Print Page Options
Previous Prev Day Next DayNext

Beginning

Read the Bible from start to finish, from Genesis to Revelation.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
પ્રેરિતોનાં કૃત્યો 11-13

પિતરનું યરૂશાલેમમાં પુનરાગમન

11 યહૂદિયાના પ્રેરિતો અને ભાઈઓએ સાંભળ્યું કે બિનયહૂદિઓએ પણ દેવની વાતોનો સ્વીકાર કર્યો છે. પરંતુ જ્યારે પિતર યરૂશાલેમ આવ્યો. કેટલાક યહૂદિ વિશ્વાસીઓએ તેની સાથે દલીલો કરી. તેઓએ કહ્યું, “તું લોકોના જે ઘરમાં ગયો તેઓ યહૂદિઓ નહોતા, અને તેઓએ સુન્નત કરાવી નહોતી! તેં તેઓની સાથે ખાધું પણ ખરું!”

પિતરે તેઓને આખી વાત સમજાવી. પિતરે કહ્યું, “હું યાફાના શહેરમાં હતો. જ્યારે હું પ્રાર્થના કરતો હતો, એક દર્શન મારી સામે આવ્યું. મેં દર્શનમાં આકાશમાંથી કંઈક નીચે આવતું જોયું, તે એક મોટી ચાદર જેવું દેખાતું હતું. તે તેના ચાર ખૂણાઓથી જમીન પર નીચે ઉતરતી હતી. તે નીચે આવીને મારી નજીક અટકી ગઈ. મેં તેની અંદર જોયું. મેં પાળેલાં અને જંગલી બંને પ્રકરના પ્રાણીઓ જોયાં. મેં પેટે સરકતાં પ્રાણીઓ અને હવામાં ઊડતાં પક્ષીઓ જોયા. મેં એક વાણી મને એમ કહેતી સાંભળી કે, ‘ઊભો થા. પિતર, આમાંથી કોઇ પ્રાણીને મારી નાખ અને તે ખા!’

“પણ મેં કહ્યું, ‘હું કદાપિ તે નહિ કરું, પ્રભુ! મેં કદાપિ નાપાક કે અશુદ્ધ હોય એવું કંઈ ખાધું નથી.’

“પરંતુ આકાશમાંના અવાજે ફરીથી કહ્યું, ‘દેવે આ વસ્તુઓ સ્વચ્છ બનાવી છે. તેને નાપાક કહીશ નહિ!’

10 “આ ત્રણ વખત બન્યું. પછી તે આખી વસ્તુ આકાશમાં પાછી લઈ લેવામાં આવી. 11 પછી હું જ્યાં રહેતો હતો ત્યાં તે ઘરમાં તરત જ ત્રણ માણસો આવી પહોંચ્યા. ત્રણ માણસો કૈસરિયા શહેરમાંથી મારી પાસે મોકલવામાં આવ્યા હતા. 12 આત્માએ મને કોઇ પણ જાતની શંકા રાખ્યા વિના તેમની સાથે જવા કહ્યું. આ છ ભાઈઓ જે અહીં હતા તેઓ મારી સાથે આવ્યા. અમે કર્નેલિયસના ઘરે ગયા. 13 કર્નેલિયસે અમને દૂત વિષે કહ્યું. જેને તેના ઘરમાં ઊભેલો જોયો. દૂતે કર્નેલિયસને કહ્યું, ‘સિમોન પિતરને આવવા માટેનું નિમંત્રણ આપવા માટે કેટલાક માણસોને યાફા મોકલ. 14 તે તને જે વાતો કહેશે તેના વડે તું અને તારા ઘરનાં બંને તારણ પામશો.’

15 “મેં બોલવાનો આરંભ કર્યા બાદ તરત જ પવિત્ર આત્મા તેઓના પર ઉતર્યો. જે રીતે શરૂઆતમાં તે (પવિત્ર આત્મા) અમારા પર ઉતર્યો હતો. 16 પછી મેં પ્રભુની વાણીનું સ્મરણ કર્યુ. પ્રભુએ કહ્યું, ‘યોહાને પાણીથી લોકોનું બાપ્તિસ્મા કર્યુ. પણ તું પવિત્ર આત્મામાં બાપ્તિસ્મા પામશે!’ 17 દેવે આ લોકોને તે જ ભેટ આપી જે તેણે અમને કે જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ રાખતા હતા, તેમને આપી હતી. તો પછી હું કોણ કે દેવના કામને અટકાવું? ના!”

