Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
યશાયા 13-17

બાબિલની પડતી ને વિજયનું દર્શન

13 આમોસના પુત્ર યશાયાને બાબિલ વિષે યહોવાએ સંદર્શન આપ્યું તે આ રહ્યું:

“ઉજ્જડ પર્વત પર ધ્વજા ઊંચે ફરકાવો.
    તેઓને ઊંચે સાદે હાંક મારો,
હાથના ઇશારા કરો
    કે તેઓ ઉમરાવોના દરવાજા પર ત્રાટકે.”

દેવ કહે છે, “મેં મારા પસંદ કરેલા
    યોદ્ધાઓને મારા સૈનિકોને,
મારા વિશ્વાસુ લડવૈયાઓને,
    મારો વિરાટ ગુસ્સો બતાવવાનો મેં હુકમ કર્યો છે.

“સાંભળો! પર્વતો પર મોટી મેદનીનો કોલાહલ સંભળાય છે!
    ભેગા થતાં રાજ્યોનો અને પ્રજાઓનો શોરબકોર સાંભળો!
સૈન્યોના દેવ યહોવા,
    યુદ્ધ માટે સૈન્યોને ભેગાં કરે છે.
યહોવા અને તેના ક્રોધનો અમલ કરનારા
    યોદ્ધાઓ દૂર દૂરના દેશમાંથી,
ક્ષિતિજને પેલે પારથી સમગ્ર
    દેશનો નાશ કરવા આવી રહ્યા છે.”

આક્રંદ કરો, કારણ કે યહોવાનો દિવસ આવી ગયો છે. સર્વ શકિતશાળી તરફથી સર્વનાશ આવશે. બધા લોકોના હાથ ખોટા થઇ જશે. તેમના હૃદય હારી જશે. તેઓ દુ:ખ અને વેદના અનુભવશે, પ્રસવવેદના ભોગવતી સ્ત્રી જેમ તેઓ કષ્ટ પામશે; તેઓ ગભરાઇ જશે અને ડરથી એકબીજા સામે અનિમેષ ષ્ટિથી જોયા કરશે.

બાબિલ વિરુદ્ધ દેવનો ન્યાય

જુઓ, યહોવાનો દિવસ આવે છે; તે રોષ અને ભયંકર ક્રોધથી નિર્દય બનીને ધરતીને ઉજ્જડ કરી નાખશે અને તેમાંથી પાપીઓનો સંહાર કરશે; 10 આકાશના તારાઓ અને નક્ષત્રો પ્રકાશ આપતાં બંધ થઇ જશે. સૂર્ય ઊગતાંની સાથે ઘોર અંધકાર થઇ જશે અને ચંદ્ર પ્રકાશ આપશે નહિ.

11 સૈન્યોના દેવ યહોવા કહે છે, “હું જગત ઉપરનાં પાપો માટે આફત ઉતારીશ; તેમના ગુનાઓ માટે દંડ ફટકારીશ. હું ઉદ્ધત વ્યકિતઓનું અભિમાન ઉતારીશ. 12 જુલમગારોની તુમાખીને ધૂળ ચાટતી કરી નાખીશ. ઓફીરના શુદ્ધ સોનાની માફક લોકો પણ દુર્લભ થઇ જશે. 13 હું મારા ભયંકર રોષના દિવસે આકાશોને ધ્રુજાવી મૂકીશ અને પૃથ્વી આકાશમાં પોતાના સ્થાનેથી ખસી જશે.”

14 બાબિલમાં વસતા વિદેશીઓ જેની પાછળ શિકારીઓ પડ્યાં છે, એવાં હરણાંની જેમ અથવા રેઢાં મૂકેલાં ઘેટાંની જેમ, પોતાને વતન પોતાના લોકોમાં ભાગી જશે. 15 બાબિલમાં રહેતા દરેક જણ જે પકડાઇ ગયાં છે, તેઓને ભાલાથી વીંધી નાખવામાં આવશે અને પકડાયેલો દરેક જણ તરવારનો ભોગ બનશે. 16 તેમનાં બાળકોને તેમનાં દેખતાં પછાડીને મારી નાખવામાં આવશે, તેમનાં ઘરો લૂંટી લેવામાં આવશે, અને તેમની સ્ત્રીઓની લાજ લૂંટવામાં આવશે.

