Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 120-127

મંદિર સુધી; ચઢીને જવાનું ગીત.

મારા સંકટોમાં મે યહોવાને પોકાર કર્યો;
    અને તેમણે મને સાંભળ્યો ને ઉત્તર આપ્યો.
હે યહોવા, જૂઠા હોઠોથી તથા છેતરામણી જીભથી
    તમે મારા આત્માને બચાવો.

હે કપટી જૂઠા લોકો, તમે શું મેળવશો?
    તમારા જૂઠાણાંથી તમને શો લાભ થશે?
તને તીક્ષ્ણ બાણોથી વીંધવામા આવશે;
    અને ધગધગતા અંગારાથી તને દજાડાશે.
મને અફસોસ છે કે હું મેશેખમાં રહું છું
    અને કેદારનાં તંબુઓમાં વસું છું.
જે શાંતિ પર દ્વેષ રાખે છે તેની સાથે રહીને હવે તો
    હું ધરાઇ ગયો છું.
જ્યારે મેં કહ્યું, “મારે શાંતિ જોઇએ છે.
    હું શાંતિ ચાહું છું.” ત્યારે તે લોકોને લડાઇ જોઇતી હતી.

મંદિર તરફ ચઢવા માટેનું ગીત.

હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરું છું,
    મને સહાય ક્યાંથી મળે?
આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કરનાર
    યહોવા પાસેથી મને સહાય મળે છે.
તે તમને ઠોકર ખાવા દેશે નહિ, કે લપસવા દેશે નહિ.
    તે જે તમારી દેખરેખ રાખે છે તે ઘસઘસાટ ઊંઘી જનાર નથી.
જુઓ, ઇસ્રાએલનો જે રક્ષક છે તે ઊંઘતો નથી
    અને નિદ્રાવશ થતો નથી.
યહોવા જમણે હાથે તમારી ઉપર પોતાની છાયા પાડશે;
    યહોવા તમારા રક્ષક છે.
સૂર્ય દિવસ દરમ્યાન તમને નુકશાન નહિ કરે,
    અને ચંદ્ર રાત્રી દરમ્યાન તમને દુ:ખ નહિ પહોચાડે.
યહોવા, તારું દરેક આપત્તિઓમાં રક્ષણ કરશે.
    યહોવા તમારા આત્માની સંભાળ રાખશે.
તમે જે બધું કરશો તેમા યહોવા તમારી પર નજર રાખશે.
    તે હમણાંથી તે સર્વકાળ સુધી તમારી દેખરેખ રાખશે.

મંદિરે ચઢવાનું ગીત.

યરૂશાલેમમાં, યહોવાના મંદિરમાં જવાનું
    મને કહ્યું તેથી મને ખૂબ આનંદ થયો.
અને હવે અમે પણ યરૂશાલેમનાં દરવાજાઓમાં ઊભા રહ્યા.
ફરી એક વખત યરૂશાલેમ
    એક સંગઠિત નગર તરીકે બંધાયું છે.
ઇસ્રાએલના સવેર્ કુળો જે યહોવાનાં પોતાના છે તેઓ તેમનો આભાર માનવા;
    અને તેમના નામની સ્તુતિ ગાવા ત્યાં જશે.
જુઓ! ત્યાં નગરનાં દરવાજાઓ પાસે દાઉદના રાજવંશના રાજાઓએ
    લોકોનો ન્યાય કરવા તેમના રાજ્યાસનો ઊભા કર્યા છે.
યરૂશાલેમની શાંતિને માટે પ્રાર્થના કરો;
    જેઓ તેમને ચાહે છે તેને ત્યાં શાંતિ મળો.
ઓ યરૂશાલેમ, તારા નગરકોટની અંદર શાંતિ થાઓ;
    અને તારા નગરના મહેલોની અંદર કુશળતા થાઓ.