18 જ્યારે યહૂદિ વિશ્વાસીઓએ આ વાતો સાંભળી, તેઓએ દલીલો કરવાનું બંધ કર્યુ. તેઓએ દેવને મહિમા આપતાં કહ્યું, “તેથી દેવ બિનયહૂદિઓને પસ્તાવો કરવાનું મન આપ્યું છે અને આપણા જેવું જીવન પામવા માટે સંપત્તિ આપે છે.”

અંત્યોખમાં સુવાર્તા

19 સ્તેફનના મૃત્યુ પછી થયેલી સતાવણીને લીધે વિશ્વાસીઓ વિખરાઈ ગયા હતા. કેટલાક વિશ્વાસીઓ તે દૂર દૂરના સ્થળે ફિનીકિયા, સૈપ્રસ અને અંત્યોખ ગયા હતા. વિશ્વાસીઓએ સુવાર્તા આ જગ્યાઓએ કહી, પણ તેઓએ તે ફક્ત યહૂદિઓને જ કહી. 20 આ વિશ્વાસીઓમાંના કેટલાક સૈપ્રસ અને કુરેનીના માણસો હતા. જ્યારે આ માણસો અંત્યોખમાં આવ્યા. તેઓએ આ ગ્રીક લોકોને પણ પ્રભુ ઈસુ વિષેની સુવાર્તા કહી. 21 પ્રભુ વિશ્વાસીઓને મદદ કરતો હતો અને એક મોટો લોકોનો સમૂહ પ્રભુમાં માનવા લાગ્યો અને તેને અનુસરવા લાગ્યો.

22 યરૂશાલેમમાં મંડળીએ આ નવા વિશ્વાસીઓ વિષે સાંભળ્યું. તેથી યરૂશાલેમના વિશ્વાસીઓએ બાર્નાબાસને અંત્યોખમાં મોકલ્યો. 23-24 બાર્નાબાસ એક સારો માણસ હતો. તે પવિત્ર આત્માથી અને પૂર્ણ વિશ્વાસથી ભરપૂર હતો. જ્યારે બાર્નાબાસ અંત્યોખ ગયો. તેણે જોયું કે દેવે આ લોકોને ઘણા આશીર્વાદ આપ્યા છે, આથી બાર્નાબાસ ઘણો પ્રસન્ન થયો. તેણે અંત્યોખમાં બધા વિશ્વાસીઓને પ્રોત્સાહન આપ્યું. તેણે તેઓને કહ્યું, “તમારો વિશ્વાસ કદી ગુમાવો નહિ, હંમેશા તમારા ખરા હ્રદયપૂર્વક પ્રભુની આજ્ઞાઓ માનો,” ઘણા બધા લોકો પ્રભુ ઈસુના શિષ્યો બન્યા.

25 પછી બાર્નાબાસ તાર્સસના શહેરમાં ગયો. તે શાઉલની શોધમાં હતો. 26 જ્યારે તેણે શાઉલને શોધ્યો ત્યારે તે તેને અંત્યોખ લાવ્યો. શાઉલ અને બાર્નાબાસ ત્યાં આખું એક વર્ષ રહ્યા. દરેક વખતે વિશ્વાસીઓનો સમૂહ ભેગો મળતો. શાઉલ અને બાર્નાબાસ તેઓને મળ્યા અને સાથે રહીને ઘણા લોકોને બોધ કર્યો, અંત્યોખના શહેરમાં ઈસુના શિષ્યો સૌ પ્રથમ વાર જ “ખ્રિસ્તી” તરીકે ઓળખાયા.

