Book of Common Prayer
નિર્દેશક માટે. યહોવાના સેવકનું ગીત, જે દિવસે યહોવાએ તેને તેના બધાં શત્રુઓના હાથમાંથી તથા શાઉલનાં હાથમાંથી છોડાવ્યો, તે દિવસે તેણે યહોવાને આ ગીતનું વચન કહ્યું.
1 “હે યહોવા, મારા સાર્મથ્ય,
હું તમને ચાહું છું.”
2 યહોવા મારો ખડક, મારો મજબૂત કિલ્લો છે.
દેવ મારો ખડક છે.
તે મારું આશ્રયસ્થાન છે.
તે મારી ઢાલ છે.
તેની શકિત મારું રક્ષણ કરે છે.[a]
પર્વતોમાં ખૂબ ઉંચાઇ પર તે મારું સુરક્ષાનું સ્થાન છે.
3 યહોવા સ્તુતિપાત્ર છે,
હું તેમને વિનંતી કરીશ
અને મારું સર્વ શત્રુઓથી રક્ષણ થશે.
4 મને મૃત્યુનાં બંધનોએ ઘેરી લીધો છે,
અને દુષ્ટતાનાં મોજાં મારા પર ફરી વળ્યાં છે.
5 શેઓલનાં બંધનોએ મને બધી બાજુએથી ધેરી લીધો છે.
મૃત્યુનો ગાળિયો; મારી સામેજ આવી પડ્યો છે.
6 મને મારા સંકટમાં સહાય કરવાં
મેં યહોવાને કરુણાભરી વિનંતી કરી,
તેમણે પોતાના પવિત્રસ્થાનમાં મારો અવાજ સાંભળ્યો,
અને તેનાં કાનમાં મારી અરજ પહોંચી ગઇ.
7 ત્યારે ધરતી થરથર ધ્રુજી ઊઠી ને પર્વતોના પાયા ખસી ગયા,
અને હલવા લાગ્યા.
પર્વતો ધ્રુજી ઊઠયા, કારણ, યહોવા કોપાયમાન થયા હતાં.
8 તેમનાં નસકોરાંમાંથી ધુમાડો નીકળવા લાગ્યો,
અને દેવના મુખમાંથી ભસ્મ કરનાર અગ્નિ નીકળવા લાગ્યો.
તેમનામાંથી સળગતાં તણખા નીકળ્યાં.
9 તેમણે આકાશને ચીર્યુ અને પગની નીચે કાળા
વાદળા સાથે નીચે ઉતર્યા.
10 તેકરૂબ પર ચડીને ઊડતા હતાં.
અને તેઓ પવનમાં ઉંચે ઊડતા હતાં.
11 તેમણે પોતાની આસપાસ અંધકારથી ઢાંકી દીધું છે.
અને પોતાના માર્ગને મેઘજળનાં ગાઢ વાદળોથી ઢાંકી દીધેલ છે.
12 એકાએક તેમના ઉજ્જવળ ધડાકા સાથે વીજળી ચમકી.
પરિણામે ત્યાં કરાં વરસવાં લાગ્યા અને આગના તણખાં ઝર્યા.
13 યહોવાએ આકાશમાંથી ગર્જના કરી અને પરાત્પર દેવે મોટો અવાજ કાઢયો.
એના પરિણામે ત્યાં કરાઁ પડ્યા અને વીજળીના ચમકારા થયા.
14 તેણે તેના વીજળીના તીક્ષ્ણ બાણો મારાં બધાં શત્રુઓ પર
છોડ્યા અને તેમને મુંજવીને વિખેરી નાખ્યાં.
15 પછી હે યહોવા, તમારી આજ્ઞાથી, જુઓ,
સમુદ્રનાં તળિયાં દેખાયાઁ.
તમારાં નસકોરાઁના શ્વાસથી
ધરતીના પાયા ઉઘાડા થઇ ગયા.
16 તેમણે હાથ લંબાવી મને આકાશમાંથી પકડી લીધો
અને મહા વિપત્તિના ઊંડા પાણીમાંથી મને બહાર ખેંચી લીધો.
17 તેમણે મને મારા બળવાન શત્રુથી અને દ્વેષીઓથી બચાવ્યો,
કારણ કે તેઓ મારા કરતાઁ જોરાવર હતા અને મને ધિક્કારતાં હતા.
18 મારી વિપત્તિનાં દિવસોમાં તેઓ મારા પર તૂટી પડ્યા,
અને હું તો અતિ નિર્બળ હતો પરંતુ યહોવાએ મને સ્થિર રાખ્યો.
