Book of Common Prayer
દાઉદનું ગીત.
1 હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કર!
હા સંપૂર્ણ હૃદયથી દેવનાં પવિત્ર નામને આશીર્વાદ આપ.
2 હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કરો!
ભૂલીશ નહિ, તેઓ અદભૂતકાર્યો તારા ભલા માટે કરે છે.
3 તારાં સઘળાં પાપ તે માફ કરે છે;
અને તારાં સર્વ રોગ મટાડે છે.
4 અનંત નાશમાંથી તે તને છોડાવી લે છે
અને પ્રેમભરી ભલાઇ અને કૃપાથી નવાજે છે.
5 તારા જીવનને તે ઉત્તમ વસ્તુઓથી ભરી દે છે;
જેથી તારી યુવાની ગરૂડની જેમ તાજી કરાય છે.
6 જેઓ જુલમથી હેરાન થયેલા છે,
તે સૌને માટે એ યહોવા ન્યાયનાં કામ, ને ચુકાદા કરે છે.
7 મૂસા તથા ઇસ્રાએલનાં લોકો સમક્ષ તેમણે તેમના માર્ગો
અને તેમના કાર્યો પ્રગટ કર્યા હતા.
8 યહોવા દયાળુ અને ક્ષમાશીલ છે.
તે દયા તથા પ્રેમથી ભરપૂર છે,
પણ તે ગુસ્સે થવામાં ધીમાં છે.
9 યહોવા હંમેશા ટીકા કરતાં નથી,
અને તે કદીય સદાને માટે ગુસ્સામાં રહેતા નથી.
10 તેઓ આપણા પાપ પ્રમાણે આપણી સાથે નથી ર્વત્યા.
તેમણે આપણને આપણા અન્યાયી કાર્યો પ્રમાણે શિક્ષા કરી નથી.
11 કારણ તેના ભકતો પરની
તેની કૃપા જેટલું આકાશ પૃથ્વીથી ઊંચુ છે તેટલી છે.
12 પૂર્વ જેટલું દૂર છે પશ્ચિમથી,
એટલાં દૂર કર્યા છે આપણાં પાપ તેમણે આપણાથી.
13 જેમ પિતા પોતાના સંતાનો પર દયાળુ છે;
તેમ યહોવા પોતાના ભકતો પર દયાળુ છે.
14 કારણકે તે જાણે છે બંધારણ આપણું;
માત્ર ધૂળ છીએ આપણે એવું તે સંભારે છે.
15 આપણા જીવનનાં દિવસો ઘાસ જેવા છે,
અને તે ફૂલની જેમ ટૂંકા અને થોડા છે.
16 પવન તેના પર થઇને વાય છે, અને તે ઊડી જાય છે;
અસ્તિત્વની નિશાની રહેતી નથી, અને તે નષ્ટ થઇ જાય છે.
17 પણ યહોવાની કૃપા તેમના ભકતો પર અનાદિકાળથી તે અનંતકાળસુધી છે.
અને તે તેનું ન્યાયીપણું તેના બીજા વંશજોને સર્વદા બતાવવાનું ચાલુ રાખશે.
18 જેઓ તેમનો કરાર અનુસરે છે;
અને તેમની આજ્ઞાઓનું પાલન કરે છે તે સર્વ પર તે કૃપા કરે છે.
19 દેવે આકાશમાં રાજ્યાસન સ્થાપ્યું છે;
અને ત્યાંથી તે સર્વ ઉપર શાસન ચલાવે છે.
20 તેમના હુકમનો અમલ કરનારાં
અને તેમની આજ્ઞાઓને સાંભળનારા તેના સમર્થ દૂતો,
તમે યહોવાને ધન્યવાદ આપો.
21 હે યહોવાનાં સૈન્યો તમો બધા,
જે તેમના સેવકો છો તે જે ઇચ્છે છે તે કરો છો,
તેમની સ્તુતિ કરો!
22 યહોવાનાં રાજ્યમાં સર્વત્ર તેમનાં ઉત્પન્ન કરેલા છે;
હે મારા આત્મા તેમની સ્તુતિ કર;
દેવની સ્તુતિ કર!
