Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 80

નિર્દેશક માટે. રાગ: “કમળ નો કરાર.” આસાફનું સ્તુતિગીત.

હે ઇસ્રાએલનાં પાળક, અમારી પ્રાર્થના સાંભળો;
    તમે તે જાણો છો જેણે યૂસફના લોકોને ઘેટાંની જેમ દોર્યા હતા.
કરૂબ દેવદૂત પર બેઠેલા હે દેવ,
    અમને પ્રકાશ આપો!
એફાઇમ, બિન્યામીન અને મનાશ્શા આગળ તમારું સાર્મથ્ય બતાવો!
    અમને તારવાને આવ.
હે દેવ, અમને તમે ફેરવો;
    તમારા મુખનો પ્રકાશ પાડો એટલે અમારો ઉદ્ધાર થાય.
હે સૈન્યોના યહોવા દેવ,
    ક્યાં સુધી ક્રોધાયમાન રહીને અમારી પ્રાર્થનાઓ નકારશો?
તમે તમારા લોકોને આંસુવાળી રોટલી ખવડાવી છે
    અને પુષ્કળ આંસુઓ પાયાં છે.
તમે અમને અમારા પડોશીઓને લડવા માટે યુદ્ધના નિશાન બનાવ્યાં છે;
    અમરા શત્રુઓ અમારી હાંસી કરે છે.
હે સૈન્યોના દેવ, અમને પાછા ફેરવો,
    તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો,
    જેથી અમારો ઉદ્ધાર થાય.

તમે વિદેશી રાષ્ટ્રોને હાંકી કાઢયા
    અને અહીં “દ્રાક્ષાવેલો” રોપ્યો.
તમે ભૂમિને તેને વાસ્તે સાફ કરી,
    તેમાં દ્રાક્ષાવેલાના મૂળ નાંખ્યા અને તેનાથી દેશ ભરપૂર થયો.
10 તેની છાયાથી પર્વતો ઢંકાઇ ગયા,
    અને તેની વિશાળ લાંબી ડાળીઓથી દેવદારનાં વૃક્ષો ઢંકાઇ ગયા.
11 તેણે પોતાની ડાળીઓ સમુદ્ર સુધી પ્રસારી
    અને તેની ડાંખળીઓ નદી સુધી પ્રસારી.
12 તમે તેનો કોટ એવી રીતે કેમ તોડ્યો છે
    કે જેથી રસ્તે જતાં મુસાફરો તેની દ્રાક્ષો ચૂંટી લે છે?
13 જંગલમાંથી ડુક્કરો આવીને તેને બગાડે છે,
    અને રાની પશુઓ તેને ખાઇ જાય છે.
14 હે સૈન્યોના દેવ, તમે પાછા આવો, આકાશમાંથી નીચે દ્રષ્ટિ કરો,
    અને આ દ્રાક્ષાવેલાની રક્ષા કરો.
15 તમે તમારા જમણા હાથે જેને રોપ્યો છે, અને તમે બળવાન કર્યો છે,
    જે દીકરાને પોતાને માટે, તેનું રક્ષણ કરો.
16 તમારા “દ્રાક્ષાવેલા”ને કાપી નાખ્યો છે અને અગ્નિથી બાળી નાખ્યા છે.
    તમારા ક્રોધથી તમારા લોકો નાશ પામશે.

17 તમારા જમણા હાથે જે માણસ છે,
    અને તમે તમારા પોતાના માટે જે માનવપુત્રને બળવાન કર્યો છે તેના પર તમારો હાથ રાખો.
18 તમારાથી અમે કદી વિમુખ થઇશું નહિ;
    અમને પુર્નજીવન આપો, અને અમે તમારા નામમાં પ્રાર્થના કરીશું.
19 હે સૈન્યોના દેવ યહોવા, અમને પાછા ફેરવો;
    તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો, જેથી અમારો ઉદ્ધાર થાય.

ગીતશાસ્ત્ર 77

નિર્દેશક માટે. યદૂથૂનની રીત પ્રમાણે રચાયેલું.આસાફનું ગીત.

