Print Page Options
Previous Prev Day Next DayNext

Beginning

Read the Bible from start to finish, from Genesis to Revelation.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
2 રાજાઓનું 23-25

લોકોએ નિયમ સાંભળ્યો

23 ત્યારબાદ રાજાએ પોતાની સાથે યહોવાના મંદિરમાં આવવા માટે સંદેશવાહકો મોકલીને યરૂશાલેમના તથા યહૂદાના વડીલો તથા આગેવાનોને બોલાવ્યા. યરૂશાલેમ અને યહૂદાના સર્વ યાજકો, પ્રબોધકો, અને નાનાથી મોટા સર્વ લોકો મંદિર આગળ ભેગા થયા. રાજાએ તેઓની આગળ મંદિરમાંથી મળી આવેલું દેવના નિયમશાસ્ત્રનું પુસ્તક પૂરેપૂરું વાચી સંભળાવ્યું.

ત્યારબાદ રાજાએ મંચ પર ઊભા રહીને, તેમને યહોવાને અનુસરવાનું કહ્યું. અને તેના બધા આદેશો અને હુકમોનું પાલન કરવાનું અને તેમની બધી સુચનાઓને તેમના પૂર્ણ હૃદયથી અને તેમના પૂર્ણ આત્માથી અનુસરવાનું કહ્યું. અને એ રીતે આ પુસ્તકમાં લખેલા કરારની શરતોનો પૂરેપૂરો અમલ કરવાની પ્રતિજ્ઞા કરી; અને બધા લોકોએ પણ એ કરારનું પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી.

એ પછી રાજાએ વડા યાજક હિલ્કિયાને તથા મદદનીશ યાજકને તેમજ દ્વારના રક્ષકોને બઆલદેવની અશેરાદેવીની તેમજ આકાશનાં નક્ષત્રોની પૂજામાં વપરાતી બધી સામગ્રી યહોવાના મંદિરમાંથી હઠાવી લેવાનો હુકમ કર્યો, અને તે બધીને તેણે યરૂશાલેમ બહાર કિદ્રોનનાં કોતરમાં બાળી મુકાવી, અને તેની રાખ બેથેલ લઈ જવામાં આવી.

તેણે યહૂદાના રાજાઓએ, યહૂદાના નગરોમાંના અને યરૂશાલેમની આસપાસનાં ઉચ્ચસ્થાનોમાં ધૂપ અર્પણો કરવા નીમેલા વિધર્મીર્ યાજકોને બરતરફ કર્યા, આમાં બધાં જેમણે બઆલમાં અર્પણો કર્યા હતા તે, સૂર્ય, ચંદ્ર, નક્ષત્રો અને આકાશના બધાં સમૂહોનો સમાવેશ થતો હતો.

યરૂશાલેમના મંદિરમાંથી અશેરાદેવીની મૂર્તિને યરૂશાલેમની બહાર કિદ્રોનના કોતરમાં લઈ જઈને બાળીને ભસ્મ કરી નાખી અને તેની રાખ ગાઝા નજીક સામાન્ય લોકોની કબરો પર ફેંકી દીધી.

તેણે યહોવાના મંદિરમાં આવેલું દેવદાસો અને દેવદાસીઓ માટેનું ઘર, જેમાં સ્રીઓ અશેરા માટે વસ્ત્રો વણતી, તે તોડી પાડયું.

યહૂદાના નગરોમાંથી તેણે બધા યાજકોને યરૂશાલેમમાં ભેગા કર્યા, અને ગેબાથી બેર-શેબા સુધી સર્વત્ર તેઓ જ્યાં જ્યાં અર્પણ સ્તંભ અને અર્પણ વેદીઓ હતી, તે બધાં તેણે ષ્ટ કર્યા. પછી તેણે નગરના શાસક યહોશુઆના દરવાજા પાસે આવેલા ઉચ્ચસ્થાનો તોડી નાખ્યા. જે મુખ્ય નગર દરવાજાની ડાબી બાજુએ હતો. પરંતુ એ થાનકોના યાજકો યરૂશાલેમમાં આવેલી વેદીની પૂજા કરવા આવ્યા નહોતા, તેઓએ તેમના કુટુંબો વચ્ચે બેખમીર રોટલી ખાધી.