મંદિરથી વહેતું પાણી
47 પછી તે માણસ મને મંદિરના ધ્વાર પાસે પાછો લાવ્યો, મેં જોયું તો મંદિરના ઉંબરા તળેથી નીકળીને પાણી પૂર્વ તરફ વહેતું હતું, કારણ, મંદિર પૂર્વાભિમુખ હતું. એ પાણી યજ્ઞવેદીની અને મંદિરની દક્ષિણ બાજુએ થઇને જતું હતું. 2 પછી તે માણસ મને ઉત્તરને દરવાજેથી બહાર લઇ આવ્યો અને ફેરવીને પૂર્વ દરવાજે લઇ ગયો. ત્યાં જમણી બાજુએથી થોડું થોડું પાણી નીકળતું હતું.
3 હાથમાં માપદંડ લઇને તે પૂર્વ તરફ ગયો અને 1,000 હાથ ભર્યા પછી તેણે મને પાણીમાં ચલાવ્યો. પાણી ઘૂંટીસમાં હતાં. 4 એ પછી તેણે બીજા 1,000 હાથ અંતર માપ્યું અને ફરી મને પાણીમાં ચલાવ્યો, અહીં પાણી ઘૂંટણસમાં હતાં. ફરીથી તેણે એક 1,000 હાથ અંતર માપ્યું, અને મને પાણીમાં ચલાવ્યો, અહીં પાણી કમરસમાં હતાં. 5 બીજા 1,000 હાથ અંતર માપ્યું. હવે તે પાણી નદીમાં ફેરવાઇ ગયા હતાં, પાણી એટલાં ઊંડા હતાં કે તેમાં તરી શકાય. કોઇ ચાલીને સામે કિનારે જઇ શકે નહિ. 6 તેણે મને કહ્યું “હે મનુષ્યના પુત્ર, આ બધું ધ્યાનમાં રાખજે.”
7 ત્યાર બાદ તે મને પાછો નદીને કાંઠે લઇ ગયો અને મેં જોયું તો બંને કાંઠે પુષ્કળ વૃક્ષો ઊભાં હતાં. 8 તેણે મને કહ્યું, “આ પાણી પૂર્વમાં વહેતું યર્દનકાંઠા સુધી જાય છે અને આખરે એ મૃતસરોવરને જઇને મળે છે. એ જ્યારે મૃતસરોવરને જઇને મળે છે ત્યારે તેના પાણીને મીઠું બનાવી દે છે. 9 જ્યાં જ્યાં એ પાણી વહેશે ત્યાં ત્યાં બધી જાતના પ્રાણીઓ અને માછલાંઓ ઉભરાવા માંડશે. એ પાણીનો ઝરો મૃતસરોવરના પાણીને મીઠું બનાવી દેશે. અને એ જ્યાં જ્યાં થઇને વહેશે ત્યાં જીવન ફેલાવશે. 10 મૃતસમુદ્રના કાંઠે માછીમારો ઊભા રહેશે અને એન-ગેદીથી છેક એન-એગ્લાઇમ સુધી સર્વ જગ્યાએ માછલાં પકડશે. તેનો કિનારો માછલી પકડવાની જાળો પાથરવાનું સ્થળ બની રહેશે અને ત્યાં મોટા સમુદ્રમાં છે તેમ વિવિધ પ્રકારની માછલીઓ હશે. 11 પરંતુ કાંઠે આવેલા કાદવકીચડના તથા તળાવોના પાણી મીઠાં નહિ થાય, પણ મીઠું બનાવવાના કામમાં આવશે. 12 એ નદીના બંને કાંઠાઓ ઉપર બધાં ફળઝાડો ઊગી નીકળશે, તેમના પાંદડાં કરમાશે નહિ અને તેમને ફળ આવતાં કદી અટકશે નહિ. દર મહિને તેમને નવા ફળ આવશે, કારણ, તેમને મળતું પાણી મંદિરમાંથી આવે છે, તેમના ફળ ખાવા માટે છે અને પાંદડાં દવા માટે છે.”