મે યહોવાને મદદ માટે પોકાર કર્યો;
    મારી વિનંતી સાંભળે તે માટે પોકાર કર્યો.
જ્યારે મારા માથે ભારે સંકટ આવ્યું, મેં સહાય માટે યહોવા તરફ દ્રૃષ્ટિ કરી.
    મેં તેમને આકાશ તરફ હાથ ઊંચા કરીને આખી રાત પ્રાર્થના કરી
    જ્યાં સુધી મારા હકમાં કઈં કરશે નહિ ત્યાં સુધી દિલાસો પામીશ નહિ.
હું દેવનું સંભારું છું, અને નિસાસાની શરુઆત કરું છું.
    મને શું થાય છે તે કહેવા માટે હું પ્રાર્થના કરવાનો પ્રયત્ન કરું છું,
    પરંતુ હું નિર્બળ અને લગભગ મૂછિર્ત થાઉં છું.
તમે મને ઊંછમાંથી જાગતો રાખ્યો
    હું ખૂબ મુશ્કેલીમાં હતો કે બોલી શકતો નહિ.
હું અગાઉના દિવસો
    અને પૂર્વનાં વર્ષોનો વિચાર કરું છું.
તે સમયે આનંદના ગીતોથી મારી રાત્રીઓ ભરપૂર હતી,
    હું મનન કરી બદલાયેલી સ્થિતિ વિષે આત્મખોજ કરું છું.
“શું યહોવા સર્વકાળ માટે તજી દેશે?
    ફરીથી કદી તે શું પ્રસન્ન થશે નહિ?
શું અશ્ય થઇ ગયો તેમનો અચળ પ્રેમ?
    શું નિષ્ફળ ગયાં તેમણે અમને આપેલા વચન?”
અમારા પર કૃપા કરવાનુ દેવ શું ભૂલી ગયાં?
    શું તેમણે તેમની સહાનુભૂતિને કોપમાં બદલી નાખી?

10 પછી મેં મારી જાતે વિચાર્યુ, “મને જે સૌથી વધારે
    અસ્વસ્થ કરે છે તે આ છે.”

11 શું પરાત્પર દેવે તેમનું સાર્મથ્ય બતાવવાનું બંધ કર્યુ છે?
    અને હું તેમનાં અગાઉનાં ચમત્કાર સંભારીશ.
12 હું તમારાં સર્વ કામોનું મનન કરીશ,
    અને તમારા કૃત્યો વિષે વિચાર કરીશ.
13 હે યહોવા, તમારા માર્ગો પવિત્ર છે,
    તમારા જેવા મહાન કોઇ દેવ નથી!
14 તમે ચમત્કારો અને અદભૂત કાર્યો કરનાર દેવ છો,
    તમે રાષ્ટ્રોને તમારું સાર્મથ્ય બતાવી દીધું છે.
15 તમે તમારા લોકો યાકૂબ અને યૂસફનાં બાળકોને
    તમારા મહાન સાર્મથ્યથી બચાવ્યાં છે.

16 તમને રાતા સમુદ્રે જ્યારે નિહાળ્યાં ત્યારે તે ભયભીત થયો,
    અને તેનાં ઊંડાણો પણ ધ્રૂજી ઊઠયાતા.
17 વાદળોએ પાણી વરસાવ્યું, ગર્જનાના પડઘા આકાશે પાડ્યાં;
    વીજળીરૂપી બાણો ચોતરફ ઊડ્યા.
18 મેઘ ગર્જનામાંથી ભયંકર ઘોંઘાટ આવ્યો તારી ગર્જનાનો;
    વીજળીઓ ચમકી અને જગતને પ્રકાશિત કર્યુ.
    અને પૃથ્વી કંપી તથા ડોલી.
19 તમારો માર્ગ તો સમુદ્રમાં, અને વાટો હતી મહાજળમાં;
    તમારા પગલાં કોઇનાં જોવામાં આવ્યાં નહિ.
20 તમે મૂસા તથા હારુનની મારફતે,
    તમારા લોકોને ઘેટાનાં ટોળાની માફક દોર્યા.

ગીતશાસ્ત્ર 79

નિર્દેશક માટે. આસાફના સ્તુતિગીતોમાંનુ.