મારા ભાઇઓ તથા મારા મિત્રો માટે હું પ્રાથીર્ રહ્યો છું.
    તારામાં શાંતિ થાઓ.
યહોવા અમારા દેવના મંદિરને માટે
    હું પ્રાર્થના કરું છું કે શુભ વસ્તુઓ તમારી સાથે થશે.

મંદિરે ચઢવાનું ગીત.

હે આકાશના રાજ્યાસન પર બિરાજનાર દેવ;
    હું તારા ભણી આંખ ઊંચી કરું છું.
જેમ સેવક પોતાના માલિક તરફ જોયા કરે;
    જેમ દાસીની આંખો પોતાની શેઠાણીને જોયા કરે;
તેમ અમારી આંખો અમારા દેવ યહોવાની દયા થાય
    ત્યાં સુધી તેના ભણી તાકી રહે છે.
અમારા પર દયા કરો, હે યહોવા દયા કરો;
    ખરાબ વ્યવહારથી અમે કંટાળી ગયા છીએ.
પેલા આળસુ અને ઉદ્ધત લોકો તરફથી અમારા પર
    પૂરતું અપમાન અને દોષારોપણ થયું.

મંદિર પર ચઢવા માટેનું દાઉદનું ગીત.

ઇસ્રાએલના લોકો કબૂલ કરતાં કહે;
    જો યહોવા અમારા પક્ષમાં ન હોત.
હા, જ્યારે લોકોએ અમારા પર હુમલો કર્યો
    ત્યારે જો યહોવા અમારા પક્ષમાં ન હોત.
તો દુશ્મનો અમને જીવતા ગળી ગયા હોત;
    અને તેઓના કોપથી અમારો નાશ થયો હોત.
ત્યારે પાણીની રેલમાં અમે તણાઇ ગયા હોત;
    અને પાણીએ અમને ડૂબાડી દીધા હોત.
તે અભિમાની માણસોએ અમને
    પાણીમાં ડૂબાડી દીધા હોત.

યહોવાને ધન્ય છે કે જેણે અમને તેઓના દાંતમાં શિકાર તરીકે પકડાવા ન દીધા,
    અને તેમણે અમારો નાશ થવા દીધો નહિ.

જેમ પારધીની જાળમાંથી પક્ષી છટકી જાય;
    તેમ અમારા જીવ બચી ગયા છે;
    જાળ તૂટી ગઇ છે અને અમે બચી ગયા છીએ.
આકાશ અને પૃથ્વીના સર્જનહાર;
    યહોવા જ અમારા મદદગાર છે.

મંદિર ચઢવાનું ગીત.

જેઓ યહોવામાં વિશ્વાસ કરે છેં, સિયોન પર્વત જેવો અચળ છે,
    તેઓને કદી હલાવામાં આવશે નહિ
    તેઓ સદાકાળ ટકી રહેશે.
જેમ યરૂશાલેમની આસપાસ આવેલા પર્વતો તેઓનું સદાકાળ રક્ષણ કરે છે;
    તેમ યહોવા પોતાના લોકોની આસપાસ છે અને સદાકાળ સૌનું રક્ષણ કરે છે.
કારણકે દુષ્ટ લોકો સદાકાળ ભલા માણસોના પ્રદેશ ને તાબામાં રાખી ન શકે,
    નહિ તો સારા લોકો દુષ્કર્મ કરવાનું શરુ કરે.

હે યહોવા, જેઓ સારાઁ છે;
    અને જેઓના હૃદય યથાર્થ અને પવિત્ર છે તેમની ભલાઇ કરો.
દેવ, કુટીલ લોકોને જેઓ અન્ય દુષ્કર્મો કરવા વાળા
    લોકોની સાથે કુટીલ કર્મો કરે છે તેમને દૂર લઇ જાય છે.

ઇસ્રાએલમાં શાંતિ પ્રસરે!

મંદિરે ચઢવા માટેનું ગીત.