17 “કારણ કે હું માદીઓને બાબિલની વિરુદ્ધ ઉશ્કેરીશ અને ચાંદીના કે સોનાના મોટા જથ્થા વડે તેઓ રીઝશે નહિ, 18 બાબિલના યુવાનો, બાળકો કે વૃદ્ધો પર લશ્કરના સૈનિકો દયા દાખવશે નહિ. 19 સદોમ અને ગમોરાનો નાશ યહોવાએ આકાશમાંથી આગ મોકલીને કર્યો હતો.

“તે જ પ્રમાણે રાજ્યોમાં સૌથી ગૌરવવાન, ખાલદીઓના વૈભવ અને ગર્વરૂપ બાબિલ તેમના હાથે ખેદાનમેદાન થઇ જશે. 20 એમાં ફરી કદી વસતિ થશે નહિ, દીર્ઘકાળપર્યંત એમાં કોઇ વસશે નહિ, કોઇ ભટકતી ટોળી પણ ત્યાં તંબુ તાણશે નહિ, કોઇ ભરવાડ ત્યાં ઘેટાબકરાંને પણ નહિ બેસાડે. 21 પણ ત્યાં જંગલી પ્રાણીઓ વસવાટ કરશે અને તેનાં ઘરો ઘુવડોથી ભરાઇ જશે; ત્યાં શાહમૃગનો વાસ થશે અને રાની બકરાં કૂદાકૂદ કરશે. 22 એનાં આલીશાન મકાનોમાં અને એનાં રંગમહેલોમાં વરુ અને શિયાળવાં ભૂંકતા રહેશે. એના દિવસો ભરાઇ ગયા છે, એનો સમય પૂરો થઇ ગયો છે.”

ઇસ્રાએલ પર દેવની કૃપાદૃષ્ટિ થશે

14 કેમ કે યહોવા યાકૂબ પર દયા લાવશે અને ફરીથી તેમનો સ્વીકાર કરશે. અને તેઓને પોતાની ભૂમિ ઇસ્રાએલમાં વસાવશે; વિદેશીઓ તેઓની સાથે જોડાશે. અને તેઓ પોતાને યાકૂબના વંશજો સાથે જોડશે. ઘણી પ્રજાઓ તેમને તેમના પોતાના વતનમાં જવામાં સાથ આપશે, અને યહોવાની આપેલી ભૂમિમાં ઇસ્રાએલીઓએ લોકોને દાસ અને દાસીઓ તરીકે રાખશે; અને તેમને કેદ પકડનારાઓને તેઓ કેદ પકડશે અને તેમના પર અન્યાય કરનારાઓ પર તેઓ રાજ્ય કરશે. હે ઇસ્રાએલના લોકો, યહોવા તમને તમારા કલેશથી તથા તમારા સંતાપથી અને તમે વેઠેલી સખત મજૂરીમાંથી તમને મુકિત આપશે.

