Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 69

નિર્દેશક માટે. રાગ: “શોશાન્નીમ.” દાઉદનું ગીત.

હે દેવ, મારા માથા સુધી પાણી ચઢી આવ્યું છે,
    મારી રક્ષા કરો.
કીચડમાં હું ઊંડે ને ઊંડે ખૂપતો જાઉં છું,
    જ્યાં ઊભા રહેવાને પણ આધાર નથી,
હું ઊઁડા જળમાં આવી પડ્યો છું,
    જળપ્રલયે મને ડૂબાડી દીધો છે.
હું રડી રડીને નિર્ગત થઇ ગયો છું અને મારું ગળું સુકાઇ ગયું છે.
    મારા દેવની વાટ જોતાં મારી આંખોનું તેજ ઘટી ગયું છે.
જેઓ વિનાકારણે મારો દ્વેષ કરે છે,
    તેઓ મારા માથાના વાળથી વધારે છે;
    હું નિર્દોષ છું છતાં મારો સંહાર કરવાની યોજના ઘડનારાં વધુ શકિતશાળી બન્યાં છે.
તે શત્રુઓ મારા વિષે અસત્ય બોલે છે.
    કહે છે મેં વસ્તુઓ ચોરી હતી.
    તેઓએ મેં જે વસ્તુઓ ચોરી ન હતી તેનું ભરણ કરવા મને ફરજ પાડે છે.
હે દેવ, તમે મારી મૂર્ખાઇ જાણો છો,
    અને મારા પાપો તમારાથી છુપાવેલા નથી.
હે સૈન્યના પ્રભુ યહોવા, મારા લીધે તમારા અનુયાયીઓ શરમીંદા ન થાય.
    હે ઇસ્રાએલનાં દેવ, ભલે જેઓ તમને શોધવા નીકળ્યા છે તેઓનું મારા લીધે અપમાન ન થાય.
મેં તમારા માટે શરમ સહન કરી છે,
    ને મારું મુખ પણ શરમથી ઢંકાયેલું છે.
મારા ભાઇઓને મન હું પારકા જેવો છું,
    અને મારી માના પુત્રને મન હું પરદેશી જેવો થયો છું.
કારણ, મારું હૃદય દેવ અને તેનાં મંદિર માટેના ઉત્સાહથી ઉત્તેજીત થયું છે.
    જેઓ તમારું અપમાન કરે છે તેમના અપમાનો મારી ઉપર આવ્યાં છે.
10 જ્યારે હું યહોવા સમક્ષ રૂદન અને ઉપવાસ કરું છું,
    ત્યારે તેઓ મારી મશ્કરી કરીને નિંદા કરે છે.
11 જ્યારે હું મારા પાપનું દુ:ખ પ્રગટ કરવા અને આત્માનું રાંકપણું દર્શાવવાં ટાટનાં વસ્ર ધારણ કરું છું,
    ત્યારે તેઓ મારી મશ્કરી કરે છે.
12 ભાગળમાં બેસનારાઓ મારી મશ્કરી કરે છે.
    અને છાકટાઓ મારા વિષે રાસડા ગાય છે.
13 પરંતુ હે યહોવા, તમારી કૃપાનાં સમયમાં મેં તમારી પ્રાર્થના કરવાનું ચાલુ રાખ્યું છે,
    તમારાં ભરપૂર પ્રેમમાં, તારણની સત્યતાએ પ્રત્યુતર આપો.
14 મને કીચડમાંથી કાઢો,
    મને ઊંડા પાણીમાં ડૂબવાં દેશો નહિ
અને દ્વેષીઓથી
    મારી રક્ષા કરો.
15 રેલ સંકટ મારા પર ફરી ન વળે,
    સાગરનાં ઊંડાણ મને ગળી ન જાય;
    અને ડરાવનાર કબરમાં મારી રક્ષા કરો.
16 હે યહોવા, મારી પ્રાર્થનાનો ઉત્તર આપો; કારણ તારી કૃપ ઉત્તમ છે;
