Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 148-150

યહોવાની સ્તુતિ કરો!

આકાશમાંથી તેમની સ્તુતિ કરો!
    ઉચ્ચસ્થાનમાંથી તેમની સ્તુતિ કરો!
તમે બધાં દેવદૂતો તેમની સ્તુતિ કરો;
    તેમનાં સર્વ સૈન્યો તેમની સ્તુતિ કરો!
સૂર્ય તથા ચંદ્ર, તમે તેની સ્તુતિ કરો!
    સર્વ ઝગઝગતાં તારા તેમની સ્તુતિ કરો!
આકાશોનાં આકાશ તમે યહોવાની સ્તુતિ કરો!
    આકાશ ઉપરના પાણી તેમની સ્તુતિ કરો!
તમે બધાં જેનું તેમણે સર્જન કર્યુ છે તે યહોવાનાં નામની સ્તુતિ કરો;
    કારણ તેના હુકમથીજ તમે જન્મ્યા.
દેવે આ બધી વસ્તુઓ, સદાકાળ માટે સ્થાપન કરી છે તેમણે જે નિયમ પ્રસ્થાપિત કર્યા છે
    તેનો અંત કદાપિ આવશે નહિ અને ઉલ્લંધન કરી શકે નહિ.
હે પૃથ્વી પરના બધાં જ જીવો, તમે યહોવાની સ્તુતિ કરો;
    હે મહાસાગરનાં ઊંડાણોમાં વસતાં સૌ જીવો તેમની સ્તુતિ કરો.
અગ્નિ તથા કરા, હિમ તથા મેઘ;
    આંધીના વાયુ, જે એનુ વચન પૂરુ કરે છે.
તમે પર્વતો તથા ડુંગરો;
    ફળવૃક્ષો તથા સર્વ દેવદારો.
10 હિંસક પ્રાણીઓ તથા સર્વ પશુઓ;
    પેટે ચાલનારાં જીવજંતુ તથા ઊડનારાં પક્ષીઓ;
11 પૃથ્વીના રાજાઓ, અને સર્વ પ્રજાઓ,
    તથા તેઓના અધિકારીઓ તેમજ ન્યાયાધીશો;
12 યુવાનો અને કન્યાઓ,
    વૃદ્ધો અને બાળકો;
13 તમે સર્વે યહોવાની સ્તુતિ કરો
    કારણકે ફકત તેમનું એકલાનું જ નામ પ્રતિષ્ઠાપાત્ર છે!
આકાશ અને પૃથ્વી પરની
    તમામ વસ્તુઓ તેમની સ્તુતિ કરો!
14 તે તેમના લોકોની તાકાત વધારશે,
    તેના વફાદાર સંતો તેમની સ્તુતિ કરો.
સર્વ ઇસ્રાએલીઓ જે લોકો તેમની ખૂબ નજીક છે તે તેમની સ્તુતિ કરો.

યહોવાની સ્તુતિ કરો!

તેમની સમક્ષ નવું ગીત ગાઓ;
    સંતોની સભામાં તેની સ્તુતિ કરો.
ઇસ્રાએલ, તમારા સર્જનહારનાં અસ્તિત્વનો તમે આનંદ કરો;
    સિયોનના લોકો, તમારા રાજાની નિકટતાનો આનંદ મનાવો.
તેઓ તેના નામની સ્તુતિ નૃત્યસહિત કરો;
    ડફ તથા વીણાથી તેનાં સ્તોત્ર ગીત ગાઓ.
કારણકે યહોવા પોતાના લોકોમાં આનંદ માને છે;
    અને નમ્રજનોનો ઉદ્ધાર કરે છે.
તેમનાં સંતો તેમના ગૌરવથી હરખાય છે;
    પથારીમાં સૂતા હોય ત્યારે પણ તમે આનંદના ગીતો ગાઓ.

તેઓના કંઠમાંથી યહોવાની ઉત્તમ સ્તુતિ ગવાઓ;
    અને તેઓના હાથમાં બેધારી તરવાર રહો.
તેઓ બીજા રાષ્ટ્રોને સજા કરે
    અને તેમને પાઠ ભણાવે.
તેઓના રાજાઓને અને આગેવાનોને;
    લોખંડની સાંકળોથી બાંધે.
અને તેઓને દેવના ચુકાદા મુજબ તેઓ સજા કરે!
    યહોવા તેમના બધાં સંતોનો આદર છે.

યહોવાની સ્તુતિ કરો.

યહોવાની સ્તુતિ કરો!