10 હવે પછી કોઈ પણ વ્યકિત પોતાના પુત્ર કે પુત્રીને મારી નાખીને તેનું બલિદાન તરીકે અર્પણ ન કરી શકે, કારણકે રાજાએ બેન-હિન્નોમની ખીણમાં આવેલી તોફેથની વેદીને પણ તોડી પાડી હતી. 11 તેણે નાથાન મેલેખના નિવાસસ્થાન પાસે મંદરિના મુખ્ય પ્રવેશદ્વાર આગળ આવેલી ઘોડાઓની પ્રતિમાઓને તોડી પાડી. તેણે સૂર્ય દેવને સમર્પિત થયેલા રથોને બાળી મૂક્યા.

12 આહાઝના ઉપરના ઓરડા પર યહૂદાના રાજાઓએ બંધાવેલી વેદીઓ હતી, તેને તોડી પાડી. ત્યાર પછી મંદિરના બંને આંગણામાં મનાશ્શાએ બાંધેલી બે વેદીઓ હતી, તે પણ તેણે તોડી નાખી, એ સર્વને ભાંગીને ભૂકો કર્યો અને એ ભૂકો કિદ્રોનની ખીણમાં ફેંકી દીધો.

13 વળી તેણે ઇસ્રાએલની પૂર્વ તરફના ઉચ્ચસ્થાનકો અપવિત્ર કર્યા. તે ઇસ્રાએલના સુલેમાન રાજાએ બંધાવેલી “વિનાશક ટેકરીઓની” દક્ષિણે હતાં જે તેણે આશ્તોરેથ માટે બંધાવી હતી જે સિદોનીઓની ભયાનક દેવી હતી, મોઆબીઓના ભયાનક દેવ કમોશ અને આમ્મોનીઓના ભયાનક દેવ, મિલ્કોમના સ્થાનકો પણ તોડી પાડ્યાં. 14 તેણે સ્તંભો તોડી પાડયા અને અશેરાદેવીનાં પ્રતીકો કાપી નાખ્યાં. તેઓ જે જગ્યાએ ઊભાં હતાં તે જગ્યાઓ માણાસોનાં હાડકાંઓથી પૂરી દીધી.

15 એ જ રીતે બેથેલની વેદી અને ઉચ્ચસ્થાનો, જે ઇસ્રાએલને પાપ કરવા પ્રેરનાર નબાટના પુત્ર યરોબઆમે બંધાવી હતી તેનો પણ તેણે નાશ કર્યો, તેના પથ્થરોને ભેગા કરીને ભાંગીને ભૂકો કરી ફેકી દીધો અને અશેરાદેવીની બધી નિશાનીઓને બાળી મૂકી. 16 જ્યારે યોશિયા બીજી તરફ ફર્યો ત્યારે તેણે એક ટેકરી પર કેટલીક કબરો જોઈ, આ રીતે, જે રીતે દેવના માણસે ભવિષ્યવાણી ભાખી હતી તે પ્રમાણે જ તેણે વેદીને ષ્ટ કરી.

17 અને તેણે પૂછયું, “ત્યાં પેલું સ્મારક શાનું છે?”

નગરના લોકોએ કહ્યું, “એ તો જે દેવના માણસ એલિયાએ યહૂદાથી આવીને તમે બેથેલની વેદીના જે હાલ કર્યા તેની અગમ વાણી ભાખી હતી તેની કબર છે.”

18 તેણે કહ્યું, “એ ભલે રહી. કોઈ એનાં હાડકાં ખસેડશો નહિ.” તેથી તેઓએ તેનાં હાડકાં છોડી દીધાં અને સમરૂનથી આવેલા દેવના માણસનાં હાડકાંને પણ કોઈ અડયું નહિ.

19 વળી, યોશિયાએ સમરૂનનાં નગરોમાં ઇસ્રાએલના રાજાઓએ બનાવેલા ઉચ્ચસ્થાનકોનો નાશ કરીને જે યહવોનો રોષ વહોરી લીધો હતો, તે બધાંની પણ તેણે બેથેલમાં કરી હતી તેવી જ દશા કરી.

20 એ ટેકરી ઉપરનાં થાનકોના બધા યાજકોનો તેણે વેદીઓ પર વધ કર્યો, અને તે વેદીઓ પર તેણે માણસનાં હાડકાં બાળ્યાં, પછી તે યરૂશાલેમ પાછો ગયો.