ઈસુના જીવન વિષે લૂક લખે છે
1 ઘણા લોકોએ આપણી વચ્ચે જે ઘટનાઓ બની હતી તેનું વર્ણન કરવાનો પ્રયત્ન કર્યો છે. 2 જેઓએ પોતાની જાતે આરંભથી તે ઘટનાઓ નીહાળી છે અને જેઓ પ્રભુનો સંદેશ તે લોકોને આપતા હતા. તે લોકોએ આપણને જે રીતે કહ્યું હતું તે જ પ્રમાણે તેઓએ તે બાબતો લખી છે. 3 નેકનામદાર થિયોફિલ, શરુંઆતથી જ મેં મારી જાતે આનો ચોકસાઇપૂર્વક અભ્યાસ કર્યો અને તેથી મેં તમારા માટે પુસ્તકમાં યોગ્ય ક્રમમાં વૃતાંત લખવા વિચાર્યુ. 4 હું આ બધી બાબતો તારા માટે લખું છું જેથી તને ખાતરી થશે કે તને જે કંઈ શીખવવામાં આવ્યું છે તે સાચું છે.
નિર્દેશક માટે. વાજીંત્રો સાથે સ્તુતિનું ગીત.
1 હે દેવ, અમારા પર કૃપા કરો, અને આશીર્વાદ આપો;
ને અમારા પર તમારા મુખનો પ્રકાશ આવવા દો.
2 જેથી પૃથ્વી પરનો પ્રત્યેક વ્યકિત તમારા માર્ગો વિષે ભલે શીખે.
ભલે બધીજ પ્રજાઓ તમારા તારણની શકિત વિષે જાણે.
3 હે દેવ, લોકો તમારી આભારસ્તુતિ કરે;
સર્વ લોકો તમારી આભારસ્તુતિ કરે.
4 પ્રજાઓ આનંદ કરશે અને હર્ષથી ગાશે;
કારણ, પૃથ્વી પરની પ્રજાઓ ઉપર તમે રાજ કરશો;
અને લોકોનો અદલ ઇન્સાફ કરશો.
5 હે દેવ, લોકો તમારી આભારસ્તુતિ કરે;
હે પ્રજાઓ, તમે તેમનો આભાર માનો.
6 પૃથ્વીએ આપણને તેનો વિપુલ પાક આપ્યો છે.
હા, યહોવા આપણા દેવ આપણને આશીર્વાદ આપશે.
7 દેવ આપણને આશીર્વાદ આપશે,
પૃથ્વીનાં સર્વ લોકો દેવનો ભય રાખો.
1 યહોવા સમક્ષ નવું ગીત ગાઓ!
સમગ્ર પૃથ્વી પર સર્વત્ર એ ગીત ગાઓ, યહોવા સમક્ષ ગાઓ.
2 તેમના નામને ધન્યવાદ આપો;
દિનપ્રતિદિન તેનું તારણ પ્રગટ કરો.
3 પ્રજાઓને તેના મહિમા વિષે જણાવો
અને બધા લોકોને તેમના ચમત્કારો વિષે કહો.
4 કારણ, યહોવાની મહાનતા અવર્ણનીય છે;
અને તે બહુ સ્તુત્ય છે; તેજ માત્ર ભયાવહ દેવ;
સર્વ “દેવોની” ઉપર છે.
5 લોકોના સર્વ “દેવો,” મૂર્તિઓ માત્ર છે;
પણ યહોવાએ આકાશોને ઉત્પન્ન કર્યા છે.
6 ભવ્યતા અને મહિમા તેમની સામે ચમકે છે.
સાર્મથ્ય અને સૌન્દર્ય તેમના પવિત્રસ્થાનમાં છે.
7 હે વિશ્વની સર્વ પ્રજાઓ, યહોવા એકલા જ છે મહિમાવાન અને પરાક્રમી;
તે તમે કબૂલ કરો ને તેમને માન આપો.
8 યહોવાને ઘટે છે ગૌરવ જે તે તેમને આપો,
તેમની આરાધના કરવાને તમારા અર્પણો લઇને તેનાં આંગણામાં જાઓ.
9 પવિત્રતાની સુંદરતા ધારણ કરી, યહોવાની ઉપાસના કરો;
અને ધ્રૂજો સમગ્ર પૃથ્વી તેમની સમક્ષ.