તેમના મંદિરમાં તેમની સ્તુતિ કરો!
    તેમના શકિતશાળી આકાશમાં તેમની સ્તુતિ કરો!
તેનાં પરાક્રમી કાર્યો માટે તેમની સ્તુતિ કરો;
    તેમની અજોડ મહાનતા માટે તેમની સ્તુતિ કરો.
રણશિંગડા વગાડીને તેમની સ્તુતિ કરો;
    સિતાર તથા વીણાથી તેમની સ્તુતિ કરો.
ખંજરી તથાનૃત્યસહિત તેમની સ્તુતિ કરો;
    સારંગી તથા શરણાઇ સાથે તેમની સ્તુતિ કરો.
તીવ્ર સૂરવાળી ઝાંઝોના મોટા અવાજ સાથે તેમની સ્તુતિ ગાઓ,
    ઝાંઝોના હર્ષનાદ સાથે તેમની સ્તુતિ કરો!

શ્વાસોચ્છ્વાસ લેનારાં સર્વ યહોવાની સ્તુતિ કરો!

તમે સૌ યહોવાની સ્તુતિ કરો!

ગીતશાસ્ત્ર 114-115

જ્યારે ઇસ્રાએલીઓ વર્ષો પૂવેર્ મિસરમાંથી નીકળ્યા,
    તેથી પરભાષા બોલનાર લોકોમાંથી યાકૂબનું કુટુંબ નીકળ્યું.
પછી યહૂદિયા દેવનું નવું ઘર
    અને ઇસ્રાએલ દેશ તેમનું રાજ્ય બન્યાં.
તેઓને આવતા જોઇને લાલ સમુદ્ર બે ભાગમાં વહેંચાઇ ગયો;
    યર્દન નદી પાછી વળી અને દૂર દોડી ગઇ.
પર્વતો ઘેટાંઓની માફક કૂદ્યા
    અને ડુંગરો ગાડરની જેમ કૂદ્યા.

અરે લાલ સમુદ્ર! તને શું થઇ ગયું કે તું બે ભાગમાં વહેંચાઇ ગયો?
    યર્દન નદી, શું થયું તારા પાણીનું?
    શા માટે તમે પાછા હઠી ગયા?
અરે પર્વતો, તમે શા માટે ઘેટાંની જેમ કૂદ્યા?
    અને ડુંગરો તમે કેમ હલવાનોની જેમ કૂદ્યા?

હે પૃથ્વી, પ્રભુની સમક્ષ, યાકૂબના દેવની સમક્ષ,
    તું થરથર કાંપ.
તેણે ખડકમાંથી પાણી વહેતું કર્યું.
    તેણે ચકમકમાંથી જળનાં ઝરણા વહાવ્યાં.

હે યહોવા, અમારું નહિ, તમારું નામ થાઓ મહિમાવાન;
    તમારી કૃપા અને તમારા વિશ્વાસુપણા માટે સર્વ સ્તુતિ કરે.
પ્રજાઓ શા માટે એમ પૂછે છે:
    “તમારા દેવ ક્યાં છે?”
કારણ અમારા દેવ સ્વર્ગમાઁ છે
    અને તેમની ઇચ્છા પ્રમાણે કાર્ય કરે છે.
તેઓના દેવો સોના ચાંદીના જ છે;
    તેઓ માણસોના હાથથી ઘડાયેલા છે.
તેઓને મોંઢા છે છતાં બોલતાં નથી;
    તેઓને આંખો છે છતાં જોઇ શકતાં નથી.
તેઓને કાન છે છતાં સાંભળતા નથી; નાક છે,
    પણ, તેઓ સૂંઘી શકતા નથી.
તેઓને હાથ છે પણ ઉપયોગ કરતાં નથી;
    તેઓને પગ છે છતાં તે ચાલી શકતા નથી.
    તેઓ પોતાના ગળામાંથી અવાજ કાઢી શકતા નથી.
જેઓ તેમને બનાવશે, અને તેઓ પર વિશ્વાસ કરશે
    તેઓ બધાં જલ્દી તેમના જેવા થશે.

હે ઇસ્રાએલ, યહોવામાં તમારો ભરોસાઓ રાખો.
    તે તારો તારણહાર છે અને તે તારી ઢાલ છે.
10 હે હારુનપુત્રો, યહોવામાં તમારી શ્રદ્ધા રાખો,
    તે તમારો તારણહાર અને તમારી ઢાલ છે.
11 હે યહોવાના ભકતો તેમનામાં તમારો વિશ્વાસ રાખો,
    તે તમારા મદદગાર અને ઢાલ છે.