27 લગભગ તે સમય દરમ્યાન કેટલાક પ્રબોધકો યરૂશાલેમથી અંત્યોખ ગયા. 28 આમાંના એક પ્રબોધકનું નામ આગાબાસ હતું. અંત્યોખમાં આગાબાસ ઊભો થયો અને બોલ્યો. પવિત્ર આત્માની સહાયથી તેણે કહ્યું, “આખા વિશ્વ માટે ઘણો ખરાબ સમય આવી રહ્યો છે. ત્યાં લોકોને ખાવા માટે ખોરાક મળશે નહિ.” (આ સમયે જ્યારે કલોદિયસ બાદશાહ હતો ત્યારે દુકાળ પડ્યો હતો.) 29 વિશ્વાસીઓએ નિર્ણય કર્યો કે તેઓ બધા તેઓના ભાઈઓને તથા બહેનોને જે યહૂદિયામાં રહે છે તેઓને મદદ કરવા પ્રયત્ન કરશે. પ્રત્યેક વિશ્વાસીએ પોતાના સાર્મથ્ય અનુસાર તેઓને મોકલવાની યોજના ઘડી. 30 તેઓએ પૈસા ભેગા કર્યા અને તે બાર્નાબાસને અને શાઉલને આપ્યા. પછી બાર્નાબાસ અને શાઉલે તે (નાણાં) યહૂદિયાના વડીલો પર મોકલ્યા.

હેરોદ અગ્રિપાએ મંડળીનું કરેલું નુકસાન

12 એ સમય દરમ્યાન રાજા હેરોદે[a] મંડળીના કેટલાક લોકોની સતાવણી શરું કરી. હેરોદે યાકૂબને તલવારથી મારી નાખવાનો હુકમ કર્યો. યાકૂબ યોહાનનો ભાઈ હતો. હેરોદે જોયું કે યહૂદિઓને આ ગમે છે તેથી તેણે પિતરને પણ પકડવાનો નિર્ણય કર્યો. (પાસ્ખા પર્વના યહૂદિઓના બેખમીર રોટલીના પવિત્ર સમય દરમ્યાન આ બન્યું.) હેરોદે પિતરને પકડીને બંદીખાનામાં મૂક્યો. 16 સૈનિકોનો સમૂહ પિતરનું રક્ષણ કરતો. પાસ્ખાપર્વના ઉત્સવ પછી રાહ જોવાની હેરોદની ઈચ્છા હતી. પછી તેણે પિતરને લોકોની આગળ લાવવાની યોજના કરી. તેથી પિતરને જેલમાં રાખવામાં આવ્યો. પરંતુ મંડળીમાં પિતર માટે આગ્રહથી દેવની પ્રાર્થના થતી હતી.

પિતરનો જેલમાંથી છૂટકારો

પિતર બે સૈનિકોની વચમાં ઊંઘતો હતો. તેને બે સાંકળો વડે બાંધવામાં આવ્યો હતો. ઘણા સૈનિકો જેલના દરવાજે ચોકી કરતા હતા. તે રાત્રે હેરોદે બીજા દિવસે પિતરને લોકો આગળ રજૂ કરવાની યોજના કરી. એકાએક, ત્યાં, પ્રભુનો દૂત આવીને ઊભો. ઓરડામાં પ્રકશ પથરાયો. દૂતે પિતરને કૂંખે સ્પર્શ કર્યો અને તેને જગાડ્યો. તે દૂતે કહ્યું, “ઉતાવળ કર, ઊભો થા!” સાંકળો પિતરના હાથમાંથી નીચે પડી. તે દૂતે પિતરને કહ્યું, “કપડાં પહેર અને તારા જોડા પહેર.” અને તેથી પિતરે તે જ પ્રમાણે કર્યુ. પછી તે દૂતે કહ્યું, “તારું અંગરખું પહેર અને મારી પાછળ આવ.”

તેથી દૂત બહાર આવ્યો અને પિતર તેને અનુસર્યો. દૂત જે કરે છે તે ખરેખરું છે એમ તે સમજતો નહોતો, તેણે વિચાર્યુ કે તે એક દર્શન જોઈ રહ્યો છે. 10 પિતર અને દૂતે પહેલી અને બીજી ચોકી વટાવી. પછી તેઓ લોખંડના દરવાજા પાસે આવ્યા. તે દરવાજાથી તેઓ છૂટા પડ્યા. દરવાજો તેને માટે જાતે જ ઊધડી ગયો, પિતર અને દૂત દરવાજામાંથી ગયા અને એક મહોલ્લામાં ચાલ્યા. પછી દૂત તરત જતો રહ્યો.

11 પછી શું બન્યું હતું તેનું ભાન પિતરને થયું. તેણે વિચાર્યુ, “હવે મને ખબર પડી કે પ્રભુએ ખરેખર તેના દૂતને મારી પાસે મોકલ્યો હતો. તેણે મને હેરોદથી બચાવ્યો. યહૂદિ લોકોએ વિચાર્યુ કે મારી સાથે ખરાબ થવાનું હતું પરંતુ પ્રભુએ મને આ બધી બાબતોમાંથી બચાવ્યો છે.”