બાબિલના રાજા વિષે એક ગીત

તે દિવસે તમે મહેણાં મારીને બાબિલના રાજાને કહેશો કે,

સિતમગાર કેવો શાંતિથી પડ્યો છે.
    તેનો ઉગ્ર રોષ કેવો શાંત પડ્યો છે!
યહોવાએ તારી દુષ્ટ સત્તાને કચડી નાખીને
    તારા દુષ્ટ શાસનનો અંત કર્યો છે.
તમે તમારા ક્રોધમાં મારા લોકોનું દમન કર્યુ છે.
    તમે તેઓને સતત માર્યા છે,
તમે તમારા ક્રોધમાં તેમના પર ડંખીલુ શાસન કર્યુ છે
    તમે પ્રજાની પર જુલમ ગુજારતાં અટક્યા નથી.
સમગ્ર પૃથ્વી હવે નિરાંતે શાંતિ ભોગવે છે.
    લોકો એકાએક ગીતો ગાઇ ઉઠે છે.
હે બાબિલનાં રાજા,
    તારી દશા જોઇને સરુના વૃક્ષો
અને લબાનોનના ગંધતરુઓ
    આનંદમાં આવીને કહે છે,
“તું કબરમાં સૂતો ત્યારથી કોઇ કઠિયારો
    અમને કાપવા આવ્યો નથી!”
પાતાળમાં રહેલા શેઓલમાં ખળભળાટ
    અને ઉશ્કેરાટ મચી ગયો છે.
અને તે તમે જ્યારે આવો ત્યારે
    તમારું સ્વાગત કરવા માટે આતુર છે.
પૃથ્વી પરના બધા રાજાઓના આત્માઓ
    તમારું અભિવાદન કરવા પોતાના
    આસન પરથી ઉભા થઇ ગયા છે.
10 તેઓ બધાં તને જોઇને બોલી ઊઠે છે.
    “તું પણ અમારા જેવો નબળો નીકળ્યો!
    અમારામાંનો એક બની ગયો!”
11 તારા વૈભવનો તથા તારા ગૌરવ માટે વાગતી વીણાના સંગીતનો અંત આવ્યો છે.
    તું શેઓલમાં[a] પહોંચી ગયો છે.
તારી પથારી અળસિયાઁની છે
    અને કૃમિ જ તારું ઓઢણ છે!
12 હે તેજસ્વી તારા, પ્રભાતના પુત્ર,
    તું ઊંચે આકાશમાંથી કેમ પડ્યો છે!
બીજી પ્રજાઓનો નાશ કરનાર,
    તને કાપી નાખીને ભોંયભેગો કરવામાં આવ્યો છે.
13 તું તારા મનમાં એમ માનતો હતો કે,
    “હું આકાશમાં ઉંચે ચઢીશ,
અને પ્રચંડ નક્ષત્રો કરતાં પણ ઊંચે મારું સિંહાસન માંડીશ,
    આકાશના ઘુમ્મટની ટોચે દેવોની સભાના પર્વત પર બેસીશ;
14 હું વાદળોથી પણ ઉપર જઇશ
    અને પરાત્પર દેવ સમાન બનીશ.”

15 પણ તું તો અધોલોકમાં આવી પડ્યો છે,
    પાતાળને તળિયે પહોંચી ગયો છે!
16 જ્યારે જે કોઇ તને જોશે,
    તે તારા તરફ ટીકી રહેશે અને વિચાર કરશે કે,
“શું આ એ માણસ છે, જેણે પૃથ્વીને ધ્રૂજાવી હતી,
    રાજ્યોને ડોલાવ્યાં હતાં જેણે જગતને અરણ્ય સમાન બનાવી દીધું હતું.
17 નગરોને ખેદાનમેદાન કરી નાખ્યાં હતાં.
    અને જેણે કદી પોતાના કેદીઓને છોડી મૂકીને ઘેર જવા દીધા નહોતા?”
18 બીજી બધી પ્રજાના રાજાઓ માનપૂર્વક
    પોતપોતાની કબરમાં સૂતેલા છે.
19 પણ તને તો કબર પણ મળી નથી.
    તારા શબને તિરસ્કારપૂર્વક
ફેંકી દેવામાં આવ્યું છે.
    તારું કચડાયેલું શબ,
યુદ્ધમાં વીંધાઇ ગયેલા યોદ્ધાઓથી વીંટળાઇને
    એક ખાડાના ખડક તળિયે પડ્યું છે.
20 તારા નામનું કોઇ સ્મારક ઊભું કરવામાં આવશે નહિ
    કારણ કે તેં તારા લોકોનો તેમજ તારા દેશનો નાશ કર્યો છે.
તારી ગાદી પર તારો પુત્ર આવશે નહિ,
    તારા જેવા કુકમીર્ના વંશજોનું નામોનિશાન
પણ ન રહેવું જોઇએ.