જ્યારે યહોવા બંધકોને સિયોનમાં પાછા લઇ આવ્યા,
    ત્યારે અમે સ્વપ્ન જોતાં હોઇએ એવું લાગ્યું.
અમે અતિ આનંદ અને ઉત્સાહથી ગીતો ગાયા કરતાં હતાં;
    ત્યારે વિદેશીઓએ કહ્યું,
    “યહોવાએ તેઓને માટે અદ્ભૂત કામો કર્યા છે.”
યહોવાએ અમારે માટે મોટા કામ કર્યા છે
    જેથી અમે આનંદ પામીએ છીએ.

હે યહોવા, અમારાં બંધકોને પાછા લાવો,
    અને તેમને પાણીથી ભરેલા રણના ઝરણાંની જેમ ધસમસતાં આવવાની રજા આપો.
જેઓ આંસુ પાડતાં પાડતાં વાવે છે;
    તેઓ હર્ષનાદ કરતાં કરતાં લણશે.
જે કોઇ મૂઠ્ઠીભર બીજ લઇને રડતાં વાવણી કરવા જાય છે;
    તે ગીતો ગાતો આનંદ ભેર પાકનાં પૂળા ઊંચકીને પાછો આવે છે.

સુલેમાનનું મંદિર ચઢવા માટેનું ગીત.

જો યહોવા ઘર ન બાંધે તો;
    બાંધનારાઓનો શ્રમ વ્યર્થ છે,
અને જો યહોવા નગરનું રક્ષણ ન કરે તો;
    ચોકીદારનો ચોકી પહેરો સમયની બરબાદી છે!
જીવવા માટે વહેલી સવારથી મોડી રાત સુધી
    સખત પરિશ્રમ કરવાનો કોઇ અર્થ નથી,
કારણકે તે તેમને ચાહનારા
    પ્રત્યેકને આરામ આપે છે.

બાળકો યહોવા પાસેથી મળેલી ભેટ છે.[a]
    તેઓ માતાના દેહમાંથી મળેલું ઇનામ છે.
યુવાવસ્થામાંના પુત્રો તો;
    બળવાન વીર યોદ્ધાનાં હાથમાંના તીક્ષ્ણ બાણ જેવા છે.
જે માણસનો ભાથો તેનાથી ભરેલો છે તેને ધન્ય છે.
    જ્યારે તે નગરનાં દરવાજે શત્રુઓ સામે લડશે
ત્યારે તે પરાજ્જિત નહિ થાય.
    કારણકે તેનાં પુત્રો તેનો બચાવ કરશે.

મિખાહ 1:1-9

મીખાહને મળેલ દેવનો સંદેશ

યહૂદિયા રાજાઓ યોથામ, આહાઝ અને હિઝિક્યાના શાસન દરમ્યાન સમરૂન અને યરૂશાલેમને વિષે મોરાશ્તીની મીખાહને યહોવા તરફથી સંદેશો મળ્યો તે,

હે વિશ્વની સર્વ પ્રજાઓ,
    ધ્યાન આપો અને સાંભળો.
દેવ યહોવા પોતાના પવિત્રમંદિરમાંથી,
    તમારી વિરુદ્ધ સાક્ષી આપે છે.
જુઓ, યહોવા આવે છે!
    તે પોતાનું સ્વર્ગનું રાજ્યાસન છોડીને પૃથ્વી પર આવે છે
    અને પર્વતોના શિખરો ઉપર ચાલે છે.
તેમના પગ તળે,
    પર્વતો અગ્નિ આગળ મીણની જેમ ઓગળે છે
અને ઢોળાવ વાળી જગ્યા ઉપરથી
    વહી જતાં પાણીના ધોધની જેમ ખીણો ફાટી જાય છે.
આ બધાનું કારણ છે કે યાકૂબના અપરાધો
    અને ઇસ્રાએલના કુળના અપરાધો