હે દેવ, વિદેશી રાષ્ટ્રોએ તમારા લોકો પર આક્રમણ કર્યુ છે.
    અને તમારા પવિત્ર મંદિરને અશુદ્ધ કર્યુ છે.
    અને તેમણે યરૂશાલેમ તારાજ કર્યુ છે.
તેઓએ તમારા સેવકોનાં મૃતદેહોને જંગલી પક્ષીઓને ખાવા માટે આપ્યાં છે
    અને તેઓએ તમારા વફાદાર અનુયાયીઓના મૃતદેહોને ખાવા માટે જંગલી પશુઓ છોડ્યા છે.
તેઓએ, યરૂશાલેમની આસપાસ, પાણીની રેલની જેમ રકત વહેવડાવ્યું છે;
    ત્યાં મૃતદેહોને દફનાવનાર કોઇ નથી.
અમારી આસપાસ આવેલી પ્રજાઓ અમારી નિંદા,
    તિરસ્કાર કરે છે, અને અમારા પડોશીઓ મશ્કરી કરે છે.
હે યહોવા, તમે અમારા ઉપર ક્યાં સુધી કોપાયમાન રહેશો?
    તમારા કોપનો અગ્નિ ક્યાં સુધી સળગતો રહેશે?
તમે જે વિદેશીઓ જાણતા નથી તેઓ ઉપર તમારો ક્રોધ ઉતારો,
    જે રાજ્યની પ્રજાઓ તમારા નામે અરજ કરતી નથી.
કારણ તેઓએ યાકૂબનો વિનાશ કર્યો છે
    અને તેના વતનને ઉજ્જડ કર્યુ છે.
હે યહોવા, અમારા પૂર્વજોનાં પાપોને લીધે અમને દોષિત ઠરાવશો નહિ;
    અમારા પર તમારી દયા કરવામાં વિલંબ કરશો નહિ કારણ,
    અને બહુ દુર્દશામાં આવી પડ્યાં છીએ.
હે અમારા તારણના દેવ,
    અમારી સહાય કરો,
તમારા નામના મહિમાને માટે,
    હે દેવ અમારી રક્ષા કરો,
તમારા નામની માટે,
    અમને અમારા પાપોની માફી આપો.
10 વિદેશીઓ શા માટે એવું કહે છે કે,
    “ક્યાં છે તેઓના દેવ?”
તેઓએ તમારા લોકોનું લોહી વહેવડાવ્યું છે,
    તેમને એવી રીતે શિક્ષા કરો કે અમારી આંખો જુએ અને લોકો તેના વિષે જાણે.
11 બંદીવાનોના નિસાસા તમારી આગળ પહોંચો;
    તમારા હાથના પરાક્રમે મૃત્યુદંડ પામેલાઓનું રક્ષણ કરો.
12 હે યહોવા, જે અમારા પડોશી રાષ્ટ્રો તમારું અપમાન કરે છે,
    તેઓને તમે સાતગણી સજા કરો.
13 પછી નિરંતર અમે તમારી આભારસ્તુતિ કરીશું,
    તમારા લોક તથા ચારાના ઘેટાઁ
    પેઢી દર પેઢી તમારું સ્તવન કરીશું.

એસ્તેર 4:4-17

જ્યારે એસ્તેરની દાસીઓએ તથા ખોજાઓએ આવીને તેને મોર્દખાય વિષે કહ્યું, ત્યારે તે ખૂબ દુ:ખી થઇ ગઇ. મોર્દખાય ટાટ વસ્રો કાઢી બદલી નાખે તે માટે તેણીએ વસ્ત્રો મોકલી આપ્યાં. પરંતુ મોર્દખાયે તેનો અસ્વીકાર કર્યો. પછી એસ્તેરે રાજાએ તેણીની સેવામાં નીમેલા ખોજા હથાખને બોલાવી, તેને મોર્દખાય પાસે જઇ તેને શેની તકલીફ છે અને શાથી, તે પૂછી લાવવાની આજ્ઞા કરી. હથાક મોર્દખાય પાસે મહેલના દરવાજે ગયો. અને તેણે મોર્દખાય પાસેથી તેની સાથે શું બન્યું હતું તે બધી વાત સાંભળી. હામાને યહૂદીઓનો નાશ કરવા માટે રાજ્યની તિજોરીમાં જે નાણાં આપવાનું વચન આપ્યું હતું તેનો ચોક્કસ આંકડો પણ મોર્દખાયે તેને કહ્યો. વળી તેઓનો નાશ કરવાનો હૂકમ સૂસામાં કરવામાં આવ્યો હતો, તેની નકલ તેણે તેને આપી કે, તે એસ્તેરને તે દેખાડે, અને તેને વિનંતી કરે કે રાજાની હજૂરમાં જઇને તે પોતાના લોકોને માટે કાલાવાલા કરીને તેમને બચાવવા અરજ કરે.