12 યહોવાએ આપણને સંભાર્યા છે,
    તે આપણને આશીર્વાદ આપશે;
ઇસ્રાએલપુત્રોને અને હારુનપુત્રોને
    પણ તે આશીર્વાદ આપશે.
13 હે યહોવાના ભકતો,
    નાનાઁમોટાં સર્વને તે આશીર્વાદ આપશે.
14 યહોવા ખચીત તમારા છોકરાંની
    તથા તમારી વૃદ્ધિ કર્યા કરશે.
15 હા, આકાશ અને પૃથ્વીના સર્જક;
    યહોવા પોતે, તમને આશીર્વાદ આપશે.
16 આકાશો તે યહોવાનાઁ પોતાના છે,
    પણ પૃથ્વી તેણે માણસોને આપી છે.
17 મૃત્યુ પામેલાઓ, કબરમાં ઊતરનારાઓ પૃથ્વી પર
    યહોવાના સ્તોત્ર નથી ગાઇ શકતા.
18 પણ અમે આજથી
    સર્વકાળપર્યંત યહોવાની સ્તુતિ કરીશું.

યહોવાની સ્તુતિ થાઓ!

યશાયા 5:1-7

દેવની દ્રાક્ષવાટિકા

હવે હું મારા પ્રિયતમ અને જેને હું સ્નેહ કરું છું તેની સમક્ષ તેની દ્રાક્ષવાટિકા વિષે ગીત ગાઉં છું.

ફળદ્રુપ ટેકરી પર મારા પ્રિયતમની
    એક દ્રાક્ષની વાડી હતી.
તેણે તેને ખેડી અને પથ્થર વીણી કાઢયા.
    અને અતિ ઉત્તમ દ્રાક્ષીના વેલા રોપ્યા,
તેણે તેની વચ્ચે ચોકી કરવાની છાપરી બાંધી
    અને દ્રાક્ષને પીલવા કુંડ ખોદી કાઢયો. એમાં
મીઠી દ્રાક્ષ થશે એવી તેને આશા હતી.
    પણ થઇ ત્યારે તેવી મીઠી દ્રાક્ષ બિલકુલ નહોતી.

દેવે કહ્યું કે, “હે યરૂશાલેમ તથા યહૂદાના લોકો તમે આ કિસ્સો સાંભળ્યો છે?
    તમે ન્યાય કરો!
આથી વિશેષ હું શું કરી શક્યો હોત?
    મારી દ્રાક્ષવાટિકાએ
મને મીઠી દ્રાક્ષને બદલે ખાટી દ્રાક્ષ
    શા માટે આપી?

“માટે હવે સાંભળો,
    મારી દ્રાક્ષનીવાડીનું હું શું કરીશ તે તમને કહું છું:
હું એના વાડાઓ કાઢી
    અને તેનો નાશ થવા દઇશ,
હું એના વાડાઓ તોડી નાખીશ,
    તેને પગ નીચે કચડાવી દઇશ.
અને હું તેને ઉજ્જડ રહેવા દઇશ,
    કોઇ એને કાપશે નહિ અને કોઇ એને ખેડશે નહિ,
    એમાં કાંટા ઝાંખરા ઊગી નીકળશે.
હું વાદળોને આજ્ઞા કરીશ
    કે એમાં કોઇ વરસાદ ન વરસાવો.”

ઇસ્રાએલી લોકો તે સૈન્યોના દેવ યહોવાની દ્રાક્ષવાટિકા છે. યહૂદાના માણસો અને છોડવાઓ જેને પ્રેમથી ઉછેર્યા છે.

તેણે ન્યાયની આશા રાખી હતી.
    પણ બદલો મળ્યો અન્યાય નો!
તેમણે આશા રાખી હતી સદાચારની પણ,
    જે બધું તેણે સાંભળ્યું તે મદદ માટેની બૂમો હતી!

2 પિતર 3:11-18

11 અને મેં કહ્યું તે પ્રમાણે બધી વસ્તુઓનો વિનાશ થશે. તેથી તમારે કેવા પ્રકારના લોકો બનવું જોઈએ? તમારે પવિત્ર જીવન જીવવું જોઈએ અને દેવની સેવા કરવી જોઈએ. 12 તમારે દેવના દિવસ માટે આતુરતાથી રાહ જોવી જોઈએ. અને તેને માટે ખૂબ જ ઈચ્છા રાખવી જોઈએ. જ્યારે એ દિવસ આવશે, ત્યારે આકાશ અગ્નિથી નાશ પામશે, અને આકાશમાંની બધી વસ્તુ ગરમીથી ઓગળી જશે. 13 પરંતુ દેવે આપણને એક વચન આપ્યું છે. અને તે વચન પ્રમાણે નવા આકાશ તથા નવી પૃથ્વી જેમાં ન્યાયીપણું વસે છે, તેની આપણે રાહ જોઈએ છીએ.