સમરૂન પાપનું કારણ

યાકૂબનો અપરાધ છે સમરૂન!
    યહૂદિયાનું ઉચ્ચસ્થાન છે યરૂશાલેમ!
તેથી સમરૂન નગર પથ્થરોના ઢગલા જેવું
    અને ખેડેલા ખેતર જેવું ખુલ્લું થશે જ્યાં દ્રાક્ષાવેલાની રોપણી થશે.
તેના પથ્થરોને હું ખીણોમાં ગબડાવી દઇશ
    અને તેના પાયા ને ઉઘાડા કરી દઇશ.
તેની મૂર્તિઓના ટુકડે ટુકડા થઇ જશે,
    મૂર્તિપૂજા દ્વારા મેળવેલી તેની બધી કમાણી આગમાં ભસ્મ થઇ જશે.
અને તેના બધાં જૂઠા દેવોની પ્રતિમાઓના હું ચૂરેચૂરા કરી નાખીશ;
    કારણ તેણીએ એ બધું મારા પ્રત્યેની
અવિશ્વાસની કમાણી રૂપે મેળવ્યું છે[a]
    અને તે અવિશ્વાસુપણાની કમાણી તરીકે જ પાછું જશે.[b]

મીખાહનું મહાન દુ:ખ

એટલે મીખાહ બોલ્યો, એને લીધે હું પોક મૂકીને વિલાપ કરીશ.
    ઉઘાડા પગે નિર્વસ્ર થઇને ફરીશ,
શિયાળવાની જેમ રડીશ,
    અને શાહમૃગની જેમ કળ કળીશ.
કારણ કે તેનો પ્રહાર, આ ઘાને રૂઝવી શક્યો નથી જે
    હવે યહૂદિયા સુધી આવ્યો છે,
મારા લોકો જેઓ યરૂશાલેમમાં રહે છે,
    તેમના દરવાજા સુધી આવી પહોંચ્યો છે.

પ્રેરિતોનાં કૃત્યો 23:12-24

પાઉલને મારી નાખવાનું કાવતરું

12 બીજી સવારે કેટલાએક યહૂદિઓએ એક યોજના ઘડી. તેઓની ઈચ્છા પાઉલને મારી નાખવાની હતી. યહૂદિઓએ તેમની જાતે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી તેઓ પાઉલને મારી નહિ નાખે ત્યાં સુધી તેઓ કંઈ પણ ખાશે કે પીશે નહિ. 13 ત્યાં લગભગ 40 ઉપરાંત યહૂદિઓ હતા જેઓએ આ કાવતરું કર્યું હતું. 14 આ યહૂદિઓ મુખ્ય યાજકો અને વડીલ યહૂદિ આગેવાનોની પાસે ગયા અને વાત કરી. યહૂદિઓએ કહ્યું, “અમે અમારી જાતે ગંભીર પ્રતિજ્ઞા કરી છે. અમે પ્રતિજ્ઞા લીધી છે કે જ્યાં સુધી અમે પાઉલને મારી નાખીએ નહિ ત્યાં સુધી અમે ખાશું કે પીશું નહિ! 15 તેથી અમે તમારી પાસે જે કરાવવા ઈચ્છીએ છીએ તે આ છે. તમારા તરફથી સરદારને તથા બધા યહૂદિ આગેવાનો તરફથી સંદેશો મોકલો. સરદારને કહો કે તમારી ઈચ્છા પ્રમાણે પાઉલને તમારી આગળ રજૂ કરે. સરદારને કહો કે તમારી ઈચ્છા પાઉલને વધારે પ્રશ્રો પૂછવાની છે. જ્યારે તે અહીં રસ્તા પર હશે, ત્યારે અમે પાઉલને મારી નાખવાની રાહ જોઈશું.”