    તમારા પુષ્કળ વાત્સલ્ય મુજબ મારા તરફ વળો.
17 તમારું મુખ તમારા આ દાસથી છુપાવશો નહિ,
    હું અપાર સંકટોમાં છું, મને જલદી ઉત્તર આપો.
18 હે યહોવા, આવો, મારા આત્માની રક્ષા કરો!
    મને મારા સર્વ શત્રુઓથી મુકત કરો.
19 તમે જાણો છો કે મારે શરમ તથા અપમાન અને નિંદા
    સહન કરવાં પડે છે.
    મારા શત્રુઓએ મારી સાથે કરેલી વસ્તુઓ તમે જોઇ છે.
20 નિંદાએ મારું હૃદય ભાંગ્યું છે,
    અને હું લાંબુ જીવવા
માટે ખૂબ દુર્બળ બની ગયો છું.
    દિલાસો અને આરામ
બતાવનારની રાહ જોઇ
    પરંતુ મને કોઇ પણ મળ્યું નહિ.
21 ખોરાકને બદલે મને પિત્ત ખાવા મળ્યું,
    ને તરસ લાગતાં મને સરકો પાવામાં આવ્યો.
22 ભલે તેમનું મેજ તેમના માટે છટકું બને,
    અને તેમનું મૈત્રીભોજન તેમનો ફાંસલો બને.
23 ભલે તેઓની આંખો કઇપણ જોવા માટે ઝાંખી બને,
    અને ભલે તેઓ અંધ બની જાય.
અને ભલે તેમની કમરો નબળી બને.
24 ભલે તમે તમારો કોપ તેઓ પર વરસાવો,
    તમારો ક્રોધાજ્ઞિ તેઓને પકડી પાડો.
25 તેમનાં ઘરો ઉજ્જડ થાઓ,
    ને તેમાં કદી કોઇ નિવાસ કરે નહિ.
26 કારણ, જેને તમે શિક્ષા કરી છે તેઓ તેની પૂઠ પકડે છે,
    અને જેને તમે ઘાયલ કર્યો છે તેનાં દુ:ખની વાત કરે છે.
27 તેઓને શિક્ષા કરો જેને તેઓ પાત્ર છે.
    તમે કેટલાં સારા છો તે તેમને ન બતાવો.
28 જીવન પુસ્તકમાંથી આ લોકોનાં નામ ભૂઁસી નાખો,
    સારા લોકોનાં નામોની યાદીના પુસ્તકમાં તેમનાં નામો સાથે ન મૂકો.
29 પણ હે દેવ હું તો નિ:સહાય અને ઉદાસ છું;
    હે દેવ, મારી રક્ષા કરો અને મને ઉપર ઊઠાઓ.
30 પછી હું ગીત ગાઇને દેવના નામનું સ્તવન કરીશ,
    અને આભાર માનીને તેમનાં નામની હું સ્તુતિ કરીશ.
31 અને તે બળદનાં અથવા વાછરડાંનાં બલિદાન કરતાં
    તેમને વધુ આનંદ આપશે.
32 નમ્ર જનો તે જોઇને આનંદ પામશે,
    દેવને શોધનારાઓ તમારા હૃદયો નવું જીવન પામો.
33 કારણ યહોવા દરિદ્રીઓની અરજ સાંભળે છે,
    અને તેમનાં જે લોકો બંદીવાન આપે છે તેઓનાથી તેઓ પોતાનું મુખ આડું ફેરવતાં નથી.
34 આકાશ તથા પૃથ્વી તેમનું સ્તવન કરો;
    સમુદ્રો તથાં તેમાનાં સર્વ જળચર તેમની સ્તુતિ કરો.
35 કારણ, દેવ સિયોનને તારશે
    અને યહૂદિયાનાં નગરોનું નવનિર્માણ કરશે;
તેનાં લોકો તે નગરોમાં વસવાટ કરશે અને તે જન્મભૂમિનો કબજો મેળવશે.
36     વળી તેના સેવકોનાં સંતાન દેશનો વારસો પામશે,
    તેમનાં નામ પર પ્રીતિ રાખનારાઁ તેમાં વસશે.