12 જ્યારે પિતરને આ સમજાયું ત્યારે, તે મરિયમને ઘરે ગયો. તે યોહાનની મા હતી. (યોહાનનું બીજું નામ માર્ક હતું.) ઘણા માણસો ત્યાં ભેગા થયા હતા. તેઓ બધા પ્રાર્થના કરતા હતા. 13 પિતરે બહારનો દરવાજો ખખડાવ્યો. એક રોદા નામની જુવાન દાસી ખબર કાઢવા આવી. 14 રોદાએ પિતરનો અવાજ ઓળખ્યો. અને તે ખૂબ આનંદ પામી હતી. તે દરવાજો ઉઘાડવાનું પણ ભૂલી ગઇ. તે અંદર દોડી ગઇ અને સમૂહને કહ્યું, “પિતર બારણાં આગળ ઊભો છે!” 15 વિશ્વાસીઓએ રોદાને કહ્યું, “તું તો ઘેલી છે!” પણ તેણીએ કહેવાનું ચાલુ રાખ્યું કે, તે સાચું હતું. તેથી તેઓએ કહ્યું, “તે પિતરનો દૂત હોવો જોઈએ.”

16 પણ પિતરે બારણું ખખડાવવાનું ચાલુ રાખ્યું. જ્યારે વિશ્વાસીઓએ બારણું ઉઘાડ્યું, તેઓએ પિતરને જોયો. તેઓ નવાઇ પામ્યા. 17 પિતરે તેના હાથના ઇશારાથી તેઓને શાંત રહેવા કહ્યું. તેણે તેઓને સમજાવ્યું કે પ્રભુ તેને કેવી રીતે બંદીખાનામાંથી બહાર લાવ્યો. તેણે કહ્યું, “જે કંઈ બન્યું છે તે યાકૂબને તથા બીજા ભાઈઓને કહો.” પછી પિતર બીજી કોઇ જગ્યાએ જવા માટે ચાલ્યો ગયો.

18 બીજા દિવસે સૈનિકો બહું મુંઝવણમાં હતા. અને પિતરને આ શું થયું હશે તેનું તેઓને અચરજ થયું હતું. 19 હેરોદે પિતરની શોધ દરક સ્થળે કરાવી પણ તેને શોધી શક્યા નહિ. તેથી હેરોદે ચોકીદારોને પ્રશ્રો પૂછયા અને તેણે ચોકીદારોને મારી નાખવાનો હુકમ કર્યો.

હેરોદ અગ્રિપાનું અવસાન

પાછળથી હેરોદે યહૂદિયા છોડ્યું. તે કૈસરિયા શહેરમાં ગયો અને થોડો સમય ત્યાં રહ્યો. 20 હેરોદ તૂરના તથા સિદોન શહેરોના લોકો પર ઘણો જ ગુસ્સે હતો. તે બધા લોકો સમૂહમાં હેરોદ પાસે આવ્યા. તેઓ તેઓના પક્ષમાં બ્લાસ્તસને લેવા શક્તિમાન હતા. બ્લાસ્તસ રાજાનો ખાનગી સેવક હતો. લોકોએ હેરોદને શાંતિ માટે પૂછયું, કારણ કે તેઓના દેશને ખોરાકના પૂરવઠા માટે હેરોદના પ્રદેશ પર આધાર રાખવો પડતો હતો.

21 હેરોદે તેઓની સાથે મળવા માટે એક દિવસ નક્કી કર્યો. તે દિવસે હેરોદ સુંદર રાજપોશાક પહેરીને તે તેની રાજગાદી પર બેઠો અને લોકો સમક્ષ ભાષણ કર્યુ. 22 લોકોએ પોકાર કર્યો, “આ વાણી દેવની છે, એક માણસની નથી!” 23 હેરોદે આ મહિમા સ્વીકાર્યો અને દેવને મહિમા આપ્યો નહિ. તેથી અચાનક પ્રભુના દૂતે તેને માંદો પાડ્યો. તેને અંદરથી કીડાઓ ખાઈ ગયા અને તે મૃત્યુ પામ્યો.

