Book of Common Prayer
1 યહોવાની સ્તુતિ કરો!
આકાશમાંથી તેમની સ્તુતિ કરો!
ઉચ્ચસ્થાનમાંથી તેમની સ્તુતિ કરો!
2 તમે બધાં દેવદૂતો તેમની સ્તુતિ કરો;
તેમનાં સર્વ સૈન્યો તેમની સ્તુતિ કરો!
3 સૂર્ય તથા ચંદ્ર, તમે તેની સ્તુતિ કરો!
સર્વ ઝગઝગતાં તારા તેમની સ્તુતિ કરો!
4 આકાશોનાં આકાશ તમે યહોવાની સ્તુતિ કરો!
આકાશ ઉપરના પાણી તેમની સ્તુતિ કરો!
5 તમે બધાં જેનું તેમણે સર્જન કર્યુ છે તે યહોવાનાં નામની સ્તુતિ કરો;
કારણ તેના હુકમથીજ તમે જન્મ્યા.
6 દેવે આ બધી વસ્તુઓ, સદાકાળ માટે સ્થાપન કરી છે તેમણે જે નિયમ પ્રસ્થાપિત કર્યા છે
તેનો અંત કદાપિ આવશે નહિ અને ઉલ્લંધન કરી શકે નહિ.
7 હે પૃથ્વી પરના બધાં જ જીવો, તમે યહોવાની સ્તુતિ કરો;
હે મહાસાગરનાં ઊંડાણોમાં વસતાં સૌ જીવો તેમની સ્તુતિ કરો.
8 અગ્નિ તથા કરા, હિમ તથા મેઘ;
આંધીના વાયુ, જે એનુ વચન પૂરુ કરે છે.
9 તમે પર્વતો તથા ડુંગરો;
ફળવૃક્ષો તથા સર્વ દેવદારો.
10 હિંસક પ્રાણીઓ તથા સર્વ પશુઓ;
પેટે ચાલનારાં જીવજંતુ તથા ઊડનારાં પક્ષીઓ;
11 પૃથ્વીના રાજાઓ, અને સર્વ પ્રજાઓ,
તથા તેઓના અધિકારીઓ તેમજ ન્યાયાધીશો;
12 યુવાનો અને કન્યાઓ,
વૃદ્ધો અને બાળકો;
13 તમે સર્વે યહોવાની સ્તુતિ કરો
કારણકે ફકત તેમનું એકલાનું જ નામ પ્રતિષ્ઠાપાત્ર છે!
આકાશ અને પૃથ્વી પરની
તમામ વસ્તુઓ તેમની સ્તુતિ કરો!
14 તે તેમના લોકોની તાકાત વધારશે,
તેના વફાદાર સંતો તેમની સ્તુતિ કરો.
સર્વ ઇસ્રાએલીઓ જે લોકો તેમની ખૂબ નજીક છે તે તેમની સ્તુતિ કરો.
1 યહોવાની સ્તુતિ કરો!
તેમની સમક્ષ નવું ગીત ગાઓ;
સંતોની સભામાં તેની સ્તુતિ કરો.
2 ઇસ્રાએલ, તમારા સર્જનહારનાં અસ્તિત્વનો તમે આનંદ કરો;
સિયોનના લોકો, તમારા રાજાની નિકટતાનો આનંદ મનાવો.
3 તેઓ તેના નામની સ્તુતિ નૃત્યસહિત કરો;
ડફ તથા વીણાથી તેનાં સ્તોત્ર ગીત ગાઓ.
4 કારણકે યહોવા પોતાના લોકોમાં આનંદ માને છે;
અને નમ્રજનોનો ઉદ્ધાર કરે છે.
5 તેમનાં સંતો તેમના ગૌરવથી હરખાય છે;
પથારીમાં સૂતા હોય ત્યારે પણ તમે આનંદના ગીતો ગાઓ.
6 તેઓના કંઠમાંથી યહોવાની ઉત્તમ સ્તુતિ ગવાઓ;
અને તેઓના હાથમાં બેધારી તરવાર રહો.