ગીતશાસ્ત્ર 73

ભાગ ત્રીજો

(ગીત 73–89)

આસાફના સ્તુતિગીત.

જેઓના હૃદય શુદ્ધ છે ઇસ્રાએલ પર;
    તેમના પર ખરેખર દેવ કૃપાવાન છે.
પરંતુ હું લગભગ લપસ્યો
    અને પાપ કરવા લાગ્યો,
કારણ જ્યારે મેં પેલા
    દુષ્ટ લોકોની શાંતિ અને સમૃદ્ધિ જોઇ.
તેઓને જીવનપર્યંત મુશ્કેલી આવતી નથી,
    અને તેઓ સમૃદ્ધ અને બળવાન થતાં જાય છે.
તેમનાં પર માનવજાતનાં દુ:ખો આવતાં નથી;
    અને બીજાઓની જેમ તેઓને પીડા થતી નથી.
તેઓનો ગર્વ ગળાની કંઠી જેવો છે, જે હીરાની જેમ ચમકે છે;
    તેઓએ હિંસા રૂપી વસ્ર ધારણ કર્યા છે.
તેઓ જે વસ્તુઓને જુએ છે તેને વધુ ને વધુ રાખવા ઇચ્છે છે;
    તેને પ્રાપ્ત કરવાના માર્ગો હંમેશા શોધે છે.
તેઓ અન્યોની મશ્કરી કરે છે અને ધિક્કારથી વાત કરે છે,
    તેમણે અન્યો પર કેવી રીતે દમન કર્યું તેના વિષે અભિમાનથી બોલે છે.
દેવની વિરુદ્ધ તેઓ બણગાં ફૂંકે છે,
    તેઓની જીભ અભિમાનથી વાતો કરે છે; પૃથ્વી પર.
10 તેથી દેવના લોકો પણ તેમની તરફ વળે છે
    અને તેઓ જે કહે તે સ્વીકારે છે.[a]
11 તેઓ પૂછે છે કે, “જે કાંઇ બની રહ્યું છે, તે વિષે શું દેવ માહિતગાર છે?
    શું પરાત્પરમાં કાંઇ જ્ઞાન છે?”

12 દુષ્ટ લોકોને જુઓ તો તેઓ હંમેશા ચિંતામુકત હોય છે;
    અને તેઓ શાંતિમાં રહીને સંપત્તિ વધારતા જાય છે.
13 મે મારું હૃદય શુદ્ધ રાખ્યું છે, અને મારા હાથ નિર્દોષ રાખ્યા છે;
    પણ તેથી કોઇ વિશેષ ફાયદો નથી.
14 કારણ હું આખો દિવસ પીડાયા કરું છું,
    અને દર સવારે મને શિક્ષા થાય છે.

15 પરંતુ જો મેં આ પ્રમાણે કહેવાનો નિર્ણય કર્યો હોત,
    તો મેં તમારા લોકોનો વિશ્વાસઘાત કર્યો હોત.
16 જ્યારે મેં તે સમજવા ઊંડો વિચાર કર્યો,
    ત્યારે મને લાગ્યું કે તે સમજવું મારે માટે બહુ કઠીન છે.
17 પછી હું દેવના પવિત્રસ્થાનમાં એક દિવસ ધ્યાન કરવા માટે ગયો,
    ત્યાં હું આખરે દુષ્ટ લોકો વિષે તેમનાં ભવિષ્ય અને તેમના અંત વિષે સમજ્યો.
18 તમે તેઓને લપસણી જગાએ મૂકો છો,
    અને તેઓને વિનાશમાં ફેંકી દો છો.
19 તેમની સુખસમૃદ્ધિનો તત્કાળ અંત આવશે,
    અને તેઓ અનંતકાળપર્યંત ત્રાસ પામશે.
20 તેઓનું વર્તમાન જીવન કેવળ એક સ્વપ્ન જેવું છે,
    માનવ સ્વપ્નમાંથી જાગી વાસ્તવિકતા નિહાળે છે;
તેમ તેઓ જાગ્રત થશે,
    હે યહોવા સત્ય સબંધી નીશ્ચે.

21 જ્યારે હું આ બધી વસ્તુઓ વિષે વિચારતો હતો
    ત્યારે મારું હૃદય ઉદાસ બની ગયું.
22 કેટલો મૂર્ખ અને અજ્ઞાની છું, હું તે જાણી શક્યો;
    હે દેવ, તમારી સમક્ષ હું તો હતો માત્ર એક પશુ જેવો.
23 પરંતુ, તેમ છતાંય, હું હંમેશા તમારી સાથે છું.
    અને તમે મારા જમણા હાથને પકડી રાખ્યો છે.
24 તમારા બોધથી અને સલાહથી જીવનપર્યત તમે દોરવણી આપશો;
    અને પછી તમે તમારા મહિમામાં મારો સ્વીકાર કરશો.
25 આકાશમાં તમારા વિના મારું બીજું કોણ છે;
    અને પૃથ્વી પર મને બીજું કોઇ પ્રિય નથી.
26 મારી તંદુરસ્તી ભલે મને છોડી જાય,
    મારું હૃદય ભલે તૂટી જાય, પણ મારી પાસે ખડક છે
    જેને હું ચાહું છું મારી પાસે દેવ સદાકાળ માટે છે.
27 પરંતુ તેઓ જે દેવથી દૂર છે તેમનો વિનાશ થશે.
    અને જેઓ તમને વફાદાર રહેતા નથી, તેમનો સંપૂર્ણ નાશ તમારા દ્વારા થશે.
28 પરંતુ હું દેવની નજીક રહ્યો છું અને તે મારા માટે સારું છે!
    મેં મારા પ્રભુ યહોવાને મારો આશ્રય બનાવ્યો છે!
    હું તમારા બધાં અદભૂત કૃત્યો વિષે કહેવા આવ્યો હતો.