24 દેવની વાત પ્રસરતી હતી અને વધારે ને વધારે લોકોને પ્રભાવિત કરતી હતી. વિશ્વાસીઓનો સમૂહ મોટો ને મોટો થતો જતો હતો.

25 યરૂશાલેમમાં બાર્નાબાસ અને શાઉલે તેઓનું કામ પૂર્ણ કર્યુ. તેઓ અંત્યોખ પાછા ફર્યા. યોહાન માર્ક તેઓની સાથે હતો.

બાર્નાબાસ અને શાઉલનાં વિશિષ્ટ કાર્યો

13 અંત્યોખમાં જે મંડળી હતી, તેમાં કેટલાક પ્રબોધકો અને ઉપદેશકો હતા. એટલે બાર્નાબાસ, શિમયોન (જે નિગર તરીકે ઓળખાતો હતો તે), લૂકિયસ (કુરેનીનો), મનાહેમ (જે હેરોદ રાજા સાથે ઉછરીને મોટા થયો હતો) તથા શાઉલ હતા. આ બધા માણસો પ્રભુની સેવા અને ઉપવાસ કરતા હતા. પવિત્ર આત્માએ તેઓને કહ્યું, “બાર્નાબાસ અને શાઉલ વિશિષ્ટ કાર્યો કરવા માટે મને આપો. મેં આ કામ કરવા માટે તેઓની પસંદગી કરેલ છે.”

તેથી મંડળીએ પ્રાર્થના અને ઉપવાસ કર્યા. તેઓએ તેઓના હાથ બાર્નાબાસ અને શાઉલ પર મૂક્યા અને તેઓને બહાર મોકલ્યા.

સૈપ્રસમાં બાર્નાબસ અને શાઉલ

પવિત્ર આત્મા દ્ધારા બાર્નાબાસ અને શાઉલને બહાર મોકલવામાં આવ્યા. તેઓ સલૂકિયાના શહેરમાં ગયા. ત્યાંથી પછી સલૂકિયાથી સૈપ્રસ ટાપુ તરફ વહાણ હંકારી ગયા. જ્યારે બાર્નાબાસ અને શાઉલ સલામિસના શહેરમાં આવ્યા, તેઓએ યહૂદિઓના સભાસ્થાનોમાં દેવનું વચન પ્રગટ કર્યુ. (યોહાન માર્ક પણ તેઓની સાથે મદદમાં હતો.)

તેઓ આખો ટાપુ ઓળંગીને પાફસના શહેરમાં ગયા. ત્યાં તેઓ એક યહૂદિ માણસને મળ્યા જે જાદુના ખેલ કરતો હતો. તેનું નામ બર્યેશું હતું. તે એક જૂઠો પ્રબોધક હતો. બર્યેશુ હંમેશા સર્ગિયુસ પાઉલની નજીક રહેતો, સર્ગિયુસ પાઉલ એક હાકેમ હતો. અને તે ખૂબ જ શાણો માણસ હતો. તેણે બાર્નાબાસ અને શાઉલને તેની પાસે આવવા કહ્યું. દેવનો સંદેશ સાંભળવાની તેની ઈચ્છા હતી. પરંતુ અલિમાસ જાદુગર, બાર્નાબાસ અને શાઉલની વિરૂદ્ધ હતો. (ગ્રીક ભાષામાં બર્યેશુ માટે અલિમાસ નામ છે.) અલિમાસે હાકેમને ઈસુના વિશ્વાસમાંથી અટકાવવાનો પ્રયત્ન કર્યો. પણ શાઉલ તો પવિત્ર આત્માથી ભરપૂર હતો. પાઉલે (શાઉલનું બીજું નામ) અલિમાસ (બર્યેશુ) તરફ જોયું. 10 અને કહ્યું, “ઓ, શેતાનના દીકરા! તું જે કંઈ બધું ન્યાયી છે તેનો દુશ્મન છે. તું દુષ્ટ યુક્તિઓ અને જૂઠાણાંથી ભરપૂર છે. તું હંમેશા દેવના સત્યને અસત્યમાં ફેરવવા માટે પ્રયત્ન કરે છે. 11 હવે પ્રભુ તને સ્પર્શ કરશે અને તું આંધળો થઈશ. કેટલાક સમય માટે તું કંઈ જોઈ શકીશ નહિ-સૂર્યનો પ્રકાશ પણ નહિ.”