પછી હથાકે પાછા ફર્યા બાદ મોર્દખાયનું કહેલું બધું એસ્તેરને કહ્યું.

10 એટલે એસ્તેરે હથાકને કહ્યું કે, જા, અને મોર્દખાયને આ મુજબ કહે, 11 “આ કાનૂન રાજાના બધાંજ આગેવાનો અને પ્રાંતોના બધાં જ લોકો જાણે છે કે, કોઇ પણ સ્ત્રી કે પુરુષ વગર પરવાનગીથી છેક અંદરના સભામંડળમાં જઇ શકતું નથી કારણ કે જે કોઇ બોલાવ્યાં વગર તેમ કરે તો તેને મૃત્યુની સજા કરવામાં આવે છે, સિવાય કે રાજા તે વ્યકિત સામે પોતાનો સોનાનો રાજદંડ ધરે. પણ છેલ્લા એક મહિનાથી રાજાએ મને બોલાવી નથી.”

12 એસ્તેરનો સંદેશો તેણે જઇને મોર્દખાયને કહી સંભળાવ્યો. 13 જવાબમાં મોર્દખાયે એસ્તેરને કહેવડાવ્યું, “તું એવું ના વિચારતી કે તું રાજમહેલમાં રહેતી હોવાથી જ્યારે બધાં યહૂદીઓની હત્યા થાય ત્યારે તું બચી જશે?” 14 “જો તે સમયે તું મૌન રહીશ અને યહૂદીઓને બચાવવા માટે કાઇં નહિ કરે તો બીજી કોઇ રીતે ચોક્કસ યહૂદીઓ માટે મદદ અને રાહત મોકલાશે, પરંતુ તારુ તથા તારાં પિતાના કુટુંબનો નાશ થશે. અને કોને ખબર છે કે તને રાણીપદ કદાચ આવા સમય માટે તો પ્રાપ્ત થયું હશેં?”

15 ત્યારે એસ્તેરે તેઓને કહ્યું કે, “તમારે મોર્દખાયને એવો જવાબ આપવો કે, 16 જા, સૂસામાં જેટલા યહૂદીઓ છે તે સર્વને ભેગા કર. અને તમે સર્વ આજે મારે માટે ઉપવાસ કરો, ત્રણ દિવસ સુધી રાત્રે કે દિવસે તમારે કોઇએ ખાવું-પીવું નહિ; હું અને મારી દાસીઓ પણ એ જ રીતે ઉપવાસ કરીશું. જો કે એ પણ નિયમ વિરૂદ્ધ છે તોપણ હું રાજાની હજૂરમાં જઇશ; જો મારો નાશ થાય, તો ભલે થાય.”

17 ત્યારે મોર્દખાય પોતાને રસ્તે ગયો, અને એસ્તેરે તેને જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેણે કર્યુ.

પ્રેરિતોનાં કૃત્યો 18:1-11

કરિંથમાં પાઉલ

18 પાછળથી પાઉલે આથેન્સ છોડયું અને કરિંથના શહેરમાં ગયો. ત્યાં કરિંથમાં પાઉલ અકુલાસ નામના યહૂદિને મળ્યો. અકુલાસ પોન્તસ દેશમાં જનમ્યો હતો. પરંતુ અકુલાસ અને તેની પત્ની પ્રિસ્કિલા તાજેતરમાં ઈટાલીથી કરિંથમાં આવ્યા હતા. તેઓએ ઇટાલી છોડયું કારણ કે કલોદિયસે[a] ફરમાન કાઢ્યું હતું કે બધા યહૂદિઓએ રોમ છોડવું. પાઉલ અકુલાસ અને પ્રિસ્કિલાની મુલાકાતે ગયો. પાઉલની જેમ તેઓ તંબૂ બનાવવાનું કામ કરતા હતા. પાઉલ તેઓની સાથે રહ્યો અને તેઓની સાથે કામ કર્યુ.