Error: Book name not found: Sir for the version: Gujarati: પવિત્ર બાઈબલ
Error: Book name not found: Sir for the version: Gujarati: પવિત્ર બાઈબલ
પ્રકટીકરણ 17

પ્રાણી પરની સ્રી

17 સાત દૂતોમાંનો એક આવ્યો અને મારી સાથે વાત કરી. આ દૂતોમાંનો એક હતો જેની પાસે સાત પ્યાલા હતા. તે દૂતે કહ્યું, “આવ, અને હું તમને વિખ્યાત વેશ્યાને જે શિક્ષા કરવામાં આવશે તે બતાવીશ. તે એક કે જે ઘણી નદીઓના પાણી પર બેસે છે. પૃથ્વીના રાજાઓએ તેની સાથે વ્યભિચારનું પાપ કર્યું છે. પૃથ્વી પરના લોકો તેના વ્યભિચારના પાપના દ્રાક્ષારસથી છાકટા થયા છે.”

પછી તે દૂત મને આત્મામાં રણમાં લઈ ગયો. ત્યાં મેં એક સ્ત્રીને લાલ પ્રાણી પર બેઠેલી જોઈ. તે પ્રાણી તેના પર લખાયેલા ઈશ્વરનિંદક નામોથી ઢંકાયેલું હતું. તે પ્રાણીને સાત માથાં અને દસ શિંગડા હતા. તે સ્ત્રીએ જાંબલી અને લાલ રંગના વસ્ત્રો પહેર્યાં હતા. તે સોનાનાં અલંકારો અને કિંમતી પથ્થરોથી શણગારેલી હતી. તેના હાથમાં સોનાનું પ્યાલું હતું. આ પ્યાલું ભયંકર વસ્તુઓ અને તેનાં અશુદ્ધ વ્યભિચારનાં પાપોથી ભરાયેલું હતું. તેના કપાળ પર એક શીર્ષક (નામ) લખાયેલું હતું, આ શીર્ષકનો ગુપ્ત અર્થ છે. જેનું લખાણ આ પ્રમાણે હતું:

હે મહાન બાબિલોન

વેશ્યાઓની માતા

અને પૃથ્વી પરની દુષ્ટ બાબતોની માતા

મેં જોયું કે તે સ્ત્રી પીધેલી હતી. તેણે સંતોનું લોહી પીધેલું હતું જે લોકો ઈસુમાંના તેઓના વિશ્વાસ વિષે કહેતા હતા તે લોકોનું લોહી તેણે પીધું હતું.

જ્યારે મેં તે સ્ત્રીને જોઈ ત્યારે હું અતિશય આશ્ચર્ય પામ્યો. પછી તે દૂતે મને કહ્યું કે, “તું શા માટે આશ્ચર્ય પામે છે? હું તને આ સ્ત્રીનો અને જે પ્રાણી પર તે સવારી કરે છે, તે સાત માથા અને દસ શિંગડાંવાળા પ્રાણી નો મર્મ કહીશ. તું જે પ્રાણી જુએ છે તે એક વખત જીવતું હતું પણ તે પ્રાણી હમણા જીવતું નથી. પણ તે પ્રાણી જીવતુ થશે તે અસીમ ઊંડાણમાંથી બહાર નીકળશે અને વિનાશના માર્ગે જશે. પૃથ્વી પર જે લોકો રહે છે. તે આશ્ચર્ય પામશે. કારણ કે તે એક વખત જીવતું હતું, હમણા તે જીવતું નથી. પણ ફરીથી આવશે. પણ આ તે લોકો છે કે જેમના નામો દુનિયાના આરંભથી જીવનનાં પુસ્તકમાં લખેલા નથી.

“તને આ વાત સમજવા માટે જ્ઞાની મનની જરૂર છે, તે પ્રાણી પરના સાત માથાં તે સ્ત્રી જ્યાં બેસે છે તે સાત ટેકરીઓ છે. તેઓ સાત રાજાઓ પણ છે. 10 રાજાઓમાંના પાંચ તો મરી ગયા છે. રાજાઓમાંનો એક હમણાં જીવે છે. અને તે એક જે હજી સુધી આવ્યો નથી. જ્યારે તે આવશે, તે ફક્ત થોડો સમય જ રહેશે. 11 તે પ્રાણી એક વખત જીવતું હતું પણ તે હાલમાં જીવતું નથી. તે જ આઠમો રાજા છે. આ આઠમો રાજા પણ તે પહેલાના સાત રાજાઓમાનો એક છે. અને તેનો વિનાશ થશે.