7 તેઓ બીજા રાષ્ટ્રોને સજા કરે
અને તેમને પાઠ ભણાવે.
8 તેઓના રાજાઓને અને આગેવાનોને;
લોખંડની સાંકળોથી બાંધે.
9 અને તેઓને દેવના ચુકાદા મુજબ તેઓ સજા કરે!
યહોવા તેમના બધાં સંતોનો આદર છે.
યહોવાની સ્તુતિ કરો.
1 યહોવાની સ્તુતિ કરો!
તેમના મંદિરમાં તેમની સ્તુતિ કરો!
તેમના શકિતશાળી આકાશમાં તેમની સ્તુતિ કરો!
2 તેનાં પરાક્રમી કાર્યો માટે તેમની સ્તુતિ કરો;
તેમની અજોડ મહાનતા માટે તેમની સ્તુતિ કરો.
3 રણશિંગડા વગાડીને તેમની સ્તુતિ કરો;
સિતાર તથા વીણાથી તેમની સ્તુતિ કરો.
4 ખંજરી તથાનૃત્યસહિત તેમની સ્તુતિ કરો;
સારંગી તથા શરણાઇ સાથે તેમની સ્તુતિ કરો.
5 તીવ્ર સૂરવાળી ઝાંઝોના મોટા અવાજ સાથે તેમની સ્તુતિ ગાઓ,
ઝાંઝોના હર્ષનાદ સાથે તેમની સ્તુતિ કરો!
6 શ્વાસોચ્છ્વાસ લેનારાં સર્વ યહોવાની સ્તુતિ કરો!
તમે સૌ યહોવાની સ્તુતિ કરો!
1 જ્યારે ઇસ્રાએલીઓ વર્ષો પૂવેર્ મિસરમાંથી નીકળ્યા,
તેથી પરભાષા બોલનાર લોકોમાંથી યાકૂબનું કુટુંબ નીકળ્યું.
2 પછી યહૂદિયા દેવનું નવું ઘર
અને ઇસ્રાએલ દેશ તેમનું રાજ્ય બન્યાં.
3 તેઓને આવતા જોઇને લાલ સમુદ્ર બે ભાગમાં વહેંચાઇ ગયો;
યર્દન નદી પાછી વળી અને દૂર દોડી ગઇ.
4 પર્વતો ઘેટાંઓની માફક કૂદ્યા
અને ડુંગરો ગાડરની જેમ કૂદ્યા.
5 અરે લાલ સમુદ્ર! તને શું થઇ ગયું કે તું બે ભાગમાં વહેંચાઇ ગયો?
યર્દન નદી, શું થયું તારા પાણીનું?
શા માટે તમે પાછા હઠી ગયા?
6 અરે પર્વતો, તમે શા માટે ઘેટાંની જેમ કૂદ્યા?
અને ડુંગરો તમે કેમ હલવાનોની જેમ કૂદ્યા?
7 હે પૃથ્વી, પ્રભુની સમક્ષ, યાકૂબના દેવની સમક્ષ,
તું થરથર કાંપ.
8 તેણે ખડકમાંથી પાણી વહેતું કર્યું.
તેણે ચકમકમાંથી જળનાં ઝરણા વહાવ્યાં.
1 હે યહોવા, અમારું નહિ, તમારું નામ થાઓ મહિમાવાન;
તમારી કૃપા અને તમારા વિશ્વાસુપણા માટે સર્વ સ્તુતિ કરે.
2 પ્રજાઓ શા માટે એમ પૂછે છે:
“તમારા દેવ ક્યાં છે?”
3 કારણ અમારા દેવ સ્વર્ગમાઁ છે
અને તેમની ઇચ્છા પ્રમાણે કાર્ય કરે છે.
4 તેઓના દેવો સોના ચાંદીના જ છે;
તેઓ માણસોના હાથથી ઘડાયેલા છે.
5 તેઓને મોંઢા છે છતાં બોલતાં નથી;
તેઓને આંખો છે છતાં જોઇ શકતાં નથી.
6 તેઓને કાન છે છતાં સાંભળતા નથી; નાક છે,
પણ, તેઓ સૂંઘી શકતા નથી.