પછી અલિમાસ માટે બધુંજ અંધકારમય બની ગયું. તે આજુબાજુ ચાલતા ભૂલો પડી ગયો. તે કોઈકને શોધવાનો પ્રયત્ન કરતો હતો, જે તેનો હાથ પકડીને દોરી શકે. 12 જ્યારે હાકેમે આ જોયું ત્યારે પ્રભુના બોધથી તે આશ્ચર્યચકિત થઈ ગયો.

પાઉલ અને બાર્નાબાસનું સૈપ્રસ છોડવું

13 પાઉલ અને તેની સાથે જે લોકો હતા તેઓ પાફસથી દૂર હોડી હંકારી ગયા. તેઓ પર્ગે નામના પમ્ફલિયા શહેરમાં આવ્યા. યોહાન માર્ક તેઓને છોડીને યરૂશાલેમમાં પાછો ફર્યો. 14 તેઓએ પર્ગેનો તેમનો પ્રવાસ ચાલુ રાખ્યો અને પિસીદિયાના નજીકના શહેર અંત્યોખમાં આવ્યા.

અંત્યોખમાં તેઓ વિશ્રામવારે યહૂદિઓના સભાસ્થાનમાં જઈને બેઠા. 15 મૂસાના નિયમશાસ્ત્ર અને પ્રબોધકનાં લખાણો વંચાયા. પછી સભાસ્થાનના આગેવાનોએ પાઉલ અને બાર્નાબાસને સંદેશો મોકલ્યો, “ભાઈઓ, જો તમારી પાસે અહી લોકો માટે બોધરૂપી સંદેશ હોય તો, મહેરબાની કરીને બોલો!”

16 પાઉલ ઊભો થયો. તેણે તેનો હાથ ઊચો કર્યો અને કહ્યું, “મારા યહૂદિ ભાઈઓ અને બીજા લોકો તમે જે સાચા દેવની ભક્તિ કરો છો, કૃપા કરીને મને સાંભળો! 17 ઈસ્ત્રાએલના દેવે આપણા પૂર્વજોને પસંદ કર્યા છે. તેઓ મિસર દેશમાં અજ્ઞાત રીતે રહેતા હતા, ત્યારે તે સમય દરમ્યાન દેવે તેના લોકોને સફળ થવામાં મદદ કરી. દેવ તેઓને તે દેશમાંથી વધારે સાર્મથ્યથી બહાર લાવ્યો. 18 અને 40 વરસ સુધી દેવે રણમાં તેઓનું વર્તન ધીરજપૂર્વક સહન કર્યું. 19 દેવે કનાનની ભૂમિનાં સાત રાષ્ટ્રોનો વિનાશ કર્યો. 20 આ બધું લગભગ 450 વર્ષમાં બન્યું.

“આ પછી, દેવે આપણા લોકોને શમુએલ પ્રબોધકના સમય સુધી ન્યાયાધીશો આપ્યા. 21 પછી તે લોકોએ રાજાની માંગણી કરી. તેથી દેવે તેઓને કીશનો દીકરો શાઉલ આપ્યો. શાઉલ બિન્યામીનના કુળનો હતો. તે 40 વર્ષ રાજા રહ્યો. 22 પછી દેવે શાઉલને દૂર કરીને દાઉદને રાજા બનાવ્યો. દેવે દાઉદ વિષે જે કહ્યું તે આ છે, ‘દાઉદ, એ યશાઇનો દીકરો કે જે તેના વિચારોમાં મારા જેવો છે. હું તેની પાસે જે કરાવવા ઇચ્છું છું તે બધુંજ તે કરશે.’

23 “દેવે દાઉદના વંશમાંથી એકને ઈસ્રાએલનો તારનાર તરીકે ઊભો કર્યો. તે વંશજ ઈસુ છે. દેવે આ કરવાનું વચન આપ્યું. 24 ઈસુના આગમન પહેલા, યોહાને બધા યહૂદિ લોકોને બોધ આપ્યો. તેઓ પુસ્તાવો ઈચ્છે છે તે બતાવવા માટે યોહાને તે લોકોને બાપ્તિસ્મા લેવા કહ્યું. 25 જ્યારે યોહાન તેનું કાર્ય પુરું કરતો હતો, ત્યારે તેણે કહ્યું, ‘હું કોણ છું એ વિષે તમે શું ધારો છો? હું તે ખ્રિસ્ત નથી. તે મોડેથી આવશે. હું તો તેના જોડા છોડવાને પણ યોગ્ય નથી.’