પાસ્ખાપર્વ ઉજવતાં યહૂદાના લોકો

21 રાજાએ સમગ્ર પ્રજાને આ પ્રમાણે આજ્ઞા કરી, “તમારા દેવ યહોવાના માનમાં, કરારના આ પુસ્તકમાં ઠરાવ્યા મુજબ, પાસ્ખાપર્વ ઊજવો.”

22 ન્યાયાધીશોના સમયથી કયારેય આવો પાસ્ખાપર્વ ઊજવાયો નહોતો, ઇસ્રાએલ કે યહૂદાના એક પણ રાજા દ્વારા પણ નહિ. 23 પણ યોશિયાના અમલના 18મે વર્ષે જ આ પાસ્ખાપર્વ યહોવાના માનમાં યરૂશાલેમમાં ઊજવાયો.

24 આ ઉપરાંત યોશિયાએ યાજક હિલ્કિયાને યહોવાના મંદિરમાંથી મળેલી પોથીમાંના નિયમશાસ્ત્રાનાં વચનોનું પાલન કરવા માટે કહ્યું અને બધાં તાંત્રિકો, મેલી વિદ્યાના ઉપાસકો, કુળદેવો અને યહૂદાના પ્રદેશમાં અને યરૂશાલેમમાં જોવામાં આવતી બધી મૂર્તિઓ જે અનાદરને પાત્ર હોય તે બધી બાળી નાખીને તેનો નાશ કરીને તે જગ્યા સાફ કરી નાખી.

25 એના પહેલાં કે પછી એવો કોઈ રાજા થયો નથી, જેણે મૂસાના નિયમશાસ્ત્રનું પાલન કરીને પૂરા હૃદયથી અને સંપૂર્ણ બળથી યહોવાની ભકિત કરી હોય.

26 તેમ છતાં મનાશ્શાના ખરાબ કૃત્યોને કારણે યહૂદા વિરૂદ્ધ યહોવાને ચઢેલો ભારે રોષ હજુ શમ્યો ન હતો. 27 યહોવાએ જાહેર કર્યુ કે, “હું યહૂદીઓને પણ ઇસ્રાએલીઓની જેમ મારા સાન્નિધ્યથી દૂર હડસેલી મુકીશ. મેં પસંદ કરેલા આ નગર યરૂશાલેમને તેમજ યહોવાના જે મંદિરને વિષે મેં એમ કહ્યું હતું કે, ‘ત્યાં મારું નામ કાયમ રહેશે.’ તેને પણ હું દૂર કરીશ.”

28 યહૂદાના રાજા યોશિયાનાઁ શાસનનાં બીજા બનાવો યહૂદાના રાજાઓના ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે.

યોશિયાનું મૃત્યુ

29 એના અમલ દરમ્યાન મિસરના રાજા ફારુન નકોહ આશ્શૂરના રાજાને મદદ કરવા ફ્રાત નદી આગળ જવા નીકળ્યો હતો અને રાજા યોશિયાએ તેને માર્ગમાં અટકાવ્યો હતો; નકોહ રાજાએ તેને જોયો ત્યારે તેણે એને મગિદ્દોમાં મારી નાખ્યો. 30 તેના અધિકારીઓ તેના મૃતદેહને રથમાં મૂકીને મગિદ્દોથી યરૂશાલેમ લાવ્યા અને તેના મૃત્યુ અગાઉથી તેણે પસંદ કરી રાખેલી કબરમાં તેને દફનાવ્યો.

પછી તેના પુત્ર યહોઆહાઝને તેના પિતાની જગ્યાએ નવા રાજા તરીકે પસંદ કરીને અભિષ્કિત કર્યો.

યહૂદાનો નવો રાજા યહોઆહાઝ

31 યહૂદાનો નવો રાજા યહોઆહાઝ ગાદીએ બેઠો, ત્યારે તે ત્રેવીસ વર્ષનો હતો, તેણે યરૂશાલેમમાં ત્રણ મહિના રાજ કર્યું, તેની માતાનું નામ હમૂટાલ હતું. તે લિબ્નાહના યર્મિયાની પુત્રી હતી. 32 યહોઆહાઝે પોતાના પિતૃઓની જેમ યહોવાની દૃષ્ટિએ અયોગ્ય ગણાય એવું આચરણ કર્યું.