19 તેઓ મને ખુલ્લી જગામાં દોરી ગયાં.
અને એ તેઓ હતાં કે જેણે મને બચાવ્યો, કારણકે તેઓ મારાથી ખુશ હતા.
20 મને યહોવાએ, મારા ન્યાયીપણાનું ફળ આપ્યું છે,
મારા જીવનની શુદ્ધતા પ્રમાણે તેમણે મને પાછું વાળી આપ્યું છે.
21 કારણ કે મેં યહોવાની આજ્ઞા પાળી છે,
અને મેં તેમની વિમુખ થઇને ભૂંડાઇ કરી નથી.
22 હું તેમનાં સર્વ નિયમોને કાળજીપૂર્વક અનુસર્યો છું.
મેં તેમની આજ્ઞા હંમેશા મારી સંમુખ રાખી છે અને તેમાની એકેય આજ્ઞાની અવગણના કરી નથી.
23 હું તેમની સાથે વિશુદ્ધ અને પ્રામાણિક હતો
અને મેં મારી જાતને અનિષ્ટ અને અયોગ્ય કરવાથી દૂર રાખી છે.
24 યહોવાએ મારું ન્યાયીપણુઁ અને મારા હાથની શુદ્ધતા જોઇને
તે પ્રમાણે મને પ્રતિદાન દીધું છે.
25 હે યહોવા, જેઓ તમારી પ્રત્યે વિશ્વાસુ છે, તેને તમે વિશ્વાસુ છો.
જેઓ તમારી પ્રત્યે એકનિષ્ઠ છે, એને તમે એકનિષ્ઠ છો.
26 જેઓ શુદ્ધ અને સારા છે તેમની સાથે તમે શુદ્ધ અને સારા છો.
પણ જેઓ હઠીલા છે તેઓને સાથે હઠીલા દેખાશો.
27 તમે ગરીબ લોકોને બચાવો છો,
અને અભિમાની લોકોને અપમાનિત કરો છો.
28 યહોવા, મારા દેવ! તમે મારા હૃદયમાં દીવાં પ્રગટાવો છો!
મારા અંધકારને તમે પ્રકાશમાં ફેરવ્યો છે.
29 તમારા સાર્મથ્ય વડે હું હવે કિલ્લો પણ કૂદી જાઉઁ છું.
અને કોઇપણ સૈન્યની ટૂકડી પર હું આક્રમણ કરી શકું છુ.
30 દેવનો માર્ગ તો પરિપૂર્ણ છે અને યહોવાનો શબ્દ પરખેલો છે;
જેઓ તેના પર ભરોસો રાખે છે તે સઘળાની તે ઢાલ છે.
31 કારણ, યહોવા વિના બીજા દેવ કોણ છે?
તેનાં વિના ખડક સમાન બીજું કોણ છે?
32 તેમની શકિતથી તેઓ મને ભરી દે છે
અને પવિત્ર જીવન જીવવાં માટે મને સહાય કરે છે.
33 તે મારા પગોને હરણીના જેવું દોડવાં જેવા બનાવે છે
અને ઉંચાઇઓ પર મને સ્થિર રાખે છે.
34 મારા હાથોને તેઓ લડતાં શીખવે છે.
પિત્તળનું ધનુષ્ય ખેંચવાની શકિત તેઓ મને આપે છે.
35 તમે તમારા તારણની ઢાલ મને છે,
તમારા જમણા હાથથી તમે મને ટેકો આપ્યો છે,
અને તમારી અમીષ્ટિએ મને મોટો કર્યો છે.
36 તમે મને ઝડપથી દોડવામાં મદદ કરી છે,
જેથી મારા પગ કદી લપસ્યાં નથી.
37 હું મારા શત્રુઓને તેઓની પાછળ પડીને જરૂર પકડી પાડીશ;
અને તેઓનો નાશ નહિ થાય ત્યાં સુધી પાછો ફરીશ નહિ.
38 હું તેઓને એવા વીંધી નાખીશ કે તેઓ ફરી ઊભા નહિ થઇ શકે.
તેઓ મારા પગે પડશે.
39 કારણ તમે મને યુદ્ધને સારુ શકિતરૂપી શસ્ત્રથી સજ્જ કર્યો છે.
મારી સામે થનારને તમે મારે તાબે કર્યો છે.
40 શત્રુઓની ડોક પર પ્રહાર કરવાની તમે મને તક આપી હતી.