14 પ્રિય મિત્રો, આમ બનવાની આપણે રાહ જોઈ રહ્યા છે. તેથી પાપહિન અને ક્ષતિહિન બનવા માટે શક્ય તેટલા વધારે પ્રયત્નશીલ રહો. દેવ સાથે શાંતિમાં રહેવાને યત્ન કરો. 15 યાદ રાખો કે આપણો પ્રભુ ધીરજવાન હોવાથી આપણું તારણ થયું છે. આપણા વહાલા ભાઈ પાઉલે પણ દેવે તેને આપેલી બુદ્ધીથી તમને આ જ બાબત લખી હતી. 16 પાઉલ તેના બધા જ પત્રોમાં આ જ રીતે આ બધી વાતો લખે છે. પાઉલના પત્રોમાં કેટલીક એવી વાતો છે કે જે સમજવામાં અઘરી છે. અને કેટલાએક લોકો તેને ખોટી રીતે સમજાવે છે. તે લોકો આજ્ઞાત છે, અને વિશ્વાસમાં નિબૅળ છે. તે જ લોકો બીજા શાસ્ત્રો[a] ને પણ ખોટી રીતે સમજાવે છે. પરંતુ આમ કરીને તેઓ પોતાનો જ વિનાશ નોતરે છે.

17 પ્રિય મિત્રો, તમે આ બધીજ વાતો અગાઉથી જાણો છો. તેથી સાવધ રહો. તે અનિષ્ટ લોકોને તમને દુરાચારના માર્ગે દોરી ન જવા દો. સાવચેત રહો કે જેથી તમે તમારા સુદઢ વિશ્વાસમાંથી ચલિત ન થાવ. 18 પરંતુ આપણા પ્રભુ અને તારનાર ઈસુ ખ્રિસ્તના જ્ઞાન અને કૃપામા તમે વધતા જાઓ. તેને હમણાં તથા સદાસર્વકાળ મહિમા હો! આમીન.

લૂક 7:28-35

28 હું તમને કહું છું, આજ પર્યંત જે કોઈ જન્મ્યા છે તે સૌના કરતાં યોહાન વધારે મોટો છે. તો પણ દેવના રાજ્યમાં જે માત્ર નાનો છે, તે તેના કરતાં મોટો છે.”

29 (જ્યારે લોકોએ આ સાંભળ્યું ત્યારે તે બધાએ કબૂલ કર્યુ કે, દેવનો ઉપદેશ સારો હતો. જકાતદારો પણ સંમત થયા. આ બધા લોકો યોહાનથી બાપ્તિસ્મા પામ્યા હતા. 30 પરંતુ ફરોશીઓ તથા શાશ્ત્રીઓએ તેમના માટેની દેવની યાજનાનો સ્વીકાર કરવાની ના પાડી. અને તેઓએ યોહાન દ્ધારા બાપ્તિસ્મા પામવા ના પાડી.)

31 “આ સમયના લોકો માટે હું શું કહું? હું તેઓને શાની ઉપમા આપું? તેઓ કોના જેવા છે? 32 આ પેઢીના લોકો તો બજારમાં કોઈ જગ્યાએ બેઠેલા બાળકો જેવા છે. એક બાળકોનું ટોળું બીજા બાળકોને બોલાવે છે અને કહે છે:

‘અમે તમારે માટે સંગીત વગાડ્યું,
    પણ તમે નાચ્યા નહિ;
અમે કરૂણ ગીત ગાયું,
    પણ તમે દિલગીર થયા નહિ.’

33 યોહાન બાપ્તિસ્ત આવ્યો અને બીજા લોકોની જેમ રોટલી ખાધી નહિ કે દ્ધાક્ષારસ પીધો નહિ, અને તમે કહો છો કે, ‘તેનામાં ભૂત છે.’ 34 માણસનો દીકરો બીજા લોકોની જેમ ખાતો અને પીતો આવ્યો છે. અને તમે કહો છો કે ‘એના તરફ જુઓ! તે વધારે પડતું ખાય છે અને ખૂબ વધારે દ્ધાક્ષારસ પીએ છે! તે જકાતદારોનો તથા ખરાબ માણસોનો મિત્ર છે!’ 35 પરતું જ્ઞાની પોતાના સર્વ કાર્યોથી યથાર્થ મનાય છે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International