21 એમના પૂર્વજોના પાપ માટે તેમની હત્યાઓ કરો,
    જેથી તેઓ ફરીથી ઊભા થઇ શકે નહિ,
દેશને જીતી શકે નહિ
    અને પૃથ્વીના નગરોને ફરીથી બાંધે નહિં.

22 સૈન્યોના દેવ યહોવા કહે છે, “હું બાબિલની સામે થઇશ, હું તેનું નામોનિશાન ભુંસી નાખીશ, એનો વંશવેલો નિર્મૂળ કરી નાખીશ.

23 “હું તેને શાહુડીનું વતન તથા પાણીનાં ખાબોચિયાં જેવું બનાવી દઇશ; હું વિનાશનો સાવરણો ચલાવીશ અને બધું સાફ કરી નાખીશ.” આ સૈન્યોના દેવયહોવાના વચન છે.

દેવ આશ્શૂરને પણ સજા કરશે

24 સૈન્યોના દેવ યહોવા સમપૂર્વક કહે છે કે, “મારી યોજના પ્રમાણે જ બધું થશે. મારી ઇચ્છા અનુસાર જ બધું બનશે. 25 હું મારા દેશનાં ડુંગરો પર આશ્શૂરને પગ તળે રોળી તેનો ભૂક્કો ઉડાવી દઇશ. ત્યારે તેની ઝૂંસરી મારા લોકો પરથી ઊતરી જશે. તેનો બોજો તેમના ખભા પરથી ઊતરી જશે. 26 આ યોજના સમગ્ર પૃથ્વી માટે ઘડવામાં આવી છે. બધી પ્રજાઓ સામે આ હાથ ઉગામેલો છે.”

27 સૈન્યોના દેવ યહોવાની આ યોજના છે, અને એને કોણ સમાપ્ત કરી શકે? તેમણે હાથ ઉગામ્યો છે, એને પાછો કોણ વાળી શકે?

પલિસ્તીઓને દેવનો સંદેશ

28 જ્યારે રાજા આહાઝનું અવસાન થયું તે વર્ષ દરમ્યાન આ પ્રમાણે દેવી વાણી સંભળાઇ.

29 હે સર્વ પલિસ્તીઓ, તમને મારનારી લાઠી ભાંગી ગઇ છે, તેથી આનંદમાં નાચશો નહિ, કારણ કે એક સાપમાંથી બીજો એક વધારે ભયંકર સાપ જન્મ લે છે, અને તેમાંથી હજી બીજો ઊડતો સાપ પેદા થાય છે. 30 પરંતુ મારા ગરીબ અને દીનદલિત લોકો રોટલો પામશે અને શાંતિથી રહેશે. હે પલિસ્તીઓ! હું દુકાળ મોકલી તમારા લોકોને જડમૂળથી ઉખેડી નાખીશ. કોઇ તેમાંથી ઉગરી શકશે નહિ.

31 હે પલિસ્તી દેશનાં નગરો, આક્રંદ કરો,
    હે પલિસ્તીઓ, તમે સૌ ભયથી થથરી ઊઠો!
કારણ ઉત્તરમાંથી તોફાનની જેમ સૈન્ય આવે છે
    અને એમાં કોઇ ભાગેડુ નથી.
32 બીજા દેશમાંથી આવેલા સંદેશવાહકોને શો જવાબ આપવો?
    એ જ કે, યહોવાએ સિયોનની સ્થાપના કરી છે
    અને ત્યાં જ તેના ગરીબ અને કચડાયેલા લોકો આશ્રય મેળવશે.

મોઆબને ઠપકાનું વચન

15 મોઆબ વિષે દેવવાણી.