તેથી જેઓએ મારો તિરસ્કાર કર્યો છે, તે સવેર્નો મેં સંહાર કર્યો છે.
41 તેઓએ ઘણી બૂમો પાડી છતાં
તેઓને બચાવનાર કોઇ નહોતું. હા,
તેઓએ યહોવાને વિનંતી કરી,
પરંતુ કોઇ જવાબ મળ્યો નહિ.
42 પવનથી ફૂંકાતી ધૂળની જેમ તેમને મેં વિખેરી નાખ્યાં છે
અને ગલીઓમાંની ધૂળની જેમ તેમને કચડી નાખ્યાં છે.
43 તમે મને મારા વિરુદ્ધ લડતાં લોકોથી બચાવો.
મને બીજા રાષ્ટ્રોનો રાજા બનાવો.
જે લોકોને હું જાણતો પણ નથી તેઓ મારી સેવા કરશે.
44 મારે શરણે પરદેશીઓ આવ્યાં છે.
અને મારો હુકમ સાંભળતાં જ તેઓ મારી આજ્ઞાને આધીન થાય છે.
45 પરદેશીઓ હિંમત ગુમાવી બેઠાં છે,
અને ધૂજતા ધૂજતા તેઓ કિલ્લાની બહાર આવે છે.
46 યહોવા જીવતા જાગતા દેવ છે.
મારા રક્ષકને ધન્ય હો;
મારો ઉદ્ધાર કરનાર દેવની મહાનતાનો પ્રચાર કરો.
47 યહોવા મારા દુશ્મનોને શિક્ષા કરે છે
અને રાષ્ટ્રોને મારા તાબામાં મૂકે છે.
48 તે મારા શત્રુઓથી મને છોડાવે છે.
અને મારી સામે થનાર પર મને વિજય અપાવે છે.
મારી લાજ લૂંટનાર માણસથી મને બચાવે છે.
49 માટે હે યહોવા, વિદેશીઓમાં હું તારી સ્તુતિ કરીશ,
અને હું તારા નામનાં સ્રોત્ર ગાઇશ.
50 યહોવા તેમના દ્વારા પસંદ કરેલા રાજાઓને ઘણા વિજયો મેળવવામાં મદદ કરે છે,
યહોવા પોતે અભિષિકત કરેલા રાજાઓ પ્રતિ દયા બતાવે છે.
યહોવા દાઉદ તથા તેનાં વંશજો પ્રતિ હંમેશા વિશ્વાસુ રહેશે.
12 કારણ, સૈન્યોનો દેવ યહોવાએ જે કઇં ગવિર્ષ્ઠ અને અભિમાની છે, જે કઇં ઊંચુ છે તે બધાને નમાવવા માટે એક દિવસ નક્કી કરેલો છે. 13 લબાનોનનાં ઊંચાં દેવદાર અને બાશાનનાં મજબૂત એલોનવૃક્ષોને નીચાં નમાવવામાં આવશે. 14 સર્વ ઊંચા ઊંચા પર્વતોને, ડુંગરોને ભોંયભેગા કરવામાં આવશે. 15 સર્વ ઊંચા મિનારાને અને બધા જ કિલ્લાના કોટોને ભોંયભેગા કરવામાં આવશે. 16 તાશીર્શનાં ભવ્ય વહાણોને ડૂબાડી દેવામાં આવશે.
17 તે દિવસે, માણસનો ગર્વ નીચો નમાવવામાં આવશે. અને તેનું અભિમાન ઉતારી નાખવામાં આવશે. અને માત્ર યહોવા એકલાનો જ મહિમા કરવામાં આવશે, 18 અને બીજી મૂર્તિઓ તો બિલકુલ સમાપ્ત થઇ જશે. 19 યહોવા પૃથ્વીને ધ્રુજાવવા આવે ત્યારે લોકો તેના રોષથી અને તેના પ્રતાપના તેજથી બચવા પર્વતોની ગુફાઓમાં અને જમીનની ફાંટોમાં ભરાઇ જશે.
20 તે દિવસે માણસ પોતે બનાવેલી સોનાચાંદીની મૂર્તિઓને ફેંકી દેશે. તેઓ એ બધી મૂર્તિઓને છછૂંદર અને ચામાચિડિયા માટે ફગાવી દેશે. 21 જ્યારે યહોવા પૃથ્વીને ૂજાવવા માટે આવે ત્યારે તેના રોષથી, અને તેના પ્રતાપના તેજથી બચવા લોકો પર્વતોની ફાંટોમાં અને ખડકોની તિરાડોમાં ભરાઇ જશે.
