ખબર પડી અને યહૂદાએ પોતાનો ઘા જોયો,
ત્યારે ઇસ્રાએલે આશ્શૂર જઇ સમ્રાટને તેડાવ્યો.
પણ તે તેમને સાજો કરી શકે એમ નથી કે,
તેમના ઘા રૂજાવી શકે એમ નથી.
14 કારણ સિંહની જેમ હું એફ્રાઇમ
અને યહૂદાના લોકો પર આક્રમણ કરીશ.
હું મારી જાતે તેમને ટુકડાઓમાં ભાંગી નાખીશ
અને દૂર ફેંકી દઇશ.
હું તેઓને જ્યારે લઇ જઇશ ત્યારે તેઓની રક્ષા કોઇ કરી શકશે નહિ.
15 તેઓ પોતાનો અપરાધ કબૂલ કરશે
અને મારું મુખ શોધશે પણ હું
મારે સ્થાને જરૂર પાછો ચાલ્યો જઇશ.
દુ:ખમાં આવી પડશે ત્યારે તેઓ મને શોધવા નીકળશે.”
યહોવા તરફ પાછા ફરવાનું પ્રતિફળ
6 લોકો કહે છે,
“આવો આપણે પાછા યહોવા પાસે જઇએ.
તેમણે આપણને ચીરી નાખ્યા છે, અને તે જ આપણને પાછા સાજા કરશે;
તેણે આપણને ઘા કર્યા છે, અને તે જ આપણને પાટાપીંડી કરશે.
2 બે દિવસ પછી તે આપણને બચાવશે.
ત્રીજે દિવસે તે આપણને આપણા પગ પર ઉભા કરશે,
જેથી આપણે તેની હાજરીમાં જીવીએ.
3 ચાલો આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ,
યહોવાનું જ્ઞાન પ્રાપ્ત કરવાને
ખંતથી મહેનત કરીએ;
તે આપણને ઉગતા સૂરજની જેમ ચોક્કસ પ્રાપ્ત થશે.
વસંતઋતુંમાં પૃથ્વીને લીલીછમ કરનાર
છેલ્લા વરસાદની જેમ, તે આવશે.”
લોકો શ્રદ્ધાળું નથી
4 “હે એફ્રાઇમ અને યહૂદા,
હું તમારી સાથે કેવો વ્યવહાર કરું?
તમારો પ્રેમ પરોઢના વાદળ જેવો
અને ઝડપથી ઊડી જનાર ઝાકળ જેવો છે.
5 એ માટે મેં તેઓને પ્રબોધકોની મારફતે હત્યા કરી છે;
મેં મારા મુખનાઁ વચનોથી તેઓનો સંહાર કર્યો છે!
દિવસ પછી રાત ચોક્કસ આવે છે,
તેમ અચાનક ચેતવણી આપ્યા વીના
મારા ન્યાયચુકાદા પ્રગટતા અજવાળા રૂપ,
તમારા ઉપર ચોક્કસ આવી પડશે.
6 કારણકે તારાં યજ્ઞાર્પણ નહિ,
પણ તારો પ્રેમ હું ચાહું છું.
તારા દહનાર્પણો નહિ,
પણ તું મારા કાર્યો ઓળખે તેવું હું ઇચ્છું છું.
7 પણ તેઓએ આદમની જેમ મારા કરારનું ઉલ્લંઘન કર્યું છે;
મારા પ્રેમનો અનાદર કર્યો છે:
8 ગિલયાદ બૂરા લોકોનું નગર છે,
અને તેના રસ્તાઓમાં લોહીથી ખરડાયેલા પગોના નિશાન છે.
9 જેમ ધાડપાડુઓ રાહદારી
પર હુમલો કરવા છુપાયેલા હોય છે,
તેમ યાજકોનું ટોળું શખેમના રસ્તા પર લોકોનું ખુન કરવા
અને શરમજનક અપરાધો કરવા છુપાય છે.
10 ઇસ્રાએલમાં મેં રૂવાટાં ઉભા થાય એવી એક બાબત જોઇ છે.
અને એફ્રાઇમમાં વ્યભિચાર જોવા મળ્યો છે,
લોકો બીજા દેવોની પૂજા કરીને ષ્ટ થયા છે.
11 યહૂદા, તારા માટે કાપણીનો સમય પણ છે.
એ તે સમયે બનશે, જ્યારે હું મારા લોકોને બંધનાવસ્થાથી પાછા લાવીશ.”
7 યહોવા કહે છે,
“હું જ્યારે ઇસ્રાએલનાં ઘા ને મટાડવા ઇચ્છતો હતો,
ત્યારે સમરૂનનાં દુષ્ટ કૃત્યો પ્રગટ થયા
અને એફ્રાઇમના પાપો ખુલ્લા થયા,
કારણકે તેઓ દગો કરે છે, ઘરોમાં ઘૂસી જાય છે અને શેરીઓમાં લૂટ ચલાવે છે.