33 ફારુન નકોહે તેને યરૂશાલેમ કબજે કરતો અટકાવવા માટે હમાથમાં કેદ પકડયો અને પછી તેણે દેશ પર 7,500 પાઉંડ ચાંદી અને 75 પાઉંડ સોનાનો કર નાખ્યો.

34 ફારુને યોશિયાના પુત્ર એલ્યાકીમને તેના પિતા યોશિયા પછી રાજા બનાવ્યો અને તેનું નામ બદલીને યહોયાકીમ રાખ્યું. યહોઆહાઝને તે મિસર લઈ ગયો અને ત્યાં તેનું અવસાન થયું. 35 યહોયાકીમે ફારુનને સોનું અને ચાંદી આપ્યાં.પરંતુ લોકો પર, તેમના દરજ્જા પ્રમાણે કર નાખ્યો, તેણે તેમ કર્યું જેથી તે ફારુનની માંગોને પહોંચી વળે.

36 યહોયાકીમ ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 25 વર્ષની હતી. અને તેણે યરૂશાલેમમાં 11 વર્ષ રાજ કર્યુ. તેની માતાનું નામ ઝબીદાહ હતું અને તે રૂમાહના પેદાયાની પુત્રી હતી. 37 યહોયાકીમે પોતાના પિતૃઓની જેમ યહોવાની દૃષ્ટિએ અયોગ્ય ગણાય તેવું આચરણ કર્યું.

રાજા નબૂખાદનેસ્સાર યહૂદા આવ્યો

24 યહોયાકીમે રાજાના અમલ દરમ્યાન બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યરૂશાલેમ પર ચઢી આવ્યો. યહોયાકીમ તેને તાબે થઈ ગયો. પરિણામે ત્રણ વર્ષ પર્યંત તેને વસૂલી ભરવી પડી, પણ પછી તેણે બંડ કર્યું. આથી યહોવાએ બાબિલ, અરામ, મોઆબ અને આમ્મોનના સશસ્ત્ર સૈનિકોને તેની સામે લડવા મોકલ્યા. અને આમ, યહોવાએ પોતાના પ્રબોધકો મારફતે જણાવ્યા મુજબ યહૂદાને ખેદાન-મેદાન કરી નાખ્યું.

યહૂદાની આવી સ્થિતી એક જ કારણથી થઈ હતી. તે કારણ હતુ કે, યહોવાએ તેમને મનાશ્શાના પાપોની સજા કરવા માટે આ હુકમ કર્યો હતો. આ એટલા માટે થયું, કારણકે તેણે નિર્દોષ લોકોને મારીને તેમના લોહીથી યરૂશાલેમને ભરી દીધું હતું. યહોવા આ પાપ માટે તેમને કદી માફ કરવા નહોતા માગતા.

યહૂદાના રાજા યહોયાકીમનાઁ શાસનનાં બીજાં બનાવો અને કાર્યો, યહૂદાના રાજાઓના ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે. તે મૃત્યુ પામ્યો અને તેનો પુત્ર યહોયાખીન રાજા બન્યો.

મિસરનો રાજા ત્યાર પછી ફરી કદી પોતાના દેશમાંથી હુમલો કરવા બહાર આવ્યો નહોતો, કારણ બાબિલના રાજાએ મિસરના વહેળાથી ફ્રાત નદી સુધીનો તેના કબજા હેઠળનો પ્રદેશ પડાવી લીધો હતો.

યરૂશાલેમ પ્રાપ્ત કરતો નબૂખાદનેસ્સાર

યહોયાખીન ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 18 વર્ષની હતી અને તેણે યરૂશાલેમમાં 3 મહિના રાજ કર્યુ, તેની માતાનું નામ નહુશ્તા હતું અને તે યરૂશાલેમના એલ્નાથાનની પુત્રી હતી. યહોયાખીને તેના પિતાની જેમ યહોવાની દૃષ્ટિએ અયોગ્ય ગણાય એવું આચરણ કર્યુ.