22 હવે માણસને ભરોસે રહેશો નહિ, કારણ એની શી વિસાત છે? જેનો શ્વાસ તેના નસકોરાંમાં જ છે.
3 1-2 અમે તમારા સુધી આવી શક્યા નહિ, પરંતુ થોડી વધારે પ્રતીક્ષા કરવી અમારાં માટે ખૂબ કઠિન હતું. તેથી અમે તિમોથીને તમારી પાસે મોકલવાનો નિર્ણય કર્યો. અને અમે આથે સમાં એકલા રહેવાનું નક્કી કર્યુ, તિમોથી આપણો ભાઈ છે. તે દેવ સાથે ખ્રિસ્ત વિષેની સુવાર્તા લોકોને કહેવાનું કાર્ય કરે છે. અમે તિમોથીને તમારી પાસે તમારા વિશ્વાસમાં તમને દૃઢ કરવાને અને તમને ઉત્તેજન આપવાને મોકલ્યો. 3 અમે તિમોથીને મોકલ્યો જેથી તમારામાંનો કોઈ અત્યારે જે આપત્તિઓ છે, તેનાથી વિચલિત ન થાય. તમે પોતે પણ જાણો જ છો કે આપણા પર તો આવી મુશ્કેલીઓ આવશે જ. 4 જ્યારે અમે તમારી સાથે હતા, ત્યારે અમે તમને જણાવ્યું હતું કે, આપણે સહન કરવાનું થશે. અને તમે જાણો છો કે જે રીતે અમે કહ્યું હતું તે જ પ્રમાણે તે થયું. 5 તેથી જ તિમોથીને મેં તમારી પાસે મોકલ્યો, જેથી કરીને તમારા વિશ્વાસ વિષે હું જાણી શકું. હું વધારે પ્રતીક્ષા કરી શકું તેમ ન હતો તેથી મેં તેને મોકલ્યો. મને ભય હતો કે તે એક (શેતાન) કે જે લોકોનું પરીક્ષણ કરે છે તેણે તમારું પણ પરીક્ષણ કર્યુ હોય, અને તમારો પરાજય કર્યો હોય. તેથી અમારો કઠોર પરિશ્રમ વેડફાઈ ગયો હતો.
6 પરંતુ તિમોથી તમારી પાસેથી અમારી પાસે પાછો આવ્યો. તેણે તમારા વિશ્વાસ અને પ્રેમના ખુશકારક સમાચાર અમને જ્ણાવ્યા. તિમોથીએ અમને જ્ણાવ્યું કે તમે હમેશા સારી ભાવનાથી અમારું સ્મરણ કરો છો. તેણે અમને જ્ણાવ્યું કે તમે અમને મળવા અત્યંત આતુર છો. અને અમારી સાથે પણ તેમ જ છે, અમે પણ તમને મળવા અત્યંત ઈચ્છીએ છીએ. 7 તેથી ભાઈઓ અને બહેનો, તમારા વિષે જાણીને તમારા વિશ્વાસને કારણે અમને પ્રોત્સાહન મળ્યું છે. અમારે ઘણી મુશ્કેલીઓ અને પીડાઓ છે, છતાં પણ અમને સાંત્વન છે. 8 જો તમે પ્રભુમાં દ્રઢ છો તો આપણું જીવન ખરેખર ભરપૂર છે. 9 તમારે કારણે અમારા દેવ આગળ અમે અત્યંત હર્ષ અનુભવીએ છે! તેથી તમારા માટે અમે દેવની આભારસ્તુતિ કરીએ છીએ. પરંતુ જે પરમ આનંદનો અનુભવ અમે કરીએ છીએ તેના માટે અમે દેવનો પૂરતો આભાર માની શકતા નથી. 10 દિવસ અને રાત્રે તમારા માટે અતિશય પ્રાર્થના કરી રહ્યાં છીએ. અમે પ્રાર્થી રહ્યાં છીએ કે તમારા વિશ્વાસમાં જે કઈ ન્યૂનતા હોય તે સંપૂર્ણ કરવા અમે ત્યાં આવી શકીએ, તમને પુનઃમળી શકીએ અને તમને આવશ્યક બધી જ વસ્તુઓ તમને પૂરી પાડી શકીએ.