આર-મોઆબ અને કીર રાતોરાત ખેદાનમેદાન થઇ ગયાં
    અને કીર મોઆબ ઉજ્જડ થયું છે, નષ્ટ થયું છે.
દીબોનના લોકો પર્વત પર અને ઉચ્ચસ્થાનકે રડવાને જાય છે.
    મોઆબના લોકો નબો અને મેદબા પર મોઆબ આક્રંદ કરે છે.
    બધા જ માણસોએ શોકને લીધે માથું મૂંડાવી નાખ્યું છે, અને દાઢી બોડાવી નાખી છે;
બધા જ શોકની કંથા પહેરીને રસ્તા પર ફરે છે.
    અને છાપરે ચડીને ચોરેચૌટે આક્રંદ અને રોકકળ કરે છે,
    અને પોક મૂકીને આંસુ સારે છે.
વળી હેશ્બોન અને એલઆલેહના લોકો પોકેપોક રડે છે;
    તેમનો અવાજ યાહાસ સુધી સંભળાય છે;
તેથી મોઆબના સશસ્ત્ર યોદ્ધાઓ પણ થથરી જાય છે,
    તેથી તેનું હૃદય ક્ષોભ પામે છે.

મારું હૃદય મોઆબને માટે રૂદન કરે છે!
    ત્યાંના લોકો સોઆર
    અને એગ્લાથ-શલીશિયા ભાગી ગયા છે.
તેઓ રડતાં રડતાં લૂહીથનો ઘાટ ચઢે છે,
    હોરોનાયિમને રસ્તે તેઓ હૈયાફાટ રૂદન કરે છે.
નિમ્રીમનાં જળાશય અરણ્ય તુલ્ય થાય છે;
    ઘાસ સુકાઇ ગયું છે.
તૃણ સમાપ્ત થઇ ગયું છે.
    લીલોતરીનું નામોનિશાન નથી.
આથી લોકો પોતાની માલમિલ્કત અને જે કઇં સંઘરેલું છે
    તે લઇને વેલવાળી ખીણની સામે પાર ચાલ્યા જાય છે.

કારણ કે સીમની આસપાસ રૂદનનો અવાજ પહોંચી ગયો છે;
    તેના આક્રંદના પડઘા એગ્લાઇમ અને બએર-એલીમ સુધી સંભળાય છે.
દીમોનમાં પાણી લોહી લોહી થઇ ગયા છે,
    તેમ છતાં દેવ દીમોનને માથે હજી મોટી આફત ઉતારશે;
મોઆબના જે થોડા લોકો બચી ગયા છે
    તેમના પર એક સિંહ ત્રાટકશે.

16 રણમાં આવેલા સેલા નગરમાંથી મોઆબના લોકો ડુંગર પર આવેલા યરૂશાલેમમાં વસતા દેશના અમલદારોને માટે હલવાન મોકલો.

પોતાના માળામાંથી હાંકી કઢાયેલા પંખીઓની જેમ મોઆબના લોકો
    આનોર્ન નદી પાર કરવાના માર્ગે આમતેમ ભટકે છે.
તેઓ યહૂદાના લોકોને કહે છે,
    “અમને સલાહ આપો,
ન્યાય કરો, મધ્યાહને તારી છાયા રાતના જેવી કર;
    કાઢી મૂકેલાઓને સંતાડ;
    શરણાથીર્ઓનો વિશ્વાસઘાત કરીશ નહિ.
અમને મોઆબમાંથી હાંકી કાઠવામાં આવ્યા છે,
    અમને તમારે ત્યાં વસવા દો.
    અમારો નાશ કરનાર હાથમાંથી અમારું રક્ષણ કરો.”

જ્યારે અત્યાચાર બંધ પડ્યો હશે
    અને અન્યાયનો અંત આવ્યો હશે.
    અને દેશને પગતળે રોળી નાખનારાઓ જ્યારે દેશમાંથી ચાલ્યા ગયા હશે.
ત્યારે દાઉદનો એક વંશજ
    તેના સિંહાસન પર બેસશે
    અને તે દયા અને નિષ્ઠાપૂર્વક રાજ્ય કરશે.
તે ન્યાય અને પ્રામાણિકપણે
    વર્તવામાં સદા તત્પર રહેશે.