10 તે સમયે બાબિલના રાજા નબૂખાદનેસ્સારના સેનાપતિઓએ યરૂશાલેમ પર ચઢાઈ કરી તેને ઘેરો ઘાલ્યો. 11 તેનું લશ્કર શહેરને ઘેરો ઘાલીને પડયું હતું એ દરમ્યાન તે જાતે ત્યાં આવી પહોંચ્યો. 12 અને યહૂદાનો રાજા યહોયાખીન, તેની મા, તેના અમલદારો, તેના આગેવાનો અને દરબારીઓ સૌ બાબિલના રાજા પાસે ગયાં અને બાબિલના રાજાએ તેમને પકડીને કેદ કર્યા. નબૂખાદનેસ્સાર રાજા હતો ત્યારે તેના શાસનના 8મેં વર્ષે આ બન્યું.

13 નબૂખાદનેસ્સાર, યહોવાએ અગમવાણી જણાવ્યા મુજબ, યહોવાના મંદિરના તેમજ રાજમહેલના બધા ખજાના ઉપાડી ગયો, અને તેણે ઇસ્રાએલના રાજા સુલેમાને બનાવડાવેલા બધાં સોનાના વાસણો પણ દૂર કર્યા, તેણે જેમ યહોવાએ કીધું હતું તેમજ કર્યું.

14 તેણે યરૂશાલેમના બધા વતનીઓને-બધા ઉમરાવોને અને અગ્રગણ્ય માણસોને અને ધનવાનો તથા લુહારો અને બીજા કારીગરો સુદ્ધાં સૌનો દેશનિકાલ કર્યો; તે બધા મળીને કુલ 10,000 હતા, ફકત વસ્તીનો ગરીબમાં ગરીબ વર્ગ જ બાકી રહ્યો. 15 યહોયાખીનને તેની માને તેના દરબારીઓને અને દેશના બધા આગળ પડતા માણસોને તે યરૂશાલેમથી બાબિલ લઈ ગયો. 16 વળી તે દેશના 7,000 બળવાન માણસોને, 1,000 લુહારો અને કારીગરોને, જે બધા જ બળવાન અને યુદ્ધે ચડી શકે એવા હતા તેમને બાબિલ દેશવટે લઈ ગયો.

રાજા સિદકિયા

17 બાબિલના રાજાએ યહોયાખીનના કાકા માત્તાન્યાને તેની પછી રાજા બનાવ્યો અને તેનું નામ બદલીને સિદકિયા રાખ્યું. 18 સિદકિયા ગાદીએ આવ્યો, ત્યારે તેની ઉંમર 21 વર્ષની હતી, અને તેણે યરૂશાલેમમાં 11 વર્ષ રાજ કર્યું, તેની માતાનું નામ હમૂટાલ હતું, અને લિબ્નાહના યર્મિયાની પુત્રી હતી. 19 સિદકિયાએ યહોયા ખીનની જેમ યહોવાની દૃષ્ટિએ અયોગ્ય ગણાય એવું આચરણ કર્યુ. 20 યરૂશાલેમે અને યહૂદાએ યહોવાનો એટલો બધો રોષ વહોરી લીધો કે છેલ્લે તેણે તેમને પોતાની નજર આગળથી દૂર કર્યા.

નબૂખાદનેસ્સાર દ્વારા સિદકિયાના શાસનની સમાપ્તિ

પછી રાજા સિદકિયાએ બાબિલના રાજાની વિરૂદ્ધ બળવો કર્યો.

25 તેના શાસનના નવમા વર્ષમાં, દશમાં મહિનાના, દશમા દિવસે બાબિલના રાજા નબૂખાદનેસ્સારે પોતાની આખી સેના સહિત આવીને યરૂશાલેમ પર હુમલો કર્યો, તેણે એ શહેરને ઘેરો ઘાલ્યો અને ચારે બાજુ ઘેરાના ઢાળીયા બાધ્યાં. એ પ્રમાણે સિદકિયા રાજાના અગિયારમા વર્ષ સુધી નગરને ઘેરો રહ્યો. રાજયમાં ચોથા મહિનાના નવમા દિવશે દુકાળ એટલો સખત બની ગયો કે, ખાવા માટે કઇ ખોરાક બાકી ન રહ્યો. તે ચોથા મહિનાનો નવમો દિવસ હતો, નગરમાં અનાજની ભારે તંગી વર્તાતી હતી.

