Book of Common Prayer
1 યહોવાની સ્તુતિ કરો.
હે મારા આત્મા યહોવાની સ્તુતિ કર.
2 મારા જીવન પર્યંત હું યહોવાની સ્તુતિ કરીશ;
મારા જીવનનાં છેલ્લા શ્વાસ સુધી હું તેમનાં સ્તુતિગીતો ગાઇશ.
3 તમે રાજાઓ કે માણસોનો ભરોસો ન રાખો,
કારણકે તેમની પાસે તારણ નથી.
4 તેનો પ્રાણ તેમને છોડી જાય છે,
અને તેમનું શરીર ધૂળમાં પાછું મળી જાય છે;
અને તેમની બધી યોજનાઓ નકામી જાય છે.
5 જે માણસને સહાય કરનાર યાકૂબના દેવ છે;
અને જેની આશા તેના દેવ યહોવામાં છે; તે આશીર્વાદિત છે.
6 યહોવાએ પૃથ્વી તથા આકાશો,
સમુદ્રો તથા તેમાંના સર્વસ્વનું સર્જન કર્યુ છે,
તે પોતાના પ્રત્યેક વચનનુઁ પાલન કરે છે.
7 તે કચડાયેલાઓનો ન્યાય જાળવી રાખે છે,
તે ભૂખ્યાઓને અનાજ પૂરું પાડે છે.
યહોવા કેદીઓને મુકત કરાવે છે.
8 યહોવા આંધળાને દેખતાઁ કરે છે;
યહોવા ભારે બોજથી દબાયેલાઓનો બોજો હલકો કરે છે,
કારણકે યહોવા ન્યાયી માણસને પ્રેમ કરે છે.
9 યહોવા નિરાશ્રિતોનું રક્ષણ કરે છે;
અને અનાથો તથા વિધવાઓની કાળજી લે છે;
પણ દુષ્ટોની યોજનાઓને ઊંધી વાળે છે.
10 યહોવા સદાકાળ રાજ કરશે, હે સિયોન,
તમારા દેવ પેઢી દર પેઢી રાજ કરશે.
યહોવાની સ્તુતિ થાઓ!
1 તે ભલા છે માટે યહોવાની સ્તુતિ થાઓ.
આપણા દેવનાં સ્તુતિગીતો ગાઓ.
કારણકે તે સારું અને ગમતું છે.
2 યહોવા યરૂશાલેમને બાંધે છે;
તે ઇસ્રાએલી લોકો જેઓ બંદીવાન બનાવાયા હતાં તેઓને ભેગા કરશે અને પાછા લાવશે.
3 હૃદયભંગ થયેલાઓને તે સાજાઁ કરે છે;
અને તે તેઓના ઘા રૂઝવે છે અને પાટા બાંધે છે.
4 તે તારાઓની ગણતરી કરે છે;
અને તેઓને નામ દઇને બોલાવે છે.
5 આપણા પ્રભુ કેવા મહાન છે!
તેમના સાર્મથ્યનો પાર નથી!
તેમના જ્ઞાનની કોઇ સીમા નથી.
6 યહોવા નમ્રજનોને આધાર આપે છે;
પરંતુ દુષ્ટોને અપમાનિત કરે છે.
7 યહોવાએ કરેલા ઉપકારો માટે તેમનો આભાર માનો;
આપણા યહોવાના સિતાર સાથે સ્તોત્રગીત ગાઓ.
8 તે આકાશને વાદળોથી ઢાંકે છે;
પૃથ્વીને માટે તે વરસાદ તૈયાર કરી રાખે છે;
તે પહાડો પર ઘાસ ઉગાડે છે.
9 પશુઓને તેમજ પોકાર કરતાં કાગડાનાં બચ્ચાંને
પણ તે જ ખોરાક આપે છે.
10 દેવની ખુશી યુદ્ધના ઘોડાઓની શકિતમાં
અને બળવાન સૈનિકોમાં નથી.
11 પણ જેઓ તેમનો ભય રાખે છે;
ને યહોવાની કૃપા માટે વાટ જુએ છે;
તેથી યહોવા ખુશ રહે છે.
12 હે યરૂશાલેમ, તમે યહોવાની સ્તુતિ કરો;
હે સિયોન, તમારા દેવની સ્તુતિ કરો.