યહૂદાના લોકો કહે છે, અમે મોઆબના ઘમંડ વિષે સાંભળ્યું છે,
    કેવો ભારે ઘમંડ! તેના અભિમાન,
તેના અહંકાર તથા તેની ઉદ્ધતાઇ વિષે અમે સાંભળ્યું છે,
    પણ તેની બડાશો બધી ખોટી છે.
આથી, મોઆબીઓએ મોઆબ માટે આક્રંદ કરવું જ રહ્યું,
    ભારે આફતમાં તેઓ આવી જશે.
    અને કીર-હરેસેથની સૂકી દ્રાક્ષાની બાટીઓને માટે શોક કરશે.
કારણ, હેશ્બોનમાં ખેતરો કસ વગરનાં થઇ ગયા છે.
    સિબ્માહની દ્રાક્ષની વાડીઓ ખેદાનમેદાન થઇ ગઇ છે.
એક સમય એવો હતો જ્યારે એ દ્રાક્ષની વાડીઓ બાલ-ગોયિમ
    અને યાઝેર સુધી પહોંચતી હતી.
અને ત્યાંથી ઠેઠ રણ સુધી ફેલાતી હતી;
    અને પશ્ચિમમાં એની શાખાઓ સમુદ્રની સામે પાર સુધી પહોંચતી હતી.
એટલે હું યાઝેરના લોકોની સાથે
    સિબ્માહની દ્રાક્ષકુંજો માટે રડીશ,
હે હેશ્બોન તથા એલઆલેહ,
    હું તને મારાં આંસુઓથી સિંચીશ,
કારણ કે તમારો પાક લણનારાઓનો
    કલશોર સંભળાતો નથી,
10 તમારી વાડીઓમાંથી આનંદ લોપ પામ્યા છે,
    દ્રાક્ષકુંજોમાં ગીતો ગવાતા બંધ થઈ ગયા છે;
આનંદના પોકાર કોઇ કરતું નથી, કે કોઇ દ્રાક્ષારસ બનાવવા માટે દ્રાક્ષો ગૂંદતું નથી,
    બધા લણનારાઓનો કલશોર શમી ગયો છે.
11 આથી મારું હૃદય મોઆબને માટે વીણાની જેમ રણજણી ઊઠે છે,
    અને કીર-હેરેસથને માટે મારો અંતરાત્મા કકળે છે.
12 મોઆબના લોકો પર્વત પરનાં
    ઉચ્ચસ્થાનકોએ પ્રાર્થના કરવા જઇને થાકી જશે,
    તોયે કશું વળવાનું નથી.

13 યહોવાએ ભૂતકાળમાં મોઆબ વિષે ઉચ્ચારેલાં વચનો આ પ્રમાણે છે. 14 અને હવે યહોવા કહે છે કે, “ત્રણ વર્ષ પૂરાં થતાં જ મોઆબની જાહોજલાલી તુચ્છ થઇ જશે અને તેની વસ્તી વિશાળ હોવા છતાં બહુ જ ઓછા લોકો બાકી રહેશે અને તે પણ તુચ્છ ગણાશે; શેષ બહુ થોડો સમુદાય રહેશે તે પણ વિસાત વગરનો રહેશે.”

ઇસ્રાએલ તથા અરામનું પતન

17 દમસ્કને લગતી દેવવાણી

“જુઓ દમસ્ક નગર નહિ કહેવાય એવું થઇ જશે,
    તે ખંડિયેરનો ઢગલો થઈ જશે.
અરામના નગરો કાયમને માટે ઉજ્જડ બની જશે,
    ત્યાં ઘેટાં-બકરાંનાં ટોળાં નિરાંતે આવીને બેસશે,
    અને કોઇ તેમને હાંકી કાઢશે નહિ.
ઇસ્રાએલના કોટકિલ્લા અને દમસ્કની રાજસત્તા જતાં રહેશે;
    વળી ઇસ્રાએલીઓની જાહોજલાલીની જે દશા થઇ
તે જ દશા અરામના બાકી રહેલા લોકોની થશે,”
    સૈન્યોના દેવ યહોવાના આ વચન છે.