10 પ્રજાઓની વચ્ચે જાહેર કરો, યહોવા એ છે જે જગત પર શાસન કરે છે અને ટકાવી રાખે છે,
તેથી તેનો વિનાશ થશે નહિ.
બધાં લોકોનો નિષ્પક્ષતાથી ન્યાય કરશે.
11 આકાશો આનંદ પામો! હે પૃથ્વી,
સુખી થાવ! હે ગર્જના કરતા સમુદ્રની વિશાળતા હર્ષથી પોકારો.
12 ખેતરો અને તેમાં જે કઇં ઊગે છે તે સર્વ સુખી થાઓ.
હે વનનાં સર્વ વૃક્ષો યહોવાની આગળ હર્ષ સાથે ગાઓ.
13 પૃથ્વીનો ન્યાય કરવાને,
યહોવા આવે છે;
તે સર્વ પ્રજાઓનો ન્યાય સત્યતાએ કરશે;
અને જગતનો યથાર્થપણે.
લૂક બીજુ પુસ્તક લખે છે
1 વહાલા થિયોફિલ,
મેં પ્રથમ પુસ્તક ઈસુએ જે કંઈ કર્યુ અને શીખવ્યું તે દરેક બાબતો વિષે લખ્યું છે. 2 મેં ઈસુના જીવનના આરંભથી તેને જે દિવસથી આકાશમાં લઈ લેવામાં આવ્યો ત્યાં સુધીના સમગ્ર જીવન વિષે લખ્યું છે. આ બનતાં પહેલાં, ઈસુએ પોતે પસંદ કરેલા પ્રેરિતો સાથે વાત કરી. પવિત્ર આત્માની સહાયથી ઈસુએ પ્રેરિતોને તેઓએ શું કરવું જોઈએ તે કહ્યું. 3 આ ઈસુના મૃત્યુ પછીની વાત હતી. પણ તેણે પ્રેરિતોને બતાવ્યું કે તે જીવંત છે. ઈસુએ ઘણાં સાર્મથ્યશાળી પરાક્રમો કરીને આ સાબિત કર્યુ. પ્રેરિતોને ઈસુના મૃત્યુમાંથી સજીવન થયા બાદ 40 દિવસ દરમ્યાન ઘણીવાર તેના દર્શન થયાં. ઈસુએ પ્રેરિતોને દેવના રાજ્ય વિષે કહ્યું. 4 એક વખત ઈસુ તેઓની સાથે જમતો હતો, ત્યારે ઈસુએ તેઓને યરૂશાલેમ છોડવાની ના પાડી હતી. ઈસુએ કહ્યું, “તમને બાપે જે વચન આપ્યું છે તે વિષે મેં તમને પહેલાં કહ્યું છે. આ વચન પ્રાપ્ત કરવા માટે અહીં યરૂશાલેમમાં રાહ જુઓ. 5 યોહાને પાણીથી બાપ્તિસ્મા કર્યુ, પણ થોડા દિવસો પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો.”
ઈસુ આકાશમાં લઈ લેવામાં આવ્યો છે
6 બધા પ્રેરિતો ભેગા થયા. તેઓએ ઈસુને પૂછયું, “પ્રભુ, શું આ સમય તારા માટે યહૂદિઓને તેઓનું રાજ્ય ફરીથી સોંપવાનો છે?”
7 ઈસુએ તેઓને કહ્યું, “ફક્ત એક માત્ર બાપ જ સમયો અને તારીખો નક્કી કરવા માટે અધિકૃત છે. આ વસ્તુઓ તમે જાણી શકો નહિ. 8 પણ પવિત્ર આત્મા તમારી પાસે આવશે. પછી તમે સાર્મથ્ય પ્રાપ્ત કરશો. ત્યારે તમે મારા સાક્ષી થશો-તમે લોકોને મારા વિષે કહેશો. પહેલાં, તમે યરૂશાલેમમાં લોકોને કહેશો. પછી યહૂદિયામાં, સમરૂનમાં તથા વિશ્વના બધા જ લોકોને કહેશો.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International