12 “તે દસ શિંગડાંઓ જે તમે જોયાં તે આ દસ રાજાઓ છે. જેઓને હજુ તેઓનું રાજ્ય મળ્યું નથી. પણ તેઓ એક કલાક માટે તે પ્રાણી સાથે શાસન કરવા અધિકાર મેળવશે. 13 આ રાજાઓમાંના બધા દસ નો હેતુ એક જ છે અને તેઓ તેઓની સત્તા અને અધિકાર તે પ્રાણીને આપશે. 14 તેઓ હલવાનની સાથે યુદ્ધ કરશે. પરંતુ હલવાન તેઓને હરાવશે. કારણ કે તે પ્રભુઓનો પ્રભુ અને રાજાઓનો રાજા છે. તે તમને પોતે પસંદ કરેલા અને વિશ્વાસી જેઓને તેણે બોલાવ્યા છે તેઓના વડે તેને હરાવશે.”

15 પછી તે દૂતે મને કહ્યું કે, “જે પ્રાણી તેં જોયું છે તેના પર તે વેશ્યા બેસે છે. આ પ્રાણી તે ઘણા લોકો, જુદી જુદી જાતિઓ, રાષ્ટ્રો અને દુનિયાની ભાષાઓ છે. 16 તે જે દસ શિંગડાંઓ અને પ્રાણી જોયાં તેઓ તે વેશ્યાને ધિક્કારશે. તેઓ તેની પાસેથી બધું જ લઈ લેશે અને તેને નગ્ર છોડી દેશે. તેઓ તેના શરીરને ખાશે અને તેને અગ્નિ વડે બાળી નાખશે. 17 દેવે તેનો હેતુ પૂરો કરવાની ઈચ્છાથી દસ શિંગડાંઓ બનાવ્યાં: તેઓ તેની શાસન કરવાની સત્તા પ્રાણીને આપવા સમંત થયાં. દેવે કહેલાં વચન પૂર્ણ થશે ત્યાં સુધી તેઓ શાસન કરશે. 18 તમે જે સ્ત્રીને જોઈ તે એક મોટું શહેર છે. જે પૃથ્વીના રાજાઓ પર શાસન કરે છે.”

લૂક 13:31-35

યરૂશાલેમમાં ઈસુના મૃત્યુની આગાહી

(માથ. 23:27-39)

31 તે સમયે કેટલાએક ફરોશીઓ ઈસુ પાસે આવ્યા અને કહ્યું, “અહીંથી દૂર ચાલ્યો જા, અને છુપાઇ જા. હેરોદ તને મારી નાખવા ચાહે છે!”

32 ઈસુએ તેઓને કહ્યું, “જાઓ, જઇને તે શિયાળવા[a] ને કહો આજે અને આવતીકાલે હું લોકોમાંથી અશુદ્ધ આત્મા બહાર કાઢું છું અને સાજા કરવાનું મારું કામ પૂરું કરી રહ્યો છું. પછી બીજે દિવસે કામ પૂરું થઈ જશે. 33 તે પછી મારે જવું જોઈએ, કારણ કે બધા પ્રબોધકોએ યરૂશાલેમમાં મરવું પડે.

34 “ઓ યરૂશાલેમ! યરૂશાલેમ! તું પ્રબોધકોને મારી નાખે છે. દેવે તારી પાસે મોકલેલા લોકોને નેં પથ્થરે માર્યા. ઘણી વાર મેં તારાં લોકોને મદદ કરવાની ઈચ્છા કરી. જેમ મરઘી પોતાનાં બચ્ચાઓને પાંખો તળે ભેગાં કરે છે તેમ કેટલી વાર તારાં લોકોને ભેગા કરવાની ઇચ્ચા કરી, પણ તમે મને કરવા દીધું નહિ. 35 હવે તમારું ઘર સંપૂર્ણ ઉજ્જડ મૂકવામાં આવશે. હું તમને કહું છું કે, પ્રભુનાં નામે જે આવે છે તેને ધન્ય છે, એમ તમે નહિ કહો ત્યાં સુધી તમે મને ફરી જોઈ શકશો નહિ.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International