13 કારણ, તેમણે તારા સર્વ શત્રુઓ વિરુદ્ધ, તારા દરવાજાઓને સુરક્ષિત કર્યા છે.
અને તારા કુળના સર્વ સંતાનોને આશીર્વાદિત કર્યા છે.
14 તે તમારા સમગ્ર દેશમાં શાંતિ સ્થાપે છે;
અને તે તારા કોઠારોને અનાજથી ભરપૂર કરે છે.
15 તે પોતાની આજ્ઞા પૃથ્વી પર મોકલે છે;
અને તેનું વચન અતિ વેગથી દોડે છે.
16 તે જમીનને ઢાંકવા સફેદ ઊન જેવો બરફ મોકલે છે
અને ધૂળ જેવી હવામાંથી બરફનાં કરાંની વૃષ્ટિ કરે છે.
17 તે આકાશમાંથી પથ્થરની જેમ પડતાં કરા મોકલે છે
અને તેણે મોકલેલી ટાઢ આગળ કોણ ઊભું રહી શકે?
18 તે પોતાનું વચન મોકલીને તેમને ઓગળાવે છે;
તે પોતાના પવનને ફૂંકાવાની આજ્ઞા કરે છે;
અને સર્વ નદીઓમા પાણી વહેતાં થાય છે.
19 દેવે યાકૂબને તેમના વચન આપ્યા,
તેમણે તેમના વિધિઓ અને નિયમો પણ ઇસ્રાએલને આપ્યા.
20 અન્ય કોઇ પ્રજા સાથે તેમણે આ પ્રમાણે કર્યુ નથી;
અન્ય પ્રજાઓએ તેમની આજ્ઞાઓ જાણી નથી.
યહોવાની સ્તુતિ થાઓ.
1 યહોવાની સ્તુતિ કરો!
ન્યાયીઓની સભામાં અને મંડળીઓમાં
હું ખરા હૃદયથી યહોવાનો આભાર માનીશ.
2 યહોવાના કાર્યો મહાન છે;
લોકોને જે સારી વસ્તુઓ જોઇએ છે જે દેવ પાસેથી આવે છે.
3 તેના કાર્યો તેજસ્વી અને અદ્ભૂત છે.
અને તેની નિષ્પક્ષતા સદાકાળ ટકે છે.
4 દેવે તેના ચમત્કારોને અવિસ્મરણીય સ્મૃતિ બનાવી દીધાં છે.
યહોવા દયાળુ અને કૃપાથી ભરપૂર છે.
5 તે તેના અનુયાયીઓને ખોરાક પૂરો પાડે છે,
અને તે પોતાના વચનોને કદી ભૂલતા નથી.
6 તેણે તેના લોકોને બીજા રાષ્ટ્રોની જમીન આપી છે.
અને આ રીતે તેમને તેના સાર્મથ્યભર્યા કૃત્યો દેખાડ્યા છે.
7 તેમણે જે કાંઇ કર્યુ છે તેમાં સત્યતા અને ન્યાય છે;
તેમની સર્વ આજ્ઞાઓ વિશ્વાસ યોગ્ય છે.
8 કારણ, આ નિયમો સત્યમાંથી અને વિશ્વાસુપણામાંથી ઉદૃભવ્યા છે;
તેઓ સદાને માટે અચળ છે.
9 દેવે તેના લોકોને ઉદ્ધાર મોકલ્યો છે, અને તેમણે તેઓની સાથે એક સનાતન કરાર બનાવ્યો છે.
તેમનું નામ પવિત્ર તથા ભયાવહ છે.
10 દેવ માટે માન અને ડરથી ડહાપણ શરૂ થાય છે.
જે લોકો તેના આદેશોનું પાલન કરે છે તેઓ ડાહ્યા છે.
તેના માટે સદાય સ્તુતિના ગાન ગવાતા રહેશે.
1 યહોવાની સ્તુતિ થાઓ!
જે યહોવાનો ડર રાખે છે અને માન આપે છે તેને ધન્ય છે.
અને જેઓ ખુશીથી તેની આજ્ઞાને અનુસરે છે તેઓ આશીર્વાદિત છે.
2 તેઓનાં સંતાન પૃથ્વી પર બળવાન થશે;
અને ન્યાયીઓના વંશજો સાચા અર્થમાં આશીર્વાદ પામશે.