11 અમે પ્રાર્થીએ છીએ કે દેવ આપણા બાપ અને આપણા પ્રભુ ઈસુ તમારા સુધી પહોંચવા માટેનો અમારો માર્ગ સરળ બનાવે. 12 અમે પ્રાર્થીએ છીએ કે પ્રભુ તમારામાં પ્રેમને વિકસિત કરે. અમે પ્રાર્થીએ છીએ કે તે તમારામાં એકબીજા અને અન્ય લોકો માટે ઉત્તરોત્તર પ્રેમ વધારે. અમે પ્રાર્થીએ કે જેમ અમે તમને પ્રેમ કરીએ છીએ તેમ તમે બધા જ લોકોને પ્રેમ કરો. 13 તમારા હૃદય સુદૃઢ બને તેથી અમે આમ પ્રાર્થીએ છીએ. તેથી જ્યારે આપણા પ્રભુ ઈસુ તેના સર્વ સંતો સહિત પધારે, ત્યારે દેવ આપણા બાપની હજૂરમાં તમે પવિત્ર અને નિર્દોષ બની શકો.
કેટલાએક સદૂકિઓની ઈસુ સામેની યુક્તિ
(માથ. 22:23-33; માર્ક 12:18-27)
27 કેટલાએક સદૂકીઓ ઈસુ પાસે આવ્યા. (સદૂકીઓ માને છે કે મૃત્યુ પછી પુનરુંત્થાન નથી.) તેઓએ ઈસુને પૂછયું કે; 28 “ઉપદેશક, મૂસાએ આપણા માટે લખ્યું છે કે જો પરણીત માણસ મૃત્યુ પામે અને તેની પત્નીને બાળક ના હોય તો પછી તેના ભાઈએ તે સ્ત્રીને પરણવું જોઈએ. પછી તેઓને તેના મૃત્યુ પામેલા ભાઈ માટે બાળકો થશે. 29 ત્યાં સાત ભાઈઓ હતા. પહેલો ભાઈ એક સ્ત્રીને પરણ્યો, પણ મૃત્યુ પામ્યો. તેને બાળકો ન હતાં. 30 પછી બીજો ભાઈ તે સ્ત્રીને પરણ્યો અને તે મૃત્યુ પામ્યો. 31 અને ત્રીજો ભાઈ તે સ્ત્રીને પરણ્યો અને તે મૃત્યુ પામ્યો. આ જ ઘટના બધાજ સાતે ભાઈઓ સાથે બની. તેઓ બધા મૃત્યુ પામ્યા. અને તેઓને બાળકો ન હતા. 32 છેલ્લે મૃત્યુ પામનાર સ્ત્રી હતી. 33 પરંતુ બધા સાતે ભાઈઓ તેણીને પરણ્યા. તેથી જ્યારે મૃત્યુ પછી પુનરુંત્થનનો સમય આવશે, ત્યારે આ સ્ત્રી કોની પત્ની થશે?”
34 ઈસુએ સદૂકીઓને કહ્યું કે, “પૃથ્વી પર લોકો પરણે છે. 35 જે લોકો મૃત્યુ પછી પુનરુંત્થાન થવા માટે યોગ્ય રીતે ન્યાયી ઠરશે અને આ જીવન પછી ફરી જીવશે. તે નવા જીવનમાં તેઓ પરણશે નહિ. 36 તે જીવન દરમ્યાન લોકો દેવદૂત જેવાં હોય છે અને તેઓનું કદી મૃત્યુ થતું નથી. તેઓ દેવના બાળકો છે કારણ કે તેઓ મૃત્યુમાંથી સજીવન થાય છે. 37 મૂસાએ સ્પષ્ટ બતાવ્યું છે કે લોકો મૃત્યુમાંથી ઊઠે છે. જ્યારે મૂસા બળતા ઝાડવામાં દેવ દર્શનના પ્રસંગનું વર્ણન કરે છે. ત્યારે તે પ્રભુને ‘ઈબ્રાહિમનો દેવ, ઈસહાકનો દેવ અને યાકૂબનો દેવ કહે છે.’[a] 38 જો દેવ કહે કે તે તેઓના દેવ છે તો પછી આ માણસો ખરેખર મૃત્યુ પામેલા નથી. તે ફક્ત જીવતા લોકોનો જ દેવ છે. બધાં જ લોકો દેવના છે તે જીવતા છે.”
39 કેટલાએક શાસ્ત્રીઓએ કહ્યું કે, “ઉપદેશક, તારો ઉત્તર ઘણો સારો છે.” 40 તે પછી વધારે પ્રશ્રો ઈસુને પૂછવાની કોઈએ હિંમત કરી નહિ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International