16 પણ પાઉલના ભાણિયાએ આ યોજના વિષે સાંભળ્યું. તે લશ્કરના બંગલામાં ગયો અને પાઉલને તે યોજના વિષે કહ્યું. 17 પછી પાઉલે એક લશ્કરના અમલદારને બોલાવ્યો અને તેને કહ્યું, “આ યુવાન માણસને સરદારની પાસે લઈ જા. તેની પાસે તેને માટે સંદેશો છે.” 18 તેથી તે લશ્કરનો અમલદાર પાઉલના ભાણિયાને સરદાર પાસે લાવ્યો. તે અમલદારે કહ્યું, “તે કેદી પાઉલે આ યુવાન માણસને તારી પાસે લાવવા માટે મને કહ્યું. તેની ઈચ્છા તને કંઈક કહેવાની છે.”

19 તે સરદાર તે યુવાન માણસને એક જગ્યાએ દોરી ગયો જ્યાં તેઓ એકલા હોય. તે સરદારે પૂછયું, “તું મને શું કહેવા ઇચ્છે છે?”

20 તે યુવાન માણસે કહ્યું, “યહૂદિઓએ નક્કી કર્યુ છ્ કે આવતીકાલે ન્યાયસભામાં પાઉલને લઈ આવવા માટે તને કહેવું. યહૂદિઓ ઈચ્છે છે કે તું વિચારે કે તેઓની યોજના પાઉલને વધારે પ્રશ્રો પૂછવાની છે. 21 પરંતુ તેઓનામાં વિશ્વાસ કરવો નહિ! ત્યાં લગભગ 40 યહૂદિઓ જે છુપાયેલા છે અને પાઉલને મારી નાખવાની રાહ જોઈ રહ્ય છે. તેઓ બધાએ પ્રતિજ્ઞા કરી છે કે, જ્યાં સુધી તેઓ પાઉલને મારી નહિ નાખે ત્યાં સુધી ખાવું કે પીવું નહિ! હવે તેઓ તું હા કહે તેની જ રાહ જુએ છે.”

22 તે સરદારે તે યુવાન માણસને દૂર મોકલ્યો. તે સરદારે તેવે કહ્યું, “કોઈને કહીશ નહિ કે તેં મને તેઓની યોજના વિષે કહ્યું છે.”

પાઉલને કૈસરિયા મોકલાય છે

23 પછી સરદારે બે લશ્કરી અમલદારોને બોલાવ્યા. તેણે તેઓને કહ્યું, “મારે કૈસરિયા જવા માટે કેટલાક માણસોની જરુંર છે. 200 સૈનિકોને તૈયાર રાખો. 70 ઘોડેસવાર સૈનિકો પણ તૈયાર રાખો, અને 200 બરછીવાળાઓને પણ આજે રાત્રે નવ વાગે જવા માટે તૈયાર રાખો. 24 પાઉલની સવારી માટે કેટલાએક ઘોડા તૈયાર રાખો. હાકેમ ફેલિકસ પાસે તેને સહીસલામત લઈ જવામાં આવે.”

લૂક 7:1-17

ઈસુનું નોકરને સાજા કરવું

(માથ. 8:5-13; યોહ. 4:43-54)

ઈસુએ લોકોને આ બધી બાબતો કહેવાનું પૂર્ણ કર્યુ. પછી ઈસુ કફર-નહૂમ ગયો. ત્યાં કફરનહૂમમાં એક લશ્કરનો અમલદાર હતો. તે અમલદારને એક નોકર હતો જે ઘણો માંદો હતો. તે મરવાની અણી પર હતો, તે અમલદાર નોકરને ઘણો ચાહતો હતો. જ્યારે અમલદારે ઈસુ વિષે સાંભળ્યું ત્યારે તેણે યહૂદિઓના વડીલોને તેની પાસે મોકલ્યો. તે અમલદારની ઈચ્છા હતી કે માણસો ઈસુને આવીને નોકરને બચાવવાનું કહે. તે માણસો ઈસુ પાસે ગયા. તેઓએ ઈસુને અમલદારને મદદ કરવા વિનંતી કરી. તેઓએ કહ્યું, “આ અમલદાર તમારી મદદ માટે યોગ્ય છે. તે આપણા લોકોને ચાહે છે અને આપણા માટે તેણે સભાસ્થાન બંધાવ્યું છે.”