આખરે, નબૂખાદનેસ્સારના સૈન્યએ નગરના કોટમાં ગાબડું પાડયું અને તે રાત્રે તેમાંથી સિદકિયા અને તેના માણસો, બે દિવાલોની વચ્ચે આવેલા એક ગુપ્ત દરવાજામાંથી રાજાના બગીચાના માર્ગે શહેરમાં ચારે બાજુ બાબિલવાસીઓ હતાં તે છતાં પણ, રણ તરફ નાસી ગયા. બાબિલના રાજાના સૈન્યે તેનો પીછો કર્યો અને તેને યરીખોના મેદાનમાં પકડી પાડયો, અને તેની સાથેના લોકો વિખેરાઈ ગયા અને તેને છોડી ગયા.

બાબિલના સૈનિકોએ સિદકિયાને પકડીને તેમના રાજા નબૂખાદનેસ્સારની પાસે રિબ્લાહ લઈ ગયા. અને ત્યાં તેને સજા કરવામાં આવી. તેની નજર આગળ તેના દીકરાઓને રહેંસી નાખવામાં આવ્યા અને ત્યાર પછી તેની આંખો ફોડી નાખી, સાંકળે બાંધી તેને બાબિલ લઈ જવામાં આવ્યો.

યરૂશાલેમનો વિનાશ

બાબિલના રાજા નબૂખાદનેસ્સારના શાસનના ઓગણીસમાં વર્ષમાં, પાંચમા મહિનાના સાતમા દિવસે, રાજાના અંગરક્ષકો, તેમનો સરદાર, નબૂઝારઅદાન અને તેના મંત્રીઓ યરૂશાલેમમાં પ્રવેશ્યા, યહોવાના મંદિરને, રાજાના મહેલને અને શહેરનાં બધાં મકાનોને બાળી મૂક્યાં.

10 તેના લશ્કરે નગરની દીવાલો તોડી નાખી. 11 તેણે શહેરની બાકી રહેલી વસ્તીને, અને જેઓ બાબિલના રાજાના પક્ષમાં ચાલ્યા ગયા હતા તેમને રક્ષકોના નાયક નબૂઝારઅદાને દેશવટો દીધો. 12 અને ફકત વસ્તીના ગરીબમાં ગરીબ વર્ગને દ્રાક્ષની વાડીમાં અને ખેતરમાં મજૂરી કરવા માટે પાછળ રહેવા દીધા.

13 બાબિલવાસીઓએ યહોવાના મંદિરમાંના કાંસાના થાંભલા, પૈડાવાળી ઘોડીઓ અને કાંસાનો સમુદ્ર તે બધું તેમણે ભાંગી નાખ્યું અને કાંસુ બાબિલ લઈ ગયા. 14 વળી તેઓ યહોવાના મંદિરમાં વપરાંતા કાંસાના બધાં વાસણો, કૂંડાં, કુહાડીઓ, થાળીઓ, વાટકા અને બધી વસ્તુઓ પણ લઈ ગયા. 15 સોનાચાંદીનાં પાત્રોને પણ કબજે કરીને તેઓ લઈ ગયા. 16 કાંસાના બે સ્તંભો, સમૂદ્ર અને પૈડાવાળી ઘોડીઓનું વજન કરવું અશકય હતું કેમ કે તે ઘણા વજનદાર હતા. આ સર્વ વસ્તુઓ સુલેમાન રાજાએ યહોવાના મંદિરને માટે બનાવડાવી હતી. 17 એક સ્તંભની ઊંચાઈ અઢાર હાથ હતી, અને તેના પર કાંસાની મથોટી હતી અને તેની ઉંચાઈ ત્રણ હાથ હતી, તે એક ઢાંકણું હતું જે ગોળ ફરતું હતું અને દરવાજે લટકતું હતું મથાળા પર ચોગરદમ જાળી તથા દાડમો પાડેલાં હતાં, અને તે એક ગોળાકાર જેવું માળખું હતું. બીજો સ્તંભ પણ જાળીદાર નકશી પાડેલી હતી અને તેના જેવો જ હતો.

બંદિવાન બનતા યહૂદીઓ

18 રક્ષકોના નાયકે મુખ્ય યાજક સરાયાને, તેની હાથ નીચેના યાજક સફાન્યાને અને ત્રણ દ્વારપાળોને કેદ પકડયા.