7 તેઓને હાથ છે પણ ઉપયોગ કરતાં નથી;
તેઓને પગ છે છતાં તે ચાલી શકતા નથી.
તેઓ પોતાના ગળામાંથી અવાજ કાઢી શકતા નથી.
8 જેઓ તેમને બનાવશે, અને તેઓ પર વિશ્વાસ કરશે
તેઓ બધાં જલ્દી તેમના જેવા થશે.
9 હે ઇસ્રાએલ, યહોવામાં તમારો ભરોસાઓ રાખો.
તે તારો તારણહાર છે અને તે તારી ઢાલ છે.
10 હે હારુનપુત્રો, યહોવામાં તમારી શ્રદ્ધા રાખો,
તે તમારો તારણહાર અને તમારી ઢાલ છે.
11 હે યહોવાના ભકતો તેમનામાં તમારો વિશ્વાસ રાખો,
તે તમારા મદદગાર અને ઢાલ છે.
12 યહોવાએ આપણને સંભાર્યા છે,
તે આપણને આશીર્વાદ આપશે;
ઇસ્રાએલપુત્રોને અને હારુનપુત્રોને
પણ તે આશીર્વાદ આપશે.
13 હે યહોવાના ભકતો,
નાનાઁમોટાં સર્વને તે આશીર્વાદ આપશે.
14 યહોવા ખચીત તમારા છોકરાંની
તથા તમારી વૃદ્ધિ કર્યા કરશે.
15 હા, આકાશ અને પૃથ્વીના સર્જક;
યહોવા પોતે, તમને આશીર્વાદ આપશે.
16 આકાશો તે યહોવાનાઁ પોતાના છે,
પણ પૃથ્વી તેણે માણસોને આપી છે.
17 મૃત્યુ પામેલાઓ, કબરમાં ઊતરનારાઓ પૃથ્વી પર
યહોવાના સ્તોત્ર નથી ગાઇ શકતા.
18 પણ અમે આજથી
સર્વકાળપર્યંત યહોવાની સ્તુતિ કરીશું.
યહોવાની સ્તુતિ થાઓ!
યહૂદિઓ જેવા ન બનો
10 ભાઈઓ અને બહેનો, આપણા પૂર્વજો કે જે મૂસાને અનુસરેલા તેઓને સાથે શું બન્યું હતું, તે તમે જાણો તેમ હું ઈચ્છું છું. તેઓ બધા એક વાદળ નીચે હતા અને તેઓ દરિયો પસાર કરી ગયા. 2 મૂસામાં તે બધાજ લોકો વાદળ અને દરિયામાં બાપ્તિસ્મા પામ્યા હતા. 3 તેઓ બધાએ એ જ આત્મિક અન્ન ખાધું હતું. 4 તેઓ બધાએ એક સમાન આત્મિક પીણું પીધું હતું. તેઓએ તેઓની સાથે રહેલા આત્મિક ખડકમાંથી પીણું પીધું હતું. તે ખડક ખ્રિસ્ત હતો. 5 પરંતુ દેવ મોટા ભાગના લોકોથી સંતુષ્ટ ન હતો. તેઓને રણપ્રદેશમાં મારી નાખવામાં આવ્યા.
6 આ બાબતો જે બની તે આપણા માટે ઉદાહરણરૂપ છે. આ ઉદાહરણોએ આપણને પેલા લોકોની જેમ દુષ્ટ કામો કરવાની ઈચ્છામાંથી રોકવા જોઈએ, જે તે લોકોએ કર્યા. 7 મૂર્તિઓની ઉપાસના ન કરશો જેમ પેલા લોકોએ કરેલી. એવું શાસ્ત્રલેખમાં લખેલું છે કે: “લોકો ખાવા-પીવા માટે નીચે બેઠા. લોકો નૃત્ય માટે ઊભા થયા.”(A) 8 આપણે વ્યભિચારના પાપો જે તેમાંના કેટલાએક લોકોએ કર્યા તે નહિ કરવા જોઈએ. તેઓના પાપોને કારણે એક જ દિવસમાં તેઓમાંના 23,000 લોકો મૃત્યુ પામ્યા. 9 તેઓમાંના કેટલાએકે જેમ કર્યુ તેમ આપણે પ્રભુનું પરીક્ષણ ન કરવું જોઈએ. તેઓ સર્પો દ્વારા મૃત્યુ પામ્યા કારણ કે તેઓએ પ્રભુનું પરીક્ષણ કર્યુ હતું. 10 અને તેઓમાંના કેટલાએક લોકોએ ફરિયાદ કરેલી તેમ ન કરો. તે લોકોને જે વિનાશકર્તા છે એવા દૂત દ્વારા તેમને મારી નાખવામાં આવેલા હતા.