પ્રત્યેક વિશ્રામવારે પાઉલ યહૂદિઓ અને ગ્રીકો સાથે સભાસ્થાનમાં ચર્ચા કરતો હતો. પાઉલ આ લોકોને ઈસુમાં વિશ્વાસ રાખવા માટે સમજાવવાનો પ્રયત્ન કરતો હતો. સિલાસ અને તિમોથી મકદોનિયાથી કરિંથમાં પાઉલ પાસે આવ્યા. આ પછી પાઉલે તેનો બોધો સમય લોકોને સુવાર્તા કહેવામાં અર્પણ કર્યો. તેણે યહૂદિઓને બતાવ્યું કે ઈસુ એ જ ખ્રિસ્ત છે. પરંતુ યહૂદિઓએ પાઉલનો બોધ સ્વીકાર્યો નહિ. યહૂદિઓએ કેટલીક ઘણી ખરાબ વસ્તુઓ કહી. તેથી પાઉલે તેના વસ્ત્રો પરની ધૂળ ખંખેરી નાખી. તેણે યહૂદિઓને કહ્યું, “જો તમારું તારણ ન થાય તો તે તમારો પોતાનો દોષ હશે. મારાથી થાય તેટલું બધું મેં કર્યુ છે. આ પછી, હું ફક્ત બિનયહૂદિ લોકો પાસે જઈશ!”

પાઉલે સભાસ્થાન છોડયું અને તિતસ યુસ્તસના ઘરે ગયો. આ માણસ સાચા દેવનું ભજન કરતો. તેનું ઘર સભાસ્થાનની બાજુમાં જ હતું. ક્રિસ્પુસ તે સભાસ્થાનનો આગેવાન હતો. ક્રિસ્પુસ અને તેના ઘરમાં રહેતા બધા જ લોકોએ પ્રભુમાં વિશ્વાસ કર્યો. બીજા ઘણા લોકોએ કરિંથમાં પાઉલનો સંદેશ સાંભળ્યો. તેઓએ પણ વિશ્વાસ કર્યો અને બાપ્તિસ્મા પામ્યા.

રાત્રિ દરમ્યાન પાઉલે દર્શન જોયું. પ્રભુએ તેને કહ્યું, “ગભરાઈશ નહિ! લોકો સાથે ચર્ચા કરવાનું ચાલુ રાખ, અને બંધ કરીશ નહિ! 10 હું તારી સાથે છું. તને ઇજા કરવા કોઇ શક્તિમાન થશે નહિ. મારા લોકોમાંના ઘણા આ શહેરમાં છે.” 11 પાઉલ ત્યાં લોકોને દેવનાં વચનોનો બોધ કરવા માટે દોઢ વરસ સુધી રહ્યો.

લૂક 1:1-4

ઈસુના જીવન વિષે લૂક લખે છે

ઘણા લોકોએ આપણી વચ્ચે જે ઘટનાઓ બની હતી તેનું વર્ણન કરવાનો પ્રયત્ન કર્યો છે. જેઓએ પોતાની જાતે આરંભથી તે ઘટનાઓ નીહાળી છે અને જેઓ પ્રભુનો સંદેશ તે લોકોને આપતા હતા. તે લોકોએ આપણને જે રીતે કહ્યું હતું તે જ પ્રમાણે તેઓએ તે બાબતો લખી છે. નેકનામદાર થિયોફિલ, શરુંઆતથી જ મેં મારી જાતે આનો ચોકસાઇપૂર્વક અભ્યાસ કર્યો અને તેથી મેં તમારા માટે પુસ્તકમાં યોગ્ય ક્રમમાં વૃતાંત લખવા વિચાર્યુ. હું આ બધી બાબતો તારા માટે લખું છું જેથી તને ખાતરી થશે કે તને જે કંઈ શીખવવામાં આવ્યું છે તે સાચું છે.

લૂક 3:1-14

યોહાનનો ઉપદેશ

(માથ. 3:1-12; માર્ક 1:1-8; યોહ. 1:19-28)

પોંતિયુસ પિલાત તિબેરિયસ કૈસરના રાજ્યશાસનના 15માં વર્ષ યહૂદિયાનો અધિપતિ હતો.