તેથી ઈસુ તે માણસો સાથે ગયો. જ્યારે ઈસુ અમલદારના ઘર નજીક આવતો હતો ત્યારે અમલદારે કેટલાએક મિત્રોને કહેવા માટે મોકલ્યા કે, “પ્રભુ મારા ઘરમાં આવવાની તકલીફ લઈશ નહિ. હું તને મારા ઘરમાં લાવવા માટે પૂરતી યોગ્યતા ધરાવતો નથી. તેથી હું મારી જાતને તારી પાસે આવવા યોગ્ય ગણી શકતો નથી. તારે તો માત્ર આજ્ઞા કરવાની જ જરૂર છે અને મારો નોકર સાજો થઈ જશે. હું તારી સત્તા જાણું છું. હું બીજા માણસોની સત્તાનો તાબેદાર છું. અને મારા તાબામાં સૈનિકો છે. હું એક સૈનિકને કહું છું કે જા, એટલે તે જાય છે અને બીજા સૈનિકને કહું છું, કે આવ, અને તે આવે છે; અને મારા નોકરને હું કહું છું કે આ કર અને નોકર તે કરે છે.”

જ્યારે ઈસુએ આ સાંભળ્યું; તે આશ્ચર્યચકિત થયો. જે લોકો તેની પાછળ આવતા હતા તેઓના તરફ ઈસુ પાછો ફર્યો. ઈસુએ કહ્યું, “હું તમને કહું છું આટલો બધો વિશ્વાસ તો મેં ઇઝરાએલમાં પણ નથી જોયો.”

10 જે લોકોને ઈસુ પાસે મોકલવામાં આવ્યા હતા. તેઓ ઘેર પાછા ફર્યા ત્યારે તેઓએ નોકરને સાજો થયેલો જોયો.

ઈસુનું માણસને સજીવન કરવું

11 બીજે દિવસે ઈસુ નાઇન નામના શહેરમાં ગયો. તેના શિષ્યો અને લોકોનો મોટો સમૂહ તેની સાથે યાત્રા કરતો હતો. 12 જ્યારે ઈસુ શહેરની ભાગોળે આવ્યો, તેણે એક મૂએલા માણસને બહાર લઈ જતાં જોયો, એક માતા કે જે વિધવા હતી તેનો એકનો એક દિકરો મૃત્યુ પામ્યો હતો. જ્યારે તેના પુત્રના મૃતદેહને લઈ જવાતો હતો ત્યારે માતાની સાથે શહેરના ઘણા લોકો હતા. 13 જ્યારે પ્રભુએ (ઈસુ) તેને જોઈ, ત્યારે તેના હ્રદયમાં તેને માટે કરૂણા ઉપજી. ઈસુએ તેને કહ્યું, “રડીશ નહિ,” 14 ઈસુ ઠાઠડીની પાસે ગયો અને તેને સ્પર્શ કર્યો. ખાંધિયા ઊભા રહ્યાં. ઈસુએ મૃત્યુ પામેલા પુત્રને કહ્યું, “હે જુવાન, હું તને કહું છું કે ઊઠ.” 15 પછી તે મૃત્યુ પામેલો માણસ બેઠો થયો અને વાતો કરવા લાગ્યો. ઈસુએ તેને તેની માને સોંપ્યો.

16 બધાજ લોકો ભયભીત થયા. તેઓ દેવની સ્તુતી કરતા હતા. તેઓએ કહ્યું, “આપણી પાસે એક મોટો પ્રબોધક આવ્યો છે!” અને તેઓએ કહ્યું, “દેવ તેના લોકોની સંભાળ રાખે છે.”

17 ઈસુ વિષેના આ સમાચાર આખા યહૂદિયામાં અને આસપાસના બધાજ પ્રદેશમાં પ્રસરી ગયા.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International