26 “મારા ભાઈઓ, ઈબ્રાહિમના વંશજોના દીકરાઓ અને તમે બિનયહૂદિઓ કે જેઓ સાચા દેવને ભજો છો, ધ્યાનથી સાંભળો! આ તારણ વિષેના સમાચાર અમને મોકલવામાં આવેલ છે. 27 યરૂશાલેમમાં રહેતા યહૂદિઓ અને યહૂદિ અધિકારીઓ ઈસુ તારનાર હતો તેનો અનુભવ કરતા નથી. પ્રબોધકોએ ઈસુ વિષે જે વચન કહ્યા છે તે પ્રત્યેક વિશ્રામવારે યહૂદિઓ સમક્ષ વાંચવામાં આવતા હતાં. પણ તેઓ સમજતા નહોતા. યહૂદિઓએ ઈસુનો તિરસ્કાર કર્યો, આ રીતે તેઓએ પ્રબોધકોના શબ્દોને સાચા બનાવ્યા! 28 ઈસુના મૃત્યુદંડ માટે તેઓને કોઇ ચોક્કસ કારણ જડ્યું નહિ પરંતુ તેઓએ પિલાતને તેને મારી નાખવા કહ્યું.

29 “ઈસુના વિષે થનારા ખરાબ બનાવોના લખાણો મુજબ યહૂદિઓએ સઘળું ખરાબ કર્યુ. પછી તેઓએ ઈસુને વધસ્તંભ પરથી ઉતારીને તેને કબરમાં મૂક્યો. 30 પણ દેવે તેને મૃત્યુમાંથી ઉઠાડ્યો! 31 આ પછી ઘણા દિવસો માટે જે લોકો ગાલીલથી યરૂશાલેમ ઈસુ સાથે ગયા હતા, તેઓએ ઈસુને જોયો. તેઓ હમણાં લોકોની આગળ તેના સાક્ષી છે.

32 “અમે દેવે અમારા પૂર્વજોને આપેલાં વચન વિષેની વધામણી કહીએ છીએ. 33 અમે તેનાં બાળકો છીએ. અને દેવે આ વચન અમારા માટે પરિપૂર્ણ કર્યુ છે. દેવે ઈસુને મૃત્યુમાંથી ઉઠાડીને આ કર્યુ છે. આપણે આ વિષે ગીતશાસ્ત્રમાં પણ વાંચીએ છીએ.

‘તુ મારો દીકરો છે,
    આજે હું તારો પિતા થયો છું.’(A)

34 દેવે ઈસુને મૃત્યુમાંથી ઉઠાડ્યો છે. ઈસુ ફરીથી કબરમાં કદાપિ જશે નહિ અને ધૂળમાં ફેરવાશે નહિ. તેથી દેવે કહ્યું:

‘હું તને સાચા અને પવિત્ર વચનો (આશીર્વાદો) આપીશ જે મેં દાઉદને આપ્યાં હતા.’(B)

35 પણ બીજી એક જગ્યાએ દેવ કહે છે:

‘તું તારા પવિત્રનાં શરીરને કબરમાં સડવા દઇશ નહિ.’(C)

36 “દાઉદ જ્યારે જીવતો હતો ત્યારે તેણે દેવની ઈચ્છા પ્રમાણે કર્યુ. પછી તે મૃત્યુ પામ્યો. દાઉદને તેના પૂર્વજોની સાથે દાટવામાં આવ્યો અને કબરમાં તેના શરીરને સડો લાગ્યો. 37 પણ એક જેને દેવે મૃત્યુમાંથી ઉઠાડ્યો તેનું કબરમાં કોહવાણ થયું નહિ. 38-39 ભાઈઓ, અમે તમારી આગળ જે પ્રગટ કરીએ છીએ, તે તમારે સમજવું જોઈએ કે તેના દ્ધારા પાપોની માફી તમને પ્રગટ કરવામાં આવે છે. તેના (ઈસુ) મારફત પ્રત્યેક વ્યક્તિ જે વિશ્વાસીઓ છે તેને બધામાંથી મુક્તિ મળશે. જેમાં મૂસાનો નિયમ પણ તમને મુક્ત કરી શકે તેમ નથી. પ્રત્યેક વિશ્વાસ કરનાર ઈસુ દ્ધારા ન્યાયી ઠરે છે. 40 ધ્યાનથી સાંભળો! રખેને પ્રબોધકોના લેખમાંનુ આ વચન તમારા પર આવી પડે કે:

41 ‘ઓ તિરસ્કાર કરનારાઓ!
    સાંભળો, તમે આશ્ચર્ય પામશો, અને નાશ પામશો;
કારણ કે તમારા સમય દરમ્યાન
    હું (દેવ) કંઈક કરીશ જે તમે માનશો નહિ.
કદાચ જો કોઇ તમને તે સમજાવે તો પણ તમે તે માનશો નહિ!’”(D)

42 જ્યારે પાઉલ અને બાર્નાબાસ સભાસ્થાન છોડતા હતા, લોકોએ પાઉલ અને બાર્નાબાસને આ પછીના બીજા વિશ્રામવારે આ વિષે વધારે કહેવા માટે ફરીથી આવવા કહ્યું. 43 સભા વિસર્જન થયા પછી, યહૂદિઓ અને ઘણા લોકો જે યહૂદિધર્મમાં પરિવર્તન થયા હતા અને સાચા દેવની ભક્તિ કરતા હતા તેઓ પાઉલ અને બાર્નાબાસને અનુસર્યા. પાઉલ અને બાર્નાબાસે તેઓને વાત કરી અને દેવની કૃપામાં ચાલુ રહેવા સમજાવ્યા.

44 બીજા વિશ્રામવારે, લગભગ શહેરના બધા જ લોકો પ્રભુનો બોધ સાંભળવા ભેગા મળ્યા. 45 યહૂદિઓએ આ બધા લોકોને ત્યાં જોયા. તેથી યહૂદિઓને વધારે ઈર્ષા થઈ. તેઓએ થોડાક અપશબ્દો કહ્યા. અને પાઉલે જે કહ્યું હતું તેના વિરોધમાં દલીલો કરી. 46 પણ પાઉલ તથા બાર્નાબાસે ઘણી હિંમત રાખીને કહ્યું, તેઓએ કહ્યું, “અમારે પ્રથમ તમને યહૂદિઓને દેવના વચનો કહેવા જોઈએ. પણ તમે ધ્યાનથી સાંભળવાની ના પાડી. તમે તમારી જાતે ખોવાઇ જાઓ છો, અનંતજીવન પામવાને તમે પોતાને અયોગ્ય ઠરાવો છો! તેથી અમે હવે બીજા રાષ્ટ્રોના લોકો પાસે જઈશું. 47 પ્રભુ એ આપણને જે કરવાનું કહ્યું છે તે આ છે. પ્રભુએ કહ્યું છે:

‘મેં તમને બીજા રાષ્ટ્રો માટેનો પ્રકાશ થવા બનાવ્યા છે,
    જેથી કરીને તમે આખા વિશ્વમાં લોકોને તારણનો માર્ગ બતાવી શકશો.’(E)

48 જ્યારે બિનયહૂદિઓએ પાઉલને આમ કહેતા સાંભળ્યો, ત્યારે તેઓએ ખુશ થઈને દેવનું વચન મહિમાવાન માન્યું અને લોકોમાંના ઘણાએ વિશ્વાસ કર્યો. તે લોકોની પસંદગી અનંતજીવન માટે કરવામાં આવી હતી.

49 અને તેથી આખા દેશમાં પ્રભુનો સંદેશ કહેવામાં આવ્યો હતો. 50 પરંતુ યહૂદિઓએ ધાર્મિક તથા કુલીન સ્ત્રીઓને તથા શહેરના અધિકારીઓને ઉશ્કેરણી કરીને પાઉલ અને બાર્નાબાસની સતાવણી કરાવી. પરિણામે આ લોકોએ પાઉલ અને બાર્નાબાસને શહેરની બહાર હાંકી કાઢ્યા. 51 તેથી પાઉલ અને બાર્નાબાસે તેમનાં પગોની ધૂળ ખંખેરી નાખી. પછી તેઓ ઈકોનિયા શહેરમાં ગયા. 52 પરંતુ અંત્યોખમાં ઈસુના શિષ્યો ખુશ હતા અને પવિત્ર આત્માથી ભરપૂર હતા.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International