“તે દિવસે ઇસ્રાએલમાંથી યાકૂબની જાહોજલાલી જતી રહેશે
    અને ગરીબી આવી પડશે અને તેની સમૃદ્ધિ ઓસરી જશે,

“એ લણીને અનાજ ભેગું કરી લીધેલાં ખાલી ખેતર જેવું, થઇ જશે. તે રફાઇમની ખીણમાંના અનાજના ડૂંડા લણી લીધેલા કોઇ ખેતર જેવું થઈ જશે.

“ફકત રડ્યાં ખડ્યાં થોડાં ડૂંડા ત્યાં વેરાયેલા પડ્યાં હશે. જેમ કોઇ જૈતૂનના ઝાડને હલાવ્યા પછી છેક ઉપરની ડાળી પર બે ત્રણ ફળ રહે, અથવા ગાઢા પાંદડાવાળી ડાળીએ ચારપાંચ જૈતૂન રહે, તેવું ઇસ્રાએલનું થશે” એમ સૈન્યોના દેવ યહોવાએ કહ્યું હતું.

આખરે તેઓ પોતાના ઉત્પન્નકર્તા દેવનું સ્મરણ કરશે અને ઇસ્રાએલના પવિત્ર યહોવાનો આદરસત્કાર કરશે. તે દિવસે તેઓ મદદ માટે મૂર્તિઓ આગળ વિનંતી કરશે નહિ તથા તેઓ પોતાના જ હાથે બનાવેલી મૂર્તિઓની પૂજા કરશે નહિ ત્યારે તેમને અશેરા સ્તંભ અને ધૂપ વેદીઓ માટે માન રહેશે નહિ. તે દિવસે તેમનાં કિલ્લેબંદીવાળાં શહેરો, ઇસ્રાએલીઓ આવતાં હિવ્વીઓ અને અમોરીઓએ તજી દીધેલાં સ્થાનો જેવાં થઇ ગયાં હતાં તેવા થઇ જશે; બધું વેરાન થઇ જશે.

10 હે ઇસ્રાએલના લોકો, તમે તમારા ઉદ્ધારક દેવને, ખડકની જેમ તમારું રક્ષણ કરનારને ભૂલી જઇને બીજા દેવની પૂજા માટે બગીચા બનાવો છો. 11 પણ તમે રોપો તે જ દિવસે તેને ફણગાં ફૂટે અને વાવો તે જ સવારે તેને ફૂલ બેસે, તોયે શોકના અને અસાધ્ય વેદનાના દિવસ આવે ત્યારે એનો ફાલ અલોપ થઇ જશે.

12 અરે, સમુદ્રની ગર્જના જેવી ગર્જના કરતાંય મોટી માનવમેદનીની ગર્જના સંભળાય છે.
    વળી લોકોના ઘોંઘાટ!
    પ્રચંડ જલરાશિના ઘુઘવાટની જેમ ઘુઘવાટા કરે છે.
13 લોકો સાગરનાં મોજાંના ઘુઘવાટની જેમ ઘુઘવાટા કરે છે.
    પણ દેવ તેઓને ઠપકો આપશે, ને તેઓ ભાગી જશે,
જાણે પર્વત ઉપર પવનથી ઊડી જતી ધૂળ;
    જાણે વંટોળિયા આગળ ઘુમરાતી ધૂળ.
14 જુઓ, સવાર થતા પહેલાં તેઓ નષ્ટ થશે;
    જોકે સંધ્યાકાળે તો તેઓ કેર વર્તાવતા હતા!
આ છે આપણને લૂંટનારાઓનું ભાગ્ય.
    અને અમારી ધનસંપત્તિનું હરણ કરનારની દશા.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International