2 લોકો કદી એવો વિચાર કરતા જ નથી કે, હું તેઓનું નિરીક્ષણ કરું છું.
તેઓના પાપમય કાર્યોએ તેઓને ચારે તરફથી ઘેરી લીધા છે
અને હું તે સર્વ નિહાળું છું.
3 તેઓની દુષ્ટતામાં રાજા આનંદ અનુભવે છે
અને તેઓના જૂઠાણામાં સરદારો રીઝે છે.
4 તેઓ બધા જ વ્યભિચારીઓ છે;
તેઓ સળગતી ભઠ્ઠી જેવા છે
અથવા એ ભઠિયારા જેવા છે,
જે લોટને મસળે ત્યારથી
તેને ખમીર ચઢે
ત્યાં સુધી આગને સંકોરતા નથી.
5 આપણા રાજાના ઉત્સવનાં દિવસે રાજકુમારો મદિરાપાનથી ચકચૂર થઇ જાય છે.
પછી હાંસી ઉડાવનારાઓ સાથે
રાજા મદ્યપાન કરે છે.
6 કારણ ગુપ્ત યોજનાઓ બનાવતા
તેમના હૃદય ભઠ્ઠીની જેમ ઉત્તેજનાથી તપતા હોય છે.
આખી રાત તેમનો આવેશ બળતો રહે છે
અને સવારના તે આગનાં ભડકાઓમાં બદલાઇ જાય છે.
7 તેઓ બધા ભઠ્ઠીની જેમ ગરમ છે,
ને પોતાના ન્યાયાધીશોને સ્વાહા કરી જાય છે,
તેઓના બધા રાજાઓ માર્યા ગયા છે;
અને છતાં કોઇ મદદ માટે મારી પ્રાર્થના કરતું નથી.
ઇસ્રાએલ પોતાના વિનાશથી અજાણ
8 “ઇસ્રાએલના લોકો વિધર્મી પ્રજાઓ સાથે ભળે છે;
એ તો ફેરવ્યા વગરની અધકચરી શેકાયેલી ભાખરી જેવા છે.
9 વિદેશીઓના દેવોની સેવા કરવાથી તેઓનું સાર્મથ્ય હણાઇ જાય છે.
છતાં તેની ખબર એમને પડતી નથી.
તેમના માથાના વાળ સફેદ થયા છે, પણ તે જાણતો નથી કે,
તેઓ કેટલા નબળા અને ઘરડા થઇ ગયા છે.
10 ઇસ્રાએલનું ગર્વ તેની વિરૂદ્ધ સાક્ષી પૂરે છે,
તેમ છતાં એ લોકો પોતાના
દેવ યહોવાને શરણે આવતા નથી કે,
નથી તેમને શોધવાનો પ્રયત્ન કરતા.
11 ઇસ્રાએલ મૂર્ખ કબૂતર જેવું બની ગયું, નિર્દોષ અને બુદ્ધિહીન,
કોઇવાર તે મિસરની મદદ માગે છે,
કોઇવાર તે અશ્શૂર તરફ મદદ માટે ફરે છે.
12 એ લોકો જ્યાં જશે
હું તેમના પર મારી જાળ પાથરીશ
અને પકડાયેલા પંખીઓની જેમ
તેમને નીચે જમીન પર ખેચી લાવીશ.
હું તેમને પ્રબોધકોએ જે શબ્દો કહ્યાં હતા તે પ્રમાણે સજા કરીશ.
13 વિપત્તિ તેઓને! કારણકે તેઓએ મને છોડી દીધો છે.
તેઓનો નાશ થશે! કેમકે તેઓએ મારી વિરૂદ્ધ બંડ પોકાર્યુ છે.
હું તેઓને બચાવી લેવા ઇચ્છતો હતો,
પણ તેઓ મારા વિષે જૂઠ્ઠુ બોલ્યા છે.
14 તેઓ સાચા હૃદયથી મને પોકારતા નથી;
તેઓ પથારીમાં પડ્યા પડ્યા ખેતીના પાક માટે રોદણાં રડે છે.
અને પોતાના શરીર ઉપર પ્રહાર કરે છે,
તેમ છતાં તેઓ મારી વિરૂદ્ધ બંડ કરે છે.
15 તેમને સજા કરનાર અને બળવાન બનાવનાર હું છું,
પણ તેઓ મને ઇજા કરવા યોજના કરે છે.
16 તેઓ પાછા આવે છે, પણ મહાન દેવ ભણી,
સ્વર્ગ ભણી જોવાને બદલે નિર્માલ્ય દેવો ભણી પાછા વળે છે.
તેઓ નિશાન ચૂકી જનાર ધનુષ જેવા છે.
તેઓના સરદારો પોતાની તોછડી અવિવેકી જીભને કારણે
તેઓ શત્રુઓની તરવારનો ભોગ થઇ પડશે
અને મિસરના સર્વ લોકો તેઓની હાંસી ઉડાવશે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International