ગાલીલ પર હેરોદ;

ત્રાખોનિતિયા અને યટૂરિયા પર હેરોદનો ભાઈ ફિલિપ,

લુસાનિયાસ, અબિલેનીનો રાજા હતો.

અન્નાસ અને કાયાફા પ્રમુખ યાજકો હતા. તે સમય દરમ્યાન ઝખાર્યાના દીકરા યોહાનને દેવે આજ્ઞા કરી. યોહાન તો અરણ્યમાં રહેતો હતો. તેથી યોહાને યર્દન નદીની આજુબાજુના પ્રદેશમાં યાત્રા કરીને લોકોને પસ્તાવો કરવા માટે, પાપોની માફીની ખાતરી મેળવવા તથા બાપ્તિસ્મા પામીને જીવન ગુજારવાનો ઉપદેશ આપ્યો. યશાયા પ્રબોધકના પુસ્તકમાં લખેલા વચનો મુજબ:

“અરણ્યમાં કોઈ વ્યક્તિનો પોકાર સંભળાય છે:
‘પ્રભુને માટે માર્ગ તૈયાર કરો.
    તેનો માર્ગ સીધો બનાવો.
પ્રત્યેક ખીણો પૂરી દેવાશે.
    અને બધાજ પર્વતો અને ટેકરીઓ સપાટ બનાવાશે.
રસ્તાના વળાંક સીધા કરવામાં આવશે.
    અને ખાડા ટેકરાવાળા રસ્તાઓ સરખા કરવામાં આવશે.
પ્રત્યેક વ્યક્તિ દેવનું તારણ જોશે!’” (A)

ત્યારે ઘણા લોકો તેનાથી બાપ્તિસ્મા પામવા સારું આવ્યા. યોહાને તેઓને કહ્યું: “તમે ઝેરીલા સાપો જેવા છો, દેવનો કોપ અને જેણે તમને તેમાંથી બચવા માટે ચેતવણી આપી છે તેમાંથી ઉગારવા માટે તમને કોણે સાવધાન કર્યા? તમે એવાં કામ કરો કે જે દર્શાવે કે તમે તમારું હ્રદય પરિવર્તન કર્યું છે. તમારી જાતને તમે કહેવાનું શરું ના કરશો. ‘ઈબ્રાહિમ અમારો પિતા છે.’ કારણ કે હું તમને કહું છું કે દેવ આ પથ્થરોમાંથી પણ ઈબ્રાહિમ માટે સંતાન ઉત્પન્ન કરી શકે છે. વૃક્ષો કાપવા માટે હવે કુહાડી તૈયાર છે. દરેક વૃક્ષ જે સારાં ફળ ન આપતાં હોય તે બધાને કાપી નાખીને અજ્ઞિમાં નાખી દેવામાં આવશે.”

10 લોકોના ટોળાએ યોહાનને પૂછયું, “અમારે શું કરવું જોઈએ?”

11 યોહાને ઉત્તર આપ્યો, “જો તમારી પાસે બે અંગરખા હોય તો જેની પાસે એક પણ નથી તેને આપો. અને જેની પાસે ખોરાક હોય તો તે પણ વહેંચવો જોઈએ.”

12 જકાતનાકાના કર ઉઘરાવનારા અમલદારો પણ બાપ્તિસ્મા પામવા તેની પાસે આવ્યા. તેઓએ યોહાનને પૂછયું, “ઉપદેશક, અમારે શું કરવું?”

13 યોહાને તેમને કહ્યું, “તમને જેટલી જકાત લેવાનો હુકમ કર્યો હોય તેનાથી વધારે જકાત લોકો પાસેથી ઉઘરાવો નહિ.”

14 સૈનિકોએ યોહાનને પૂછયું, “અમારું શું? અમારે શું કરવું જોઈએ?”

યોહાને તેઓને કહ્યું, “બળજબરીથી કોઈની પાસેથી પૈસા લેશો નહિ. કોઈને માટે જુઠું બોલશો નહિ. તમને જે કંઈ પગારમાં મળે છે તેમાં સંતોષ રાખો.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International