11 જે ઘટનાઓ પેલા લોકો સાથે ઘટી હતી તે ઉદાહરણરુંપ છે. અને તે બાબતો આપણા માટે ચેતવણીરૂપે લખાઈ હતી. આપણે એવા સમયગાળામાં અત્યારે રહીએ છીએ કે જ્યારે ભૂતકાળના દરેક ઈતિહાસની સમાપ્તિને આરે આવી પહોંચ્ચા છે. 12 તેથી જે વ્યક્તિ માને છે કે તે સ્થિર ઊભો રહી શકે છે તેણે નીચે પડી ન જવાય તેની સંભાળ રાખવી જોઈએ. 13 બધા લોકો પર જે પરીક્ષણ આવે છે તે જ પરીક્ષણો તમારા પર પણ આવે છે. પરંતુ તમે દેવમાં ભરોસો રાખી શકો છો. તમારી સહનશક્તિની સીમા બહાર તે તમને વધારે પરીક્ષણમાં પડવા દેશે નહિ. પરંતુ જ્યારે તમે પરીક્ષણમાં પડો, ત્યારે તે પરીક્ષણમાંથી છટકવા માટેનો રસ્તો પણ દેવ જ તમને બતાવશે, તેથી તમે સહન કરી શકો.
પિતર કહ્યુ, ઈસુ તે ખ્રિસ્ત છે
(માર્ક 8:27-30; લૂ. 9:18-21)
13 જ્યારે ઈસુ કૈસરિયા ફિલિપ્પી પ્રદેશમાં આવ્યો તો તેણે તેના શિષ્યોને પૂછયું કે, “માણસનો દીકરો કોણ છે એ વિષે લોકો શું કહે છે?”
14 શિષ્યોએ કહ્યું, “કેટલાક લોકો કહે છે કે તું યોહાન બાપ્તિસ્ત છે. બીજા લોકો કહે છે કે, તું એલિયા[a] છે. થોડા લોકો કહે છે તું યર્મિયા[b] અથવા બીજા પ્રબોધકમાંનો એક છે.”
15 પછી ઈસુએ તેના શિષ્યોને પૂછયું, “તમે શું કહો છો, હું કોણ છું?”
16 સિમોન પિતરે ઉત્તર આપ્યો, “તું પોતે મસીહ, જીવતા દેવનો દીકરો છે.”
17 ઈસુએ ઉત્તર આપ્યો; “યૂના પુત્ર સિમોન તને ધન્ય છે કેમ કે માંસે તથા લોહીએ નહિ, પણ મારા આકાશમાં બાપે તને એ જણાવ્યું છે. 18 હું તને કહું છું કે તું પિતર છે, આ ખડક પર હું મારી મંડળી બાંધીશ, અને તે મંડળીની સામે હાદેસની સત્તાનું[c] જોર ચાલશે નહિ. 19 હું તને આકાશના રાજ્યની ચાવીઓ આપીશ. તું જેને પૃથ્વી પર બંધનકર્તા ગણશે તે જ આકાશમાં બંધનકર્તા રહેશે. અને પૃથ્વી પર તું જે બંધનકર્તા નથી તેમ જાહેર કરીશ તે આકાશમાં બંધનકર્તા થશે નહિ.”
20 પછી તે ખ્રિસ્ત છે તેવું કોઈને પણ નહિ જણાવવા ઈસુએ તેના શિષ્યોને ચેતવણી આપી.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International