3 તેમના ઘરમાં ધનદોલતની વૃદ્ધિ થશે;
અને તેમનું ન્યાયીપણુ કદી વિસરાશે નહિ.
4 સારા લોકો માટે અંધકારમાં પ્રકાશ પ્રગટ થાય છે;
તેઓને માટે દેવ ભલા, દયાળુ અને કૃપાળુ છે.
5 વ્યકિત માટે દયાળુ અને ઉદાર થવું તે સારું છે,
વ્યકિત માટે એ તેના બધાં વ્યવહારમાં ન્યાયી રહેવું તે સારું છે.
6 તે વ્યકિત કદી પડશે નહિ
તેથી સારા માણસનું સ્મરણ સર્વકાળ રહેશે.
7 તે ખરાબ સમાચારથી ડરતો નથી;
અને શું થશે તેની પણ ચિંતા કરતો નથી તે દેવ પર ભરોસો રાખી દ્રઢ રહે છે.
8 તેનું અંત:કરણ શાંત અને સ્થિર રહે છે;
તેથી તે ડરશે નહિ. શત્રુઓ પર જીત મેળવશે.
9 તેણે ઉદારતાથી નિર્ધનોની મદદ કરી છે,
અને તેનું ન્યાયીપણું સર્વકાળ ટકે છે;
અને તે મોટું સન્માન પ્રાપ્ત કરશે.
10 જ્યારે દુષ્ટો આ જોશે ત્યારે ગુસ્સે થશે,
તેઓ ક્રોધમાં પોતાના દાંત પીસશે;
અને દુબળા થઇ જશે એમ દુષ્ટોની યોજનાઓ નિષ્ફળ જશે.
1 યહોવાની સ્તુતિ કરો!
હે યહોવાના સેવકો, સ્તુતિ કરો,
યહોવાના નામની સ્તુતિ કરો.
2 યહોવાનું નામ આ સમયથી
તે સર્વકાળ સુધી સ્તુત્ય થાઓ.
3 સૂર્યોદયથી તે સૂર્યાસ્ત સુધી
યહોવાના નામની સ્તુતિ કરો.
4 યહોવા સર્વ પ્રજાઓ પર સવોર્પરી અધિકારી છે;
અને તેનું ગૌરવ આકાશો કરતાં મોટું છે.
5 આપણા દેવ યહોવા જેવો છે કોણ?
જે ઉચ્ચસ્થાનમાં પોતાનું રહેઠાણ રાખે છે.
6 આકાશો ને પૃથ્વીથી યહોવા ઘણા ઊંચા છે.
પોતાને નીચા નમાવે છે, તેથી તેને જોવા તેમણે નીચું જોવુ પડે.
7 રાંકને ધૂળમાંથી તે ઉઠાવી લે છે;
અને ભૂખ્યાઓને કચરાનાં ઢગલામાંથી.
8 અને બેસાડે છે પોતાના લોકોને અમીર ઉમરાઓ સાથે;
રાજકુમારોની મધ્યે.
9 તે નિ:સંતાન સ્રી ને સંતાન આપે છે;
અને સુખી થશે માતા!
યહોવાની સ્તુતિ થાઓ.
1 આમોસના પુત્ર યશાયાએ યહૂદામાં ઉઝિઝયા, યોથામ, આહાઝ અને હિઝિક્યા રાજાઓના અમલ દરમ્યાન સંદર્શનો જોયાં. તે સંદર્શનોમાંથી તેને સંદેશા મળ્યા. આ સંદેશાઓમાં યહોવાએ યરૂશાલેમ અને યહૂદામાં આવનાર દિવસોમાં શું બનવાનું હતું તે તેને બતાવ્યું.
બંડખોર પ્રજાને યહોવાનો સંદેશ
2 હે આકાશ અને પૃથ્વી! સાંભળો, કારણ, યહોવા બોલે છે:
“જે બાળકોને મેં ઉછેરીને મોટાં કર્યા છે,
તેઓએ મારી વિરુદ્ધ બંડ કર્યું છે.
3 બળદ જેમ પોતાના ધણીને ઓળખે છે
અને ગધેડો પોતાના ધણીની ગભાણને ઓળખે છે;
પણ ઇસ્રાએલને ડહાપણ
અને સમજણ નથી.”