19 ત્યાર પછી તેણે નગરમાંથી લશ્કરના વડા અમલદારને, નગરમાંથી મળી આવેલા રાજાના પાંચ સલાહકારોને, સેનાપતિના લશ્કરની ભરતી અને તાલીમનું કામ સંભાળનાર મંત્રીને, તેમજ પ્રદેશના 60 સામાન્ય લોકોને, જેઓ નગર માંથી મળ્યા હતાં તેમને સાથે લીધા.

20 અને એ બધાને તે હમાથના પ્રદેશમાં આવેલા રિબ્લાહમાં બાબિલના રાજા આગળ લઈ ગયા. 21 અને ત્યાં બાબિલના રાજાએ તેમને ફટકા મરાવીને મારી નંખાવ્યા. આમ યહૂદાવાસીઓને બંદીવાન બનાવીને, તેઓના દેશમાંથી લઈ જવામાં આવ્યા.

યહૂદાનો શાસન કર્તા ગદાલ્યા

22 બાબિલના રાજા નબૂખાદનેસ્સારે જે લોકોને યહૂદાના પ્રદેશમાં રહેવા દીધા હતા, તેમના પર રાજય કરવાને તેણે શાફાનના પુત્ર અહીકામના પુત્ર ગદાલ્યાને યહૂદામાં શાસન કર્તા તરીકે નીમ્યો.

23 જયારે લશ્કરી ટુકડીઓના સેનાપતિઓએ અને તેમના માણસોએ સાંભળ્યું કે બાબિલના રાજાએ ગદાલ્યાને શાસન કર્તા નીમ્યો છે, ત્યારે તેઓ તેને મળવા મિસ્પાહ ગયા, એટલે નથાન્યાનો પુત્ર ઇશ્માએલ, કારેઆહનો પુત્ર યોહાનાન, નટોફાથી તાન્હુમેથનો પુત્ર સરાયા, માઅખાથીનો પુત્ર યાઅઝાન્યા, અને તેઓના માણસો ગદાલ્યાને મળ્યા. 24 તેમની અને તેમના માણસોની સામે ગદાલ્યાએ વચન આપીને કહ્યું કે, “બાબિલવાસીઓથી ડરશો નહિ, દેશમાં શાંતિથી રહો અને બાબિલના રાજાનું પ્રભુત્વ સ્વીકારો, એટલે તે તમારી પ્રત્યે સારો રહેશે.”

25 સાતમા મહિનામાં રાજવંશના એલીશામાનો અને નથાન્યાના પુત્ર ઇશ્માએલે દસ માણસો સાથે ગદાલ્યા પાસે આવીને તેમજ મિસ્પાહમાં તેની સાથે રહેતા યહૂદાવાસીઓને અને બાબિલવાસીઓને મારી નાખ્યા. 26 ત્યારબાદ નાનાંમોટાં બધાંજ લોકો ઇસ્રાએલીઓ તથા લશ્કરના અમલદારો બાબિલવાસીઓની બીકથી મિસર ભાગી ગયા.

27 યહૂદાના રાજા યહોયાખીનને પણ બંદીવાસમાંથી મુકત કરવામાં આવ્યો. આમ આ દેશનિકાલના સાડત્રીસમા વર્ષમાં બન્યું. છેલ્લા માસના સત્તાવીસમે દિવસે બાબિલના રાજા એવીલ-મરોદાખે, પોતે ગાદીએ બેઠો અને તે જ વરસે યહૂદાના રાજા યહોયાખીનને માફી અપાઇ અને તેને કારાવાસમાંથી મુકત કરવામાં આવ્યો. 28 તેણે તેના પ્રત્યે માયાળુ વર્તાવ રાખ્યો અને તેને બાબિલમાં પોતાની સાથેના બીજા રાજાઓ કરતાં ઊંચે આસને બેસાડયો. 29 આથી યહોયાખીને કારાવાસનાં કપડાં ઉતારી સામાન્ય નાગરિકનો પોષાક પહેરી, બાકીનું જીવન રાજાના આશ્રિત તરીકે વિતાવ્યું. એક જ મેજ પર બેસી તેણે તેમની સાથે ભોજન લીધું 30 અને જ્યાં સુધી તે જીવ્યો ત્યાં સુધી રાજાએ તેને ભાણું અને આધાર આપ્યો.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International