4 ઓહ! પાપી પ્રજા, હે અપરાધોથી લદાયેલા લોકો, હે કુકમીર્ઓ, હે વંઠી ગયેલાઁ છોકરાં! તમે યહોવાનો ત્યાગ કર્યો છે. તમે ઇસ્રાએલના પવિત્ર દેવને તિરસ્કાર્યા છે. અને તેમનાથી તમે અજાણ્યાની જેમ વિમુખ થઇ ગયા છો.
5 દેવ કહે છે, “હે મારા લોકો, શું હજુ તમારે વધારે માર ખાવો છે? તે આમ બળવા ઉપર બળવો કર્યા કરો છો? તમારું માથું રોગિષ્ઠ છે અને તમારાં હૃદય અને મન અશુદ્ધ છે. 6 પગના તળિયાથી માંડીને તે માથા સુધી કોઇ અંગ સાજુ નથી; ફકત ઘા, ઉઝરડા અને દૂઝતા ઘા છે; નથી તમે તમારા ઘા સાફ કર્યા કે નથી પાટા બાંધ્યા, નથી તેના પર તેલ ચોપડવામાં આવ્યું.
7 “તમારો દેશ ઉજ્જડ થઇ ગયો છે, તમારાં નગરો આગમાં ભસ્મ થઇ ગયાં છે; તમારી નજર આગળ પરદેશીઓ તમને લૂંટે છે, અને તેઓની નજરે જે પડે છે તેનો નાશ કરે છે.
8 “સિયોન નગર બધી વસ્તુઓથી વંચિત થઇ ગયું છે જેમકે દ્રાક્ષની વાડીઓમાં આશ્રય અથવા કાકડીના ખેતર તે ઘેરાબંધ શહેર જેવું છે. 9 જો સૈન્યોના દેવ યહોવાએ આપણામાંના થોડાકને બાકી રહેવા ન દીધા હોત, તો આપણે સદોમ અને ગમોરાના જેવા નામશેષ થઇ ગયા હોત.”
ઈસુનું આગમન થશે
3 મારા મિત્રો, તમને લખેલ મારો આ બીજો પત્ર છે. તમારા પ્રામાણિક માનસને કઈક સ્મરણ કરાવવા મેં બંને પત્રો તમને લખ્યા છે. 2 પવિત્ર પ્રબોધકોએ ભૂતકાળમાં જે વાણી ઉચ્ચારેલી તેનું હું તમને સ્મરણ કરાવવા ઈચ્છું છું. અને આપણા પ્રભુ અને તારનારે આપણને જે આજ્ઞા આપેલી તેનું પણ સ્મરણ કરાવવા ઈચ્છું છું. તમારા પ્રેરિતો દ્ધારા તે અમને આપી હતી.
3 અંતિમ દિવસોમા શું થશે તે સમજવું તમારા માટે મહત્વનું છે. લોકો તમારી સામે હસશે. તેઓ પોતાને ગમતી દુર્વાસના પ્રમાણે ચાલશે જેનો તેઓ આનંદ માણશે. 4 એ લોકો કહેશે કે, “તેણે આગમનનું વચન આપ્યું હતું. તે ક્યા છે? આપણા પૂર્વજો અવસાન પામ્યા. પરંતુ દુનિયા તો જે રીતે તેનું સર્જન કરવામાં આવ્યું ત્યારે હતી તે જ રીતે ચાલુ છે.”
5 પરંતુ ઘણા લાબાં સમય પહેલા જે બન્યું હતું તેને તે લોકો યાદ રાખવા માગતા નથી. આકાશ ત્યાં હતું, અને દેવે પાણી વડે પાણીમાંથી પૃથ્વીનું સર્જન કર્યુ. આ બધું જ દેવના વચન દ્વારા બન્યું. 6 પછી તે જગત પાણીમા ડૂબીને નાશ પામ્યું. 7 અને અત્યારે દેવનું તે જ વચન આકાશ અને પૃથ્વીને ટકાવી રાખે છે કે જે આપણી પાસે છે. આ પૃથ્વી અને આકાશ અગ્નિથી નાશ કરવા માટે ટકાવી રાખવામાં આવ્યા છે. પૃથ્વી અને આકાશ ન્યાયના દિવસ સુધી ટકાવી રખાશે અને પછી તેનો અને જેઓ દેવની વિરુંદ્ધ છે તે બધા જ લોકોનો નાશ થશે.
8 પરંતુ મારા પ્રિય મિત્રો, આ એક વાત ન ભૂલશો કે પ્રભુની નજરમાં એક દિવસ એક હજાર વરસો બરાબર છે, અને એક હજાર વરસો એક દિવસ બરાબર છે. 9 પ્રભુએ જે વચન આપ્યું છે તે કરવામાં તે વિલંબ કરતો નથી-જે રીતે કેટલાએક લોકો વિલંબને સમજે છે તે રીતે. પરંતુ પ્રભુ તમારા માટે ધીરજ રાખે છે. અને તે કોઈ પણ વ્યક્તિ ભટકી જાય તેમ ઇચ્છતો નથી. દેવની ઈચ્છા છે કે દરેક વ્યક્તિ પશ્વાત્તાપ કરે અને તે પાપ કરતા અટકે.
10 પરંતુ જ્યારે પ્રભુનો એ દિવસ આવશે ત્યારે તે ચોરના જેવો આશ્વર્યજનક હશે. મોટી ગર્જનાસહિત આકાશ અદશ્ય થઇ જશે. આકાશમાથી બધી વસ્તુઓ અગ્નિમાં નાશ પામશે. પૃથ્વી અને તેમાંની બધી વસ્તુઓ બાળી નાખવામાં આવશે.
દશ કુમારિકાઓની વાર્તા
25 “એ દિવસે આકાશનું રાજ્ય દશ કુમારિકાઓ પોતાના વરને મળવા મશાલ લઈને નીકળી હોય તેના જેવું હશે. 2 એમાંથી પાંચ મૂર્ખ હતી. અને પાંચ વિચારશીલ હતી. 3 મૂર્ખ કુમારિકાઓ જ્યારે પોતાની મશાલો લઈને આવી ત્યારે તેમની સાથે વધારાનું તેલ લીધું નહિ. 4 વિચારશીલ કુમારિકાઓ પાસે તેમની મશાલો સાથે બરણીમાં વધારાનું તેલ હતું. 5 વરને આવતાં ઘણી વાર લાગી એટલામાં બધીજ કુમારિકાઓ થાકી ગઈ અને ઊંઘવા લાગી.
6 “મધ્યરાત્રીએ કોઈકે જાહેરાત કરી કે, ‘વરરાજા આવી રહ્યો છે! તો ચાલો આપણે તેને મળવા જઈએ!’
7 “પછી બધી જ કુમારિકાઓ જાગી ગઈ ને પોતાની મશાલો તૈયાર કરી. 8 પણ મૂર્ખ કુમારિકાઓએ વિચારશીલ કુમારિકાઓને કહ્યું: ‘અમને તમારું થોડું તેલ આપો. અમારી મશાલો હોલવાઈ જાય છે.’
9 “સમજુ કુમારિકાઓએ કહ્યું, ‘ના! કદાચ અમારી પાસે જે તેલ છે તે તમને તથા અમને પુરું નહિ પડે માટે તમે તેલ વેચનારા પાસે જાઓ અને પોતપોતાના માટે થોડું ખરીદી લાવો.’
10 “તેથી તે કુમારિકાઓ તેલ ખરીદવા ગઈ. એટલામાં વરરાજા આવી પહોંચ્યો. જે કુમારિકાઓ તૈયાર હતી, તેઓ તેની જોડે લગ્નનાં જમણમાં પહોંચી ગઈ અને પછી બારણાં બંધ કરવામાં આવ્યાં.
11 “પછી પેલી બીજી કુમારિકાઓ આવી અને બહાર ઊભી રહીને કહેવા લાગી, ‘સ્વામી, હે સ્વામી, બારણાં ઉઘાડો અને અમને અંદર આવવા દો.’
12 “પણ વરરાજાએ ઉત્તર આપ્યો, ‘હું તમને સત્ય કહું છું, હું તમને જાણતો નથી.’
13 “તેથી હંમેશા તૈયાર રહો, તમને ખબર નથી, માણસનો દીકરો ક્યા દિવસે અને ક્યા સમયે આવશે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International